CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 124 of 143 - CIA Live

May 2, 2019
saurashtra.png
1min5290
સૌરાષ્ટ્રભરમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર ઉઠી રહ્યો છે. આ સાથે ઓછા વરસાદના કારણે પશુપાલકોની સમસ્યા પણ વકરી રહી હોવાના પ્રશ્ને ભાજપ સરકાર સામે લોકોમાં આક્રોશ ફેલાઈ રહ્યો છે. ગુજરાતનાં પાણીવાળા કહેવાતાં ઝાલાવાડમાં પણ આ વર્ષે લોકો પીવાનાં પાણી માટે વલખાં મારી રહ્યાં છે. તો ફરેણી ગામે મહિલાઓ રણચંડી બની હતી અને બેડા સરઘસ કાઢયું હતું.
નર્મદા યોજનાનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે. અહીંના ડેમમાંથી જ સૌરાષ્ટ્ર – કચ્છ અને ભાવનગરને પાણી પૂરું પાડવામાં આવતું હોવથી પાણીયારું કહેવાય છે પરંતુ ઓણસાલ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ભાગોમાં ત્રીજા દિવસે પાણી મળી રહ્યું હોવાથી ઝાલાવાડ પંથકના લોકો પીવાનાં પાણી માટે વલખાં મારી રહ્યાં છે. આ સિવાય ચોટીલાના ડોસલી ધૂના, લોમા કોટડી, મેવાસા, બામણબોર, જીવાપર, ગુંદાળા, ગારીડા સહિતનાં 26 ગામના લોકોની હાલત તો એટલી કફોડી બની છે કે ત્યાં ટેન્કરથી અને તે પણ અનિયમિત પાણી વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
સૌરાષ્ટ્રમાં પાંચાળ પંથકથી ઓળખાતા બાબરા તાલુકાનાં પાણી અને ઘાસચારાના પ્રશ્ને તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં ખેડૂતો અને આમ જનતા દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે અને મામલતદારને આવેદન પાઠવવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનમાં બાબરા-લાઠીના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર ઉપસ્થિત રહેશે તેમ જિલ્લા કોંગ્રેસ મોવડી પ્રભાતભાઇ કોઠીવાળાએ જણાવ્યું હતું.
ધોરાજીમાં પાંચ-છ દિવસે પાણી વિતરણ થતા લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે ત્યારે આજે ફરેણી રોડ પર મહિલાઓએ રણચંડી બનીને બેડા સરઘસ કાઢયું હતું. આ સાથે પાણી આપોના નારા સાથે ફરેણી રોડ પર ચક્કાજામ કર્યું હતું અને નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
જૂનાગઢ જિલ્લાને પાણી પૂરું પાડતા આણંદપર ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. જેથી નર્મદા અથવા ઓઝત-2 ડેમમાંથી આણંદપર ડેમમાં પાણી ઠાલવવા ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી.

લીંબડીમાં કચ્છના હિજરતી પશુપાલકો બેહાલ

કચ્છથી અંદાજે સાત માસ પહેલા સહપરિવાર સેંકડો પશુપાલકોએ 400 જેટલા માલઢોર સાથે હિજરત કરીને લીંબડીના જનશાળી અને મિઠાપુર ગામે આશરો લીધો છે. ગ્રામજનોએ પશુઓ માટે અવેડા બનાવી દીધા છે અને ઘાસચારાની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી પરંતુ હાલ ઝાલાવાડ પંથકમાં પાણી વિતરણની અવ્યવસ્થાનાં કારણે સ્થાનિકો સાથે હિજરતી પશુપાલકો પણ બેહાલ બન્યા છે.

