દક્ષિણ કોરિયામાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. રવિવારે એરપોર્ટ પર એરક્રાફ્ટનું લેન્ડિંગ ગિયર ખરાબ થઈ ગયું હતું. જેના કારણે વિમાન રનવે પરથી સરકીને વાડ સાથે અથડાયું હતું. આ પછી પ્લેનમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને હવે 179 પર પહોંચી ગયો હોવાની આશંકા છે. અમુક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિમાનમાં હાજર 179 લોકો મૃત્યુ પામી ગયા છે જ્યારે માત્ર 2ને જ બચાવી શકાયા છે.
સ્થાનિક ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર આ વિમાન દુર્ઘટના બાદ લાગેલી આગમાં 179 લોકોના મોત થયાનો દાવો કરવામાં આવ્યો છે. આગના સમાચાર મળતા જ એરપોર્ટ પર તૈનાત ફાયર બ્રિગેડની ટીમ એક્શનમાં આવી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ પ્લેનમાં લગભગ 181 લોકો સવાર હતા. જેમાંથી 2ને બચાવી શકાયાની માહિતી મળી રહી છે. હજુ બચાવકામગીરી ચાલી રહી છે. વર્ષના અંતે આ સૌથી મોટી કરુણાંતિકા માનવામાં આવી રહી છે.
કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયો અને માહિતી અનુસાર દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટના હવામાં વિમાન સાથે પક્ષીના અથડાવાને કારણે સર્જાઈ હોવાનું પણ મનાય છે. આ દુર્ઘટનામાં 179 લોકો જીવ ગુમાવી ચૂક્યાની માહિતી સામે આવી રહી છે. પહેલા મૃત્યુઆંક 28 જાહેર કરવામાં આવ્યો હતો. જે વધીને 85 પર પહોંચ્યો હતો. જોકે વિમાનમાં કુલ 175 મુસાફર અને 6 ક્રૂ મેમ્બર્સ સહિત 181 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેજુ એરનું આ વિમાન થાઈલેન્ડથી ઉડ્યું હતું. તે દક્ષિણ કોરિયાના મુઆન ઈન્ટરનેશન એરપોર્ટ પર લેન્ડ કરવા જતાં જ આગની લપેટમાં આવી ગયું હતું અને રનવેથી લપસી થતાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઉથ કોરિયાના મુઆન એરપોર્ટ પર રવિવારે એક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના મુજબ જેજુ એરના વિમાનમાં આગ લાગી. આ ફ્લાઈટ થાઈલેન્ડથી પરત ફરી રહી હતી. સ્થાનિક મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં પ્લેન સળગતું જોઈ શકાય છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. અકસ્માતના કારણની તપાસ ચાલુ છે.
ઉમરગામ થી મહેમદાબાદ, સમગ્ર સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના અમુક ભાગોના બનેલ રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦ની ૧૦૫ કલબોના ૧૬૦૦ થી વધુ પ્રતિનિધિઓની હાજરીવાળી ડિસ્ટ્રિકટ કોન્ફરન્સ જોધપુર ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઇ.
રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦ના ડિસ્ટ્રિકટ ગવર્નર રોટેરિયન તુષાર શાહ અને ફર્સ્ટ લેડી નેહલબેન શાહના નેતૃત્વમાં આયોજિત થયેલી આ કોન્ફરન્સમાં રોટરી આંતરરાષ્ટ્રીય પ્રમુખના પ્રતિનિધિ તરીકે ભૂતપૂર્વ ડિસ્ટ્રિકટ ગવર્નર મેહુલભાઈ રાઠોડ (અમદાવાદ) ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત અન્ય મહાનુભાવોમાં ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ કલ્યાણ બેનરજી (વાપી), ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ડીરેકટર ડૉ. મનોજ દેસાઈ (બરોડા) ઉપરાંત ભૂતપૂર્વ ડિસ્ટ્રિકટ ગવર્નરશ્રીઓ નિહિર દવે (આણંદ), શ્રીકાંત ઇન્દાની (દોંડાઇચા), સંતોષ પ્રધાન (સુરત), પ્રશાંત જાની (સુરેન્દ્રનગર), અનિષ શાહ (વલસાડ), પિન્કીબેન પટેલ (બરોડા), રુચિર જાની (વાપી), હિતેશ જરીવાલા (સુરત), જતીન ભટ્ટ (બરોડા), પરાગ શેઠ (ભરૂચ), દેવાંગભાઈ ઠાકોર (ભરૂચ), સુરેન્દ્રસિંહ રાજપૂત (સરીગામ), આશિષ રૉય (વાપી), આશિષ અજમેરા (ધુલિયા), ડૉ. નિલાક્ષ મુફતી (વલસાડ), ડિસ્ટ્રિકટ ગવર્નર ઇલેકટ અમરદીપ બુનેટ (ભરૂચ), ડિસ્ટ્રિકટ ગવર્નર (૨૦૨૭-૨૮)-આશિષ પટવારી (ધુલિયા) ઉપરાંત જેમણે પોતાની સમગ્ર સંપત્તિ રોટરીવાદને સમર્પિત કરી દીધી છે તેવા મેક્સિકોના લેડી રોટેરિયન ડેલ (DALE) સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્દઘાટન સમારોહના ચીફ ગેસ્ટ દેવદત્ત પટનાયકે “માઈથોલોજી” વિષય પર મનનીય પ્રવચન પ્રસ્તુત કર્યું હતું.
ઇન્દોરના પ્રસિદ્ધ નાદયોગ ગુરુકુલના કલાકારોએ અદ્દભૂત સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો, જયારે દેશના ટોચના વાંસળીવાદક તેજસ અને તબલાવાદક મિતાલીજીના સાનિધ્યમાં પ્રસ્તુત થયેલ કાર્યક્રમે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
ઉદ્દઘાટન સમારોહ બાદ પર્વતારોહક અજીત બજાજે તેમના અદ્વિતિય સાહસોની સનસનાટીભરી સાહસ કથા પ્રસ્તુત કરી હતી.
ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ કલ્યાણ બેનરજીના જીવન અને કવન પર આધારિત વાતોને સૌ વધાવી લીધી હતી.
માનવતા માટે નાણાંનો અવિરત સ્ત્રોત વહેવડાવનાર રોટેરિયન મિત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
અધિવેશનના બીજા દિવસે લેફટનન્ટ કર્નલ કે. જે. એસ. ધિલ્લોને “કહાની : ઝમીર અને ઝનૂન કી” વિષય પર ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ડિરેકટર મનોજભાઈ દેસાઈની સાથે રહીને રસપ્રદ પ્રશ્નોત્તરીના સથવારે સૌને અત્યાર સુધી નહિ ખબર હોય તેવી અનેક વાતોને પ્રસ્તુત કરી હતી.
