
જયપુરના રામપુરા-કંવરપુરા ગામમાં Dt.21/08/2026 સવારના સમયે જ્યારે CJP ના કાર્યકરો શાળાની જર્જરિત હાલત જોવા પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ વિરોધ શરૂ કર્યો હતો. થોડા સમય બાદ CJP પ્રવક્તા આશુતોષ રાંકા ખુદ શાળાએ પહોંચ્યા, જ્યાં તેમની સામે પણ ભારે નારેબાજી થઈ હતી. ધીમે ધીમે મામલો એટલો તંગ બની ગયો કે ધક્કામુક્કી શરૂ થઈ અને ગ્રામજનોએ કાર્યકરોને દોડાવીને માર માર્યો હોવાના અહેવાલ છે. આ દરમિયાન કાર્યકરોની ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા અને તેમના પર રેતી તેમજ પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટના પર સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપતા અભિજિત દીપકે લખ્યું કે રાજસ્થાનમાં આશુતોષ પર ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો છે અને પોલીસે આ બધું મૂકપ્રેક્ષક બનીને થવા દીધું. આશુતોષ રાંકાએ પણ આરોપ લગાવ્યો કે વિરોધ કરનારા લોકો વાસ્તવમાં ગ્રામજનો ન હતા, પરંતુ ભાજપ દ્વારા બોલાવવામાં આવેલા અસામાજિક તત્ત્વો હતા. આશુતોષે જણાવ્યું કે આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર કમલ પ્રધાન છે, જે ગરીબોની જમીન પચાવી પાડવાનું કામ કરે છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે બાળકો ભેંસના તબેલામાં ભણે તે ભાજપને મંજૂર છે, પરંતુ શાળા સુધારવાના પ્રયાસો તેમને ક્યારેય ગમતા નથી.
જર્જરિત શાળા માટે 12 લાખનું બજેટ માત્ર કાગળ પર
બીજી તરફ ગામની શાળાની હાલત ખરેખર દયનીય છે. ગ્રામજન વિષ્ણુ કુમાર શર્માએ જણાવ્યું કે 1999 માં બનેલી આ શાળાની ઈમારત અત્યંત જર્જરિત થઈ ગઈ છે. હાલ 2 શિક્ષકો આશરે 20 થી 30 બાળકોને એક મોટા મકાનના 2 ઓરડામાં ભણાવવા મજબૂર છે. સ્થાનિક ધારાસભ્ય ડૉ. કૈલાશ વર્માએ શાળા માટે 9 લાખ રૂપિયાનું બજેટ ફાળવવાનું આશ્વાસન આપ્યું હતું. વધુમાં સરકાર તરફથી 12 લાખ રૂપિયાનું બજેટ પણ પાસ કરાયું હોવા છતાં જમીન પર કોઈ જ કામગીરી શરૂ થઈ નથી.
