બિઝનેસ Archives - Page 75 of 90 - CIA Live

December 22, 2018
gst.jpg
1min5390
  • 32 ઈંચ સુધીના ટીવી, કમ્પ્યૂટર્સ સહિતની 7 વસ્તુઓને 28 ટકાના સ્લેબમાંથી બહાર કરીને 18 ટકાના સ્લેબમાં
  • 28% GST એરટેડ કોલ્ડડ્રિંક્સ, સિગારેટ, બિડી, તમાકુ ઉત્પાદો, પાન મસાલા, સ્મોકિંગ પાઈપ્સ, ઓટોમોબાઈલ્સ, એરક્રાફ્ટ્સ, યોટ્સ, રીવોલ્વર્સ અને પિસ્તોલ, લોટરી
  • ઓટો પાર્ટ્સ તેમજ સીમેન્ટને બાદ કરતા કુલ 7 વસ્તુઓને 18 ટકા સ્લેબમાં
  • સિનેમા ટિકિટ, થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ પર જીએસટી દરમાં ઘટાડો
  • રૂ. 100 સુધીની મૂવી ટિકિટ પર 18 ટકાને બદલે હવેથી 12 ટકા તેમજ રૂ. 100થી ઉપરની મૂવી ટિકિટ પર 18  જીએસટી

દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આજે ભારતના નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની મીટિંગમાં લેવાયેલા નિર્ણય મુજબ સામાન્ય ઉપયોગની 33 ચીજવસ્તુઓ પર GSTનો દર ઘટાડવામાં આવ્યો છે. આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં એવી ચીજો છે જેના પર અત્યાર સુધી 18 ટકા દર વસૂલવામાં આવતો હતો, પરંતુ હવે તેના પર 12 ટકા જીએસટી લગાવવામાં આવશે. જ્યારે કેટલીક આઇટમ્સને 12 ટકા GSTના દરથી નીચે 5 ટકાની શ્રેણીમાં લાવવામાં આવી છે.

વિપક્ષોની માગ અનુસાર 34 આઇટમ્સને છોડીને બાકી તમામને 18 અથવા તેથી ઓછા જીએસટી દર હેઠળ લાવવામાં આવી છે.

આજે તા.22મી ડિસેમ્બર 2018ના રોજ મળેલી બેઠક જીએસટી કાઉન્સિલની 31મી બેઠક હતી. આજે આખો દેશ આ કાઉન્સિલમાં લેવામાં આવનારા નિર્ણય પર મીટ માંડીને બેઠો હતો.

જીએસટી કાઉન્સિલ છેલ્લા કેટલાક સમયથી 28 ટકાના સ્લેબને સતત ઘટાડી રહી છે. આજે પણ અપેક્ષા હતી કે 28 ટકાના સ્લેબમાંથી અન્ય ઘણી ચીજોને હટાવવામાં આવી શકે છે. લિસ્ટમાં સૌથી ઉપર સિમેન્ટનું નામ હતું, જેના પર અત્યારે 28 ટકા ટેક્સ લાગે છે. જણાવી દઇએ કે અત્યાર સુધીમાં 39 વસ્તુઓ પર 28 ટકા ટેક્સ લાગતો હતો, જેની સંખ્યા હવે ઘટાડીને 34 કરી દેવામાં આવી છે. એટલે કે 5 અન્ય ઉત્પાદનોને 28 ટકા કે તેથી વધુના GST દરની બહાર કરવામાં આવી છે.

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે 99 ટકા વસ્તુઓ જીએસટીના 18 ટકા કે તેનાથી નીચેના દર હેઠળ લાવી દેવામાં આવે. જીએસટી કાઉન્સિલ જો આવો કોઈ નિર્ણય લેશે તો તમને ઘણી ચીજોના ભાવમાં રાહત મળી શકે છે. એક ખાસ વાત એ પણ છે કે જીએસટી નેટવર્કની સરકારી ઓનરશિપની કંપનીમાં સ્થાનાંતરણના મુદ્દે હાઇબ્રિડ કારો પર હાલના 28 ટકાના જીએસટી દર ઓછા કરવા પર પણ વિચાર થઈ શકે તેવી અપેક્ષા છે.

December 21, 2018
grahak.gif
1min9950

દેશમાં ગ્રાહકોના અધિકારો અને હક્કોની સુરક્ષા વધુ મજબૂત કરે તે સંદર્ભેના બિલને લોકસભામાં પસાર કરી દેવાયું છે. સર્વિસમાં ઊણપ કે ચીજ-વસ્તુમાં કોઈ નુકસાની હોય તો હવેથી ગ્રાહકોની ફરિયાદનું સત્વરે નિવારણ થઈ શકશે. કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલ 2018 કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986નું સ્થાન લેશે અને હવે તેને રાજ્યસભામાં પસાર કરાવવાનું રહેશે.

