અત્યાર સુધી ઘણાં રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં નાણા રોકવાનો રસ દાખવ્યો નથી. કેટલાક રોકાણકારો હવે ફિજિકલ સેવિંગ્સથી ફાઈનાન્શિયલ સેવિંગ્સ તરફ આગળ વધી રહ્યાં છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વિચારી રહેલા લોકો જાણો કે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત રહેશે અને તમારે કઈ સ્કિમ્સની પસંદગી કરવી જોઈએ.
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે તમારે કેવાયસી (નો યોર કસ્ટમર) પૂરી કરવી પડશે. આ માટે તમે કેવાયસી ફોર્મનો ઉપયોગ કરી શકો છો. આ ફોર્મ ભરી, તમે ફોટો, પેન કાર્ડની ઝેરોક્સ, આધાર, પાસપોર્ટ, વીજળીનું બિલ અથવા તો બેન્ક સ્ટેટમેન્ટની કોપી એડ્રેસ પ્રૂફ તરીકે આપી શકો છો. તમારે પહેલું ઈન્વેસ્ટમેન્ટ ફોર્મ રજિસ્ટ્રાર અથવા તો મ્યુચ્યુઅલ ફંડ્સની ઓફિસે જમા કરાવવું પડશે. કેટલાંક મ્યુચ્યુઅલ ફંડની વેબસાઈટ્સ અથવા તો ડિસ્ટ્રીબ્યૂટર્સ રોકાણ પહેલા તેમના પ્લેટફોર્મ પર ઈ-કેવાયસી પણ કરે છે.
પહેલી વાર રોકાણ કરી રહેલા રોકાણકારે તેમના લક્ષ્ય, જોખમ લેવાની ક્ષમતા અને રોકાણની મુદતના આધારે મ્યુચ્યુઅલ ફંડ સ્કિમની પસંદગી કરવી જોઈએ. રોકાણકારો આ માટે કોઈ ફાઈનાન્શિયલ પ્લાનર્સ અથવા તો ડિસ્ટ્રીબ્યૂટર્સની મદદ પણ લઈ શકે છે. રોકાણકાર પોતાની રીતે જ એક એસેટ એલોકેશન કરી શકે છે. જેના દ્વારા રોકાણકાર પોતે ઈક્વિટી, ડેટ અથવા સોના જેવી એસેટ્સમાં કેટલા નાણાં રોકવા માગે છે તે સ્પષ્ટ કરી શકે છે.
જો તમે ત્રણ વર્ષથી ઓછી મુદત માટે રોકાણ કરવા માગતા હો તો ડેટ આધારિત અથવા આર્બિટેજ ફંડ્સની પસંદગી કરવી જોઈએ. ત્રણથી પાંચ વર્ષ માટે હાઈબ્રિડ ફંડ્સ સારા છે જેમાં ડેટ અને ઈક્વિટીનું મિક્સ હોય છે. જો તમે 5-7 વર્ષના ગાળા માટે મૂડીરોકાણ કરવા ઈચ્છતા હો તો ઈક્વિટી ફંડ્સ જેવા વધુ જોખમ ધરાવતી પ્રોડક્ટ્સનો વિચાર કરવો જોઈએ.
એક રોકાણકાર તરીકે તમે ફંડ હાઉસ પર ભરોસો મૂકો છો કે, તે તમારી મહેનતની કમાણીને યોગ્ય રીતે મેનેજ કરે. આ સ્થિતિમાં ફંડ હાઉસ તેમજ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમની પસંદગીમાં સાવચેતી રાખવી જરૂરી છે. ફંડ હાઉસ કે ફંડ મેનેજરોના નિર્ણયો સ્કીમની કામગીરીને મોટા પાયે પ્રભાવિત કરી શકે છે. ફાઈનાન્શિયલ પ્લાનર્સનું ખાસ સૂચન છે કે રોકાણકારોએ પોતે જ જે તે સ્કીમની પાછલી કામગીરીની માહિતી મેળવવી જોઈએ. તેમણે ફંડ મેનેજરના ભૂતકાળ, મેનેજમેન્ટ ટ્રેડ રેકોર્ડ અને કામગીરી પર નજર રાખવી જોઈએ.
