કોરોના પછી ASERના પ્રથમ રિપોર્ટમાં ગુજરાતમાં શિક્ષણ સ્તરને લઈ ચોંકાવનારી વાત આવી
ગુજરાતને શિક્ષણનું હબ માનવામાં આવે છે. પરંતુ રાજ્યની શાળાઓમાં શિક્ષણનું કથળેલું સ્તર ચિંતાજનક બાબત છે. શિક્ષણની વાર્ષિક સ્થિતિનો અહેવાલ (ASER) – 2024માં અનેક ચોંકાવનારી વાતો સામે આવી છે. અહેવાલ પ્રમાણે, રાજ્યમાં મૂળભૂત વાંચન અને અંકગણિત કૌશલ્યમાં ગુજરાતનું પ્રદર્શન મોટાભાગના અન્ય રાજ્યોની તુલનામાં માત્ર નબળું જ નથી, પરંતુ તે હજુ પણ કોવિડ પહેલાના સ્તરે પહોંચવાનું બાકી છે.
ગુજરાતના 26 જિલ્લાઓમાં લેવામાં આવેલા સેમ્પલમાં ધોરણ 8 ના 24 ટકા વિદ્યાર્થીઓ ધોરણ 2 સ્તરના પાઠ વાંચી શક્યા ન હતા. રાજ્યમાં 20,109 વિદ્યાર્થીઓના સેમ્પલ સાઈઝમાં ધોરણ 8ના 69.5 ટકા વિદ્યાર્થીઓ બેઝિક સરવાળા-બાદબાકી, ગુણાકાર-ભાગાકાર કરી શકતા નથી. 2018ની સરખામણીએ આ પ્રદર્શન કથળ્યું છે. 2018માં રાજ્યમાં ધો. 8ના 64.4 ટકા વિદ્યાર્થીઓ રાજ્યમાં સાદા સરવાળા-બાદબાકી, ગુણાકાર-ભાગાકાર કરી શક્યા ન હતા.
ધોરણ 5 માં, ફક્ત 46.3 ટકા વિદ્યાર્થીઓ 2024 માં ધોરણ 2ના પાઠ વાંચી શક્યા હતા, જે 2022 ના અહેવાલમાં 34.2 ટકા હતું., પરંતુ 2018 માં 53.7 ટકા ઘટાડો થયો હતો. આ વર્ષે માત્ર 14.3 ટકા વિદ્યાર્થીઓ જ સરવાળા-બાદબાકી, ગુણાકાર-ભાગાકાર કરી શક્યા હતા, જે દર્શાવે છે કે 85.7 ટકા વિદ્યાર્થીઓ ઉચ્ચ પ્રાથમિકમાં મૂળભૂત ગણિતમાં નિષ્ફળ રહ્યા હતા. એએસઈઆરના રિપોર્ટ અનુસાર આ વર્ષે ધોરણ 5માં 14.7 ટકા અને 2018માં 20.1 ટકા વિદ્યાર્થીઓએ યોગ્ય રીતે સરવાળા-બાદબાકી કર્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં પણ ઘટાડો જોવા મળ્યો છે, 2024 માં માત્ર 25.8ટકા વિદ્યાર્થીઓ ધોરણ 2નું લખાણ વાંચી શકે છે, જે 2022 માં 23.9ટકા થી વધ્યું છે, પરંતુ 2018 કરતાં 33.1 ટકાનો તીવ્ર ઘટાડો થયો છે. તેવી જ રીતે, 2024 માં ધોરણ 3 માં 81 ટકા વિદ્યાર્થીઓ બાદબાકી કરવામાં નિષ્ફળ ગયા, એટલે કે ફક્ત 19.1 ટકા વિદ્યાર્થીઓ જ તે બરાબર કરી શક્યા હતા.
એએસઈઆર-2024 ના અહેવાલ અનુસાર, ગુજરાતમાં સરકારી શાળામાં 86.5 ટકા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, એએસઈઆર-2022 માં સરકારી શાળામાં 90.9 ટકા કરતા લગભગ 4 ટકા ઓછા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. કોવિડ પછીનો પ્રથમ અહેવાલ છે.
મહાકુંભ મેળામાં મૌની અમાસના સ્નાન પર્વ પર ભીડ વધવાથી નાસભાગ મચી ગઈ હતી. આ દુઃખદ ઘટનામાં 10થી વધુ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યાં હોવાની આશંકા છે. જ્યારે અન્ય ઘણાં ઘાયલ હોવાની જાણકારી મળી રહી છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. એટલે મૃતકાંક પણ વધવાની શક્યતા છે. માહિતી અનુસાર મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સેન્ટ્રલ મેડિકલ કોલેજ મહાકુંભમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોની ટીમ તેમની સારવારમાં લાગી હતી. ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારવાર માટે હાયર સેન્ટરમાં પણ રેફર કરવામાં આવ્યા હતા.
મહાકુંભ મેળાના OSD આકાંક્ષા રાણાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે સંગમ પર ભીડનું દબાણ વધવાથી આ ઘટના બની હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. જો કે, ઘાયલોની સંખ્યા વધુ હોવાથી મૃતકાંક હજુ વધી શકે છે, જેના કારણે તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જાણકારી અનુસાર આ નાસભાગ એક અફવાને કારણે મચી હતી.