આ અંગેની ચર્ચામાં ગ્રાહક બાબતના કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે, છેલ્લાં 30 વર્ષથી આ કાયદામાં કોઈ સુધારો કરવામાં આવ્યો નહોતો અને ગ્રાહકોના અધિકારોને વર્તમાન સમયમાં વધુ સુરક્ષિત કરવા માટે તેમાં સુધારાની આવશ્યકતા હતી. બિલમાં કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનની રચના ઉપરાંત જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે ફોરમની રચનાનો માર્ગ મોકળો થાય તેવી જોગવાઈ કરવામાં આવી છે. ગ્રાહકોનાં હિતો, અધિકારો અને તેમના હક્કોના રક્ષણ માટે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીને તમામ પ્રકારની સત્તા આપવામાં આવી છે.

બિલમાં ગ્રાહકોના અધિકારોનો પ્રોત્સાહન, રક્ષણ આપવા સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી સ્થાપવાની સત્તા આપવામાં આવી છે.

બીજુ જનતા દળના તથાગત સતપથીએ કહ્યું હતું કે, “આ બિલમાં અમલદારશાહીને વધુ પડતી સત્તા આપી દેવામાં આવી છે, તેને સ્થાને થોડી અલગ જોગવાઈઓ હોવી જોઈતી હતી. તેમણે કહ્યું કે, બિલમાં દેશના બંધારણીય માળખાને હાનિકર્તા જોગવાઈઓ છે.” આના જવાબમાં પાસવાને જણાવ્યું હતું કે, બિલમાં આ પ્રકારની કોઈ જોગવાઈ નથી અને તેને કારણે ગ્રાહકોને લાભ થશે.આ ચર્ચામાં એનસીપી, ટીએમસી અને જેડીયુના સભ્યોએ ભાગ લીધો હતો.

December 21, 2018
CIA_Live_Logo_New2.jpg
1min12670

દેશમાંં એક પછી એક રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવાના નિર્ણય સામે હવે વેપારીઓએ બાંયો ચઢાવી છે. દિલ્હીમાં યોજાયેલી કૉન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેઈટ)ની યોજાયેલી બેઠકમાં વેપારીઓએ એકમતે ખેડૂતોના દેવાને માફ કરવાને કરદાતાઓ સાથેનો વિશ્ર્વાસઘાત ગણાવ્યો હતો અને જો ખેડૂતોના દેવા માફ થઈ શકતા હોય તો વેપારીઓના માથા પર રહેલા દેવા, જુદા જુદા બાકી રહેલા કરવેરા તેમ જ પૅનલ્ટીને માફ કરવાની માગણી કરી હતી.

દિલ્હીયમાં યોજાયેલી કેઈટની બેઠકમાં દેશના 26 રાજ્યોના વેપારીઓએ હાજરી પુરાવી હતી. આ બેઠકમાં જીએસટી સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન હાલમાં જ અનેક રાજ્યોમાં સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે, તેના પર વેપારીવર્ગે નારાજગી વ્યકત કરી હતી. ખેડૂતોના દેવા માફ કરવાને વેપારીઓએ કરદાતાઓ સાથેનો વિશ્ર્વાસઘાત ગણાવ્યો હતો. દેશની કોઈ પણ સરકાર અથવા રાજકીય પાર્ટીને પોતાની મનમાની કરતા રાજ્કીય ફાયદા માટે કોઈ પણ એક વર્ગની લોન માફ કરવાનો અધિકાર નથી. લોન માફ કરવાને બદલે તે વર્ગની સમસ્યાનો નિકાલ લાવવાની દલીલ વેપારીઓએ આ બેઠકમાં કરી હતી.

વેપારીવર્ગની નારાજગી બાદ કૉન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડેર્સે પણ ખેડૂત વર્ગના દેવા માફ કરવા બદલ ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે જો કોઈ એક વર્ગનું દેવું માફ કરવામાં આવતું હોય અને આવો માફીનો જ વેપાર કરવાના હોય તો પછી દેશના સાત કરોડ વેપારીઓના માથા પર રહેલી લોન અને જુદા જુદા કરવેરાને પણ માફ કરી દેવા જોઈએ.

