રાજ્યના સનદી અધિકારી જયપ્રકાશ શિવહરેએ આજે બપોરે એવી જાણકારી સાર્વજનિક કરી હતી કે ગુજરાતમાં કોવીડ વિરોધી વેક્સીનના આજદિન સુધીમાં કુલ 7 કરોડ ડોઝ અપાઇ ચૂક્યા છે. ગુજરાતની વસતિ હાલમાં 6 કરોડ માનવામાં આવે છે, સો એ સો ટકા ગુજરાતીઓને વેક્સીન અપાઇ નથી પરંતુ, 7 કરોડમાં સિંગલ અને ડબલ ડોઝ એમ બન્ને લેનારાઓનો સમાવેશ થાય છે.
આગામી દિવસોમાં દિવાળીના તહેવારોમાં દાયકાઓથી ચાલી આવતી પરંપરા અનુસાર ફટાકડા ફોડવામાં આવશે. પરંતુ, એ પહેલા સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ફટાકડા અંગે આપેલા આદેશ અનુસાર ગુજરાત સરકારે આજે જારી કરેલા એક નોટિફિકેશનને વાંચી લેવું જરૂરી છે.
ગુજરાત સરકારના આદેશમાં કહેવાયું છે કે ગ્રીન અને માન્યતાપ્રાપ્ત અને ઓછો ઘોંઘાટ કરે તેવા જ ફટાકડા ફોડી શકાશે. આ સિવાય તમામ પ્રકારના ફટાકડા પર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ફટાકડા રાત્રે 8થી રાત્રે 10 દરમિયાન જ ફોડી શકાશે.
ગુજરાત સરકારનું ફટાકડા અંગેનું ઓક્ટોબર 2021નું જાહેરનામુ નીચે મુજબ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 16મી જી-20 સમિટ તથા વર્લ્ડ લીડર્સ સમિટ અૉફ કૉન્ફરન્સ અૉફ પાર્ટીઝ સીઓપી-26માં સહભાગી થવા માટે ઈટાલી અને યુકેની પાંચ દિવસની મુલાકાત માટે આજે રવાના થશે. તેઓ ઈટાલીના વડા પ્રધાન મારિયો ડ્રાઘીના આમંત્રણથી 30 અને 31 અૉક્ટોબરે યોજાનારી જી-20 સમિટમાં ભાગ લેવા રોમ જશે. જી-20ના સભ્ય દેશો, યુરોપિયન યુનિયન, અન્ય આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડા આ સમિટમાં ભાગ લેશે.
વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રીંગલાએ વડા પ્રધાનની વિદેશ મુલાકાત વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે વડા પ્રધાનની આ આઠમી જી-20 સમિટ હશે. આ સમિટ માટે ઈટાલી દ્વારા નક્કી કરવામાં આવેલા મહામારી, વૈશ્વિક સ્વાસ્થ્ય વ્યવસ્થાને મજબૂત કરવી, આર્થિક સુધારા, જળવાયુ પરિવર્તન અને ખાદ્યસુરક્ષા જેવા મુદ્દાને ભારત પૂર્ણપણે ટેકો આપે છે. આ સમિટમાં વડા પ્રધાન અફઘાનિસ્તાનમાં ઉદ્ભવેલી સ્થિતિનો સામનો કરવા સંગઠિત પગલાં વિશે ચર્ચા કરે તેવી શક્યતા છે. જી-20, વિશ્વના 19 દેશો અને યુરોપિયન યુનિયનનું આંતરરાષ્ટ્રીય ફોરમ છે.
વડા પ્રધાન ઈટાલીના વડા પ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. એ પછી તેઓ પહેલી અને બીજી નવેમ્બરે યોજાનારી સીઓપી-26 સમિટમાં સહભાગી થવા ગ્લાસગો જશે. 120થી વધુ દેશોના વડા આ શિખર સંમેલનમાં સહભાગી થશે. આ સમિટ 2020માં યોજાવાની હતી, પરંતુ કોવિડ-19 મહામારીને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. નરેન્દ્ર મોદી યુ.કે.ના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સાથે દ્વિપક્ષીય બેઠકો પણ યોજશે. સીઓપી-26 સમિટમાં પેરિસ સમજૂતી માર્ગદર્શિકાનું કાર્યાન્વયન, જળવાયુ પરિવર્તનના ઉપાયો, ક્લાઈમેટ ફાઈનાન્સ, ટેકનૉલૉજી વિકાસ વગેરે વિશે ચર્ચા કરવામાં આવશે. ભારત પહેલીવાર 2023માં જી-20 સમિટનું યજમાન બનવાનું છે.
