CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 123 of 142 - CIA Live

May 3, 2019
farmers_pepso.jpg
1min8390

ગુજરાતના ચાટ બટાકાના ખેડૂતો સામે કરેલા કેસ તે પાછા ખેંચી લેશે તેવું પેપ્સીકો ઈન્ડિયા કંપનીએ ગુરુવારે કહ્યું હતું. પોટેટો ચિપ્સની લોકપ્રિય બ્રાન્ડ માટેની ‘પોટેટો વેરાઈટી’ રોપવા બદલ કંપનીએ કેટલાક ખેડૂતો સામે કેસ કર્યો હતો. પેપ્સીકો કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે સરકાર સાથે ચર્ચા કર્યા પછી કેસ પાછા ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “સીડ પ્રોટેકશન સાથે સંકળાયેલા બધા મુદ્દાઓના સંતોષકારક નિરાકરણ માટે અને લાંબા ગાળાના ઉકેલ માટે અમે સરકાર સાથે થયેલી ચર્ચા પર ભરોસો રાખીએ છીએ. કંપનીએ ગુજરાતમાં 11 ખેડૂતો સામે ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ (આઈપીઆર)ના ઉલ્લંઘન બદલ કેસ કર્યો હતો. ભારતીય કિસાન સંઘના ગુજરાત એકમના પ્રમુખ વિઠ્ઠલ દુધા6ાએ કહ્યું હતું કે, “અમે આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. આ ખેડૂતોની જીત છે.

May 3, 2019
fani1.jpg
1min5950

ઓડિશામાં ત્રાટકનારા ફોની વાવાઝોડાથી અંદાજિત 10000 ગામ અને બાવન શહેરો પ્રભાવિત થશે. 11.5 લાખ લોકોને ખસેડવામાં સરકારી તંત્ર દોડતું થઈ ગયું છે. ઓડિશાના દરિયાકાંઠા પર આવેલા ગંજામ, ગજપતિ, ખુરદા, પૂરી, જગતસિંહપુર, કેન્દ્રપાડા, ભદ્રક, જાજપુર અને બાલાસોર જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની સંભાવના છે. પશ્ર્ચિમ બંગાળમાં ઈસ્ટ મેદિનીપુર અને વેસ્ટ મેદિનીપુર, સાઉથ 24 પરગણા, નોર્થ 24 પરગણા, હાવરા, હૂગલી, ઝારગ્રામ અને કોલકાતા શહેર પણ વાવાઝોડાથી પ્રભાવિત થશે. આંધ્ર પ્રદેશમાં શ્રીકાકુલમ, વિઝિનગરમ અને વિશાખાપટ્ટનમ જિલ્લામાં પણ અસર થશે.

ભારતીય હવામાન ખાતાએ કહ્યું કે 1.5 મીટર જેટલા મોજા ઊછળવાથી ઓડિશાના ગંજામ, ખુરદા, પૂરી અને જગતસિંહપુર જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના છે. એનડીઆરએફ અને એડીઆરએેએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. નેશનલ ક્રાઈસિસ મેનેજમેન્ટ કમિટી (એનસીએમસી)ની બેઠક મળી હતી, જેમાં કેન્દ્રીય સચિવે રાજયોની તૈયારીની સમીક્ષા કરી હતી. કેબિનેટ સચિવ પી. કે. સિંહાએ કેન્દ્રીય મંત્રાલયોની અને સંબંધિત એજન્સીઓએ કરેલી તૈયારીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. પી. કે. સિંહાએ જાહેર જનતા માટે ટોલ-ફ્રી હેલ્પલાઈન જાહેર કરી હતી. પાવર સપ્લાય નિષ્ફળ જાય તો ઝડપભેર ફરી શરૂ કરવાનો પાવર મંત્રાલયે વ્યવસ્થા કરી છે. પેયજળ અને સેનિટેશન મંત્રાલયે પીવાના પાણીની બોટલોનો જથ્થો અને ખાદ્યાન્નના તૈયાર પેકેટની વ્યવસ્થા કરી છે.

આરોગ્ય મંત્રાલયે ઇમર્જન્સી 17 મેડિકલ ટીમ અને દવાઓનો જથ્થો તૈયાર રાખ્યો છે. સાયકલોન સંબંધિત ફ્રી એસએમએસ અને વિવિધ ટેલિફોન નેટવર્કની ઈન્ટર-ઓપરેટેલિવિલિટીને તૈયાર રાખવા ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશને ઓર્ડરો આપ્યા હતા.

