રાજ્યના હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધીમાં દ.ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અરબ સાગરમાં સક્રિય થયેલી મોન્સુન સિસ્ટમના પગલે વરસાદી માહોલ રચાયા બાદ આગામી તા. 3જી જુલાઈથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ પડશે.
આ સિસ્ટમ બે દિવસમાં નબળી પડી જશે જેથી ત્યાર બાદ એટલે કે, ત્રીજી જુલાઈ સુધી રાજ્યમાં સામાન્યથી મધ્ય વરસાદ પડશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ હતી જેમાં ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણનો સમાવેશ થાય છે.
આ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. જ્યારે આગામી તા.3જી અને તા. 4થી જુલાઈએ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ શરૂ થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી, જ્યારે અન્ય ભાગોમાં છૂટોછવાયો વરસાદ થશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, દાહોદ, પંચમહાલ, અરવલ્લી વગેરે વિસ્તારમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી હતી.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો જ્યારે રાજ્યના 23 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. તેમાં વલસાડના વાપીમાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ પડ્યો હતો.

દક્ષિણ ગુજરાતના છ તાલુકામાં 500 મિ.મી કરતાં વધુ વરસાદ નોંધાતા સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે પાણીનું સ્તર 119.85 મીટરે પહોંચી ગયું હતું જેને પગલે ખેડૂતોમાં આનંદ ફેલાયો હતો. ગુજરાતમાં હાલમાં દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ ચાલુ રહેતા ઉપરવાસમાં વરસાદના કારણે 13278 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જેની સામે મુખ્ય કેનાલમાં 2863 પાણી છોડવામાં આવી રહ્યું છે.
ગોડબોલે વિયરમાં 510 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં પાણીનું લાઈવ 1196.58 મિલીયન ક્યુબીક મીટર થયું છે. જોકે, નર્મદા ડેમની કુલ ક્ષમતા કરતાંની સામે હાલ 51.76 ટકા ભરેલો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 23 જિલ્લામાં વરસાદ પડ્યો હતો.
વલસાડ જિલ્લામાં સિઝનનો 9.20 વરસાદ પડી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડ જિલ્લામાં સરેરાશ 10.28 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સારા વરસાદથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને સામાન્ય લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ ઉપરાંત ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ પાણીની નવી આવક નોંધાઈ હતી અને ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો હતો.
રાજ્યમાં આગામી બે વર્ષમાં 300થી વધુ સીએનજી સ્ટેશન ‘સીએનજી સહભાગી યોજના’ હેઠળ રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થાપવાનું આયોજન છે. રાજ્યમાં છેલ્લાં 23 વર્ષમાં 542 સીએનજી સ્ટેશન ઊભાં કરાયાં છે, તેની સામે આગામી બે વર્ષમાં જ વધુ નવાં 300 CNG સ્ટેશન સ્થપાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. રાજ્યના CNG વાહન ધારકો-ચાલકોને સરળતાથી સીએનજી ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તે માટે ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા સીએનજી પંપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું કે રાજ્યમાં હાલ જ્યાં પેટ્રોલ પંપ કાર્યરત હોય તેવા પેટ્રોલ પંપ ધારકો પણ સરળતાએ સીએનજી પંપ શરૂ કરી શકશે. આ માટે તેમણે સરકાર પાસેથી કોઈ વધારાની પરવાનગી નહીં લેવી પડે.
‘સીએનજી સહભાગી યોજના’ અન્વયે શહેરી-નગરપાલિકા વિસ્તાર તથા હાઈવે પર સહભાગીદારી મોડલ પદ્ધતિ અંતર્ગત સીએનજી ફ્રેન્ચાઇઝી (સ્વસંચાલિત ડીલર) મોડલ અને પીએસયુ – ઓએમસી ડીલર એમ બે પ્રકારના સીએનજી સ્ટેશનોનો સમાવેશ થાય છે. પીએસયુ-ઓએમસી ડીલર અંતર્ગત ઓનલાઇન સીએનજી સ્ટેશન (પાઇપલાઇન દ્વારા) અથવા ડોટર બુસ્ટર સીએનજી સ્ટેશન (પાઇપલાઇન વિના)નો સમાવેશ થાય છે.
