CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 123 of 143 - CIA Live

May 10, 2019
ayodhya.jpg
1min6400

સર્વોચ્ચ અદાલતે અયોધ્યાના રામ જન્મભૂમિ – બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાં મધ્યસ્થી કરીને સુલેહસંપવાળો ઉકેલ શોધવા માટે રચેલી 3 સભ્યની સમિતિએ તાજેતરમાં પોતાનો વચગાળાનો અહેવાલ બંધ કવરમાં સુપરત કર્યો તે પછી આ અદાલત શુક્રવારે કેસની સુનાવણી કરવાની છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતની રજિસ્ટ્રીને છઠ્ઠી મેએ બંધ કવરમાં વચગાળાનો અહેવાલ સુપરત કરાયો હતો અને આ કેસની સુનાવણી શુક્રવારે રખાઇ છે.

અગાઉ, સર્વોચ્ચ અદાલતે અયોધ્યા વિવાદનો સુલેહસંપવાળો ઉકેલ લાવવા માટે 3 સભ્યની બનેલી સમિતિ રચી હતી.

મધ્યસ્થીની સમિતિમાં સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ એફ. એમ. આઇ. કલિફુલ્લા, આધ્યાત્મિક ધર્મગુરુ અને આર્ટ ઑફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પાંચુનો સમાવેશ થાય છે.

કેસની સુનાવણી કરતી પાંચ ન્યાયાધીશની બંધારણીય બૅન્ચમાં રંજન ગોગોઇ, એસ. એ. બોબડે, ડી. વાય. ચંદ્રચુડ, અશોક ભૂષણ અને એસ. અબ્દુલ નાઝીરનો સમાવેશ થાય છે.

સર્વોચ્ચ અદાલતે આ કેસ મધ્યસ્થીઓને સોંપ્યો તે પછી સૌપ્રથમ વખત સુનાવણી કરવાની છે.

સર્વોચ્ચ અદાલતે મધ્યસ્થીઓની સમિતિને બંધબારણે કાર્યવાહી હાથ ધરીને આઠ અઠવાડિયાંમાં પોતાની કામગીરી પૂરી કરવાનો હુકમ કર્યો હતો.

નિર્મોહી અખાડા સિવાયના હિંદુ સંગઠનોએ મધ્યસ્થીઓની સમિતિ રચવાનો વિરોધ કર્યો હતો, જ્યારે મુસ્લિમ સંગઠનોએ તેને આવકાર આપ્યો હતો.

હિંદુ સંગઠનોએ જણાવ્યું હતું કે આ કિસ્સામાં મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવામાં અગાઉ પણ નિષ્ફળતા મળી હોવાથી ફરી તે પ્રક્રિયા શરૂ કરવાનો અર્થ નથી.

May 10, 2019
guj.jpg
1min6300

ગુજરાતના વાતાવરણમાં અસામાન્ય ફેરફારો જોવા મળી રહ્યા છે. આ ઉનાળામાં એક વખત માવઠું બેસી ચૂક્યું છે અને હવે ફરીથી આગામી ત્રણેક દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માવઠાની અસર વર્તાય તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ગરમીમાં ઘટાડો નોંધાશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પણ પડી શકે છે એવી માહિતી સ્થાનિક કલેક્ટરેટ સુધી પહોંચાડી દેવામાં આવી છે.

દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. પરિણામે હવામાન વિભાગે 10, 11 અને 12 મેનાં રોજ થન્ડર સ્ટોર્મ, ભારે પવન અને વીજળીનાં કડાકાની આગાહી છે. આ દિવસો દરમિયાન પવનની ગતિ પણ 30થી 40 કલાક પ્રતિ કિલોમીટરની રહી શકે છે. પરિણામે હળવી ઠંડક અનુભવાશે.

બનાસકાંઠા, રાજકોટ અને કચ્છમાં વાતાવરણમાં પલટો થવાની આગાહી છે. 11મી તારીખે બનાસકાંઠા, પાટણ, રાજકોટ અને અમરેલી માટે આગાહી આપવામાં આવી છે. 12મી મેના રોજ રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, સુરેન્દ્રનગર માટે વોર્નિંગ આપવામાં આવી છે.

