૨૦૧૪ની મોદી લહેર છેલ્લાં પાચ વર્ષમાં અધોગતિ પામીને હવે આપત્તિ બની ગઇ છે અને મહાગઠબંધન વર્તમાન ચૂંટણીમાં એનડીએને બિહારમાંથી હાંકી કાઢશે, એવો દાવો અભિનેતા-કમ-રાજકારણી શત્રુઘ્ન સિંહાએ શુક્રવારે કર્યો હતો.
ઉત્તર પ્રદેશમાં પણ મારી પત્ની પૂનમ સિંહા એસપી-બીએસપીની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. ત્યાં પણ ભાજપ ભૂંડા હાલે હારવાનો છે, એમ શત્રુઘ્ને દાવો કર્યો હતો. શત્રુઘ્ન સિંહા કૉંગ્રેસની ટિકિટ પર પટના સાહિબ બેઠક પરથી ઉમેદવારી કરી રહ્યા છે. તેમની સામે ભાજપના કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ ઊભા છે. આશરે ત્રણ દાયકાનો સાથ છોડી ગયા મહિને શત્રુઘ્ન સિંહા કૉંગ્રેસમાં જોડાયા હતા. ભાજપે દાવો કર્યો હતો કે મોદી સરકારમાં તેમને પ્રધાન પદ નહીં મળવાથી શત્રુઘ્ન સિંહાએ નારાજ થઇને પક્ષ છોડ્યો હતો. ભાજપના દાવાનો વિરોધ કરતા બિહારી બાબુના હુલામણા નામે જાણીતા શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે, ‘ચોરી ઉપરથી સિનાજોરી.’
‘ચાલો એક વખત માની લઇએ કે મને પ્રધાનપદ નહીં મળવાથી હું નારાજ હતો, પરંતુ બે વ્યક્તિની ફોજ (મોદી, અમિત શાહ) મને જણાવી શકશે કે એલ. કે. અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા ધુરંધરો સાથે દુર્વ્યવહાર શા માટે કરવામાં આવ્યો. એક સમયના ભાજપના કટ્ટર સમર્થક અરુણ શૌરી આજે શા માટે તેમના કટ્ટર વિરોધી થઇ ગયા છે. યશવંત સિંહાએ પક્ષ શા માટે છોડ્યો,’ એમ શત્રુઘ્ન સિંહાએ સવાલ કર્યા હતા. ‘હું સાચુ બોલતો હતો. નોટબંધીને કારણે લોકોને ભારે અગવડ પડી હતી અને અર્થતંત્રને પણ ફટકો પડ્યો હતો. જીએસટીના કંગાળ અમલ સામે મેં વિરોધ દર્શાવ્યો હતો. રાફેલ મુદૃે સરકારને મેં તેમનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું હતું,’ એમ સિંહાએ જણાવ્યું હતું.
















