CIA ALERT

Alert Archives - Page 43 of 511 - CIA Live

February 4, 2025
gogha.png
1min285

સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે ચાલતી રો-રો ફેરી મારફતે મોકલાતો દારૂ સ્ટેટ મોનીટરીંગ સેલે એક જ મહિનામાં બીજી વખત ઝડપી લીધો છે. સ્ટેટ મોનીટરીંગ સેલે હજીરા સ્થિત રો-રો ફેરીના પાર્કિંગમાં પાર્ક કરેલા આઇશર ટેમ્પોમાં લેમીનેશન કરી રાખેલા સ્ટીમ બોઈલરનું લેમીનેશન દૂર કરી અંદર તપાસ કરતા તેમાંથી 19.20 લાખ રૂપિયાની દારૂની 19,200 બોટલ મળી હતી.

સ્ટેટ મોનીટરીંગ સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, પીએસઆઈ વી.સી.જાડેજા અને ટીમે મળેલી બાતમીના આધારે હજીરા સ્થિત રો-રો ફેરીના પાર્કિંગમાં પાર્ક કરેલા આઇશર ટેમ્પોમાં લેમીનેશન કરી રાખેલા સ્ટીમ બોઈલરનું લેમીનેશન દૂર કરી અંદર તપાસ કરી હતી. તેમાંથી 19.20 લાખની દારૂની 19,200 બોટલ મળી આવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલે ટેમ્પો ચાલક હુસેન મહેબૂબ નદાફુ અને ટેમ્પો માલિક હીરાલાલ બાશા નદાફુને ઝડપી ધરપકડ કરી હતી. આ ઉપરાંત સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ, બોઈલર, ટેમ્પો, બે મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ 36.09 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પોના ચાલક અને માલિકની ધરપકડ કરી હતી.

આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે,આ દારૂનો જથ્થો ગીર સોમનાથના વેરાવળ ખાતે એક વ્યક્તિને તેના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરીને આપવાનો હતો, બાદમાં આ જથ્થો સંભવતઃ જૂનાગઢ પહોંચાડવાનો હતો. આ રીતે દારૂ લઈ જવાની તેમની છઠ્ઠી ટ્રીપ હતી.

ઉલ્લેખનીય છે કે ગત સાતમી જાન્યુઆરીના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલે રો-રો ફેરીમાં દમણથી જૂનાગઢ મોકલતો 26.63 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડી બે વ્યક્તિની ધરપકડ કરી હતી. તેમની પણ તે બીજી ટ્રીપ હતી.

February 3, 2025
gsrtc-kumbh.png
1min305

પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. અહીં આસ્થાની ડૂબકી લગાવવા મોટી સંખ્યામાં ગુજરાતીઓ જઈ રહ્યા છે. મહાકુંભની શરૂઆતથી અત્યાર સુધીમાં દેશ-વિદેશમાંથી 35 કરોડથી વધુ લોકો ડૂબકી લગાવી ચૂક્યા છે. આ દરમિયાન ગુજરાત સરકારે પ્રયાગરાજ જવા ઈચ્છુક શ્રદ્ધાળુઓની માંગને ધ્યાનમાં રાખીને મોટો ફેંસલો કર્યો હતો. જીએસઆરટીસીની વધુ 5 બસ શરૂ કરવામાં આવી હતી. આ અંગે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વવિટ કરીને માહિતી આપી હતી.

હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર લખ્યું, ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી માટે મુખ્ય પ્રધાનના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે. તા ૦૪/૦૨/૨૦૨૫ થી નવીન ૫ બસો (અમદાવાથી વધુ ૧, સુરતથી ૨, વડોદરાથી ૧ અને રાજકોટથી ૧ બસ) શરુ કરવામાં આવશે.

