આતંકવાદીઓના એક જૂથે મેસી તેમ જ બ્રાઝિલના સુપરસ્ટાર નેયમારને મૃત્યુદંડ આપતાં પહેલાં તેમને નારંગી સૂટ પહેરાવીને ઊભા રાખ્યા હોય એવી વીડિયોટેપ સોશિયલ મીડિયા પર અપલોડ કરી છે
ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ના આતંકવાદીઓએ સિરિયા અને ઇરાકને મૃત:પ્રાય અવસ્થામાં નાખી દીધા પછી હવે તેમના તરફથી મોટો ખતરો રશિયામાં આગામી ૧૪મી જૂનથી આરંભ થનારા ફૂટબૉલ વર્લ્ડ કપ વખતે છે, એમ સલામતી નિષ્ણાતોએ ચેતવણી આપતાં જણાવ્યું છે.
વૉશિંગ્ટનના સેન્ટર ફૉર સ્ટ્રૅટેજિક ઍન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝે કરેલા એક અંદાજ મુજબ રશિયા તેમ જ ભૂતપૂર્વ સોવિયેત સંઘના રાષ્ટ્રોમાંથી કુલ મળીને ૮,૫૦૦ જેટલા જેહાદીઓ ઇરાક-સિરિયામાં ગયા હતા અને આઇએસમાં જોડાઈ ગયા હતા. એમાંના ઘણા આતંકવાદીઓ રશિયામાં તેમ જ ચેચન્યા અને એશિયાના બીજા દેશોમાં પાછા આવ્યા છે. ઇરાક અને સિરિયાનો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ તેમ જ બીજા મિત્ર દેશો અને ખાસ કરીને રશિયા દ્વારા સફાયો કરવામાં આવ્યો એ પહેલાં જ આઇએસના કમાન્ડરોએ અનેક જેહાદીઓને રશિયા સહિતના અનેક રાષ્ટ્રોમાં પાછા ફરીને ત્યાં લાગ મળે ત્યારે હુમલા કરવાનો આદેશ આપી દીધો હતો. એ જોતાં, હવે દરેક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ પર આતંકવાદી હુમલાનો ભય તોળાય છે અને વર્લ્ડ કપ જેવી સર્વોત્તમ સ્પર્ધા એમાંથી કેવી રીતે બાકાત રહી શકે, એવું નિષ્ણાત સલામતી અધિકારીઓનું માનવું છે.
ગયા વર્ષે સોશિયલ મીડિયા પર આર્જેન્ટિનાના લેજન્ડરી પ્લેયર લિયોનેલ મેસીના ચહેરા પર લોહીના ડાઘ સાથેના ફોટાને વાઇરલ કરવાની હરકત કરવામાં આવી ત્યારથી જ ફીફા અને આયોજક દેશો એલર્ટ મોડ પર આવી ગયા હતા. આવી બીજી અનેક તસવીરો તેમ જ વીડિયો અપલોડ કરવાનું કામ આઇએસના ડબ્લ્યૂએએફએ (વફા) મીડિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું.
૨૦૧૪ અને ૨૦૧૫ની સાલમાં આઇએસના ટેરરિસ્ટોએ પોતાના વિસ્તારોમાં અનેક લોકોને નારંગી કલરના સૂટ પહેરાવીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. અસ્સલ એવી જ રીતે એ આતંકવાદીઓના એક જૂથે મેસી તેમ જ બ્રાઝિલના સુપરસ્ટાર નેયમારને મૃત્યુદંડ આપતાં પહેલાં તેમને નારંગી સૂટ પહેરાવીને ઊભા રાખ્યા હોય એવી વીડિયોટેપ સોશિયલ મીડિયા પર અપલોડ કરી છે.
એટલું જ નહીં, ટેરરિસ્ટોએ મેસી-નેયમાર સહિતના કેટલાક મહારથીઓને જમીન પર સૂવડાવી, તેમના ગળા પાસે છરી રાખીને પોતે ઊભા હોય એવી તેમ જ બીજી વીડિયોમાં તેમને આગમાં ભડથું કરી દેવામાં આવ્યા હોય એવું વીડિયોમાં બતાવ્યું છે. આઇએસની પોસ્ટમાં આવું સ્લોગન પણ લખવામાં આવ્યું હતું, ‘જ્યાં સુધી મુસ્લિમ દેશોમાં અમારી સલામતી નહીં રહે ત્યાં સુધી તમે પણ સલામતી નહીં માણી શકો.’
ગયા મહિને વેસ્ટ પૉઇન્ટના કૉમ્બેટિંગ ટેરરિઝમ સેન્ટર (સીટીસી) દ્વારા પ્રગટ કરવામાં આવેલા બ્રાયન ગ્લીન વિલિયમ્સ અને રૉબર્ટ ટ્રોય સૉઝા નામના લેખકોના અહેવાલમાં ૧૪ જૂન-૧૫ જુલાઈ ૨૦૧૮ના ફિફા વર્લ્ડ કપ સામેના ખતરા વિશે લખવામાં આવ્યું હતું કે ‘છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન આઇએસ સાથે સંકળાયેલા આતંકવાદીઓ દ્વારા રશિયામાં સંખ્યાબંધ સફળ હુમલા થયા છે અને અમુક ષડ્યંત્રોને નાકામિયાબ પણ બનાવવામાં આવ્યા છે. આના પરથી કહી શકાય કે આ ટેરર ગ્રુપ આગામી વર્લ્ડ કપ દરમિયાન રશિયામાં વધુ હુમલા કરવા સક્ષમ છે.’
અમેરિકી નિષ્ણાતોએ વધુમાં લખ્યું છે કે આ હુમલા ‘લોન વુલ્ફ’ (એકમાત્ર આતંકવાદી દ્વારા ટ્રક અથવા કારમાં બેસીને અથવા ટોળા પર સંખ્યાબંધ ગોળીઓ છોડીને કરાતો હુમલો)ના રૂપમાં હોઈ શકે. એટલું જ નહીં, સ્થાનિક વિસ્તારોના આઇએસ સાથે સંકળાયેલા જેહાદીઓ દ્વારા પણ હુમલા થઈ શકે એમ છે. આ હુમલાખોરોમાં તાજેતરમાં સિરિયા અથવા ઇરાકમાંથી પાછા આવેલા આતંકવાદીઓનો સમાવેશ હોઈ શકે.







