ગુજરાત સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ જાહેર કરીને તા.14મી નવેમ્બર 2018થી ખરીદીનો આરંભ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના નીતિ-નિયમોને લીધે પહેલા જ દિવસે સૌરાષ્ટ્રના મગફળી પકવતા ખેડૂતોનો પિત્તો ગયો હતો અને તેઓ એવા રોષે ભરાયા કે રાજ્ય સરકારને મગફળી વેચવાને બદલે રસ્તા પર મગફળી બાળવાનું શરૂ કરી દીધું હતું, જોત જોતામાં મગફળી બાળવાનો ટ્રેન્ડ એવો વાઇરલ થયો કે સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ગામેગામ મગફળી બાળવામાં આવી રહી છે એટલું જ નહીં હાઇવે પરથી પસાર થતાં વાહનોને રોકી-રોકીને એમાં બેઠેલા પૅસેન્જરોને પણ ભરપેટ મગફળી ખવડાવીને ખેડૂતોએ સરકારની નીતિનો અનોખો વિરોધ કર્યો છે.
અળવીતરો નિયમ સરકારનો
ગુજરાત સરકારએ આ વખતે મગફળી ખરીદીમાં કેટલાક અળવીતરા નિયમો બનાવ્યા છે. જેમકે 35 કિલોના પૅકિંગમાં મગફળી પૅક કરવાની છે અને એમાં પણ અડધા ફુટની જગ્યા ખાલી રાખવાની છે. ખાલી રાખવાની જગ્યાનો નિયમ પાળવામાં આવે તો બોરીમાં ત્રીસ કિલોથી વધારે મગફળી આવે એમ નથી.

મગફળી વેચવા માટે ખેડૂતો તા.14મી નવેમ્બર 2018ના રોજ માર્કેટિંગ યાર્ડો પર પહોંચ્યા ત્યારે એંસી ટકા માલ પૅકિંગને પ્રશ્ને રિજેક્ટ કરવામાં આવતાં ખેડૂતો રોષે ભરાયા હતા અને તેમણે હાઇવે પર જ પૅકિંગ ખોલી નાખ્યાં હતાં. માર્કેટમાં બરાબર ભાવ ન મળે ત્યારે ખેડૂતો સરકારને મગફળી આપે. એક તો પોષણક્ષમ ભાવ ન મળતા હોય એવામાં આ મગફળી ફરીથી પાછી લઈ જવી અને એ માટેની બોરી બનાવવી એ કોઈ ખેડૂતને પોસાય એમ નથી એટલે પાછા લઈ જવાના ખર્ચને બદલે બધાએ મગફળી બાળી નાખી તો અમુકે લોકોની વચ્ચે લહાણી કરી નાખી.
છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રમાં ગામેગામ મગફળી બાળી નાંખવાનો કે લોકોમાં વહેંચી દેવાનો ટ્રેન્ડ ભારે વાઇરલ થયો છે.
તા.14મી અને 15મી નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓછામાં ઓછી બે હજાર કિલો મગફળીનો જથ્થો અગર તો બાળવામાં કે મફત ખવડાવવામાં આવ્યો હતો.





















