બિઝનેસ Archives - Page 74 of 90 - CIA Live

January 23, 2019
parivartan.jpg
1min12980

તા.24 જાન્યુઆરી 2019ને ગુરુવારે કાંઠા વિભાગ યુવા કોળી સમાજ પરિવર્તન ટ્રસ્ટ કલેક્ટરને રજૂઆતો કરશે

કાંઠા વિસ્તારમાં ઝેર ઓકતી કલરટેક્સ કંપનીના પ્લાન્ટ સામે કોળી પટેલ સમાજ મોરચો માંડશે

 

(જાહેરહિતના પ્રશ્નો સંદર્ભે અભિયાન ચલાવી રહેલા પરિવર્તન ટ્રસ્ટના એક કાર્યક્રમની ફાઇલ તસ્વીર)

સુરત નજીકના દરીયા કાંઠા વિસ્તારમાં આવેલા ગામવાસીઓ માટે સ્લો પોઇઝન સમાન બનેલી કલરટેક્સ કંપનીના હેઝાર્ડ વેસ્ટ ડિસ્પોઝલ પ્લાન્ટને કાયમી ધોરણે બંધ કરવામાં નહીં આવે તો લાખો ગામવાસીઓના આરોગ્ય સામે ગંભીર રોગોનું જોખમ ઉપસ્થિત થાય તેમ છે. કાંઠા વિભાગ કોળી સમાજ પરિવર્તન ટ્રસ્ટ દ્વારા આ મુદ્દે જિલ્લા કલેકટરને માહિતગાર કરવા માટે તા.24મી જાન્યુઆરી 2019ને ગુરુવારે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત કરતા પરિવર્તન ટ્રસ્ટના આગેવાન પ્રકાશભાઇ કોન્ટ્રક્ટરે જણાવ્યું હતું કે કલરટેક્સને કચરો ડમ્પ કરવા માટે સરકારે કબજા હકથી 18 હેક્ટર જેટલી જગ્યા આપી હતી. વર્ષો પૂર્વે થયેલા આ એગ્રીમેન્ટને એટલી બધી બાબતો હાસ્યાસ્પદ અને મોઘમ છે કે સરકાર તરફે સ્થાનિક અધિકારીઓએ વખતોવખત કરેલા એગ્રિમેન્ટમાં કલરટેક્સ કંપનીના સંચાલકોએ પાળેલો પોપટ બોલતો હોય એ પ્રકારે બધી બાબતો કંપનીની તરફેણમાં લખી આપી છે.

કલરટેક્સ કંપનીને આપવામાં આવેલી જમીનના એગ્રીમેન્ટના છીંડા

  1. કેટલા સમય માટે 18 હેક્ટર જેટલી જમીન ફાળવવામાં આવી તેની કોઇ જ સમયમર્યાદા કે તારીખ, વર્ષ કશાનો ઉલ્લેખ નથી
  2. સરકાર તરફે કરાયેલું એગ્રિમેન્ટ કબજા હકપત્ર હસ્ત લિખીત છે, હસ્તલિખીત કાગળને આધાર કેવી રીતે માનવો
  3. ડમ્પિંગ સાઇટ તરીકે જમીનની માગણી કરવામાં આવી હતી પરંતુ, ઝેરી કચરો ડમ્પ કરવાની કોઇ બાબતનો ઉલ્લેખ નથી
  4. કલરટેક્સ કંપનીએ એગ્રીમેન્ટમાં કચરો ડમ્પ કરવાનો ઉલ્લેખ કર્યો પણ ઝેરી રસાયણનો કશો ઉલ્લેખ નથી
  5. જમીનનું પ્રદુષણ ઉપરાંત હવામાં ઝેરી રજકણો તેમજ દુર્ગંધ ફેલાવીને જાહેર સ્વાસ્થ્ય સામે મોટો ખતરો ઉભો કર્યો છે
  6. કલરટેક્સ કંપની એટલું વ્યાપક પ્રમાણમાં પ્રદુષણ ફેલાવી રહી છે કે જે પ્રથમદર્શી નજરે જાણી-નિહાળી-અનુભવી શકાય છે

આવી અનેક બાબતો કલરટેક્સ કંપનીને 18 હેકટર જેટલી આપવામાં આવેલી જમીનના કબજા હકપત્રમાં સામેલ છે જે શંકાપ્રેરક છે. કાંઠા વિભાગ યુવા કોળી સમાજ પરિવર્તન ટ્રસ્ટ દ્વારા ઘણાં સમયથી કલરટેક્સ દ્વારા ફેલાવવામાં આવી રહેલા પ્રદૂષણ સામે લડત ચલાવવામાં આવી રહી છે, આ લડતના ભાગરૂપે જ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે.

પરિવર્તન ટ્રસ્ટ દ્વારા કોળી પટેલ સમાજે કરાયેલી અપીલ

કાંઠા વિભાગ યુવા કોળી સમાજ પરિવર્તન ટ્રસ્ટ તરફથી જીઆવ -બુડિયા ખાતે આવેલ કલરટેક્સ કંપની નો હેઝાર્ડ વેસ્ટ ડિસ્પોઝલ પ્લાન્ટ (ઝેરી રસાયણ નો ઉકરડો ) કાયમી ધોરણે બંધ થાય તે માટે તારીખ :24-01-19 ને ગુરુવારે સવારે 11.00 કલાકે કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવા જવાના હોવાથી જિલ્લા સેવા સદન -2,અઠવાલાઈનસ, સુરત ખાતે હાજર રહેવા આપશ્રી/આપસૌ ને હાજર રહેવા નમ્ર વિંનતી છે.

January 19, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5150

કોસ્ટલ ટુરિઝમના વિકાસ માટે 1 હજાર કરોડના કરાર : દ્વારકામાં 250 કરોડના ખર્ચે 3 વર્ષમાં કામ પુરૂ કરાશે

ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં પ્રથમ દિવસે જ ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને કોસ્ટલ વિસ્તારમાં ટુરીઝમ ક્ષેત્રે બમ્પર વિકાસની શક્યતા જોતાં મહાત્વાકાંણી પ્રોજેક્ટ સાથે મેગા પ્રોજેક્ટસની જાહેરાતો કરવામાં આવી છે.

જેમાં શીપીંગ ક્ષેત્રે જાણીતી કંપની જે.એમ.બક્ષીએ ગુજરાત મેરીટાઇમ બોર્ડ સાથે સૌરાષ્ટ્ર તેમજ કચ્છના મુખ્ય ટુરીઝમ તેમજ બંદરના વિકાસલક્ષી સ્થળો સૌરાષ્ટ્રના યાત્રાધામ દ્વારકા, પોરબંદર તેમજ વેરાવળ અને કચ્છમાં માંડવી બંદર મળી કુલ ચાર જગ્યાએ ક્રુલ ટર્મીનલો વિકસાવવા અંગે કરારો કર્યા છે.

