CIA ALERT

Alert Archives - Page 89 of 511 - CIA Live

October 9, 2022
solar.jpeg
1min466

પુષ્યનક્ષત્રથી દિવાળીના પર્વની શરૂઆત થશે. આ વર્ષે દિવાળીના પર્વમાં તિથિમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ધનતેરસ 22 અને 23 ઓક્ટોબર એમ બે દિવસ ઉજવાશે. 22 ઓક્ટોબરે સાંજે 6.05 કલાકથી આસો વદ તેરસ તિથિ શરૂ થઈ રહી છે. જે 23 ઓક્ટોબરને સાંજે 6.03 કલાક સુધી રહેશે. એટલે કે 22 અને 23 ઓક્ટોબર એમ દિવસ ધનતેરસ રહેશે.
દિવાળી અને બેસતા વર્ષની વચ્ચે ધોખો છે. એટલે કે એક દિવસ પડતર છે. એ ખાલી દિવસમાં સૂર્યગ્રહણ થવાનું છે. 24 ઓક્ટોબરે દિવાળી છે અને 26 ઓક્ટોબરે બેસતું વર્ષ છે. 25 ઓક્ટોબરને મંગળવારના રોજ ખંડગ્રાસ સૂર્યગ્રહણ થવાનું છે. સંવત 2078નું અંતિમ અને એકમાત્ર સૂર્યગ્રહણ છે જે ભારતમાં દેખાવાનું છે. પરિણામે મંદિરો અને ધાર્મિક ક્રિયાઓમાં વેધ પાળવાનો રહેશે.

ગ્રહણ જેવી ખગોળીય ઘટનાનું ધાર્મિક અને જ્યોતિષની દ્રષ્ટિએ મહત્વ રહેલું છે. 25 ઓક્ટોબરે થનારું ખંડગ્રાસ સૂર્યગ્રહણ ચર્ચાનો વિષય બન્યું છે કારણકે તે દિવાળી અને બેસતા વર્ષની વચ્ચે છે. બંને શુભ તહેવારોની વચ્ચે ગ્રહણ આવી જતાં લોકોમાં પણ શુભ કાર્યોને લઈને અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. સંવત 2078માં કુલ પાંચ ગ્રહણ થયા છે, જે પૈકીનું છેલ્લું 25 ઓક્ટોબરને મંગળવારે થશે. તુલા રાશિમાં સ્વાતિ નક્ષત્રમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ ભારત, પશ્ચિમ એશિયા, યુરોપ, ઉત્તર-પૂર્વ આફ્રિકામાં દેખાશે.

ગ્રહણ સ્પર્શ બપોરે 2.28 મિનિટે થશે. ગ્રહણ મધ્ય સાંજે 4.29 કલાકે અને ગ્રહણ મોક્ષ સાંજે 6.32 કલાકે થશે. અગાઉ 19 નવેમ્બર 2021ના રોજ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થયું હતું, 4 ડિસેમ્બર 2021ના રોજ ખગ્રાસ સૂર્યગ્રહણ હતું. 30 એપ્રિલ 2022ના રોજ ખંડગ્રાસ સૂર્યગ્રહણ અને 16 મેએ થયેલું ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાયું નહોતું. હવે, 25 ઓક્ટોબરે થનારું ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે. જેથી મંદિરમાં ધાર્મિક વિધિ પ્રમાણે ક્રિયાઓ થશે. વેધ પાળવાનો હોવાથી મંદિરના મુખ્ય દ્વાર ગ્રહણ વખતે બંધ રખાશે.

આ વર્ષે કાળી ચૌદશ અને દિવાળી તેમજ નૂતન વર્ષ પણ તિથિના વિચિત્ર સંયોગ વચ્ચે ઉજવાશે. સોમવારે 24 ઓક્ટોબરે સાંજે 5.28 કલાક સુધી ચૌદશની તિથિ છે. રવિવારે સાંજે 6.04 કલાકથી સોમવારે સાંજે 5.28 સુધી ચૌદશની તિથિ છે. 24 ઓક્ટોબરે જ સાંજે 5.29 કલાકથી દિવાળી શરૂ થાય છે. એ જ દિવસે દિપમાલા અને દિપદાન થશે. ચિત્રા નક્ષત્રમાં દિવાળી પર્વ ઉજવાશે. મંગળવારે સાંજે 4.19 કલાક સુધી અમાસ ચાલશે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ હોવાથી વચ્ચેનો દિવસ ખાલી છે. બુધવારે નૂતન વર્ષ ઉજવાશે અને એ જ દિવસે બપોરે 2.43 કલાકથી બીજનો પ્રારંભ થશે.