વંદે ભારત ટ્રેનના પ્રેરણાસ્ત્રોત સમા સુધાંશુ મણિએ ઝુમના માધ્યમ દ્વારા “લીડરશીપ અને ઇનોવેશન” વિષય પર અસરકારક વકતવ્ય પ્રસ્તુત કર્યું હતું.
આ અધિવેશનના મુખ્ય આકર્ષણ સમા કેરલના રાજ્યપાલ શ્રી આરિફ મહંમદ ખાને પોતાની વિધ્વત્તાભરી શૈલીમાં “જીવનના મૂલ્યો”ને સમજાવ્યા હતા અને દેશની નામાંકિત સંગીત કલાકાર સન્મુખા પ્રિયાએ અભૂતપૂર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરીને સૌને ડોલાવી દીધા હતા.
અધિવેશનના ત્રીજા દિવસે જાણીતા ડાયેટિશિયન જીનલ શાહે “આદર્શ જીવનશૈલી” વિષય પર અર્થસભર વાતો પ્રસ્તુત કરી હતી. ખાસ કરીને માણસના આરોગ્યને તંદુરસ્ત રાખવા માટે કયા પ્રકારના ખોરાકો ખાવા જોઈએ અને કયા પ્રકારના ખોરાકો નહિ ખાવા જોઈએ તે વિષયે ઊંડાણથી સમજ આપી હતી.
હિંદી ફિલ્મ જગતના મહાન હાસ્ય કલાકાર રાકેશ બેદીએ “આપણા સૌના મૂળિયા” (Roots) વિષય પર સતત ૪૫ મિનિટ સુધી અકલ્પનિય પ્રવચન આપ્યું હતું.
રોટરીના મૂળભૂત સાત સિદ્ધાંતો અને તેના અસરકારક પાલનને કારણે સમાજને થઇ રહેલા ફાયદાઓ વિશે વિવિધ વિશેષજ્ઞોએ અર્થસભર વકતવ્યો પ્રસ્તુત કર્યા હતા. જેમાં ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ડિરેકટર કમલ સંઘવી સહિત અન્ય મહાનુભાવોનો સમાવેશ થયો હતો.
આ કોન્ફરન્સને સફળ બનાવવા માટે કોન્ફરન્સ ચેરમેન કેતન પટેલ (વાપી), કોન્ફરન્સ કો-ચેરમેનો શ્રીમતી રાનુબેન અજમેરા (ધુલિયા) અને ચિરાગ ગાંધી (સુરત), કોન્ફરન્સ સેક્રેટરી પંકજ શાહ (વડોદરા), રોટરી કલબ ઓફ સુરત તાપીના પ્રમુખ નિધી પચ્ચીગર (સુરત), ડિસ્ટ્રિકટ સેક્રેટરી રૂપલ દામાણી અને કોન્ફરન્સની સમગ્ર ટીમે નિષ્ઠાવાન પ્રયત્નો કરીને આ કોન્ફરન્સને સફળ બનાવી હતી.
એક તરફ એવી પણ શંકાઓ તે દુર્ઘટનાગ્રસ્ત અઝરબૈજાન એરલાઇન્સનું પ્લેન એમ્બ્રિટ-190, અઝરબૈજાનમાં તુટી પડયું તે અંગે એવી પણ થીયરી ચાલે છે કે કોઈ મોટુ પક્ષી તે વિમાન સાથે અથડાતાં એ દુર્ઘટના બની હશે. સાથે બીજી થીયરી જોર પકડતી રહી છે કે, રશિયાની સ્વયમ-સંચાલિત એર-ડીફેન્સ સિસ્ટીમે તે વિમાન યુક્રેનનું ડ્રોન માની તોડી પાડયું હશે.
આ થિયરી અત્યારે સોશ્યલ મિડીયા ઉપર ચાલી રહી છે. તે દુર્ઘટના વિમાનમાં 67 પ્રવાસીઓ અને બે પાયલોટ તથા ત્રણ અન્ય ક્રૂ મેમ્બર્સ સાથેનું તે વિમાન અઝરબૈજાનથી ચેચાન્યાના ગ્રોઝની જઈ રહ્યું હતું. તે કઝાખસ્તાનનાં આકતુ નજીક તૂટી પડયું. આકતુ વિમાનગૃહ ઉપર ઇમરજન્સી-લેન્ડિંગ કરવા તે વિમાને પરવાનગી માગી હતી. ત્યાં ઉતરતાં તે તૂટી પડયું. આ ઘટના અંગે જે વિડીયો પ્રસિદ્ધ થયા છે તેમાં વિમાનમાં ગોળીથી પડેલા છિદ્રો દેખાય છે. તેથી નેટિઝન્સ માને છે કે તે વિમાનને રશિયાની સ્વચાલિત એર-ડીફેન્સ સિસ્ટીમે યુક્રેનનું ડ્રોન માની ગોળીબાર કરતાં વિમાન તૂટી પડયું હશે. તે ગોળીઓના છિદ્રો તો વિમાનની બેઠકોમાં પણ જોવા મળ્યા છે.
પહેલા તેમ મનાતું હતું કે, કોઈ મોટુ પક્ષી કે પક્ષીઓનું જુથ તે વિમાન સાથે અથડાતા તે વિમાન તૂટી પડયું હશે. પરંતુ પછીથી જાણવા મળ્યું છે કે ઓકિસજન ટેન્કમાં ધડાકો થતાં તે વિમાન તૂટી પડયું હશે. આ ઓકિસજન ટેન્કની સપ્લાઈ પાઈપ કોકપીટમાં પણ પહોંચે છે. આ ધડાકાથી વિમાન ટુકડે ટુકડા થઈ ગયું હશે, તેમ પણ અનુમાન કરાય છે.
૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા ૨૦૧૮-૧૯માં ભાજપને રૃ. ૭૪૦ કરોડ અને કોંગ્રેસને રૃ. ૧૪૬ કરોડ નું દાન મળ્યું હતું કોંગ્રેસને રૃ. ૨૮૧ કરોડનું દાન મળ્યું ઃ ચૂંટણી પંચ
દેશના શાસક પક્ષ ભાજપને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૨૬૦૪.૭૪ કરોડ રૃપિયાનું દાન પ્રાપ્ત થયું છે. જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસને ૨૮૧.૩૮ કરોડ રૃપિયા દાનમાં મળ્યા છે તેમ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.
