CIA ALERT

પ્રેરણાદાયી વાત Archives - Page 39 of 42 - CIA Live

August 4, 2018
se3-1280x856.jpg
1min7250

સુરત, 3 ઓગસ્ટ, 2018 – શેલ્બી હોસ્પિટલે સુરતની પ્રથમ મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી કરીને નવું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ડો. તૈયાબ લાકડાવાલા ડાયાબિટીસ અને હાઇપરટેન્શન સાથે સ્કોલિયોસીસને કારણે લાંબા સમયથી ગંભીર કમરના દુઃખાવાની સમસ્યાથી પીડીતા હતાં અને આ બિમારીને કારણે તેમના પોશ્ચર વિકૃત થઇ જતાં તેમના ડાબા પગમાં તીક્ષ્ણ પીડાની સમસ્યા સર્જાઇ હતી, જેથી તેમના ડાબા પગમાં આંશિક લકવાની અસર સર્જાઇ હતી. 67 વર્ષની ઉંમરના ડો. તૈયબ લાકડાવાલા છેલ્લાં એક વર્ષથી આ સમસ્યાથી પીડીત હતાં અને તેના કારણે તેમની હલનચલન ઘર પૂરતી મર્યાદિત થઇ ગઇ હતી અને પોતાના ક્લિનિકમાં પણ જવાનું બંધ કરી દીધું હતું. એક વર્ષ બાદ તેમણે સુરતના અડાજણ ખાતે શેલ્બી હોસ્પિટલમાં સિનિયર સ્પાઇન સર્જન ડો. ગૌરવ ખંડેલવાલની સલાહ લીધી હતી.

શેલ્બી હોસ્પિટલ ખાતે ડો. ગૌરવે દર્દીની વિકૃતિ અને નર્વ ડિકમ્પ્રેશનને સુધારવા માટે સ્પાઇન સર્જરી કરવાની સલાહ આપી હતી. સર્જરીના માત્ર 24 જ કલાકમાં ડો. લાકડાવાલા ચાલતા થયાં અને તેમની પીડામાં નોંધપાત્ર ઘટાડો પણ આવ્યો. સર્જરીના એક મહિના બાદ તેમનું જીવન એકદમ સામાન્ય થયું અને ડો. લાકડાવાલ ફરીથી પોતાના ક્લિનક જવા લાગ્યાં. હવે તેમને કોઇપણ સમસ્યા નથી.

આ સર્જરી અંગે માહિતી આપતાં ડો. ગૌરવ ખંડેલવાલે જણાવ્યું હતું કે, “છેલ્લાં કેટલાંક વર્ષોમાં સ્પાઇન સર્જરી ટેકનીકમાં બદલાવ આવ્યો છે અને પરંપરાગત ઓપન સર્જરીની જગ્યાએ મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી કરવામાં આવે છે. મિનિમલી ઇન્વેઝિવ સર્જરી સારા પરિણામો આપે છે તેમજ ખુબજ ઓછા કટ સાથે તંદુરસ્ત સ્નાયુઓને સાચવવામાં આવે છે. આ સર્જરીમાં લોહીની જરૂરી પણ ઓછી રહે છે અને અત્યંત વૃદ્ધિ દર્દીઓ ઉપર પણ શુન્ય ઇન્ફેક્શન રેટ સાથે સર્જરી કરી શકાય છે. ખુબજ ઓછા સમયમાં દર્દી સામાન્ય અને પીડામુક્ત જીવન વિતાવતા થાય છે. આ સર્જરી પરંપરાગત ઓપન સર્જરીની તુલનામાં ઓછી ખર્ચાળ છે. સ્પાઇનની સમસ્યાથી પીડીત દર્દીઓમાં ઝડપી રિકવરીને જોતાં મને ખુશી અનુભવાય છે. આ સુરતની પ્રથમ જટીલ મિનિમલ ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી છે.”