February 2, 2025
CRpc1.jpg
1min407

આજે સુરત ખાતે એક પત્રકાર પરીષદને સંબોધતા કેન્દ્રીય જળ સંચય મંત્રી સી.આર. પાટીલે એવી માહિતી આપી હતી કે સુરત એરપોર્ટથી મુંબઇની ડોમેસ્ટીક ફ્લાઇટ ટૂંક સમયમાં શરૂ થશે. કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી સુરત એરપોર્ટને અનુલક્ષીને માળખાગત સુવિધાઓ વિકસાવવામાં હકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા છે. CiA Live News Web

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઘોષિત થયું છે પરંતુ સોનાની થાળીમાં લોઢાનો મેખ હોય તેવું મહેણું સુરત એરપોર્ટ માટે એ છે કે વિશ્વના દરેક દેશોની ફ્લાઇટ જ્યાંથી સંચાલિત થાય છે એ મુંબઇ એરપોર્ટને સુરત સાથે જોડતી એકેય ફ્લાઇટ નથી. ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટી સુરત માટે મુંબઇની ફ્લાઇટની કમી મોટું નુકસાન પણ કરાવી રહી છે. CiA lIv

આ અંગે સી.આર. પાટીલે આજે સુરત ખાતેથી કહ્યું કે સુરત એરપોર્ટને મુંબઇ એરપોર્ટ સાથે જોડતી ડોમેસ્ટીક ફ્લાઇટ ટૂક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. આ અગે કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. તેમણે કહ્યું કે તાજેતરમાં સુરત એરપોર્ટની કમિટીના સભ્યો કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રીને મળ્યા હતા અને તેમને જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તે પૈકીના ચારથી પાંચ મુદ્દાઓનો થોડા દિવસોમાં જ અમલ કરી દેવા અંગે તેમણે બાંહેધરી આપી છે. બાકીની માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે પણ ઉડ્ડયન મંત્રી સુરત માટે ખૂબ હકારાત્મક પ્રતિસાદ પાઠવી રહ્યા છે.

February 2, 2025
image-1.png
1min277


નાણામંત્રી નિર્મલા સીતારમને વર્ષ 2025-26 ના બજેટમાં વીમા ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી છે. સીતારમને વીમા ક્ષેત્ર માટે FDI મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવાની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે પેન્શન ઉત્પાદનોના નિયમનકારી સંકલન અને વિકાસ માટે એક મંચની સ્થાપના કરવામાં આવશે. KYC પ્રક્રિયાને સરળ બનાવવા માટે 2025 માં સુધારેલી સેન્ટ્રલ KYC રજિસ્ટ્રી શરૂ કરવામાં આવશે.

નાણામંત્રીએ કહ્યું, ‘આવકવેરાના મામલે એ વાત પર ભાર મૂક્યો છે કે, પહેલા વિશ્વાસ કરો, પછી તપાસ કરો. નવો આવકવેરા કાયદો આવતાં અઠવાડિયે આવી જશે. વીમા ક્ષેત્રમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ 74 ટકાથી વધારીને 100 ટકા કરવામાં આવશે.’ તેના કારણે વીમા કંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી મળતી સંપૂર્ણ પ્રીમિયમ રકમ ભારતમાં જ રોકાણ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવશે. જન વિશ્વાસ બિલ 2.0 હેઠળ 100 થી વધુ જોગવાઈઓને ગુનાના દાયરામાંથી હટાવવામાં આવશે.

વીમા કંપનીઓ આગામી કેન્દ્રીય બજેટમાં ખરીદદારોને કર લાભ અને પોલિસી વેચવા માટે પ્રોત્સાહનો માંગી રહી હતી. ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI) પ્રમાણે દેશમાં વીમાનો વ્યાપ 2023-24માં 3.7 ટકા રહેશે, જે 2022-23માં 4 ટકા હતો.

જીવન વીમા ઉદ્યોગનો વિસ્તરણ 2023-24 દરમિયાન પાછલા વર્ષના 3 ટકાથી થોડો ઘટીને 2.8 ટકા થયો. તેમજ બિન-જીવન વીમા ઉદ્યોગના મામલે આ આંકડો 2023-24 દરમિયાન 2022-23 જેટલો 1 ટકા રહ્યો હતો.

અગાઉના સ્વિસ રીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ભારત 2025-29 દરમિયાન સરેરાશ 7.3 ટકાના પ્રીમિયમ વૃદ્ધિ સાથે G-20માં અગ્રણી રહેશે અને જૂથમાં સૌથી ઝડપથી વિકસતું વીમા બજાર બનશે.

બજેટથી અપેક્ષાઓ પર બોલતા ICRA લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ અને સેક્ટર હેડ નેહા પરીખે કહ્યું કે, જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓની નબળી સોલ્વન્સી સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમના પુનઃમૂડીકરણ માટે બજેટમાં ફાળવણીની જાહેરાત પોઝિટિવ રહેશે.