Dt. 28/10/21 ગુરુપુષ્ય નક્ષત્ર યોગમાં 60 હજારનું મહત્વનું લેવલ ગુમાવતા હવે તેમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલું ધોવાણ ક્યાં જઈને અટકશે તેને લઈને અટકળો લગાવાઈ રહી છે. ગયા સપ્તાહે 62 હજારનું લેવલ તોડનારા સેન્સેક્સમાં આ સપ્તાહે સતત ઘટાડો જોવા મળ્યો છે. તેમાંય આજે ગુરુપુષ્ય નક્ષત્ર યોગમાં dt.28/10/21 તો 1158 પોઈન્ટનું ગાબડું પડતાં રોકાણકારો ટેન્શનમાં આવી ગયા છે.
બુધવારે 61,143ના સ્તરે બંધ થયેલો સેન્સેક્સ આજે ઘટાડા સાથે 61,081 પોઈન્ટ્સની સપાટી પર ખૂલ્યો હતો. જોકે, માર્કેટમાં સતત વેચવાલી જોવા મળતાં તેમાં સતત ઘટાડો નોંધાયો હતો, અને એક તબક્કે તો તે 59,777 પર પહોંચી ગયો હતો. આખરી કલાકોમાં તેમાં સામાન્ય સુધારો જોવા મળ્યો હતો, અને બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ 60 હજારનું લેવલ તોડી 59,984 પર હતો.
આજે સૌથી વધુ ઘટેલા શેર્સની વાત કરીએ તો, બીએસઈના સેન્સેક્સમાં સામેલ 30 શેર્સમાંથી આઈટીસી 5.58 ટકાના ઘટાડા સાથે 225 રુપિયા પર બંધ આવ્યો હતો. આ સપ્તાહે જોરદાર ઉછાળો દર્શાવનારો ICICI બેંકનો શેર પણ આજે 4.10 ટકા ઘટ્યો હતો. આ ઉપરાંત, કોટક બેંક, એક્સિસ, એચડીએફસી બેંક, એસબીઆઈમાં પણ આજે ગાબડું પડ્યું હતું. બેંક શેર્સમાં થયેલા ધોવાણને કારણે સેન્સેક્સમાં મોટું ગાબડું પડ્યું હતું.
એક તરફ, પ્રાઈવેટ બેન્કોના શેર્સમાં આજે ઘટાડો જોવાયો હતો, તો બીજી તરફ ઈન્ડસિન્ડ બેન્કનો શેર 2.63 ટકા વધી 1171 રુપિયાના સ્તર પર બંધ થયો હતો. આ સિવાય એલએન્ડટીનો શેર 1.92 ટકા સાથે 1817 રુપિયાના સ્તર પર બંધ આવ્યો હતો. એશિયન પેઈન્ટ્સ અને મારુતિમાં પણ આજે સામાન્ય વધારો જોવા મળ્યો હતો. નિફ્ટીની વાત કરીએ તો, અદાણી પોર્ટ્સમાં આજે સૌથી વધુ 7.74 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય ઓએનજીસી, કોલ ઈન્ડિયા, ટાટા મોટર્સ, સિપ્લા, NTPC, JSW સ્ટીલ, હિન્દાલ્કો, પાવરગ્રીડમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
આજે ગુરુપુષ્યામૃત યોગ સાથે પાંચ શુભ યોગ બની રહ્યા છે
દિવાળી પહેલાં ખરીદદારી માટે 28 ઓક્ટોબરના રોજ પુષ્ય નક્ષત્ર ઉદય થઈ રહ્યો છે. આ દિવસે પુષ્ય નક્ષત્ર સાથે તિથિ, વાર અને ગ્રહો મળીને 5 શુભયોગ બની રહ્યા છે. આ શુભ સંયોગમાં કરવામાં આવતી ખરીદદારી શુભ રહેશે. ખરીદદારીના આ મુહૂર્તમાં ઘરેણાં, વાહન, ફર્નીચર, કપડા, ઇલેક્ટ્રોનિક સામાન અને ઘર માટે સજાવટનો સામાન ખરીદી શકાય છે. આ દિવસે પ્રોપર્ટી ખરીદવા કે વેચવાની સાથે જ રિયર અસ્ટેટ અને શેરબજારમાં રોકાણ માટે પણ દિવસ ખાસ રહેશે.