ઉલ્લેખનીય છે કે પરંપરાગત રીતે કરાતી સર્જરીમાં ઓછામાં ઓછા 10 કલાકનો સમય, 15 દિવસના હોસ્પિટલ સ્ટે, 5 લોહીના 5 યુનિટ અને સંપૂર્ણ રિકવરી માટે એક વર્ષનો સમય લાગે છે. આ ઉપરાંત તેનો ખર્ચ રૂ. 4થી5 લાખ, એક વર્ષ ફિઝિયોથેરાપી માટેનો અંદાજિત ખર્ચ રૂ. 75,000 જેટલો થવા પામે છે, એટલે કે સારવારનો કુલ ખર્ચ રૂ. 5થી6 લાખ થાય છે. જોકે, ડો. ખંડેલવાલ દ્વારા કરાયેલી મિનિમલી ઇન્વેઝિવ સર્જરીમાં 5 દિવસના હોસ્પિટલ સ્ટેની જરૂર રહે છે અને દર્દી સર્જરીના એક દિવસમાં ચાલતો થઇ જાય છે તથા માત્ર એક યુનિટ લોહીની જરૂરિયાત રહે છે. મહત્વપૂર્ણ છે કે સર્જરીનો ખર્ચ પરંપરાગત સર્જરીની સરખામણીમાં એક તૃતયાંશ ઓછો છે.

શેલ્બી હોસ્પિટલ્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી મનિષ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “સ્પાઇનના દર્દીઓ અદ્યતન ટેક્નોલોજીનો લાભ લઇને કોઇપણ પ્રકારના કોમ્પલિકેશન વિના ઝડપી રિકવર હાંસલ કરી શકે છે. સુરત ખાતે શેલ્બી હોસ્પિટલે મુંબઇમાંથી પણ સ્પાઇન સર્જરી કેસ મેળવ્યાં છે. હોસ્પિટલ પાસે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ બ્રેઇન અને સ્પાઇન સર્જનની પ્રતિબદ્ધ ટીમ છે. અમે ખુબજ ઓછા સમયમાં 200થી વધુ સ્પાઇન સર્જરી કરી છે અને સફળતાનો દર પણ ઉંચો છે. અમારા પ્રયાસોથી મોટી સંખ્યામાં દર્દીઓને લાભ થતાં જોઇ અમે ખુશી અનુભવીએ છીએ.”

July 25, 2018
MS-Dhoni.jpg
1min5310

ક્રિકેટના મેદાન પર જ નહીં બલ્કે મહેન્દ્રસિંહ ધોની દુનિયાદારીના મેદાનમાં પણ પ્રેરણાદાયી અને પ્રશંસનીય રીતે વર્તી રહ્યો છે. હમણા તેણે પ્રમાણિકતાથી પોતાની આવક ઇન્કમટેક્સ વિભાગ સમક્ષ જાહેર કરીને ઉદારતાથી સરકારની તિજોરીમાં ઇન્કમ ટેક્સ ભર્યો છે. માહીએ એટલો બધો ઇન્કમ ટેક્સ ભરી દીધો કે તે ઝારખંડ રાજ્યમાં વ્યક્તિગત રીતે હાઇએસ્ટ ઇન્કમ ટેક્સ ભરનાર વ્યક્તિ બન્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમનો સુપર સ્ટાર માહી ઉર્ફે મહેન્દ્ર સિંહ ધોની પોતાની માતૃભૂમિ ઝારખંડ  રાજ્યમાં વ્યક્તિગત રીતે સૌથી વધુ ટેક્સ ભરનારો ટેક્સપેયર બન્યો છે. એસેસમેન્ટ વર્ષ 2017-18માં તેણે 12.17 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. એટલું જ નહીં આગામી નાણાકીય વર્ષ માટે તેણે ત્રણ કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ પણ ભરવાનું ઇનકમ ટેક્સ વિભાગને જણાવ્યું છે.

ઇનકમ ટેક્સ કમિશનર વી. મહાલિંગમના જણાવ્યા મુજબ વર્ષ 2016-17 માટે ધોનીએ 10.93 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો. જોકે તે સમયે તે ઝારખંડ રાજ્યનો સૌથી વધુ આવક વેરો ભરનારો વ્યક્તિ નહોતો બન્યો. જ્યારે આ વર્ષે તે ઝારખંડનો સૌથી વધુ ટેક્સ ભરનાર વ્યક્તિ બન્યો છે.

