CIA ALERT

Blog - Page 608 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
November 16, 2018
nuts_burn.jpg
1min7370

ગુજરાત સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ જાહેર કરીને તા.14મી નવેમ્બર 2018થી ખરીદીનો આરંભ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના નીતિ-નિયમોને લીધે પહેલા જ દિવસે સૌરાષ્ટ્રના મગફળી પકવતા ખેડૂતોનો પિત્તો ગયો હતો અને તેઓ એવા રોષે ભરાયા કે રાજ્ય સરકારને મગફળી વેચવાને બદલે રસ્તા પર મગફળી બાળવાનું શરૂ કરી દીધું હતું, જોત જોતામાં મગફળી બાળવાનો ટ્રેન્ડ એવો વાઇરલ થયો કે સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ગામેગામ મગફળી બાળવામાં આવી રહી છે એટલું જ નહીં હાઇવે પરથી પસાર થતાં વાહનોને રોકી-રોકીને એમાં બેઠેલા પૅસેન્જરોને પણ ભરપેટ મગફળી ખવડાવીને ખેડૂતોએ સરકારની નીતિનો અનોખો વિરોધ કર્યો છે.

અળવીતરો નિયમ સરકારનો

ગુજરાત સરકારએ આ વખતે મગફળી ખરીદીમાં કેટલાક અળવીતરા નિયમો બનાવ્યા છે. જેમકે 35 કિલોના પૅકિંગમાં મગફળી પૅક કરવાની છે અને એમાં પણ અડધા ફુટની જગ્યા ખાલી રાખવાની છે. ખાલી રાખવાની જગ્યાનો નિયમ પાળવામાં આવે તો બોરીમાં ત્રીસ કિલોથી વધારે મગફળી આવે એમ નથી.

મગફળી વેચવા માટે ખેડૂતો તા.14મી નવેમ્બર 2018ના રોજ માર્કેટિંગ યાર્ડો પર પહોંચ્યા ત્યારે એંસી ટકા માલ પૅકિંગને પ્રશ્ને રિજેક્ટ કરવામાં આવતાં ખેડૂતો રોષે ભરાયા હતા અને તેમણે હાઇવે પર જ પૅકિંગ ખોલી નાખ્યાં હતાં. માર્કેટમાં બરાબર ભાવ ન મળે ત્યારે ખેડૂતો સરકારને મગફળી આપે. એક તો પોષણક્ષમ ભાવ ન મળતા હોય એવામાં આ મગફળી ફરીથી પાછી લઈ જવી અને એ માટેની બોરી બનાવવી એ કોઈ ખેડૂતને પોસાય એમ નથી એટલે પાછા લઈ જવાના ખર્ચને બદલે બધાએ મગફળી બાળી નાખી તો અમુકે લોકોની વચ્ચે લહાણી કરી નાખી.

છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રમાં ગામેગામ મગફળી બાળી નાંખવાનો કે લોકોમાં વહેંચી દેવાનો ટ્રેન્ડ ભારે વાઇરલ થયો છે.

તા.14મી અને 15મી નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓછામાં ઓછી બે હજાર કિલો મગફળીનો જથ્થો અગર તો બાળવામાં કે મફત ખવડાવવામાં આવ્યો હતો.

November 16, 2018
sabri.jpg
1min9460

sabrimala

A to Z of Sabrimala

ધાર્મિક આસ્થાઓ શ્રેષ્ઠ છે કે પછી પરંપરાઓ તોડવાવાળો સર્વોચ્ચ અદાલતનો નિર્ણય? કાયદા નિષ્ણાતો અને આસ્થાવાન લોકો વચ્ચે એક ચર્ચાનો વિષય બન્યો છે, પરંતુ આ કારણે દેશનો એક મોટો ભાગ અદાલતના નિર્ણય વિરુદ્ઘ થઈ ગયો છે. હવે જોવાનું એ રહેશે કે સબરીમાલા મંદિરમાં પ્રવેશ અંગેનો નિર્ણય કોના પક્ષમાં જાય છે. જો કે આ બાબતે રાજકારણ પણ ચાલી રહ્યું છે. આ સમગ્ર વાદ વિવાદની વચ્ચે આપણે જાણીએ આખરે આ વિવાદ શરૂ ક્યાંથી થયો ?

સબરીમાલા મંદિર કેરળ રાજ્યમાં આવેલું છે. આ મંદિરમાં 10 થી 50 વર્ષની તથા રજસ્વલા મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ પાછળ એવી માન્યતા છે કે મંદિરના મુખ્ય દેવતા અયપ્પા બ્રહ્મચારી હતા અને આવામાં મહિલાઓના પ્રવેશથી અયપ્પાનું ધ્યાન ભંગ થઈ શકે છે. અહીંયા નાની બાળકીએ તથા વૃદ્ધ મહિલાઓ પ્રવેશ કરી શકે છે. સબરીમાલા મંદિરમાં દર વર્ષે નવેમ્બર થી જાન્યુઆરી સુધી શ્રદ્ધાળુઓ ભગવાન અયપ્પાના દર્શન કરી શકે છે, બાકીના સમયમાં મંદિર બંધ રહે છે. શ્રદ્ધાળુઓ માટે મકરસંક્રાતિનો દિવસ મહત્વનો હોય છે આ દિવસે મહત્તમ લોકો અહીં આવતા હોય છે.