February 2, 2025
no-it-on-12-lac.png
1min264

નાણા પ્રધાન નિર્મલા સીતારામન 8મી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં અત્યાર સુધીમાં અનેક મહત્ત્વની જાહેરાત કરી હતી. સૌથી મોટી જાહેરાત ઈન્કમ ટેક્સને લઈ કરી હતી. 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં લાગે. જો તેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉમેરવામાં આવે તો પગારદાર લોકો 12.80 લાખ રૂપિયાની આવક સુધી કોઈ ટેક્સ નહીં આપવો પડે.

નવા ટેક્સ સ્લેબની જાહેરાત કરતાં કહ્યું, આ પગલાંથી મધ્યમ વર્ગ દેશના અર્થતંત્રને મજબૂતી આપશે. અમે મધ્યમ વર્ગ પર ટેક્સ ઘટાડ્યો છે. ટીડીએસ મર્યાદામાં બદલાવ કરવામાં આવશે. સીનિયર સિટિઝનની ટીડીએસ છૂટ મર્યાદા 50 હજારથી વધારીને એક લાખ કરવામાં આવશે. ભાડાની આવક પર ટીડીએસ છૂટ મર્યાદા વધારીને છ લાખ કરવામાં આવશે.આ ઉપરાંત નોન પેન મામલે હાઈ ટીડીએસ લાગુ રહેશે. અપડેટેડ રિટર્ન દાખલ કરવાની મર્યાદા બે વર્ષથી વધારીને ચાર વર્ષ કરવામાં આવી છે.

February 1, 2025
image-1280x640.png
1min308

230 કરોડ રૂપિયાના નકલી ચાઇનીઝ લોન એપ કૌભાંડમાં EDએ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ બધા આરોપીઓની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કોચી ઝોનલ ઓફિસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ચારેય આરોપીઓ અલગ અલગ કંપનીઓના ડિરેક્ટર છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર નકલી ચાઇનીઝ લોન એપ કૌભાંડના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને મોટી સફળતા મળી છે. લોન આપીને લોકોને બ્લેકમેઇલિંગના જાળમાં ફસાવનારા 230 કરોડ રૂપિયાના આ કૌભાંડમાં EDએ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ બધા આરોપીઓની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કોચી ઝોનલ ઓફિસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ચારેય આરોપીઓ અલગ અલગ કંપનીઓના ડિરેક્ટર છે. ED એ ગુરુવારે આ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.

આ કેસની શરૂઆત કેરળ અને હરિયાણામાં નોંધાયેલ 11 એફઆઈઆરથી થઈ હતી. જેમાં લોકોએ ઊંચા વ્યાજ વસૂલવાના નામે ખંડણી અને બ્લેકમેઇલિંગની ફરિયાદ કરી હતી. ફેક લોન એપ ડાઉનલોડ કર્યા બાદ આરોપીઓએ લોકોના મોબાઇલ ડેટા હેક કર્યો. બાદમાં, તેમને બ્લેકમેઇલ કરવામાં આવ્યા અને તેમના બેંક ખાતાઓ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા દબાણ કરવામાં આવ્યું. EDની તપાસમાં જાણવા મળ્યું છે કે લૂંટાયેલા પૈસા નકલી કંપનીઓના ખાતામાં મોકલીને વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ પૈસા સિંગાપોરની Nium Pte Ltdને મોકલવામાં આવ્યા હતા.

EDની તપાસમાં સામે આવ્યું છે કે સિંગાપોરના નાગરિકના આદેશ પર, આ આરોપીઓએ 400 થી વધુ નકલી ખાતાઓમાં 230.92 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા અને પછી તેને સિંગાપોરની કંપનીઓમાં ટ્રાન્સફર કર્યા હતા. આ કેસમાં, ફેબ્રુઆરી 2024માં, EDએ મુંબઈ, ચેન્નાઈ અને કોચી સહિત 10 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન EDએ મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા હતા. તે ઉપરાંત અનેક બેંક ખાતાઓમાં 123.58 કરોડ રૂપિયાની રકમ ફ્રીઝ કરવામાં આવી હતી.