May 8, 2019
water_cut.jpg
1min6410

રાજ્યના કુલ ૩૩ જિલ્લા પૈકીના માત્ર પંચમહાલ, મહીસાગર, નર્મદા અને ભરુચ જેવા માત્ર ૪ જિલ્લામાં ૩૬થી ૪૧ ટકા પાણી છે. તે સિવાયના ૨૯ જિલ્લાઓ પાણી માટે વલખાં મારી રહ્યાં છે.

રાજ્યના કુલ ૨૦૩ જળાશયો (ડેમો)માંથી હાલ પાણીનો હયાત જથ્થો ૨૧.૩૭ ટકા જેટલો છે. એમાં પણ પાણીનો વાપરવા લાયક (જીવંત) જથ્થો તો માંડ ૧૫.૫૩ ટકા જેટલો બચ્યો છે. કચ્છ-સૌરાષ્ટ્રની સ્થિતિ તો એકદમ દયનીય બની છે. અહીંના જામનગર, પોરંબદર, બોટાદ, દ્વારકા જિલ્લાના ડેમોમાં તો શૂન્ય ટકા પાણી છે.

લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ રાજ્ય સરકાર સાબદી થઈ છે. મુખ્યમંત્રીએ તાકીદના ધોરણે ઉચ્ચ-સ્તરીય બેઠકો યોજીને પાણીની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ લોકોને પીવા માટેનું પાણી પહોંચાડવા માટે જે કરવું પડે તે કરવા, તમામ જિલ્લા કલેકટરોને તાકીદ કરી છે. હવે આવી આકરી સ્થિતિમાં સરદાર સરોવર નર્મદા ડેમ સિવાય અન્ય સહારો જ રહ્યો નથી.

રાજ્યમાં જે કુલ ૧૭ મોટા ડેમો છે. એમાં પણ હાલ, તેની પાણીની કુલ સંગ્રહ શક્તિના માત્ર ૨૨ ટકા પાણી છે. મોટા ડેમો પૈકી કડાણા, પાનમ ડેમોમાંથી ૫૧-૫૧ ટકા અને કરજણ ડેમમાં ૪૩ ટકા પાણી છે. તે સિવાયના તમામ મોટો ડેમોમાં પણ ૨૦ ટકાથી ઓછું પાણી છે.

એવી જ રીતે, સરદાર સરોવર નર્મદા ડેમોમાં પણ હાલ, પાણીની તેની કુલ સંગ્રહ શક્તિની સરખામણીમાં ૫૧ ટકા જેટલું પાણી જરુર છે પણ તેમાંથી વાપરવા લાયક પાણીનો જીવંત જથ્થો તો માત્ર ૧૯ ટકા જેટલો જ બાકી રહ્યો છે.

સરકારે સરદાર સરોવર નર્મદા ડેમ આધારિત કેનાલ, પાઈપાલઈન નેટવર્કનો ઉપોયગ કરીને, અન્ય જિલ્લાઓના ખાલી ડેમો, તળાવો પાણીથી ભરીને લોકોને પીવા માટે પાણી પહોંચાડવાની વ્યવસ્થા ઉભી કરવાની શરુઆત કરી દીધી છે.

May 7, 2019
urinal.jpg
1min6780

ગુજરાતના મેગા સિટી અમદાવાદમાં હવે મનપાએ તંત્રએ ક્લિન સિટીની ઝુંબેશ શરૂ કરી છે. જાહેર રસ્તા પર થૂંકનારા અને લઘુશંકા કરનારાઓને નોટિસો ફટકારીને તેમની પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. મનપાએ છેલ્લા એક સપ્તાહમાં 48 વોર્ડમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ જાહેરમાં પેશાબ કરતા 105 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે, તેમની પાસેથી તંત્રએ રૂપિયા 10,600ની વસૂલાત કરી છે. આ ઉપરાંત જાહેરમાં થૂંકવા અંગે 330 લોકોને નોટિસ મોકલવામાં આવી છે અને તેમની પાસેથી રૂપિયા 34,900ની વસૂલાત કરવામાં આવી છે. સોલિડ વેસ્ટ રૂલ્સ ભંગ બદલ તમામ કેસોમાં કુલ 1013 લોકોને નોટિસ મોકલવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોેરેશન દ્વારા શહેરના જાહેર માર્ગ ઉપર થૂંકતા નાગરિકોને દંડવા માટે ઇ-મેમોની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યૂનિસિપલના વિભાગે અત્યાર સુધી રૂપિયા 7.08 લાખનો વહીવટી ચાર્જ વસૂલ્યો છે. જ્યારે 260 કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેસ્ટ જપ્ત કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિક અંગે 2475ને નોટિસ ફટકારવામાં આવી છે અને તેમની પાસેથી રૂપિયા 14.59 લાખનો દંડ વસૂલ કરાયો છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 26324 નોટિસો આપવામાં આવી છે.

