
‘એક થા ટાયગરથી ટાયગર ઝિંદા હૈ’ કંઇક આ રીતે વડા પ્રધાન મોદીએ દેશના વાઘ સંવર્ધનની વાત વર્ણવી હતી. લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં વાઘની વસતીમાં ૩૩ ટકાનો વધારો થયો છે.
વડા પ્રધાન મોદીએ બોલીવૂડ હીરો સલમાન ખાનની બે ફિલ્મના નામ ટાંકીને દેશમાં વાઘની સંખ્યામાં થયેલો વધારો જણાવ્યો હતો. ૨૦૧૪માં વાઘની સંખ્યા ૨,૨૨૬ હતી જે ૨,૦૧૮માં વધીને ૨,૯૬૭ થઇ છે.
‘આ ઘટના સાથે સંકળાયેલા તમામ લોકોને હું જણાવવા માગું છું કે એક થા ટાયગરથી આપણી જે કથા શરૂ થઇ હતી તે હવે ટાયગર જિંદા હૈ સુધી પહોંચી છે અને આ કથા અહીં અટકવી નહીં જોઇએ. વાઘોનું સંરક્ષણ ચાલુ જ રહેવું જોઇએ,’ એમ મોદીએ જણાવ્યું હતું.
વિકાસ વર્સિસ પર્યાવરણની જાળવણી એ અંગેની ચર્ચા અંગે બોલતા મોદીએ જણાવ્યું હતું કે બંને વચ્ચે સંતુલન જાળવવું જોઇએ.
આશરે ૩,૦૦૦ વાઘની સાથે ભારત દુનિયામાં વાઘની સલામતી અને મોટા રહેઠાણમાંના એક તરીકે ઊભરી આવ્યું છે. દેશના વાઘ સંરક્ષણની કવાયતમાં સામેલ તમામ લોકોની તેમણે પ્રશંસા કરી હતી. ‘નવ વર્ષ પહેલાં રશિયાના સેંટ પિટર્સબર્ગ ખાતે એમ નક્કી કરવામાં આવ્યું હતું કે ૨૦૨૨ સુધીમાં વાઘની વસતી ડબલ થવી જોઇએ. આપણે આ લક્ષ્યાંક ચાર વર્ષ વહેલો પાર પાડ્યો છે. સંકલ્પથી સિદ્ધિનું આ સૌથી પ્રેરક ઉદાહરણ છે,’ એમ મોદીએ જણાવ્યું હતું. ૨૦૧૪માં રક્ષિત વિસ્તારોની સંખ્યા ૬૯૨ હતી જે વધીને ૨૦૧૯માં ૮૬૦ થઇ છે એમ જણાવતા પોતાની અંતિમ ટિપ્પણીમાં મોદીએ ફરીથી બોલીવૂડ ગીતનો આશરો લઇને જણાવ્યું હતું કે ‘બાગોમેં બહાર આઇ ના બદલે હવે આપણે કહી શકીશું કે બાગો (વાઘ)મેં બહાર આઇ.



