February 1, 2025
gold-silver.jpeg
1min288
  • ચાંદી ઉછળીને રૂ.૯૩૦૦૦: લંડનની બેન્કમાં પડેલા સોનાની ડિલીવરી લેવા સેન્ટ્રલ બેન્કોનો ધસારો
  • વૈશ્વિક સોનું ઉછળી ૨૮૦૦ ડોલરની સપાટી પાર : આજના બજેટમાં ડયુટી વધવાની શક્યતા
    અમદાવાદ સોના-ચાદી બજારમાં આજે રેકોર્ડ તેજી વેગથી આગળ વધતાં સોનામાં નવી ઉંચી ટોચ દેખાઈ હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ વધુ ઉછળી ઔંશના ૨૮૦૦ ડોલરની ઉપર બોલાતાં તેની પાછળ ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ વધુ ઉંચી ગઈ હતી અને તેના પગલે દેશના ઝવેરી બજારોમાં ભાવમાં આજે નવો ઉછાળો જોવા મળ્યો હતો. અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૦૦૦ વધી ૯૯.૫૦ના ભાવ રૂ.૮૪૮૦૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૮૫૦૦૦ની નવી ટોચને આંબી ગયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના આજે વધુ રૂ.૫૦૦ વધી રૂ.૯૩ હજાર બોલાતા થયા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૭૮૧થી ૨૭૮૨ ડોલરવાળા વધુ વધી ૨૮૦૦ ડોલરની સપાટી કુદાવી ઉંચામાં ભાવ ૨૮૦૬થી ૨૮૦૭ ડોલર સુધી પહોંચ્યાના સમાચાર મળ્યા હતા. અમેરિકાના નવા પ્રમુખ ટ્રમ્પની આક્રમક ટેરીફ નીતિના માહોલમાં વિશ્વ બજારમાં સોનામાં ફંડોની લેવાલી વધ્યાનું વિશ્વ બજારના સૂત્રોએ જણાવ્ય હતું.
સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પઁણ ઔંશના ૩૧.૧૨ વાળા ૩૧.૬૮ ડોલર રહ્યા હતા. દરમિયાન, ઘરઆંગણે કેન્દ્રના નાણાંપ્રધાને ગયા વર્ષે બજેટમાં સોનાની ઈમ્પોર્ટ ડયુટીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો જ્યારે શનિવારે (આજે) રજૂ થનારા બજેટમાં નાણાંપ્રધાન કદાચ સોનાની ઈંમ્પોર્ટ ડયુટી વધારશે એવી શકયતા આજે ઝવેરી બજારમાં ચર્ચાઈ રહી હતી.

દરમિયાન વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના વધી ૯૮૩ ડોલર તથા પેલેડીયમના ભાવ વધી ૯૯૨ ડોલર રહ્યા હતા. જો કે વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૭૨ ટકા ઘટયા હતા વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. યુએસ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૭૩.૪૯ તથા નીચામાં ૭૨.૪૯ થઈ ૭૨.૬૩ ડોલર રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉંચામાં ૭૭.૫૧ તથા નીચામાં ૭૬.૪૮ થઈ ૭૬.૬૫ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૮૧૭૫૭ જ્યારે ૯૯.૯૦ના રૂ.૮૨૦૮૬ રહ્યા હતા મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૯૩૫૫૩ બોલાયા હતા.

દરમિયાન, અમેરિકામાં ટ્રમ્પ સરકારે ટેરીફ વૃદ્ધીના સંકેતો આપતાં બ્રિટનમાં બેન્ક ઓફ ઈંગ્લેન્ડમાં વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોનું જે સોનું પડયું છે એ સોનું બહાર લઈ જવાના પ્રયાસો શરૂ થયા છે તથા આ માટે વેઈટિગ પિરીયડ જે અગાઉ અમુક દિવસોનું જ રહેતું હતું તે હવે વધી ૪ સપ્તાહનું થઈ ગયાના સમાચાર મળ્યા હતા.