આ દિવસે ગુરુવાર હોવાથી ગુરુ પુષ્ય યોગ બને છે. આખા દિવસ દરમિયાન અમૃતસિદ્ધિ યોગ અને સર્વાર્થસિદ્ધિ યોગ પણ રહેશે માટે ખરીદી અને રોકાણ માટે આ દિવસ ખૂબ જ શુભ ગણાય છે. ગુરુપુષ્યના દિવસે સોનાની ખરીદીનું વિશેષ મહત્ત્વ છે. આ વર્ષે ગુરુ અને શનિ, શનિના સ્વામિત્વવાળી મકર રાશિમાં એકસાથે છે. બંને ગ્રહ માર્ગી રહેશે અને તેમના પર ચંદ્રની દ્રષ્ટિ પડે છે. જેને કારણે ગજકેસરી યોગ બને છે. ચંદ્ર ધનનો કારક ગ્રહ છે. આ યોગ દરેક પ્રકારે મંગળકારી ગણાય છે. 677 વર્ષ પહેલાં 5 નવેમ્બર 1344ના રોજ ગુરુ-શનિની યુતિ મકર રાશિમાં હતી અને ગુરુ પુષ્ય યોગ બન્યો હતો.
આજના દિવસે ખરીદી માટે શુભ મુહૂર્ત નીચે મુજબ છે. જેમાં અમૃત કાલ મુહૂર્ત સવારે 7.02થી 8.48 વાગ્યા સુધી
અભિજિત મુહૂર્ત – સવારે 11.42થી બપોરે 12.26 સુધી
નિશિતા મુહૂર્ત – સવારે 11.16થી બીજા દિવસે બપોરે 12.07 સુધી રહેશે
વિજય મુહૂર્ત – બપોરે 1.34થી 2.19 સુધી રહેશે.
ગોધૂલિ મુહૂર્ત – સાંજે 5.09થી 5.33 સુધી રહેશે
સંધ્યા મુહૂર્ત – સાંજે 5.20થી 6.36 સુધી રહેશે
ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે દાન, પુણ્ય કરો
પુષ્ય નક્ષત્રના દિવસે દાન-પુણ્ય પણ કરવું જોઈએ. કોઈ ગૌશાળામાં લીલુ ઘાસ અને ગાયોની સંભાળ માટે ધનનું દાન કરો. આ દિવસે કોઈ મંદિરમાં પૂજા-સામગ્રી ભેટમાં આપો. મહાદેવજીને બેસનના લાડુનો ભોગ ધરાવો. શિવલિંગ પર ચણાની દાળ અને પીળા ફૂલ ચઢાવો.
ડ્રગ્સ કેસમાં ફસાયેલો શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી અંગે તા.27મી ઓક્ટોબર 2021ના રોજ પણ કોઇ નિર્ણય આવ્યો ન હતો. બોમ્બે હાઈકોર્ટે આર્યનના જામીન અંગે સુનાવણી આજે તા.28 ઓક્ટોબરને ગુરુવાર માટે મુલતવી રાખી છે. આજે તા.28મી ઓક્ટોબરને ગુરુવારે બપોરે 2.30 વાગ્યા પછી કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવશે. સુનાવણી ટળતાં આર્યનને આર્થર રોડ જેલમાં રાત વિતાવવી પડી હતી.
આર્યન ખાનની જામીન અરજી અંગે તા.27મી ઓક્ટોબરે સુનાવણી પૂરી થઈ ગઈ હતી. વકીલ અમિત દેસાઈ અને મુકુલ રોહતગીએ જજ સાંબ્રે સમક્ષ જામીનની તરફેણમાં કોર્ટમાં તેમની દલીલો રજૂ કરી હતી. તા.27મીએ કોર્ટમાં અરબાઝ મર્ચન્ટનો કેસ લડી રહેલા વકીલ અમિત દેસાઈએ આર્યન ખાનના જામીનનો પક્ષ રાખીને પોતાની દલીલો શરૂ કરી હતી. જ્યારે આર્યનના વકીલ મુકુલ રોહતગીએ પણ એનસીબી દ્વારા આર્યનની ધરપકડના આધાર પર વાત મૂકી હતી.