July 23, 2018
jain.jpg
1min6070

કોઈ સ્પૉન્સર મળ્યા નહીં : તાઇવાન જવા-આવવાનો પાંચ લાખનો ખર્ચ તેના પરિવારે આપ્યો

બધિર એટલે કે સાંભળી ન શકતી યુવતીઓ માટે જયપુરમાં યોજાયેલી મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતનારી મધ્ય પ્રદેશની દિવ્યાંગ યુવતી દેશના જૈને તાજેતરમાં તાઇવાનમાં યોજાયેલી મિસ ઇન્ટરનૅશનલ (ડેફ) સ્પર્ધામાં ભાગ લીધો હતો. દેશના જૈન મિસ એશિયા (ડેફ)નું ટાઇટલ જીતી ગઈ હતી, પણ મિસ ઇન્ટરનૅશનલમાં તે થર્ડ રનર-અપનું સ્થાન પામી છે. તાઇવાનના તાઇપીમાં ૮થી ૧૬ જુલાઈ દરમ્યાન આ સ્પર્ધા યોજાઈ હતી. જોકે આટલી મોટી સફળતા મેળવવા છતાં તેનું નામ કોઈ પણ અખબારના મથાળે નથી છપાયું કે નથી તેની સફળતાની નોંધ કોઈ ટીવી-ચૅનલે લીધી. ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવનારી અને સુંદરતાનો ક્રાઉન જીતનારી આ દિવ્યાંગનો ઇન્ટરવ્યુ લેવા પણ કોઈ આગળ નથી આવ્યું.

દેશનાના પરિવારે જણાવ્યા મુજબ આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે સ્પૉન્સર કરવા કે તેની હિંમત બંધાવીને તેને ટેકો આપવા કોઈ આગળ આવ્યું નથી. તેની આ સફરનો પાંચ લાખ રૂપિયાનો ખર્ચ તેના પરિવારે જ ઉઠાવ્યો છે.

દેશનાની પિતરાઈ બહેન કાવ્યા જૈને જણાવ્યું હતું કે ‘અમે સ્પૉન્સર મેળવવા માટે નાનાથી માંડીને મોટા તમામ પાસે ગયા હતા, પરંતુ અમને કોઈએ સહકાર આપ્યો નહોતો. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ ચૌહાણને પણ બે વખત અમે મળ્યા હતા. જોકે ફુલ સ્પૉન્સરશિપ તો દૂરની વાત છે, કોઈએ તેના એક ડ્રેસને પણ સ્પૉન્સર કરવાની તૈયારી દાખવી નહોતી.’

July 21, 2018
lv5.jpg
1min7470

જયેશ બ્રહ્મભટ્ટ    (98253 44944)

સુરતના જાણીતા ઉદ્યોગપતિ શ્રી લવજીભાઇ બાદશાહે પોતાનો જન્મદિન વેસુ સ્થિત વૃદ્ધાશ્રમના સભ્યો સાથે પોતાનો બર્થ-ડે ઉજવ્યો હતો. તેમણે વેસુ સ્થિત વૃદ્ધાશ્રમના સભ્યો સાથે કેક કાપી, તેમને પ્રેમથી જમવાનું પીરસ્યું અને સાથે બેસીને ડીનર પણ લીધું હતું.

સામાન્ય રીતે વૃદ્ધાશ્રમ એટલે નિરાધાર વૃદ્ધ લોકો માટેનું આશ્રય સ્થાન. મોટા ભાગે લોકો સહાનુભૂતિ દાખવીને, અગર તો દાનપૂણ્ય કરવાના આશયથી અહીં કાર્યક્રમો યોજે છે. વૃદ્ધ સભ્યોને પણ આ પ્રકારે સહાનુભૂતિ મળે તે પસંદ હોતું નથી. પરીણામે ઉદ્યોગપતિ શ્રી લવજીભાઇ બાદશાહ અને તેમની ટીમે ખાસ તકેદારી રાખી કે વૃદ્ધાશ્રમના સભ્યોની લાગણીને ઠેસ ન પહોંચે, તેમજ કોઇ દાનધર્મના આશયથી નહીં બલ્કે પારિવારીક સભ્યો વચ્ચે વર્ષગાંઠ જે રીતે ઉજવાતી હોય તે પ્રકારનું તેમણે આયોજન કર્યું હતું.