January 30, 2025
cia_multi-1280x1045.jpg
2min444

સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. GPSC દ્વારા તેમના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. જીપીએસસી દ્વારા વર્ષ 2025માં કુલ અંદાજિત 1751 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

સરકારી અધિકારીઓની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મહત્વપૂર્ણ સમાચાર છે. GPSC દ્વારા વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જીપીએસસી દ્વારા વર્ષ 2025માં ક્લાસ વન, ટૂ અને ત્રીજા વર્ગ મળીને કુલ અંદાજિત 1751 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જે તે પરીક્ષા માટેની જાહેરાત આગામી સમયમાં આયોગ દ્વારા જાહેર કરવામાં આવશે.ગુજરાત હોટેલ્સ

જીપીએસસી દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, ત્રીજા વર્ગની 160 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે દિવ્યાંગોની ખાસ ભરતીનું માંગણીપત્રક મળેલ છે, જેની જાહેરાત ટૂંક સમયમા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની પ્રાથમિક પરીક્ષા સંભવત: અપ્રિલ-2025 તથા મુખ્ય પરીક્ષા જૂન-2025મા યોજાશે.

આ ઉપરાંત, ગુજરાત શિક્ષણ સેવા, વર્ગ-2 (વહીવટી શાખા)ની 300 જગ્યા પર જુલાઇ 2025માં ભરતીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે, જેની પરીક્ષા સંભવિત રીતે નવેમ્બર મહિનામાં યોજાશે, જ્યારે મુખ્ય પરીક્ષા 2026માં યોજાશે. જ્યારે રાજ્ય વેરા નિરીક્ષક, ત્રીજા વર્ગની 323 જગ્યા પરની ભરતીની સપ્ટેમ્બર મહિનામાં જાહેરાત કરવામાં આવશે. જ્યારે તેની પ્રાથમિક પરીક્ષા ડિસેમ્બર 2025માં યોજાશે અને તેની મુખ્ય પરીક્ષા માર્ચ 2026માં જ્યારે તેના ઇન્ટરવ્યૂ જૂન 2026માં યોજાશે.ગુજરાત હોટેલ્સ

તે ઉપરાંત ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2 ની 100 જગ્યાઓ પર ડિસેમ્બર માસમાં ભરતી જાહેર કરવામાં આવશે. રાજ્ય વેરા નિરીક્ષકની 323 જગ્યાઓ પર સપ્ટેમ્બર 2025માં ભરતી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

January 29, 2025
image-1.png
1min290

કોરોના પછી ASERના પ્રથમ રિપોર્ટમાં ગુજરાતમાં શિક્ષણ સ્તરને લઈ ચોંકાવનારી વાત આવી

ગુજરાતને શિક્ષણનું હબ માનવામાં આવે છે. પરંતુ રાજ્યની શાળાઓમાં શિક્ષણનું કથળેલું સ્તર ચિંતાજનક બાબત છે. શિક્ષણની વાર્ષિક સ્થિતિનો અહેવાલ (ASER) – 2024માં અનેક ચોંકાવનારી વાતો સામે આવી છે. અહેવાલ પ્રમાણે, રાજ્યમાં મૂળભૂત વાંચન અને અંકગણિત કૌશલ્યમાં ગુજરાતનું પ્રદર્શન મોટાભાગના અન્ય રાજ્યોની તુલનામાં માત્ર નબળું જ નથી, પરંતુ તે હજુ પણ કોવિડ પહેલાના સ્તરે પહોંચવાનું બાકી છે.

ગુજરાતના 26 જિલ્લાઓમાં લેવામાં આવેલા સેમ્પલમાં ધોરણ 8 ના 24 ટકા વિદ્યાર્થીઓ ધોરણ 2 સ્તરના પાઠ વાંચી શક્યા ન હતા. રાજ્યમાં 20,109 વિદ્યાર્થીઓના સેમ્પલ સાઈઝમાં ધોરણ 8ના 69.5 ટકા વિદ્યાર્થીઓ બેઝિક સરવાળા-બાદબાકી, ગુણાકાર-ભાગાકાર કરી શકતા નથી. 2018ની સરખામણીએ આ પ્રદર્શન કથળ્યું છે. 2018માં રાજ્યમાં ધો. 8ના 64.4 ટકા વિદ્યાર્થીઓ રાજ્યમાં સાદા સરવાળા-બાદબાકી, ગુણાકાર-ભાગાકાર કરી શક્યા ન હતા.