વકીલ અમિત દેસાઈએ જામીનની તરફેણમાં દલીલ કરતાં કહ્યું કે, તમે આર્યન ખાનનો અરેસ્ટ મેમો જુઓ. NCB પાસે ધરપકડ માટે નક્કર પુરાવા નથી. ધરપકડ એવા ગુના માટે કરવામાં આવી છે જે બન્યો જ નથી. અરબાઝ પાસેથી માત્ર 6 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. NCB જે ષડયંત્રની વાત કરી રહ્યું છે તેને સાબિત કરવા માટે NCBએ કોર્ટ સમક્ષ વોટ્સએપ ચેટ રજૂ કરી છે. આ ચેટ્સને ધરપકડ સાથે કોઈ લેવાદેવા નથી. 65B હેઠળ કોર્ટમાં એનસીબીના આ પૂરાવા માન્ય નથી.
જ્યારે વકીલ મુકુલ રોહતગીએ સુનાવણી દરમિયાન જામીન મંજૂર કરવાની હિમાયત કરતાં કહ્યું હતું કે, આરોપી ગ્રાહક ન હતો, આરોપી પાસેથી કોઈ વસૂલાત (નશીલા પદાર્થ) થઇ નથી. તેણે ડ્રગ્સનું સેવન પણ કર્યું ન હતું, તેથી તેની ધરપકડ જ ખોટી હતી.
કરવા ચૌથ, ગૌર પૂજાનું વ્રત આજે રવિવારે રાખવામાં આવી રહ્યું છે. આ વર્ષે કરવા ચૌથ પર 5 વર્ષ પછી એવો શુભ યોગ બની રહ્યો છે કે કરવા ચૌથની પૂજા રોહિણી નક્ષત્રમાં કરવામાં આવશે.
કરવા ચૌથ, ગૌર પૂજાનું વ્રત આજે રવિવારે રાખવામાં આવી રહ્યું છે. આ વર્ષે કરવા ચૌથ પર 5 વર્ષ પછી એવો શુભ યોગ બની રહ્યો છે કે કરવા ચૌથની પૂજા રોહિણી નક્ષત્રમાં કરવામાં આવશે.
આ સિવાયે રવિવારે આ વ્રત હોવાથી સૂર્યદેવનો શુભ પ્રભાવ પણ આ વ્રત પર પડશે. આ નક્ષત્રને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે વ્રત કરનારી દરેક સૌભાગ્યવતી મહિલાઓ નિર્જળા વ્રત રાખશે અને રાતે ચંદ્ર દર્શન કર્યા પછી વ્રત ખોલશે.
મહિલાઓ રાખશે નિર્જળા વ્રત માતા પાર્વતી, ભગવાન શિવ, કાર્તિકેય અને ગણેશ સહિત શિવ પરિવારનું પૂજન કરી મહિલાઓ માતા પાર્વતી પાસે અખંડ સૌભાગ્યની કામના કરે છે. સાથે જ વ્રત દરમિયાન કરવામાં જળ ભરીને કથા પણ સંભળશે. મહિલાઓ સવારે સૂર્યોદયથી ચંદ્રોદય સુધી નિર્જળા વ્રત રાખે છે અને ચંદ્ર દર્શન પછી વ્રત ખોલે છે. આજે ચંદ્રોદય કેટલા વાગ્યે થશે, સૌથી વધારે રાહ તેની જ જોવામાં આવે છે.
મુંબઇમાં ચંદ્રોદયનો સમય મુંબઇમાં ચંદ્રોદય 8.45 વાગ્યે થવાની શક્યતા છે. જો કે, ચંદ્રદર્શન 10-15 મિનિટના અંતરાળમાં થઈ શકે છે.
ટી-ર0 વિશ્વકપમાં તા.ર4ને રવિવારે સાંજે 7:30 કલાકથી દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મહામુકાબલો થશે. પ વર્ષના લાંબા સમય બાદ ટી-ર0 વર્લ્ડકપમાં બન્ને ટીમ આમને સામને આવી હોવાથી બંન્ને દેશના ક્રિકેટપ્રેમીઓ આ હાઈવોલ્ટેજ મુકાબલાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર આ મેચનું જીવંત પ્રસારણ થશે. સાંજે 7 કલાકે ટોસ ઉછાળાશે. સુપર-1રમાં બંન્ને ટીમનો આ પહેલો મેચ છે.
