ઓડિશામાં ત્રાટકનારા ફોની વાવાઝોડાથી અંદાજિત 10000 ગામ અને બાવન શહેરો પ્રભાવિત થશે. 11.5 લાખ લોકોને ખસેડવામાં સરકારી તંત્ર દોડતું થઈ ગયું છે. ઓડિશાના દરિયાકાંઠા પર આવેલા ગંજામ, ગજપતિ, ખુરદા, પૂરી, જગતસિંહપુર, કેન્દ્રપાડા, ભદ્રક, જાજપુર અને બાલાસોર જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની સંભાવના છે. પશ્ર્ચિમ બંગાળમાં ઈસ્ટ મેદિનીપુર અને વેસ્ટ મેદિનીપુર, સાઉથ 24 પરગણા, નોર્થ 24 પરગણા, હાવરા, હૂગલી, ઝારગ્રામ અને કોલકાતા શહેર પણ વાવાઝોડાથી પ્રભાવિત થશે. આંધ્ર પ્રદેશમાં શ્રીકાકુલમ, વિઝિનગરમ અને વિશાખાપટ્ટનમ જિલ્લામાં પણ અસર થશે.

ભારતીય હવામાન ખાતાએ કહ્યું કે 1.5 મીટર જેટલા મોજા ઊછળવાથી ઓડિશાના ગંજામ, ખુરદા, પૂરી અને જગતસિંહપુર જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના છે. એનડીઆરએફ અને એડીઆરએેએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. નેશનલ ક્રાઈસિસ મેનેજમેન્ટ કમિટી (એનસીએમસી)ની બેઠક મળી હતી, જેમાં કેન્દ્રીય સચિવે રાજયોની તૈયારીની સમીક્ષા કરી હતી. કેબિનેટ સચિવ પી. કે. સિંહાએ કેન્દ્રીય મંત્રાલયોની અને સંબંધિત એજન્સીઓએ કરેલી તૈયારીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. પી. કે. સિંહાએ જાહેર જનતા માટે ટોલ-ફ્રી હેલ્પલાઈન જાહેર કરી હતી. પાવર સપ્લાય નિષ્ફળ જાય તો ઝડપભેર ફરી શરૂ કરવાનો પાવર મંત્રાલયે વ્યવસ્થા કરી છે. પેયજળ અને સેનિટેશન મંત્રાલયે પીવાના પાણીની બોટલોનો જથ્થો અને ખાદ્યાન્નના તૈયાર પેકેટની વ્યવસ્થા કરી છે.
આરોગ્ય મંત્રાલયે ઇમર્જન્સી 17 મેડિકલ ટીમ અને દવાઓનો જથ્થો તૈયાર રાખ્યો છે. સાયકલોન સંબંધિત ફ્રી એસએમએસ અને વિવિધ ટેલિફોન નેટવર્કની ઈન્ટર-ઓપરેટેલિવિલિટીને તૈયાર રાખવા ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશને ઓર્ડરો આપ્યા હતા.
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ઈન્ડિયન નેવીએ જહાજો અને હેલિકૉપ્ટર્સ તૈયાર રાખ્યા છે. ત્રણ રાજયોમાં ઈન્ડિયન આર્મી અને ઈન્ડિયન ઍરફોર્સ યુનિટને ‘સ્ટેન્ડ બાય’ રાખવામાં આવ્યા છે.
બેઠકમાં આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ર્ચિમ બંગાળના ટોચના અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાગ લીધો હતો. બેઠકમાં વિવિધ મંત્રાલયો, આઈએમડી, એનડીએમએ અને એડીઆરએફના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.