નવા સીએનજી સ્ટેશનનો પ્રારંભ કરવા માટે મુખ્ય સાધનો કંપની દ્વારા પૂરા પાડવામાં આવશે તેમજ અન્ય કાર્ય માટે સહયોગ પણ પૂરો પાડવામાં આવશે. એનઓસી અને સિવિલ કામ અરજીકર્તાએ કરવાનું રહેશે.
અરજીકર્તા જે સ્થળે સીએનજી સ્ટેશન સ્થાપવા ઇચ્છતા હોય તે જગ્યાની માલિકી અરજીકર્તાની હોવી આવશ્યક છે, તેમ પણ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું. રાજ્યમાં પાછલાં 23 વર્ષમાં 542 સીએનજી સ્ટેશન ઊભાં કરાયાં છે, તેની સામે આગામી બે વર્ષમાં જ નવા 300 સીએનજી સ્ટેશન ઊભાં કરીને ગુજરાત નેચરલ ગેસ – સુરક્ષિત ઈંધણના ઉપયોગમાં અગ્રેસર રહેશે અને સીએનજી ક્ષેત્રે ગુજરાત દેશને નવી દિશા આપશે.
છેલ્લા થોડા દિવસથી ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. રવિવાર તા.30મી જુન 2019ની રાતથી રાતથી શરુ થયેલો મુશળધાર વરસાદ સોમવારે સવારે પણ અવિરત પણે ચાલુ રહેતા મુંબઇગરાઓ સપ્તાહના પહેલા જ દિવસે વરસાદથી બેહાલ બની ગયા હતા.
એક તરફ મુંબઇની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનો લેટ અને બીજી તરફ ઠેરઠેર ટ્રાફિક જામની સમસ્યાને કારણે કામધંધાર્થે જનારાઓની પરિસ્થિતિ સોમવારે સવારે વિકટ બની હતી.
ભારે વરસાદના કારણે મુંબઈમાં ઠેકઠેકાણે પાણી ભરાયા છે. રસ્તા અને મુંબઈના રેલ માર્ગ પર પાણી ભરાવાના કારણે મુંબઈ લોકલ ટ્રેનની ગતી ધીમી પડી છે. મુંબઈને ત્રણેય લોકલ લાઈન પર પાણી ભરાતા મધ્ય રેલવે અને હાર્બર લાઈન પર મોટાભાગની લોકલ ટ્રેન 30-40 મિનિટ જેટલી મોડી ચાલી રહી છે.

દક્ષિણની સાથે મધ્ય મુંબઈ, અને મુંબઈના જુદા જુદા પરા વિસ્તારોમાં મુલુંડ, ભાંડૂપ, કાંજુર માર્ગ, વિક્રોળી અને ઘાટકોપરમાં પણ જોરદાર વરસાદ પડી રહ્યો છે. તેમજ માટુંગા, દાદર, વર્લી અને લાલબાગ વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ કાલ રાતથી જ ચાલુ છે.

વરસાદના કારણે મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેનની રફતાર ધીમી પડી રહી છે. સાથે જ મરીન લાઈન્સ સ્ટેશન પાસે ઓવરહેટ વાયર તૂટી જ તા મરીન લાઈન્સથી ચર્ચગેટ જતી ટ્રેનો પર અસર થઈ છે. મોટાભાગની ટ્રેનો રદ કરવામાં આવી રહી છે. મરીન લાઇન્સ રેલવે સ્ટેશન પર ઓવર હેડ વાયર તૂટતા પશ્ચિમ રેલવેના વ્યવહારને પણ અસર થઈ છે. મુંબઈ ઉપનગર અને નવી મુંબઈ સહિત થાણે વિસ્તારમાં પણ વરસાદનું જોર હજુ ભારે હોવાથી અનેક ઠેકાણે પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

ગુજરાત અને મુંબઈમાં વરસાદના કારણે મુંબઈ આવતી અને મુંબઈથી ઉપડતી ટ્રનો પર અસર પડી રહી છે. પાણી ભરાઈ જવાના કારણે કેટલીક ટ્રેનો રોકી દેવામાં આવી છે. મુંબઈ અને પુણે વચ્ચે માલગાડી પાટા પરથી ઉતરી જતા ત્યાંના વ્યવહાર પર અસર પડી છે.
પાલઘરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા ટ્રેનો કેન્સલ કરવી પડી છે.