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે, વેપારીઓ પાસેથી વસૂલ કરવામાં આવતા જુદા જુદા કરવેરાને કારણે સરકારને આવક ઊભી થાય છે પણ તેની સામે વેપારીઓને કંઈ મળતું નથી. અનેક પ્રકારના દસ્તાવેજોની કાર્યવાહી, જટિલ કર પ્રક્રિયા અને તેના પર થતા ખર્ચને કારણે વેપારીઓે પહેલાથી પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તેમાં પણ પેપર સબમીટ કરતા સમયે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તેમને દંડ ફટકારવામાં આવે છે અને અનેક પ્રકારનો માનસિક ત્રાસ પણ ભોગવવો પડે છે. છતાં આજ સુધી તેમને કોઈ પ્રકારની માફી કે પછી સુવિધા કોઈ પણ સરકાર તરફથી આપવામાં આવી નથી. ત્યારે વોટની લાલચમાં દર વર્ષે ખેડૂતોને લોન માફ કરીને તેને પંગુ બનાવવામાં આવી રહ્યો છે.

વધુ બોલતા તેમણે આ મીટિંગમાં કહ્યું હતું કે, ખેડૂતો દેશના અન્નદાતા છે અને તેની મહેનત પ્રમાણે તેને સમ્માન મળવું જોઈએ પણ સરકારે તેમને દેવામાં માફી આપવાને બદલે દેવાના ચક્કરમાંથી બહાર કાઢવું જોઈએ. ખેડૂતોને દેવામાં માફીને બદલે કરમુક્ત વીજળી આપવી, પાકના સારા ભાવ આપવા જોઈએ, ખેતી માટે સારા ઉપકરણ આપવામાં આવે અને તેમના પાકનો પણ વીમો હોય, સિંચાઈની શ્રેષ્ઠ સુવિધા આપવામાં આવે, કોલ્ડ સ્ટોરેજની સગવડ આપવી, પાક માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવી. આવી અનેક સગવડો સરકાર આપે તો તેમના દેવા માફ કરવાની આવશ્યકતા રહેશે નહીં.

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડેસના નેશનલ ગવર્નિંગ કાઉન્સિલના મેમ્બર શંકરભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, દરેક રાજ્યના વેપારીઓના પ્રતિનિધિ મંડળ આ બાબતે સરકારને પત્ર લખીને વિનંતી કરવાની છે. તેમ જ આગામી મહિનાની 12 અને 13 તારીખના આ મુદ્દે ભોપાલમાં કૉન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સની બેઠક થવાની છે, તેમાં આગળ શું પગલાં લેવા તે બાબતે રણનીતિ નક્કી કરશે.

December 19, 2018
medical_logo.jpg
1min6710

શું શું તકલીફો થાય છે હોસ્પિટલ્સના બિલ્સમાં

  • હોસ્પિટલનાં બિલ્સમાં દવાઓના અને હોસ્પિટલના વિવિધ ચાર્જિસ સામેલ હોય
  • હોસ્પિટલ જે સર્વિસિસ આપે છે તેના પર કોઈ ટેક્સ લાગતો નથી
  • દવાઓ અને અન્ય વપરાશની આઇટમ પર GST લાગે
  • કોસ્ટમેટિક સર્જરી અને હેર ટ્રાન્સપ્લાન્ટને બાદ કરતાં અન્ય હેલ્થકેર સર્વિસિસને GSTમાંથી બાકાત
  • ઇમ્પ્લાન્ટ અને આર્ટિફિશિયલ લિમ્બસ ટેક્સેબલ

દેશભરમાં GST લાગૂ થયા બાદ સૌથી મોટી માથાકૂટ જો ક્યાંય થતી હોય તો એ હોસ્પિટલ્સના મેડીકલ બિલ્સમાં થાય છે. હોસ્પિટલ્સ દ્વારા દર્દીઓ કે તેમના સગાવ્હાલાઓને આપવામાં આવતા બિલ્સમાં બધી જ બાબતો સમાવી લેવામાં આવે છે જેના કારણે ઘણી બધી ટેકનિકલ ક્ષતિઓ સપાટી પર આવી હતી. હોસ્પિટલ્સ દવાઓની રકમ, હોસ્પિટલ્સની જુદી જુદી સર્વિસીઝની રકમ, ડોક્ટર્સના વિઝીટ ચાર્જિસ વગેરેનું એક કોમન બિલ જીએસટી લાગૂ કરીને આપી દેતી હોવાથી ગ્રાહકોને બિલની રકમમાં અન્યાય થતો હોવાની ફરીયાદો દેશવ્યાપી સ્તરે ઉઠી હતી. પરીણામે જીએસટી કાઉન્સિલે આમાં સુધારો કરવાનું મન બનાવ્યું હોવાનું જાણવા મળે છે.