October 8, 2022
cia_multi-1280x1045.jpg
1min594

શરદ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ આજે તા.8મી ઓક્ટોબર 2022ના રોજ સુરત શહેરની વચ્ચેથી પસાર થતી તાપી નદીના ઉપરવાસમાં આવેલા ઉકાઇ ડેમની પાણીની સપાટી 345 (ભયજનક)ને આંબીને 345.12 હોવાની વિગતો સત્તાવાર રીતે સરકારના માહિતી ખાતા દ્વારા જારી કરવામાં આવી હતી. ઉકાઇ ડેમમાં કરવામાં આવી રહેલા વોટર મેનેજમેન્ટ અંતર્ગત 345 ફૂટની સપાટીને આજની તારીખનું રૂલ લેવલ ગણવામાં આવી રહ્યું છે અને આ રૂલ લેવલને ભયજનક સપાટી પણ ગણવામાં આવે છે. જોકે 345.12 ફૂટ પાણીની સપાટી હોવા છતાં સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પૂર આવવાની કોઇ શક્યતા નથી. સુરતીઓએ કોઇપણ પ્રકારની અફવા કે ખોટી માહિતીથી દોરવાવું નહીં.

મળતી માહિતી મુજબ પાછોતરા વરસાદને કારણે હાલમાં ઉકાઇ ડેમમાં પાણીનો આવરો 66 હજાર ક્યુસેક્સ જેટલો છે જ્યારે 52 હજાર ક્યુસેક જેટલું પાણી ઉકાઇ ડેમમાંથી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

ઉકાઇ ડેમમાં આજની પાણીની સપાટી સાથે જ ડેમ 100 એ 100 ટકા ભરાઇ ગયો હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. સુરત શહેર જિલ્લા સહિત તાપી જિલ્લામાં પણ ખેતી સિંચાઇ સહિતના વપરાશ માટેનો મુખ્ય જળસ્ત્રોત ઉકાઇ ડેમ છે.

શનિવારે સાંજે 7 કલાકે સરકારના માહિતી ખાતા દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી આ મુજબની હતી

  • Ukai Dam Data:
    Dt. 08.10.2022 @ 19:00 Hrs.
    Rule Level: 345.00 ft.
    Present Level: 345.12 ft.
    Inflow: 66050.00 cusec
    Outflow: 52414.00 cusec
    Present Live Storage: 6746.57 MCM (100.25 %)
    Present Capacity: 7430.96 MCM (100.22 %)
  • Kakrapar Weir Position @ 19:00 Hrs. on Date: 08.10.2022
    Kakrapar Weir Level is………………….. 164.00 feet
    Overflow Discharge in Cusecs is……. 50900.00 Cusec
    Moticher Level is………………………….152.70 feet
    Moticher Discharge is…………………… 0.00 Cusec
    Total Discharge in River Tapi is…………50900.00 Cusec
  • Date: 08.10.2022 Time 19:00 Hrs.
    Singanpore Weir Cum Causeway level: 7.35 meter
    Discharge: 77255.00 Cusec.
October 8, 2022
sumullogo.jpg
1min582

જયેશ બ્રહ્મભટ્ટ

સુરતીઓનો પોતિકો પર્વ એટલે ચાંદની પડવો. શરદપૂર્ણિમાના બીજા દિવસને ચાંદની પડવો કે ચંદની પડવો તરીકે ગુજરાતી કેલેન્ડરમાં નિર્દેશિત કરવામાં આવે છે. ચંદની પડવો એટલે સુરતીઓનો પોતિકો તહેવાર. ઘારી એટલે સુરતની પોતાની ઓળખ. વિશ્વ આખાને ઘારી બનાવતા સુરતે શીખવાડ્યું છે, અને હવે સુરતની પોતિકી સુમુલ ડેરીની ઘારી એટલે નંબર વન.

સુમુલ ડેરીના માર્કેટિંગ હેડ મનિષભાઇ ભટ્ટના જણાવ્યા પ્રમાણે સુમુલ ડેરી આ વખતે 100 ટન જેટલી ઘારીનું વેચાણ કરશે. તેમાંથી અત્યાર સુધીમાં 85 ટન જેટલી ઘારી તો વેચાઇ ચૂકી છે. આ પૈકી 12 ટન ઘારી સુગર ફ્રી (ખાસ કરીને ડાયાબિટીસથી પીડાતા લોકો માટે, હેલ્થ કોન્સીયસ લોકો માટે) બનાવવામાં આવી હતી, સુગર ફ્રી ઘારીનો જથ્થો ચપોચપ વેચાઇ ચૂક્યો હોવાનું મનિષભાઇએ જણાવ્યું હતું. હજુ બે દિવસમાં 15 ટન જેટલી ઘારી સુમુલની વેચાઇ જશે તેવો અંદાજ છે.

ચંદી પડવાને હજુ 24 કલાકનો સમય બાકી છે ત્યારે સુમુલ ડેરીની ઘારી એકલા સુરતમાં જ નહીં પણ મુંબઇ અને દિલ્હી સહિત દેશના ખૂણેખૂણે પહોંચી ગઇ છે. સુરતીઓ પોતાના વહેવારને સાચવવા માટે પણ અરસપરસ ઘારી આપી રહ્યા છે. આ વખતે મળી રહેલા અંદાજો અને એડવાન્સ્ડ ઓર્ડરને જોતા સુમુલ ડેરીની ઘારીનું વિક્રમી વેચાણ થશે તેમાં બેમત નથી.