બેટ દ્વારકામાં સવા મહિનાથી પાણીની વિકટ સમસ્યા

યાત્રાધામ બેટ દ્વારકામાં સવા મહિનાથી નગરપાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવ્યું નથી. દ્વારકામાં સ્થાનિક કોઈ પાણીનો સ્રોત ન હોવાથી લોકોની સાથે યાત્રાળુઓ પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે. બેટ દ્વારકામાં રાજાશાહી વખતના નવ જેટલાં તળાવ આવેલાં છે. જેમાંથી રતન તળાવ, પાર તળાવ અને રણ તળાવ પર જમીન માફિયાઓ દ્વારા દબાણ કરી લેવામાં આવતા આ પાણી પણ સ્થાનિકોને મળવાનું બંધ થઈ ગયું છે. પાણીની સમસ્યા અંગે નગરપાલિકાના ચિફ ઓફિસરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, દૈનિક ત્રણ લાખ લીટર પાણીની જરૂરિયાત સામે પાણી પુરવઠા દ્વારા અનિયમિત પચ્ચાસ હજાર લીટર જ પાણી આપવામાં આવે છે. આ અંગે પાણી પૂરવઠા ડે. ઇજનેરે જણાવ્યું હતું કે, ઉપરથી જ નર્મદાનાં નીર પૂરતાં પ્રમાણમાં આવશે ત્યારે બેટ દ્વારકામાં નિયમિત અને પૂરતું પાણી આપીશું.
May 2, 2019
Labor-1280x850.jpg
1min13660

સમગ્ર દેશમાં ખેતી પછી બીજા નંબરે સૌથી વધુ રોજગારી આપતા બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રે એક અભ્યાસ મુજબ દરરોજ કામના સ્થળે 38 જેટલા કામદારોના અકસ્માતે મોત થાય છે. વિશ્ર્વ કામદાર સ્મૃતિ દિને આ બાબત જાહેર થઈ હતી કે, સૌથી વધુ રોજગારી આપતા બાંધકામ ઉદ્યોગમાં બોર્ડની સ્થાપનાને લઈને ગુજરાતભરમાં અત્યાર સુધી 990 મજૂરોના મોત નિપજ્યા હતાં. જેમાંથી માત્ર 44 જેટલા કામદારોના પરિવારોને રૂ. 82 લાખની સહાય અપાઈ હતી.

જ્યારે રાજ્યમાં વિવિધ બાંધકામ દરમિયાન 2018માં 144 બાંધકામ સાઈટ પર અકસ્માતો સર્જાયા હતા. જેમાં 137 કામદારોના મોત નીપજ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં બાંધકામ મજૂર સંગઠને રાજ્યના વિવિધ જિલ્લામાંથી આરટીઆઈના માધ્યમથી કામદારોના અકસ્માત અને મોતના આંકડા મેળવ્યા હતાં જેમાં જામનગર જિલ્લો અને સુરત જિલ્લાના ગ્રામીણ વિસ્તારના આંકડા ઉપલબ્ધ થયા ના હોઈ આમાં સામેલ નથી.

ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ કામદારોના કલ્યાણ માટે સેસ કલેકશનરૂપે રૂ. 2200 કરોડની જંગી રકમ એકઠી કરી છે, પરંતુ તેમાંથી નજીવું કહી શકાય તેવી રીતે માત્ર 44 કામદારોના મોતના કિસ્સામાં જ પીડિત પરિવારોને સહાય ચૂકવી છે.

