બેન્કોની લોન ભર્યા વગર દેશ છોડીને ભાગી જતા પ્રમોટર્સને અટકાવવા માટે પગલાં નક્કી કરવા કેન્દ્ર સરકારે કમિટીની સ્થાપના કરી છે. અત્યાર સુધીમાં નીરવ મોદી અને વિજય માલ્યા જેવા હાઈ-પ્રોફાઇલ કેસ પરથી બોધપાઠ લઇને અને ભવિષ્યમાં આવા કેસોનું પુનરાવર્તન ન થાય તે માટે હાથ ધરવામાં આવેલી આ કવાયતમાં ડ્યુઅલ સિટિઝનશિપ (બેવડું નાગરિકત્વ) ધરાવતા પ્રમોટર્સ પર ચાંપતી નજર પણ રાખવામાં આવશે.

ફાઇનાન્શિયલ સર્વિસિસના સચિવ રાજીવ કુમારના વડપણ હેઠળની આ કમિટીમાં RBI, ગૃહમંત્રાલય, વિદેશમંત્રાલય, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ઇડી) અને CBIના પ્રતિનિધિઓનો પણ સમાવેશ થશે. આ કમિટી વર્તમાન કાયદામાં ફેરફાર કરવાની જરૂર છે કે નહીં તેની ભલામણ કરશે. નાણામંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે અન્ય દેશનું નાગરિકત્વ ધરાવતા હોય અને તેની વિગતો જાહેર ન કરી હોય તેવા પ્રમોટર્સ પર અમે ધ્યાન કેન્દ્રિત કરીશું. આવા પ્રમોટર્સની કંપની જો બેન્કનો હપતો ભરવામાં ડિફોલ્ટ થઈ હશે તો સરકાર આવા પ્રમોટર્સની વિદેશમાં જવાની યોજનાઓની માહિતી પણ માંગી શકે છે એમ અધિકારીએ જણાવ્યું હતું.
કોઈ કંપની/પ્રમોટર લોનમાં ડિફોલ્ટ થાય તો બેન્ક દ્વારા તેને નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA)માં વર્ગીકૃત કરવામાં ઘણો સમય લાગે છે અને ત્યાં સુધીમાં તો લેભાગુ પ્રમોટર આવી લાંબી પ્રક્રિયાનો લાભ ઉઠાવીને કૌભાંડ કરીને વિદેશ છટકી જાય છે. જરૂરી નથી કે આપણે આવા પ્રમોટર્સને સમયસર અટકાવી શકીશું પરંતુ જ્યારે કોઈ પ્રમોટર કે કંપની અંગે ઇન્ટેલિજન્સ એજન્સીઓ કે બેન્કો તરફથી નેગેટિવ રિપોર્ટ્સ આપવામાં આવે તો સરકાર આવા કિસ્સામાં તેમની ટ્રાવેલિંગની અને અન્ય વિગતોની માંગણી કરી શકશે.
આવા પ્રમોટર્સ અંગે જો કોઈ શંકાસ્પદ માહિતી મળે અને તેઓ કાયદાનો ભંગ કરતા હોવાના સંકેત મળે તો તેમના ટ્રાવેલિંગ પર માત્ર પ્રતિબંધ લગાવી શકાશે અથવા તેમના પાસપોર્ટ સસ્પેન્ડ થઈ શકશે.” એમ અધિકારીએ સમજાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યા અને નીરવ મોદીના કિસ્સા બાદ બેન્કોએ આવા સંભવિત જોખમ ટાળવા માટે જંગી માત્રામાં લોન લેનારા પ્રમોટર્સના પાસપોર્ટની વિગતો પણ માંગી હતી.
નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્ક સાથે ₹14,000 કરોડનું કૌભાંડ કર્યું હોવાના આરોપ છે જ્યારે કિંગફિશર એરલાઇન્સના સ્થાપક વિજય માલ્યા સામે પણ ₹૯,૦૦૦ કરોડના કૌભાંડના આરોપો છે. આ બે હાઈ-પ્રોફાઇલ ડિફોલ્ટર સિવાય પણ દેશના ઘણા પ્રમોટર્સને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છે.
વિવિધ અહેવાલો મુજબ, બેન્કોને ₹7,000 કરોડ નહીં ચૂકવનારી કંપની વિન્સમ ડાયમંડ્સ એન્ડ જ્વેલરી લિના પ્રમોટર જતિન મહેતા અને તેમના પત્નીએ ભારતીય નાગરિકત્વ છોડીને સેન્ટ કિટ્સ એન્ડ નેવિસના નાગરિક બની ગયા છે.
સરકારે સંસદના આગામી સત્રમાં ‘ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ બિલ, 2018’ પસાર કરાવવાના પ્રયાસ પણ કર્યા છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટે નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સીને ‘ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ’ જાહેર કરવા માટે કોર્ટમાં અરજી કરેલી છે.









મોદી સરકારની ‘મેક ઇન ઈન્ડિયા’ પહેલ અંતર્ગત આદરેલી કામગીરીમાં ફોન ઉત્પાદકની બાબતમાં ભારત વિશ્વમાં બીજા ક્રમાંકનું ફોન ઉત્પાદક બન્યું છે. ચાર વર્ષ અગાઉ ભારતમાં મોબાઇલ ઉત્પાદન કરતા હોય તેવા માત્ર બે કારખાનાં હતાં તેની સંખ્યા વધીને 120ની થઈ ગઈ છે. તે પૈકી 50 કારખાના ફક્ત નોએડામાં જ છે.