સુમુલ ડેરીની ઘારી અંગે ડેરીના માર્કેટિંગ હેડ મનિષભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વખતે પણ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોને મન સુમુલ ડેરીની ઘારીની વિશ્વસનીયતા સૌથી વધુ છે અને એટલે જ લોકોએ આ વખતે ઘારીના એડવાન્સ્ડ ઓર્ડર આપ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી સુમુલ ડેરીના તંત્રએ ઘારી બનાવવા માટે જડબેસલાક વ્યવસ્થા તંત્ર ગોઠવ્યું છે અને જે ઓર્ડર મળ્યા છે તેને સમયસર ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.

October 8, 2022
Nashik-bus-fire.jpg
1min458

નાસિક-ઔરંગાબાદ રોડ પર મિર્ચી હોટેલની નજીક સવારે આશરે 5.20 કલાકે ટ્રક સાથે અથડાતા પ્રાઈવેટ લક્ઝરી બસ ભડભડ કરતી સળગી ઉઠી હતી. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા હતા જ્યારે 20 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તમામ ખર્ચ ઉઠાવવાની જવાબદારી સરકારે લીધી છે.

nashik bus fire news live, Nashik Bus Accident Fire : PHOTOS - nashik  bus fire claims 11 lives photos of nashik

નાસિકઃ મહારાષ્ટ્રના નાસિક શહેરમાં વહેલી સવારે ઔરંગાબાદ રોડ પર એક ખાનગી લક્ઝરી બસ ટ્રક સાથે અથડાયા બાદ ભીષણ આગની ઝપેટમાં આવી હતી અને તેના લીધે 11 લોકોના મોત થયા હતા જ્યારે કેટલાક ઘાયલ થયા હતા. ડે્પ્યૂટી કલેક્ટરટ ભગવત ડોઈફોડેએ અકસ્માત અને મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી હતી. ઘટનામાં આશરે 20 જેટલા લોકોને ઈજા પહોંચી હતી, જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નાસિક-ઔરંગાબાદ રોડ પર મિર્ચી હોટેલની નજીક સવારે આશરે 5.20 કલાકે આ ઘટના બની હતી. ઘટના અંગેની જાણ થતાં જ નાસિક ફાયર બ્રિગેડના ત્રણ ફાયર ટેન્ડર તાત્કાલિક પહોંચ્યા હતા. આ સિવાય સ્થાનિકો અને પોલીસ પણ ઘટનાસ્થળ પર આવી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા.

બસ લગભગ 3.30 વાગ્યે યવતમાલથી નીકળી હતી અને આશરે 5.20 વાગ્યે ટ્રક સાથે અથડાઈ હતી. બસ તરત જ સળગી ઉઠી હતી અને 11 લોકોના દાઝી જવાથી મોત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે નાસિક સિવિલ હોસ્પિટલ અને શહેરની અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા હજી ચાલી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવા માટેનો આદેશ આપ્યો છે. ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.

નાસિક જિલ્લાના સંરક્ષક મંત્રી દાદા ભુસેએ મીડિયા સાથે વાતચીત કરતાં જે ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે તેનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે તેમ જણાવ્યું હતું. તો મુખ્યમંત્રીએ મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાયની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ પણ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં લખ્યું હતું કે ‘નાસિકમાં થયેલી બસ દુર્ઘટનાથી દુઃખી છું. મારી સંવેદના ઘટનામાં પ્રિયજનને ગુમાવનારાના પરિવાર સાથે છે. ઈજાગ્રસ્તો જલ્દીથી ઠીક થઈ જાય તેવી પ્રાર્થના. સ્થાનિક તંત્ર પ્રભાવિત લોકોને દરેક શક્ય સહાય આપી રહ્યું છે’. આ સાથે તેમણે PMNRF (પ્રાઈમ મિનિસ્ટર નેશનલ રીલિફ ફંડ)માંથી મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયા જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી હતી.

October 8, 2022
airforce.jpg
1min656

ભારતીય વાયુસેના દિવસ દર વર્ષે 8 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે.  આ દિવસે ગાઝિયાબાદનાં હિંડન વાયુસેના સ્ટેશન ખાતે આ કાર્યક્રમ આયોજિત થાય છે. જેમાં સેનાનાં અધિકારીઓ સહિત ઘણાં દિગ્ગજ લોકો હાજરી આપે છે અને આકાશમાં દમદાર વિમાનોનું પ્રદર્શન થાય છે.

ભારતની હવાઈ સીમાઓનું સંરક્ષણ કરતા આપણા સપુતોને બિરદાવતો દિવસ એટલે નેશનલ એરફોર્સ ડે. 8 ઓક્ટોબરના રોજ નેશનલ એરફોર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે દેશની રાજધાની દિલ્હીમાં તેનું આયોજન કરવામાં આવે છે પણ આ વખતે પહેલીવાર તેનું આયોજન ચંડીગઢ ખાતે કરવામાં આવ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, અંગ્રેજોના સમયમાં કેવી રીતે ભારતીય વાયુસેનાની શરૂઆત થઈ, કેવી રીતે ભારતીય જવાનો વાયુસેનામાં જોડાયા, રોયલ સર્વિસ હેઠળ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો અને ત્યારબાદ દેશ આઝાદ થતાં ભારતીય વાયુસેનાનું ફરી નિર્માણ કરવામાં આવ્યું તેનો ઈતિહાસ રોચક છે. દેશના દરેક નાગરિકને ગર્વ થાય તેવા ભારતીય વાયુસેનાના ઈતિહાસ અને વર્તમાન ઉપર એક નજર કરીએ.