ગુજરાત સરકારના અધિકારીઓએ આ ક્રુઝ ટર્મીનલોના નિર્મા અંગે આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજી સૌરાષ્ટ્ર કચ્છમાં ચાર બંદર તથા યાત્રાધામો ખાતે ક્રુઝ ટર્મીનલો અંદાજીત રૂપિયા એક હજાર કરોડના ખર્ચે બનાવવાની જાહેરાત કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં સમયગાળામાં દ્વારકા ખાતેનું ક્રુઝ ટર્મીનલ કાર્યરત થાય તેવી સંભાવનાઓ છે. આ સાથે ગુજરાતના યાત્રાધામો તથા બંદરો પર ક્રુઝ ટર્મીનલો બનતાં અહીંના ટુરીઝમ ઉદ્યોગને બમ્પર બુસ્ટઅપ મળે તેવી સંભાવનાઓ ઉભી થઇ છે. અને દ્વારકામાં આગામી ત્રણ વર્ષમાં ક્રુઝ ટર્મીનલના આયોજનથી દ્વારકા સહિતના સ્થળોએ હોટેલ પણ જેટ ગતિએ વિકાસ પામશે તેવી સંભાવનાઓ જણાઇ રહી છે.

January 11, 2019
gst.jpg
1min14930

દોઢ કરોડના ટર્નઑવરવાળા માટેની કમ્પૉઝિશન સ્કીમ પહેલી એપ્રિલ

જીએસટી કાઉન્સિલે વસ્તુ અને સેવા કર (જીએસટી)ની ચુકવણીમાંથી મુક્તિની ટોચમર્યાદા બમણી એટલે કે રૂપિયા ૪૦ લાખની કરી છે. આમ હવે નાના વેપારીઓને મોટી રાહત થઇ છે અને રૂ.૪૦ લાખ સુધીના ટર્નઑવર પર જીએસટી નહીં. તેણે કમ્પૉઝિશન સ્કીમમાં એક ટકો કર ચૂકવવા માટેની રૂપિયા દોઢ કરોડના ટર્નઑવરની ટોચમર્યાદાનો અમલ પહેલી એપ્રિલથી કરવાની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત, કેરળને ગયા વર્ષે પૂરને કારણે સર્જાયેલા વિનાશ વખતે નિરાશ્રિત બનેલા લોકોના પુનર્વસન માટે નાણાં ભેગા કરવા રાજ્યને આંતર-રાજ્ય વસ્તુ અને સેવા પર એક ટકો કુદરતી આફત વેરો નાખવાની પરવાનગી આપી હતી.

કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે કુલ ટર્નઑવર રૂપિયા ૪૦ લાખ સુધીનું હોય એવા કરદાતાઓને જીએસટીમાંથી મુક્તિ અપાઇ છે. ઇશાનના રાજ્યો માટેની આ મર્યાદા રૂપિયા ૨૦ લાખ કરાઇ છે. હાલમાં રૂપિયા ૨૦ લાખ સુધીનું ટર્નઑવર ધરાવતા વ્યાપારીઓને જીએસટીની નોંધણીમાંથી મુક્તિ અપાઇ હતી. ઇશાનના રાજ્યો માટેની આ મર્યાદા અત્યાર સુધી રૂપિયા ૧૦ લાખ હતી.

દેશના બધા રાજ્ય જીએસટીમાંથી મુક્તિની રૂપિયા ૪૦ લાખની ટોચમર્યાદાનો અમલ કરે તો સરકારની અંદાજે રૂપિયા ૫,૨૦૦ કરોડની આવક ઘટશે. જેટલીએ જણાવ્યું હતું કે નાના વ્યાપારીઓનું ટર્નઑવર રૂપિયા ૧.૫ કરોડ સુધી હોય તો જીએસટી કમ્પૉઝિશન સ્કીમ હેઠળ એક ટકો કર ભરવો પડશે અને તેનો અમલ પહેલી એપ્રિલથી થશે. અગાઉ, ટર્નઑવરની આ ટોચમર્યાદા રૂપિયા એક કરોડ હતી.

વસ્તુ અને સેવાના સર્વિસ પ્રૉવાઇડર્સ અને સપ્લાયર્સનું ટર્નઑવર રૂપિયા પચાસ લાખ સુધીનું હોય તો તેઓ જીએસટી કમ્પૉઝિશન સ્કીમ માટે યોગ્ય ઠરશે અને છ ટકા કર ભરી શકે છે. જીએસટી કાઉન્સિલના કમ્પૉઝિશન સ્કીમ હેઠળના આ બે નિર્ણયને લીધે સરકારની વાર્ષિક આવકમાં રૂપિયા ૩,૦૦૦ કરોડનો ઘટાડો થવાની આશા છે. જેટલીએ ટ્વીટ કર્યું હતું કે જીએસટી કાઉન્સિલે ગુરુવારે મળેલી પોતાની ૩૨મી બેઠકમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મોટી રાહત આપી છે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં રિયલ ઍસ્ટૅટ માટેના જીએસટીને મુદ્દે વિરોધાભાસી અભિપ્રાય રજૂ થતાં કાઉન્સિલે પ્રધાનોની સાત સભ્યની સમિતિ રચી છે અને તે સંબંધિત ભલામણ કરશે. લૉટરી અંગે પણ વિરોધાભાસી અભિપ્રાય રજૂ કરાતા તે અંગે જરૂરી સૂચન હવે પ્રધાનોની એક સમિતિ કરશે. કમ્પૉઝિશન સ્કીમમાં કરવેરાનું રિટર્ન માત્ર એક જ વખત ફાઇલ કરવાનું રહેશે, પરંતુ દર ત્રિમાસિક ગાળામાં કર ભરવો પડશે.

દરમિયાન, રૂપિયા દોઢ કરોડથી ઓછું ટર્નઑવર ધરાવનારાઓ માટે નિ:શુલ્ક ઍકાઉન્ટિંગ અને બિલિંગ સૉફ્ટવેર ઉપલબ્ધ કરાવાશે. જેટલીએ જણાવ્યું હતું કે જીએસટીને લગતી મોટા ભાગની આવક મોટી કંપનીઓ પાસેથી જ મળે છે. કાઉન્સિલે નાના વ્યાપારીઓને મદદ કરવા નિર્ણય લીધા છે. વ્યાપારીઓને વિવિધ વિકલ્પ અપાયા છે. જો વ્યાપારીઓ સર્વિસીસ સૅક્ટરમાં હોય તો છ ટકા કમ્પાઉન્ડિંગનો વિકલ્પ લઇ શકશે, જ્યારે રૂપિયા દોઢ કરોડ સુધીનું ટ્રૅડિંગ હોય તો એક ટકા કમ્પાઉન્ડિંગનો વિકલ્પ મેળવી શકશે. તેઓની જીએસટીમાંથી મુક્તિની ટોચમર્યાદા રૂપિયા ૪૦ લાખ કરાઇ છે.