હોસ્પિટલોએ દવાઓના અને હોસ્પિટલની સર્વિસિસનાં અલગ અલગ બિલ આપવાં જોઈએ. આનાથી, ગ્રાહકોને પણ ખર્ચ અંગે પારદર્શક માહિતી મળશે. એવી વ્યવસ્થા ગોઠવવા અંગેની સૂચનાઓ જારી કરાશે એમ જીએસટી કાઉન્સિલના સૂત્રોએ જણાવ્યું હતું.

GST કાઉન્સિલની આગામી બેઠકમાં દર્દીઓનાં હોસ્પિટલનાં બિલ્સને અનબન્ડલિંગ કરવાની દરખાસ્ત પર વિચારણા થશે અને જો તેને મંજૂરી મળશે તો ગ્રાહકો માટે મેડિકલ બિલ્સમાં જેની તાતી જરૂર છે તેવી પારદર્શકતા લાવવામાં મદદ મળશે. 2017ના જુલાઈથી લાગુ થયેલા ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) હેઠળ નવા ટેક્સ કાયદાનો નિર્ણય લેવાની સર્વોચ્ચ સત્તા આ કાઉન્સિલ પાસે છે અને તેના દ્વારા જ આ દરખાસ્ત અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

સામાન્ય રીતે, હોસ્પિટલનાં બિલ્સમાં દવાઓના અને હોસ્પિટલના વિવિધ ચાર્જિસ સામેલ હોય છે. હોસ્પિટલ જે સર્વિસિસ આપે છે તેના પર કોઈ ટેક્સ લાગતો નથી જ્યારે દવાઓ અને અન્ય વપરાશની આઇટમ પર GST લાગે છે. કોસ્ટમેટિક સર્જરી અને હેર ટ્રાન્સપ્લાન્ટને બાદ કરતાં અન્ય હેલ્થકેર સર્વિસિસને GSTમાંથી બાકાત રાખવામાં આવી છે. ઇમ્પ્લાન્ટ અને આર્ટિફિશિયલ લિમ્બસ ટેક્સેબલ છે.

ટેક્સ અધિકારીઓને એવી ચિંતા છે કે, દર્દીઓ પાસેથી દવાઓ પર લાગતો GST ચાર્જ કરીને પૈસા લઈ તો લેવામાં આવે છે પરંતુ આ ટેક્સની રકમ સરકારી તિજોરી સુધી પહોંચતી નથી કારણ કે, હોસ્પિટલો દવાઓના અને હોસ્પિટલના ચાર્જિસનાં તમામ બિલને બન્ડલિંગ કરી દે છે.

હોસ્પિટલે MRP (મહત્તમ વેચાણ કિંમત) કરતાં ઓછી કિંમતે દવા મેળવી હોવા છતાં તે દર્દીઓ પાસેથી ફુલ MRP વસૂલતી હોવાના અનેક કિસ્સા ટેક્સ અધિકારીઓની સામે આવ્યા છે. અધિકારીઓએ મુંબઈ સહિતનાં કેટલાંક મોટાં શહેરોની અગ્રણી હોસ્પિટલ્સની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલ ચેઇન્સ દ્વારા જે પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે તેની વિગતો મેળવી હતી.

જો બિલ્સ અનબન્ડલ થઈ જશે તો જે હોસ્પિટલે રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેણે હવે GSTનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને ટેક્સ ઉઘરાવીને સરકારમાં જમા પણ કરાવવો પડશે.

કેટલાક હેલ્થકેર પ્રોવાઇડર્સ હેલ્થકેર સર્વિસિસ પર પાંચ ટકા GSTની માંગણી કરી રહ્યા છે કારણ કે તેમણે પણ હોસ્પિટલ દ્વારા જે સર્વિસિસ અને ગૂડ્ઝ લેવામાં આવે છે તેના પર ટેક્સ ચૂકવવો પડશે અને તેમને ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળતી નથી. ટેક્સ નિષ્ણાતો જણાવે છે કે, ગૂડ્ઝનો સપ્લાય ઓફર થતી સર્વિસ સાથે સંકળાયેલો છે અને તે કમ્પોઝિટ સપ્લાયની કેટેગરીમાં આવે છે.