800 વર્ષ જૂની પ્રથા પર દેશની સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતા કહ્યું કે સ્ત્રીઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશની પરવાનગી આપવામાં આવે. હવે સબરીમાલા મંદિરમાં સ્ત્રીઓ પણ ભગવાન અયપ્પાના દર્શન કરી શકે છે. મંદિરની આ પ્રથાને અદાલતની એક બેન્ચે ગેરકાયદેસર જાહેર કરી છે.

કેરળ કોર્ટે 1991 અને 2015માં કહ્યું હતું કે સબરીમાલા મંદિરને તેમની પરંપરા જાળવવાનો અધિકાર છે. ત્યારબાદ અદાલતે કહ્યું કે મંદિરમાં પ્રવેશની રોક મહિલા હોવાના કારણે નહિ પરંતુ તેમની ઉંમર આધારિત છે. આ પરંપરામાં બદલાવ લાવવા એક વિદ્વાનોનું એક દળ બનાવવાની વાત કરી હતી. પરંતુ કેરળ સરકારના પોતાના ઍફિડેવિટમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ ન આપવો એ અયોગ્ય હોવાનું કહેવામાં આવ્યું હતું.

પૌરાણિક કથા પ્રમાણે અયપ્પાને ભગવાન શિવ અને મોહિની ( વિષ્ણુજી નું એક સ્વરૂપ)ના પુત્ર માનવામાં આવે છે. તેમનું એક નામ હરિહરપુત્ર પણ છે. આ સિવાય ભગવાન અયપ્પાને અયપ્પન, શાસ્તા, મણિકાંતાના નામથી પણ ઓળખવામાં આવે છે. અયપ્પાના દક્ષિણ ભારતમાં ઘણા મંદિરો આવેલા છે જે પૈકી સબરીમાલા મુખ્ય તીર્થસ્થળ છે.

ગયા વર્ષે 13 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે અનુચ્છેદ 14માં આપેલા સમાનતાનાં અધિકાર, અનુચ્છેદ 15માં ધર્મ અને જાતિના આધારે ભેદભાવ રોકવા અને અનુચ્છેદ 17માં છૂત-અછૂત દૂર કરવી જેવા મહત્વના મુદ્દાઓ પર સુનાવણી પાંચ જજોની બેન્યને હવાલે કરી હતી. આ મામલે 7 નવેમ્બર 2016ના રોજ કેરળ સરકારે સુપ્રીમ કોર્ટને સુચિત કર્યું હતું કે તેઓ આ મંદિરમાં કોઈ પણ ઉંમરની મહિલાઓના પ્રવેશના સમર્થનમાં છે.

November 16, 2018
sachin.jpg
1min16040

નાના,સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ સહસિકોને સહાયરૂપ થવા લીડ બેન્ક દ્વારા આગામી ૧૦૦ દિવસ સુધી દર અઠવાડિયે બે અવેરનેસ કેમ્પ યોજાશે 

નાના,સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ સહસિકોને ત્વરિત અને સરળતાથી રૂ.૦૧ કરોડ સુધીની લૉન મળી રહે તે હેતુથી સચિન ઇન્ડસ્ટ્રીયલ કો.ઓપ.સોસાસયટી હોલ, સચિન GIDC ખાતે અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દેના બેન્કના ઝોનલ મેનેજરે જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૨જી નવેમ્બરના રોજ PSB લૉન ઇન ૫૯ મિનિટ પોર્ટલને લોન્ચ કર્યું હતું. જેના સંદર્ભે નાના,સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ સહસિકોને સહાયરૂપ થવા લીડ બેન્ક દ્વારા આગામી ૧૦૦ દિવસ સુધી દર અઠવાડિયે બે અવેરનેસ કેમ્પ બેન્ક, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સીડબી, KVIC, લેબર ડિપાર્ટમેન્ટ, એમ્પ્લોયમેન્ટ, GeM, ટેક્સટાઇલ અને અન્ય સરકારી એજન્સીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે. જેની શુભ શરૂઆત સચિનથી આ કેમ્પ દ્વારા કરી રહ્યા છીએ.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી ડી.આર.પટેલે જણાવ્યું કે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા MSME સાહસિકોને લૉન સબસીડી આપવામાં સુરત મોખરે રહ્યું છે. તેમણે આવા કેમ્પનો વધુ ને વધુ લોકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.

સીડબીના AGM શ્રીગણેશે કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહી ઓનલાઈન પોર્ટલ અંગે માહિતી આપી હતી.તેમજ એસબીઆઈમાંથી શ્રી પરમારે સોશયલ સિક્યુરિટીની સ્કીમ વિશે ઉપયોગી જાણકારી આપી હતી.