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ઈન્ડિયન નેવીએ જહાજો અને હેલિકૉપ્ટર્સ તૈયાર રાખ્યા છે. ત્રણ રાજયોમાં ઈન્ડિયન આર્મી અને ઈન્ડિયન ઍરફોર્સ યુનિટને ‘સ્ટેન્ડ બાય’ રાખવામાં આવ્યા છે.

બેઠકમાં આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ર્ચિમ બંગાળના ટોચના અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાગ લીધો હતો. બેઠકમાં વિવિધ મંત્રાલયો, આઈએમડી, એનડીએમએ અને એડીઆરએફના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.

May 2, 2019
saurashtra.png
1min5240
સૌરાષ્ટ્રભરમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર ઉઠી રહ્યો છે. આ સાથે ઓછા વરસાદના કારણે પશુપાલકોની સમસ્યા પણ વકરી રહી હોવાના પ્રશ્ને ભાજપ સરકાર સામે લોકોમાં આક્રોશ ફેલાઈ રહ્યો છે. ગુજરાતનાં પાણીવાળા કહેવાતાં ઝાલાવાડમાં પણ આ વર્ષે લોકો પીવાનાં પાણી માટે વલખાં મારી રહ્યાં છે. તો ફરેણી ગામે મહિલાઓ રણચંડી બની હતી અને બેડા સરઘસ કાઢયું હતું.
નર્મદા યોજનાનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે. અહીંના ડેમમાંથી જ સૌરાષ્ટ્ર – કચ્છ અને ભાવનગરને પાણી પૂરું પાડવામાં આવતું હોવથી પાણીયારું કહેવાય છે પરંતુ ઓણસાલ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ભાગોમાં ત્રીજા દિવસે પાણી મળી રહ્યું હોવાથી ઝાલાવાડ પંથકના લોકો પીવાનાં પાણી માટે વલખાં મારી રહ્યાં છે. આ સિવાય ચોટીલાના ડોસલી ધૂના, લોમા કોટડી, મેવાસા, બામણબોર, જીવાપર, ગુંદાળા, ગારીડા સહિતનાં 26 ગામના લોકોની હાલત તો એટલી કફોડી બની છે કે ત્યાં ટેન્કરથી અને તે પણ અનિયમિત પાણી વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
સૌરાષ્ટ્રમાં પાંચાળ પંથકથી ઓળખાતા બાબરા તાલુકાનાં પાણી અને ઘાસચારાના પ્રશ્ને તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં ખેડૂતો અને આમ જનતા દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે અને મામલતદારને આવેદન પાઠવવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનમાં બાબરા-લાઠીના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર ઉપસ્થિત રહેશે તેમ જિલ્લા કોંગ્રેસ મોવડી પ્રભાતભાઇ કોઠીવાળાએ જણાવ્યું હતું.
ધોરાજીમાં પાંચ-છ દિવસે પાણી વિતરણ થતા લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે ત્યારે આજે ફરેણી રોડ પર મહિલાઓએ રણચંડી બનીને બેડા સરઘસ કાઢયું હતું. આ સાથે પાણી આપોના નારા સાથે ફરેણી રોડ પર ચક્કાજામ કર્યું હતું અને નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
જૂનાગઢ જિલ્લાને પાણી પૂરું પાડતા આણંદપર ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. જેથી નર્મદા અથવા ઓઝત-2 ડેમમાંથી આણંદપર ડેમમાં પાણી ઠાલવવા ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી.

લીંબડીમાં કચ્છના હિજરતી પશુપાલકો બેહાલ

કચ્છથી અંદાજે સાત માસ પહેલા સહપરિવાર સેંકડો પશુપાલકોએ 400 જેટલા માલઢોર સાથે હિજરત કરીને લીંબડીના જનશાળી અને મિઠાપુર ગામે આશરો લીધો છે. ગ્રામજનોએ પશુઓ માટે અવેડા બનાવી દીધા છે અને ઘાસચારાની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી પરંતુ હાલ ઝાલાવાડ પંથકમાં પાણી વિતરણની અવ્યવસ્થાનાં કારણે સ્થાનિકો સાથે હિજરતી પશુપાલકો પણ બેહાલ બન્યા છે.