મહેસૂલ સચિવ અજય ભૂષણ પાણ્ડેયે જણાવ્યું હતું કે જીએસટીમાંથી મુક્તિની ટોચમર્યાદા હાલમાં રૂપિયા ૨૦ લાખ હોવા છતાં રૂપિયા ૨૦ લાખથી ઓછું ટર્નઑવર ધરાવતા અંદાજે ૧૦.૯૩ લાખ કરદાતા કરવેરો ભરે છે. પાણ્ડેયે જણાવ્યું હતું કે ચીજવસ્તુનો વ્યાપાર કરનારા અને આંતર-રાજ્ય ટ્રૅડ (વ્યાપાર) કરનારાઓ માટે જીએસટીમાંથી મુક્તિની ટોચમર્યાદા વધારીને રૂપિયા ૪૦ લાખ કરાઇ છે, પરંતુ આંતર-રાજ્ય ટ્રાન્ઝૅક્શન (લેવડદેવડ) કરનારાઓ માટે તે લાગુ નહિ પડે. કમ્પૉઝિશન સ્કીમમાં વ્યાપારીઓ અને ઉત્પાદકો એક ટકાના દરે કરવેરો ભરી શકે છે, જ્યારે રેસ્ટૉરાં પાંચ ટકા જીએસટી ભરે છે.

January 9, 2019
diamond1.jpg
1min11940

કેટલાક દિવસથી સોશ્યલ મીડિયા પર ફરી રહેલા હીરાબજારમાં તેજીના મેસેજ વિશે ડાયમન્ડ માર્કેટના વેપારીઓનો મત, હજી બે વર્ષ તેજીનાં કોઈ જ એંધાણ નથી

હીરા બજાર કહે છે તેજીના અહેવાલ ખોટા

વિશ્વના સૌથી મોટા હીરા કટિંગ અને પૉલિશિંગના હબ સુરત અને દેશના હીરાના વેપારીઓ છેલ્લાં ઘણાં વષોર્થી મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યા છે. હીરા કટિંગ અને પૉલિશિંગના અનેક યુનિટો બંધ થઈ રહ્યા છે. એવા સમયે વૉટ્સઍપ પર એક મેસેજ વાઇરલ થયો છે, જેમાં લખ્યું છે કે કૅનેડાની સરકારે ભારત પર લગાવેલા હીરાની ખરીદી પરના પ્રતિબંધને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિનંતીથી ઉઠાવી લેવામાં આવ્યો હોવાથી હીરાબજારમાં જોરદાર તેજીના સંકેત. જોકે આ મેસેજને હીરાબજારના જાણકાર વેપારીઓએ હાસ્યાસ્પદ ગણાવ્યો હતો.

હીરાબજારના વેપારીઓએ આ બાબતને વાહિયાત ગણાવી હતી અને આ માર્કેટના અનેક અગ્રણીઓએ તો આ ટૉપિક પર વાત કરવાનું પણ ટાળ્યું હતું. કેટલાક વેપારીઓએ કહ્યું હતું કે ‘અમે આ વાતને રાજકીય રંગ આપવા નથી ઇચ્છતા, પરંતુ આવો જ મેસેજ બે વર્ષ પહેલાં પણ વાઇરલ થયો હતો, પરંતુ માર્કે‍ટમાં સુધારો તો દૂર રહ્યો બે વર્ષમાં માર્કેટની હાલત દિનપ્રતિદિન કથળતી જાય છે. હજી સુધી માર્કેટમાં કોઈ તેજી દેખાઈ નથી. બે વર્ષમાં કૅનેડાએ આપણા દેશના વેપારીઓ પાસેથી કોઈ મોટી ખરીદી કરી હોય એવા અમારી પાસે કોઈ જ સમાચાર નથી એટલું જ નહીં, આવતાં બે વર્ષમાં તેજી આવવાની અમને શક્યતાઓ પણ દેખાતી નથી.

કૅનેડા, ચાઇનામાં ઘણાં વર્ષથી ભારતમાંથી હીરાની ખરીદી પર પ્રતિબંધ છે. આમ છતાં અનેક વેપારીઓ વાયા ન્યુ યૉર્ક અને હૉન્ગકૉન્ગ, કેનેડા અને ચાઇનામાં હીરા મોકલી જ રહ્યા છે. આ વિશે વેપારીઓએ દિલ ખોલીને હીરાના બિઝનેસની વાત કરતાં કહ્યું હતું કે ‘કૅનેડાએ પ્રતિબંધ ઉઠાવી લીધો હોય તો ખૂબ જ સારી વાત છે, પરંતુ એનાથી હીરાના બિઝનેસમાં તેજી આવવાના સંકેતો ધોળા દિવસના સપના સમાન છે. માર્કેટની હાલત તો અત્યારે ખૂબ જ ખરાબ છે. સુરતના હીરાઉદ્યોગમાં લગભગ ૫૦૦૦થી વધારે યુનિટો છે, જેનું ૮૦,૦૦૦ કરોડ રૂપિયા જેટલું ટર્નઓવર છે. આમ છતાં આ યુનિટો અત્યારે મંદીનો માર ઝીલી રહ્યા છે. અનેક યુનિટોમાં તો રત્નકલાકારોને પગાર આપવાના પણ વાંધા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પૉલિશ્ડ હીરાની ડિમાન્ડ ઘટી રહી છે એવા સમયે કૅનેડાના વાઇરલ મેસેજ હીરાના વેપારીઓ માટે ક્ષણિક આનંદ સમાન છે. કાઠિયાવાડીમાં એક કહેવત છે કે ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવી જ અત્યારે હીરાબજારના વેપારીઓની હાલત છે એવી જાણકારી આપતાં વેપારીઓએ કહ્યું હતું કે ‘કૅનેડાની ડિમાન્ડ આવશે તો પણ એકાદ હીરાના વેપારીને એનો ફાયદો થશે, નહીં કે આખી હીરાબજારને. રત્નકલાકારોને આનાથી કોઈ મોટો લાભ થવાના સંજોગો અત્યારે તો દેખાતા નથી. કૅનેડાની હીરાની ખરીદી પણ એના કાયદાકાનૂનને આધારિત છે જે ખૂબ જ કડક છે. આ પરિસ્થિતિમાં કૅનેડાની ખરીદી નીકળે ત્યારે જ એના લાભાલાભનો સાચો ખ્યાલ અમને આવશે.’