નાસભાગની ઘટના બાદ આજનો અમૃત સ્નાન રદ કરવામાં આવ્યો હતો. પરંતુ પછીથી અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે અખાડાઓએ બેઠક સ્નાન ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પરિસ્થિતિ સામાન્ય થયા બાદ અમૃત સ્નાન ફરી શરૂ કરવામાં આવ્યો. આ ઘટનાને પગલે મેળામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે. ભીડને નિયંત્રિત કરવા માટે વધારાના પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે અને શ્રદ્ધાળુઓને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા નાસભાગની ઘટના બાદ વહીવટીતંત્રની વિનંતી પર તમામ 13 અખાડાઓએ આજે મૌની અમાસના અમૃત સ્નાનને રદ કરી દીધું હતું. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે, સંગમ કિનારે ભારે ભીડને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પીએમ મોદીએ સીએમ યોગી સાથે ફોન પર વાત કરી. તેમણે ઘટના વિશે માહિતી મેળવી.
સુરતના આગેવાન હીરા ઉદ્યોગપતિ, દિગ્ગજ એસ.આર.કે. ડાયમંડ કંપનીના સ્થાપક, સુરત ડાયમંડ બુર્સના ચેરમેન, દાનવીર અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ જૂનાગઢ ખાતે એક ખાનગી સંસ્થાના કાર્યક્રમમાં લેબગ્રોન ડાયમંડ માટે જે નિવેદનો કર્યા એના સુરતના હીરા ઉદ્યોગ તેમજ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે.
ગોવિંદ ધોળકિયાએ લેબગ્રોન ડાયમંડ માટે કરેલા નિવેદનને રીલ સ્વરૂપે વોઇસ ઓફ ઇન્ડિયા નામની વેબ પોર્ટલે તેના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો હતો. એ પછી સોશ્યલ મિડીયા યુઝર્સે ગોવિંદ ધોળકિયાને કોમેન્ટો કરીને એવા ટ્રોલ કર્યા કે ન પૂછો વાત. જાતજાતની કોમેન્ટો કરીને ગોવિંદ ધોળકિયાની ખબર લઇ નાખી. વાઇસ ઓફ ઇન્ડિયાની ગોવિંદ ધોળકિયાના નિવેદનની રીલ પર તા.28મી જાન્યુઆરીએ બપોરે ત્રણ વાગ્યા સુધી કુલ 271 જેટલી કોમેન્ટો થઇ હતી તેમાંથી 98 ટકા કોમેન્ટો નકારાત્મક હતી અને લેબગ્રોન ડાયમંડ માટેના નિવેદનોને આકરી રીતે ઝાટકણી કાઢતી કોમેન્ટો કરીને યુઝર્સે રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાને એવા ટ્રોલ કર્યા છે કે કદાચ બીજી વખત તેઓ નિવેદન આપવાની હિંમત કરતા પહેલા સો વાર વિચારશે.
અહીં અમે અમારા વાચકો માટે વોઇસ ઓફ ઇન્ડિયાની રીલ નીચે કરવામાં આવેલી કોમેન્ટ્સના સ્ક્રીન શોટ શેર કરી રહ્યા છે
ચીન ભારત સાથેના સરહદી વિવાદને ઉકેલવા અને શાંતિ તરફ વધુ એક પગલું ભરવા સંમત થયું છે. ભારત અને ચીને સોમવારે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને ચીનના મંત્રી વાંગ યી વચ્ચેની બેઠકમાં લેવામાં આવ્યો છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર, કૈલાશને ભગવાન શિવનું નિવાસસ્થાન માનવામાં આવે છે.
બંને દેશ સરહદી વિવાદને ઉકેલવા સંમત ચીન ભારત સાથેના સરહદી વિવાદને ઉકેલવા અને શાંતિ તરફ વધુ એક પગલું ભરવા સહમત થયું છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કૈલાશ માનસરોવર યાત્રા ટૂંક સમયમાં ફરી શરૂ થશે. બંને દેશો વચ્ચે સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવાને પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત અને ચીન લોકો વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપવા માટે યોગ્ય પગલાં લેવા સંમત થયા છે.
વર્ષ 2020 છે બંધ યાત્રા કૈલાશ માનસરોવર યાત્રા 2025માં ઉનાળામાં ફરી શરૂ કરવામાં આવે તેવા સંકેતો છે. જૂન 2020માં ગલવાનમાં થયેલી હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા. ડોકલામમાં થયેલા વિવાદ બાદ આ યાત્રાને બંધ કરી દેવામાં આવી હતી. કૈલાશ માનસરોવર યાત્રા બંધ થયા બાદ ભક્તો ઉત્તરાખંડની વ્યાસ ખીણથી કૈલાશ પર્વતના દર્શન કરતાં હતા.