કાર્યક્રમનું સંચાલન કરતા લીડ બેન્ક મેનેજરશ્રી રસિક જેઠવાએ જણાવ્યુ કે, દર અઠવાડિયે મંગળવારે અને શુક્રવારે અવેરનેસ કેમ્પનું આયોજન બેંકો અને સરકારી વિભાગના સંયુક્ત ઉપક્રમે વિવિધ સ્થળે કરવામાં આવશે.
આભારવિધિ કરતા બેન્ક ઓફ બરોડાના ડેપ્યુટી રિજીયોનલ હેડ શ્રી વિનોદકુમાર જૈનએ દરેક બેંકોએ આ તકને ઝડપી MSME પોર્ટફોલિયોને મજબૂત બનાવવા તથા સરકારની વિવિધ યોજનાનો લાભ નાના અને લઘુ ઉદ્યોગકારોને મળી રહે તેવા સામુહિક પ્રયાસ કરવા આવાહન કર્યું હતું.

આ કાર્યક્રમમાં ટેક્સટાઇલ કમિશનર કચેરીના શ્રી દુરાઇસ્વામી, તેમજ સ્ટેટ બેન્ક, દેના બેન્ક, પંજાબ નશનલ બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, યુકો બૅન્ક, IDBI બેન્ક,વિજયા બેન્ક ,કેનેરા બેક, પંજાબ સિંધ બેન્ક, યુનિયન બેન્ક જેવી બેંકો દ્વારા સ્ટોલ લગાવી લાભાર્થીઓને માહિતી અને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. કેમ્પને સફળ બનાવવા સચિન ઇન્ડ.કો.ઓપ.સોસા.ના નિલેશભાઈ કોરાટ, પ્રવીણભાઈ વોરા, ભીખુભાઈ, અરવિંદભાઈ તથા સ્ટાફ અને વિનય પટેલ ,બૈજુકુમાર, બનવારી તથા બેન્ક સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

November 16, 2018
saurashtra-patel.png
1min10390

સુરત આવીને સ્થાયી થયેલી સૌરાષ્ટ્રવાસીઓ સકારાત્મક અને સમાજ ઉપયોગી ક્ષેત્રની વાત કરીએ તો જુદા જુદા ક્ષેત્રમાં ક્રાંતિજનક કાર્ય કરી રહ્યા છે, પછી એ લોક આરોગ્ય હોય, સફાઇ અભિયાન હોય, ગુટખા-તમાકુ વિરોધી પ્રવૃતિ હોય કે અન્ય કોઇ સામાજિક દુષણ હોય. સૌરાષ્ટ્રવાસીઓએ સુરતમાં અનેક રચનાત્મક કાર્યો મોટા પાયે હાથ ધરીને સમાજમાં જાગૃતિ અભિયાનો પાર પાડ્યા છે. હવે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે આત્મહત્યાના દુષણ સામે જંગ છેડી છે અને આ જંગ માટે જે ઉત્સવમાં હજારો, લાખો લોકો જોડાય છે એ સમૂહ લગ્નોત્સવને નિમિત બનાવ્યો છે. સમૂહ લગ્નોત્સવ થકી આત્મહત્યા વિરુદ્ધ જાગૃતિ આણશે એ સુરતનો સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ.

સારાષ્ટ્ર પટેલ સમાજ દર વર્ષે સામાજિક જાગૃતિ સાથે સમૂહલગ્નનું આયોજન કરે છે. નવા વર્ષે 60 માં સમૂહલગ્નનું’ આયોજન છે. આ વર્ષે આપાઘાત રોકો થીમ પર સમૂહલગ્નનું આયોજન કરવામાં આવશે. આ સમૂહલગ્નમાં 275 જેટલા નવ યુગલ’ લગ્નગ્રંથીથી’ જોડાશે. સમૂહ લગ્ન પહેલા સમાજમાં વિવિધ કાર્યક્રમો યોજીને આપઘાત રોકવા માટેના કાર્યોક્રમો યોજવામાં આવશે.

તા. 17. ફેબ્રુઆરી,2019ના રોજ તમામ નવ યુગલો અને તેમના પરિવારોને આપઘાત નહીં કરવા પ્રતિજ્ઞા લેવડાવામાં આવશે. સારાષ્ટ્ર પટેલ સમાજ’ દ્વારા 40 હજાર જેટલી કંકોત્રી છાપવામાં આવશે. અને આ કંકોત્રીમાં’ આપઘાત કેવી રીતે ટાળી શકાય એવા સંદેશાઓ દર્શાવાશે. આ સમૂહલગ્ન સમારોહમાં 200 જેટલા એનજીઓ જોડાશે. આ તમામ એનજીઓ આપઘાત રોકવા માટે જુદા જુદા કાર્યક્રમો કરશે. “આપઘાત રોકો’’ ના થીમ કાર્યક્રમોમાં 3000 થી વધુ લોકો ભાગ લેશે.’