મ્યુચ્યુઅલ ફંડનો પાછલો દેખાવ ભવિષ્યની કામગીરીના રિટર્નનો સંકેત નથી હોતો પણ વેલ્થ મેનેજર્સ કહે છે કે રોકાણકારોએ કોઈ પણ સ્કીમમાં રોકાણ કરતા અગાઉ સ્કીમના 3, 5 અને 10 વર્ષના લાંબા ગાળાના દેખાવ પર એક નજર અચૂક કરવી જોઈએ. રોકાણકારઓ લગાતાર બેન્ચમાર્કની સરખામણીમાં સારો દેખાવ કરનારા ફંડની પંસદગી કરવી જોઈએ. જો કોઈ સ્કીમ લગાતાર તેના બેન્ચમાર્કને પછાડતી હોય તો તે ફંડ હાઉસમાં સારા અને કાર્યક્ષમ ફંડ મેનેજર્સ હોવાનો સ્પષ્ટ સંકેત આપે છે.
ભારતના બેન્કિંગ ઉદ્યોગ પર બેડ લોનનો બોજ તોતિંગ સ્વરૂપ હાંસલ કરી રહ્યો છે. અત્યાર સુધીમાં SBI સહિતની 26 બેન્કોએ નાણાકીય પરિણામો જાહેર કર્યાં છે, જેના આધારે માર્ચ’18 ક્વાર્ટરમાં 26 બેન્કોની કુલ ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (GNPA) ₹7,31,076 કરોડ થઈ છે, જે માર્ચ’17 ક્વાર્ટરમાં ₹4,81,909 કરોડ હતી. આમ, વાર્ષિક ધોરણે આ 26 બેન્કોની NPAમાં 50 ટકા જેટલો (₹2.50 લાખ કરોડ જેટલો) વધારો થયો છે.
આમાં પણ PSU બેન્કોની મુશ્કેલીમાં જબરજસ્ત વધારો થયો છે કારણ કે, ડિસેમ્બર’17 ક્વાર્ટરની સરખામણીએ તેમણે માર્ચ 2018 ક્વાર્ટરમાં ₹1 લાખ કરોડ જેટલી બેડ એસેટ્સનો ઉમેરો કર્યો હતો જ્યારે માર્ચ’17 ક્વાર્ટરની સામે તેમણે ₹1.11 લાખ કરોડનો ઉમેરો કર્યો હતો એમ CARE રેટિંગ્સના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. કુલ બેડ લોનના હિસ્સામાં PSU બેન્કોનો હિસ્સો જ ₹6.16 લાખ કરોડ જેટલો છે.
જૂન’17માં ગ્રોસ NPAsનો રેશિયો 9.04 ટકાથી ઘટીને સપ્ટેમ્બર’17 ક્વાર્ટરમાં 8.93 ટકા થયો હતો. બાદમાં આ રેશિયો વધીને માર્ચ’18 ક્વાર્ટરમાં 10.14 ટકાની ટોચે પહોંચ્યો હતો. માર્ચ’18 ક્વાર્ટરમાં PSU બેન્કોનો GNPA રેશિયો કુલ એડ્વાન્સિસના 13.41 ટકા હતો. PSU બેન્કોનો બેડ લોનનો રેશિયો નાણાકીય વર્ષ 2017-18ના પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં 11 ટકાથી 12 ટકાની રેન્જમાં સ્થિર રહ્યો હતો પરંતુ ચોથા માર્ચ’18 ક્વાર્ટરમાં 163 બેઝિસ પોઇન્ટ્સ વધીને 13.41 ટકા થયો હતો.
ખાનગી સેક્ટરની બેન્કોની વાત કરીએ તો, તેમનો NPA રેશિયો પણ માર્ચ’18 ક્વાર્ટરમાં 4.40 ટકા થયો હતો, જે ડિસેમ્બર’17 ક્વાર્ટરમાં 3.95 ટકા હતો. ખાનગી સેક્ટરની બેન્કોએ ડિસેમ્બર’17 ક્વાર્ટરના અંતે બેડ એસેટ્સમાં લગભગ ₹1,200 કરોડનો વધારો નોંધાવ્યો હતો જ્યારે માર્ચ’18 ક્વાર્ટરમાં તો ₹18,000 કરોડનો વધારો થયો હતો.