વર્ષ 2020 છે બંધ યાત્રા કૈલાશ માનસરોવર યાત્રા 2025માં ઉનાળામાં ફરી શરૂ કરવામાં આવે તેવા સંકેતો છે. જૂન 2020માં ગલવાનમાં થયેલી હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા. ડોકલામમાં થયેલા વિવાદ બાદ આ યાત્રાને બંધ કરી દેવામાં આવી હતી. કૈલાશ માનસરોવર યાત્રા બંધ થયા બાદ ભક્તો ઉત્તરાખંડની વ્યાસ ખીણથી કૈલાશ પર્વતના દર્શન કરતાં હતા.
વિદેશ મંત્રાલયે આપી માહિતી વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ઓક્ટોબરમાં કઝાનમાં થયેલી બેઠકમાં સંમતિ મુજબ, બંને પક્ષોએ ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિની વ્યાપક સમીક્ષા કરી હતી અને સંબંધોને સ્થિર અને મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરી હતી.” “પુનઃસ્થાપન માટે કેટલાક લોકો-કેન્દ્રિત પગલાં લેવા સંમતિ થઈ છે.” મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, “આ સંદર્ભમાં, બંને પક્ષોએ 2025 ના ઉનાળામાં કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો.”
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. રપ/૦૧/ર૦રપ થી ર૭/૦૧/ર૦રપ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’, ‘હેલ્થ એન્ડ વેલનેસ’ અને ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશનનું સંયુકત આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૭:૦૦ કલાક સુધીનો રહેશે.
‘ફૂડ એન્ડ બેવરેજીસ’ એકઝીબીશન ર૦રપ
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત દેશ હવે ‘વિકસિત ભારત @ર૦૪૭’ની પરિકલ્પનાને સાકાર કરવા કૃષિ ક્ષેત્રમાં નવી ઓળખ ઉભી કરવા જઇ રહયો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વય અને આગવી સૂઝબૂઝ થકી કૃષિ ક્ષેત્ર પ્રગતિના પંથે આગળ વધી રહયું છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કૃષિ ક્ષેત્ર અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળી રહે અને તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે ફૂડ એન્ડ બેવરેજીસ એકઝીબીશનનું આયોજન કરવામાં આવે છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતનો બેલ્ટ કૃષિ ઉદ્યોગ માટે હબ છે ત્યારે આવનારા સમયમાં ઉદ્યોગ સાહસિકો તેમજ નવા એગ્રો ગ્રેજ્યુએટ્સ કૃષિ ઉદ્યોગમાં પોતાનું યોગદાન આપી શકે તે હેતુથી પણ આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકઝીબીશનમાં ૧૪૦ જેટલા એકઝીબીટર્સે ભાગ લીધો છે. જેમાં ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફુડ પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ્સ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇકવીપમેન્ટ એન્ડ રેફ્રીજરેશન એપ્લાયન્સિસ, વેર હાઉસિંગ એન્ડ કાર્ગો હેન્ડલીંગ, ફુડ ટેસ્ટીંગ લેબોરેટરીઝ, ઇન્સ્યુરન્સ એજન્સીઝ, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન ફુડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ, બેવરેજ, ફુડ પાર્કસ અને કન્ઝયુમર પેકેજડ ગુડ્સનું પ્રદર્શન કરવામાં આવશે.
ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘ફૂડ એન્ડ બેવરેજીસ’ એક્ષ્પોનો ઉદ્ઘાટન સમારોહ તા. રપ જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ–એ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં એકઝીબીશનના ઉદ્ઘાટક તરીકે લોકસભાના દંડક તેમજ વલસાડના સંસદ સભ્ય શ્રી ધવલભાઇ પટેલ ઉપસ્થિત રહેશે અને તેમના વરદ્ હસ્તે એકઝીબીશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે આણંદના સંસદ સભ્ય શ્રી મિતેષભાઇ પટેલ મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવશે.
ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોની મુલાકાત લેવા માટે ફુડ પ્રોસેસિંગ એન્ડ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીના મેન્યુફેકચરર્સ એન્ડ પ્રોફેશનલ્સ, એગ્રીકલ્ચર મશીનરી મેન્યુફેકચરર્સ, સપ્લાયર્સ એન્ડ એકસપર્ટ, ફુડ એન્ડ બેવરેજ પ્રોડયુસર્સ, ઇમ્પોર્ટર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ, એન્જીનિયર્સ/ટેકનોક્રેટ્સ, કન્સલ્ટન્ટ્સ એન્ડ એડવાઇઝર્સ, ફુડ કવોલિટી એસ્યોરન્સ પ્રોફેશનલ્સ, ઇન્ટરનેશનલ ડેલીગેટ્સ એન્ડ ડિપ્લોમેટ્સ, સીડ ફર્ટિલાઇઝર્સ એન્ડ એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારો, ટ્રેડર્સ, ઉદ્યોગ સાહસિકો અને ખેડૂતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ એક્ષ્પોમાં એકજ સ્થળે સુરતીઓને પ૦૦થી પણ વધુ ટેસ્ટી તથા હેલ્ધી વાનગીઓનો સ્વાદ માણવાનો મોકો મળશે.
‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશન ર૦રપ
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે પ્રથમ વખત ગ્લોબલ એક્ષ્ચેન્જ એન્ડ ટ્રેડ માટે ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને વિશ્વના અન્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને વ્યવસાયિક જોડાણો સરળતાથી થઇ શકે તે માટે આ એકઝીબીશન યોજાઇ રહયું છે. આ એકઝીબીશનમાં ભારત ઉપરાંત રશિયા, શ્રીલંકા અને અફઘાનિસ્તાનના પેવેલીયન મૂકવામાં આવશે. આ દેશો પોતાની સાંસ્કૃતિક વિવિધતાને પ્રકાશિત કરશે. સાથે જ તેમની શૈક્ષણિક તકો તથા સંભવિત વેપાર ભાગીદારીનું પ્રદર્શન કરશે. સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ આ એકઝીબીશન થકી વિવિધ દેશોના આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડાઇને બિઝનેસના વિકાસ માટે નવા વિકલ્પો શોધી શકશે.
‘SGCCI ગ્લોબલ વિલેજ’ એક્ષ્પોમાં ભુતાન, સેશલ્સ, ઇરાન, રશિયા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, સાઉદી અરેબિયા, માલાવી, થાઇલેન્ડ, યુ.એસ.એ., ઓસ્ટ્રેલિયા અને તાન્ઝાનિયા જેવા દેશોમાંથી વિઝીટર્સ મુલાકાત માટે આવશે.
આ એક્ષ્પોનો ઉદ્ઘાટન સમારોહ તા. રપ જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ–એ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં એકઝીબીશનના ઉદ્ઘાટક તરીકે ભારતના પૂર્વ ઉડ્ડયન મંત્રી શ્રી સુરેશભાઇ પ્રભુ ઉપસ્થિત રહેશે અને તેમના વરદ્ હસ્તે એકઝીબીશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. કઝાકિસ્તાનના ભારત સ્થિત ઓનરરી કાઉન્સીલ જનરલ તેમજ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ચેરમેન શ્રી વિજય કમાન્ત્રી અને સેશલ્સના ભારત સ્થિત હાઇ કમિશ્નર મીસ અકાઉચે હરીસોઆ લલાથીના અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
આ એકઝીબીશન દરમ્યાન આશરે ૧રથી વધુ એમઓયુ થવાની આશા છે, જેમાં પોઇન્ટ ટુ પોઇન્ટ, ચેમ્બર ટુ ચેમ્બર અને ચેમ્બર ટુ પોઇન્ટનો સમાવેશ થશે. એક્ષ્પોમાં ૧૦ દેશોમાંથી ૧૦૦થી વધુ બિઝનેસ પ્રતિનિધિઓ આવશે. આ ઉપરાંત એકઝીબીશન દરમ્યાન સુરતના શહેરીજનો માટે તથા આમંત્રિત મહેમાનો માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રીલંકા અને ભારત દેશ પોતાના સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરશે. આ કાર્યક્રમમાં ૧૧થી વધુ જુદા જુદા સેકટરના પ્રતિનિધિઓ પધારવાના હોઇ બીટુબી મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના બિઝનેસમેનો લઇ શકશે.
‘હેલ્થ એન્ડ વેલનેસ’ એકઝીબીશન ર૦રપ
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આરોગ્ય સબંધિત ઇન્ડસ્ટ્રીઝ, સ્ટાર્ટ–અપ અને ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી ‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦રપ’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આરોગ્ય ક્ષેત્રે સુરતમાં કાર્યરત જુદી–જુદી હોસ્પિટલો, આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સુવિધા આપતી હોસ્પિટલો, આયુર્વેદિક હોસ્પિટલો, હેલ્થ ઇન્ડસ્ટ્રી, મેડીકલ પ્રોડકટ, સોફટવેર, લેબોરેટરી તેમજ મેડીકલ ઇકવીપમેન્ટનું ઉત્પાદન કરતા ઉત્પાદકો તેમજ તે અંગેની સર્વિસ આપતી કંપનીઓ મળી ૬૦ જેટલા એકઝીબીટર્સ દ્વારા આ પ્રદર્શનમાં ભાગ લેવામાં આવ્યો છે.
‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પોના આયોજન પાછળનો મુખ્ય હેતુ એ છે કે, હેલ્થ ઇન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવી રહેલા યુવા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટ–અપ, કેન્દ્ર તથા રાજ્ય સરકારની આરોગ્ય સબંધિત જુદી–જુદી યોજનાઓથી વાકેફ થઇ શકે અને તેનો લાભ લઇ પોતાના ઉદ્યોગોનો ઝડપી વિકાસ સાધી શકે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ એક્ષ્પો થકી દક્ષિણ ગુજરાતમાં હેલ્થ ઇન્ડસ્ટ્રીમાં એક પ્રકારનું હેલ્ધી વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, હેલ્થ એન્ડ વેલનેસ એકઝીબીશનનો ઉદ્ઘાટન સમારોહ તા. રપ જાન્યુઆરી, ર૦રપના રોજ સાંજે ૬:૦૦ કલાકે સેમિનાર હોલ–એ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના કેન્દ્રિય જલશકિત મંત્રી શ્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે. સુરતના મેયર શ્રી દક્ષેશ માવાણી, ઇન્ડિયન મેડીકલ એસોસીએશન (ગુજરાત સ્ટેટ બ્રાન્ચ)ના પ્રમુખ ડો. મેહુલ શાહ અને સુરતના કલેકટર તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. સૌરભ પારધી (IAS) અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે. જ્યારે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર (હેલ્થ એન્ડ હોસ્પિટલ) ડો. આશિષ નાયક અને સુરતના ચીફ ડિસ્ટ્રીકટ હેલ્થ ઓફિસર ડો. અનિલ પટેલ સ્પેશ્યલ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે.
હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પોમાં કાચની સાફસફાઇ કરનારા રોબોટનું પ્રદર્શન કરાશે. એકઝીબીટરનું માનીએ તો હજી સુધી આ રોબોટનું મુંબઇના એકઝીબીશનોમાં પણ પ્રદર્શન થયું નથી, પ્રથમ વખત સુરતમાં ચેમ્બરના આ પ્રદર્શનમાં આ રોબોટને પ્રદર્શિત કરાશે. આ ઉપરાંત છેલ્લા રપ વર્ષોથી વિવિધ સોફટવેર પૂરા પાડનારી કેટલીક કંપનીઓ દ્વારા નવા સોફટવેરની માહિતી આપવામાં આવશે. આ એક્ષ્પોમાં ઓટીપી બેઇઝડ ફાર્મસી મેનેજમેન્ટ સોફટવેરનું લોન્ચીંગ કરવામાં આવશે.
આ ઉપરાંત આ એક્ષ્પોમાં એડવાન્સ રોબોટિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ સિસ્ટમ, એડવાન્સ 4K & 3D લેપ્રોસ્કોપિક યુનિટ અને એડવાન્સ લેટેસ્ટ માઇક્રોસ્કોપનું પણ પ્રદર્શન કરવામાં આવશે. તદુપરાંત લેટેસ્ટ સર્જિકલ રોબોટનું પણ પ્રદર્શન કરવામાં આવશે. અત્યાર સુધી અમદાવાદ અને મુંબઇની હોસ્પિટલોમાં દર્દીઓને રોબોટિક સર્જરી માટે જવું પડતું હતું, પરંતુ આ લેટેસ્ટ સર્જિકલ રોબોટને કારણે સુરતની હોસ્પિટલમાં જ રોબોટિક સર્જરી શકય થઇ છે.
આ પત્રકાર પરિષદમાં ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, તત્કાલિન નિવૃત્ત પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલા, ફૂડ એન્ડ બેવરેજીસ એકઝીબીશન– ર૦રપના ચેરમેન શ્રી કે.બી. પિપલીયા, હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦રપના ચેરપર્સન ડો. પારૂલ વડગામા ઉપસ્થિત રહયા હતા.
ભારતના ગોલ્ડન બોય અને ટોક્યો ઓલંપિકમાં ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાએ (Neeraj Chopra) પ્રભુતામાં પગલાં પાડ્યાં છે. નીરજ ચોપડાએ ઇન્સ્ટાગ્રામ પર લગ્નની ત્રણ તસવીરો શેર કરી છે. આમાં તે તેમની પત્ની સાથે જોવા મળ્યા. નીરજે કેપ્શનમાં લખ્યું- મારા પરિવાર સાથે જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો. નીરજે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, અમને આ ક્ષણ સુધી એકસાથે લાવનાર દરેક આશીર્વાદ માટે આભારી. પ્રેમથી બંધાયેલા અને હંમેશા માટે ખુશ.
जीवन के नए अध्याय की शुरुआत अपने परिवार के साथ की। 🙏
Grateful for every blessing that brought us to this moment together. Bound by love, happily ever after.
નીરજ ચોપરા લગ્ન કરી લીધા છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. નીરજની પત્નીનું નામ હિમાની છે. નીરજે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની પત્ની હિમાની સાથે મંડપમાં બેઠેલી લગ્નની તસવીર શેર કરી. જેમાં પરિવારના થોડા જ સભ્યો જોવા મળ્યા હતા. તેમણે તેની માતા સાથેનો એક ફોટો પણ શેર કર્યો.
અમેરિકામાં ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે 47મા પ્રમુખ તરીકે શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓના વિરોધમાં રાજધાની વોશિંગ્ટનમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સખી ફોર સાઉથ એશિયન સર્વાઈવર્સ સહિત કેટલીક સંસ્થાઓ પીપલ્સ માર્ચના બેનર હેઠળ એક મંચ પર આવી હતી અને તેમણે ઈમિગ્રેશન સહિતની ટ્રમ્પની નીતિઓ સામે દેખાવો કર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2017માં પહેલી વખત પ્રમુખપદના શપથ લીધા ત્યારે પણ હજારો લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. બીજીબાજુ ટ્રમ્પે રવિવારે તેમના સમર્થનમાં યોજાયેલી ‘મેક અમેરિકા ગ્રેટ અગેઈન વિક્ટરી’ રેલીને સંબોધન કર્યું હતું.