પ્રસ્તુત છે આ અનોખા બર્થ-ડે સેલિબ્રેશનની તસ્વીરી ઝલક

July 19, 2018
bal.jpg
1min17000

ભારતના મહિલા અને બાળ વિકાસ (ડબ્લ્યુસીડી) મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે કહ્યું હતું કે ભારતમાં ભવિષ્યના તમામ બાળલગ્નોને અયોગ્ય અને રદબાતલ ઠેરવવા કેબિનેટ સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવશે.

 

જો આ દરખાસ્ત મંજૂર થઈ ગઈ તો ઉભય પક્ષ પૈકી એક બાળક પુખ્તવયનું થાય તેના બે વર્ષમાં જિલ્લા કોર્ટમાં ધા નાખે કે સગીર વયના લોકોની બાબતમાં વાલીની મારફત અદાલતના દ્વાર ખખડાવે ત્યાં સુધી બાળ લગ્ન ટકી શકવાની મંજૂરી આપે છે.

ડબ્લ્યુસીડી મંત્રાલયના પ્રસ્તાવ અંતર્ગત સઘળા ભાવિ બાળવિવાહ આરંભથી જ ગેરકાનૂની અને રદબાતલ લેખાશે, એમ આ અધિકારીએ જણાવ્યું હતું. બાળલગ્ન નિષેધ ધારાની કલમ ત્રણમાં સુધારાવધારા અને ફેરફાર કરવાની આ મંત્રાલયની ઈચ્છા છે. વર્ષ 2011ની જનસંખ્યા ગણતરી સેન્સસને આધારે કરાયેલા અભ્યાસમાં ભારતમાં 2.3 કરોડ બાળ દુલ્હન છે.

વર્ષ 2015-16ના રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વે (એનએફએચએસ)માં દર્શાવ્યા મુજબ 26.8 ટકા મહિલાઓ 18 વર્ષની થાય તે અગાઉ જ તેમને પરણાવી દેવામાં આવે છે. બાળ દુલ્હનને આરોગ્યની સમસ્યાઓ થવાની શક્યતા ઘણી વધારે હોય છે, એમ જણાવીને વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ)એ ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં બાળ દુલ્હન હોવા અંગે નારાજગી વ્યક્ત કરી છે.

July 17, 2018
pakhindu2.jpg
1min6570

આશરે 30,000 પાકિસ્તાની નાગરિક પૈકી મોટા ભાગે હિન્દુઓને 2011થી ભારતે લાંબી મુદતના વીઝા આપ્યા છે. ભારતમાં લાંબા સમય સુધી રહેવાના વિઝા મેળવનાર પૅન કાર્ડ અને આધાર કાર્ડ મેળવી શકશે તથા ભારતમાં મિલકતની ખરીદી કરી શકશે, એમ ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું.

 

પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશમાં વસતી લઘુમતીને મદદ કરવા મોદી સરકારની નીતિ અનુસાર 2018માં 6,092 પાકિસ્તાની નાગરિકને એલટીવીએસ આપવામાં આવ્યા છે.

કુલ 14,726 પાકિસ્તાની નાગરિકોએ ભારતના વીઝા મેળવવા અરજી કરી હતી. તેમને 2011 અને 2014ની વચ્ચે એલટીવીએસ આપવામાં આવ્યા હતા.

2015થી એલટીવીએસ મેળવવા ઑનલાઇન પ્રોસેસ શરૂ કરવામાં આવ્યો ત્યારથી 2015માં 2,142ને, 2016માં 2,298 નાગરિકને અને 2017માં 4,712ને વીઝા આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારની હાલની નીતિ પ્રમાણે લોંગ ટર્મ વીઝા પર ભારતમાં વસતા કોઈપણ ધર્મ કે કોમના નાગરિકોને રહેવા માટે ઘરની ખરીદી કરવા દેવાશે. તેમ છતાં સંવેદનશીલ વિસ્તારોમાં મિલકતની ખરીદી કરવાની પરવાનગી નહીં આપવામાં આવે. તેઓ પૅન કાર્ડ. આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવી શકશે.