કુલ આંકડા મુજબ 990 મોત અને 415 ઈજાગ્રસ્ત થયા હતા. કામદાર સંગઠનના મુજબ રાજ્યમાં જેટલા પણ અકસ્માતના કેસ બને છે તેમાં માત્ર જાણવાજોગ નોંધ થાય છે. મોટાભાગના કિસ્સામાં કોઈ જ એફઆઈઆર થતી નથી. બાધકામક્ષેત્ર અકસ્માતનો ભોગ બનતા મજૂરો મોટા ભાગે દાહોદ અને પંચમહાલ જિલ્લાના આદિવાસીઓ તેમજ પરપ્રાંતીય શ્રમિક હોય છે. અકસ્માતને પગલે મજૂરોના આશ્રિતો વળતર માટે વલખા મારવા પડે છે. જો રાજ્ય સરકારના શ્રમયોગી બોર્ડ દ્વારા ક્ધસ્ટ્રકશન સાઈટ પર નોંધાયેલા મજૂરના અકસ્માતે મૃત્યુના બનાવમાં આશ્રિતોને રૂ. 3 લાખ આપવાની અને બોર્ડમાં નોંધાયેલા ન હોય તેવા શ્રમિકને રૂપિયા દોઢ લાખ આપવામાં આવે તો મજૂરોના પરિવારજનોને વલખા મારવા ન પડે. આમ મજૂરોને સરકાર દ્વારા કાયદા પ્રમાણે યોગ્ય વળતર મળી રહે તેવી અનેક વખત રજૂઆતો કરવા છતાં યોગ્ય ઉકેલ મજૂરના હિતમાં આજદિન સુધી આવ્યો નથી.

May 2, 2019
fani.jpg
1min5870

ઓડિશામાં ‘ફોની’ નામના વાવાઝોડાની શક્યતાને ધ્યાનમાં રાખીને લશ્કર સહિતના સંરક્ષણ દળોને સાબદા કરાયા હતા અને શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાનો આદેશ અપાયો હતો. ઓડિશા ઉપરાંત આંધ્ર પ્રદેશ, તમિળનાડુ અને પશ્ર્ચિમ બંગાળમાં પણ વાવાઝોડાની માઠી અસર થવાની શક્યતા છે. મંદિરોનાં શહેર જગન્નાથ પુરીમાં ત્રીજી મેએ બપોરે વાવાઝોડું કલાક દીઠ 175થી 200 કિલોમીટરની ઝડપે ત્રાટકવાની સંભાવના છે. ઓડિશામાં નૌકાદળ, હવાઇદળ, તટરક્ષક દળ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ અને અગ્નિશામક દળના જવાનોને તેમ જ મુલકી વહીવટીતંત્રને સંભવિત વાવાઝોડાથી સર્જાનારી તારાજીનો સામનો કરવા તૈયાર રહેવા સૂચના અપાઇ હતી. દરમિયાન, ચૂંટણી પંચે કુદરતી આફતની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાહત અને બચાવ કામગીરી કરવા માટે આચારસંહિતાની કેટલીક જોગવાઇ હળવી બનાવી હતી.

અગાઉ, મુખ્ય પ્રધાન નવીન પટનાયકે ચૂંટણી પંચને રાજ્યમાંના કાંઠાના બધા જિલ્લામાં ચૂંટણીની આચારસંહિતા ઉઠાવી લેવા વિનંતિ કરી હતી. પુરીમાંથી પર્યટકોને સલામત સ્થળે જતાં રહેવાની સૂચના અપાઇ હતી.

April 30, 2019
rafale-fighter-1.jpg
1min7340

સુપ્રીમ કોર્ટે રાફેલની રિવ્યૂ પિટિશન મામલે સરકાર પાસે એફિડેવિટ માંગ્યું છે. અટોર્ની જનરલ કે કે વેણુગોપાલે એફિડેવિટ ફાઈલ કરવા માટે ચાર અઠવાડિયોનો સમય માંગ્યો. જો કે સુપ્રીમ કોર્ટે ચાર મે સુધીનો સમય આપ્યો છે.

સુપ્રીમ કોર્ટેમાં આ મામલે હવે છ મેના રોજ સુનાવણી  થશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેચની સામે આ સુનાવણી થઈ. સરકારે અરજીકર્તાઓ તરફથી લગાવવામાં આવેલા કોર્ટને ગુમરાહ કરવાના આરોપોનો જવાબ આપવાનો છે. આ મામલે સોમવારે આગામી સુનાવણી થશે.