Jayesh Brahmbhatt 98253 44944
અત્યાર સુધી પોતાના પ્લેટફોર્મ પરથી જુદી જુદી સર્વિસ કે પ્રોડક્ટસ માટે પેમેન્ટ કરતા ગ્રાહકો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ પોતે ભોગવતી આવેલી પેટીએમ કંપની હવે આજથી જ એટલે કે તા.1લી જુલાઇ 2019થી પોતાના ગ્રાહકો પાસેથી આ ચાર્જ વસુલ કરશે. એટલે કે હવેથી પેટીએમ મારફતે કોઇ વસ્તુ, પ્રોડક્ટ કે સેવા માટે પેમેંટ કરવા સાથે વધારાની રકમ ચાર્જ ગણો કે ટેક્સ એ ગ્રાહકોએ ચૂકવવો પડશે. દરેક ટ્રાન્ઝેક્શનની એક કોસ્ટ હોય છે, Paytm હવે આ કોસ્ટ ગ્રાહકો પાસે રિકવર કરવાની કોશિશ કરી રહ્યું છે. તેણે જણાવ્યું કે આ વધારાના ચાર્જ સોમવારથી લાગુ પડશે.

સોફ્ટ બેન્ક અને અલીબાબા ગૃપ પાસેથી ઈન્વેસ્ટમેન્ટ મેળનવારી Paytm અત્યાર સુધી આ ચાર્જનો બોજો પોતે ઊઠાવી રહી હતી. પોતાના પ્લેટફોર્મથી થનારા પેમેન્ટ માટે તે એક્સ્ટ્રા રકમ ચાર્જ નહતી કરતી.
આજથી તા. 1 જુલાઈ 2019થી અમલમાં આવતા આ સંદર્ભના ડેવલપમેન્ટમાં Paytm મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)નું ભારણ ગ્રાહકો પાસેથી વસુલવાનું શરૂ કરી દીધું છે.
એમ.ડી.આર. શું છે
મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એ જે તે બેન્ક અને કાર્ડ કંપનીઓ ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે MDR લે છે એના કહેવાય છે. પેટીએમ ન તો બેંક છે ન તો કાર્ડ કંપની, પેટીએમ ફક્ત પેમેન્ટ પ્લેટફોર્મ પૂરું પાડે છે. એટલે તેના દ્વારા પેમેન્ટ કરવા માટે ગ્રાહકોએ ક્યાં તો બેંક ક્યાં તો કાર્ડ કંપનીનો સહારો મેળવવો પડે છે.
કેટલો ચાર્જ લાગશે
પેટીએમ દ્વારા હવેથી જો ક્રેડિટ કાર્ડના માધ્યમથી પેમેન્ટ કરવામાં આવશે તો 1 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ, ડેબિટ કાર્ડથી 0.9 ટકા અને નેટ બેન્કિંગ તથા યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસના માધ્યમથી ટ્રાન્ઝેક્શન પર 12થી 15 રૂપિયા સુધી ચાર્જ લાગશે. આ ચાર્જ ડિજિટલ પેમેન્ટના દરેક પ્રકાર પર લાગુ પડશે. જેમાં વોલેટ ટોપ અપ કરાવવાથી માંડીને યુટિલિટી બિલ અથવા સ્કૂલ ફી પેમેન્ટ કે પિક્ચરની ટિકિટ માટેના પેમેન્ટ ટ્રાન્ઝેક્શન્સ સમેતની બાબતો આવરી લેવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસથી મેઘ મહેરથી હવે રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના ડેમો અને જળાશયોમાં વરસાદી પાણીની આવક શરૂ થઇ છે.
રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં છેલ્લી 24 કલાકમાં 36 એમએમ વરસાદ અને અત્યાર સુધીમાં કુલ 99 એમએમ વરસાદ નોંધાયો હતો. ન્યારી-1 ડેમમાં 24 કલાકમાં 26 એમએમ વરસાદ અને અત્યાર સુધીમાં કુલ 56 એમએમ વરસાદ નોંધાયો હતો. છાપરવાડી-2 ડેમમાં 24 કલાકમાં 03 એમએમ વરસાદ નોંધાયો હતો.