રાજધાની વોશિંગ્ટનમાં કેપિટોલ હિલ ખાતે 78 વર્ષના રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે પ્રમુખપદના શપથ લઈને 82 વર્ષના જો બાઈડેનના ઉત્તરાધિકારી બનશે. અગાઉ વીમેન્સ માર્ચ તરીકે ઓળખાતી પીપલ્સ માર્ચના બેનર હેઠળ વર્ષ ૨૦૧૭થી પ્રત્યેક વર્ષે દેખાવો યોજવામાં આવે છે. ટ્રમ્પ વિરોધી પોસ્ટર અને બેનરો દર્શાવતા દેખાવકારોએ નવા પ્રમુખ અને દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઈલોન મસ્ક સહિત ટ્રમ્પના કેટલાક સમર્થકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. આ જ ગૂ્રપે રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારે જાન્યુઆરી 2017માં પણ તેમનો વિરોધ કર્યો હતો. રાજધાની વોશિંગ્ટન ડીસીમાં શનિવારે ત્રણ વિવિધ પાર્કમાં શ્રેણીબદ્ધ દેખાવો શરૂ થયા હતા અને તેઓ લિંકન મેમોરિયલ નજીક એકત્ર થયા હતા. પીપલ્સ માર્ચે જણાવ્યું હતું કે, સામુહિક વિરોધ અમારી કોમ્યુનિટીસની તાકત દર્શાવવાની સૌથી અસરકારક રીત છે. અમે ફાસીવાદ સામે ઝૂક્યા નથી. વોશિંગ્ટન ડીસીમાં આ રેલીઓ અને દેખાવો એવા સમયે થઈ રહ્યા છે જ્યારે યોગાનુયોગ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ સમારંભ માટેના વીકએન્ડ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે વોશિંગ્ટન ડીસી પહોંચ્યા છે.
ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે દેખાવો યોજનારી સંસ્થાઓમાં એબોર્શન એક્શન નાઉ, ટાઈમ ટુ એક્ટ, સિસ્ટર સોંગ, વીમેન્સ માર્ચ, પોપ્યુલર ડેમોક્રસી ઈન એક્શન, હેરિએટ્સ વાઈલ્ડેસ્ટ ડ્રીમ્સ, ધ ફેમિનિસ્ટ ફ્રન્ટ, નાઉ, પ્લાન્ડ પેરેન્ટહૂડ, નેશનલ વીમેન્સ લો સેન્ટર એક્શન ફંડ, સિએરા ક્લબ અને ફ્રન્ટલાઈનનો સમાવેશ થાય છે. આ સંગઠનો દ્વારા વોશિંગ્ટન ડીસી ઉપરાંત ન્યૂયોર્ક, સીએટલ અને શિકાગો જેવા અન્ય શહેરોમાં પણ નાના પાયે વિરોધ પ્રદર્શન અને રેલી યોજવામાં આવ્યા હતા.
દરમિયાન હજારો લોકોના વિરોધ વચ્ચે ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે શપથ સમારંભ પહેલાં રવિવારે વોશિંગ્ટન ડીસીમાં કેપિટલ વન અરેના ખાતે ‘મેક અમેરિકા ગ્રેટ અગેઈન વિક્ટરી’ રેલીમાં જોડાયા હતા. આ એ જ જગ્યા છે જ્યાં ટ્રમ્પે ૬ જાન્યુઆરી ૨૦૨૧માં તેમના પરાજયના વિરોધમાં સમર્થકોને કેપિટોલ હિલ કબજે કરવાની હાકલ કરી હતી. આ ઘટના પછી ટ્રમ્પે પહેલી વખત આ સ્થળ પર તેમના સમર્થકોને સંબોધન કર્યું હતું. આ રેલીને ઈલોન મસ્ક અને ચૂંટાયેલા ઉપપ્રમુખ જેડી વાન્સ, અલ્ટિમેટ ફાઈટિંગ ચેમ્પિયનશિપના સીઈઓ ડેના વ્હાઈટ, કન્ઝર્વેટિવ એક્ટિવિસ્ટ ચાર્લી કિર્ક અને કન્ઝર્વેટીવ ટેકેદાર મેગન કેલીએ પણ સંબોધન કર્યું હતું.
દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે પ્રમુખપદે શપથ લીધા પછી કોઈપણ સમય બગાડયા વિના પહેલા જ દિવસે ૧૦૦થી વધુ આદેશો પર હસ્તાક્ષર કરવાની તૈયારી કરી લીધી છે. આ આદેશોમાં મોટાભાગે ટ્રમ્પના ચૂંટણી વચનોને પૂરા કરવાનો આશય છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, પ્રમુખપદે શપથ લીધા પછી પહેલાં જ દિવસે વિક્રમી સંખ્યામાં આદેશો પર હસ્તાક્ષર કરવાની તેમની યોજના છે.