December 18, 2018
gst.jpg
1min5420

GSTની ચોરી શોધી કાઢવા માટે ગુજરાતમાં શરૂ કરવામાં આવેલી સ્થળ તપાસની કાર્યવાહીમાં વેપારીઓ અને GST અધિકારીઓ વચ્ચે સંઘર્ષમયી સ્થિતિનું નિર્માણ થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવાય રહી છે. એક તરફ GST તંત્રનું કહેવું છે કે ચોરી પકડી પાડવા માટે આ ફક્ત સ્થળ તપાસ અભિયાન છે, જ્યારે વ્યાપારી વર્ગ ખાસ કરીને સુરતમાં ટેક્સટાઇલ ક્લસ્ટરના આગેવાનોનું કહેવું છે કે વ્યાપારીઓ માટે એક પ્રકારની વધુ હેરાનગતિ સિવાય બીજું કશું નથી.

GST અધિકારી ધંધા સ્થળે જઇને તપાસ કરશે અને ધંધાની માહિતી મેળવશે. GST ચોરીની સાથે સાથે ખોટી રીતે રિફંડ લેનારા વેપારીઓને પકડી પાડવા માટે હવે સ્થળ તપાસ જરૂરી બની હોઇ ગુજરાત GST તંત્રવાહકોએ હવે સ્થળ તપાસ અભિયાન હાથ ધર્યું છે. આખા રાજ્યમાં આવેલી દુકાનો, કમર્શિયલ એકમો, યુનિટ્સ, મેન્યુફેક્ચરીંગ કંપની, ફેક્ટરીઝ વગેરેમાં GST અધિકારીઓ તપાસ હાથ ધરશે.

ગુજરાત GST તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં GST નંબર મેળવનાર વેપારીઓને ત્યાં વેચાણવેરા અધિકારી નિરીક્ષણ કરીને ફોટાગ્રાફી કરશે અને જો ધંધાના સ્થળે GST નંબરનું બોર્ડ નહીં હોય તો પેનલ્ટી પણ ફટકારી દેવામાં આવશે અને GSTની ચોરી કરનારા વેપારીઓની ઓળખ કરવામાં આવશે.

GST ચોરીના કારણે અન્ય ઇમાનદાર વેપારીઓને સહન કરવું પડે છે. જેમકે ખોટા દસ્તાવેજો રજુ કરીને રિફંડ કલેમ કરનારા વેપારીઓની સાથે હવે કડક કાર્યવાહી કરાશે, આગાઉ પણ બોગસ રિફંડ લેનાર ૬ વેપારીઓને પકડી લેવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે. કેટલાક વેપારીઓ GSTઆર-૧ ભરતા નથી. GST વિભાગ પાસે ૧૮,૧૯૮ અરજીઓ રિફંડની આવી હતી. જેમાં તપાસ કરીને ૧૭,૩૦૫ અરજીઓનો નિકાલ કરીને ૨,૯૯૬ કરોડનું રિફંડ ચૂકવી દેવામાં આવ્યું હતું.

તા.૧-૭-૧૭ થી તા.૧૪-૧૨-૧૮ સુધીમાં જેમણે GSTના નવા નંબર માટે અરજી કરી હતી તેમના ધંધા સ્થળની GST અધિકારીઓ મુલાકાત લેશે. GST નંબરવાળું બોર્ડ રાખવું પડશે. બિલ બુક રસીદ, હાજર સ્ટોક, ખરીદી-વેચાણ અને રોજમેળના હિસાબો ઉપરાંત કોમ્પોઝિશન ડીલર હોય તો તેનું બોર્ડ રાખવું પડશે. ધંધાના સ્થળની મુલાકાત લઇને નિયમ ૨૫ મુજબ ફોટોગ્રાફી પણ લેશે. જે નિયમનું પાલન નહીં કર્યું હોય તો પેનલ્ટી પણ ફટકારી દેવામાં આવશે.

 

December 17, 2018
pro_logo.jpg
1min15130

  • નવ શહેરોમાં મકાનના વેચાણના પ્રમાણમાં 25 ટકા જેટલી વૃદ્ધિ
  • 2018માં નવા ઘરોની આપૂર્તિમાં 22 ટકાનો ઘટાડો
  • સસ્તા મકાનની માગમાં થયેલો વધારા

દેશના 9 પ્રમુખ શહેરોમાં 2018ના વર્ષમાં મકાનના વેચાણના પ્રમાણમાં 25 ટકા જેટલી વૃદ્ધિ થઈ 3.1 લાખ એકમ સુધી પહોંચ્યું છે. પ્રોપટાઈગર.કોમના રિપોર્ટ અનુસાર સસ્તા મકાનની માગમાં થયેલા વધારાને કારણે મકાનના વેચાણમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ગયા વર્ષની સરખામણીએ 2018માં નવા ઘરોની આપૂર્તિમાં 22 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેનું મુખ્ય કારણ રોકડની અછત અને રેરાની કડક અમલવારી હોવાનું ગણવામાં આવે છે.