ભારતીય વાયુ સેના દુનિયાની ચોથી સૌથી મોટી વાયુસેના છે

1925 દરમિયાન ઈન્ટર વોરની સ્થિતિ ચાલતી હતી. આ દરમિયાન બ્રિટિનને વધારે સારા સૈનિકો અને પાઈલટ્સની જરૂર જણાઈ હતી. તે સમયે જનરલ રસ એન્ડ્રુ સ્કીનના વડપણ હેટળ સિમલા ખાતે એક સમિતિની રચના કરાઈ અને ભારતીય સૈન્યનાના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી. સમયાંતરે બેઠકો થતી ગઈ અને એરફોર્સમાં ભારતીયોના જોડાણની શક્યતાઓ શોધાવા લાગી. 1927માં સ્કીન કમિટિ દ્વારા ભારતીય કેડેટ્સને ફાઈંગ ઓફિસર તરીકે બ્રિટિશ એરફોર્શમાં જોડવાની ભલામણ કરવામાં આવી. 1928માં આ દિશામ કામગીરી હાથ ધરવામાં આવી. ત્યારબાદ તબક્કાવાર તાલિમ અને આયોજનો સાથે 8 ઓક્ટોબર 1932માં રોયલ ઈન્ડિયન એરફોર્સ સ્થાપના કરવામાં આવી. પાંચ ભારતીય કેડેટ્સને સૌથી પહેલાં એરફોર્સમાં કમિશન્ડ કરવામાં આવ્યા હતા. હરિશચંદ્ર સિરકર, સુબ્રતો મુખરજી, ભુપેન્દ્રસિંહ, ઐઝાદ બક્ષ અવાન તથા અમરજીતસિંહ એમ પાંચ લોકોને પોસ્ટિંગ અપાયું હતું. ત્યારબાદ જે.એન. ટંડનને છઠ્ઠા ઓફિસર તરીકે લોજિસ્ટિકની ડ્યૂટી સોંપાઈ હતી. સમયાંતરે સુબ્રતો મુખરજી આઈએએફના પહેલાં ચીફ એર સ્ટાફ પણ બન્યા હતા. કરુણ ક્રિષ્ન મજુમદાર જેમને જમ્બો પણ કહેતા હતા તેઓ ભારતના પહેલાં પાઈટલ હતા જેમને ડિસ્ટિંગ્વિશ્ડ ફ્લાઈંગ ક્રોસનો ખિતાબ મળ્યો હતો.

ભારતીય વાયુ સેના દુનિયાની ચોથી સૌથી મોટી વાયુસેના છે. ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદમાં સ્થિત હિંડન વાયુસેના સ્ટેશન એશિયામાં સૌથી મોટું છે. ભારતીય વાયુસેના અસ્તિત્વમાં આવ્યા ત્યારથી તેમનું ધ્યેય વાક્ય ‘नभ: स्पृशं दीप्तम्’  નાં રસ્તે ચાલે છે. જેનો અર્થ થાય છે કે ‘ગર્વ સાથે આકાશને આંબવું’. વાયસેનાનાં આ ધ્યેય વાક્યને ભગવત ગીતાનાં 11માં અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાનો રંગ વાદળી, આસમાની વાદળી અને સફેદ છે. વાયુસેનાનો ધ્વજ વાદળી રંગનો હોય છે, જે વાયુસેનાના પ્રતીકથી અલગ હોય છે, જેના પહેલા રાષ્ટ્રધ્વજ એક ચતુર્થમાં રહે છે. મધ્યમાં એક વર્તુળ છે જેમાં રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોનો સમાવેશ થાય છે.

October 8, 2022
cia_edu-1280x925.jpg
2min792

ગુજરાતમાં રાજ્ય સરકારની એડમિશન કમિટીએ વર્ષ 2022-23 માટે મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી છે. રજિસ્ટ્રેશન સાથે જ એડમિશન કમિટીએ ચારેય અભ્યાસક્રમોમાં કોલેજો, સીટો, ફી સહિતની વિગતો પ્રકાશિત કરી છે. આ વખતે ગુજરાતમાં હાઇએસ્ટ 35 કોલેજોમાં 6 હજાર સીટો ઉપલબ્ધ બની શકી છે.