ડોનેશનના આ આંકડા એક એપ્રિલ, ૨૦૨૩ થી ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધીના છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાના નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ભાજપને ૭૪૦ કરોડ રૃપિયા દાનમાં મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસને ૧૪૬ કરોડ રૃપિયાનું ડોનેશન મળ્યું હતું.
ભાજપ અને કોંગ્રેસ બંનેને સૌથી વધારે ડોનેશન પ્રૂડેંટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ પાસેથી મળ્યું છે. જેણે ભાજપને ૭૨૩ કરોડ રૃપિયા અને કોંગ્રેસને ૧૫૬ કરોડ રૃપિયા આપ્યા છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો ૨૦૨૩-૨૪માં ભાજપને લગભગ ૩૩ ટકા અને કોંગ્રેસને ૫૦ ટકાથી વધુ દાનની રકમ પ્રૂડેંટ ઇલેક્ટોરલ ટ્રસ્ટે આપી હતી.
ભાજપ અને કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા દાનની રકમમાં ઇલેકટોરલ બોન્ડ દ્વારા આપવામાં આવેલા નાણાંનો સમાવેશ થતો નથી.
માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય પક્ષ આમ આદમી પાર્ટી (આપ)ને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૧.૦૬ કરોડ રૃપિયાનું દાન મળ્યું છે. અન્ય રાષ્ટ્રીય પક્ષ સીપીઆઇ-એમને ૭.૬૪ કરોડ રૃપિયાનું ડોનેશન મળ્યું હતું.
ઉત્તર પૂર્વના એક માત્ર માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય પક્ષ નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ને દાનમાં ૧૪.૮૫ લાખ રૃપિયા મળ્યા છે.
કોંગ્રેસને ૧.૩૮ લાખ રૃપિયાની એવી દાનની રકમ પ્રાપ્ત થઇ છે જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, કે સી વેણુગોપાલ અને દિગ્વિજય સિંહ સહિતના ટોચના નેતાઓ પાસેથી મળેલ દાન પણ સામેલ છે.
એનસીડીઆરસીની 30 ટકાની ટોચમર્યાદાનો 16 વર્ષ જૂનો આદેશ સુપ્રીમ કોર્ટે ફગાવતા બેન્કોને રાહત મળી સુપ્રીમ કોર્ટે ક્રેડિટ કાર્ડ આપતી બેન્કો માટે અત્યંત મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદા મુજબ ક્રેડિટ કાર્ડ આપતી બેન્કો ગ્રાહકો પાસેથી ૩૦ ટકા કરતાં વધુ ચાર્જ વસૂલી શકે છે. આમ તેણે ૧૬ વર્ષ જૂનો નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનનનો આદેશ રદ કર્યો છે, જેણે ક્રેડિટ કાર્ડ કંપનીઓ પર ૩૦ ટકાની ટોચમર્યાદા લાદી હતી. હવે બેન્કો કાર્ડના બાકી લેણા પર ૫૦ ટકા સુધીનું વ્યાજ વસૂલી શકે છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સીધો અર્થ એવો થાય કે જો તમે બિલ પેમેન્ટ કરો છો કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કોઈ ખરીદદારી કરો છો. તેમા જો તમે બિલ ભરવાનું ભૂલી ગયા તો બેન્ક પોતાની મનમરજી મુજબ આ ભૂલ માટે પેનલ્ટી લગાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે એનસીઆરડીસીએ ૩૦ ટકાની ટોચમર્યાદા લગાવ્યા પછી બેન્કોએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. બેન્કોના તરફથી દલીલ કરવામાં આવી હતી કે ૩૦ ટકાની ટોચમર્યાદા નક્કી કરવામાં આવ્યા પછી તેઓ ક્રેડિટ કાર્ડ ડિફોલ્ટરને અસરકારક રીતે પહોંચી વળી શકતા નથી. કોર્ટ તરફથી બેન્કોની તરફેણમાં આવેલો આ ચુકાદો ક્રેડિટ કાર્ડધારકોની આંખ ખોલી નાખનારો ચુકાદો છે.
ન્યાયાધીશ બેલા એમ ત્રિવેદી અને સતીશ શર્માની બેન્ચે જણાવ્યું હતું કે એનસીડીઆરસીનું નિરીક્ષણ છે કે ૩૦ ટકાથી ઊંચો વ્યાજદર અયોગ્ય ધંધાકીય રીતરસમ છે તો તેને અયોગ્ય ઠેરવવી જોઈએ. આ સ્પષ્ટપણે રિઝર્વ બેન્કના આદેશનો રીતસરનો ભંગ છે. કોર્ટે જણાવ્યું હતું કે આ આદેશ બેન્કિંગ નિયંત્રણ ધારા ૧૯૪૯ના આદેશનો ભંગ છે.
કોર્ટે તો ત્યાં સુધી જણાવી દીધું હતું કે એનસીડીઆરસીને કોઈ અધિકાર જ નથી કે તે બેન્કો અને ગ્રાહક વચ્ચે થતાં કરારને લઈને કોઈ આદેશ આપે. આ તેના અધિકાર ક્ષેત્ર બહારની વાત છે. બેન્ચે તેના ૨૦મી ડિસેમ્બરના ચુકાદામાં જણાવ્યું હતું કે અમે અહીં રિઝર્વ બેન્કની તે રજૂઆત સાથે સંમત છીએ કે વર્તમાન કિસ્સામાં રિઝર્વ બેન્કને બેન્કો સામે, બેન્કને કે બેન્કિંગ સેક્ટર સામે કોઈપણ પ્રકારના પગલાં લેવાનો આદેશ આપવાની જરૂર અહીં વર્તાતી નથી.
પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. આજે (26 ડિસેમ્બર) તેમની તબીયત લથડી હતી, ત્યારબાદ તુરંત દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે. દિવંગત ડૉ. મનમોહન સિંહના પરિવારજનો હોસ્પિટલમાં હાજર છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટકના બેલગામથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતા અને વાયનાડ બેઠક પરના સાંસદ પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ હોસ્પિટલ પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદી પણ એમ્સ જશે. તો કોંગ્રેસ, ભાજપ, આપના નેતાઓ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. દેશમાં શોકની લહેર પ્રસરી છે. કોંગ્રેસે આવતીકાલના તમામ કાર્યક્રમ રદ કર્યા. એઈમ્સની આસપાસની સુરક્ષામાં વધારો કરાયો.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું છે. દિલ્હી AIIMS તરફથી એક સ્ટેટમેન્ટ જાહેર કરાયું છે. જેમાં કહેવાયું છે કે, અત્યંત દુઃખ સાથે અમે ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહના 92 વર્ષની ઉંમરે નિધનની માહિતી આપી રહ્યા છીએ. ઉંમર સંબંધિત બીમારીઓના કારણે તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ 26 ડિસેમ્બર 2024એ ઘર પર અચાનક બેભાન થઈ ગયા હતા. ઘર પર જ તેમણે હોશમાં લાવવાના પ્રયાસ કર્યા. તેમણે રાત્રે 8:06 વાગ્યે દિલ્હી AIIMSના મેડિકલ ઇમરજન્સીમાં લવાયા હતા. તમામ પ્રયાસો છતાં તેમને બચાવી ન શકાયા અને રાત્રે 9:51 વાગ્યે તેમનું નિધન થઈ ગયું.
રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું
મનમોહન સિંહજીએ અપાર વિદ્વતા અને અખંડિતતા સાથે ભારતનું નેતૃત્વ કર્યું. તેમની નમ્રતા અને અર્થશાસ્ત્રની ઊંડી સમજથી રાષ્ટ્રને પ્રેરણા મળી. શ્રીમતી કૌર અને પરિવાર પ્રત્યે મારી દિલથી સંવેદના. મેં એક માર્ગદર્શક ગુમાવ્યા છે. આપણામાંના લાખો લોકો જેમણે તેમની પ્રશંસા કરી છે તેઓ તેમને ખૂબ જ ગર્વ સાથે યાદ કરશે.
વડાપ્રધાન મોદીએ મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિ
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું કે, ‘ભારત પોતાના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાંથી એક ડૉક્ટર મનમોહન સિંહજીના નિધન પર શોખમાં છે. સાધારણ પૃષ્ઠભૂમિથી ઉભરીને તેઓ એક પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી બન્યા. તેઓ નાણામંત્રી સહિત વિવિધ સરકારી હોદ્દા પર રહ્યા અને વર્ષો સુધી આપણી આર્થિક નીતિ પર ઊંડી છાપ છોડી. સંસદમાં તેમના હસ્તક્ષેપ પણ ખૂબ વ્યવહારુ હતા. આપણા વડાપ્રધાન તરીકે, તેમણે લોકોના જીવનને સુધારવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા.’
તેમની બુદ્ધિમતા અને વિનમ્રતા હંમેશા જોવા મળતી હતી: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ડૉ. મનમોહન સિંહજી અને હું ત્યારે નિયમિત રીતે વાત કરતા હતા જ્યારે તેઓ વડાપ્રધાન હતા અને હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો. અમે શાસનને લગતા વિવિધ વિષયો પર ઊંડી ચર્ચા કરતા હતા. તેમની બુદ્ધિમત્તા અને નમ્રતા હંમેશા જોવા મળતી હતી. ડૉ. મનમોહન સિંહ જીના પરિવાર, તેમના અસંખ્ય ચાહકોની સાથે મારી સંવેદના છે. ઓમ શાંતિ.’
આર્થિક સુધારાનાં સૂત્રધાર માનવામાં આવતા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બરના રોજ 1932માં અવિભાજિત ભારતનાં પંજાબ પ્રાંતમાં થયો હતો. મનમોહન સિંહ વર્ષ 2004 થી 2014 સુધી ભારતનાં વડાપ્રધાન રહ્યા હતા. તેમના 10 વર્ષનાં કાર્યકાળ સુધી મૌન રહેવા તેમના પર ગણા સવાલ ઉઠ્યા હતા. જોકે તેમની આ સાદગી જ મોટી વિશેષતા રહી. મનમોહન સિંહ વર્ષ 1971માં વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર રૂપમાં ભારત સરકારમાં સામેલ થયા હતા. ત્યારબાદ 1972માં તેમને નાણા મંત્રાલયનાં આર્થિક સલાહકાર રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા. મનમોહન સિંહ પહેલીવાર 1991માં રાજ્યસભા માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓએ રાજ્યસભામાં પાંચ વાર અસમ અને 2019માં રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મનમોહન સિંહ 1991થી 1996 વચ્ચે ભારતમાં નાણા મંત્રી પણ રહ્યાં. આર્થિક સુધારાની વ્યાપક નિતી શરૂ કરવામાં તેની ભૂમિકાને દુનિયાભરમાં સરાહના મળી. 1991માં જ્યારે ભારતને દુનિયાના બજાર તરીકે ખોલવામાં આવ્યુ ત્યારે મનમોહન સિંહ નાણામંત્રી હતા. મનમોહન સિંહ ભારતના વડાપ્રધાન હતા ત્યારે મનરેગા યોજનાની પણ શરૂઆત કરી હતી. જેને લઇ ગણા ગરીબ લોકોને રોજગાર મળ્યો હતો.
1998થી 2004 સુધી, જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં હતી, મનમોહન સિંહ રાજ્યસભામાં વિપક્ષ નેતા હતા.
1999માં, તેઓએ દક્ષિણ દિલ્હીથી લોકસભાની ચૂંટણી લડી પણ તેને જીત મળી નહીં. ડો. મનમોહન સિંહે 2004ની સામાન્ય ચૂંટણી પછી 22 મેના રોજ વડાપ્રધાન તરીકે શપથ લીધા અને 22 મે 2009માં બીજા કાર્યકાળ માટે શપથ ગ્રહણ કર્યાં. તે 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યાં.
મૃદુભાષી, વિદ્વાન અને વિનમ્ર મનમોહન સિંહે કોંગ્રેસના શાસન દરમિયાન ભારતના અર્થતંત્રમાં તેજીનો પવન ફૂંક્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક વિપક્ષી નેતાઓ પણ તેમના કામની પ્રશંસા કરતા રહ્યા છે. આ ઉપરાંત 1990ના દાયકાની શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન નરસિંહરાવ અને મનમોહન સિંહની જોડીએ આર્થિક ઉદારીકરણનાં પગલાં લઇને વિશ્વનું ધ્યાન ખેચ્યું હતું. સૌથી મહત્ત્વની વાત એ છે કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જાહેરમાં કહ્યું હતું કે, મનમોહન સિંહ બોલે છે, ત્યારે વિશ્વ સાંભળે છે.