સમગ્ર વર્ષ દરમિયાન 26 બેન્કોનું કુલ પ્રોવિઝન્સ ₹43,611 કરોડથી વધીને ₹1,05,150 કરોડ થયું હતું, જે 141 ટકાનો વધારો દર્શાવે છે. 12 PSU બેન્કોનો ગ્રોસ NPA રેશિયો 10 ટકાની ઉપર હતો જ્યારે પાંચ ખાનગી સેક્ટર બેન્કોનો બેડ લોન રેશિયો બે ટકાથી પણ નીચો હતો. અન્ય પાંચ ખાનગી બેન્કોનો બેડ લોન રેશિયો બે ટકાથી પાંચ ટકાની વચ્ચે હતો.
| નેહલ મોદી અને તેની પત્ની |
ઘર ખરીદનારાઓ માટે વ્યક્તિગત લોનની માંગમાં જ વધારો નથી થયો પરંતુ ડેવલપર્સની લોન પણ વધી છે. રેરાના રક્ષણ સાથે ધિરાણકારો હવે બિલ્ડર્સને લોન આપવા માટે વધુ સારી સ્થિતિમાં છે.
1 જુલાઈ 2017થી મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતનાં રાજ્યોમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ (એક્ટ) લાગુ થયો છે. રિયલ એસ્ટેટ સેક્ટર હાલમાં રેરા, જીએસટી તથા બ્લેકમની સામેનાં પગલાં, ભાવ અને નરમાઈની અસરનો સામનો કરે છે.
રિયલ એસ્ટેટ ડેવલપરને ફાઇનાન્સ કરવામાં એનબીએફસી અને એચએફસીનો બજારહિસ્સો વધીને 60 ટકા થઈ ગયો છે. ચાર વર્ષ અગાઉ રિયલ્ટીને ફાઇનાન્સ કરવામાં આ સંસ્થાઓનો હિસ્સો લગભગ 30 ટકા જેટલો હતો. ડેવલપરને ધિરાણ આપતી સંસ્થાઓમાં એનબીએફસી, એચડીએફસી, ઇન્ડિયાબુલ્સ, જેએમ ફાઇનાન્શિયલ અગ્રેસર છે અને તેઓ ડેવલપરને લોનમાં 20 ટકા હિસ્સો ધરાવે છે.
તેનું મુખ્ય કારણ એ છે કે વધુ રાજ્યો હવે રેરા લાગુ કરી રહ્યાં છે. રેરાની ઇશ્યૂ કરવામાં આવેલી માર્ગદર્શિકા વિશે કેટલીક સ્પષ્ટતા મળ્યા પછી જ ડેવલપર્સે પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે. પ્રોજેક્ટ લોન્ચના પ્રમાણમાં વધારો થયો છે.
રેરાનો અત્યાર સુધીમાં અમલ કરવામાં આવ્યો હોય તેવાં રાજ્યોની સંખ્યા વધીને 21 થઈ છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતનાં રાજ્યોએ રેરા અપનાવ્યો છે. આ ઉપરાંત આ રાજ્યોમાં જ એફોર્ડેબલ હાઉસિંગમાં પણ વધારો થયો છે. વ્યક્તિગત હોમ લોન સેગમેન્ટની સરખામણીમાં આ સેગમેન્ટે વધારે ઝડપથી વૃદ્ધિ કરી છે અને તે વધારે સારું માર્જિન પણ ઓફર કરે છે.
એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સે 31 માર્ચ 2018ના રોજ સમાપ્ત થયેલા ચોથા ક્વાર્ટરમાં ₹2,266 કરોડની પ્રોજેક્ટ લોન વિતરીત કરી હતી અને લગભગ 80 ટકાનો વધારો નોંધાવ્યો હતો. તેમની ₹1.66 લાખ કરોડની લોન બૂકમાં ડેવલપર્સને આપવામાં આવેલી લોનનો હિસ્સો લગભગ પાંચ ટકા છે.