સુરત સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રમુખ કાનજીભાઇ ભાલાળાએ જણાવ્યું હતું કે લગ્ન મંડપમાં જુદા જુદા સામાજિક સંદેશાઓ આપવાનું પ્લેટફોર્મ બને એવો પ્રયાસ કરીશું. લગ્નમાં ખોટા ખર્ચને બચાવી ઇન્વેસ્ટ કેવી રીતે કરવું’ એ અંગે સેમિનારોનું આયોજન કરવામાં આવશે. તમામ યુગલો માટે પણ સેમિનારનું આયોજન કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા 1983 થી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે.’ લગ્ન કરવા એટલે પક્ષકારોને આર્થિક રીતે મદદ કરવું એ નહિં પરંતુ સમાજને નવો વિચાર આપવાનો છે. સમાજમાં નવી જાગૃતિ આવે એ માટે પટેલ સમાજ દ્વારા દર વર્ષે વિવિધ થીમો પર સમૂહલગ્નનું આયોજન કરે છે. સમાજમાં દિનપ્રતિદિન આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે.’ લોકો આપઘાત કરતાં અટકે અને પરિવાર’ અને સમાજને નવી દિશામાં લઇ જાય તે માટે આ નવા વર્ષે જીવનને નિહાળીને નવી નજરે અંતર્ગત સમૂહ લગ્ન યોજાશે.

November 15, 2018
bhulka1.jpg
1min39430

કોઇ સ્કુલ તમને એવું કહી શકે કે તમે પહેલા એ બાબત ચકાસી લો કે અમે કેવી પદ્ધતિથી ભણાવીએ છીએ, અમે કેવું ભણાવીએ છીએ ?, અમારે ત્યાં કેવા પ્રકારની ફેસેલિટી છે?, આ બધી બાબતોની ખરાઇ કરવા માટે કોઇ શાળા 6-8 મહિનાનો સમય તમને આપી શકે આવા સવાલો અને તેના જવાબો આપવાની તસ્દી લે એવી સ્કુલ અને વળી એ પણ મોસ્ટ ડિમાન્ડેડ શાળા આવું કરી શકે… ?

 

કદાચ આવા પ્રશ્નોના મોટા ભાગે મળતા જવાબો ના માં હોય. પણ અમે અહીં સુરતના પાલ-ભાઠા રોડ પર આવેલી ભૂલકા વિહાર સ્કુલની વાત કરી રહ્યા છે. આઘુનિકતા સાથે પરંપરાગત શૈલીથી શિક્ષણ આપવા માટે જાણીતી અને સતત રચનાત્મક પ્રયોગ કરતી ભૂલકા વિહાર સ્કુલના સંચાલકોએ 2019-20માં શાળામાં ધો.11 સાયન્સમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આજે નીચે મુજબની નોટિસ જારી કરી છે જેના પરથી આખી વાતનો મર્મ સમજાશે.

હાલમાં ધો.10માં અભ્યાસ કરી રહેલા અને આગામી વર્ષે ધો.11 સાયન્સમાં ભૂલકા વિહાર શાળામાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વાલીઓ માટે આગામી તા.25મી નવેમ્બર 2018ને રવિવારના રોજ સવારે 8.30 કલાકે શાળામાં એક ખાસ મિટીંગ રાખવામાં આવી છે. આ મિટીંગનો આશય વાલીઓને માહિતગાર કરવાનો છે એવી બાબતોથી કે જે ભૂલકા વિહાર શાળાની સક્સેસ સ્ટોરીના પીલર્સ છે. આ મિટીંગમાં ધો.11 સાયન્સના વિદ્યાર્થીઓએ આપવાની થતી જે.ઇ.ઇ. મેઇન્સ, જે.ઇ.ઇ. એડવાન્સ્ડ, નીટ, ગુજકેટ વગેરે જેવી બાહ્ય પ્રવેશ પરીક્ષાઓ ઉપરાંત ગુજરાતી, અંગ્રેજી બન્ને માધ્યમમાં શાળામાં કયા ફેકલ્ટી શું શીખવશે, શાળાના શિક્ષકો, તેમના સહાયકો, શાળાની શૈક્ષણિક તેમજ સહશૈક્ષણિક પ્રવૃતિઓ વગેરે મળીને બે વર્ષમાં કેવી રીતે બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે તૈયાર કરવામાં આવશે તેની આખી રેસીપી રજૂ કરશે. ધો.11-12 સાયન્સ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રત્યેક વિદ્યાર્થી પાછળ શાળા, શિક્ષકો, સહાયકો, શાળા દ્વારા નિમવામાં આવતા એક્સપર્ટસ વગેરે કેવા પ્રકારની મહેનત, કયા સમયગાળામાં કરતા હોય છે, કેવી રીતે અભ્યાસક્રમનું સમયસર સંચાલન, વિદ્યાર્થીઓને સ્પર્શતા પ્રશ્નો, સમસ્યાઓનું સમાધાન થાય છે વગેરે બાબતોથી ઝીણવટપૂર્વક માહિતગાર આજે કોણ કરવા તૈયાર હોય, આ બધું જ ભૂલકા વિહાર શાળામાં યોજાનારી મિટીંગમાં જાણવા મળશે.

2019 જૂન માસથી ગુજરાત બોર્ડ ધો.11 સાયન્સ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે આ સૌથી અગત્યની મિટીંગ બની શકે. ખાસ નોંધ એ પણ લેવાની કે આ મિટીંગ ભૂલકા વિહાર શાળાના વાલીઓ માટે નથી. ભૂલકા વિહાર શાળામાં ધો.10માં અભ્યાસ ન કરતા હોય એવા વિદ્યાર્થીઓના વાલીઓ માટે આ મિટીંગ યોજવામાં આવી છે.