નવ શહેરોમાં થયો હતો સરવે

  • મુંબઈ
  • પુણે
  • નોઈડા
  • ગુરૂગ્રામ
  • બેંગલુરૂ
  • ચેન્નઈ
  • હૈદરાબાદ
  • કોલકાત
  • અમદાવાદ

પ્રોપટાઈગરના’ રિપોર્ટમાં મુંબઈ, પુણે, નોઈડા, ગુરૂગ્રામ, બેંગલુરૂ, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા અને અમદાવાદના રીયલ એસ્ટેટ ક્ષેત્રનો સર્વે કરવામાં આવ્યો હતો.’ રીયલ એસ્ટેટના ક્ષેત્રમાં એક વર્ષના લેખાજોખામાં પ્રોપ ટાઈગરે કહ્યું છે કે, ગયા વર્ષે નોટબંધીના પ્રભાવના કારણે મકાનના વેંચાણમાં ઘટાડો આવ્યો હતો. આ ઉપરાંત મે 2017થી લાગુ થયેલા રેરાના કાયદા અને જીએસટીની અમલવારી પણ પ્રભાવિત રહી હતી.

રિયલ્ટી પોર્ટલના કહેવા પ્રમાણે 2018માં નવા મકાનની આપૂર્તિ ગયા વર્ષની તુલનાએ 22 ટકા ઘટીને 1.9 લાખ એકમએ પહોંચી હતી. નવા રીયલ એસ્ટેટ કાયદા રેરાની જોગવાઈની કડક અમલવારીના કારણે બિલ્ડરોએ નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં ભારે સાવધાની રાખી હતી. આ ઉપરાંત રોકડની અછતાના કારણે પહેલા બનાવેલા મકાન વેંચાયા ન હોવાની નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા ન હોવાનું કહેવામાં આવ્યું છે. અહેવાલ પ્રમાણે 2018માં મુંબઈમાં ઘરોનું વેચાણ 34 ટકા વધ્યું હતું. જ્યારે પુણેમાં વેચાણ પાછલા વર્ષની સરખામણીએ 47 ટકા વધ્યું છે. આ ઉપરાંત દક્ષિણના રાજ્યોમાં પણ મકાનના વેચાણમાં ભારે ઉછાળો નોંધાયો છે.

December 15, 2018
sparkle.jpg
1min7160

સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે ચાલી રહેલા સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આયોજિત સ્પાર્કલ એક્ઝીબિશનમાં અત્યંત ટાઇટ સિક્યુરિટી, સતત કેમેરા સર્વેલન્સ વચ્ચે પણ તસ્કરો ચોરી કરવાની હિંમત દાખવે છે. શુક્રવાર તા.14મી ડિસેમ્બર 2018ની સાંજે સ્પાર્કલ પ્રદર્શનમાં મુલાકાતીઓની સંખ્યા ઠીકઠીક હતી ત્યારે એક ગઠીયાએ સુરતના જ એક વેપારીના સ્ટોલ પરથી 99.13 કેરેટના હીરા ચોરીછૂપીથી તફડાવી લીધા હતા. બાદમાં બનાવની જાણ થતાં ખટોદરા પોલીસ મથકે ફરીયાદ કરવામાં આવી હતી.

ચેમ્બરના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે ચાલી રહેલા જેમ એન્ડ જ્વેલરીના સ્પાર્કલ 2018 પ્રદર્શનમાં 212 નંબરનો સ્ટોલ સુરતના નાનપુરા સ્થિત સિદ્ધશીલા એપાર્ટમેન્ટમાં રહેતા જ્વેલર તેજશ સુરેશભાઇ શાહ ધરાવે છે. શુક્રવારે સાંજે તેમના સ્ટોલ પર મુલાકાતી બાયર તરીકે આવેલા એક ગઠીયાએ 99.13 કેરેટના હીરા નજર ચૂકવીને ચોરી લીધા હતા. બાદમાં હીરાના સ્ટોકની ઘટ આવતા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કુલ રૂ.6 લાખની બજાર કિંમત ધરાવતા હીરા ગૂમ થયા હતા.

તાત્કાલિક સી.સી. ટીવી કેમેરામાં તપાસ કરવામાં આવતા જે ગઠીયાએ ચોરી કરી હતી એ તમામ સ્પષ્ટ દેખાઇ આવ્યું છે. બનાવ અંગે પોલીસને ફરીયાદ કરવામાં આવી છે. પોલીસ આશાવાદ સેવી છે કે સ્પાર્કલ પ્રદર્શનમાંથી હીરા તફડાવનાર તસ્કર ટૂંક સમયમાં પોલીસ ઝડપી લેશે.