MBBSની 35 કોલેજોમાં 6000 સીટ

ડેન્ટલની 13 કોલેજોમાં 1255 સીટ

હોમિયોપેથીની 28 કોલેજોમાં 2289 સીટ

આયુર્વેદિકમાં 37 કોલેજોમાં 3930 સીટ

October 8, 2022
rainingujarat-1.jpg
2min464

સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ રહ્યો છે. આજે રાજ્યના ૭૩ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ડાંગ જિલ્લાના સુબિરમાં બે કલાકમાં સૌથી વધુ ૩ ઈંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી ચાર દિવસ વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં આજે ડાંગના સુબિરમાં સાંજે ૪ થી ૬ એમ બે કલાકમાં જ બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય આજે જ્યાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં ખેડાના માતર, સુરતના ઉમરપાડા, આણંદના તારાપુર-પેટલાદ, ખેડાના મહેમદાવાદ-કઠલાલ-મહુધા, નર્મદાના ગરૃડેશ્વર, સાબરકાંઠાના પ્રાંતિજ, ગાંધીનગરના માણસા, પંચમહાલના કલોલ, અરવલ્લીના મેઘરજ, નર્મદાના નાંદોદ, વડોદરાના દેસરનો મુખ્યત્વે સમાવેશ થાય છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ ત્રણ દિવસ વરસાદી માહોલ રહી શકે છે. જેમાં વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે જ્યારે  રાજ્યમાં અન્યત્ર હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.

ચોમાસું વિદાય લેવાની ઘડીઓ ગણાઇ રહી હતી ત્યાં જ વરસાદ પડવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. કૃષિ નિષ્ણાતોના મતે કાપણીની અવસ્થામાં હોય તેવા તમામ પાકને આ વરસાદથી ભારે નુકસાનનો સામનો કરવો પડશે. જે પાકને નુકસાન થઇ શકે તેમાં કપાસ, મગફળી, ડાંગર, મકાઇ, બાજરી, તલ, સોયાબિનનો સમાવેશ થાય છે. હજુ વરસાદ પડે અને ખેતરમાં પાણી ભરાયેલા રહે તો પાક કોહવાઇ જાય તેવી પણ ભીતિ સેવાઇ રહી છે. વરસાદથી કપાસ કાળું પડવું-રૃ ખરી પડવું, અન્ય પાકમાં ઉત્પાદન ઘટ-ગુણવત્તા ઘટની સમસ્યા નડે તેવી સંભાવના છે.

દરમિયાન આજે અમદાવાદમાં ૩૨ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી ૩ દિવસ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અમદાવાદમાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને અનેક વિસ્તારમાં સાંજે વરસાદ પડયો હતો.

ગુજરાતમાં શુક્રવારે ક્યાં વધારે વરસાદ?

તાલુકો જિલ્લો  વરસાદ

સુબિર  ડાંગ    ૩.૦૦

માતર  ખેડા    ૨.૨૫

ઉમરપાડા      સુરત   ૨.૦૦

મહેમદાવાદ    ખેડા    ૧.૭૫

કઠલાલ ખેડા    ૧.૫૦

ગરૃડેશ્વર        નર્મદા  ૧.૫૦

પ્રાંતિજ સાબરકાંઠા      ૧.૨૫

માણસા ગાંધીનગર      ૧.૨૫

કલોલ  પંચમહાલ      ૧.૨૫

October 7, 2022
Surat-BJP.jpeg
2min572

ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા દિલ્હીની આપ પાર્ટીની સરકારમાં મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ દ્વારા હિન્દુ દેવી દેવતાઓ વિષે કરવામાં આવેલા બેફામ વાણી વિલાસને સખત શબ્દોમાં વખોડી કાઢીને મિનિસ્ટરને પદભ્રષ્ટ કરવા માટે માગણી કરવામાં આવી છે.

ભાજપા, સુરત મહાનગર દ્વારા કેબિનેટ મંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં સુરત ભાજપા કાર્યાલય ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે દિલ્હીની આપ સરકારના કેબીનેટ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ દ્વારા હિંદુ દેવી દેવતાઓ વિષે અપમાનજનક ઉચ્ચારણો કરતો વીડિઓ બહાર આવતા દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર હિંદુ સમાજમાં ભારે આક્રોશ વ્યાપી રહ્યો છે. તથા દિલ્હીની આપ સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ ને તત્કાળ હટાવવા માટે કેજરીવાલ પગલા લે તથા હિંદુ સમાજની માફી માંગે તેવી તીવ્ર માંગ કરવામાં આવે છે.

દિલ્હી સરકારના જલઆપૂર્તિ, ટુરીઝમ, કલા- સંસ્કૃતિ, ભાષા અને ગુરુદ્વારા વિભાગના કેબીનેટ મંત્રી અને આપ પાર્ટીના નેતા રાજેન્દ્ર પાલ ગૌતમે દસ હજાર લોકોની મેદનીને ધર્મપરિવર્તન  કરાવતા હિંદુ ધર્મના દેવી દેવતાઓ વિશે ભારે અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હું બ્રહ્મા વિષ્ણુ અને મહેશને ક્યારેય ઈશ્વર નહિ માનુ અને ક્યારે તેમનુ પૂજન કરીશ નહિ, હું રામ અને કૃષ્ણને ઈશ્વર નહિ માનુ અને એમનુ પણ પૂજન ક્યારે કરીશ નહિ હું, ગૌરી ગણપતિ જેવા હિંદુ ધર્મના કોઈપણ દેવી દેવતાઓને નહિ માનું અને તેમની પૂજા નહિ કરું.

દિલ્હીની આપ સરકારના મંત્રીએ ઉચ્ચારેલા શબ્દો માત્ર તેમના નથી પરંતુ તે હિંદુ વિરોધી માનસિકતા ધરવતા આપ પાર્ટીના મુખ્ય સંયોજક અરવિંદ કેજરીવાલની માનસિકતાનું પ્રતિબિંબ છે.