પીએનબી હાઉસિંગ ફાઇનાન્સે મજબૂત બિઝનેસ વૃદ્ધિ નોંધાવી છે અને વાર્ષિક ધોરણે લોનની ફાળવણીમાં 45 ટકા વધારો થયો છે જ્યારે ક્રમિક વૃદ્ધિનો મોટો હિસ્સો કન્સ્ટ્રક્શન ફાઇનાન્સ દ્વારા પ્રેરિત હતો. એલ એન્ડ ટી ફાઇનાન્સે રિયલ એસ્ટેટ ફાઇનાન્સમાં 56 ટકા વૃદ્ધિ નોંધાવી છે. એચડીએફસી માટે બિન-વ્યક્તિગત લોન બૂકમાં ગયા નાણાકીય વર્ષમાં 17.3 ટકા વૃદ્ધિ થઈ હતી જ્યારે રિટેલ લોનમાં 20 ટકા વધારો નોંધાયો હતો.
સૌથી મોટી મોર્ગેજ ધિરાણકાર એચડીએફસી માટે પણ બિનવ્યક્તિગત લોન બૂકમાં ગયા નાણાકીય વર્ષમાં 17.3 ટકાનો વધારો થયો હતો. જ્યારે રિટેલ લોનમાં 20 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. એન્ટિક બ્રોકિંગના એનાલિસ્ટ દિગંત હરિયાએ કહ્યું કે, ભવિષ્યમાં નવા પ્રોજેક્ટ લોન્ચ વધવાની શક્યતા છે. રેરાનું પાલન કરતા પ્રોજેક્ટને ધિરાણ કરવામાં ધિરાણકારો રાજી છે.
એપલ અને અને સેમસંગ જેવી મહત્ત્વાકાંક્ષી બ્રાન્ડ્સના ફોન સસ્તામાં ખરીદવાની જબરજસ્ત માંગ હોવાથી આવતાં બે વર્ષમાં ભારતનું સેકન્ડ-હેન્ડ સ્માર્ટફોનનું માર્કેટ 27 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધી જશે.
નિષ્ણાતો અને વિશ્લેષકોને અપેક્ષા છે કે, 2019 અને 2020માં રિફર્બિશ્ડ ફોનનું માર્કેટ જોરદાર વૃદ્ધિ હાંસલ કરશે કારણ કે નવી-નવી કંપનીઓ વર્તમાન ઓનલાઇન માર્કેટપ્લેસિસ પર જોડાઈ રહી છે. એમેઝોન, કેશિફાઇ, શોપક્લૂઝ અને ટોગોફોગો જેવી ઓનલાઇન ચેનલ્સે આ સેગમેન્ટમાં વાર્ષિક વેચાણમાં ધરખમ વૃદ્ધિ કરી છે.
રિફર્બિશ્ડ મોબાઇલ ફોન કેટેગરી વાર્ષિક ધોરણે 400 ટકાના દરે વધી રહી છે અને મોબાઇલ ફોનના એકંદર વેચાણમાં તેનો હિસ્સો 2017માં લગભગ બમણો થઈ ગયો હતો. એમ એમેઝોન ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું. એમેઝોને જણાવ્યું હતું કે, એપલ અને સેમસંગ જેવી મહત્ત્વાકાંક્ષી બ્રાન્ડ્સના ફોન 50 ટકા ઓછી કિંમતે ખરીદવા માંગતા ગ્રાહકોની સંખ્યા વધી રહી હોવાથી આ કેટેગરીમાં હજુ ઘણી સારી વૃદ્ધિ જોવા મળશે.