ડૉલર સામે રૂપિયાની અસ્થિરતા પણ હીરાના વેપાર પર વિપરીત અસર કરવા માટે જવાબદાર છે એમ જણાવતાં વેપારીએ કહ્યું હતું કે ‘અમારા બિઝનેસની નબળી પરિસ્થિતિ માટે ચલણની અનિયમતતા પણ બહુ મોટો રોલ ભજવે છે. અમને તો હજી બે વર્ષ સુધી હીરાબજાર સધ્ધર બને કે એમાં તેજી આવે એવા કોઈ નિર્દેશ દેખાતા નથી.’

January 5, 2019
sg2.jpg
1min11440

કેન્દ્રીય કપડા મંત્રી સમક્ષ ભલે ફોગવાના આગેવાનો અશોક જીરાવાળા, મયુર ગોળવાલા, આશિષ ગુજરાતીએ કાળા વાવટા બતાવીને અપરિપક્વતા દાખવી હોય પરંતુ, સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે પરિપક્વતા દાખવતા આજે વિવર્સ સમેત ટેક્સટાઇલ ઉદ્યોગના વિવિધ ઘટક પક્ષોને કનડતા ક્રેડિટ લેપ્સ તેમજ જીએસટી સમેતના પડતર પ્રશ્નો ઉકેલવા માટે નવી દિલ્હીથી ખાસ આવેલી જીએસટી અધિકારીઓની ટીમ સમક્ષ મુદ્દાસર રજૂઆતો કરીને સમગ્ર ઉદ્યોગના હિતમાં ઝડપભેર નિકાલ લાવવા માટે રજૂઆતો કરી હતી. ચેમ્બર પ્રમુખ હેતલ મહેતાએ ક્રેડિટ લેપ્સ તેમજ જીએસટીના પ્રશ્નોની ઘેરી અસરથી જીએસટી અધિકારીઓને વાકેફ કર્યા હતા. નવી દિલ્હીથી ખાસ આવેલી જીએસટી અધિકારીઓ સમક્ષ આજે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા થયેલી રજૂઆતો આગામી દિવસોમાં રંગ લાવશે અને પરીણામદાયી માહોલ સર્જાશે એ બાબત હવે નિશ્ચિત બની છે.

ફોગવાના કેટલાક આગેવાનોએ બગાડેલી બાજી હવે ચેમ્બર દ્વારા સુધારવામાં આવી રહી છે

ફોગવાના કેટલાક આગેવાનોએ ક્રેડિટ લેપ્સના મુદ્દે કોંગ્રેસના રાહુલ ગાંધીનું નામ લઇને ડહોળી નાંખેલા સમગ્ર મામલામાં હવે ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોએ સમગ્ર ઉદ્યોગના વિશાળ હિતમાં કેન્દ્ર સરકારને મોટું મન રાખીને મામલો ઉકેલી આપવા માટે રજૂઆતોનો દૌર શરૂ કર્યો છે. સૂત્રો જણાવે છે કે ચેમ્બરના પ્રયાસોને પગલે ક્રેડિટ લેપ્સ સહિત ટેક્સટાઇલ ઉદ્યોગના સ્પર્શતા મોટા ભાગના પ્રશ્નોનો ટૂંક સમયમાં તબક્કાવાર નિકાલ શરૂ થઇ જશે.

આજે તા.5મી જાન્યુઆરી 2019ના રોજ સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી દ્વારા નવી દિલ્‍હીથી સુરત આવેલા જીએસટી વિભાગના એડીશનલ ડાયરેકટર જનરલ શ્રી એસ.કે.રહમાન તથા તેમની ટીમ સમક્ષા ક્રેડીટ લેપ્‍સના નિરાકરણ માટે તેમજ જીએસટીના વિવિધ પ્રશ્‍નોના ઉકેલ માટે રજૂઆત કરવામાં આવી હતી.

ચેમ્‍બર તથા અન્‍ય વિવરઅગ્રણીઓએ વિવર્સની જે ક્રેડીટ સરકાર પાસે જમા છે એને વિવર્સ યુટીલાઇઝ કરી શકે એવી વ્‍યવસ્‍થા જીએસટી વિભાગ દ્વારા ગોઠવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

ચેમ્બર પ્રમુખ હેતલ મહેતાએ વિશાળ વિવર્સ આલમનું હિત જોતા વહેલી તકે ઉકેલ લાવી આપવા રજૂઆત કરી

ચેમ્‍બરના પ્રમુખ શ્રી હેતલ મહેતાએ જીએસટી વિભાગના એડીશનલ ડાયરેકટર જનરલ શ્રી એસ.કે. રહમાન તથા તેમની ટીમ સમક્ષ ક્રેડીટ લેપ્‍સનો મામલો ઉકેલવા તેમજ જીએસટીના અન્‍ય પ્રશ્‍નોના નિરાકરણ માટે રજૂઆત કરી હતી. તેમણે કહયુ હતુ કે, ક્રેડીટ લેપ્‍સના મામલે સૌથી વધુ વિવર્સ આલમ અસરગ્રસ્‍ત થઇ છે. આથી હવે આ મામલે વહેલી તકે બધાને નિરાકરણ જોઇએ છે.

વિવર્સ અગ્રણી હિમાંશુ બોડાવાલાની રજૂઆતો

વિવર્સ અગ્રણી શ્રી હિમાંશુ બોડાવાલાએ એવી રજુઆત કરી હતી કે, વિવર્સની જે ક્રેડીટ સરકાર પાસે જમા છે એને રૂપિયામાં વિવર્સને નહીં આપવામાં આવે તો ચાલશે પણ એને વિવર્સ યુટીલાઇઝ કરી શકે એવી વ્‍યવસ્‍થા સરકાર દ્વારા કરવામાં આવે.

વિવર્સ અગ્રણી રાજેન્દ્ર લાલવાલાની રજૂઆતો

વિવર્સ અગ્રણી શ્રી રાજેન્‍દ્ર લાલવાલાએ રજૂઆત કરી હતી કે નેરો ફેબ્રિકસમાં જરી બોર્ડરને જીએસટીના સ્‍લેબમાં કાપડથી અલગ કરી દેવામાં આવી છે. ફેબ્રિકસની ઉપર 5 ટકા જીએસટી લાગુ પડે છે ત્‍યારે એ જ કાપડમાંથી કાપીને છુટી કરવામાં આવેલી લેસને 1ર ટકા જીએસટી સ્‍લેબમાં ગણવામાં આવે છે. જયારે પ્રોડકટ તો એક જ છે. આથી જરી બોર્ડરનો પણ કાપડના 5 ટકા જીએસટી સ્‍લેબમાં સમાવેશ કરવામાં આવે.