હાલમાં જે રાજ્યોમા ચૂંટણી આવનાર છે તે રાજ્યોના પ્રવાસ દરમ્યાન કેજરીવાલ લોકોને ” જય શ્રી રામ” અને ” જય શ્રી કૃષ્ણ” બોલીને ભોળવવાનો ઢોંગ કરી રહ્યા છે. પરંતુ તેમના મંત્રીઓના ઉચ્ચારણો દ્વારા અવારનવાર તેમની હિંદુ વિરોધી માનસિકતા છલકાતી રહી છે. આ અગાઉ જ્યારે ” કાશ્મીર ફાઈલ્સ” ફિલ્મ રજુ થઇ હતી ત્યારે પણ દિલ્હીની વિધાનસભામા કેજરીવાલે કાશ્મીરી પંડિતોની વેદનાની ક્રૂર મજાક ઉડાવી હતી. કાશ્મીરી પંડિતોને દિલ્હીમાં નોકરી આપવાના મામલે કેજરીવાલ ઉગ્ર વિરોધ પણ કર્યા હતો અને કોર્ટમાં જઈને પણ પોતાનો આ વિરોધ લાગુ કરવા ગુહાર લગાવી હતી.

ભારત દેશના કરોડો- કરોડો હિંદુ પરિવારોની આસ્થા ભગવાન શ્રી રામચંદ્રજી અને શ્રી રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલી છે. તમામ હિંદુઓ હ્રદયથી શ્રી રામમંદિરનાં નિર્માણ અર્થે કોઈ પણ ભાગ આપવા તૈયાર છે ત્યારે કેજરીવાલે શ્રી રામ મંદિરનું નિર્માણ ન થાય તે માટે તમામ અડચણો ઉભી કરવા પ્રયાસ કર્યા છે. તેમના નાનીનુ નામ લઈને પણ આવા પ્રયાસો કર્યા હતા. તેમના બધા પ્રયાસો છતાં શ્રીરામમંદિરનું નિર્માણકાર્ય શરુ થયું તો  તેને બદનામ કરવાનો પ્રયાસ કેજરીવાલ અને તેમની ગેંગ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

કેજરીવાલ હિંદુ વિરોધી તો છે પરંતુ રાષ્ટ્ર વિરોધી માનસિકતા પણ ધરાવે છે. JNU ની ટુકડે ટુકડે ગેંગના રાષ્ટ્રવિરોધી વલણને તેઓ ખુલ્લુ સમર્થન આપે છે.

પોતાની જાતને ચૂંટણી સમયે હનુમાનભક્ત ગણાવનાર કેજરીવાલ ટવીટ કરીને હનુમાનજીની મજાક ઉડાડતા ખચકાતા નથી. સ્વસ્તિકના પવિત્ર પ્રતિકની પણ મજાક ઉડાડે છે. જે દેશની પ્રજા ભૂલતી નથી.

દિલ્હીમાં થયેલા કોમી દંગાઓમાં આપ પાર્ટીના તાહિર હુસેનની સંડોવણી જે રીતે ખુલીને બહાર  આવી અને તેમને જેલ હવાલે થયું પડ્યુ તેથી આપ પાર્ટીનો ચહેરો ખુલીને બહાર આવ્યો છે.

અર્બન નકસલી વિચારધારા ધરવતા અને ખાલીસ્તાન સમર્થક કેજરીવાલની આ વિચારધારા આપ પાર્ટીના તમામ નેતાઓ અને સમર્થકોના દિમાગમાં પણ નશાની જેમ ફરી વળી છે. ઉગ્રતાથી  ગાળા-ગાળી કરવી, શાંતિ ડહોળવી, ભાંગફોડ કરવી એ આમ આદમી પાર્ટીના નેતા કાર્યક્રમોની આદત બની ગઈ છે.

ગુજરાત પ્રદેશણા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા દ્વારા પણ આવા જ હિંદુ વિરોધી નિવેદનો અને કાર્યો કરવામા આવ્યા છે. સત્યનારાયણ ભગવાનની કથા કે અને કથાકારો માટે એલ ફેલ અને અપમાનજનક નિવેદનો કરતા તેમના વિડીઓ સૌએ નિહાળ્યા છે. ગુજરાતની સમજુ અને શાણી જનતા આવા હિંદુ વિરોધી તત્વોને ક્યારેય ગુજરાતમાં ઘુસવા નહિ દે તથા તેમની આવી હિંદુ વિરોધી માનસિકતા સાંખી નહિ લે, ઉપરાંત કેજરીવાલ પોતાના આ મંત્રીને તત્કાલીન પોતાની સરકારમાંથી દુર કરે તેવી ઉગ્ર લાગણી વ્યક્ત કરે છે.