ગયા વર્ષે તેમનું વેચાણ ત્રણ ગણું વધ્યું હતું અને આ વર્ષે પણ આવી વૃદ્ધિની અપેક્ષા છે. શોપક્લૂઝે ચાલુ વર્ષના પ્રત્યેક મહિનામાં બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાં 5,780 રિફર્બિશ્ડ ફોન વેચ્યા હતા, જે 2017ના વેચાણની સરેરાશ કરતાં ૩૫ ટકા વધારે છે. શોપક્લૂઝે વેચેલા રિફર્બિશ્ડ ફોનમાં નોકિયા અને સેમસંગના ફોનની સંખ્યા વધારે છે.
એવા ઘણા ગ્રાહકો છે જેમનો પહેલો સ્માર્ટફોન હવે જૂનો થઈ ગયો છે અને કોઈ પણ સ્માર્ટફોન ત્રણ વર્ષમાં ત્રણ વખત વેચાઈ રહ્યો છે, એટલે કે એકંદર સ્માર્ટફોનની માર્કેટની સરખામણીએ વોલ્યુમ કદાચ ઓછું હશે પરંતુ તેનું કદ લગભગ 3.5 કરોડ યુનિટનું છે.
સેકન્ડ-હેન્ડ ફોનના માર્કેટમાં વેચાતા 25 ટકા ફોન જ રિફર્બિશ્ડ હોય છે. નિષ્ણાતો જણાવે છે કે, ડેટાનો વપરાશ વધવાથી ફીચરફોન વાપરતા ગ્રાહકોમાં પણ જૂના સ્માર્ટફોનની માંગ વધી રહી છે.
2017માં રિફર્બિશ્ડ સ્માર્ટફોનનું વોલ્યુમ 25 ટકા જેટલું વધ્યું હતું અને ભારતમાં તેનું વેચાણ 1.2 કરોડ યુનિટ્સને પાર કરી ગયું હતું, જેમાં ત્રીજા ભાગનો હિસ્સો એપલ અને સેમસંગના ફોનનો હતો એમ કાઉન્ટરપોઇન્ટ ટેક્નોલોજી માર્કેટ રિસર્ચના આંકડા પરથી જાણવા મળે છે.
અમદાવાદ સ્થિત એસ્ટ્રલ પોલિ ટેક્નિકનો શેર ગુરુવારે તેની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. ચાલુ મહિને તેણે ત્રીજી વાર આ સ્તર આસપાસ બંધ આપ્યો છે. આ સાથે કંપની રાજ્યની ટોચના માર્કેટ-કેપ ધરાવતી કંપનીઓમાં સ્થાન પામી છે. ગુરુવારે બીએસઇ ખાતે ₹961.15ના બંધ ભાવે કંપનીનું માર્કેટ-કેપ ₹11,516 કરોડ થાય છે.
અમદાવાદ સ્થિત કંપનીઓમાં માર્કેટ-કેપની રીતે તે 8મા ક્રમે આવી ગઈ છે. તેણે સિમ્ફની, ટોરેન્ટ પાવર અને અરવિંદ લિમિટેડ જેવી કંપનીઓને પણ માર્કેટ-કેપમાં પાછળ રાખી દીધી છે.
બિલ્ડિંગ મટિરિયલ્સ બનાવતા એસ્ટ્રલ પોલિ ટેક્નિકનો શેર સારાં પરિણામોની જાહેરાત પાછળ ગુરુવારે બીએસઇ ખાતે 6.05 ટકા જેટલો સુધર્યો હતો. આ સાથે કંપનીનું માર્કેટ-કેપ ₹11,000 કરોડને વટાવી ગયું હતું. કંપનીમાં સૌથી મોટી શેરધારક તરીકે પ્રમોટર એવા સંદીપ એન્જિનિયર(31.6 ટકા હિસ્સો)નું માર્કેટ-કેપ ₹3,672 કરોડ પર પહોંચ્યું હતું.
ચાલુ કેલેન્ડરમાં કંપનીના શેરનો દેખાવ જોઈએ તો તેણે 13.58 ટકાનું રિટર્ન દર્શાવ્યું છે, જે અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીઓમાં કદાચ ઘણું સારુ છે. ચાલુ કેલેન્ડરમાં મોટા ભાગના મિડ-કેપ શેરોમાં વેલ્યૂનું ધોવાણ થયું છે અને તેથી જૂજ કંપનીઓ જ પોઝિટિવ રિટર્ન દર્શાવી રહી છે, જેમાં એસ્ટ્રલ એક છે. તાજેતરમાં અમદાવાદ સ્થિત સિમ્ફની લિનું પરિણામ અપેક્ષાથી વિપરીત આવ્યું હતું, જેની પાછળ શેરના ભાવમાં 10 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.
