ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ બાપુની દાંડીકૂચને પુનર્જીવિત કરવા માર્ચ, 2019માં ‘કર કે દેખે’ સોલ્ટ માર્ચનું આયોજન
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ગાંધીજીના પ્રપોત્ર તુષાર ગાંધીએ અમદાવાદ ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા એવી જાહેરાત કરી છે કે તેઓ ઇતિહાસનું પુનરાવર્તન કરવા જઇ રહ્યા છે અને માર્ચ 2019માં કર કે દેખે નામની મીઠા સત્યાગ્રહનું આયોજન કરી રહ્યા છે. આ મીઠા સત્યાગ્રહનો ઉદ્દેશ એ છે કે સુરત નજીક (હકીકતમાં સુરત સિટીમાં સમાવિષ્ટ) આવેલા ભીમરાડ ગામને ઇતિહાસમાં સ્થાન મળે, ઐતિહાસિક સ્થળોમાં તેનો સમાવેશ થાય એ છે. ભીમરાડને એટલે ઇતિહાસમાં સ્થાન અપાવવું છે કેમકે ભીમરાડથી જ હકીકતમાં ગાંધી બાપૂએ મીઠા સત્યાગ્રહના શ્રીગણેશ કર્યા હતા. અમદાવાદ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તુષાર ગાંધીએ કહ્યું હતું કે, આજે દુનિયાભરમાં જે ફોટો ‘નમક કા કાનૂન તોડ દીયા’ કરીને દાંડીના નામે જાણીતો છે, એ ખરેખર ભીમરાડનો ફોટો છે.

(અમદાવાદ ખાતે યોજાયેલી પત્રકારપરિષદમાં તુષાર ગાંધીએ જાહેરાત કરી હતી એ વેળાની તસ્વીર)
એ પહેલાં રામદાસ કાકાની ધરપકડ થયેલી એટલે ભીમરાડમાં બાપુએ મીઠાની ચપટી ભરીને કાનૂનભંગ કર્યો હતો. મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતાં, ત્યારે તેમણે દાંડીમાં સ્મારક બનશે તેવી જે જાહેરાત કરી હતી તે જાન્યુઆરીમાં ખુલ્લુ મૂકાશે. અમારી ઇચ્છા એવી છે કે, આ ભીમરાડ ગામને ઇતિહાસમાં સ્થાન મળે. એ વખતે બાપુ સાથે 80 લોકો જોડાયા હતા અને મેં 2005માં દાંડીયાત્રાના 75માં વર્ષ નિમિત્તે દાંડી યાત્રા કરી હતી. હવે સામાન્ય લોકો અને યુવાનો સહિત વિદેશના લોકોને ગાંધી મૂલ્યો, ભારતીય સંસ્કૃતિ અને બાપુનો પરિચય કરાવવા માટે આ સોલ્ટ ચેલેન્જ શરુ કરવી છે.
- ભીમરાડ ખરેખર ક્યાં આવેલું છે
- ઘણાં વાચકોને સવાલ ઉપસ્થિત થાય કે ભીમરાડ હકીકતમાં ક્યાં આવેલું છે, એમને જણાવી દઇએ કે ભીમરાડ સુરત ખાતે આવેલું છે.

- દુનિયાભરમાં જે ફોટો ‘નમક કા કાનૂન તોડ દીયા’ કરીને દાંડીના નામે જાણીતો છે, એ ખરેખર ભીમરાડનો ફોટો છે.