જરી ઉદ્યોગના અગ્રણી બિપીન જરીવાલાની રજૂઆતો

જરી ઉદ્યોગના અગ્રણી શ્રી બિપીન જરીવાલાએ એવી રજૂઆત કરી હતી કે કોપર, બ્રાઝ અને સિલ્‍વરબેઇઝ ટ્રેડીશનલ જરી અને મેટાલીક જરીને જીએસટીમાં એકજ હેડમાં રાખી એની ઉપર 1ર ટકા જીએસટી લાગુ કરવામાં આવ્‍યો છે. આથી આ બંનેને અલગ – અલગ હેડમાં નાંખવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી. મેટાલિક જરી ઉપર ભલે 1ર ટકા જીએસટી સ્‍લેબ રહે પણ ટ્રેડીશનલ જરી માટે જીએસટી 1ર ટકામાંથી ઘટાડીને પ ટકા કરવામાં આવે એવી રજૂઆત થઇ હતી.

નવી દિલ્‍હી જીએસટી વિભાગના ત્રણ અધિકારીઓની ટીમ સમક્ષ વિવર અગ્રણી શ્રી હિમાંશુ બોડાવાલા અને શ્રી રાજેન્‍દ્ર જરીવાલા, કીમ – પીપોદરા વિવર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી રસિક કોટડીયા અને ઉપપ્રમુખશ્રી જયંતિ જોલવા, ચેમ્‍બરના ભુતપુર્વ પ્રમુખ શ્રી રાજેન્‍દ્ર ચોખાવાલા, ઉદ્યોગપતિ શ્રી ધીરુભાઇ શાહ, જરી ઉદ્યોગના અગ્રણી શ્રી બિપીન જરીવાલા અને દિપક જરીવાલા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

January 4, 2019
SGCCI.jpg
1min14000

દક્ષિણ ગુજરાતમાં વિકાસ પામેલા ટેક્સટાઇલ ઉદ્યોગના વિવિધ ઘટકો માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આયોજિત સીટેક્ષ 2019 પ્રદર્શન આજથી સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. SGCCI પ્રેસિડેન્ટ શ્રી હેતલ મહેતાએ સી.આઇ.એ.ને જણાવ્યું હતું કે આ એવું પ્રદર્શન બની રહેશે જે સુરતની ઇકોનોમીને બુસ્ટ કરતા ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રાણવાયુ સમાન બની રહેશે. ટેક્સટાઇલ ઉદ્યોગના દરેક ઘટકો માટે અહીં ઉપયોગી ઉત્પાદનો તેમજ ટેકનિક્સ ઉપલબ્ધ બને એ રીતે એક્ઝિબિટર્સ સીટેક્ષમાં આવ્યા છે.

 

ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્‍બર ટ્રેડ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ ડેવલપમેન્‍ટ સેન્‍ટર અને ઉદ્યોગ કમિશનરશ્રી, ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે તા. 4/1/ર019થી 6/1/ર019 દરમિયાન સરસાણા સ્‍થિત સુરત ઈન્‍ટરનેશનલ એકઝીબીશન એન્‍ડ કન્‍વેન્‍શન સેન્‍ટર ખાતે સમગ્ર ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી માટે ‘સુરત ઈન્‍ટરનેશનલ ટેક્ષટાઇલ એકઝીબીશન-19′ (સીટેક્ષ-ર019)નો આજથી ભવ્‍ય પ્રારંભ થયો છે.

સીટેક્ષ પ્રદર્શનના ઉદ્‌ઘાટન સમારોહમાં મુખ્‍ય મહેમાન તરીકે શ્રી મનોહર સેમ્‍યુલ (સિનિ. પ્રેસિડેન્‍ટ, ગ્રાસીમ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિ., મુંબઇ), શ્રી હંસરાજ ગોંડલીયા (ચેરમેન, અલીફ ગૃપ ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ), શ્રી ઇસ્‍માઇલ શરીફ (આસિસ્‍ટન્‍ટ ડાયરેકટર, ટેક્ષટાઇલ કમિશનર કચેરી, ભારત સરકાર), જિલ્‍લા ઉદ્યોગ કેન્‍ફ્‍ – સુરતના જનરલ મેનેજર શ્રી ડી.આર. પટેલ, માનનીય ધારાસભ્‍ય શ્રી વિવેક એન. પટેલ (સુરત – ઉધના)અને ટેક્ષટાઇલ મશીનરી મેન્‍યુફેકચર્સ એસોસિએશનના સેક્રેટરી જનરલ શ્રી સચિન અરોરા ઉપસ્‍થિત રહયા હતા.

ચેમ્‍બરના પ્રમુખ શ્રી હેતલ મહેતાએ જણાવ્‍યુ હતુ કે, કોઇપણ ઇન્‍ડસ્‍ટ્રીના વિકાસ માટે ટેકનોલોજી અપગ્રેડેશન ખૂબ જ જરૂરી હોય છે. એવા સંજોગોમાં સીટેક્ષ એકઝીબીશને સમગ્ર ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રીના ટેકનોલોજી અપગ્રેડેશન અને ધંધાના વ્‍યાપ માટે એકજ જગ્‍યાએ પ્‍લેટફોર્મ પુરુ પાડયુ છે. અહીં ટેક્ષટાઇલના દરેક સેકટરની લેટેસ્‍ટ મશીનરીને પ્રદર્શનમાં મુકવામાં આવી છે.

શ્રી ઇસ્‍માઇલ શરીફે જણાવ્‍યુ હતુ કે, ભારતમાં જ બનેલી મશીનરીથી ઉત્તમ કક્ષાનું ફેબ્રિક ઉત્પાદિત થઇ શકે છે. ભારતની મશીનરી દ્વારા ઉત્‍પાદીત થતા પ્રોડકટને હવે આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ સ્‍વીકારવાની શરૂઆત થઇ ગઇ છે. આથી કાપડનું ઉત્પાદન કરનાર ઉદ્યોગપતિઓએ અન્‍ય દેશોમાંથી સેકન્‍ડ હેન્‍ડ મશીન ઇમ્‍પોર્ટ કરવા કરતા ભારતમાં જ બનેલી મશીનરીનો ઉપયોગ કરવો જોઇએ. આ મશીનરીમાં થોડાક મહિનાઓ બાદ બદલાવ આવતા રહે છે. આથી ટેક્ષટાઇલ મશીનરીમાં અપગ્રેડેશન કરતા રહેવું જોઇએ. સમગ્ર ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી માટે ચેમ્‍બરે જે એકઝીબીશનનું આયોજન કર્યું છે એ ખૂબ જ સરાહનીય છે.

