
1942 : ભારત છોડો ચળવળમાં જોડાયા, સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન જેલવાસ.
1951 : અગાઉના જનસંઘના સ્થાપક-સભ્ય.
1957 : જનસંઘના નેતા બન્યા, 1957માં લોકસભામાં ચૂંટાયા.
1962 : રાજ્યસભામાં ચૂંટાયા.
1968 : ભારતીય જનસંઘના પ્રમુખ (1968-1973)
1975 : કટોકટી દરમિયાન ઘરમાં નજર કેદ રખાયા.
1977 : પ્રથમ બિન કૉંગ્રેસી વિદેશ પ્રધાન બન્યા.
1979 : સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પ્રથમવાર હિન્દીમાં યાદગાર ભાષણ.
શ્યામા પ્રસાદ મુખરજીના મૃત્યુએ પત્રકાર વાજપેયીને રાજકારણી બનાવ્યા
દેશના મહાન વડા પ્રધાનોમાંના એક અને દિગ્ગજ રાજનેતા અટલ બિહારી વાજપેયી એક સફળ પત્રકાર પણ હતા. પોતાની કરિયરના પ્રારંભિક તબક્કામાં વાજપેયી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પત્રકાર હતા. અટલજીના રાજકારણમાં પ્રવેશવા પાછળ એક પ્રેરણાદાયક ઘટના છે.
એક સ્કૂલ ટીચરના ઘરે જન્મેલા વાજપેયીએ પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ પત્રકારત્વમાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેમણે રાષ્ટ્રધર્મ, પાંચજન્ય અને વીર અર્જુન જેવાં અખબારો-મૅગેઝિનોનું સંપાદન કર્યું. નાનપણથી જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા અને આ સંગઠનની વિચારધારાની અસરને કારણે જ તેમનામાં દેશ માટે કંઈ કરી છૂટવાની, સામાજિક કાર્ય કરવાની ભાવના પ્રબળ બની હતી. આના માટે પત્રકારત્વ યોગ્ય માર્ગ જણાતાં તેઓ પત્રકાર બની ગયા.
વાજપેયીના પત્રકારમાંથી રાજકારણી બનવા પાછળ એક મહત્ત્વની ઘટના કારણભૂત હોવાનું કહેવાય છે. આ સંદર્ભે ખુદ વાજપેયીએ તેમના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું.
ઈન્ટરવ્યૂમાં વાજપેયીએ જણાવ્યું હતું કે પત્રકાર તરીકે તેઓ પોતાની ફરજ યોગ્ય રીતે બજાવી રહ્યા હતા. 1953માં ભારતીય જનસંઘના નેતા ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી કાશ્મીરને વિશેષ દરજ્જો આપવાના વિરોધમાં હતા. જમ્મુ-કાશ્મીરમાં લાગુ કરાયેલી પરમિટ સિસ્ટમનો વિરોધ કરવા ડૉ. મુખરજી શ્રીનગર ગયા. પરમિટ સિસ્ટમ અનુસાર કોઈ પણ ભારતીયને જમ્મુ-કાશ્મીરમાં વસવાની મંજૂરી નહોતી. એટલું જ નહીં, બીજા રાજ્યની કોઈ પણ વ્યક્તિએ જમ્મુ-કાશ્મીરમાં જવા માટે સાથે ઓળખપત્ર રાખવાનું ફરજિયાત હતું. આનો વિરોધ કરી રહેલા ડૉ. મુખરજી પરમિટ સિસ્ટમ તોડી શ્રીનગર પહોંચી ગયા.
આ ઘટનાને કવર કરવા પત્રકાર તરીકે વાજપેયી પણ તેમની સાથે ગયા હતા. ઈન્ટરવ્યૂમાં વાજપેયીએ જણાવ્યું હતું કે પત્રકાર તરીકે હું તેમની સાથે હતો, પરંતુ તેમની ધરપકડ બાદ અમેે બધા પાછા આવી ગયા હતા. ડૉ. મુખરજીએ મને કહ્યું કે વાજપેયી, જાઓ અને દુનિયાને જાણ કરો કે હું કાશ્મીરમાં આવ્યો છું, એય કોઈ પરમિટ વગર.
આ ઘટનાના થોડા દિવસ બાદ જ નજરકેદમાં રહેલા ડૉ. મુખરજીનું બીમારીને કારણે નિધન થયું હતું. આ ઘટનાની વાજપેયી પર ખાસ્સી અસર થઈ. તેમને લાગ્યું કે ડૉ. મુખરજીના કામને આગળ ધપાવવું જોઈએ. પરિણામે તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. 1957માં તેઓ પહેલી વાર સંસદસભ્ય બની લોકસભા પહોંચ્યા હતા.
1980 : પ્રમુખ, ભાજપ (1980-1986)
1984 : પોતાના વતન ગ્વાલિયરમાંથી લોકસભાની ચૂંટણીમાં હાર.
1992 : પદ્મવિભૂષણ ખિતાબની નવાજેશ.
1994 : લોકમાન્ય ટિળક પુરસ્કાર અને પંડિત ગોવિંદ વલ્લભ પંત એવૉર્ડ (શ્રેષ્ઠ સંસદસભ્ય)
1996 : વડા પ્રધાન બન્યા પણ તેમની સરકાર માત્ર 13 દિવસ રહી.
1998 : એનડીએ સત્તા પર આવતાં બીજી વાર વડા પ્રધાન બન્યા.
1998 : તેમની સરકારે મે, 1998માં પોખરણમાં સફળ અણુપરીક્ષણ કર્યું.
1999 : ફેબ્રુઆરી 1999માં પાકિસ્તાન સુધી બસ સેવા શરૂ કરી તેમના આપ્રયાસને બં દેશ વચ્ચેની પડતર સમસ્યાના નિરાકરણ માટે વાટાઘાટના નવા યુગના મંડાણ તરીકે વ્યાપક આવકાર મળ્યો.
ભારતે કારગિલ યુદ્ધ જીત્યું. ભારતની ધરતી પરથી ઘૂસણખોરોની પીછે હઠ કરવાની પરિસ્થિતિ ઊભી કરવાના સફળ પ્રયાસ બદલ સરાહના.
1999માં: 13 ઍપ્રિલે તેમની સરકારે વિશ્ર્વાસનો મત ગુમાવતાં રાજીનામું આપ્યું.
1999માં: તેમના પક્ષ અને યુતિ પક્ષને ફરી સત્તા મળતાં 13 ઑક્ટોબરે ત્રીજીવાર વડા પ્રધાનના હોદ્દે શપથ લીધા.
2001 : આગ્રા શિખર પરિષદમાં મુશર્રફ સાથેની મંત્રણા પડી ભાંગી.
2002 : પહેલીવાર સંસદના સંયુકત સત્ર બોલાવ્યા.
2004 : તેમનો પક્ષ ચૂંટણીમાં હાર્યો.
2005 : રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત.
ડિસેમ્બર 25, 2014માં વાજપેયીના 90મા જન્મદિને ‘સુસાશન દિન’ તરીકે ઉજવણી કરાઈ.
માર્ચ 27, 2015- દેશના સર્વોચ્ચ ખિતાબ ભારત રત્નની નવાજેશ.