એસ્ટ્રલ પોલિ ટેક્નિકના શેરે છેલ્લા સવા વર્ષમાં 145 ટકાનું નોંધપાત્ર વળતર દર્શાવ્યું છે. એટલે કે ડિસેમ્બર 2016ના અંતે ₹392ની સપાટી પર બંધ રહેલો કંપનીનો શેર ₹960ના સ્તરે જોવા મળ્યો છે. આમ રોકાણકારોને ઊંચું વળતર આપનારી ગુજરાતી કંપનીઓમાં તે અગ્રણી રહ્યો છે. ગુરુવારે કાઉન્ટરમાં ઊંચાં કામકાજ નોંધાયાં હતાં.
બીએસઇ ખાતે સરેરાશ બે સપ્તાહના 1,844 શેર્સની સરખામણીમાં 4,608 શેર્સનું કામકાજ નોંધાયું હતું. એસ્ટ્રલથી ઊંચું માર્કેટ-કેપ ધરાવતી ગુજરાતી કંપનીઓમાં અદાણી પોર્ટ, કેડીલા હેલ્થકેર, ગૃહ ફાઇનાન્સ, ટોરેન્ટ ફાર્મા, એઆઇએ એન્જિનિયરિંગ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઇઝનો સમાવેશ થાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં પ્રધાન મંત્રી મુદ્રા યોજના (PMMY)ના ૧૦૦થી પણ વધારે લાભકર્તાઓ સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રધાન મંત્રી મુદ્રા યોજના દ્વારા દેશના અંદાજે ૧૧ કરોડ નાગિરકોને લાભ મળ્યો છે.
PMMY ૨૦૧૫ની ૮ એપ્રિલે શરૂ કરવામાં આવી હતી, જેમાં ૧૦ લાખ રૂપિયા સુધીની લોન નૉન-કૉર્પોરેટ, નૉન-ફાર્મ સ્મૉલ-માઇક્રો બિઝનેસને આપવામાં આવે છે. આ પ્રકારની લોન કમર્શિયલ બૅન્ક, રીજનલ રૂરલ બૅન્ક, સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક, કો-ઑપરેટિવ બૅન્ક, માઇક્રો ફાઇનૅન્સ ઇન્સ્ટિટ્યુશન અને નૉન-બૅન્કિંગ ફાઇનૅન્શિયલ કંપનીઓ દ્વારા આપવામાં આવે છે.
વડા પ્રધાને મુદ્રા સ્કીમની સફળતા વિશે વાત કરતાં ઉક્ત ઇન્સ્ટિટ્યુશનોની પીઠ થાબડી હતી. સામાન્ય જનતા પ્રાઇવેટ અથવા તો પબ્લિક સેક્ટરમાં નોકરી શોધતી હોય છે, પણ હવે પર્સનલ સેક્ટરના વિકાસ તરફ આપણે ધ્યાન આપવું જોઈએ એ વાત પર નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે મુદ્રા લોનના કેટલાક સફળ લાભકર્તાનાં ઉદાહરણો પણ લોકો સમક્ષ મૂક્યાં હતાં.
ગૌતમ અદાણીને સૌથી વધુ નુકસાન: સંપત્તિ $3.63 અબજ ઘટીને $6.75 અબજ થઈ
ભારતના ટોચના ૨૦ અબજપતિની નેટવર્થમાં ચાલુ વર્ષે (૨૦૧૮માં) ૧૭.૮૫ અબજ ડોલરનું ધોવાણ થયું છે. જેમાં ટોચના પાંચ અબજપતિ ઉદ્યોગપતિએ ૧૫ અબજ ડોલર ગુમાવ્યા છે. બ્લૂમબર્ગ બિલયનેર ઇન્ડેક્સના ડેટા પ્રમાણે ગૌતમ અદાણીની સંપત્તિમાં સૌથી વધુ ૩.૬૩ અબજ ડોલરનું ગાબડું પડ્યું છે અને તે ઘટીને ૬.૭૫ અબજ ડોલર થઈ છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪માં મોદી સરકાર બની ત્યારે તેનો સૌથી વધુ લાભ અદાણીને થવાનું ચર્ચાતું હતું.