શ્રી મનોહર સેમ્‍યુલે જણાવ્‍યુ હતુ કે, ચેમ્‍બર દ્વારા યોજાયેલા સીટેક્ષ એકઝીબીશનને કારણે એમએસએમઇને સૌથી વધુ ફાયદો થાય છે. ભારતની ટેકનોલોજી પણ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. પણ એના ડેવલપમેન્‍ટ અને પ્રોપર માર્કેટીંગ માટે જે ગેપ રહી જાય છે એ ગેપ આ એકઝીબીશન પુરી દે છે. સુરતમાં આખી ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી છે અને ઇનોવેશન પણ કરતી રહે છે. ઘણા બધા પ્રકારના ફેબ્રિકસ અહીં બને છે પણ એને ગ્‍લોબલ માર્કેટમાં એક્ષપોર્ટ કરવા માટે ટેકનોલોજીનો સપોર્ટ જોઇતો હોય છે અને આવી ટેકનોલોજી સીટેક્ષ જેવા એકઝીબીશનમાં એકજ જગ્‍યાએથી મળી રહે છે. આ એકઝીબીશનઆંત્રપ્રિન્‍યોર્સને પણ નવા ઇનોવેશન માટે પ્રોત્‍સાહન આપે છે.

શ્રી હંસરાજ ગોંડલિયાએ જણાવ્‍યુ હતુ કે, ટ્રેડ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીના ડેવલપમેન્‍ટ માટે ચેમ્‍બરે સુરતને આંગણે ટેક્ષટાઇલ ઈન્‍ડસ્‍ટ્રીને ખૂબ જ સરસ પ્‍લેટફોર્મ પુરુ પાડયુ છે.જો કે, આપણે હજી ટેક્ષટાઇલ એન્‍જીનિયરીંગ અને મશીનરી ક્ષોત્રે ઘણુ બધુ કરવાનું બાકી છે. ચેમ્‍બર જયારે એકજ સ્‍થળે આપણને આટલી સરસ ફેસીલિટી આપે છે તો એને ડિઝર્વ કરવા માટે આપણે પણ મશીનરી ક્ષોત્રે સખત મહેનત કરવાની જરૂર છે. ભારતમાં ટેકનોલોજી બને છે અને સારુ માર્કેટ ઉભુ થઇ રહયુ છે એ ખુશીની વાત છે.

ધારાસભ્‍ય શ્રી વિવેક પટેલે જણાવ્‍યુ હતુ કે, સમગ્ર ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી માટેજે રીતે સીટેક્ષ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્‍યુ છે તે જોતા ચેમ્‍બર માટે વાઇબ્રન્‍ટ ગુજરાતની જેમ વાઇબ્રન્‍ટ ચેમ્‍બર કહીશ તો ખોટુ નથી. ઇન્‍ડસ્‍ટ્રીના વિકાસ માટે ઘણા મુદ્દાઓ મને મળ્‍યા છે એને સંબંધિત વિભાગ સુધી પહોંચાડીશું.વર્ષ ર03પ સુધી સુરત સૌથી વધુ વિકસતુ શહેર તરીકે ઉભરી આવે એના માટે સારી પોલિસી બને અને સુરતના વિકાસમાં લાભ થાય તેવા પ્રયાસ કરીશું.

સીટેક્ષ- ર0ક્ષ9ના ચેરમેન શ્રી હિમાંશુ બોડાવાલાએ જણાવ્‍યુ હતુ કે આ પ્રદર્શનમાં હાઇસ્પીડ રેપીયર લૂમ્‍સ, વોટરજેટ લૂમ્‍સ, એરજેટ લૂમ્‍સ, ડિજીટલ પ્રિન્‍ટીંગ મશીન, ઇલેકટ્રોનિક જેકાર્ડ અને હાઇસ્પીડ એમ્‍બ્રોઇડરી મશીન વિગેરે મુકવામાં આવ્‍યા છે. જે સમગ્ર ટેક્ષટાઇલ ઈન્‍ડસ્‍ટ્રીના વિકાસ માટે મહત્‍વનો ભાગ ભજવશે.

વિશ્વમાં હાઇસ્પીડ રેપીયર લૂમ્‍સ માટે સૌથી અગ્રણી ગણાતી ચાઇનાની છએ છ કંપનીએ પહેલી વખત સુરતના સીટેક્ષ પ્રદર્શનમાં ભાગ લીધો છે. ચાઇનાની સિગ્નેચર વાન્‍લી (પીકાનોલ બેઇઝ), રીફા (વામાટેક્ષા બેઇઝ), ટાઇટન (સ્‍મીત બેઇઝ), કીંગટેક્ષા (સોરીટ બેઇઝ), જિંગ્‍વી અને સુલટેક્ષા (સુલ્‍ઝર બેઇઝ) કંપનીઓએ તેઓની અદ્યતન દસ-દસ હાઇસ્‍પીડ રેપીયર લૂમ્‍સ મશીનરીઓ પ્રદર્શનમાં મુકી છે. ભારતની અલીફ કંપનીએ પણ ચાઇના બેઇઝ આ મશીનરી પ્રદર્શનમાં મુકી છે.

યસ બેન્‍કના શ્રી નિરજ તનેજાએ પણ ચેમ્‍બરને શુભેચ્‍છા આપી હતી અને કહયુ હતુ કે, સખત મહેનતથી સુરતની ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી આ મુકામ પર પહોંચી છે. બિઝનેસના વિકાસ માટે અમે પણ સપોર્ટ કરીશું.

ચેમ્‍બરના ઉપપ્રમુખ શ્રી કેતન દેસાઇએ સીટેક્ષ એકઝીબીશનમાં પધારેલા મુખ્‍ય મહેમાનો તથા ઉપસ્‍થિત તમામનો આભાર માની સમારોહનું સમાપન કર્યુ હતુ.