ઉલ્લેખનીય છે કે, ભારતના અર્થતંત્રમાં તેજીનો પવન ફૂંકનાર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ 33 વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. દેશના અર્થતંત્રના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેનારા મનમોહન સિંહ પ્રથમ વખત 1991માં રાજ્યસભાના સાંસદ બન્યા હતાં. તેઓ 1991થી 1996 સુધી દેશના નાણામંત્રી અને 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યાં હતાં. 2019માં બે મહિનાના ગેપ સિવાય તેઓ સતત છ ટર્મ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. 1 ઓક્ટોબર 1991થી 14 જૂન 2019 સુધી સતત તેઓ આસામમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. ત્યારબાદ બે મહિનાની ગેપ બાદ રાજસ્થાનથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. ત્રીજી એપ્રિલે તેમની રાજ્યસભાની ટર્મ પુરી થઇ હતી.
મૃદુભાષી, વિદ્વાન અને વિનમ્ર મનમોહન સિંહની પ્રશંસા તો વિરોધ પક્ષો પણ કરે છે. તેમને મૈાની બાબા કહીને વિપક્ષોએ મશ્કરી પણ ખૂબ કરી છે, પરંતુ ભારતમાં આર્થિક ઉદારીકરણ લાવનાર મનોમહન સિંહને જશ પણ ભરપૂર મળ્યો છે. ભારતમાં ઉદારીકરણ પવન ફૂંકાવો શરૂ થયો તત્કાલીન વડાપ્રધાન પી.વી. નરસિંહરાવના શાસનકાળમાં, કે જ્યારે મનમોહન સિંહ નાણાપ્રધાન હતા. 33 વર્ષની રાજકીય કારકિર્દી ધરાવનાર મનમોહન સિંહનું સૌથી મહત્ત્વનું યોગદાન દેશના આર્થિક તંત્રને વિકાસના ટ્રેક પર મુકવાનું હતું.
1990ના દાયકાની શરૂઆતમાં પીએમ નરસિંહરાવ અને એમએમ મનમોહન સિંહની જોડીએ આર્થિક ઉદારીકરણનાં પગલાં લઇને વિશ્વનું ધ્યાન ખેચ્યું હતું. ઓક્ટોબર 1991માં મનમોહન સિંહ પ્રથમ વાર રાજ્યસભાના સભ્ય બન્યા હતા. રાજ્યસભાના સભ્ય તરીકે છ ટર્મ સુધી રહેનાર મનોહન સિંહ 1999માં દક્ષિણ દિલ્હીની બેઠક પરથી લોકસભાનો જંગ લડયો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. ભાજપના વિજયકુમાર મલ્હોત્રાએ તેમને હરાવ્યા હતા. સોનિયા ગાંધીએ ‘આત્માના અવાજ’ને અનુસરીને વડાંપ્રધાન બનવાની ના પાડી એટલે 2004થી 2014 સુધી મનમોહન સિંહ દેશના વડાપ્રધાન તરીકે કાર્યરત રહ્યા. પોતાની નજર સામે ચાલતા ભ્રષ્ટાચારને તેઓ અટકાવી શક્યા નહોતા તે બાબતે તેમની ટીકા પણ થઈ છે.
કેરોસીનના દીવાના ઝાંખા પ્રકાશમાં ભણી ભણીને વડાપ્રધાનપદ સુધી પહોંચનાર મનમોહન સિંહમાં જોકે રાજકીય કુટિલતા નહોતી. એમની શૈક્ષણિક લાયકાત ખૂબ તેજસ્વી રહી છે. વિશ્વભરના આર્થિક નિષ્ણાતો તેમને માન આપતા હતા. અમેરિકાના ભતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ જાહેરમાં કહ્યું હતું કે, મનમોહન સિંહ બોલે છે, ત્યારે વિશ્વ સાંભળે છે. એ વાત અલગ છે કે ભારતના રાજકારણમાં તેમના ખુદના પક્ષના લોકો પણ તેમનું સાંભળતા નહોતા. ભાજપે તેમના મૌન રહેવાના સ્વભાવનો ભરપૂર લાભ ઉઠાવ્યો છે.
રાજ્યસભામાંથી નિવૃત્ત થતા સભ્યોને વિદાય આપતા કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ મનમોહન સિંહની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. મોદીએ કહ્યું હતું કે મનમોહનસિંહની કામગીરી ક્યારેય નહીં ભૂલાય. મોદીએ મતદાનના દિવસને યાદ કરતાં કહ્યું હતું કે મનમોહન સિંહે વ્હીલચેરમાં મતદાન કરવા આવીને લોકોને વોટિંગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ તેમની પત્ની સાથે મનમોહન સિંહના ઘેર જઇને મળ્યા, તેમની લાંબી રાજકીય કારકિર્દીની પ્રશંસા કરીને અભિનંદન આપ્યા હતા. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ મનોહનસિંહના ઘેર ગયા હતા અને તેમને મધ્યમવર્ગના હીરો કહીને પ્રશંસા કરી હતી.
આપણે ત્યાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટનો ભરપૂર ઉપયાગ થાય છે. આ કાયદો મનમોહન સિંહના શાસનકાળ દરમિયાન અસ્તિત્ત્વમાં આવ્યો હતો. એવી જ રીતે રાઇટ ટુ ફૂડ, રાઇટ ટુ એજ્યુકેશન પણ મનમોહન સિંહના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમ્યાન પસાર થયેલા કાયદા છે. ભારતના 14મા વડાપ્રધાન તરીકે એક દાયકા સુધી કાર્યરત રહેનાર મનમોહન સિંહ ભારતની વર્તમાન ગ્રોથ સ્ટોરીનાં મૂળિયાંમાં છે તે ભૂલવું ના જોઇએ.
દેશભરમાં નાતાલની(Christmas 2025)ઉજવણી જોવા મળી હતી. જેમાં ક્રિસમસ નિમિત્તે અનેક સ્થળોએ રોશનીથી અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે અને તેના કારણે શહેરોની સુંદરતામાં પણ વધારો થયો છે. આ દરમિયાન વિવિધ સ્થળોએ ચર્ચ અને બજારો પણ શણગારેલા જોવા મળ્યા હતા અને તેના કારણે લોકોમાં નાતાલનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે ચર્ચમાં સમૂહ પ્રાર્થના સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
જેમાં રાંચીમાં પણ ચર્ચને ક્રિસમસના ખાસ અવસર પર રોશનીથી શણગારવામાં આવ્યું છે. તેમજ ક્રિસમસ પર આયોજિત સમૂહ સભા માટે આ ચર્ચને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું.