આ પહેલા સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર પોતાના આદેશ પર બીજી વાર વિચાર કરવા સંબંધી અરજીને 10 એપ્રિલે મંજૂરી આપી હતી, જે મીડિયામાં લીક થયેલા દસ્તાવેજોના આધાર પર કરવામાં આવી હતી. જો કે સરકારે કોર્ટને દસ્તાવેજો પર વિશેષાધિકારનો દાવો કરતા આ વાંધા અરજીઓને ફગાવવાની માંગ કરી હતી.

April 29, 2019
VOTING11.jpg
1min5360

આજે તારીખ 29 એપ્રિલના રોજ સોમવારે ભારતમાં હાલ ચાલી રહેલી લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કામાં 9 રાજ્યોની કુલ 71 સીટો પર મતદાન યોજાઇ રહ્યું છે. પ્રારંભિક અહેવાલો મુજબ મતદાન બહું જ મંદ ગતિએ શરૂ થયું હતું. સવારે 9 વાગ્યા બાદ મતદાનમાં થોડી સ્પીડ જોવા મળી હતી.

આજે બિહારની 5, જમ્મુ-કાશ્મીરની 1, ઝારખંડની 3, મધ્યપ્રદેશ અને ઓરિસ્સાની 6-6, મહારાષ્ટ્રની 17, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનની 13-13 સીટો અને પશ્ચિમ બંગાળમાં 8 સીટો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આજે ઓરિસ્સામાં વિધાનસભા ચૂંટણી માટે કુલ 42 સીટો પર પણ મતદાન ચાલી રહ્યું છે.

લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કામાં આજે દેશના 9 રાજ્યોની કુલ 71 સીટો પર યોજાઇ રહેલા મતદાનમાં  945 ઉમેદવારો નું રાજકીય ભાવી મતદારો નક્કી કરી રહ્યા છે.

સવારે 7 વાગ્યાથી શરુ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી જારી રહેશે.

ચોથા તબક્કાના મતદાનમાં ઉત્તરપ્રદેશની કન્નૌજ, બિહારની બેગુસરાય અને મધ્યપ્રદેશની છિંદવાડાની સીટ પર લોકોની નજર રહેશે. રાજનૈતિક વિશ્લેષકો સહિત તમામ લોકોની નજર બેગુસરાયની સીટ પર છે કે જ્યાં બીજેપી નેતા ગિરિરાજ સિંહની સામે સીપીઆઈના વિદ્યાર્થી નેતા રહી ચૂકેલા કન્હૈયા કુમાર મેદાનમાં છે.

April 29, 2019
fani.jpg
1min1235

દેશમાં એક તરફ ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોમાં વિક્રમી ગરમી પડી રહી છે તો બીજી તરફ દક્ષિણ પૂર્વી રાજ્યોમાં આગામી બે દિવસમાં અતિશય વરસાદ સાથે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગે કહ્યું કે આગામી 24 કલાકમાં અતિતીવ્ર ભીષણ તોફાનમાં બદલાઈ શકે છે. કેરળના કેટલાક વિસ્તારોમાં 29 અને 30 એપ્રિલે ભારે વરસાદ થઈ શકે છે. હવામાન ખાતા મુજબ ચક્રવાત તમિલનાડુ નહીં પહોંચે, પરંતુ તેની અસરથી ઉત્તરના ભાગોમાં હળવો વરસાદ થઈ શકે. આ પહેલા ચેન્નઈ સહિત ઉત્તર તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના કરાઈ રહી હતી.

પોંડીચેરી સાથે તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના તટીય સ્થળોમાં 3 મે સુધી સ્થિતિ સારી નહીં હોય. કેરળમાં 29થી 30 એપ્રિલે ભારે વરસાદ પડવાની સંભાવના

ચક્રવાતી તોફાન ફની આગામી 12 કલાકમાં ભીષણ ચક્રવાત તોફાન અને આગામી 24 કલાકમાં અતિતીવ્ર ભયાનક તોફાન બની શકેછે. હવામાન વિભાગ મુજબ, પોંડીચેરી સાથે તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના તટીય સ્થળોમાં 3 મે સુધી સ્થિતિ સારી નહીં હોય. કેરળમાં 29થી 30 એપ્રિલે ભારે વરસાદ પડી શકે છે.

