દેશના પ્રથમ મહિલા રાફેલ જેટ પાયલોટ ફ્લાઈટ લેફ્ટિનેન્ટ શિવાંગી સિંહે બુધવારે ગણતંત્ર દિવસના પ્રસંગે ભારતીય વાયુ સેના(IAF)ની ઝાંખીમાં હિસ્સો લીધો હતો. તેઓ ભારતીય વાયુસેનાની ઝાંખીનો હિસ્સો બનનારા બીજા મહિલા ફાઈટર જેટ પાયલોટ છે. ગત વર્ષે ફ્લાઈટ લેફ્ટિનેન્ટ ભાવના કંઠ IAFની ઝાંખીનો હિસ્સો બનનારા પ્રથમ મહિલા ફાઈટર જેટ પાયલોટ બન્યા હતા. શિવાંહી સિંહ બનારસના છે. તેઓ 2017માં IAFમાં સામેલ થયા હતા. રાફેલ ઉડાડવાની પહેલા તેઓ મિગ-21 બાઈસન વિમાન ઉડાડી ચુક્યા છે.
શિવાંગી સિંહ પંજાબના અંબાલા સ્થિત IAFના ગોલ્ડન એરો સ્ક્વોડ્રનનો હિસ્સો છે. તેઓ ફુલવરિયા વિસ્તારમાં રહેતા કારોબારી કુમારેશ્વર સિંહના દીકરી છે. વિજ્ઞાનમાં સ્નાતક કરતી વખતે જ તેઓ એર એનસીસીમાં જોડાયા હતા. સૌથી પહેલા તેમણે બીએચયુ ખાતે વિમાન ઉડાડવાની ટ્રેઈનિંગ લીધી હતી. તેમના નાના પણ ભારતીય સેનામાં હતા. શિવાંગીને તેમના પાસેથી જ પ્રેરણા મળી હતી અને તેઓ પણ દેશની સેવા કરવા માટે વાયુસેનામાં ભરતી થયા હતા.
મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લાના જોબા ગામ ખાતે એક મહિલા આઈએએસ (IAS) ઓફિસર અને આઈએફએસ (IFS) અધિકારીના લગ્ન થયા તે ખૂબ જ ચર્ચામાં છે. આઈએએસ તપસ્યા પરિહારે યુપીએસસીની પરીક્ષામાં 23મી રેન્ક મેળવી હતી. તેમણે આઈએફએસ અધિકારી ગર્વિત ગંગવાર સાથે લગ્ન કર્યા હતા. તપસ્યાના લગ્ન એટલા માટે ચર્ચામાં છે કારણ કે, તેમણે કન્યાદાન કરાવવાની ના પાડી દીધી હતી. તપસ્યાએ પોતાના પિતાને કહ્યું હતું કે, હું દાનની વસ્તુ નથી, તમારી દીકરી છું. તેમણે લગ્નમાં કન્યાદાનના રિવાજનું પાલન નહોતું કર્યું. ગુરૂવારે જોબા ગામ ખાતે રિસેપ્શન યોજાયું હતું જેમાં બંને પક્ષના સંબંધીઓ અને પરિચિતો સામેલ થયા હતા.