ટ્રમ્પના સહયોગીઓમાંના એક સ્ટીફન મિલરે જણાવ્યું હતું કે, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા દિવસે દક્ષિણની સરહદ સીલ કરવા, ગેરકાયદે વસાહતીઓની સામૂહિક હકાલપટ્ટી, મહિલાઓની રમતોમાં ટ્રાન્સજેન્ડર્સને દૂર કરવા, એનર્જી એક્સ્પ્લોરેશન પરના પ્રતિબંધો દૂર કરવા અને સરકારની કાર્યક્ષમતામાં સુધારા સહિતના આદેશો પર હસ્તાક્ષર કરશે. વધુમાં ડોનાલ્ડ ટ્રમ્પ ચાર વર્ષ પહેલાં ૬ જાન્યુઆરીએ યુએસ કેપિટોલ હિલ પર હુમલામાં કાયદાકીય એજન્સીઓએ ધરપકડ કરેલા ટ્રમ્પના સમર્થકોને માફી આપવાના આદેશો પર પણ હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે.
અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે પ્રમુખપદના શપથ લેશે. આ સમારંભમાં હાજરી આપવા માટે દુનિયાના 100થી વધુ દિગ્ગજોને આમંત્રણ અપાયું છે. આ દિગ્ગજોમાં ભારતના ટોચના ઉદ્યોગપતિ દંપતિ મુકેશ અને નીતા અંબાણીનો પણ સમાવેશ થાય છે. આ શપથ સમારંભ પહેલાં શનિવારે અંગત ડિનરનું આયોજન કરાયું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન નીતા અંબાણીએ આ કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. અંબાણી પરિવાર અને ટ્રમ્પ પરિવાર લાંબા સમયથી એકબીજાની નજીક રહ્યા છે. વર્ષ 2017માં ગ્લોબલ એન્ટરપ્રિન્યોરશિપ સમિટ સમયે ઈવાન્કા ટ્રમ્પ હૈદરાબાદ આવી હતી ત્યારે મુકેશ અંબાણી તે કાર્યક્રમમાં જોડાયા હતા. આ સિવાય ૨૦૨૪માં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાં જામનગરમાં યોજાયેલા પ્રી-વેડિંગમાં ઈવાન્કા ટ્રમ્પ, પતિ જેરેડ કુશનર અને પુત્રી અરેબેલા સાથે આવી હતી.
દેશમાં સંસદનું બજેટ સત્ર(Budget Session)31 જાન્યુઆરીથી પ્રારંભ થશે. બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિનું અભિભાષણ થશે અને 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ સત્ર હશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો તબક્કો 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું આઠમું બજેટ રજૂ કરશે. આ વખતે પણ નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે.
દેશની અઢારમી લોકસભાનું આ ચોથું સત્ર હશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. આ અગાઉ ગયા વર્ષે યોજાયેલા શિયાળુ સત્રમા હંગામો જોવા મળ્યો હતો. શિયાળુ સત્રના પહેલા ચાર દિવસ માટે ગૃહની કાર્યવાહી સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવી હતી.
આ સમયગાળા દરમિયાન, સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક પછી આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. બજેટ સત્રનો બીજો તબક્કો 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે. સત્ર દરમિયાન દિલ્હી ચૂંટણીના દિવસે 5 ફેબ્રુઆરીએ સંસદમાં કોઈ કાર્યવાહી થશે નહીં. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા 3 ફેબ્રુઆરીથી શરૂ થશે.
ટેલિકોમ વિભાગે સાયબર ફ્રોડને રોકવા માટે નવી જ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશન મારફત મોબાઈલ પરથી ઓનલાઈન ફ્રોડ સંબંધિત છેતરપિંડીથી લઈને ફોન ગૂમ થવા મુદ્દે ફરિયાદ દાખલ કરી શકાશે, એમ સરકાર દ્વારા દાવો કરવામાં આવે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ નાણાકીય વ્યવહાર આખી દુનિયામાં સૌથી વધુ ક્યાંય થયો હોય તો તે આપણું ભારત છે, પરંતુ જેમ જેમ લોકો ડિજિટલ વ્યવહારો કરવા લાગ્યા છે તેમતેમ છેતરપિંડી પણ વધવા લાગી છે. મધ્યમવર્ગના માનવી તો આવી છેતરપિંડીમાં આખી જિંદગીની કમાણી ગુમાવી બેસે છે. આજકાલ ‘ડિજિટલ અરેસ્ટ’ અને તેના જેવા અનેક ‘સાયબર ફ્રોડ’ સોશિયલ મીડિયાના માધ્યમથી થતા હોવાની ફરિયાદો વધી જતાં સરકારે પણ તેના પર લગામ તાણવા માટે નક્કર તૈયારીઓ કરી છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ લોકોની સુવિધા માટે ‘સંચાર સાથી’ એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા ઓનલાઈન છેતરપિંડીથી લઈને ફોન ખોવાઈ જવા સુધીની ફરિયાદો મોબાઈલ પર જ નોંધાવી શકાય છે. આ એપ લોન્ચ થવાથી રિપોર્ટિંગની પ્રક્રિયા સરળ બની ગઈ છે.