December 10, 2018
urjit_patel.jpg
1min5140

RBIના ગવર્નર ઉર્જિત પટેલે અચાનક જ રાજીનામું આપી દીધું છે. જેની પાછળ ઉર્જિત પટેલે અંગત કારણોને જવાબદાર ગણાવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે ઉર્જિત પટેલ અને કેંદ્ર સરકાર વચ્ચે અનેક મુદ્દાઓ પર તણાવ અને મતભેદ ચાલી રહ્યા હતા. જો કે છેલ્લા કેટલાક દિવસો RBIની બોર્ડની બેઠક બાદ અહેવાલો આવ્યા હતા કે સરકાર અને ઉર્જિત પટેલ વચ્ચે બધું ઠીક થઈ ગયું છે. જો કે તે વચ્ચે આજે તા.10મી ડિસેમ્બર 2018ના રોજ સાંજે આર.બી.આઇ.ના ગવર્નર ઉર્જિત પટેલે અચાનક રાજીનામું આપી દીધું હતું.

“કેટલાક અંગત કારણોના લીધે મે મારા વર્તમાન હોદ્દા પરથી રાજીનામું આપવાનું નક્કી કર્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈંડિયા છે વર્ષો સુધી અલગ અલગ હોદ્દા પર કામ કરવા મળ્યું તે મારા માટે ગૌરવની વાત છે. RBIના તમામ કર્મચારીઓ, અધિકારીઓ અને મેનેજમેન્ટના સહયોગથી બેંકે આ વર્ષોમાં ઘણી સિદ્ધીઓ મેળવી છે. હું મારા સહકર્મચારીઓ અને RBIના સેંટ્રલ બોર્ડના ડિરેક્ટરનો આભાર માનું છું, અને હું તેમને ભવિષ્ય માટે શુભકામનાઓ આપું છું”

આવતીકાલ તા.11મી ડિસેમ્બર 2018નો દિવસ ભારતના અર્થતંત્ર માટે નઠારો બની રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. શેરબજાર પર ઉર્જિત પટેલના રાજીનામાની ઘેરી અસર પડવાની શક્યતાઓ નકારી શકાતી નથી તો બીજી તરફ પાંચ રાજ્યોની ચૂંટણીના પરીણામો પણ ભારતીય અર્થતંત્રને મોટી અસર કરે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.

December 10, 2018
sensex.jpg
1min9480

આજે સેન્સેક્સ 35058.76 પોઈન્ટ થયો છે. તો નિફ્ટી 193.55 અંક ઘટીને 10,500ના સ્તરે પહોંચ્યું

તા. 11મી ડિસેમ્બર 2018 ને મંગળવારે ભારતના 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવવાના છે, પણ તે પહેલા જાહેર થયેલા એક્ઝિટ પોલ્સમાં ભાજપાને મોટું નુકસાન વેઠવું પડે તેવી આગાહીઓ થતાં ચાલુ અઠવાડિયાના પ્રથમ દિવસે બજારમાં હાહાકાર મચ્યો છે. આજે સેન્સેક્સ 35058.76 પોઈન્ટ થયો છે. તો નિફ્ટી 193.55 અંક ઘટીને 10,500ના સ્તરે પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કેચૂંટણીના પરિણામ પહેલા શુક્રવારે એક્ઝિટ પોલના પરિણામ આવ્યા ત્યારથી જ ભાજપ માટે સ્થિતિ ચિંતા જનક દેખાઈ રહી છે.

બેન્ક સેક્ટરના શૅરના ભાવ પણ સતત ઘટી રહ્યાં છે. જે શૅરના ભાવમાં સૌથી વધુ ઘટાડો થયો છે તેમાંના વિપ્રો, એક્સિસ બેન્ક, ઈંડસ્લેન્ડ બેન્ક, પાવર ગ્રિડ, ONGC, HDFC Bank, ITC, L&T, ટાટા સ્ટીલ, NTPC, SBIN, હીરો મોટોકોર્પ વગેરે છે.

ગત સપ્તાહે એટલે કે શુક્રવારે ફાઈનેન્શિયલ અને બેઁક શૅરમાં ખરીદદારો વધવાને કારણે સેન્સેક્સ 361 અંક વધીને 35,673ના સ્તરે બંધ થયો હતો. ત્યાં જ નિફ્ટી પણ 92 અંકની તેજી સાથે 10693 અંકે બંધ થયો. આ પહેલા ગુરુવારે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 562 અંક ગબડીને 35,312ના સ્તરે બંધ થયો. ત્યાં જ નિફ્ટી 181 અંકથી સીધું 10601ના સ્તરે પહોંચ્યું હતો.