ભૂલકા વિહાર શાળાએ આવું કરવાની કશી જરૂર નથી. આ શાળા ઇચ્છે તો એક નહીં ચાર-ચાર વર્ગોની સંખ્યા બેઠા બેઠા ભરી શકાય. પરંતુ, એવું નહીં જે રીતે વાલીઓની શાળા પ્રત્યે અપેક્ષા હોય છે તેવી જ રીતે શાળા પણ વાલીઓ પાસે કેટલીક ચોક્કસ અપેક્ષા રાખે છે, સૌથી મોટી અપેક્ષા એ જ હોય કે વાલી તેના બાળકને પૂરતો સમય આપે, શાળા જ્યારે બોલાવે ત્યારે સમયસર મિટીંગ એટેન્ડ કરે. સંચાલકો એવું સ્પષ્ટ રીતે સમજે છે કે બાળકનો સર્વાંગી વિકાસ એકલી સ્કુલથી સંભવ નથી. વાલીઓ પણ એટલું જ યોગદાન કરે કે જેથી વિદ્યાર્થીઓને સરળતાથી ભવિષ્યના પડકારો સામે લડવા માટે સજ્જ કરી શકાય.

 

November 15, 2018
itr.jpg
1min11630

નૉટબંધી બાદ નોટિસો મોકલવાય છતાં રિટર્ન ફાઇલ ન કરનારા 80,000 કેસોનો કર વિભાગના અધિકારીઓ પીછો કરી રહ્યા છે.

પ્રગતિ મેદાનમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં આઇટી વિભાગના સ્ટોલનું ઉદ્ઘાટન કરતી વખતે સીબીડીટીના ચેરમેન સુશીલચન્દ્રએ જણાવ્યું હતું કે એવા 80,00,000 લોકો પણ શોધી કાઢયા છે, જેમણે અગાઉ ત્રણ વર્ષ દરમિયાન રિટર્ન ફાઇલ કર્યા હતા, પણ નૉટબંધી પછી રિટર્ન ફાઇલ નથી કર્યા.

એમણે વધુમાં જણાવ્યું હતું કે 2016માં કરવામાં આવેલી નૉટબંધીએ ખરેખર કરદાતાઓની સંખ્યામાં વધારો કરવામાં અને દેશની સીધા કરની આવક વધારવામાં ઘણી મદદ કરી છે.

જો તમે ગયા વર્ષનું સીધા કરનું કોન્ટ્રીબ્યુશન જુઓ તો એ 52 ટકા હતું અને આડકતરા કરનું 48 ટકા હતું. આવું ઘણાં વરસો બાદ થયું છે, જ્યારે સીધો કર આડકતરા કર કરતા વધારે આવ્યો હોય.

તમે જો એમ જાણવા માગતા હો કે નૉટબંધીનો લાભ શો થયો, તો એનો જવાબ એમ છે કે એને કારણે બધા નાણાં હવે બૅંકમાં જમા થયા છે અને એને રિટર્ન સાથે સરખાવીને સરળતાથી જાણી શકાય છે કે કોણે કર નહોતો ભર્યો.

નૉટબંધી બાદ અમારા વિભાગે ત્રણ લાખ લોકોને રિટર્ન ભરવા માટે એસએમએસ અને ઇમેઇલ દ્વારા નોટિસો મોકલાવી હતી, એમાંથી અંદાજે સવાબે લાખ લોકોએ રિટર્ન દાખલ કર્યા હતા, પણ 80 હજાર લોકોએ હજુ કર્યા નથી અને અમારો વિભાગ એમની પાછળ પડયો છે તથા ટૂંક સમયમાં અમે એનું અસેસમેન્ટ કરીને આગળ પગલાં લઇશું.

November 15, 2018
mumbai_city.jpg
1min7020

તા.14મી નવેમ્બર 2018ના રોજ જાહેર થયેલા મહારાષ્ટ્ર સ્ટેટના ડેવલપમેન્ટ ક્ન્ટ્રોલ એન્ડ પ્રમોશન રેગ્યુલેશન (ડીસીપીઆર) અનુસાર મુંબઈ હવે વર્ટિકલી વિકાસ થવાની દિશામાં આગળ વધશે.