May 6, 2019
bar_council_of_gujarat.png
1min6660
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વેલફેરની ફી ન ભરવાના મુદ્દે એકસાથે 6 હજાર 238 વકીલોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ગુજરાત હાઇકોર્ટને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે આ નિર્ણય અંગે જાણ કરી છે.
મહત્વનું છે કે, એકસાથે 6 હજાર 238 વકીલોને સસ્પેન્ડ કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે જે શહેરોમાં વકીલોને સસ્પેન્ડ કર્યા છે તેમાં અમદાવાદમાં સૌથી વધુ 2409 વકીલોનો સમાવેશ થાય છે. જ્યારે અમરેલીમાં 53, આણંદના 331, બનાસકાંઠાના-76, ભરૂચના 149, ભાવનગરના-148, દાહોદના-28, ડાંગના-2, ગાંધીનગરના-121, જામનગરના-162, જૂનાગઢના-179, ખેડાના-227, કચ્છના-81 વકીલોનો સમાવેશ થાય છે.
જ્યારે મહેસાણાના 155, મોરબીના 376, નર્મદાના 16, નવસારીના 105, પંચમહાલના 91, પાટણના 68, પોરબંદરના 44, સાબરકાંઠાના 106, સુરતના 494, સુરેન્દ્રનગર 141, વડોદરાના 509 અને વલસાડના 104 મળી 6238 વકીલોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
May 5, 2019
weather-forecast.jpg
1min14250
– 24 કલાક સુધી માવઠાની આગાહી : અમરેલી, ચલાલા, બાબરા, જામકંડોરણા, ભાવનગરમાં હળવા ભારે ઝાપટાં પડયાં
દક્ષિણ રાજસ્થાનમાં સક્રિય થયેલી સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમના કારણે ગુજરાતના અંબાજીમાં કોટેશ્વર ખાતે કરાં સાથે વરસાદ થયો હતો. અંબાજીની સાથે રાજ્યના અમરેલીમાં પણ આજે બપોરે હળવા છાંટા પડયા હતાં. હવામાન ખાતા તરફથી આગામી 24 કલાક દરમિયાન રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, રાજકોટના અમુક વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટાની આગાહી’ કરવામાં આવી છે.
રાજ્યમાં શનિવાર તા.4 મે થી વાતાવરણમાં પલટો અનુભવાઇ રહ્યો છે. આગામી 24 કલાકમાં રાજ્યના અમૂક જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટ્ટો છવાયો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. જ્યારે રાજ્યના અંબાજીમાં છેલ્લા બે દિવસથી આવેલા વાતાવરણના પલટા બાદ આજે બપોરે અંબાજી આસપાસના વિસ્તારમાં ધીમા ધીમા વરસાદી છાંટા પડયા હતા જ્યારે કોટેશ્વરમાં કરા પડયા હતા.
સાબરકાંઠાના પોશીનામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણના કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી પરંતુ કમોસમી માવઠાની વકીથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. વરસાદ પડે તો બાજરી, મગ, જુવાર જેવા અનેક પાકો તથા શાકભાજીમાં નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોને છે.
અમરેલી જિલ્લામાં આજે આકરા તાપ વચ્ચે બપોરનાં ચારેક વાગ્યાનાં સુમારે હવામાનમાં પલટો આવતા ભર ઉનાળે ચાલાલા પંથકમાં કમોસમી વરસાદનાં આગમનથી રોડ ઉપર અને ચલાલાની બજારોમાં વરસાદી પાણી છવાઇ જતાં ઠંડક પ્રસરી ગઇ હતી. પવન સાથેનાં કમોસમી વરસાદનાં કારણે ચલાલા પંથકમાં કેરીનાં પાકને નુકસાન થયું હતું. અડધો કલાક વરસાદના આગમનથી કેરીનાં બગીચાના માલિકો ઘેરી ચિંતામાં ડૂબી ગયેલા. આ ઉપરાંત સાવરકુંડલા પંથકના જાબાળ અને બાઢડા વચ્ચે પવન સાથે હળવું ઝાપટું પડી ગયું હતું.
બાબરા :
બાબરા અને લાઠી તાલુકામાં અસહ્ય ઉકળાટ બાદ સાંજે 5 કલાકે કમોસમી વરસાદના છાંટા ઓછા વધુ પડવાથી રોડ રસ્તા ભીના થયા હતા અને વાતાવરણમાં ઘડીભર ઠંડકનો અહેસાસ થયો હતો. ઈંટ ઉત્પાદનકારોમાં કાચા માલ સામાન પલળવાની બીકથી ઘડીભર દોડધામ મચી હતી.
ભાવનગર :
ભાવનગર સહિત જિલ્લાભરમાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું. જિલ્લાના ઉમરાળા પંથકનાં ધોળા, વડોદ, ઉજ્જળવાવ, અલમપર સહિતના ગ્રામ્ય વિસ્તારોનાં મોડી સાંજે ભારે પવન, વીજળીના ચમકારા સાથે વરસાદ પડયો હતો. કેટલાંક સ્થળોએ જોરદાર વરસાદના પગલે રોડ પર પાણી વહ્યું હતું.
જામકંડોરણા :
જામકંડોરણા તાલુકાનાં સાતોદડ, કાનાવડાળા, દડવી, મેઘાવડ, રાજપરા ગામે વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા અસહ્ય બફારા બાદ ઓચિંતી બપોરબાદ ભારે પવન સાથે વરસાદ પડયો હતો. અમુક ગામોમાં આ ભારે પવન સાથેના વરસાદથી વૃક્ષો પડી ગયાનું જાણવા મળેલ છે.
May 5, 2019
water_cut.jpg
1min5160