July 12, 2018
collector_mamlatdar.jpg
1min11010

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત કલેક્ટર તરીકે સનદી અધિકારી મહેન્દ્ર પટેલના અનુગામી તરીકે આવેલા ડો.ધવલ પટેલની હાક-ધાકનો પરીચય કર્મચારીઓથી લઇને  મુલાકાતીઓને થઇ ચૂક્યો છે, પણ ડો. ધવલ પટેલ સારી કામગીરીની પણ ભરપૂર પ્રશંસા કરે છે એનો પરિચય તેમણે મહુવા મામલતદાર શ્રીમતી બી.આર. રાણા અને તેમની ટીમ દ્વારા કરાયેલી કામગીરી અંગે કરેલા ટ્વીટ પરથી થાય છે.

કલેક્ટરે ટ્વીટ માં જણાવ્યું હતું કે તેઓ તાજેતરમાં મહુવા મામલતદાર કચેરીની મુલાકાતે ગયા હતા અને ત્યાં તેમની માન્યતા અને અપેક્ષાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી તેનું સુખદ આશ્ચર્ય છે.

કલેક્ટરના આ ટ્વીટની ખાસ્સી ચર્ચા કલેક્ટરેટની જુદી જુદી કચેરીમાં કામ કરતા કર્મચારીઓમાં જોવા મળે છે. કલેક્ટરનો આ અભિગમ કર્મચારીઓનો જુસ્સો વધારનારો છે. તેમણે મહુવા મામલતદાર શ્રીમતી બી.આર. રાણાની આ કામગીરીનો તેમને તેમની સર્વિસમાં પણ લાભ મળે રીતની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.

મહુવા મામલતદાર કચેરીની સરપ્રાઇસ મુલાકાત બાદ કલેક્ટર-સુરત ડો.ધવલ પટેલએ કચેરીમાં જે કામગીરી જોઇ-જાણી-નિહાળી અને બાદમાં તેને બિરદાવી એ અભિગમ તેમના તાબા હેઠળની કચેરીના સ્ટાફ માટે દાખલો બેસાડે તેવી ઘટનાથી કમ નથી. જ્યારે કોઇ આઇ.એ.એસ. અધિકારી તેમના સ્ટાફને મોટીવેટ કરવા માટે આ પ્રકારે દાખલો બેસાડે એ અન્ય સનદી અધિકારી માટે પણ પ્રેરણાયાદી થઇ પડશે.

July 4, 2018
train1.jpg
1min5580

અંધેરી સ્ટેશન પર તા.3જી જુલાઇએ બનેલી વોક-વે બ્રિજ તૂટી પડવાની થોડીક સેકન્ડો પહેલાં જ મુંબઇની એક લોકલ ટ્રેનની ઇમર્જન્સી બ્રેક મારીને હીરો બનેલા મોટરમૅન ચંદ્રશેખર સાવંત માટે રેલવેપ્રધાને જાહેર કર્યું પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. ચંદ્રશેખર સાવંતને તેમની ૨૭ વર્ષની સર્વિસમાં તેમણે ત્રણ વખત અવૉર્ડ મળી ચૂક્યા છે.

અંધેરી સ્ટેશન પાસેના ગોખલે બ્રિજનો ભાગ તૂટી રહ્યો હતો ત્યારે ચર્ચગેટ જઈ રહેલી લોકલ ટ્રેનનો મોટરમૅન આ લોકલમાં પ્રવાસ કરી રહેલા પૅસેન્જરો માટે તારણહાર બન્યો હતો. મોટરમૅન ચંદ્રશેખર સાવંતે સમયસૂચકતાનો ઉપયોગ કરીને ઇમર્જન્સી બ્રેક ન મારી હોત તો પડી રહેલો કાટમાળ ટ્રેન પર પડ્યો હોત અને મોટી જાનહાનિ સર્જાઈ હોત. રેલવેપ્રધાન પીયૂષ ગોયલે મોટરમૅન ચંદ્રશેખર સાવંતને પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.

motorman

(ચંદ્રશેખર સાવંત કે જેણે ઇમરજન્સી બ્રેક મારીને 5000 મુસાફરોના જીવ બચાવ્યા)