 

January 2, 2019
CIA_Live_Logo_New2.jpg
1min10160

BNI Surat पूरे विश्व में फेले हुए BNI नेटवर्क में सबसे बेस्ट परर्फोर्मर रहा है. BNI सूरत क्यों बेस्ट परफोर्मर है, और पूरे विश्व में सुरत के बिजनेसमेन को क्यूं सक्सेसफुल माने जाते है एैसी कई बातें BNI Surat के एक्जिक्युटिव डीरेक्टर श्री गौरव सिंघवी से सी.आइ.ए. लाइव के एक्जिक्युटिव एडिटर जयेश ब्रह्मभट्ट ने बातचीत की. प्रस्तुत ते उनके अंश…

January 1, 2019
exports.jpg
1min6950

દેશમાંથી વિશ્વના જુદા જુદા દેશોમાં થતી કુલ નિકાસમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને અને ગુજરાત બીજા ક્રમે છે. ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો 22.02 ટકા હિસ્સો છે, જ્યારે મહારાષ્ટ્રનો નિકાસ હિસ્સો 22.98 ટકા છે.

  • 2017-’18માં ભારતની કુલ નિકાસ 303અબજ યુએસ ડોલર
  • પેટ્રોલિયમ પ્રોડક્ટ, કેમિકલ્સ, સ્ટોન, કોપર, પ્લાસ્ટિક રોમટિરિયલ, એગ્રો કેમિકલ્સ તથા ટેક્સટાઇલ-યાર્ન મુખ્ય નિકાસ માલ
  • ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો 22.02 ટકા હિસ્સો, 2016-’17માં ગુજરાતનો નિકાસ હિસ્સો 19.06 ટકા હતો
  • મહારાષ્ટ્રનો નિકાસ હિસ્સો 22.98 ટકા

વર્ષ 2016-’17માં ગુજરાતનો નિકાસ હિસ્સો 19.06 ટકા હતો તે વધીને 2017-’19માં 22.02 ટકા થયો છે. આમ નિકાસમાં ગુજરાતનો હિસ્સો ગયા વર્ષ કરતાં ત્રણ ટકા વધ્યો છે. આગામી વાઇબ્રન્ટ સમિટમાં ટ્રેડ અને એક્સ્પોર્ટ પર વધુ ભાર મૂકવાને પગલે નિકાસ હિસ્સામાં સારો એવો વધારો થશે તેમ રાજ્યના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

ગુજરાતનાં ઉદ્યોગ કમિશનર મમતા વર્માએ જણાવ્યું હતું કે, “ભારતે ગયા નાણાકીય વર્ષ 2016-’17માં 275 અબજ ડોલરની નિકાસ કરી હતી જે 2017-’18માં વધીને 303અબજ યુએસ ડોલર થઈ હતી, જે દસ ટકા વધારો દર્શાવે છે. ગુજરાતમાંથી નિકાસમાં જે ત્રણ ટકાનો વધારો નોંધાયો તેમાં મુખ્યત્વે પેટ્રોલિયમ પ્રોડક્ટ, કેમિકલ્સ, સ્ટોન, કોપર, પ્લાસ્ટિક રોમટિરિયલ, એગ્રો કેમિકલ્સ તથા ટેક્સટાઇલ-યાર્નનો સમાવેશ થાય છે.”

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 18 જાન્યુઆરી 2019ના રોજ ‘મેક ઈન ઇન્ડિયા’ પર વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે ત્યારે આ સેમિનારનો મુખ્ય હેતુ ‘મેક ઈન ઇન્ડિયા’ કાર્યક્રમની મુખ્ય સિદ્ધિઓ અને તેની અસરો સમજવી, તેમજ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર્સ અને ઔદ્યોગિક નીતિ જેવા તેના મુખ્ય સ્તંભો વિશે ચર્ચા કરવાનો છે.

સેમિનાર અંગે મમતા વર્માએ જણાવ્યું કે, આ કાર્યક્રમમાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની સાફલ્યગાથા રજૂ કરાશે તેમજ સરકાર દ્વારા લેવાયેલાં મહત્ત્વપૂર્ણ પગલાંથી માહિતગાર કરવામાં આવશે. સેમિનારમાં દેશમાં આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગજગતના ઉદ્યોગપતિઓ ભારતમાં ઉત્પાદન વધારવા અંગે પોતાનાં મંતવ્ય રજૂ કરશે.

સેમિનારના બીજા સત્રમાં ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર, ઇન્ડસ્ટ્રિયલ પાર્ક અને ઇન્ડસ્ટ્રી 4.0 જેવા વિષય સાથે દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર – ડીએમઆઇસી અંતર્ગત ઉત્પાદન અને રોકાણનાં શ્રેષ્ઠ સ્થળો બાબતે ઉચ્ચસ્તરીય ચર્ચા કરાશે.

ધોલેરા એસઆઇઆર અને ઓથોરિટીના મેનેજિંગ ડિરેક્ટર શિવહરેએ જણાવ્યું હતું કે, “કેન્દ્રની ‘મેક ઈન ઇન્ડિયા’ ફ્લેગશિપ યોજનામાં ગુજરાતનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ગુજરાત દેશના સૌથી વધુ ઝડપથી વિકસતાં રાજ્યો પૈકી એક છે તેમજ ભારતના ટોચના પાંચ વિદેશી મૂડીરોકાણ ધરાવતાં રાજ્યોમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે.

એપ્રિલ 2000થી માર્ચ 2018 સુધીમાં ગુજરાતને કુલ 18.7 અબજ અમેરિકન ડોલરનું વિદેશી રોકાણ પ્રાપ્ત થયું છે, જે એપ્રિલ 2000થી માર્ચ 2018 સુધી ભારતમાં થયેલા કુલ એફડીઆઇના પાંચ ટકા જેટલું છે.” વર્ષ 2013-’14થી 2017-’18 સુધીમાં એટલે કે છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં 10 અબજ અમેરિકન ડોલરની વિદેશી મૂડી પ્રાપ્ત થઈ છે. દેશ અને વિવિધ રાજ્યોમાં રોકાણને આકર્ષવા અને ઉત્પાદન ક્ષમતામાં ગતિ લાવવા માટે ‘મેક ઈન ઇન્ડિયા’ સેમિનારમાં ભાગ લેવા માટે 3,000થી વધુ લોકોએ રસ દાખવ્યો છે.

December 27, 2018
e_Commerce.jpg
1min5440

સરકારે ફ્લિપકાર્ટ અને ઍમેઝોન જેવી ઇ-કૉમર્સ કંપનીઓને લગતા નિયમો કડક બનાવવાના હેતુથી બુધવારે અનેક પગલાં લીધા હતા અને આ બે કંપનીઓ જે કંપનીઓમાં ઇક્વિટી હિસ્સો ધરાવતી હોય એના ઉત્પાદનો વેચવાની એમને મનાઈ કરી હતી.