બુધવારે પણ સેન્સેક્સ લગભગ 250 જેટલું તૂટીને 35, 884 પર બંધ થયો. જ્યારે નિફ્ટી ગબડીને 10784 પર હતો. ભારતીય શૅર બજાર માટે મંગળવારનો દિવસ પણ સારું નહોતો. જેમ કે સેન્સેક્સ 107 અંક ગબડીને 36,134 પર બંધ થયો જ્યારે નિફ્ટી પણ ગબડીને 10869 પર આવ્યો. ત્યાં જ સોમવારે છઠ્ઠા વેપારી સત્રમાં તેજીનો સિલસિલો ચાલ્યો હતો. સોમવારે સેન્સેક્સ 47 અંકના સામાન્ય ઉછાળા સાથે 36,241ના અંકે બંધ થયો જ્યારે નેશનલ સ્ટેક એક્સચેંજના નિફ્ટીમાં 7 અંકના વધારા સાથે 10,883.75ને અંકે બંધ થયો.

ડૉલરની સામે રૂપિયાની શરૂઆત જ ઘટાડાથી થઈ. રૂપિયો 54 પૈસા તૂટીને 71.34ના સ્તરે ખૂલ્યો ત્યાં જ ગત વેપારી સત્રમાં રૂપિયો 10 પૈસાના વધારાની સાથે 70.80ના સ્તરે બંધ થયો.

December 8, 2018
diamond.jpg
1min5510

વિશ્વમાં ડાયમંડ સિટી તરીકે જાણીતા અને હીરા કટિંગ-પોલિશિંગના હબ ગણાતા સુરતમાં દિવાળી વેકેશનથી બંધ થયેલા સેંકડો નાના કારખાનાઓ દિવાળીના એક મહિના પછી પણ હજુ સુધી શરુ થયા નથી. મોટા કારખાનાઓ શરૂ થઇ ચૂક્યા છે પરંતુ, કમસે કમ 50 હજાર લોકોને રોજગારી આપતા નાના હીરાના કારખાનાઓમાં જોબવર્કના અભાવે હજુ સુધી કારખાનેદારોએ કારીગરોને કામ પર બોલાવ્યા ન હોવાની વિગતો જાણવા મળી છે.

ગુજરાતના બે શહેરો અમદાવાદ અને સુરતના હીરા ઉદ્યોગમાં વિરોધાભાસી સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદમાં કારખાનાઓ ધમધોકાર ચાલે છે જ્યારે સુરતના હીરાના કારખાનાઓમાં મંદીની અસર જોવા મળી રહી છે, દિવાળી અગાઉ કેટલાક કારખાનાઓમાં કામ નહીં હોવાથી વેકેશન પહેલા જ રજાઓ આપી દેવામાં આવી હતી.

દિવાળીના તહેવારો પૂરા થયા ને એક મહિના પછી પણ રજાઓની સ્થિતિ જૈસે થે જેવી છે. નાના કારખાનાઓ હજુ સુધી ખુલ્યા નથી. હવે ક્રિસમસની ખરીદી નહીં નીકળતાં હીરાબજારનું નૂર ઊડી ગયું છે. નાના અને પોલિશ્ડ હીરાનું સૌથી મોટું માર્કેટ સુરત હોઈ મંદી વધતાં દિવાળી વેકેશન પછી પણ 30 ટકાથી વધુ નાના કારખાનાઓ શરૂ થઈ શક્યા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળી પછી હીરા ઉદ્યોગમાં તેજી આવશે. તેવી ધારણા હતી, તે ખોટી પડી છે. મોટા કારખાનામાં હિરાનું કામકાજ મંદ ગતિએ શરૂ થયુ છે. પણ નાના યુનિટને શરૂ થતાં હજુ પખવાડિયું નીકળી જાય તેવી શક્યતા છે. નાના કારખાનેદારો પાસે કામ જ ન હોય તો તેઓ કારીગરોને કારખાને બેસાડીને વગર કામનો પગાર કેમ ચૂકવે એ મુશ્કેલીએ નાના હીરાના કારખાનાઓને કામ મળતાં હજુ 1પ દિવસ લાગશે. દિવાળી અગાઉ જ હિરાબજારમાં મજબૂત ડોલર અને મોંઘા રફ હીરાની વિપરીત અસર જોવા મળી હતી અને નાના યુનિટો માટે કામગીરી મુશ્કેલ બની હતી. આ સ્થિતિમાં અનેક નાના યુનિટો બંધ થયા હતા.