સૌરાષ્ટ્રમાં હવે ઉનાળામાં પીવાના પાણીની કોઇ સમસ્યા જ નહીં રહે એવા સરકારના વારંવારના દાવાઓ વચ્ચે પણ અત્યારે મોટાભાગના નગરોમાં લોકો પાણી કાપ સહન કરી રહ્યાં છે. પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાના જ વિસ્તારમાં અનેક ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા છે ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના ગામ રાજકોટમાં પણ પાણીકાપથી લોકો પરેશાન છે ત્યારે શહેરના ચાર વોર્ડમાં આજે પાણી કાપ ઝીંકી દેવામાં આવતા મહિલાઓ બેડાં લઇને પીવાનું પાણી ભરવા નીકળી હતી.

ચોમાસા સુધી પાણીની કોઈ તકલીફ નહીં રહે. રાજકોટવાસીઓ ચિંતા કરશો નહીં, રોજ ર0 મિનિટ પાણી આપીશું આવી મહાપાલિકાના ભાજપી શાસકોએ જાહેરાત કર્યા બાદ જાણે માઠી દશા બેઠી હોય તેમ પાંચ વોર્ડમાં પાણીના ધાંધિયા સર્જાયા બાદ હવે ચાર વોર્ડના બે લાખ જેટલા લોકો પર ઓચિંતો પાણીકાપ ઝીંકી દેવામાં આવ્યો છે. શુક્રવાર રાત્રે મોડેથી વોટર વર્કસ શાખાએ જાહેર કર્યું કે વેસ્ટ ઝોન અંતર્ગત ન્યારા પમ્પિંગ સ્ટેશન પર નર્મદાનું પાણી પૂરું પાડતી જીડબલ્યુઆઈએલની મુખ્ય પાઈપલાઈન એનસી 34 પર શટડાઉન હોવાથી રૈયાધાર હેડ વર્કસ હેઠળ આવતા ગાંધીગ્રામ અને 1પ0 ફૂટ રીંગ રોડ હેઠળ આવતાં વિસ્તારો (વોર્ડ નં.1, ર પાર્ટ, 9 પાર્ટ અને 10 પાર્ટ) માં શનિવારે પાણી વિતરણ બંધ રહેશે. ચાર વોર્ડમાં પાણીકાપથી આશરે બે લાખ લોકો અસરગ્રસ્ત બન્યા છે. પાણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં વૈકલ્પિક વ્યવસ્થા કે વહેલા-મોડું પાણી વિતરણ કરવાને બદલે સીધો કાપ ઝીંકી દેવામાં આવે છે.