બેટ દ્વારકામાં સવા મહિનાથી પાણીની વિકટ સમસ્યા

યાત્રાધામ બેટ દ્વારકામાં સવા મહિનાથી નગરપાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવ્યું નથી. દ્વારકામાં સ્થાનિક કોઈ પાણીનો સ્રોત ન હોવાથી લોકોની સાથે યાત્રાળુઓ પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે. બેટ દ્વારકામાં રાજાશાહી વખતના નવ જેટલાં તળાવ આવેલાં છે. જેમાંથી રતન તળાવ, પાર તળાવ અને રણ તળાવ પર જમીન માફિયાઓ દ્વારા દબાણ કરી લેવામાં આવતા આ પાણી પણ સ્થાનિકોને મળવાનું બંધ થઈ ગયું છે. પાણીની સમસ્યા અંગે નગરપાલિકાના ચિફ ઓફિસરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, દૈનિક ત્રણ લાખ લીટર પાણીની જરૂરિયાત સામે પાણી પુરવઠા દ્વારા અનિયમિત પચ્ચાસ હજાર લીટર જ પાણી આપવામાં આવે છે. આ અંગે પાણી પૂરવઠા ડે. ઇજનેરે જણાવ્યું હતું કે, ઉપરથી જ નર્મદાનાં નીર પૂરતાં પ્રમાણમાં આવશે ત્યારે બેટ દ્વારકામાં નિયમિત અને પૂરતું પાણી આપીશું.
May 2, 2019
Labor-1280x850.jpg
1min13540

સમગ્ર દેશમાં ખેતી પછી બીજા નંબરે સૌથી વધુ રોજગારી આપતા બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રે એક અભ્યાસ મુજબ દરરોજ કામના સ્થળે 38 જેટલા કામદારોના અકસ્માતે મોત થાય છે. વિશ્ર્વ કામદાર સ્મૃતિ દિને આ બાબત જાહેર થઈ હતી કે, સૌથી વધુ રોજગારી આપતા બાંધકામ ઉદ્યોગમાં બોર્ડની સ્થાપનાને લઈને ગુજરાતભરમાં અત્યાર સુધી 990 મજૂરોના મોત નિપજ્યા હતાં. જેમાંથી માત્ર 44 જેટલા કામદારોના પરિવારોને રૂ. 82 લાખની સહાય અપાઈ હતી.

જ્યારે રાજ્યમાં વિવિધ બાંધકામ દરમિયાન 2018માં 144 બાંધકામ સાઈટ પર અકસ્માતો સર્જાયા હતા. જેમાં 137 કામદારોના મોત નીપજ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં બાંધકામ મજૂર સંગઠને રાજ્યના વિવિધ જિલ્લામાંથી આરટીઆઈના માધ્યમથી કામદારોના અકસ્માત અને મોતના આંકડા મેળવ્યા હતાં જેમાં જામનગર જિલ્લો અને સુરત જિલ્લાના ગ્રામીણ વિસ્તારના આંકડા ઉપલબ્ધ થયા ના હોઈ આમાં સામેલ નથી.

ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ કામદારોના કલ્યાણ માટે સેસ કલેકશનરૂપે રૂ. 2200 કરોડની જંગી રકમ એકઠી કરી છે, પરંતુ તેમાંથી નજીવું કહી શકાય તેવી રીતે માત્ર 44 કામદારોના મોતના કિસ્સામાં જ પીડિત પરિવારોને સહાય ચૂકવી છે.