નવા વિકાસ નિયમો અન્વયે રોડ-રસ્તા પહોળા કરવા અને જાહેર સુવિધાઓ વિકસાવવા માટે જમીન સંપાદિત કરવામાં પણ સરળતા રહેશે. પહેલીવાર ડીસીપીઆરમાં નિયમ બનાવવામાં આવ્યો છે કે કોઈ પણ નવા બંધાતા ઘરની સાઈઝ ઓછામાં ઓછી 300 સ્કવેર ફૂટની હોવી જોઈએ. આ નવો ડીસીપીઆર શહેરના તમામ નવા બંધાતા પ્રોજેક્ટને લાગુ પડશે. ડીપી શહેરની જમીનના ઉપયોગની રૂપરેખા દર્શાવે છે જ્યારે ડીસીપીઆર બાંધકામ અંગેની રૂપરેખા દર્શાવે છે. બે છ મીટરના રોડ વચ્ચે અગાઉ 32 મીટર ઊંચી ઈમારતની પરવાનગી હતી, જે હવે વધારીને 70 મીટર કરવામાં આવી છે. ઓછી ઊંચાઈના નિયમને લીધે બિલ્ડર લૉબી નારાજ હોવાનું સામે આવ્યું હતું. આમ થવાથી શહેરની ઈમારતો હજુ ઊંચી જશે. આ સાથે ડીસીપીઆરમાં જાહેર સુવિધા માટે પાંચ વર્ષમાં જે જમીન આપશે તેવા જમીનમાલિકોને એફએસઆઈમાં વધારો આપવામાં આવ્યો છે. જેથી જમીનમાલિકો પણ ઉત્સાહમાં આવશે, તેવી ધારણા સરકારની છે. કમર્શિયલ બિલ્ડિંગને ઈમારતોને પાંચ સુધીની એફએસઆઈ મળશે, જેમાં તેમણે રેડીરેકનરના ભાવના 50 ટકા રકમ પ્રીમિયમ તરીકે આપવાની રહેશે, જે અગાઉ 80 ટકા હતી.

સરકારના આ નિર્ણયને એક તરફ બિલ્ડરો અને આર્કિટેક્ચરો વખાણ્યો છે. તેમના જણાવ્યા અનુસાર મંદ પડી ગયેલા રિયલ એસ્ટેટ સેક્ટરને ગતિ મળશે, નવી રોજગારી ઊભી થશે અને નવી રહેવાસી તેમ જ વ્યાવસાયિક ઈમારતો ઊભી થશે. તો બીજી બાજુ આ નિર્ણયને લીધે મુંબઈ શહેરના માળખા પર ભારે સર પડશે. શહેર આટલો વિકાસ કે બોજો જીલી શકે તેમ નથી. ઊંચી ઈમારતોને લીધે લોકોના જીવના જોખમની શક્યતાઓ પણ વધી જશે. જોકે સસ્તા ઘરની સાઈઝ ઓછામાં ઓછી 300 સ્કવેર ફૂટ રાખવાની જોગવાઈને તમામે આવકારી છે. અગાઉ સરકાર દ્વારા પરવડે તેવા ઘર માટે કોઈ સાઈઝ નક્કી ન હતી. આથી 180થી 270 સ્કવેર ફૂટના ઘર બનતા હતા. એક નાના પરિવાર માટે પણ આ જગ્યા પૂરતી ન હતી અને લોકો નાનકડી ઓરડીમાં હવા-ઉજાસ વિના જીવન પસાર કરી દેતા હતા. 300 સ્કવેર ફૂટના નિર્ણયથી એસઆરએ, મ્હાડા જેવી સ્કીમનો લાભ લેનારા મધ્યમ અને નીમ્ન મધ્યમવર્ગને સારું ઘર મળી રહેશે.

ડીપીમાં 3,700 હેક્ટર જમીન, જે અગાઉ નૉ ડેવલપમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી હતી, તેને પણ ડેવલપમેન્ટ માટે ખુલ્લી મૂકવાની માગ કરવામાં આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે જો એફએસઆઈ યોગ્ય પ્રિમિયમે આપવામાં આવશે, તો મકાનના ભાવમાં 10થી 15 ટકાનો ઘટાડો આવનારા સમયમાં નોંધાશે.

November 14, 2018
vadtal.jpg
1min13270
પાંચ હજાર પદયાત્રીઓ સાથે રથમાં આવી રહેલા શ્રી હરિચરિત્રામૃતસાગર ગ્રંથનું આજે તા.16મી નવેમ્બર 2018ના રોજ સાંજે વડતાલમાં  
પૂષ્પવૃષ્ટિ સાથે ભવ્યાતિભવ્ય સ્વાગત !! 
     ————————————–
પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ
      તથા સંતો દ્વારા થશે વધામણાં ॥
          —————————-
        ❏ શ્રી હરિચરિત્રામૃતસાગર ❏
સ્વામિનારાયણ સંપ્રદાયનો હિન્દી સાહિત્ય માં આલેખાયેલો આ સૌથી મોટો અને
પ્રથમ મહાગ્રંથ છે..!! હિંદી સાહિત્યની
દ્રષ્ટિએ આ ગ્રંથ અદ્વિતીય છેઃ એટલું જ
નહિ રાષ્ટ્રિય એકતા તથા સાંપ્રદાયિક
એકતા સિધ્ધ કરતો મહા સેતુ છે..!!
    સ્વામિનારાયણ ભગવાનના સમકાલિન
નંદ સંત સદગુરુ આધારાનંદ સ્વામીએ
૫૯ વર્ષની વયે વડતાલની પ્રસાદીભૂત
સંત ધર્મશાળાના પૂર્વ તરફના છેડે આવેલ
ગોળ ઓરડા પ્રકારના બુરજમાં હિન્દી
ભાષામાં આ હરિચરિત્રામૃતસાગર ગ્રંથ
વિ.સં.૧૯૧૪, જેઠ સુદ-૮ ના રોજ લખવાની શરૂઆત કરી હતી.! આ ગ્રંથની
હસ્તપ્રતો પૂજ્ય જ્ઞાનજીવનદાસ સ્વામીએ
સંપાદિત કરી તેના પરથી આ તમામ પ્રકરણ પ્રતોને લેસર ટેકનોલોજી દ્વારા ટીટેનીયમ ધાતુમાં પેઝ રૂપે ઢાળી આખો
ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે..!!

