કથિત દ્વેષભાવવાળા પ્રવચનો કરીને તેમ જ ‘રાજકીય પ્રચાર’ માટે સશસ્ત્ર દળોના નામનો ઉપયોગ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના વડા અમિત શાહે ચૂંટણી સંબંધિત આચારસંહિતાનો કહેવાતો ભંગ કર્યો હોવાની જે અરજી કૉંગ્રેસના એક સંસદસભ્યએ નોંધાવી છે એ સંબંધમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે ચૂંટણી પંચનો પ્રતિભાવ માગ્યો હતો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે આસામના સિલ્ચર વિસ્તારના લોકસભાનાં કૉંગ્રેસી મેમ્બર સુસ્મિતા દેવે કરેલી આ અરજી પરની સુનાવણી
ગુરુવારે (આવતી કાલે) હાથ ધરાશે. દેવે અરજીમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે મોદી તથા શાહ વિરુદ્ધની ફરિયાદો પર નિર્ણય લેવામાં ચૂંટણી પંચ નિષ્ક્રિય રહ્યું છે.
ન્યાયાધીશો એસ. કે. કૌલ તથા કે. એમ. જોસેફનો સમાવેશ ધરાવતી આ બેન્ચે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે પિટિશનર (દેવ)ની રજૂઆત સંદર્ભમાં ચૂંટણી પંચ જરૂરી/યોગ્ય નિર્ણયો લેશે તો એ અમારા તરફથી આવકાર્ય ગણાશે.
સોમવારે એવા અહેવાલો હતા કે મોદી, અમિત શાહ તેમ જ કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી સહિતના વિવિધ નેતાઓ દ્વારા મોડેલ કોડ ઑફ ક્ધડક્ટ (એમસીસી)નો કથિત ભંગ કર્યો હોવાની ફરિયાદ પર મંગળવારે ચૂંટણી પંચના અધિકારીઓ ચર્ચા કરશે. બપોરની શરૂઆતમાં ગોગોઈના વડપણ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે દેવની અરજીને ન્યાયમૂર્તિઓ દીપક ગુપ્તા તથા સંજીવ ખન્નાની બેન્ચ 10 નંબરની કોર્ટમાં બપોરે 2.00 વાગ્યે સાંભળશે. જોકે, પછીથી ગુપ્તા-ખન્નાની બેન્ચે કહ્યું હતું કે ‘અમે આ કિસ્સા સંબંધમાં નવેસરથી નોંધાયેલી પિટિશનને નહીં સાંભળીએ અને એની સુનાવણી યોગ્ય બેન્ચ દ્વારા જ યોજાશે.’
પરિણામે, આ અરજી ફરી ચીફ જસ્ટિસ ગોગોઈના વડપણ હેઠળની બેન્ચે હાથ ધરી હતી અને એણે ચૂંટણી પંચ પાસે પ્રતિભાવ માગતી નોટિસ બહાર પાડી હતી. આ પિટિશન પરની હવે પછીની સુનાવણી ગુરુવારે સવારે 10.30 વાગ્યે હાથ ધરાશે.’
પહેલી એપ્રિલે મહારાષ્ટ્રના વર્ધામાં મોદીએ પ્રવચનમાં ‘ભગવા આતંકવાદી’ના મુદ્દાને કથિતપણે ઉપસ્થિત કર્યો એ મુદ્દાને દેવે પિટિશનમાં આચારસંહિતાના ભંગ તરીકે ઓળખાવ્યો છે. અન્ય એક રૅલીમાં મોદીએ રાહુલ ગાંધી કેરળના વાયનાડમાંથી ચૂંટણી લડી રહ્યા હોવાનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો એ સંબંધમાં પણ દેવની પિટિશનમાં ફરિયાદ કરાઈ છે. એવો પણ આક્ષેપ છે કે મોદીએ 23મી એપ્રિલે (મતદાનના દિવસે જ) ગુજરાતમાં એક રૅલીને સંબોધીને આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો.
એક એવો આક્ષેપ કરાયો છે કે ભાજપના નેતાઓ છેલ્લા ચાર અઠવાડિયાથી આચારસંહિતાનો ભંગ કરી રહ્યા છે અને ચૂંટણી પંચે કૉંગ્રેસ પક્ષની 40 જેટલી ફરિયાદો પર કોઈ નિર્ણયો નથી લીધા.