મારી સામે ઉપરથી મોત પડી રહ્યું હતું અને મારા પર ૫૦૦૦ પૅસેન્જરની જવાબદારી હતી એમ જણાવતાં મોટરમૅન ચંદ્રશેખર સાવંતે કહ્યું હતું કે ‘સવારે અંધેરી રેલવે-સ્ટેશનથી ટ્રેનને બહાર કાઢી અને સ્પીડ વધારી જ રહ્યો હતો ત્યારે સામે બ્રિજનો ભાગ પડતો દેખાયો અને મેં ઇમર્જન્સી બ્રેક મારી હતી. ૨૭ વર્ષની સર્વિસમાં ત્રણ અવૉર્ડ મળી ચૂક્યા છે, પરંતુ ૫૦૦૦ પૅસેન્જરના જીવ બચાવ્યા એ મારા માટે અત્યાર સુધીનો સૌથી મોટો અવૉર્ડ હતો.’

motorman

બોરીવલીથી ચર્ચગેટ તરફ લોકલ જઈ રહી હતી ત્યારે દૂરથી ગોખલે બ્રિજનો હિસ્સો તૂટતો હોવાનું દેખાયું હતું એમ જણાવીને મોટરમૅન ચંદ્રશેખરે કહ્યું હતું કે ‘ઘટનાસ્થળથી માંડ ૬૦થી ૭૦ મીટરના અંતરે મારી ટ્રેન હતી. મેં ઇમર્જન્સી બ્રેક લગાડી અને અંદાજે ૫૦ મીટરના અંતરે ટ્રેન અટકી હતી. જો એકાદ-બે સેકન્ડ મોડું થાત તો અનર્થ થઈ જાત.’

બ્રિજ પડવાની અમુક ક્ષણ પહેલાં જ વિરાર-ચર્ચગેટની લોકલ ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી. અગાઉ ૨૦૦૯માં થાણે લોકલ પર કોપરીનો બ્રિજ તૂટી પડતાં મોટરમૅન સહિત બે જણનાં મૃત્યુ થયાં હતાં.

June 23, 2018
plastic_feaure.png
1min9050

તા.23 જુન 2018

મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલા પ્લાસ્ટિક પરના પ્રતિબંધનો અમલ આજથી થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે એક વપરાશ કરીને ફેંકી દેવામાં આવતી પ્લાસ્ટિક વસ્તુઓ જેવી કે થેલી, પ્લેટ, કપ, ચમચી તેમ જ આવી જ થર્મોકોલથી બનેલી વસ્તુઓના મેન્યુફેક્ચર, વપરાશ, વેચાણ, વિતરણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

પ્લાસ્ટિક વિક્રેતા અને મેન્યુફેક્ચરરને સ્ટોક પૂરો કરવા મુદત આપી હતી

મહારાષ્ટ્ર સરકારે પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર તેમજ પ્લાસ્ટિક વિક્રેતાઓને ત્રણ મહિના સ્ટોકને પૂરો કરવા કે નાશ કરવા માટે આપ્યા હતા. આ મુદત ગઇકાલ તા.22મી જૂને પૂરી થઇ જવા પામી છે. આ સાથે રાજ્ય સરકાર અને પાલિકાઓ દ્વારા ખાસ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન રામદાસ કદમે લોકોને વિશ્ર્વાસ આપ્યો હતો કે સામાન્ય જનતા અને નાના વેપારીઓને રંજાડવામાં નહીં આવે, પરંતુ દોષી મેન્યુફેક્ચરર પર જ સખત કાર્યવાહી કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.

સરકારે નક્કી કરેલા દંડની રકમ બહુ મોટી હોવાની ફરિયાદો અંગે તેમણે જણાવ્યું હતું કે જેઓ કાયદાનો ભંગ કરશે તેમની માટે દંડ છે, જો તમે ભંગ જ નહીં કરો તો દંડ આપવાની કોઈ જરૂરત નથી. દંડની રકમ ઓછી કરવાનો તેમણે ઈનકાર કર્યો હતો. તેમણે રિટેલ પેકેજિંગ કંપનીઓને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તેમણે પ્લાસ્ટિકના રિસાઈકલિંગ મામલે સોગંદનામું આપવાનું રહેશે. તેમના સોગંદનામાને હાઈ પાવર કમિટી સામે રજૂ કરવામાં આવશે.