હિંદુ સંસ્કૃતિમાં કન્યાદાનનું વિશેષ મહત્વ છે પરંતુ નરસિંહપુર જિલ્લા ખાતે જન્મેલી તપસ્યા પરિહારે તમામ બંધનો તોડીને પોતાના લગ્નમાં કન્યાદાનની વિધિ ન થવા દીધી. આઈએએસ અધિકારી તપસ્યાના કહેવા પ્રમાણે બાળપણથી જ તેમના મનમાં સમાજની આ વિચારધારાને લઈ લાગતું હતું કે, કોઈ કઈ રીતે મારૂ કન્યાદાન કરી શકે, તે પણ મારી ઈચ્છા વગર. ધીમે ધીમે મેં મારા પરિવારજનો સાથે આ વાતની ચર્ચા કરી અને મારા પરિવારજનો પણ માની ગયા. ત્યાર બાદ વર પક્ષને પણ આ માટે રાજી કરવામાં આવ્યો અને કન્યાદાન વગર જ લગ્ન થઈ ગયા.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ દ્વારા ગુરૂવાર, તા. ૧૬ ડિસેમ્બર, ર૦ર૧ના રોજ સાંજે ૪:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘ડાયટ ટુ ફાઇટ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ’વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાયટિશન અમાનત કાગઝી દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકોને રોજિંદા જીવનશૈલીને તેમજ આરોગ્યને યોગ્ય રીતે જાળવી રાખવા માટે કયા પ્રકારનો આહાર લેવો જોઇએ ? તે દિશામાં મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
ખાણીપીણીની કુટેવોને કારણે લોકોનું આરોગ્ય જોખમાય છે અને તેને કારણે જે વિવિધ સમસ્યાઓ ઉભી થાય છે તે બધી સમસ્યાનું નિરાકરણ રસોડું જ છે : ડાયટિશન અમાનત કાગઝી
ડાયટિશન અમાનત કાગઝીએ જણાવ્યું હતું કે, હાલના વ્યસ્ત જીવનમાં ખાણીપીણીની જુદી–જુદી કુટેવોને કારણે લોકોનું આરોગ્ય જોખમાય છે અને તેને કારણે જે વિવિધ સમસ્યાઓ ઉભી થાય છે તે બધી સમસ્યાનું નિરાકરણ રસોડું જ છે. લોકો બહારનું ખાવાનું ટાળે અને માત્ર ઘરના રસોડામાં બનેલી આરોગ્યપ્રદ ચીજવસ્તુઓ આરોગે તો મોટાભાગના લોકોને આરોગ્યની વિવિધ સમસ્યાઓમાંથી છુટકારો મળી જાય તેમ છે. બિનઆરોગ્યપ્રદ ચીજવસ્તુઓના સેવનથી બ્લડપ્રેશર, ડાયાબિટીસ, પેટની બિમારી, કેન્સર અને હૃદયની બિમારીઓનો સામનો કરવો પડે છે. આથી કિચનમાં પણ સંતુલિત આહાર બનાવવામાં ગૃહિણીઓએ કઇ – કઇ કાળજી રાખવી જોઇએ તેના વિશે તેમણે વિસ્તૃત માહિતી આપી હતી.
તેમણે ફૂડ પ્લાનિંગ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દિવસ દરમ્યાન વ્યકિતની ભોજન પચાવવાની પાચનશકિત વધારે સક્રીય હોય છે, જે સાંજ બાદ ઘટતી જાય છે. આથી સવારે આઠ કલાકે પેટ ભરીને નાસ્તો લેવો જોઇએ. ત્યારબાદ સવારે સાડા દસ કલાકે ખાવાની ઇચ્છા થાય તો આરોગ્યપ્રદ વસ્તુઓ ખાઇ શકાય છે અને બપોરે એક કલાક સુધીમાં બપોરનું ભોજન લઇ લેવું જોઇએ. ત્યારબાદ સાંજે ચાર કલાકે નાસ્તો લઇ શકાય અને રાત્રે આઠ કલાકે હલકું ભોજન લેવું જોઇએ. રેડીમેડ ફૂડ પેકેટ્સ ખરીદતી વખતે પણ શું કાળજી રાખવી જોઇએ ? તેની વિસ્તૃત ચર્ચા તેમણે કરી હતી.
ઉપરોકત સેમિનારમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન રમા નાવડીયાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ડો. અમિ યાજ્ઞિકે સેમિનારનું સંચાલન કર્યુ હતું. જ્યારે વિમેન આંત્રપ્રિન્યોર સેલના એડવાઇઝર સ્વાતી શેઠવાલાએ વકતાનો પરિચય આપ્યો હતો. અંતે લેડીઝ વીંગના કો–ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યુ હતું.
સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ બાદ પહેલી વખત નેશનલ ડિફેન્સ એકેડમી દ્વારા એનડીએ પરીક્ષા માટે મહિલા ઉમેદવારોને પણ ફોર્મ ભરવા માટે મંજૂરી આપી હતી.
સેનામાં ભરતી માટેની એનડીએ પરીક્ષા માટે કુલ 5.75 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને તેમાં મહિલા કેન્ડિડેટ્સની સંખ્યા 1.77 લાખ છે.આમ ફોર્મ ભરનારા ઉમેદવારોમાં મહિલાઓની સંખ્યા 30 ટકા કરતા પણ વધારે છે.આ બાબતની જાણકારી સંસદમાં આપવામાં આવી છે.
સંરક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અજય ભટ્ટે એક સવાલના જવાબમાં કહ્યુ હતુ કે, મહિલા કેન્ડીડેટસની સંખ્યા પર કોઈ પ્રકારના નિયંત્રણ મુકવામાં આવ્યા નહોતા.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સેનાએ 577 મહિલા ઓફિસરોને સ્થાયી કમિશન આપ્યુ છે અને એનડીએની પરીક્ષા પાસ કર્યા બાદ મહિલાઓ આર્મી, નેવી કે એરફોર્સમાં સીધી જોડાઈ શકશે.
હરનાઝ સંધુને ‘મિસ યુનિવર્સ 2021’નો તાજ પહેરાવાયો, સુષ્મિતા સેન અને લારા દત્તા પછી ત્રીજા ભારતીય
ભારતની હરનાઝ સંધુને મિસ યુનિવર્સ 2021નો તાજ પહેરાવવામાં આવ્યો છે. 2000માં લારા દત્તાએ ખિતાબ જીત્યાના 21 વર્ષ પછી ઇઝરાયેલના ઇલાતમાં આયોજિત 70મી મિસ યુનિવર્સ 2021માં ભારતનું પ્રતિનિધિત્વ કરતી પંજાબની 21 વર્ષીય યુવતી મિસ યુનિવર્સનું તાજ ઘરે લઈ આવી છે. સંધુએ તાજ જીતવા માટે પેરાગ્વે અને દક્ષિણ આફ્રિકાના સ્પર્ધકોને હરાવ્યા હતા. સંધુને વૈશ્વિક સ્તરે લાઇવ-સ્ટ્રીમ કરવામાં આવેલી ઇવેન્ટમાં મેક્સિકોની ભૂતપૂર્વ મિસ યુનિવર્સ 2020 એન્ડ્રીયા મેઝા દ્વારા તાજ પહેરાવવામાં આવ્યો હતો.
ભારતની હરનાઝ સંધુ 70મી મિસ યુનિવર્સ બની ગઈ છે. ઇઝરાયેલના ઇલાતમાં યોજાયેલા ફાઈનલ ઈવેન્ટમાં સંધુને આ ખિતાબથી નવાજવામાં આવી હતી. મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર તે ત્રીજી ભારતીય મહિલા છે. તેના પહેલા સુષ્મિતા સેન 1994માં અને લારા દત્તા 2000માં મિસ યુનિવર્સ તરીકે બની હતી.
આજના યુવાનો પર સૌથી મોટું દબાણ પોતાનામાં વિશ્વાસ રાખવાનું છે. તમે અનન્ય છો એ જાણવું એ તમને સુંદર બનાવે છે. તમારી જાતને અન્ય લોકો સાથે સરખાવવાનું બંધ કરો અને વિશ્વભરમાં થઈ રહેલી વધુ મહત્વપૂર્ણ બાબતો વિશે વાત કરીએ. મને લાગે છે કે તમારે આ સમજવાની જરૂર છે. બહાર નીકળો, તમારા મનની વાત કરો કારણ કે તમે તમારી જિંદગીના લિડર તમે છે. તમે ખુદ પોતાનો અવાજ છો. મને મારી જાત પર વિશ્વાસ હતો અને તેના કારણે આજે હું અહીં ઉભી છું.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથને પ્રમોશન અપાયુ છે અને તે હવે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર બની ગયા છે.સંગઠનમાં આ બીજા નંબરનુ પદ છે.
