
પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી બજરંગદાસજી સીતારામ આશ્રમ સનાતન સંસ્થા બગદાણા દ્વારા બજરંગદાસ બાપાના વાસ્તવિક સ્વરૂપ, પવિત્રતા અને આશ્રમની અધિકૃત પરંપરાઓની જાળવણી અર્થે એક અત્યંત મહત્વપૂર્ણ અને સખત આવેદનાત્મક આવેદન જાહેર કરવામાં આવ્યું છે.
વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર માત્ર લાઈક્સ અને વ્યુઝ મેળવવાની ઘેલછામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીનો દુરુપયોગ કરી પૂજ્ય બાપાના કલ્પનિક ફોટા, બનાવટી દ્રશ્યો અને મનઘડંત વાર્તાઓ સાથેની રીલ્સ વાયરલ કરવામાં આવી રહી છે, જે અંગે આશ્રમ ટ્રસ્ટ દ્વારા ભારે ચિંતા અને રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
સંસ્થાન દ્વારા સ્પષ્ટપણે જણાવાયું છે કે બાપાનું સમગ્ર જીવન રામનામના જપ, સાદગી, સરળતા અને માનવતાની પરમ સેવામાં જ આધારિત રહ્યું છે. તેમણે ક્યારેય ચમત્કારોના દાવો કર્યા નથી પરંતુ પોતાની ઉચ્ચ સાધનાના બળે કરોડો શ્રદ્ધાળુઓના હૃદયમાં સ્થાન મેળવ્યું છે.
આવા સમયે AI વડે તૈયાર કરાતી ખોટી સામગ્રી પૂજ્ય બાપાના પવિત્ર સ્વરૂપ સાથે મોટો અન્યાય છે. જો આ કલ્પનિક સામગ્રીને તાત્કાલિક ધોરણે અટકાવવામાં નહીં આવે તો આવનારી પેઢી સાચા ઇતિહાસથી વંચિત રહી જશે અને AI દ્વારા જનરેટ થયેલા વિકૃત ચિત્રોને જ સત્ય માની લેશે.
આ પરિસ્થિતિને ધ્યાને રાખી ગુરુ આશ્રમ બગદાણાના ટ્રસ્ટી મંડળ, મેનેજર અને સ્વયંસેવકો દ્વારા તમામ ભક્તોને અવાસ્તવિક AI ફોટા કે રીલ્સ આગળ શેર ન કરવા, તેને પ્રોત્સાહન ન આપવા અને જે લોકોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આવા ફોટા મૂક્યા હોય તેને તાત્કાલિક અસરથી હટાવી લેવા માટે કડક સૂચના સાથે વિનંતી કરવામાં આવી છે. પૂજ્ય બાપાના મૂળ ચિત્રો અને સાચા વિચારોને જાળવી રાખીને આવનારી પેઢી સુધી સાચો વારસો પહોંચાડવો એ જ સાચી ભક્તિ હોવાનું આશ્રમ દ્વારા ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે.