અદાણી જૂથની ચાર કંપનીના શેરમાં ૨૦૧૮માં ૭ ટકાથી ૪૫ ટકાની રેન્જમાં ઘટાડો નોંધાયો છે. ૨૦૧૭-‘૧૮માં આ ચાર કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી પોર્ટ એન્ડ સેઝનો કુલ ચોખ્ખો નફો ૧૩.૭૬ ટકા વધીને રૂ. ૩,૫૪૬ કરોડ થયો છે. સમાન ગાળામાં તેમનું કુલ વેચાણ ૩.૮૫ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૭૩,૨૬૦ કરોડ રહ્યું છે.
બ્લૂમબર્ગ ઇન્ડેક્સ મુજબ ધનકુબેરોની યાદીમાં અદાણી ૨૪૨મા ક્રમે છે. અદાણી પછી વિપ્રોના અઝિમ પ્રેમજીની સંપત્તિમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. ચાલુ વર્ષે વિપ્રોનો શેર ૧૬ ટકા ઘટ્યો છે. ઉલ્લેખનીય છે કે, ટોચની ચાર IT કંપનીમાં વિપ્રો કામગીરીની બાબતમાં તળિયે છે
એક સમયે ધનાઢ્યોની યાદીમાં નંબર-૧ થયેલા દિલીપ સંઘવીની નેટવર્થ પણ ૨૦૧૮માં ૩.૪૮ અબજ ઘટીને ૯.૩૪ અબજ ડોલર થઈ છે. અમેરિકન બજારમાં સ્પર્ધા અને USFDAના અંકુશને કારણે સન ફાર્માનો શેર ચાલુ વર્ષે ૨૧ ટકા ઘટ્યો છે. કોટક સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર ૨૦૧૯-‘૨૦ના અંદાજિત EPSના આધારે ૧૮ના P/E રેશિયો પર શેરે હાલોલ પ્લાન્ટની સંપૂર્ણ રિકવરી અને સ્પેશિયાલ્ટી પ્રોડક્ટ્સનું ૨૦ કરોડ ડોલરનું વેચાણ ડિસ્કાઉન્ટ કરી લીધું છે. બ્રોકરેજના મતે તીવ્ર સ્પર્ધાના કારણે કંપનીને સ્પેશિયાલ્ટી બિઝનેસમાં અવરોધો નડશે તેવી શક્યતા છે.

નેટવર્થના ધોવાણની યાદીમાં કુમાર મંગલમ બિરલા પાંચમા ક્રમે છે. બિરલા જૂથની આઠ લિસ્ટેડ કંપનીનું બજાર મૂલ્ય ૧૯.૭૨ ટકા ઘટીને રૂ. ૨,૧૯,૯૦૪ કરોડ થયું છે. હિંદાલ્કો, આઇડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને આદિત્ય બિરલા જેવી કંપનીના શેર ચાલુ કેલેન્ડર વર્ષમાં ૭ ટકાથી ૫૦ ટકા સુધી ઘટ્યા છે. બિરલાની નેટવર્થ ૨.૨૪ અબજ ડોલર ઘટીને ૬.૮૩ અબજ ડોલરે પહોંચી છે. અન્ય બિઝનેસ મહારથી અને DLFના પ્રમોટર કે પી સિંઘની સંપત્તિ ચાલુ વર્ષે ૧.૬૫ અબજ ડોલર ઘટીને ૪.૭૯ અબજ ડોલર થઈ છે.