મોટા બંદરો જેવા કે, મછલીપટ્ટનમ, કૃષ્ણટ્ટનમ, નિજમાપટ્નમ, વિશાખાપટ્ટનમ, ગંગાવરમ અને કાકીનંદા પર વોર્નિંગ સિગ્નલ નંબર બે જાહેર

ભારતના ડિઝાસ્ટર મેનેજમેન્ટની અધિકૃત માહિતી કહે છે કે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને તેના પડોશી વિસ્તારમાં 115 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે. તેની અસર નજીકના રાજ્યો પર પણ પડી શકે છે. બધા મોટા બંદરો જેવા કે, મછલીપટ્ટનમ, કૃષ્ણટ્ટનમ, નિજમાપટ્નમ, વિશાખાપટ્ટનમ, ગંગાવરમ અને કાકીનંદા પર વોર્નિંગ સિગ્નલ નંબર બે જાહેર કરાયું છે.

હવામાન વિભાગે કહ્યું કે ફની તમિલનાડુના તટને પાર કરવાની કોઈ સંભાવના નથી. બુલેટિનમાં કહેવાયું હતું કે રવિવારથી તમિલનાડુ, પોંડુચેરી તટ, કોમોરિન વિસ્તાર અને મન્નારની ખાડી અને તેની આસપાસ 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપથી લઈને 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવાન વિભાગે શ્રીલંકા, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પોંડીચેરીના માછીમારોને દરિયો ખેડવા ન જવાની સલાહ પણ આપી છે.

April 29, 2019
water_cut.jpg
1min11060

ઉનાળાના દિવસોમાં પીવાના પાણીની સ્થિતિ વિકટ બની રહી છે.તેને ધ્યાનમાં રાખીને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વધુ એક દિવસનો પાણી કાપ લંબાવાયો છે. જેથી હવે દર ચાર દિવસે નગરજનોને પીવાનું પાણી મળશે. આ અંગેની મનપાની યાદીમાં જણાવાયું છે કે,આનંદપુર ડેમમાં હવે દસ દિવસ ચાલે તેટલું જ પાણી છે.નર્મદા યોજનાનું પાણી હજી મળી શકે તેવી સંભાવના નથી. શહેરમાં પ્રાઇવેટ બોર ડુકી ગયા છે. પીવાના પાણીની તીવ્ર તંગી ઉદ્ભવી છે. આવી પરિસ્થિતિમાં પાણી કાપ લંબાવવો જરૂરી બન્યો છે.

April 28, 2019
heatwave.jpg
1min6630

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો ઘાટ સર્જાયો છે. શુક્રવારે 43 ડિગ્રીની આસપાસ રહેલો તાપમાનનો પારો શનિવારે સીધો જ 45થી 48 ડિગ્રી સુધી પહોંચી જતા સમગ્ર રાજ્ય અગનભઠ્ઠીમાં શેકાયું હતું. મોડાસામાં તાપમાનનો પારો 48 ડિગ્રી રહ્યો હતો, જ્યારે અમદાવાદમાં પણ 45 ડિગ્રીની ગરમી વરસતા શહેરના જાહેર માર્ગો પર કરફ્યૂ જેવો માહોલ સર્જાયો હતો.

રાજ્યમાં આગ ઓકતી ગરમી પડી રહી છે ત્યારે શનિવારે ગુજરાતમાં ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો હતો. ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું. ગુજરાતમાં મોડાસામાં સૌથી વધારે તાપમાન 48 ડિગ્રી નોંધાયું છે. ત્યારે અમદાવાદમાં 45, સુરેન્દ્રનગરમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગરમીના બીજા મળતાં આંકડા પ્રમાણે પાંચ શહેરોનું તાપમાન 42-43 ડિગ્રી વચ્ચે હોવાથી ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 48 કલાક ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ભાવનગર, વેરાવળ, પોરબંદર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે.