  • જે કંપનીઓમાં ઇક્વિટી હિસ્સો ધરાવતી હોય એના ઉત્પાદનો વેચવાની મનાઈ
  • ઇ-કૉમર્સ કંપનીઓને ઉત્પાદનોના વિશિષ્ટ વેચાણ માટે કરાર કરવાની પણ મનાઈ

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઇ-કૉમર્સ કંપનીઓને ઉત્પાદનોના વિશિષ્ટ વેચાણ માટે કરાર કરવાની પણ મનાઈ કરી હતી.

મંત્રાલયે જણાવ્યું હતું કે ‘જે કંપનીમાં ઇ-કૉમર્સ માર્કેટપ્લેસ કંપની કે એના ગ્રુપની કંપનીઓનો હિસ્સો હોય અથવા તો એના ઉત્પાદનો પર ઇ-કૉમર્સ માર્કેટપ્લેસ કંપની કે એના ગ્રુપની કંપનીઓનો અંકુશ હોય એવી કંપની આવી માર્કેટપ્લેસ કંપની દ્વારા ચાલતા મંચ પર પોતાની પ્રૉડક્ટો નહીં વેચી શકે.’

એ ઉપરાંત, મંત્રાલયના નૉટિફિકેશન મુજબ ઑનલાઇન રીટેલ કંપનીઓમાંના સીધા વિદેશી રોકાણ પરની સુધારિત નીતિમાં જણાવાયું છે કે જે કંપનીમાં ઇ-રીટેલ કંપનીનું સીધું કે આડકતરું ઇક્વિટી રોકાણ હોય કે એવી કંપનીઓ દ્વારા સર્વિસ પૂરી પાડવાની રહેશે. માર્કેટપ્લેસ કંપનીની ગ્રુપ કંપનીઓ દ્વારા ખરીદદારોને પૂરી પડાતી કૅશ-બૅકની સુવિધા વ્યવહારું અને ભેદભાવ-વિનાનું હોવું જોઈશે.’

એમાં એવું પણ જણાવાયું છે કે આ કંપનીઓએ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)ને અધિકૃત ઑડિટરના રિપોર્ટ સાથેનું સર્ટિફિકેટ પણ નોંધાવવું પડશે. આ સર્ટિફિકેટ મારફત કંપનીએ દરેક વર્ષની 30મી સપ્ટેમ્બર સુધીમાં આગલા નાણાકીય વર્ષને લગતી માર્ગદર્શિકાઓનું પાલન થયું હોવાને પુષ્ટિ પણ અપાઈ હોવી જોઈશે.આ ફેરફારો આવતા વર્ષની 1લી ફેબ્રુઆરીથી અમલી બનશે.ઇ-કૉમર્સ કંપનીઓ દ્વારા વપરાશકારોને ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા હોવાની સ્થાનિક વેપારીઓએ અનેક ફરિયાદો કરી એને પગલે સરકાર તરફથી આ નિર્ણય આવી રહ્યો છે.વર્તમાન નીતિ મુજબ માર્કેટપ્લેસ ઇ-કૉમર્સ પ્રવૃત્તિઓમાં 100 ટકા ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ) એટલે કે સીધું વિદેશી રોકાણની છૂટ છે. જોકે, માલસામાન પર આધારિત પ્રવૃત્તિઓમાં એ પ્રતિબંધિત છે.

December 25, 2018
bank-strike.jpg
1min9510

તા.26મી ડિસેમ્બર 2018ને બોક્સિંગ ડે તરીકે મનાવવામાં આવે છે. આ બોક્સિંગ ડે ના દિવસે ભારતની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ હડતાળ પર જઇ રહ્યા છે.

દેનાબેંક, વિજયા બેંક અને બરોડા બેંકના એકત્રીકરણના નિર્ણયના વિરોધમાં તા.26મી ડિસેમ્બરે રાજકોટ સહિત દેશભરની રાષ્ટ્રીયકૃત બેંકોનાં કર્મચારી દ્વારા એક દિવસીય હડતાલ કરવામાં આવશે. આ હડતાલમાં દેશભરમાંથી 9 લાખ કર્મચારીઓ જોડાશે. રાજકોટમાં પરાબજાર ખાતે સવારે 10-30 કલાકે દેખાવ યોજવામાં આવશે.

ગુજરાત બેંક વર્કર્સ યુનિયન દ્વારા જણાવ્યા પ્રમાણે બેંકના એકત્રિકરણને લઇને એક મજબૂત બેંકનું નિર્માણ થશે કે તેની કાર્યક્ષમતામાં વધારો થશે તેવા કોઇ નક્કર અણસાર દેખાતા નથી. પાંચ સ્ટેટ સેક્ટર બેંકોને એસબીઆઇમાં મર્જ કરી દેવાયેલ છે. આ એકત્રિકરણનો અનુભવ સારો નથી. મર્જરને કારણે બેંકોની શાખાઓ બંધ થયેલ છે. બેંકનાં ડૂબત લેણામાં વધારો થયેલ છે. બસ્સો વર્ષનાં ઇતિહાસમાં પ્રથમવાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પ્રથમવાર ખોટ કરેલ છે.

આ ત્રણ બેંકોનાં કુલ ડૂબત લેણાં રૂ.80,000 કરોડ છે. એકત્રિકરણને કારણે ડૂબત લેણામાં કોઇ ફેરફાર થશે નહીં. હાલ પૂરતી વસૂલીમાં એકત્રિકરણને કારણે ઢીલાશ આવશે. પ્રજાનું ધ્યાન ડૂબત લેણાની વસૂલીને બદલે અન્ય બાબત પર કરવા માટે સરકારની આ ચાલ છે.
ગુજરાતમાં દેના બેંક અને બરોડા બેંકની શાખાઓ બાજુબાજુમાં છે. એક અંદાજ પ્રમાણે આ બંને બેંકોની લગભગ 300 શાખાઓ બંધ થશે. પ્રજા બેંકની સેવાથી વંચિત રહેશે. ગામડાઓમાં પણ શાખાઓ બંધ થશે. જ્યાં ખાનગી બેંકો જતી નથી. આમ ગ્રામ્ય પ્રજાને વધારે પ્રમાણમાં બેંકિંગ સેવાથી વંચિત રાખવામાં આવશે.

યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના નેજા હેઠળ દેશભરના 9 લાખ બેંક કર્મચારીઓ તા.26 ડિસે.ના રોજ એક દિવસની પ્રતિક હડતાલ પર જશે. સરકારનો યોગ્ય પ્રતિભાવ નહીં મળે તો આગળનો કાર્યક્રમ નક્કી થશે, તેમ મહામંત્રી કે.પી. અંતાણીની યાદીમાં જણાવાયું છે.