‘કર કે દેખે’ ચેલેન્જ વિશે વાત કરતાં તુષાર ગાંધીએ જણાવ્યું કે, જ્યારે ગાંધી બાપુએ આ કૂચની વાત કરી તો સૌથી પહેલા તેનો વિરોધ સરદારે કરેલો, પરંતુ બાપુ તેમની વાત ન માન્યા અને સરદાર કામે લાગ્યા, સરદારે જ સમગ્ર દાંડીયાત્રાનો માર્ગ નિશ્ચિત કરીને બધી વ્યવસ્થા કરી આપેલી. ત્યાર બાદ મોતીલાલ નહેરુએ બાપુને આ કૂચના વિરોધમાં 22 પાનાનો પત્ર લખેલો. જેના જવાબમાં બાપુએ માત્ર એટલું જ લખેલું ‘કર કે દેખે’. .
શું કાર્યક્રમો થશે કર કે દેખે સોલ્ટ માર્ચ અન્વયે
સમગ્ર દેશમાં 150મી ગાંધીજયંતીની ઉજવણી ચાલી રહી છે, ત્યારે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ બાપુની દાંડીકૂચને પુનર્જીવિત કરવા માર્ચ, 2019માં ‘કર કે દેખે’ સોલ્ટ માર્ચનું આયોજન કર્યું છે. આ માર્ચમાં વોકેથોન, મેરેથોન અને સાઇક્લોથોન યોજાશે.
આ પ્રસંગે તુષાર ગાંધી સાથે ચેલેન્જમાં જોડાયેલા મુંજાલ શ્રોફે જણાવ્યું કે, જ્યારે દાંડી માર્ચ શરુ થયેલી એ જ દિવસે 12 માર્ચે મેરેથોન શરૂ થશે. તેઓ સાબરમતીથી દાંડી સુધી 400 કિમીનું અંતર 23 માર્ચ સુધીમાં કાપશે. સાયક્લોથોન 20થી 23 માર્ચ સુધીમાં પુરી થશે, વોકેથોન 19થી 23 દરમિયાન ભીમરાડથી દાંડી સુધી 70 કિમીના અંતરમાં પુરી થશે.
ભીમરાડ સ્થિત ગાંધી સ્મારક સમિતિ, સુરતનું પરિવર્તન ટ્રસ્ટ, કાંઠા વિસ્તારના ગામો વર્ષોથી ચળવળ ચલાવી રહ્યા છે
ભીમરાડને ઐતિહાસિક દરજ્જો મળે તે માટે ભીમરાડ ગામની ગાંધી સ્મારક સમિતિ દ્વારા પાછલા ઘણાં વર્ષોથી ઝુંબેશ ચલાવવામાં આવે છે. ભીમરાડના બળવંતભાઇ પટેલ તેમજ અન્ય આગેવાનો અનેક વખત સત્તામંડળોમાં રજૂઆતો કરી ચૂક્યા છે તેમજ કાર્યક્રમો આપી ચૂક્યા છે. સુરત શહેરમાં આવેલા પરિવર્તન ટ્રસ્ટના યુવા કાર્યકરો પ્રકાશભાઇ કોન્ટ્રાક્ટર તેમજ અન્ય આગોવાનોના નેજા હેઠળ છેલ્લા ઘણાં વર્ષોથી ભીમરાડને ઐતિહાસિક મૂલ્ય મળે, ઐતિહાસિક સ્થળનો દરજ્જો મળે તે માટે ચળવળ ચલાવી રહ્યા છે. અનેક વખત તેઓ તંત્રવાહકો જોર જુલ્મીનો ભોગ પણ બન્યા છે. તેમણે અહીં ગાંધીજીની પ્રતિમાને પણ પ્રસ્થાપિત કરી છે. હજુ સુધી તંત્રવાહકોએ આ પ્રતિમા માટે થયેલા બાંધકામને મંજૂરી આપી નથી. એવી જ રીતે કાંઠા વિસ્તારના ગામવાસીઓ ઉપરાંત ભીમરાડના રહેવાસીઓએ પણ મીઠા સત્યાગ્રહના પ્રણેતા સ્થળ ગણાતા ભીમરાડને તેની અસ્મિતા પરત મળે તે માટે અનેક વખત પ્રયાસો કર્યા છે.

(પરિવર્તન ટ્રસ્ટના કાર્યકરો દ્વારા ભીમરાડથી દાંડી કૂચ દરમિયાન અપાયેલા કાર્યક્રમનીની ફાઇલ તસ્વીર)