વાવ 47 ડિગ્રી સાથે બીજા ક્રમે છે. જ્યારે સુરેન્દ્રનગરમાં તાપમાન 46 ડિગ્રીને પાર થઈ ગયું છે અને અમદાવાદ-ભૂજ-રાજકોટમાં 45 ડિગ્રી ગરમી નોંધાઈ છે. રાજ્યના બીજા 5 શહેરમાં તાપમાન 42-43 ડિગ્રી વચ્ચે હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગરમીનો પારો 43-44 ડિગ્રી સુધી પહોંચી જતાં પેટમાં દુખાવા તેમજ ડિહાઈડ્રેશનના કેસોમાં વધારો નોંધાયો છે. ગરમીના કારણે ઇમરજન્સી સેવા 108માં આવતા કોલની સંખ્યામાં 20 ટકા જેટલો વધારો થયો છે. અમદાવાદમાં આગામી ચાર દિવસ ગરમીનો પારો 44થી 45 ડિગ્રી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

April 27, 2019
jalsankat.jpg
1min5750

ગુજરાતમાં નર્મદા યોજના આધારિત નર્મદા પાણી પુરવઠા યોજના તેમ જ ડેમ ઊંડા કરવાની કવાયતો બાદ પણ દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં અપૂરતા પાણી પુરવઠાની સમસ્યા યથાવત્ રહી છે. અનેક ગામડાઓમાં અત્યારે પણ ટેન્કરથી લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે એટલું જ નહીં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં પીવાની પાણીનો કાપ લગભગ કાયમી બની
ગયો છે.

(સાંકેતિક ફોટો, ગુજરાતના જળાશયોની આવી તળિયા ઝાટક સ્થિતિ જોવા મળી રહી છે. આ સિમ્બોલિક ફોટો છે, ગુજરાતનો નથી)

જળાશયોની સ્થિતિ ચિંતાનું કારણ બની રહી છે. રાજ્યના 204 જળાશયોમાં એકંદરે 34.41 ટકા જળસ્તર છે. જો કે રાજ્યના બે જળાશયો જ એવો છે જેમાં જળસ્તર 70થી 90 ટકા વચ્ચે છે.

રાજ્યના 78 જળાશયો તળિયાઝાટક થઈ ગયા છે, સૌરાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર એવી સ્થિતિમાં રાજ્યમાં ચોમાસું આવશે ત્યાં સુધી ગંભીર જળ સંકટનો સામનો કરવો પડી શકે તેવી સ્થિતિ વર્તાઈ રહી છે. સૌરાષ્ટ્રના 138 જળાશયોમાં હાલ માત્ર 11.32 ટકા જળસ્તર છે. જે ગયા વર્ષે આ સમયગાળામાં સૌરાષ્ટ્રભરના જળાશયોમાં 517 મિલિયન ક્યુબિક મીટર જળસ્તર હતું જે આ વર્ષે 287 મિલિયન ક્યુબિક મીટર છે. કચ્છમાં પણ સૌરાષ્ટ્ર જેવી જ સ્થિતિ છે. કચ્છના 20 જળાશયોમાં 13.73 ટકા જળસ્તર છે. ગયા વર્ષે આ સમયગાળામાં 51.97 મિલિયન ક્યુબિક મીટર હતું તે આ વર્ષે 45.63 મિલિયન ક્યુબિક મીટર છે. જેમાં ક્રમશ: ઘટાડો નોધાય છે. જ્યારે ઉત્તર ગુજરાતના 4 જિલ્લાના 15 જળાશયોમાં 319 મિલિયન ક્યુબિક મીટર જળસ્તર છે. જે ગયા વર્ષે 592.52 મિલિયન ક્યુબિક મીટર હતું. હાલ ઉત્તર ગુજરાતમાં માત્ર 16.60 ટકા જળસ્તર છે.