કુલ આંકડા મુજબ 990 મોત અને 415 ઈજાગ્રસ્ત થયા હતા. કામદાર સંગઠનના મુજબ રાજ્યમાં જેટલા પણ અકસ્માતના કેસ બને છે તેમાં માત્ર જાણવાજોગ નોંધ થાય છે. મોટાભાગના કિસ્સામાં કોઈ જ એફઆઈઆર થતી નથી. બાધકામક્ષેત્ર અકસ્માતનો ભોગ બનતા મજૂરો મોટા ભાગે દાહોદ અને પંચમહાલ જિલ્લાના આદિવાસીઓ તેમજ પરપ્રાંતીય શ્રમિક હોય છે. અકસ્માતને પગલે મજૂરોના આશ્રિતો વળતર માટે વલખા મારવા પડે છે. જો રાજ્ય સરકારના શ્રમયોગી બોર્ડ દ્વારા ક્ધસ્ટ્રકશન સાઈટ પર નોંધાયેલા મજૂરના અકસ્માતે મૃત્યુના બનાવમાં આશ્રિતોને રૂ. 3 લાખ આપવાની અને બોર્ડમાં નોંધાયેલા ન હોય તેવા શ્રમિકને રૂપિયા દોઢ લાખ આપવામાં આવે તો મજૂરોના પરિવારજનોને વલખા મારવા ન પડે. આમ મજૂરોને સરકાર દ્વારા કાયદા પ્રમાણે યોગ્ય વળતર મળી રહે તેવી અનેક વખત રજૂઆતો કરવા છતાં યોગ્ય ઉકેલ મજૂરના હિતમાં આજદિન સુધી આવ્યો નથી.

May 2, 2019
fani.jpg
1min5840

ઓડિશામાં ‘ફોની’ નામના વાવાઝોડાની શક્યતાને ધ્યાનમાં રાખીને લશ્કર સહિતના સંરક્ષણ દળોને સાબદા કરાયા હતા અને શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાનો આદેશ અપાયો હતો. ઓડિશા ઉપરાંત આંધ્ર પ્રદેશ, તમિળનાડુ અને પશ્ર્ચિમ બંગાળમાં પણ વાવાઝોડાની માઠી અસર થવાની શક્યતા છે. મંદિરોનાં શહેર જગન્નાથ પુરીમાં ત્રીજી મેએ બપોરે વાવાઝોડું કલાક દીઠ 175થી 200 કિલોમીટરની ઝડપે ત્રાટકવાની સંભાવના છે. ઓડિશામાં નૌકાદળ, હવાઇદળ, તટરક્ષક દળ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ અને અગ્નિશામક દળના જવાનોને તેમ જ મુલકી વહીવટીતંત્રને સંભવિત વાવાઝોડાથી સર્જાનારી તારાજીનો સામનો કરવા તૈયાર રહેવા સૂચના અપાઇ હતી. દરમિયાન, ચૂંટણી પંચે કુદરતી આફતની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાહત અને બચાવ કામગીરી કરવા માટે આચારસંહિતાની કેટલીક જોગવાઇ હળવી બનાવી હતી.

અગાઉ, મુખ્ય પ્રધાન નવીન પટનાયકે ચૂંટણી પંચને રાજ્યમાંના કાંઠાના બધા જિલ્લામાં ચૂંટણીની આચારસંહિતા ઉઠાવી લેવા વિનંતિ કરી હતી. પુરીમાંથી પર્યટકોને સલામત સ્થળે જતાં રહેવાની સૂચના અપાઇ હતી.

April 30, 2019
rafale-fighter-1.jpg
1min7260

સુપ્રીમ કોર્ટે રાફેલની રિવ્યૂ પિટિશન મામલે સરકાર પાસે એફિડેવિટ માંગ્યું છે. અટોર્ની જનરલ કે કે વેણુગોપાલે એફિડેવિટ ફાઈલ કરવા માટે ચાર અઠવાડિયોનો સમય માંગ્યો. જો કે સુપ્રીમ કોર્ટે ચાર મે સુધીનો સમય આપ્યો છે.

સુપ્રીમ કોર્ટેમાં આ મામલે હવે છ મેના રોજ સુનાવણી  થશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેચની સામે આ સુનાવણી થઈ. સરકારે અરજીકર્તાઓ તરફથી લગાવવામાં આવેલા કોર્ટને ગુમરાહ કરવાના આરોપોનો જવાબ આપવાનો છે. આ મામલે સોમવારે આગામી સુનાવણી થશે.

આ પહેલા સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર પોતાના આદેશ પર બીજી વાર વિચાર કરવા સંબંધી અરજીને 10 એપ્રિલે મંજૂરી આપી હતી, જે મીડિયામાં લીક થયેલા દસ્તાવેજોના આધાર પર કરવામાં આવી હતી. જો કે સરકારે કોર્ટને દસ્તાવેજો પર વિશેષાધિકારનો દાવો કરતા આ વાંધા અરજીઓને ફગાવવાની માંગ કરી હતી.