May 4, 2019
mumbai_monsoon.jpg
1min7990

ચોમાસામાં દરિયામાં મોટી ભરતી હોય અને તે દિવસે મુશળધાર વરસાદ પડયો તો મુંબઈમાં પાણી ભરાઈ જતાં હોય છે. તો હવે ભરતીની સાથે જ નીપ ટાઈડ મુંબઈ માટે જોખમી બનતી જઈ રહી છે. આ વર્ષે ચોમાસામાં 28 દિવસ મોટી ભરતી તો 12 દિવસ નીપ ટાઈડ હોવાનું મુંબઈ મહાનગરપાલિકાએ જણાવ્યું હતું. જેમાં સૌથી મોટી ભરતી પહેલી સપ્ટેમ્બર 2019ના રોજ છે, તે દિવસે દરિયામાં 4.91 મીટર જેટલાં ઊંચા મોજાં ઉછળશે.

12 દિવસ નીપ ટાઈડ

દરિયામાં 28 દિવસ મોટી ભરતી અને 12 દિવસ નીપ ટાઈડ છે. જયારે દરિયામાં મોટી ભરતી પણ ના હોય અને દરિયામાં ઓટ પણના હોય તેને નીપ ટાઈડ કહેવાય છે. જૂન મહિનામાં 25, 26, 27ના જુલાઈ મહિનામાં 25, 26, 27 તો 24 અને 25 ઑગસ્ટના, સપ્ટેમ્બર મહિનામાં 7, 8, 22 અને 23 સપ્ટેમ્બરનો સમાવેશ થાય છે.

મુંબઈમાં વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈનની ક્ષમતા એક કલાકના 50 મિલીમીટર પાણીનું વહન કરવાની છે. જોકે મોટી ભરતી હોય ત્યારે દરિયામાં મોજાં 4.5 મીટર ઊંચા ઉછળતા હોય છે અને આવા સમયે જો મુશળધાર વરસાદ પડયો તો મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની ભારોભાર શકયતા હોય છે. તેથી દર વર્ષે ચોમાસા પહેલા આવી મોટી ભરતીની યાદી તૈયાર કરીને તે દિવસે પાલિકા દ્વારા ખાસ તકેદારીના પગલાં લેવામાં આવતા હોય છે.

બે વર્ષ પહેલા નીપ ટાઈડના દિવસે મુશળધાર વરસાદ પડયો હતો અને મુંબઈમાં પાણી ભરાઈ ગયા હતા. તેથી તે અનુભવને ધ્યાનમાં રાખીને મોટી ભરતીની સાથે જ નીપ ટાઈડના દિવસની પણ પાલિકા યાદી તૈયાર કરવા માંડી છે અને આ દિવસો દરમિયાન પાલિકા, પોલીસ, ફાયરબ્રિગેડ સહિત અન્ય સરકારી યંત્રણા પણ સતર્ક રહેતી હોય છે, જેથી જાનહાની સાથે જ વિત્તહાની ટાળી શકાય.

જૂન મહિનામાં આ વર્ષે છ દિવસ મોટી ભરતી છે, જેમાં 3 જૂનના બપોરના 12.12 વાગે 4.53 મીટર, ચાર જૂનના બપોરના 12.53 વાગે 4.64 મીટર, પાંચ જૂનના બપોરના 1.36 વાગે 4.68 મીટર, 6 જૂનના બપોરના 2.20 વાગે 4.65 મીટર, 7 જૂનના બપોરના 3.07 વાગે 4.55 મીટર અને 17 જૂનના બપોરના 12.18 વાગે દરિયામાં 4.51 મીટર જેટલાં ઊંચા મોજાં ઉછળશે.