ભારતીય મૂળની કોઈ વ્યક્તિ આ પદ પર પહેલી વકત પહોંચી છે.ગીતા ગોપીનાથ તો ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ છોડવા માંગતા હતા.તેમનો વિચાર આગામી વર્ષથી ફરી હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ભણાવવાનો હતો પણ હવે તેઓ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે જ જોડાયેલા રહેશે.
ગીતા ગોપીનાથ અમેરિકાના સિટિઝન છે.જોકે તેમનો જન્મ ભારતમાં થયો હતો.નાનપણમાં તેઓ તેજસ્વી સ્ટુડન્ટ નહોતા.એક ઈન્ટરવ્યૂમાં તે્મણે કહ્યુ હતુ કે, ધો.7માં મારા 45 ટકા આવ્યા હતા પણ તે પછી મેં ભણવામાં વધારે ધ્યાન આપવાનુ શરુ કર્યુ હતુ.બાદમાં તેમણે મૈસૂરની કોલેજ જોઈન કરીને સાયન્સનો અભ્યાસ કર્યો હતો.જોકે એ પછી તેમણે ઈકોનોમિક્સ વિષય સાથે બીએની ડિગ્રી મેળવી હતી.
દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાં તેમણે ઈકોનોમિક્સમાં ઓનર્સની ડિગ્રી પણ મેળવી હતી.એ પછી દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ઈકોનોમિક્સની માસ્ટર ડિગ્રી મેળવી હતી.1994માં તેમણે વોશિંગ્ટન યુનિવર્સિટી જોઈન કરી હતી.1996 થી 2001 સુધી તેમણે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સમાં પીએચડી કરી હતી.
આ દરમિયાન તેમની મુલાકાત ઈકબાલ સાથે થઈ હતી.બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા.તેમને 18 વર્ષનો એક પુત્ર છે.જેનુ નામ રાહિલ છે.2001 થી 2005 સુધી તેઓ શિકાગો યુનિવર્સિટીમાં અધ્યાપક હતા અને બાદમાં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસરની નોકરી સ્વીકારી હતી.ગીતા ગોપીનાથે ઈકોનોમિક્સ અને નાણાકીય બાબતો પર 40 રિસર્ચ પેપર પણ લખ્યા છે.
ગયા વર્ષે એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યુ હતુ કે, ગ્લોબલ ગ્રોથનુ જે અનુમાન છે તેમાં 80 ટકા ઘટાડો થયો છે અને તે માટે ભારત જવાબદાર છે.તેમણે મોદી સરકારના નોટબંધીના નિર્ણયને પણ નકારાત્મક ગણાવ્યો હતો.જોકે મોદી સરકારના કૃષિ કાયદાના તેમણે વખાણ કર્યા હતા.
મેડિકલ-ડેન્ટલના પ્રવેશ માટે રજિસ્ટ્રેશન બાદ ૨૪૨૨૮ વિદ્યાર્થીઓએ વેરિફેકશન કરાવ્યુઃ
ધો.૧૨ સાયન્સ પછીના યુજી મેડિલ-ડેન્ટલ અને આયુર્વેદ-હોમિયોપેથી પ્રવેશ માટે રજિસ્ટ્રેશન બાદ આજે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે.આ વર્ષે પ્રથમવાર મેડિકલ પ્રવેશ માટે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. ૧૧ હજાર યુવકો સામે ૧૩ હજાર યુવતીઓ પ્રવેશની લાઈનમાં છે.