અન્ય રાજ્યોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક આયાત કરનારા સીધા જેલમાં જશે

અન્ય રાજ્યોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક લાવનારાને સીધા જેલમાં ધકેલાય જશે એમ રામદાસ કદમે જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ બહુ ઓછું થાય છે અને મોટા ભાગની પ્લાસ્ટિકની વસ્તુઓ ગુજરાત અથવા અન્ય રાજ્યોમાંથી આવે છે. તેમણે અગાઉ પણ જણાવ્યું હતું કે ૮૦ ટકા પ્લાસ્ટિક આઈટમ ગુજરાતમાંથી આવે છે. જો આમ થતાં કોઈ પકડાશે તો તેમને ૨૦૦૬ના વેસ્ટ મેનેજમેન્ટ એકટ હેઠળ ત્રણ મહિનાની જેલની સજા થશે.

મહારાષ્ટ્ર હાઇકોર્ટે પણ પ્લાસ્ટિક વિક્રેતાઓને દાદ ન અાપી

મહારાષ્ટ્ર સરકારે મુંબઇ હાઇ કોર્ટને જણાવ્યું હતું કે બધી જ સ્થાનિક સંસ્થાઓને પ્લાસ્ટિકની વસ્તુઓ અને કચરાના કલેક્શન, પરિવહન અને નિકાલ માટે યંત્રણા વિકસાવવા આદેશ આપવામાં આવ્યો છે. 23મી માર્ચના રોજ રાજ્ય સરકારે નોટિફિકેશન જારી કરીને પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ, વિતરણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં પ્લાસ્ટિકની ચમચી, પ્લેટ્સ, પેટ બોટલ્સ વગેરેનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા મૂકવામાં આવેલો પ્રતિબંધ આપખુદ, કાયદાની દ્રષ્ટિએ ખરાબ અને લોકોની આજીવિકા રળવાના મૂળભૂત અધિકારનો ભંગ કરનારો છે, એમ જણાવી પેટ બોટલ્સ અને થર્મોકોલ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન્સ દ્વારા આ નોટિફિકેશનને જોકે હાઇ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. એપ્રિલ મહિનામાં ન્યાયમૂર્તિ અભય ઑક અને ન્યાયમૂર્તિ રિયાઝ ચાગલાની ખંડપીઠે સરકારી નોટિફિકેશન પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો.

નોટિફિકેશનમાં પ્લાસ્ટિકના ઉત્પાદકો, વિતરકો અને રિટેલરોને પ્લાસ્ટિકનો નિકાલ કરવા ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. જોકે સામાન્ય લોકોને તેમના ઘરના પ્લાસ્ટિકની બેગ્સ સહિતની વસ્તુઓનો નિકાલ કરવા માત્ર એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.

June 18, 2018
sakuntla.jpg
1min14230

જયેશ બ્રહ્મભટ્ટ

માનવીના મન પાસે અપાર અને અસિમીત શક્તિઓ છે, માનવીનું મન ધારે તો કોઇપણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે એવું શાસ્ત્રોમાં તો લખાયું જ છે પણ વિજ્ઞાન પણ એવું કહે છે અને તેની પ્રતીતિ કરાવતા સાક્ષાત પરચાઓ આપણી નજર સામે આવતા-જતા રહે છે પણ 99.5 ટકા લોકો પોતાના મનનો ઉપયોગ અદ્વિતીય સિદ્ધી હાંસલ કરવા માટે કરી શક્તા નથી. અહીં એક એવી જીવતી વારતાં  રજૂ કરી રહ્યો છું કે જેને વાંચ્યા પછી કદાચ કોઇ વાચક પોતે અથવા અન્ય કોઇને કશું ક હાંસલ કરવાની પ્રેરણા આપી શકે.

 મહારાષ્ટ્ર બોર્ડના ચેરપર્સન શકુંતલા કાલે

તમે ક્યારેય વિચારી શકો કે કોઇ છોકરી જેના 14 વર્ષની ઉંમરે લગ્ન થઇ જાય અને 18 વર્ષ સુધીમાં તો બે બાળકોની માતા પણ બની જાય અને પછી એ ભણવાનું શરૂ કરીને મહારાષ્ટ્ર MPSC મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનની ક્લાસ-2 ઓફિસર અને એ પછી ક્લાસ-વન ઓફિસરની પરીક્ષા પાસ કરીને આજની તારીખમાં એ ભારતના સૌથી મોટા સેકન્ડરી બોર્ડ, મહારાષ્ટ્ર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરપર્સન એટલે કે સૌથી ટોચના અધિકારી બની જાય…