October 6, 2022
viscose-yarn.jpg
1min880

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગ પર ફરીથી આયાતી ડ્યૂટીનું સંકટ આવ્યું છે. કેન્દ્ર સરકારે ટેક્ષટાઇલ ઉદ્યોગકારોને ખાસ કરીને ફેબ્રિક મેન્યુફેક્ચરર્સને પોતાની મશીનરી અપગ્રેડ કરવા માટે પ્રોત્સાહિત કર્યા, કરોડો રૂપિયાની સબસિડી આપીને સુરતના અનેક કારખાનેદારોએ એરજેટ, રેપિયર, વોટરજેટ જેવા મશીનો સ્થાપ્યા, હવે આ મશીનરીમાં વપરાતા આયાતી (ઇમ્પોર્ટેડ) વિસ્કોસ યાર્ન પર એન્ટી ડમ્પીંગ ડ્યૂટી લાદવા માટેની અરજી ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ સમક્ષ કરવામાં આવી છે.

આયાતી વિસ્કોસ યાર્નનો સૌથી વધુ વપરાશ સુરતના કારખાનેદારો કરી રહ્યા છે, જો સ્થાનિક વિસ્કોસ યાર્ન ઉત્પાદકોના ઇશારે આયાતી યાર્ન પર એન્ટી ડમ્પીંગ ડ્યૂટી લાદવામાં આવે તો સુરતમાં કરોડો રૂપિયાના ખર્ચે હાઇટેક મશીનરી ખરીદનારા કારખાનેદારોને કરોડો રૂપિયાની નુકસાની વેઠવાનો વખત આવશે.

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારો જેમાં ચેમ્બર પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલા, પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતી, ફિયાસ્વીના ચેરમેન ભરતભાઇ ગાંધી, મયુરભાઇ ગોળવાલા, સુરેશ પટેલ સહિતના આગેવાનોની એક અગત્યની અનૌપચારિક મિટીંગ આજે ચેમ્બર ઓફ કોમર્સમાં મળી હતી.

તપાસ કરાતા જાણવા મળ્યું કે મિટીંગમાં મુદ્દો અત્યંત અગત્યનો હતો. સુરતમાં છેલ્લા ત્રણ વર્ષમાં મોટી સંખ્યામાં હાઇસ્પીડ લૂમ્સ જેવા કે એરજેટ, રેપિયર, વોટરજેટ ઇન્સ્ટોલ કરનાર કારખાનેદારો ક્વોલિટી કાપડના ઉત્પાદન માટે સૌથી વધુ જે યાર્નનો વપરાશ કરે છે એ વિસ્કોસ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ કરવા માટેની અરજી કરી દેવામાં આવી છે. સુરતના કારખાનેદારોએ 60 લાખથી રૂ.1 કરોડ સુધીનું એક મશીન આવે છે એવા અનેક મશીનો પોતાના કારખાનામા સ્થાપ્યા છે અને તેમાં કાપડના ઉત્પાદન માટે જે યાર્ન વાપરવામાં આવે છે તેની ક્વોલિટી આયાતી વિસ્કોસ યાર્નના વપરાશથી જ સારી બને છે.

હવે આયાતી વિસ્કોસ યાર્ન પર ડ્યૂટી લાગશે તો સ્થાનિક કપડું મોંઘુ થશે અને કારખાનેદારને જે નફો મળવો જોઇએ તે મળશે નહીં અને કરોડો રૂપિયાના રોકાણ સામે વળતરમાં મોટી નુકસાની વેઠવી પડે તેમ છે.

સ્થાનિક યાર્નની ક્વોલિટી અને સપ્લાય બન્નેમાં સમસ્યા

આયાતી વિસ્કોસ યાર્ન મોંઘુ વેચાય તો જ સ્થાનિક વપરાશકારો દેશી યાર્ન ખરીદવા માટે મજબૂર થશે એ ગણતરીએ ભારતના દેશી યાર્ન ઉત્પાદકો (સ્પીનર્સ) દ્વારા ઇમ્પોર્ટેડ વિસ્કોસ યાર્ન પર ડ્યૂટી લાગૂ કરવા માટે એપ્લિકેશન કરવામાં આવી છે. ઇમ્પોર્ટેડ વિસ્કોસ યાર્નની જરૂરીયાત સામે ભારતના લોકલ યાર્ન ઉત્પાદકો ફક્ત 65થી 70 ટકા જથ્થો જ સપ્લાય કરી શકે છે, બાકીનો 30 ટકા જથ્થો ઇમ્પોર્ટ કરવાની ફરજ પડે છે. તદુપરાંત દેશી વિસ્કોસ યાર્નની ક્વોલીટીમાં પણ અનેક મુશ્કેલીઓ આવે છે, દેશી યાર્નમાંથી કાપડની ક્વોલિટી સારી રીતે જળવાઇ શકતી ન હોવાથી એરજેટ, રેપિયર, વોટરજેટ જેવી મશીનરી ધારકો વિસ્કોસમાં ઇમ્પોર્ટેડ યાર્નનો જ વપરાશ કરવાનું પસંદ કરે છે. 