April 29, 2019
VOTING11.jpg
1min5280

આજે તારીખ 29 એપ્રિલના રોજ સોમવારે ભારતમાં હાલ ચાલી રહેલી લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કામાં 9 રાજ્યોની કુલ 71 સીટો પર મતદાન યોજાઇ રહ્યું છે. પ્રારંભિક અહેવાલો મુજબ મતદાન બહું જ મંદ ગતિએ શરૂ થયું હતું. સવારે 9 વાગ્યા બાદ મતદાનમાં થોડી સ્પીડ જોવા મળી હતી.

આજે બિહારની 5, જમ્મુ-કાશ્મીરની 1, ઝારખંડની 3, મધ્યપ્રદેશ અને ઓરિસ્સાની 6-6, મહારાષ્ટ્રની 17, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનની 13-13 સીટો અને પશ્ચિમ બંગાળમાં 8 સીટો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આજે ઓરિસ્સામાં વિધાનસભા ચૂંટણી માટે કુલ 42 સીટો પર પણ મતદાન ચાલી રહ્યું છે.

લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કામાં આજે દેશના 9 રાજ્યોની કુલ 71 સીટો પર યોજાઇ રહેલા મતદાનમાં  945 ઉમેદવારો નું રાજકીય ભાવી મતદારો નક્કી કરી રહ્યા છે.

સવારે 7 વાગ્યાથી શરુ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી જારી રહેશે.

ચોથા તબક્કાના મતદાનમાં ઉત્તરપ્રદેશની કન્નૌજ, બિહારની બેગુસરાય અને મધ્યપ્રદેશની છિંદવાડાની સીટ પર લોકોની નજર રહેશે. રાજનૈતિક વિશ્લેષકો સહિત તમામ લોકોની નજર બેગુસરાયની સીટ પર છે કે જ્યાં બીજેપી નેતા ગિરિરાજ સિંહની સામે સીપીઆઈના વિદ્યાર્થી નેતા રહી ચૂકેલા કન્હૈયા કુમાર મેદાનમાં છે.

April 29, 2019
fani.jpg
1min1233

દેશમાં એક તરફ ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોમાં વિક્રમી ગરમી પડી રહી છે તો બીજી તરફ દક્ષિણ પૂર્વી રાજ્યોમાં આગામી બે દિવસમાં અતિશય વરસાદ સાથે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગે કહ્યું કે આગામી 24 કલાકમાં અતિતીવ્ર ભીષણ તોફાનમાં બદલાઈ શકે છે. કેરળના કેટલાક વિસ્તારોમાં 29 અને 30 એપ્રિલે ભારે વરસાદ થઈ શકે છે. હવામાન ખાતા મુજબ ચક્રવાત તમિલનાડુ નહીં પહોંચે, પરંતુ તેની અસરથી ઉત્તરના ભાગોમાં હળવો વરસાદ થઈ શકે. આ પહેલા ચેન્નઈ સહિત ઉત્તર તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના કરાઈ રહી હતી.

પોંડીચેરી સાથે તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના તટીય સ્થળોમાં 3 મે સુધી સ્થિતિ સારી નહીં હોય. કેરળમાં 29થી 30 એપ્રિલે ભારે વરસાદ પડવાની સંભાવના

ચક્રવાતી તોફાન ફની આગામી 12 કલાકમાં ભીષણ ચક્રવાત તોફાન અને આગામી 24 કલાકમાં અતિતીવ્ર ભયાનક તોફાન બની શકેછે. હવામાન વિભાગ મુજબ, પોંડીચેરી સાથે તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના તટીય સ્થળોમાં 3 મે સુધી સ્થિતિ સારી નહીં હોય. કેરળમાં 29થી 30 એપ્રિલે ભારે વરસાદ પડી શકે છે.

મોટા બંદરો જેવા કે, મછલીપટ્ટનમ, કૃષ્ણટ્ટનમ, નિજમાપટ્નમ, વિશાખાપટ્ટનમ, ગંગાવરમ અને કાકીનંદા પર વોર્નિંગ સિગ્નલ નંબર બે જાહેર

ભારતના ડિઝાસ્ટર મેનેજમેન્ટની અધિકૃત માહિતી કહે છે કે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને તેના પડોશી વિસ્તારમાં 115 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે. તેની અસર નજીકના રાજ્યો પર પણ પડી શકે છે. બધા મોટા બંદરો જેવા કે, મછલીપટ્ટનમ, કૃષ્ણટ્ટનમ, નિજમાપટ્નમ, વિશાખાપટ્ટનમ, ગંગાવરમ અને કાકીનંદા પર વોર્નિંગ સિગ્નલ નંબર બે જાહેર કરાયું છે.