ભારતમાં અત્યારે વિશ્ર્વના ત્રીજા ક્રમાંકે મોટી સંખ્યામાં અબજોપતિ છે અને હવે પછીના એક દાયકામાં આ ક્લબમાં ૨૩૮ જેટલા વધારે અલ્ટ્રા હાઈ નેટવર્થ ધરાવતા અબજોપતિનો વધારો થશે, તેવું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
આફ્રએશિયા બૅન્ક ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રિવ્યૂના જણાવ્યા મુજબ ભારતમાં અત્યારે ૧૧૯ જેટલી અબજોપતિ વ્યક્તિઓ છે, જે ૨૦૨૭ સુધીમાં વધીને ૩૫૭ પર પહોંચવાની આશા છે.
આગામી દસ વર્ષમાં ભારતમાં ૨૩૮ અબજોપતિનો ઉમેરો થશે જ્યારે ચીનમાં ૪૪૮નો ઉમેરો થશે. ૨૦૨૭ સુધીમાં અમેરિકામાં એ આંકડો ૮૮૪નો થઈ જશે, ત્યાર પછી ચીનમાં ૬૯૭ અને ભારતમાં એ આંક કુલ ૩૫૭ પર પહોંચશે.
એક અબજ યુએસ ડૉલર કે તેથી વધારેની અસક્યામતો ધરાવનારાઓનો સમાવેશ આ ધનાઢય વ્યક્તિઓમાં કરવામાં આવે છે. આગામી દસ વર્ષમાં જે દેશોમાં અબજોપતિ માલેતુજારોનો વધારો થશે તેમાં રશિયન ફેડરેશનમાં ૧૪૨, યુનાઈટેડ કિંગ્ડમમાં ૧૧૩, જર્મનીમાં ૯૦ અને હોંગકોંગમાં ૭૮ની આશા રખાય છે.
વિશ્ર્વભરમાં હાલમાં ૨,૨૫૨ અબજોપતિ છે અને ૨૦૨૭ સુધીમાં એ સંખ્યા ૩,૪૪૪ પર પહોંચશે. કુલ અસક્યામતોને સંબંધ છે ત્યાં સુધી ભારત વિશ્ર્વમાં છઠ્ઠા ક્રમનો દેશ છે, જ્યાં અબજોપતિઓ ૮,૨૩૦ અબજ યુએસ ડૉલરની કુલ મિલકતો ધરાવે છે.
અમેરિકામાં સૌથી વધારે અસક્યામતો ધરાવતા અબજોપતિ છે, ત્યાંના અબજોપતિ કુલ ૬૨,૫૮૪ અબજ યુએસ ડૉલરની મિલકતો ધરાવે છે. ત્યાર પછી ૨૪,૮૦૩ અબજ યુએસ ડૉલરની મિલકતો સાથે ચીનનો નંબર આવે છે અને ત્રીજા નંબર પર ૧૯,૫૨૨ અબજ યુએસ ડૉલરની અસક્યામતો સાથે જાપાન આવે છે.
ભારતમાં અસક્યામતો ઊભી કરવા માટે જે પરિબળો મદદરૂપ થશે તેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, સારી શૈક્ષણિક પદ્ધતિ, આઈટી ક્ષેત્રે રોબસ્ટ આઉટલૂક, બિઝનેસ પ્રોસેસ આઉટ સોર્સિસિંગ રિયલ એસ્ટેટ, હેલ્થકેર અને મીડિયા સેક્ટરની મદદથી દસ વર્ષમાં બસો ટકા પરિણામ મેળવી શકાશે તેવું અહેવાલ જણાવે છે.
દરમિયાન, આગામી દસ વર્ષમાં વિશ્ર્વસ્તરે ૫૦ ટકા અસક્યામતોમાં વધારો જોવા મળે તેવી શક્યતા છે, જે ૨૦૨૭ સુધીમાં ૩૨૧ ટ્રિલ્યન યુએસ ડૉલરની થશે. ઝડપથી વિકસતી વેલ્થ માર્કેટ્સમાં શ્રીલંકા, ભારત, વિયેતનામ, ચીન અને મોરેશિયસને ગણી શકાય તેવું અહેવાલમાં જણાવાયું છે. (પીટીઆઈ)