ધોરણ 5 માં, ફક્ત 46.3 ટકા વિદ્યાર્થીઓ 2024 માં ધોરણ 2ના પાઠ વાંચી શક્યા હતા, જે 2022 ના અહેવાલમાં 34.2 ટકા હતું., પરંતુ 2018 માં 53.7 ટકા ઘટાડો થયો હતો. આ વર્ષે માત્ર 14.3 ટકા વિદ્યાર્થીઓ જ સરવાળા-બાદબાકી, ગુણાકાર-ભાગાકાર કરી શક્યા હતા, જે દર્શાવે છે કે 85.7 ટકા વિદ્યાર્થીઓ ઉચ્ચ પ્રાથમિકમાં મૂળભૂત ગણિતમાં નિષ્ફળ રહ્યા હતા. એએસઈઆરના રિપોર્ટ અનુસાર આ વર્ષે ધોરણ 5માં 14.7 ટકા અને 2018માં 20.1 ટકા વિદ્યાર્થીઓએ યોગ્ય રીતે સરવાળા-બાદબાકી કર્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં પણ ઘટાડો જોવા મળ્યો છે, 2024 માં માત્ર 25.8ટકા વિદ્યાર્થીઓ ધોરણ 2નું લખાણ વાંચી શકે છે, જે 2022 માં 23.9ટકા થી વધ્યું છે, પરંતુ 2018 કરતાં 33.1 ટકાનો તીવ્ર ઘટાડો થયો છે. તેવી જ રીતે, 2024 માં ધોરણ 3 માં 81 ટકા વિદ્યાર્થીઓ બાદબાકી કરવામાં નિષ્ફળ ગયા, એટલે કે ફક્ત 19.1 ટકા વિદ્યાર્થીઓ જ તે બરાબર કરી શક્યા હતા.

એએસઈઆર-2024 ના અહેવાલ અનુસાર, ગુજરાતમાં સરકારી શાળામાં 86.5 ટકા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, એએસઈઆર-2022 માં સરકારી શાળામાં 90.9 ટકા કરતા લગભગ 4 ટકા ઓછા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. કોવિડ પછીનો પ્રથમ અહેવાલ છે.

January 29, 2025
image.png
1min277

મહાકુંભ મેળામાં મૌની અમાસના સ્નાન પર્વ પર ભીડ વધવાથી નાસભાગ મચી ગઈ હતી. આ દુઃખદ ઘટનામાં 10થી વધુ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યાં હોવાની આશંકા છે. જ્યારે અન્ય ઘણાં ઘાયલ હોવાની જાણકારી મળી રહી છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. એટલે મૃતકાંક પણ વધવાની શક્યતા છે. માહિતી અનુસાર મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સેન્ટ્રલ મેડિકલ કોલેજ મહાકુંભમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોની ટીમ તેમની સારવારમાં લાગી હતી. ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારવાર માટે હાયર સેન્ટરમાં પણ રેફર કરવામાં આવ્યા હતા.

મહાકુંભ મેળાના OSD આકાંક્ષા રાણાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે સંગમ પર ભીડનું દબાણ વધવાથી આ ઘટના બની હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. જો કે, ઘાયલોની સંખ્યા વધુ હોવાથી મૃતકાંક હજુ વધી શકે છે, જેના કારણે તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જાણકારી અનુસાર આ નાસભાગ એક અફવાને કારણે મચી હતી.

નાસભાગની ઘટના બાદ આજનો અમૃત સ્નાન રદ કરવામાં આવ્યો હતો. પરંતુ પછીથી અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે અખાડાઓએ બેઠક સ્નાન ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પરિસ્થિતિ સામાન્ય થયા બાદ અમૃત સ્નાન ફરી શરૂ કરવામાં આવ્યો. આ ઘટનાને પગલે મેળામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે. ભીડને નિયંત્રિત કરવા માટે વધારાના પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે અને શ્રદ્ધાળુઓને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા નાસભાગની ઘટના બાદ વહીવટીતંત્રની વિનંતી પર તમામ 13 અખાડાઓએ આજે​ મૌની અમાસના અમૃત સ્નાનને રદ કરી દીધું હતું. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે, સંગમ કિનારે ભારે ભીડને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પીએમ મોદીએ સીએમ યોગી સાથે ફોન પર વાત કરી. તેમણે ઘટના વિશે માહિતી મેળવી.