આવકવેરા વિભાગમાં અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરીને ‘સફાઈ’ કર્યા બાદ નરેન્દ્ર મોદી સરકારે આજે ફરી નાણા મત્રાલયના 15 વરિષ્ઠ અધિકારીઓને ફરજિયાત સેવાનિવૃત્ત કરવાનો નિર્ણય કર્યો છે જેમાં મુખ્ય કમિશનર, કમિશનર, અને અધિક કમિશનર કક્ષાના અધિકારીઓ સામેલ છે. ફરજિયાત રિટાયર કરવામાં આવેલા આ અધિકારીઓ પૈકી મોટાભાગના સામે ભ્રષ્ટાચાર, લાંચના આરોપો છે.
આજે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ અને કસ્ટમ વિભાગના ફરજિયાત નિવૃત્ત કરવામાં આવેલા અધિકારીઓમાં
પ્રિન્સિપલ કમિશનર ડો. અનુપ શ્રીવાસ્તવ,
કમિશનર અતુલ દીક્ષિત,
કમિશનર સસારચંદ,
કમિશનર હર્ષા,
કમિશનર વિનય વ્રિજ સિંહ,
એડિશનલ કમિશનર અશોક મહિદા,
એડિશનલ કમિશનર વીરેન્દ્ર અગ્રવાલ,
ડેપ્યુટી કમિશનર અમરેશ જૈન,
જોઈન્ટ કમિશનર નલીન કુમાર,
આસિસ્ટન્ટ કમિશનર એસએસ પાબ્ના,’
આસિસ્ટન્ટ કમિશનર એસએસ બિષ્ટ,
આસિસ્ટન્ટ કમિશનર વિનોદ સાંગા,
એડિશનલ કમિશનર રાજુ સેકર,
ડેપ્યુટી કમિશનર અશોક કુમાર અસવાલ અને
આસિસ્ટન્ટ કમિશનર મોહમ્મદ અલ્તાફનો સમાવેશ થાય છે.
આ પહેલાં પણ નિર્મલા સીતારામને નાણા મંત્રાલય સંભાળતાંની સાથે જ સખત નિર્ણય લીધો હતો અને ગયા સપ્તાહે ટેક્સ વિભાગના’ જ 12 વરિષ્ઠ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતા. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેટીવ રિફોર્મ્સના નિયમ-56 અનુસાર નાણા મંત્રાલયના આ અધિકારીઓને સરકાર સમયથી પહેલાં જ નિવૃત્તિ આપી રહી છે. આ રીતે અત્યાર સુધીમાં કુલ 27 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે.
અહેવાલ મુજબ ફરજિયાત નિવૃત્ત કરાયેલા આ અધિકારીઓ પૈકીના અનેકની સામે ભ્રષ્ટાચાર, ગેરકાનૂની અને બેહિસાબ સંપત્તિ ઉપરાંત જાતીય શોષણ જેવા ગંભીર આરોપો હતા.
ઉલ્લેખનીય છે કે નિયમ-56નો ઉપયોગ એવા અધિકારીઓ પર કરી શકાય છે જેમની વય 50-55 વર્ષની હોય અને 30 વર્ષનો સેવાકાર્યકાળ પૂરો કરી ચૂક્યા હોય. સરકાર દ્વારા આવા અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપી શકાય છે.