❏ વિશ્વનો આવો મોટો પ્રથમ ગ્રંથ જેનું વજન અધધધ…એક ટન !! ❏

     ——————————————

અગ્નિ બાળી શકે નહિ, પાણી ભીંજવી
શકે નહિ ! એટલું જ નહિ Long Life
ઓહોહોહો ! દસ હજાર વર્ષનું તેનું  આયુષ્ય.!!!
———————
   સંત, શાસ્ત્ર અને મંદિર એ તો સંસ્કૃતિના
આધારસ્થંભ છે અને એને લઇને સંસ્કૃતિ
ટકે છે એમ યુવા સંત શાસ્ત્રી પૂજ્ય
પૂર્ણવલ્લભદાસજીએ માહિતી આપતા
જણાવ્યું હતું. ” હરિ કે ચરિત્ર હરિ સ્વરૂપ
જાના….! ” ગ્રંથ એ ભગવાનનું સ્વરૂપ છેઃ
સદગુરુ પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીએ શાસ્ત્ર સ્વરૂપ પરમાત્માની મોટી સેવા
કરી છેઃ
  આ હરિચરિત્રામૃતસાગર ગ્રંથ વડતાલમાં
રચાયો હોય તેથી વડતાલનો આ વૈભવી
ગ્રંથ વડતાલને જ અર્પણ કરવાનો પૂજ્ય
સ્વામીએ સંકલ્પ કર્યો હતો જે તા.૨૦ મી
ને મંગળવારે સવારે શુભમુહૂર્તે વડતાલને
અર્પણ થનાર છેઃ
       વડોદરા કારેલીબાગ સ્વામિનારાયણ
મંદિરેથી આ ગ્રંથને એક કલાત્મક રથમાં
પધરાવી તા. ૧૬ મીએ પદયાત્રા સાથે વડતાલ લવાશે અને તા.૧૯ મીએ
શોભાયાત્રા સાથે તેનો મહાઅભિષેક થશે.!! ગ્રંથની અર્પણવિધિ સમારંભમાં
ગુજરાતના અગ્રણી સાહિત્યકારો પણ
ઉપસ્થિત રહે તેવી સંભાવના છેઃ
      આ ભવ્ય સાગર સમર્પણ પદયાત્રા વડતાલ આવી પહોંચે ત્યારે પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, બોર્ડના
ચેરમેન પૂજ્ય દેવપ્રકાશ સ્વામી, બોર્ડના સભ્યો, મુખ્ય કોઠારી પૂજ્ય ઘનશ્યામપ્રકાશદાસજી તથા પૂજ્ય નૌતમ સ્વામી સહિતના સંપ્રદાયના વિદ્વાન સંતો તથા સત્સંગીઓ વધામણાં કરશે
November 14, 2018
gst1-1.jpg
1min30170

(GST સુરતના આ અધિકારીની સૉફર ડ્રીવન ઇનોવા કાર જમનાનગર બીઆરટીએસમાં ઘૂસી અને પછી જે વલે થઇ એ કદાચ કોઇ અધિકારીએ નહીં અનુભવી હોય)

GST સામે સ્થાનિક લોકોમાં કેવો રોષ છે તેનો પરચો જોવો-જાણવો હોય તો આ ન્યુઝ મેટર વાંચી જજો અને તેના વિડીયો જોઇ લેજો. આજે સમી સાંજે સુરત GST  કચેરીમાં ફરજ બજાવતા અને જેમને હોદ્દાની રૂએ ઇનોવા જેવી લકઝરીયસ શૉફર ડ્રીવન ગાડી મળી છે એવા એક વણઓળખાયેલા અધિકારી જમનાનગર બીઆરટીએસમાં ઘૂસ્યા હતા અને પછી સામાન્ય લોકોએ તેમનો જે તમાશો કર્યો એ જોતા એ વાતની પ્રતીતિ થાય છે કે સામાન્ય લોકો GST થી કેટલા પરેશાન થઇ ચૂક્યા છે.

સુરત GST કાર્યાલયમાં ફરજ બજાવતા અા અધિકારી તેમની સત્તાવાર ઇનોવા કારમાં બેસીને ઘર તરફ જઇ રહ્યા હતા. તેમના ડ્રાઇવરે ભટાર તરફથી જમનાનગર બીઆરટીએસમાં ગાડી ઘૂસાડી દીધી અને બાદમાં એવો તમાશો શરૂ થયો કે ન પૂછો વાત. જમનાનગર બીઆરટીએસ સ્ટેન્ડ પર લગાડેલી રેલિંગ ખૂલી નહીં અને GST અધિકારીની ઇનોવા ત્યાં ઉભી રાખવી પડી. પહેલા એકલદોકલ લોકોએ તેમને ઠપકો આપ્યો એટલે ગાડી થોડી રિવર્સ લેવી પડી. પણ પછી તો લોકોનું ટોળું એકઠું થઇ ગયું અને GST અધિકારીની જે વલે કરી. GST  અધિકારીએ ડ્રાઇવર અને ગાડી ત્યાં જ મૂકીને ભાગી જવું પડ્યું હતું. સ્થળ પર લોકોમાં એટલો રોષ હતો કે પોલીસને બોલાવીને આ GST અધિકારી સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી ગાડી છોડવામાં ન આવે. અને લોકોએ લગભગ એક કલાક સુધી GST  અધિકારીની ગાડી હટવા પણ દીધી ન હતી.