આ મહિલાનું નામ છે શકુંતલા કાલે. મહારાષ્ટ્રના ક્લાસ-વન દરજ્જાના સનદી અધિકારી છે અને 2017ના સપ્ટેમ્બરની 25મી તારીખે એમને મહારાષ્ટ્ર બોર્ડના ચેરમેન તરીકે સરકારે નિયુક્ત કર્યા ત્યારે સમગ્ર વિશ્વને એ બાબતની જાણ થઇ કે આ સનદી અધિકારીના તો 14 વર્ષની ઉંમરે લગ્ન થઇ ગયા હતા અને 18 વર્ષની ઉંમર સુધીમાં તો તેઓ બે સંતાનોના માતા બની ચૂક્યા હતા.

શકુંતલા કાલે જ્યારે 14 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. પરિવારમાં માં મજૂરી કરીને ગુજરાન ચલાવતી. એ સમયે બાળલગ્નની પ્રથા મહારાષ્ટ્રના ગામોમાં જીવંત હતી એટલે શકુંતલા નામની છોકરીના 14 વર્ષની વયે લગ્ન કરીને તેને સાસરે વળાવી દેવામાં આવી. જ્યારે બે સંતાનોને જન્મ આપી દીધો ત્યારે શકુંતલા કાલેને જીવનમાં કંઇક અદ્વિતીય કરી છૂટવાની તમન્ના જાગી અને તેમણે ડિસ્ટન્સ લર્નિંગ સંસ્થામાંથી ધો.12ની પરીક્ષા આપી અને પાસ થઇ ગયા. બસ પછી ધૂન લાગી કે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપીને સરકારી નોકરી મેળવું.

શકુંતલા કાલેએ એ સમયે પૂણા વિશ્વ વિદ્યાલય કે જે આજે સાવિત્રીબાઇ ફુલે વિશ્વવિદ્યાલયથી જાણીતી છે એ યુનિવર્સિટીમાંથી એમ.એ. મરાઠીની ડિગ્રી મેળવી. ડિગ્રી મળવાની સાથે જ તેઓ જે સ્કુલમાં ભણ્યા હતા ત્યાં ટીચર તરીકેની નોકરીમાં જોડાઇ ગયા. બસ હવે શકુંતલા કાલેનું સપનું હતું કે એમપીએસસીની પરીક્ષા આપું. એ સમયે કોઇ લાઇબ્રેરી, પુસ્તક કે કશું ન હતું પણ રેડીયો સાંભળતા અને રેડીયો પણ એટલે સાંભળતા કે ઉંઘવાનું ઓછું અને રેડીયો વધારે સાંભળવાનો કે જેથી બાહ્ય નોલેજ, જાણકારી, જનરલ અવેરનેસ મળે. પોતાની જાતને જ પ્રેરણા આપતા, સેલ્ફ મોટીવેશન થકી શકુંતલા કાલેએ ક્લાસ-ટુ ઓફીસરની પરીક્ષા પાસ કરી દીધી અને જોતજોતામાં તો ક્લાસ-વન ઓફીસર તરીકે મહારાષ્ટ્ર સરકારને સેવા આપતા થઇ ગયા.

શકુંતલા કાલે કહે છે  નો પેઇન નો ગેઇન, આજના બાળકોને સ્ટ્રગલ વાળી લાઇફ ગમતી નથી, માબાપ તેમના સંતાનોને સોફ્ટ ટાર્ગેટ, કમ્ફર્ટ ઝોનમાં ભણાવે છે. પણ પુરુષાર્થ વગર કશું નક્કર મેળવી શકાતું નથી. શકુંતલા કાલે સવારે 3 વાગ્યે ઉઠીને પીવાનું પાણી ભરવા માટે પાંચ કિલોમીટર પગપાળા જતા હતા. આજે તેઓ મહારાષ્ટ્ર બોર્ડમાં ચેરમેન તરીકે 20 લાખથી વધુ વિદ્યાર્થીઓની સર્ટિફિકેટ્સ પર તેમના ઓટોગ્રાફ આપી રહ્યા છે.