રાજ્ય સરકારની મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે.ગઈકાલે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.જેમાં ૨૫૩૧૫ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું.રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવુ ફરજીયાત હોય વેરિફિકેશન કરાવનારા વિદ્યાર્થીઓ જ ફાઈનલ મેરિટમાં સમાવિષ્ટ થઈ શકે છે.આજે રાજ્યના નક્કી કરાયેલા ૩૨ હેલ્પ સેન્ટરો પર ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો છેલ્લો દિવસ હતો.કુલ ૨૪૨૨૮ વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યુ છે.
મહત્વનું છે કે પ્રથમવાર મેડિકલ-ડેન્ટલ પ્રવેશ માટે વિદ્યાર્થિનીઓની સંખ્યા વિદ્યાર્થીઓ કરતા ઘણી વધી છે.આ વર્ષે પ્રવેશ માટેની લાઈનમાં ઉભેલા કુલ વિદ્યાર્થીઓમાં ૧૧૧૦૦ યુવકો છે અને જેની સામે યુવતીઓ ૧૩૧૧૮ છે.આમ યુવકો કરતા યુવતીઓ ૨ હજાર જેટલી વધારે છે.પ્રથમવાર મેડિકલ પ્રવેશ માટે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓ સંખ્યા ઘણી વધારે જોવા મળી છે. નર્સિંગમાં મોટા ભાગે વિદ્યાર્થિનીઓ વધુ પ્રવેશ લેતી હોય છે ત્યારે હવે આ ટ્રેન્ડ મેડિકલ-ડેન્ટલમાં પણ જોવા મળશે તેવુ લાગી રહ્યુ છે. જો કે નીટ આપનારા સ્ટુડન્સમાં વિદ્યાર્થિનીઓ વધુ છે અને પરિણામ પણ તેઓનું વધુ આવ્યુ છે.
વુમન એમ્પાવરન્મેન્ટનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે સુરત જિલ્લામાં આવેલા વાંકલનું ધાણાવડ ગામ. આ નાનકડા ગામે દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એવું કામ કર્યું છે જેમાંથી સમગ્ર દેશને પ્રેરણા મળી શકે છે. ટીપે ટીપે સરોવર ભરાઇ એ રીતે વાંકલના ભાણાવડ ગામમાં 92 ટકા જેટલી દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને તથા તેમના પરિવારોને સ્મોલ સેવિંગ્સ કરાવવામાં આવી રહ્યું છે અને સમગ્ર સુરતમાં 1800થી વધુ ગામડાઓમાં ધાણાવડ ગામે સૌથી વધુ દિકરીઓના સેવિંગ્સ કરાવીને ઇતિહાસ સર્જતા પોસ્ટ વિભાગે આ ગામને સુકન્યા ગામ ઘોષિત કરીને બહુમાનિત કર્યું છે.
ઉમરપાડા તાલુકાનુ ઘાણાવડ ગામમાં પોસ્ટ માસ્તર અને સરપંચ ના પ્રયાસથી સુકન્યા સમૃદ્ધિ યોજનાની વિશિષ્ટ કામગીરી થતા ગામ સુકન્યા ગામ જાહેર કરાયું છે. કેન્દ્ર સરકારનાં પોસ્ટ વિભાગ તરફથી બાલિકાઓ માટે સુકન્યા સમૃધ્ધિ યોજના અમલમાં છે. જેમાં બાલિકાઓનાં પોસ્ટમાં ખાતા ખોલી બચત કરવાની થાય છે.
સરકાર તરફથી ભવિષ્યમાં કન્યાઓને નાણાંકીય તકલીફ ન પડે તેની જોગવાઈ આ યોજનામાં કરેલ છે. ગ્રામ્ય લેવલે વાલીઓને સમજાવી બચત કરાવવાનુ ખૂબ મુશ્કેલ કામ છે. આવા કઠીન કાર્ય માટે ઘાણાવડ બ્રાંચ પોસ્ટ ઓફિસનાં પોસ્ટ માસ્તર મનજીભાઈ આટીયાભાઈ વસાવાએ ઘરે ઘરે ફરી બાલિકાઓનાં ખાતા ખોલવાની સુંદર કામગીરી કરી હતી. જેની કદર રૂપે સરકાર દ્વારા આ ગામ ને સંપૂર્ણ સુકન્યા ગ્રામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
સુરત ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ઘાણાવડ ગામનાં સરપંચ અને પોસ્ટ માસ્ટર મનજીભાઇ આટિયાભાઇ વસાવાને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગામને પ્રતિષ્ઠા અપાવવા બદલ ગ્રામજનો એ પોસ્ટ માસ્ટર ને અભિનંદન પાઠવ્યા છે.