હવામાન વિભાગે કહ્યું કે ફની તમિલનાડુના તટને પાર કરવાની કોઈ સંભાવના નથી. બુલેટિનમાં કહેવાયું હતું કે રવિવારથી તમિલનાડુ, પોંડુચેરી તટ, કોમોરિન વિસ્તાર અને મન્નારની ખાડી અને તેની આસપાસ 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપથી લઈને 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવાન વિભાગે શ્રીલંકા, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પોંડીચેરીના માછીમારોને દરિયો ખેડવા ન જવાની સલાહ પણ આપી છે.

April 29, 2019
water_cut.jpg
1min11010

ઉનાળાના દિવસોમાં પીવાના પાણીની સ્થિતિ વિકટ બની રહી છે.તેને ધ્યાનમાં રાખીને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વધુ એક દિવસનો પાણી કાપ લંબાવાયો છે. જેથી હવે દર ચાર દિવસે નગરજનોને પીવાનું પાણી મળશે. આ અંગેની મનપાની યાદીમાં જણાવાયું છે કે,આનંદપુર ડેમમાં હવે દસ દિવસ ચાલે તેટલું જ પાણી છે.નર્મદા યોજનાનું પાણી હજી મળી શકે તેવી સંભાવના નથી. શહેરમાં પ્રાઇવેટ બોર ડુકી ગયા છે. પીવાના પાણીની તીવ્ર તંગી ઉદ્ભવી છે. આવી પરિસ્થિતિમાં પાણી કાપ લંબાવવો જરૂરી બન્યો છે.

April 28, 2019
heatwave.jpg
1min6590

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો ઘાટ સર્જાયો છે. શુક્રવારે 43 ડિગ્રીની આસપાસ રહેલો તાપમાનનો પારો શનિવારે સીધો જ 45થી 48 ડિગ્રી સુધી પહોંચી જતા સમગ્ર રાજ્ય અગનભઠ્ઠીમાં શેકાયું હતું. મોડાસામાં તાપમાનનો પારો 48 ડિગ્રી રહ્યો હતો, જ્યારે અમદાવાદમાં પણ 45 ડિગ્રીની ગરમી વરસતા શહેરના જાહેર માર્ગો પર કરફ્યૂ જેવો માહોલ સર્જાયો હતો.

રાજ્યમાં આગ ઓકતી ગરમી પડી રહી છે ત્યારે શનિવારે ગુજરાતમાં ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો હતો. ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું. ગુજરાતમાં મોડાસામાં સૌથી વધારે તાપમાન 48 ડિગ્રી નોંધાયું છે. ત્યારે અમદાવાદમાં 45, સુરેન્દ્રનગરમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગરમીના બીજા મળતાં આંકડા પ્રમાણે પાંચ શહેરોનું તાપમાન 42-43 ડિગ્રી વચ્ચે હોવાથી ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 48 કલાક ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ભાવનગર, વેરાવળ, પોરબંદર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે.

વાવ 47 ડિગ્રી સાથે બીજા ક્રમે છે. જ્યારે સુરેન્દ્રનગરમાં તાપમાન 46 ડિગ્રીને પાર થઈ ગયું છે અને અમદાવાદ-ભૂજ-રાજકોટમાં 45 ડિગ્રી ગરમી નોંધાઈ છે. રાજ્યના બીજા 5 શહેરમાં તાપમાન 42-43 ડિગ્રી વચ્ચે હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગરમીનો પારો 43-44 ડિગ્રી સુધી પહોંચી જતાં પેટમાં દુખાવા તેમજ ડિહાઈડ્રેશનના કેસોમાં વધારો નોંધાયો છે. ગરમીના કારણે ઇમરજન્સી સેવા 108માં આવતા કોલની સંખ્યામાં 20 ટકા જેટલો વધારો થયો છે. અમદાવાદમાં આગામી ચાર દિવસ ગરમીનો પારો 44થી 45 ડિગ્રી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.