મેચના એક દિવસ અગાઉ પાકિસ્તાને 1ર સભ્યોની ટીમ જાહેર કરી હતી જેમાંથી 11 ખેલાડીને મેદાનમાં ઉતારશે ભારતે છેલ્લી ઘડીએ પ્લેઈંગ-11 જાહેર કરવાની રણનીતિ ઘડી છે. ભારત સામેના મુકાબલા પહેલા પાકિસ્તાનની ટીમે આત્મવિશ્વાસના અતિરેક જેવું વલણ દર્શાવ્યું છે. બીજીતરફ પાકિસ્તાનની ટીમમાં શોએબ મલિકની વાપસી થઈ છે. જેણે ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. સાથે મોહમ્મદ હાફિઝ જેવા સિનિયર પ્લેયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરફરાઝ અહેમદને ટીમમાં સામેલ કરાયો નથી.
અમારૂં ફોકસ મેચ પર, શ્રેષ્ઠ રમીશું: કોહલી ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ શનિવારે પત્રકાર પરિષદમાં કહ્યંy કે અમારૂ ફોકસ સંપૂર્ણ રીતે મેચ પર છે અને અમે અમારી શ્રેષ્ઠ રમત બતાવીશું. ઓલરાઉન્ડર હાર્દિક પંડયા રમવા માટે સંપૂર્ણ ફિટ છે. કોહલીએ પાકિસ્તાનની ટીમને મજબૂત ગણાવી કહ્યું કે તેની સામે બેસ્ટ રમવું પડશે. તેમની પાસે પણ ગેમ ચેન્જર્સ ખેલાડીઓ છે. અમારે પ્લાન પર ધ્યાન આપવું પડશે.
ઈમરાન ખાને ‘અનુભવ’ શેર કર્યો : બાબર યુએઈ જવા રવાના થતાં પહેલા પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે પત્રકાર પરિષદમાં એક સવાલના જવાબમાં ખુલાસો કર્યો કે 199ર વર્લ્ડકપ વિનિંગ ટીમના કેપ્ટન રહી ચૂકેલા વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત વખતે તેમણે (ઈમરાન ખાને) પોતાના અનુભવ શેર કર્યા હતા. જો કે તેમણે ટીમને કોઈ સંદેશો આપ્યો નથી. બાબરે કહ્યું કે અમે ઈતિહાસને બદલે ભવિષ્ય પર ધ્યાન આપવાનું પસંદ કરીશું. ‘ ટીમ ઈન્ડિયા સ્કવોડ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, ઈશાન કિશન, હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી
તા.15મી નવેમ્બરથી ટેક્ષટાઇલ મિલ માલિકો જોબ ચાર્જિસમાં વધુ 15 ટકા ભાવ વધારો અમલી કરશે, ભાવ વધારા અંગે ટ્રેડર્સને કરાયેલી આગોતરી જાણ
Jayesh Brahmbhatt 98253 44944
કોલસો, ડાઇઝ, કેમિકલ વગેરે રો મટિરિયલમાં થઇ રહેલા ભાવ વધારાના વિરોધમાં આગામી તા.1લી નવેમ્બરથી એક મહિનો ટેક્ષટાઇલ મિલો બંધ રાખવી કે નહીં તે અંગે સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનની આજે તા.23મી ઓક્ટોબર 2021ની સાંજે યોજાયેલા બેઠકમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતા સભામાં પ્રોસેસર્સ એસોસીએશનના પ્રમુખ જીતુભાઈ વખારીયા, પાંડેસરા એસોસીએશનના પ્રમુખ કમલવિજય તુલસિયાન તેમજ એસજીટીપીએના વાઇસ પ્રેસિડેન્ટ વિપુલભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગત મીટીંગમાં નક્કી થયા મુજબ આગામી નવેમ્બર માસમાં સંપૂર્ણ યુનિટો બંધ રાખવાનું નક્કી કરવામાં