સમગ્ર ભારતમાં ઇમ્પોર્ટેડ વિસ્કોસ યાર્નના સૌથી વધુ વપરાશકારો સુરતમાં

સ્થાનિક ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે આયાતી વિસ્કોસ યાર્નનો સૌથી વધુ વપરાશ એરજેટ, રેપિયર, વોટરજેટ લૂમ્સના કારખાનામાં થાય છે. ભારતમાં આ મશીનરી સૌથી વધુ ગુજરાત અને ગુજરાતમાં આવી મશીનરી સૌથી વધુ સુરતમાં સ્થપાઇ ચૂકી છે. આથી સુરતમાં જ આયાતી વિસ્કોસ યાર્ન વધુ વપરાય છે આથી જો આયાતી વિસ્કોસ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂડી લાગૂ કરવામાં આવશે તો સુરતના ઉદ્યોગકારોને જ સૌથી મોટો ગેરફાયદો થશે.

October 3, 2022
india-vs-sa.png
1min478

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી-20 સીરિઝની બીજી મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને હરાવી ત્રણ મેચોની સીરિઝ પર 2-0થી કબજો કરી લીધો છે. હવે ત્રીજી મેચ માત્ર ઔપચારિકતા જ બની રહેશે. ભારતે સાઉથ આફ્રિકાને બીજી ટી-20 મેચમાં 16 રને હરાવી ત્રણ મેચોની સીરિઝ પર 2-0થી કબજો કરી લીધો છે. ભારતે જીત માટે આપેલા 238 રનના લક્ષ્ય સામે સાઉથ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 3 વિકેટે 221 રન જ બનાવી શકી હતી.

ડેવિડ મિલરે 47 બોલમાં 106 રન ફટકાર્યા હતા અને તે છેક સુધી સાઉથ આફ્રિકાને જીતાડવા માટે ઝઝૂમ્યો હતો અને અણનમ રહ્યો હતો. જ્યારે ક્વિન્ટન ડિ કોક પણ ઓપનિંગથી અંત સુધી ઝઝૂમ્યો હતો, પરંતુ સાઉથ આફ્રિકા માત્ર 16 રન માટે મેચ હારી ગયું હતું. આ પહેલો પ્રસંગ છે કે જ્યારે ભારતીય ટીમે પોતાના ઘરમાં સાઉથ આફ્રિકા સામે ટી-20 સીરિઝ જીતી છે.

સાઉથ આફ્રિકાની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને 1 રને જ પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. તેમ્બા બાવુમા ખાતું ખોલાવ્યા વિના જ અર્શદીપનો શિકાર બન્યો હતો. તે પછી ક્વિન્ટન ડિ કોકને સાથ આપવા ક્રિઝ પર ઉતરેલો રિલી રોશૉ પણ શૂન્ય રને અર્શદીપનો શિકાર બન્યો હતો. જોકે, તે પછી એડન માર્કરમે ડિ કોકનો સાથ આપતા 33 રન બનાવ્યા હતા. જોકે, આ જોડીને અક્ષર પટેલે તોડી નાખી હતી. તે પછી ડી કોક સાથે ડેવિડ મિલર જોડાયો હતો. તે ધૂંઆધાર સદી ફટકારી અણનમ રહ્યો હતો. પરંતુ પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો. ભારત તરફથી અર્શદીપે 2 અને અક્ષર પટેલે 1 વિકેટ ઝડપી હતી.

ટોસ હારીને પહેલા બેટિંગમાં ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટે 237 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેએલ રાહુલ અને રોહિત શર્માએ ધમાકેદાર શરૂઆત કરી હતી. બંનેએ પહેલી વિકેટની ભાગીદારીમાં 96 રન જોડ્યા હતા. કેએલ રાહુલે 28 દડામાં 57 રન અને રોહિત શર્માએ 37 દડામાં 43 રન ફટકાર્યા હતા. રોહિતના આઉટ થયા પછી બેટિંગમાં આવેલા વિરાટ કોહલીએ પણ સાઉથ આફ્રિકાના બોલરોની ધોલાઈ ચાલુ રાખી હતી. 107 રનના સ્કોરે કોહલી અને રાહુલની ભાગીદારી તૂટી હતી. રાહુલના આઉટ થયા પછી કોહલી સાથે સૂર્યકુમાર યાદવ જોડાયો હતો. જોરદાર ફોર્મમાં ચાલી રહેલા સૂર્યકુમાર તો આવતાની સાથે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ શરૂ કરી દીધો હતો. તેણે જોતજોતમાં 22 દડામાં 61 રન ફટકારી દીધા હતા. કમનસીબે તે 61 રનના અંગત સ્કોરે રનઆઉટ થઈ ગયો હતો. તે પછી વિરાટ કોહલી અને દિનેશ કાર્તિકે કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના ભારતનો સ્કોર 237 રને પહોંચાડ્યો હતો. દિનેશ કાર્તિકે 7 દડામાં બે છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 17 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે કોહલી 28 દડામાં સાત ચોગ્ગા અને એક છગ્ગા સાથે 49 રન બનાવી અણનમ રહ્યો હતો.

સાઉથ આફ્રિકા તરફથી એકમાત્ર કેશવ મહારાજને જ વિકેટ મળી હતી. તેણે બે વિકેટ ઝડપી હતી. એ સિવાય સાઉથ આફ્રિકાનો કોઈ બોલર ભારતીય બેટ્સમેનો પર પ્રભાવ જમાવી શક્યો ન હતો.