ધરમસિંહભાઈ વસાવા, ઘાણાવડ ગ્રામ પંચાયત, સરપંચ
ઘાણાવડમાં કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના નો 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવાની નેમ સાથે અમે પોસ્ટ વિભાગ સાથે હાલમાં કામ કરી રહ્યા છે અમારા ગામની પોસ્ટ ઓફિસના કાર્યક્ષેત્ર ના ગામો દિવતણ લીંબરવાણ. કાટનવાળી વગેરે ગામોમાં અમે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વધુમાં વધુ પોસ્ટમાં ખાતા ખુલે તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે.
કરવા ચૌથ, ગૌર પૂજાનું વ્રત આજે રવિવારે રાખવામાં આવી રહ્યું છે. આ વર્ષે કરવા ચૌથ પર 5 વર્ષ પછી એવો શુભ યોગ બની રહ્યો છે કે કરવા ચૌથની પૂજા રોહિણી નક્ષત્રમાં કરવામાં આવશે.
કરવા ચૌથ, ગૌર પૂજાનું વ્રત આજે રવિવારે રાખવામાં આવી રહ્યું છે. આ વર્ષે કરવા ચૌથ પર 5 વર્ષ પછી એવો શુભ યોગ બની રહ્યો છે કે કરવા ચૌથની પૂજા રોહિણી નક્ષત્રમાં કરવામાં આવશે.
આ સિવાયે રવિવારે આ વ્રત હોવાથી સૂર્યદેવનો શુભ પ્રભાવ પણ આ વ્રત પર પડશે. આ નક્ષત્રને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે વ્રત કરનારી દરેક સૌભાગ્યવતી મહિલાઓ નિર્જળા વ્રત રાખશે અને રાતે ચંદ્ર દર્શન કર્યા પછી વ્રત ખોલશે.
મહિલાઓ રાખશે નિર્જળા વ્રત માતા પાર્વતી, ભગવાન શિવ, કાર્તિકેય અને ગણેશ સહિત શિવ પરિવારનું પૂજન કરી મહિલાઓ માતા પાર્વતી પાસે અખંડ સૌભાગ્યની કામના કરે છે. સાથે જ વ્રત દરમિયાન કરવામાં જળ ભરીને કથા પણ સંભળશે. મહિલાઓ સવારે સૂર્યોદયથી ચંદ્રોદય સુધી નિર્જળા વ્રત રાખે છે અને ચંદ્ર દર્શન પછી વ્રત ખોલે છે. આજે ચંદ્રોદય કેટલા વાગ્યે થશે, સૌથી વધારે રાહ તેની જ જોવામાં આવે છે.
મુંબઇમાં ચંદ્રોદયનો સમય મુંબઇમાં ચંદ્રોદય 8.45 વાગ્યે થવાની શક્યતા છે. જો કે, ચંદ્રદર્શન 10-15 મિનિટના અંતરાળમાં થઈ શકે છે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ અને શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચના સંયુકત ઉપક્રમે પાલ રોડ સ્થિત હોટલ ટીજીબીની ગલીમાં સૂર્યમ રેસીડેન્સીની પાસે શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચ વાડી ખાતે આજથી ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન’નો ભવ્ય પ્રારંભ થયો છે. પ્રથમ તબકકામાં તા. ૪ અને પ ઓકટોબર, ર૦ર૧ દરમ્યાન યોજાયેલા એકઝીબીશનનું ઉદ્ઘાટન સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું.
મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મહિલા ઉદ્યોગ સાહસિકો આત્મનિર્ભર બની શકે તે હેતુથી ચેમ્બરની લેડીઝ વીંગ અને શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચ દ્વારા એકઝીબીશન યોજાયું છે તે ખૂબ જ પ્રશંસનીય છે. તેમણે કહયું કે, ચેમ્બર અને શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચે સરાહનીય કામગીરી કરી છે પણ હવે શહેરીજનોની પણ જવાબદારી બને છે કે તેઓ આ એકઝીબીશનમાં આવે અને મહિલા ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ પરથી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરે.
‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન’ના ઉદ્ઘાટન સમારોહમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન રમા નાવડિયાએ એકઝીબીશન વિશે માહિતી આપી હતી. શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચના પ્રમુખ મનહર લાપસીવાલાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. લેડીઝ વીંગના સેક્રેટરી મનિષા બોડાવાલાએ સમારોહનું સંચાલન કર્યું હતું. જ્યારે લેડીઝ વીંગના વાઇસ ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ સર્વેનો આભાર માની ઉદ્ઘાટન સમારોહનું સમાપન કર્યું હતું. આ સમારોહમાં ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા, ગૃપ ચેરમેન નિખિલ મદ્રાસી, ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય, વિમેન આંત્રપ્રિન્યોર સેલના એડવાઇઝર સ્વાતિ શેઠવાલા, મેનેજિંગ કમિટીના સભ્યો તથા શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
પ્રથમ તબકકામાં સોમવાર, તા. ૪ અને પ ઓકટોબર, ર૦ર૧ના રોજ ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન’યોજાયું છે. જેમાં ૬પ મહિલા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો છે. ત્યારબાદ એ જ સ્થળે બીજા તબકકામાં તા. ૬ અને ૭ ઓકટોબર, ર૦ર૧ તથા ત્રીજા તબકકામાં તા. ૮ અને ૯ ઓકટોબર, ર૦ર૧ દરમ્યાન એકઝીબીશન યોજાશે. જેમાં પણ ૬પ મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા ભાગ લેવામાં આવશે. ત્રણેય તબકકામાં એકઝીબીશનનો સમયગાળો બપોરે ૧રઃ૦૦ કલાકથી રાત્રે ૦૮:૦૦ કલાક સુધીનો રહેશે.
આ એકઝીબીશનમાં મહિલાઓ દ્વારા ઓકસીડાઇઝડ જ્વેલરી, ટ્રેડીશનલ ડ્રેસીસ, ડિઝાઇનર ડ્રેસ મટિરિયલ, ઇમીટેશન જ્વેલરી, ડિઝાઇનર ચોકલેટ બોકસીસ અને એન્વેલપ્સ, બટવા, ટ્રેડીશનલ ફૂટવેર, મોબાઇલ કવર્સ, બેગ્સ, હોમ કેર એન્ડ ડેકોર પ્રોડકટ્સ, એમ્બ્રોઇડરી મટિરિયલ્સ અને હેન્ડી ક્રાફટ, આર્ટ એન્ડ ક્રાફટ, ગીફટ આઇટમ્સ, જયપુરી મટિરિયલ્સ, ડિઝાઇનર સારીઝ, તકીયા તેમજ તકીયાના કવર, રૂમાલ, ફૂડ આઇટમ્સ (ફાસ્ટ ફૂડ, નમકીન, મીઠાઇ, કેકસ, કપ કેકસ), લેમ્પ એન્ડ કેન્ડલસ, પૂજા થાળ, બ્યુટી પ્રોડકટ્સ, મહેંદી, કવીલીંગ આર્ટ, પટીયાલા, દુપટ્ટા, કુર્તી, કોટી, ડ્રાઇ કલીનર્સ વિગેરેનું વેચાણ કરવામાં આવી રહયું છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.