જ્યારે બીજી તરફ મુંબઈમાં પણ નાતાલના આગલા દિવસે કોલાબા સ્થિત એક ચર્ચમાં ક્રિસમસ માસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તસવીરમાં લોકો ચર્ચમાં મીણબત્તીઓ પ્રગટાવતા અને પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.
પુડુચેરીમાં પણ નાતાલના અવસર પર હાર્ટ બેસિલિકા ચર્ચમાં મધ્યરાત્રિની પ્રાર્થના માટે લોકો એકઠા થયા હતા.ઓડિશાના કટકમાં પણ નાતાલના અવસર પર અવર લેડી ઓફ મોસ્ટ હોલી રોઝરી કેથેડ્રલ ખાતે મધ્યરાત્રિના સમૂહ માટે લોકો પ્રાથર્ના માટે એકત્ર થયા હતા. જ્યારે મધ્યપ્રદેશના જબલપુરમાં સ્થિત હોલી ટ્રિનિટી ચર્ચને પણ નાતાલના આગલા દિવસે સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું.
આગામી તા. ર૦, ર૧ અને રર ડિસેમ્બર, ર૦ર૪ દરમ્યાન સવારે ૧૧:૦૦થી રાત્રે ૮:૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એકઝીબીશન– ર૦ર૪’નું આયોજન
હાલમાં એક તરફ મંદીનો માહોલ છે, બીજી તરફ સોનાના ભાવ રૂ.80 હજાર પ્રતિ તોલાની વિક્રમી સપાટીએ છે, હીરા ઉદ્યોગમાં ઘરાકીનો અભાવ છે, આવી તમામ પ્રતિકૂળતા વચ્ચે આગામી તા.20 ડિસેમ્બરથી શહેરના ઘોડદોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડીયમ ખાતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યોજવામાં આવેલા ઝવેરાત એક્ષ્પો સ્પાર્કલ સમગ્ર ઝવેરાત ઉદ્યોગમાં ઘરાકી ખેંચી લાવશે એમ ચેમ્બર પ્રેસિડેન્ટ વિજય મેવાવાલાએ આજે જણાવ્યું હતું.
સ્પાર્કલ અંગે વધુ વિગતો આપતા ચેમ્બર પ્રેસિડેન્ટ વિજય મેવાવાલા, વીપી નિખિલ મદ્રાસી, સેક્રેટરી નિરવ માંડલેવાલા, રમેશ વઘાસીયા, મૃણાલ શુક્લ, બિજલ જરીવાલા અને સ્નેહલ પચ્ચીગરે જણાવ્યું હતું કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે જ સ્પાર્કલ એકઝીબીશનમાં સુરત ઉપરાંત મુંબઇ, જયપુર, બિકાનેગર અને નાગપુરના ૩૦થી વધુ જ્વેલર્સ દ્વારા એક્ઝિબિટર્સ તરીકે ભાગ લઇ રહ્યા છે. આ તમામ જ્વેલર્સ દ્વારા અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે.
આ પ્રદર્શનમાં NRI તથા શહેરીજનોને લગ્નસરા માટે ખાસ કલેકશન જોવા મળશે. મહિલાઓ માટે વેડિંગમાં જ્વેલરી લુક સૌથી મહત્વનો ભાગ ભજવે છે. જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગ કલેકશનનું અહીં પ્રદર્શન કરાશે, લગ્નસરા ચાલી રહયા છે ત્યારે શહેરીજનો તથા બિન નિવાસી ગુજરાતીઓ તેમજ બિન નિવાસી ભારતીયો એકજ સ્થળેથી જ્વેલરીની ખરીદી કરી શકે તે માટે ચેમ્બર દ્વારા જ્વેલર્સને આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે.
શુક્રવાર, તા. ર૦ ડિસેમ્બર, ર૦ર૪ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પંડિત દિનદયાળ ઉપાધ્યાય, ઇન્ડોર સ્ટેડિયમ, સુરત ખાતે સ્પાર્કલ એકઝીબીશનનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. આ સમારોહના ઉદ્ઘાટક તરીકે લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઇશા દેઓલ ઉપસ્થિત રહેશે
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આગામી તા. ર૦, ર૧ અને રર ડિસેમ્બર, ર૦ર૪ દરમ્યાન સવારે ૧૧:૦૦થી રાત્રે ૮:૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એકઝીબીશન– ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ચેમ્બરના સ્પાર્કલ એકઝીબીશનનું ઉદ્ઘાટન લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઇશા દેઓલના હસ્તે કરવામાં આવશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે જ સ્પાર્કલ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરત ઉપરાંત મુંબઇ, જયપુર, બિકાનેગર અને નાગપુરના ૩૦થી વધુ જ્વેલર્સ દ્વારા ભાગ લેવામાં આવશે. આ તમામ જ્વેલર્સ દ્વારા અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે. સુરતની જ્વેલરીમાં શું વિશેષતા છે તેનો ખ્યાલ સ્પાર્કલના આયોજનથી આખી દુનિયાને આવતો હોય છે.
B2C ધોરણે એકઝીબીશનનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે, સ્પાર્કલ પ્રદર્શનમાં કસ્ટમરને એન્ડ ટુ એન્ડ પ્રોડકટ જોવા મળે છે. સ્પાર્કલ એ જ્વેલરી બ્રાન્ડને પ્રમોટ અને અપડેટ કરવા માટે પ્રેરણારૂપ છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલના આ પ્લેટફોર્મ પરથી જ્વેલરીને એક આયામ સુધી લઇ જવાનો પ્રયાસ કરવામાં આવે છે.
ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં NRI તથા શહેરીજનોને લગ્નસરા માટે ખાસ કલેકશન જોવા મળશે. મહિલાઓ માટે વેડિંગમાં જ્વેલરી લુક સૌથી મહત્વનો ભાગ ભજવે છે. વેડિંગમાં આઉટફિટ સાથે જ્વેલરી સિલેકશન માટે મહિલાઓ ઘણું રિસર્ચ કરે છે, આથી મહિલાઓનું આ રિસર્ચ સ્પાર્કલ પ્રદર્શનમાં એક જ સ્થળે પૂરું થઇ જશે. કારણ કે, જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગ કલેકશનનું અહીં પ્રદર્શન કરાશે, લગ્નસરા ચાલી રહયા છે ત્યારે શહેરીજનો તથા બિન નિવાસી ગુજરાતીઓ તેમજ બિન નિવાસી ભારતીયો એકજ સ્થળેથી જ્વેલરીની ખરીદી કરી શકે તે માટે ચેમ્બર દ્વારા જ્વેલર્સને આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે.
ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, શુક્રવાર, તા. ર૦ ડિસેમ્બર, ર૦ર૪ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પંડિત દિનદયાળ ઉપાધ્યાય, ઇન્ડોર સ્ટેડિયમ, સુરત ખાતે સ્પાર્કલ એકઝીબીશનનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. આ સમારોહના ઉદ્ઘાટક તરીકે લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઇશા દેઓલ ઉપસ્થિત રહેશે અને તેમના વરદ હસ્તે સ્પાર્કલ એકઝીબીશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. સમારોહમાં સુરતના માનનીય સાંસદ શ્રી મુકેશભાઇ દલાલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. જ્યારે શ્રીમતી ગંગાબેન સી. પાટીલ અતિથિ વિશેષ તરીકેનું સ્થાન શોભાવશે.
ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુકલએ જણાવ્યું હતું કે, આ વર્ષે ચેમ્બર દ્વારા શહેરના તમામ મહિલા સંગઠનોમાં રૂબરૂ જઇને સ્પાર્કલ એકઝીબીશનની મુલાકાત માટે તેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નવ યુગલો કે જેઓ થોડા દિવસોમાં લગ્નના તાંતણે બંધાનાર છે તેઓ તથા તેમના પરિવારજનોને સ્પાર્કલની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જેથી તેઓને એકજ સ્થળેથી દરેક પ્રકારની જ્વેલરીનું કલેકશન મળી રહેશે.
ચેમ્બરના ઓલ એકઝીબીશન ચેરમેન શ્રી બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસીય સ્પાર્કલ એકઝીબીશનની મુલાકાત લેનારા વિઝીટર્સ માટે દર કલાકે લકી ડ્રોનું આયોજન કરવામાં આવશે, જેમાં વિજેતાઓને ચાંદીના સિકકા આપવામાં આવશે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલ એકઝીબીશન દરમ્યાન પ્રથમ વખત લકી ડ્રોનું આયોજન કરવામાં આવશે, જેમાં એકઝીબીશન દરમ્યાન સવારે ૧૧ઃ૦૦થી રાત્રે ૮ઃ૦૦ કલાક દરમ્યાન દર કલાકે લકી ડ્રો યોજાશે.
સ્પાર્કલ એકઝીબીશનમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ૩.૭પ કિલો પ્યોર ચાંદીમાંથી બનાવવામાં આવેલી પ્રતિમા પ્રદર્શન માટે મૂકવામાં આવશે. શહેરના એક જ્વેલર્સ દ્વારા વડાપ્રધાનશ્રીની ચાંદીની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આઠ જેટલા કારીગરોએ ત્રણ મહિનાની મહેનત બાદ આ અનોખી પ્રતિકૃતિ બનાવી છે, જે પણ સ્પાર્કલ એકઝીબીશનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
સ્પાર્કલ એકઝીબીશનના ચેરમેન શ્રી તુષાર ચોકસી અને કો–ચેરમેન શ્રી સ્નેહલ પચ્ચીગરે જણાવ્યું હતું કે, નવા ટ્રેન્ડમાં ચાલી રહેલી તમામ પ્રકારની જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે. ખાસ કરીને પોલ્કી કોમ્બીનેશન સાથેની જ્વેલરી, હેરીટેજ અને એન્ટીક જ્વેલરી, મીના કારીગરીવાળી જ્વેલરી, નવા પ્રકારની એલીફન્ટ અને પીકોક સાથેની જ્વેલરી સ્પાર્કલમાં પ્રદર્શિત કરવામાં આવશે.
NRI તથા મહિલાઓ દ્વારા ગોલ્ડમાં પોલ્કી–હેરિટેજ જ્વેલરી અને ડાયમંડમાં એમ્રાલ્ડ–પર્લનું ફયુઝન બ્રાઇડલ જ્વેલરીને વધારે પસંદ કરે છે. આ બધી જ જ્વેલરીનું પ્રદર્શન સ્પાર્કલ એકઝીબીશનમાં કરવામાં આવશે. પોલ્કી–હેરિટેજ જ્વેલરી લોન્ગ લાસ્ટીંગ હોવાથી મહિલાઓ તેની ખરીદી વધારે કરે છે. આ પ્રદર્શનમાં ગ્રાહકોને વિશિષ્ટ શ્રેણીઓની જુદી–જુદી જ્વેલરી જોવા મળશે. વેડિંગ માટે ખાસ નવી રેન્જ ડેવલપ કરવામાં આવી છે અને એમાં કલાસિક લુકની સાથે સાથે ફયુજન લુક પણ જોવા મળશે. લગ્નસરામાં લોકોની ડિમાન્ડ મુજબ ડેવલપ કરાયેલા નેકલેસિસ પ્રદર્શનમાં જોવા મળશે. લગ્નના આનુસાંગિક પ્રસંગો જેવા કે હલ્દી, મહેંદી, સંગિત અને રિસેપ્શનને અનુરૂપ જ્વેલરીની વિશાળ શ્રેણી આ એકઝીબીશનનું વિશેષ આકર્ષણ રહેશે.
જગપ્રસિદ્ધ તબલા વાદક ઝાકિર હુસૈનનું સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં અવસાન થયું છે, એમ તેમના પરિવારે 16/12/24 સોમવારે જણાવ્યું હતું. તેમના પરિવારના જણાવ્યા અનુસાર, હુસૈનનું મૃત્યુ આઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસથી ઉદ્ભવેલી જટિલતાઓને કારણે થયું હતું. તેઓ 73 વર્ષના હતા. તેઓ છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા. બાદમાં તેમની તબિયત બગડતાં તેમને આઈસીયુમાં લઈ જવામાં આવ્યા હતા.
હુસૈનને તેમની કારકિર્દીમાં ચાર ગ્રેમી એવોર્ડ મળ્યા છે, જેમાં આ વર્ષની શરૂઆતમાં 66મા ગ્રેમી એવોર્ડમાં જ તેમને ત્રણ ગ્રેમી એવોર્ડ્સનો સમાવેશ થાય છે. છ દાયકાની સુદીર્ઘ કારકિર્દીમાં, હુસૈને ઘણા પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય અને ભારતીય કલાકારો સાથે કામ કર્યું હતું, પરંતુ અંગ્રેજી ગિટારવાદક જ્હોન મેકલોફલિન, વાયોલિનવાદક એલ શંકર અને પર્ક્યુશનિસ્ટ ટી એચ ‘વિક્કુ’ વિનાયક્રમ સાથેના તેમના 1973ના મ્યુઝિકલ પ્રોજેક્ટમાં તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીત અને સંગીતના ઘટકોને તેઓ સાથે લાવ્યા હતા.