આવેલ હતું પરંતુ, હાલ વાતાવરણમાં સુધારો થઇ રહ્યો હોઇ, તેમજ ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય ઘટકોના હિતને ધ્યાનમાં રાખીને મિલો બંધ કરવાના નિર્ણયમાં આજરોજ ફેર વિચારણા કરવામાં આવી હતી. જેમાં પ્રોસેસર્સ એસોસીએશનના તમામ સભ્યોએ જણાવ્યું હતું કે તેમના ગ્રાહકો મિલ બંધ નહીં રાખવા માટે આગ્રહ કરી રહ્યા છે, જેને પ્રતિસાદ આપતા એક મહિનો ટેક્ષટાઇલ મિલો સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આજની મિટીંગમાં મિલો બંધ રાખવી કે કામકાજ ચાલુ રાખવું એ સંદર્ભે તંદુરસ્ત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. કુલ 195 જેટલા મિલ માલિકો અને તેના પ્રતિનિધિઓની હાજરીમાં યોજાયેલા પ્રોસેસર્સ એસોસીએશનની ભરચક સભામાં કેટલાક પરિપકવ નિર્ણયો લેવામાં આવ્યા હતા. મોટા ભાગે પ્રોસેસર્સ દ્વારા પોતાના ગ્રાહકોના હિતમાં મિલ બંધ નહીં કરવા માટે સૂચન કરવામાં આવ્યા હતા.
તા.15મી નવેમ્બરથી અમલમાં આવે એ રીતે જોબ ચાર્જિસમાં વધુ 15 ટકાનો વધારો
ટેક્ષટાઇલ મિલ માલિકોની બેઠકમાં લેવાયેલા અન્ય નિર્ણયમાં આગામી તા. ૧૫-૧૧-૨૦૨૧થી અમલમાં આવે એ રીતે હયાત જોબ ચાર્જ ઉપર ૧૫% નો વધારો કરવાનું નક્કી કરવામાં આવેલ છે, ઉપરાંત તા. ૧૫-૧૧-૨૧ નાં રોજ સામાન્ય સભા બોલાવી નક્કી કરવામાં આવશે.
સુરતની અઠવા લાઇન્સ ખાતે આવેલી વનિતાવિશ્રામ આર્ટ ગેલેરીમાં જાણીતા તબીબ અને કલાપ્રેમી ડો સમીર શાહ અને ડો રુજુલ શાહના કલાત્મક આર્ટ પેઇન્ટિંગનું “બિયોન્ડ ઇમેજિનેશન” પ્રદર્શન યોજાયું છે. ડો. સમીર શાહ છેલ્લા ચાળીસથી વધુ વર્ષોથી ચિત્રો દોરી રહ્યા છે. વ્યવસાયે તબીબ હોવા છતાં તેમનો આર્ટ પ્રત્યેનો અતૂટ નાતો જોવા જાણવો હોય તો તેમણે દોરેલા અને તેમની તબીબ દિકરી ડો. રુજુલે દોરેલા ચિત્રોની પ્રદર્શની અવશ્ય નિહાળવી પડે.
સુરતના જાણિતા તબીબ ડો.સમીર શાહ અને પુત્રી ડો. રુજુલ શાહે દોરેલા ચિત્રોની પ્રદર્શની, રવિવારે છેલ્લો દિવસ
તા. 22મી ઓક્ટોબરથી રવિવાર તા. 24મી ઓક્ટોબર દરમિયાન યોજાયેલા આ ચિત્ર પ્રદર્શન મા ભાત ભાત ના વિષયો અને ભાવ (land scape, portrait, religion, pet love, philosophy, abstract, shlok, temple, surreal) આધારીત ચિત્ર ને પ્રદર્શિત કરવા મા આવ્યા છે. આ સુંદર પ્રદર્શન તેના નામ પ્રમાણે કલ્પનાતીત છે.
150 થી વધારે આકર્ષક ચિત્રો આ પ્રદર્શનમાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.
સર્વ કલા પ્રેમી નાગરિકો ને આ પ્રદર્શન ની મુલાકાત લેવા ડૉ. સમીર શાહે જાહેર આમંત્રણ આપ્યુ છે. આવતીકાલે 24/10/2021 રવિવારે આ ફોટો પ્રદર્શન સવારે 11થી સાંજના 8 વાગ્યા સુધી નિહાળી શકાશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.