જુલાઈ મહિનામાં સાત દિવસ મોટી ભરતી છે, જેમાં બે જુલાઈના સવારના 11.52 વાગે 4.54 મીટર, 3ના બપોરના 12.35 વાગે 4.69 મીટર, ચાર જુલાઈના બપોરના 1.20 વાગે 4.78 મીટર, પાંચ જુલાઈના બપોરના 2.06 વાગે 4.79 મીટર, છ જુલાઈના બપોરના 2.52 વાગે 4.74 મીટર, 7 જુલાઈના બપોરના 3.41 વાગે 4.60 મીટર અને 31 જુલાઈના સવારના 11.31 વાગે દરિયામાં 4.53 મીટર ઊંચા મોજાં ઉછળશે.

ઑગસ્ટ મહિનામાં આઠ દિવસ દરિયામાં મોટી ભરતી છે, તેમાં પણ સૌથી મોટી ભરતી 3 અને 31 ઑગસ્ટના બપોરના હશે એ દિવસે દરિયામાં 4.90 મીટર જેટલા ઊંચા મોજા ઉછળશે. પહેલી ઑગસ્ટના બપોરના 12.16 વાગે 4.74 મીટર, બે ઑગસ્ટના બપોરના 12.59 વાગે 4.87 મીટર, ચાર ઑગસ્ટના બપોરના 2.29 વાગે 4.83 મીટર, પાંચના બપોરના 3.14 વાગે 4.65 મીટર અને 29 ઑગસ્ટના સવારના 11.11 વાગે 4.53 મીટર જેટલા મોજાં ઊંચા ઉછળશે.

સપ્ટેમ્બરમાં સાત દિવસ દરિયામાં મોટી ભરતી છે, જેમાં ચોમાસાના ચારેય મહિનાની સૌથી મોટી ભરતી પહેલી સપ્ટેમ્બરના બપોરના 1.15 વાગે હશે. એ દિવસે દરિયામાં 4.91 મીટર જેટલા ઊંચા મોજાં ઉછળશે. બે સપ્ટેમ્બરના મધરાતે 1.33 વાગે 4.67 મીટર અને બપોરના 1.58 વાગે 4.79 મીટર, 3 સપ્ટેમ્બરના મધરાતે 2.19 વાગે 4.58 મીટર અને બપોરના 2.41 વાગે 4.54 મીટર, 27 સપ્ટેમ્બરના સવારના 10.47 વાગે 4.51 મીટર, 28 સપ્ટેમ્બરના સવારના 11.27 વાગે 4.72 મીટર અને રાતના 11.48 વાગે 4.63 મીટર, 29ના બપોરના 12.07 વાગે 4.82 મીટર અને 30ના રાતના 12.34 વાગે 4.83 મીટર અને બપોરના 12.47 વાગે દરિયામાં 4.79 મીટર જેટલા ઊંચા મોજાં ઉછળશે.

May 3, 2019
farmers_pepso.jpg
1min8480

ગુજરાતના ચાટ બટાકાના ખેડૂતો સામે કરેલા કેસ તે પાછા ખેંચી લેશે તેવું પેપ્સીકો ઈન્ડિયા કંપનીએ ગુરુવારે કહ્યું હતું. પોટેટો ચિપ્સની લોકપ્રિય બ્રાન્ડ માટેની ‘પોટેટો વેરાઈટી’ રોપવા બદલ કંપનીએ કેટલાક ખેડૂતો સામે કેસ કર્યો હતો. પેપ્સીકો કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે સરકાર સાથે ચર્ચા કર્યા પછી કેસ પાછા ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “સીડ પ્રોટેકશન સાથે સંકળાયેલા બધા મુદ્દાઓના સંતોષકારક નિરાકરણ માટે અને લાંબા ગાળાના ઉકેલ માટે અમે સરકાર સાથે થયેલી ચર્ચા પર ભરોસો રાખીએ છીએ. કંપનીએ ગુજરાતમાં 11 ખેડૂતો સામે ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ (આઈપીઆર)ના ઉલ્લંઘન બદલ કેસ કર્યો હતો. ભારતીય કિસાન સંઘના ગુજરાત એકમના પ્રમુખ વિઠ્ઠલ દુધા6ાએ કહ્યું હતું કે, “અમે આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. આ ખેડૂતોની જીત છે.