તમને જણાવી દઈએ કે અગાઉ ફોન ચોરી અને નકલી કોલની ફરિયાદ કરવા માટે સંચાર સાથીની વેબસાઈટ પર જવું પડતું હતું. જો કે હવે મોબાઈલ ફોન દ્વારા પણ જાણ કરી શકાશે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સંચાર સાથી એપના લોન્ચ દરમિયાન કહ્યું કે આ એપ દ્વારા દેશના લોકો સુરક્ષિત રહેશે અને ગુપ્તતા જળવાઈ રહેશે.
અન્ય કોઈ પણ એપની જેમ સંચાર સાથી પણ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી શકાય છે. આ એપ પર જઈને તમે જાણી શકો છો કે તમારા નામે કેટલા કનેક્શન ખોટી રીતે લેવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે તે કનેક્શન્સને બ્લોક પણ કરી શકાય છે. આ સિવાય એપ પર જઈને ફોન ખોવાઈ જવા કે ચોરાઈ જવાનો રિપોર્ટ નોંધાવી શકાય છે. આમાં ઉપકરણને ટ્રેક કરી શકાય છે તેમ જ ફેક મેસેજ અને કોલની ફરિયાદ પણ કરી શકાય છે.
તમને જણાવી દઈએ કે સંચાર સાથી પોર્ટલ બે વર્ષ પહેલા એટલે કે ૨૦૨૩માં લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે એપ રજૂ કરવામાં આવી છે. વધુને વધુ લોકો તેનો ઉપયોગ કરીને પોતાને સુરક્ષિત રાખી શકશે.
અત્યાર સુધી GUJCET પરીક્ષાના સ્કોરના આધારે મેરીટ લિસ્ટ બનતું હતું હવે મેડીકલ અને પેરામેડીકલની જેમ વેટરનરી અભ્યાસ માટે પણ NEET UGનો સ્કોર જરૂરી
ધો.12 સાયન્સ બાયોલોજી વિષય સાથે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ હજુ એ વાતથી અજાણ છે કે વેટરનરી સાયન્સ અને એનિમલ હસબન્ડરી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે 2025-2026ના શૈક્ષણિક વર્ષથી ગુજકેટની જગ્યાએ નીટ યુજીની પરીક્ષાનો સ્કોર ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. મેડીકલ અને પેરામેડીકલની જેમ હવે વેટરનરી તબીબ બનવા માટે પણ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓએ નીટ યુજી પરીક્ષા 2025 આપવી ફરજિયાત છે અન્યથા આ અભ્યાસક્રમમાં પ્રવેશથી વંચિત રહેવું પડશે. હાલમાં ધો.12 બાયોલોજી વિષય સાથે અભ્યાસ કરી રહેલા મોટા ભાગના વિદ્યાર્થીઓ આ બાબતથી અજાણ હોવાનું જાણવા મળે છે.
ગુજરાતમાં વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી અભ્યાસક્રમનું સંચાલન કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન કોલેજો દ્વારા કરવામાં આવે છે. રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે તાજેતરમાં એવો ઠરાવ કર્યો છે કે વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાને લઇ ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ કે જેઓને બેચલર ઇન વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી અભ્યાસક્રમમાં સ્ટેટ ક્વોટાની સીટો પર પ્રવેશ આપવા માટે ગુજકેટ પ્રવેશ પરીક્ષાની સ્કોર ફરજિયાત હતો તેના બદલે શૈક્ષણિક વર્ષ 2025-2026થી નીટ યુજી પ્રવેશ પરીક્ષાનો સ્કોર ફરજિયાત કરવામાં આવ્યો છે. વેટરનરી અભ્યાસક્રમમાં પ્રવેશનું મેરીટ લિસ્ટ હવેથી નીટ યુજી પરીક્ષામાં મેળવાયેલા માર્કસના આધારે તૈયાર કરવામાં આવશે. જે વિદ્યાર્થી નીટ યુજી પરીક્ષા આપી ન હશે તેઓ વેટરનરી અભ્યાસક્રમમાં પ્રવેશપાત્ર ગણાશે નહીં.
રાજ્ય સરકારનું કહેવું છે વેટરનરી સાયન્સ જેવા અભ્યાસક્રમમાં પ્રવેશમાં એકસૂત્રતા જળવાય તે માટે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં વેટરનરી સાયન્સમાં નેશનલ ક્વોટાની સીટો પર પ્રવેશ પ્રક્રિયા ઇન્ડિયા કાઉન્સિલ ફોર એગ્રિકલ્ચર રિસર્ચ દ્વારા નીટ યુજીના સ્કોરના આધારે થાય છે, જ્યારે ગુજરાત રાજ્યમાં આ જ અભ્યાસક્રમમાં સ્ટેટ ક્વોટાની સીટ માટે ગુજકેટનો સ્કોર ગણતરીમાં લેવાય છે. આથી વિદ્યાર્થીઓએ બન્ને પરીક્ષા આપવી પડતી હોવાથી એકસૂત્રતા જળવાય તે હેતુથી વેટરનરી સાયન્સના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ચાલુ વર્ષથી નીટ યુજી પરીક્ષા ફરજિયાત કરી દેવામાં આવી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.