શુકવાર સવાર સુધીમાં કુલ 68 એમએમ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં વાયુ વાવાઝોડા બાદ અત્યાર સુધીમાં 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. વાવાઝોડા બાદ પડેલા વરસાદને લઇને ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી હતી. ઉપરવાસના વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાની ત્રણ નદીમાં પાણીની નવી આવક શરૂ થઇ ગઇ છે. નદીના પાણીમાં વધારો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
સિઝનનો વરસાદ હજુ બાકી હોય ત્યારે આગામી દિવસોમાં વરસાદ પડતા જ જિલ્લાની તમામ નદીઓ છલકાઇ જશે તેવી ખેડૂતોમાં આશા સેવાઇ રહી છે. ઉપરવાસનો વરસાદ અને જિલ્લામાં 6 ઇંચ વરસાદ પડતા મધુવંતી, ઓઝત-2 અને વૃજમી નદીમાં પાણીની નવી આવક શરૂ થઇ ગઇ છે. મધુવંતી 1.425, ઓઝત-2 7.045 અને વૃજમીમાં 0.229 મીટર સપાટી વધી છે.
દરમિયાન ગીરગઢડા પંથકમાં મેઘરાજા ઓળઘોળ બન્યા હોય તેમ છેલ્લા ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે. ગુરુવારે આ પંથકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે શુક્રવારે સવારે ફરી ગીર ગઢડામાં દોઢ ઇંચ વરસાદ પડતા ગીરના તમામ ઝરણાઓ પુનર્જીવિત થયા છે. ગીરગઢડાના કાણકીયા, કણેરી, ફાટસર, ધાબાવડ, દ્રોણ, ઇટવાયા, સહિતના ગામડાઓમાં સવારે મેઘરાજાનું આગમન થયું હતું.
વ્હોટ્સએપે તેના પેમેન્ટ બિઝનેસ માટે ભારતમાં ડેટા સ્ટોરેજ ફેસિલિટી સ્થાપી હોવાની વિગતો વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળી છે. ગ્રાહકોની પ્રાઇવેસી સાથે કોઇ સમાધાન નહીં એવા સૂત્ર સાથે અગાઉ ભારત સરકારને ડેટા સંગ્રહની ચોખ્ખી ના પાડી દેનાર વિશ્વની સૌથી મોટી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક વ્હોટ્સ એપ એ ભારતમાં પેમેન્ટ બિઝનેસ માટે ડેટા સંગ્રહ કરવાની સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા માટે ભઆરતમાં જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું હોવાનું જાણવા મળે છે.
ફેસબૂકની માલિકીના મેસેજિંગ એપ દ્વારા હવે ભારતમાં ડિજિટલ પેમેન્ટ સર્વિસને લોકો માટે સત્તાવાર રીતે ગમે ત્યારે લોંચ કરવામાં આવશે એમ મનાય છે. ભારતના બેન્કિંગ રેગ્યુલેટર માટે આ બાબત સિદ્ધિ સમાન છે કેમકે, તેમણે એ નિયમ બનાવ્યો છે કે ગ્લોબલ પેમેન્ટ કંપનીઓએ ભારતના યુઝર્સનો ટ્રાન્ઝેક્શન ડેટા ભારતમાં જ સ્ટોર કરવો પડશે, આ નિયમ વ્હોટ્સ એપ જેવી કંપનીના સંચાલકો પાસે પળાવ્યો છે.
એવું માનવામાં આવે છે કે વ્હોટ્સએપ આઇસીઆઇસીઆઇ બેન્કની સાથે તેના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ આધારિત સર્વિસ ટૂંક સમયમાં લોંચ કરી શકે છે. એ પછી તબકકાવાર એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક અને એસબીઆઇ સાથેની સર્વિસ પણ શરૂ કરવામાં આવશે.
આરબીઆઇના નોર્મ્સ પ્રમાણે પેમેન્ટ કંપનીઓએ સૌથી પહેલાં ભારતમાં ડેટા સ્ટોરેજ ફેસિલિટી સ્થાપવી પડશે અને ત્યાર બાદ સેન્ટ્રલ બેન્કને ઓડિટ રિપોર્ટ આપવો પડશે. 6 એપ્રિલ 2018ના રોજ આરબીઆઇએ એક નોટમાં જણાવ્યું હતું કે, “તમામ સિસ્ટમ પ્રોવાઇડર્સે એ સુનિશ્ચિત કરવાનું છે કે પેમેન્ટ સિસ્ટમને લગતો તમામ ડેટા ભારતીય સિસ્ટમમાં જ સંગ્રહ કરવાનો રહેશે.”