મધ્ય ગુજરાતના જળાશયોમાં 11132 મિલિયન ક્યુબિક મીટર જળસ્તર છે. જે ગયા વર્ષે આ જ સમયે 1213 મિલિયન ક્યુબિક મીટર હતું. રાજ્યમાં સારી સ્થિતિ કહી શકાય તેવી મધ્યમાં જોવા મળે છે. અહીં 17 જળાશયોમાં હજુ 48.22 ટકા જળસ્તર છે. પાણી મામલે દક્ષિણ ગુજરાતમાં પણ સ્થિતિ સારી નથી. 13 જળાશયોમાં 24.19 ટકા જળ છે.

April 26, 2019
sunstroke.jpg
1min110140

સુરત મહાનગરપાલિકાએ દરેક બસ સ્ટેન્ડ, દરેક હેલ્થ સેન્ટર પર ઓ.આર.એસ.ની સુવિધા ઉભી કરી છે

સુરત મહાનગરપાલિકાએ તા.27મી એપ્રિલ 2019ના રોજ શહેર અને આસપાસના વિસ્તારોમાં 44 ડિગ્રી  જેટલો તાપમાનનો પારો ઉંચો જાય તેવી શક્યતા દર્શાવતી એક એડવાઇઝરી જારી કરી છે. શહેરીજનોને અતિશય તાપથી બચીને રહેવા માટે જણાવવામાં આવ્યું છે. સન સ્ટ્રોકને કારણે લૂ લાગવા તેમજ અન્ય મુશ્કેલીઓ ઉપસ્થિત થવાની શક્યતા જોવાય રહી છે.

વાતાવરણની અધિકૃત ભાષામાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે ઓરેન્જ એલર્ટ કહેવામાં આવે. અતિશય ગરમી પડે એટલે એને ઓરેન્જ એલર્ટ તરીકેનું સ્ટેટસ આપવામાં આવે છે.

આ પ્રકારની ગરમી શનિવાર, તા.27મી એપ્રિલે પડવાની શક્યતા છે. સુરત મહાનગરપાલિકાની એડવાઇઝરીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે તા.28મી એપ્રિલ 2019ને રવિવારે તાપમાનનો પારે 43 ડિગ્રીએ એટલે કે યલો એલર્ટ તેમજ તા.29મી એપ્રિલને સોમવારે તાપમાનનો પારો 41 ડિગ્રી સે. રહેવાની શક્યતા છે.

શહેરીજનોને અતિશય તાપ પડવાની એડવાઇઝરી આપતા સુરત મહાનગરપાલિકાએ નીચે મુજબનું સ્ટેટમેન્ટ પણ જારી કર્યું છે.

વધુમાં તા.26મી એપ્રિલ 2019ના રોજ સુરત શહેરમાં તાપમાનનો પારો આ વખતની સીઝનનો સૌથી હાઇએસ્ટ સ્તરે 42.1 ડિગ્રી પર નોંધાયો હતો. શુક્રવારે ભેજનું પ્રમાણ 20 ટકા જેટલું નીચે ઉતરી ગયું હતું. હવાનું દબાણ 1004.7 મિલીબાર નોંધાયું હતું અને પવનની ગતિ ઉત્તરમાંથી 7 કિ.મી. જેટલી નોંધાઇ હતી. જોકે, સુરતીઓ શુક્રવારની ગરમીથી ત્રસ્ત પોકારી ઉઠ્યા હતા.

શુક્રવારે જ  સુરતીઓ પારાવાર ગરમીથી પરેશાન થઇ ગયા હતા. એવામાં હવે પછીના ત્રણ દિવસ શનિ, રવિ અને સોમવારે ભારે ગરમી પડે તેવી શક્યતાઓ જોવાય રહી છે.