May 3, 2019
fani1.jpg
1min5990

ઓડિશામાં ત્રાટકનારા ફોની વાવાઝોડાથી અંદાજિત 10000 ગામ અને બાવન શહેરો પ્રભાવિત થશે. 11.5 લાખ લોકોને ખસેડવામાં સરકારી તંત્ર દોડતું થઈ ગયું છે. ઓડિશાના દરિયાકાંઠા પર આવેલા ગંજામ, ગજપતિ, ખુરદા, પૂરી, જગતસિંહપુર, કેન્દ્રપાડા, ભદ્રક, જાજપુર અને બાલાસોર જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની સંભાવના છે. પશ્ર્ચિમ બંગાળમાં ઈસ્ટ મેદિનીપુર અને વેસ્ટ મેદિનીપુર, સાઉથ 24 પરગણા, નોર્થ 24 પરગણા, હાવરા, હૂગલી, ઝારગ્રામ અને કોલકાતા શહેર પણ વાવાઝોડાથી પ્રભાવિત થશે. આંધ્ર પ્રદેશમાં શ્રીકાકુલમ, વિઝિનગરમ અને વિશાખાપટ્ટનમ જિલ્લામાં પણ અસર થશે.

ભારતીય હવામાન ખાતાએ કહ્યું કે 1.5 મીટર જેટલા મોજા ઊછળવાથી ઓડિશાના ગંજામ, ખુરદા, પૂરી અને જગતસિંહપુર જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના છે. એનડીઆરએફ અને એડીઆરએેએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. નેશનલ ક્રાઈસિસ મેનેજમેન્ટ કમિટી (એનસીએમસી)ની બેઠક મળી હતી, જેમાં કેન્દ્રીય સચિવે રાજયોની તૈયારીની સમીક્ષા કરી હતી. કેબિનેટ સચિવ પી. કે. સિંહાએ કેન્દ્રીય મંત્રાલયોની અને સંબંધિત એજન્સીઓએ કરેલી તૈયારીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. પી. કે. સિંહાએ જાહેર જનતા માટે ટોલ-ફ્રી હેલ્પલાઈન જાહેર કરી હતી. પાવર સપ્લાય નિષ્ફળ જાય તો ઝડપભેર ફરી શરૂ કરવાનો પાવર મંત્રાલયે વ્યવસ્થા કરી છે. પેયજળ અને સેનિટેશન મંત્રાલયે પીવાના પાણીની બોટલોનો જથ્થો અને ખાદ્યાન્નના તૈયાર પેકેટની વ્યવસ્થા કરી છે.

આરોગ્ય મંત્રાલયે ઇમર્જન્સી 17 મેડિકલ ટીમ અને દવાઓનો જથ્થો તૈયાર રાખ્યો છે. સાયકલોન સંબંધિત ફ્રી એસએમએસ અને વિવિધ ટેલિફોન નેટવર્કની ઈન્ટર-ઓપરેટેલિવિલિટીને તૈયાર રાખવા ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશને ઓર્ડરો આપ્યા હતા.

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ઈન્ડિયન નેવીએ જહાજો અને હેલિકૉપ્ટર્સ તૈયાર રાખ્યા છે. ત્રણ રાજયોમાં ઈન્ડિયન આર્મી અને ઈન્ડિયન ઍરફોર્સ યુનિટને ‘સ્ટેન્ડ બાય’ રાખવામાં આવ્યા છે.

બેઠકમાં આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ર્ચિમ બંગાળના ટોચના અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાગ લીધો હતો. બેઠકમાં વિવિધ મંત્રાલયો, આઈએમડી, એનડીએમએ અને એડીઆરએફના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.