આ ઓડિટ ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઇઆરટી) દ્વારા નીમેલા ઓડિટર્સ દ્વારા થવો જોઈએ.
વ્હોટ્સએપે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ICICI સાથે ભાગીદારીમાં પેમેન્ટ ફીચર શરૂ કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેને બિટા સર્વિસ પૂરતો મર્યાદિત રખાયો હતો. ભારત બહાર પ્રોસેસ થતા તમામ ડોમેસ્ટિક ડેટાને 24 કલાકની અંદર ભારત લાવીને તેને લોકલ સ્તરે સ્ટોર કરવાનો રહેશે.ચાલુ વર્ષે ઓનલાઇન રિટેલ કંપની એમેઝોને પણ ડેટા લોકલાઇઝેશનની માર્ગદર્શિકાનું પાલન કર્યું હતું અને યુપીઆઇ આધારિત પેમેન્ટ સર્વિસ શરૂ કરી હતી.

અમદાવાદ વેસ્ટર્ન રેલવે ડિવિઝન પર પહેલી જુલાઇથી 42 જેટલી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 27 ટ્રેનો તેના વર્તમાન સમયથી વહેલી ઉપડશે જયારે 15 ટ્રેનો તેના હાલના નિર્ધારીત સમય કરતા મોડી ઉપડશે.
અમદાવાદથી ચેન્નાઇ એક્સપ્રેસ 15 મિનિટ અને કામખ્યા એક્સપ્રેસ 20 મિનિટ વહેલી રવાના થશે
અમદાવાદ-પટણા 10 મિનિટ અને અમદાવાદથી રવાના થતી પુણે, વારાણસી, સાબરમતિ, જનસાધારણ, કોલ્હાપુર સહિતની ટ્રેનો અમદાવાદથી પાંચ મિનિટ વહેલી રવાના થશે.
જયપુર-અમદાવાદ 1.15 કલાક વહેલી અમદાવાદ આવશે
ગોરખપુર-અમદાવાદ પાલનપુરમાં એક કલાક વહેલી પહોંચશે.
અમદાવાદ-ઇલાહાબાદ 55 મિનિટ
અમદાવાદ-નાગપુર, સંપર્કક્રાંન્તિ એક્સપ્રેસ અમદાવાદથી 15 મિનિટ મોડી રવાના થશે
અમદાવાદ-ઓખા 5 થી 10 મિનિટ મોડી ઉપડશે
અમદાવાદ ડિવિઝન પર દોડનારી 18 ટ્રેનોની ગતી વધારવામાં આવી છે જ્યારે 10 ટ્રેનોની ગતિ ધીમી થઇ છે.
નવા ટાઇમ મુજબ 16 ટ્રેનોમાં યાત્રા કરનાર પ્રવાસીઓની 5 થી 1:15 કલાકની બચત થઇ છે.
ગુજરાતમાં ચોમેર સારા વરસાદના અહેવાલો વચ્ચે હવામાન વિભાગે ફરીથી નવી જાહેર કરેલી આગાહીમાં જણાવ્યું છે કે શનિ, રવિ અને સોમવાર એમ ત્રણ દિવસો દરમિયાન ગુજરાતમાં ઠેકઠેકાણે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જોકે, સુરતની વાત કરીએ તો સુરતમાં વરસાદના છૂટાછવાયા ઝાટપાઓને બાદ કરતા હજુ ચોમાસુ બેઠું એવો વરસાદ વર્તાયો નથી. સુરતીઓ પણ મેહુલિયો મન મૂકીને વરસાદ વરસે એની રાહ જોઇ રહ્યા છે.
આગામી દિવસોની આગાહીની વાત કરીએ તો 28 અને રાજ્યના દક્ષિણ અને મધ્ય ભાગમાં આવેલા વડોદરા, આણંદ, સુરત, વલસાડ, નવસારી, દમણમાં તોફાની ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય 29 તારીખે પણ રાજ્યના આ ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ વગેરે દક્ષિણ વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રમાં ઠેક-ઠેકાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતની સાથે વડોદરા, આણંદમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.