ભારતના સૌથી પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકારોમાંના એક તબલાવાદક હુસૈનને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાન તબલાવાદક અલ્લારખાના મોટા પુત્ર ઝાકિર હુસૈન તેમના પિતાના પગલે ચાલ્યા અને ભારત અને સમગ્ર વિશ્વમાં પોતાનું નામ બનાવ્યું હતું. હુસૈનને તેની કારકિર્દીમાં પાંચ ગ્રેમી એવોર્ડ મળ્યા છે, જેમાંથી ત્રણ આ વર્ષની શરૂઆતમાં 66મા ગ્રેમી એવોર્ડમાં આવ્યા હતા.
મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાક્રિષ્નને તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે દેશે તેની સૌથી પ્રિય સાંસ્કૃતિક ધરોહરમાંથી એક ગુમાવી છે. તેમના શોક સંદેશમાં, રાજ્યપાલે સંગીતકારને એક સમર્પિત શિષ્ય અને મહાન ઉસ્તાદ અલ્લારખાના પુત્ર તરીકે વર્ણવ્યા હતા, જેમણે તબલાને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવી હતી.
તેમના અસાધારણ પ્રદર્શને તેમને શાસ્ત્રીય સંગીતમાં અને પ્રેક્ષકોમાં લોકપ્રિય બનાવ્યા હતા. ગવર્નરે જણાવ્યું હતું કે, તેમણે તેમના રમતિયાળ અને મોહક પ્રદર્શનથી દરેકને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ઘર-ઘરનું નામ બની ગયા હતા.
હુસૈનના નિધન પર શોક વ્યક્ત કરતા એનસીપીના વડા શરદ પવારે તેમને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, “પ્રખ્યાત તબલા વાદક પદ્મભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધનના સમાચાર હૃદયદ્રાવક છે.” ઝાકિર હુસૈન ભારતના સૌથી પ્રખ્યાત તબલાવાદક હતા અને બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. પવારે કહ્યું હતું કે, તેમણે ભારતીય સંગીતના સાધન તબલાને વિશ્વ મંચ પર સ્થાપિત કર્યું… કલા જગતના એક મહાન વ્યક્તિનું આજે નિધન થયું છે.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આગામી 22 ડિસેમ્બરના રોજ લેવામાં આવનારી રાજ્ય વેરા નિરીક્ષક (State Tax Inspector)ની ભરતીને લઈને GPSCના ચેરમેન હસમુખ પટેલે (IPS Hasmukh Patel) પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. આયોગ દ્વારા પરીક્ષા કેન્દ્ર ફાળવવા બાબતે કરવામાં આવેલા પરિવર્તન અને તેને સલગ્ન બાબતોની માહિતી આપી હતી. તેમણે ઉમેદવારોને નિરાશ થતાં વગર પરીક્ષા આપવા જણાવ્યું હતું.
GPSC દ્વારા આગામી 22 ડિસેમ્બરના રોજ લેવામાં આવનારી રાજ્ય વેરા નિરીક્ષક STIની ભરતીમાં કેન્દ્ર ફાળવવામાં પરિવર્તન કરવામાં આવ્યું છે. આજ સુધી જીપીએસસી દ્વારા ઉમેદવારની પરીક્ષા તેના જિલ્લા કેન્દ્ર પર લેવામાં આવતી હતી. પરંતુ આ વખતે આયોગે તેમાં ફેરફાર કરીને નજીકના જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે.
આ અંગે આયોગના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે પરીક્ષા કેન્દ્ર જિલ્લા બહાર આપવાને કારણે ઉમેદવારોને મુશ્કેલી પડે તે સમજી શકાય તેમ છે. ભૂતકાળમાં પોતાના જિલ્લાના સંપર્કનો ઉપયોગ કરી પરીક્ષામાં ગરબડ કર્યાના બનાવો રાજ્યની કેટલીક પરીક્ષાઓમાં થયેલા છે તેને ધ્યાનમાં રાખી આ પગલું ભરવામાં આવ્યું છે.
આ ઉપરાંત તેમણે ખેદ વ્યક્ત કર્તા કહ્યું હતું કે, ‘ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી જવામાં મુશ્કેલી પડે તે આયોગ તરીકે અમને જરાય પસંદ નથી પરંતુ પરીક્ષાની સલામતી તથા પરીક્ષા સ્વચ્છ રીતે લેવાય તે આયોગની સૌથી મોટી પ્રાથમિકતા છે. ઉમેદવારોને પ્રવાસમાં મુશ્કેલી ના પડે તે માટે ભવિષ્યમાં પરીક્ષા કેન્દ્ર શક્ય હોય ત્યાં સુધી જિલ્લાના મુખ્ય મથકમાં રાખવામાં આવશે તેમ પણ હસમુખ પટેલે જણાવ્યું હતું.
વધુમાં હસમુખ પટેલે જણાવ્યું હતું કે, “STIની ભરતીમાં ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર જિલ્લા બહાર હોય ત્યાં સુધી પહોંચવામાં અનુકૂળતા રહે તે માટે વધારાની એસટી બસો મુકવા માટે આયોગ અને GSRTCના વડા સાથે વાત કરવામાં આવી છે અને GPSC તરફથી જીલ્લા વાઇઝ ઉમેદવારોની સંખ્યા સાથે GSRTC ને પત્ર લખવામાં આવ્યો છે. ઉમેદવારોને અગવડતા ન પડે તે માટે GSRTC દ્વારા વધારાની બસ મુકવામાં આવશે.
હસુમખ પટેલે આ અંગે ગુજરાતની પ્રજા અને સ્વૈછિક સંસ્થાઓને અપીલ કરતાં કહ્યું હતું કે ગુજરાતે કાયમ મદદ કરી છે. લોકરક્ષકની ભરતીની ઉદાહરણ આપતા તેમણે સ્વૈછિક સંસ્થાઓ દ્વરા ઉમેદવારો માટે કરવામાં આવેલ વ્યવસ્થાને બિરદાવી હતી અને આ પરીક્ષામાં પણ સહકાર આપવા માટે અપીલ કરી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.