આ GST અધિકારીને બીઆરટીએસમાં ફસાયા પછી ખબર પડી હશે કે સ્થાનિક લોકોમાં GST સામે કેટલો રોષ ભભૂકી રહ્યો છે. બીઆરટીએસમાં અન્ય સરકારી અધિકારીઓ ઘૂસતા હશે અને નીકળી જતા હશે પણ GST અધિકારી ફસાયા એટલે કાગનું બેસવું અને ડાળનું પડવું એ રૂએ જે જે લોકોને ખબર પડતી ગઇ કે GST અધિકારી જમનાનગર બીઆરટીએસમાં ફસાયા છે, લોકો ઘટના સ્થળે જઇને તેની સામે કાર્યવાહીની માગ સાથે ટોળે વળ્યા હતા.

જોકે, મોડી સાંજ સુધી જમનાનગર બીઆરટીએસમાં ઘૂસેલા અધિકારીના નામની કોઇ જાણકારી મળી નહતી. ઘટના સ્થળે ટોળે વળેલા લોકોએ તેમની સામે તાત્કાલિક પગલાં ભરવાની માગણી સાથે ગાડીને લાંબા સમય સુધી રોકી રાખી હોવાનું જાણવા મળે છે.

સાંજે લગભગ સાડા સાત વાગ્યાના અરસામાં ખટોદરા પોલીસના સ્ટાફે સમગ્ર મામલામાં દરમિયાન થવું પડ્યું હતું. ટોળે વળેલા લોકોની માગણી હતી કે પોલીસ જીએસટી અધિકારીની કારને ખટોદરા પોલીસ મથકે લઇ જઇને તેની સામે નિયમાનુસારની કાર્યવાહી કરે. એ માગણી અનુસાર ખટોદરા પોલીસે જીએસટી અધિકારીની ઇનોવા કારને ખટોદરા પોલીસ મથકે મૂકાવડાવીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

November 14, 2018
indiavsaus-1.jpg
1min7410

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી ટેસ્ટ, વન ડે અને ટી ટ્વેન્ટી સિરીઝનો સમગ્ર કાર્યક્રમ

આગામી તા. 6 ડિસેમ્બરથી 4 ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. પ્રથમ મેચ એડિલેડ ઓવલમાં, બીજી ટેસ્ટ પર્થમાં, ત્રીજી મેલબર્નમાં અને છેલ્લી આગામી વર્ષે જાન્યુઆરીમાં સિડનીમાં રમાશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસનો અંત વન-ડે સિરીઝ સાથે થશે. તમામ મેચ ભારતીય સમય અનુસાર રમાશે.

21 નવેમ્બર: બ્રિસ્બેનમાં પ્રથમ ટી-20 (બપોરે 1.20)

23 નવેમ્બર: મેલબર્નમાં બીજી ટી-20 (બપોરે 2.20)

25 નવેમ્બર: સિડનીમાં ત્રીજી ટી-20 (બપોરે 2.20)

ચાર ટેસ્ટ મેચ સિરીઝનો કાર્યક્રમ 

6-10 ડિસેમ્બર: એડિલેડમાં પ્રથમ ટેસ્ટ (સવારે 6.30)

14-18 ડિસેમ્બર: પર્થમાં બીજી ટેસ્ટ (સવારે 7.50)

26-30 ડિસેમ્બર: મેલબર્નમાં ત્રીજી ટેસ્ટ (સવારે 6.00)

03-07 જાન્યુઆરી: સિડનીમાં ચોથી ટેસ્ટ (સવારે 6.00)

ત્રણ વન-ડે મેચ સિરીઝનો કાર્યક્રમ

12 જાન્યુઆરી: સિડનીમાં પ્રથમ વન-ડે (સવારે 8.50)

15 જાન્યુઆરી: એડિલેડમાં બીજી વન-ડે (સવારે 9.50)

18 જાન્યુઆરી: મેલબર્નમાં ત્રીજી વન-ડે (સવારે 8.50)

ભારતીય ટેસ્ટ ટીમ- વિરાટ કોહલી (કેપ્ટન), મુરલી વિજય, કેએલ રાહુલ, પૃથ્વી શો, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રોહિત શર્મા, ઋષભ પંત, પાર્થિવ પટેલ, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમાર.

ભારતીય ટી-20 ટીમ- વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ સુકાની), શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, ઋષભ પંત (વિકેટકીપર), કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, કૃણાલ પંડ્યા, ભુવેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ અને ખલીલ અહમદ.