કૉંગ્રેસ પક્ષે પોતાના નેતા સામ પિત્રોડા દ્વારા 1984ના શીખવિરોધી રમખાણ અંગે કરાયેલા વિવાદાસ્પદ નિવેદનથી પોતાને અલગ રાખ્યો હતો અને પોતાના નેતાઓને ભવિષ્યમાં સંવેદનશીલ બાબતમાં નિવેદન કરતી વખતે સંભાળ રાખવાની તાકીદ કરી હતી.
કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુર્જેવાલાએ જણાવ્યું હતું કે અમારો પક્ષ જાતિ, સંપ્રદાય, રંગ, ધર્મ કે અન્ય દરેક પ્રકારના મુદ્દે કરાતી હિંસાનો વિરોધ કરે છે.
તેમણે દાવો કર્યો હતો કે કૉંગ્રેસે 1984ના શીખવિરોધી રમખાણ અને 2002ના ગુજરાતના રમખાણના અસરગ્રસ્તોને ન્યાય અપાવવા પ્રયાસ કર્યા હતા.
કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તાએ જણાવ્યું હતું કે હિંસા અને રમખાણને માફ કરી ન શકાય. ભારતીય જનતા પક્ષ (ભાજપ) દરેક ચૂંટણી વખતે મત મેળવવા માટે અને મતદારોનું ધ્યાન બીજી તરફ વાળવા આવા મુદ્દા ઉઠાવે છે.
અગાઉ, સામ પિત્રોડાએ પત્રકાર દ્વારા 1984ના શીખવિરોધી રમખાણ અંગે પુછાયેલા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે ‘થઇ ગયું તે થઇ ગયું’ (હુઆ તો હુઆ).
સામ પિત્રોડાના આ નિવેદનને પગલે દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે.









