CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 78 of 79 - CIA Live

June 14, 2018
smcbuilding.jpg
1min16990

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

સુરત મહાનગરપાલિકામાં 1995થી શાસન કરી રહેલા ભાજપાના હાઇકમાન્ડે આજે મેયર પદે ડો.જગદીશ પટેલ, ડેપ્યુટી મેયર પદે શ્રી નિરવ શાહ, સ્થાયી સમિતિ ચેરમેન પદે શ્રી અનિલભાઇ ગોપલાણી અને શાસક પક્ષના નેતા પદે શ્રી ગિરજાશંકર મિશ્રાની  નિયુક્તિ કરીને સ્થાનિક સ્તરે અંદરખાને લડતા-ઝઘડતા રહેતા નેતાઓને ‘લાડવાઓ’ વહેંચી આપ્યા. કેટલાક ભાજપી ભક્તોએ એમ કહી રહ્યા છે કે દંડક પદે મહિલાની નિમણૂંક કરી છે, ત્યારે આવા ભક્તોને રાજકીય વિશ્લેષક એવી સલાહ આપી રહ્યા છે કે દંડક એ શાસકોની પોસ્ટ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનનું સત્તાવાર પદ એ જાણવા માટે બીપીએમસી એક્ટની ચોપડી વાંચવી જોઇએ.

સુરત મેયર પદે ડો. જગદીશ પટેલની વરણી

સુરતના ડેપ્યુટી મેયર પદે શ્રી નિરવ શાહની વરણી

સુરત મ્યુનિ. કોર્પોરેશનની તિજોરીની ચાવી હવે ડો. અનિલ ગોપલાણી પાસે

ભાજપા હાઇકમાન્ડની આ વહેંચણીમાં સ્ત્રી સશક્તિકરણનો ‘સરાસર’ છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણીની દુહાઇ આપીને ભાજપા હાઇકમાન્ડે મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ અને શાસક પક્ષના નેતાની વરણીમાં મેરીટ જોઇને  નિમણૂંક આપવાનો કોલ આપ્યો હતો એનો મતલબ એ થયો કે ભાજપા હાઇકમાન્ડને સુરત મહાનગરપાલિકાના ચાવીરૂપ પદો પૈકી એક પણ પદ માટે કોઇપણ મહિલા કોર્પોરેટર લાયક ન દેખાઇ. જોકે, પદોની વહેંચણીમાં મહિલા કોર્પોરેટરો પૈકી શ્રીમતી હેમાલી બોઘાવાલા, શ્રીમતી કલ્પના મદનસિંહ અટોદરીયા, શ્રી રોહિણીબેન છોટુભાઇ પાટીલ, શ્રીરૂપલબેન શાહ, શ્રી રશ્મિકાબેન પટેલ વગેરેના નામો ચાલતા હતા પણ એકેય મહિલાને ચાવીરૂપ પદ પૈકી એક પણ પદ માટે સમોવડી ગણવામાં આવી ન હતી.

ભાજપા હાઇકમાન્ડની બલિહારી તો એવી પણ રહી છે કે 1995થી અત્યાર સુધી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે અગર તો શાસક પક્ષના નેતા તરીકે ક્યારેય કોઇપણ મહિલા કોર્પોરેટરની નિયુક્તિ કરી નથી. આ બાબત પ્રતીતિ કરાવે છે કે વુમન એમ્પાવરન્મેન્ટના મુદ્દે ભાજપાના ચાવવાના અને બતાવવાના દાંતમાં ટેન્ડરમાં જે રીતે ડેવિએશન આવે છે તેવું ડેવિએશન છે.

એક તરફ સ્પેન એવો દેશ છે જેણે તાજેતરમાં 17 સભ્યોની સરકારમાં 11 મહિલા મિનિસ્ટર અને ફક્ત 6 પુરુષને સમાવ્યા છે અને બીજી તરફ ભાજપા હાઇકમાન્ડને સુરત મહાનગરપાલિકામાં એકેય મહિલા કોર્પોરેટર પદ માટે લાયક જણાય નથી.

મેયર કરતા સ્થાયી સમિતિ અધ્યક્ષપદ માટે ભારે લોબિંગ હતું

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશના ચાવીરૂપ પદોની વહેંચણીમાં એક બાબત ઉડીને આંખે વળગે તેવી હતી કે મેયર પદ કરતા સ્થાયી સમિતિ અધ્યક્ષ પદ માટે સ્થાનિક સ્તરેથી લઇને રાજ્ય સ્તરના નેતાઓ ભારે ઇન્ટ્રેસ્ટેડ હતા. જ્યારે મેયર પદ માટે ડો. જગદીશ પટેલનું નામ આવ્યું ત્યારે સ્થાનિક સ્તરે જૂથવાદમાં રાચતા એકેય નેતાએ તેમના નામનો વિરોધ કર્યો નહીં, એ બાબત સૂચક છે કે મેયર પદ માટે અહીં કોઇ લડાઇ હતી જ નહીં જે હતું એ સ્થાયી સમિતિ ચેરમેન પદ કે જેની પાસે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીની ચાવી રહે છે એ પદ માટે જ ખેંચતાણ હતી.

મુખ્યમંત્રીનું પણ માન ન રાખ્યું

મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ પદે નિરવભાઇ શાહને મૂકવાની લાગણી ધરાવતા હતા. નિરવ શાહ સ્થાનિક સ્તરે પૂર્ણેશ મોદી જૂથ સાથે સક્રિય હોઇ, અન્ય જૂથ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવતા તેમનું નામ સ્થાયી સમિતિ અધ્યક્ષ પદે ફાઇનલ થતા થતા રહી ગયું.

સવારે 9 વાગ્યે નામ ફાઇનલ થયા

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર સહિતના પદો પણ નામ ફાઇનલ કરવામાં ભાજપા મોવડીઓમાં છેક છેલ્લી ઘડી સુધી મડાગાંઠ જોવા મળી હતી. તા.13મીને બુધવારે રાત્રે જે નામો પણ સંમતિ સાધી લેવાઇ હતી, એ નામ આજે સવારે 9 વાગ્યે બદલવા પડ્યા હતા. સ્થાનિક નેતાઓએ પ્રદેશ નેતાઓ પર પોતપોતાના મળતીયાઓને ગોઠવવા માટે દરેક પ્રકારે લોબિંગ કરી જોયા હતા.

June 9, 2018
suratfire4.jpg
1min14260

આજે સવારથી એક તરફ મુંબઇમાં વરસાદી માહોલની ચર્ચા હતી તો બીજી તરફ ફોર્ટ વિસ્તારમાં આવેલી જુની અને જાણીતી ઇમારત કોઠારી મેન્સનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. મુંબઇની આ આગે નેશનલ ન્યુઝ ચેનલ્સ પર સ્થાન જમાવ્યું હતું તો સાથોસાથ સુરતના પાંડેસરા વિસ્તારમાં શાલુ મિલમાં શુક્રવારે મધરાતથી ભભૂકી ઉઠેલી આગને પગલે ભારે દોડધામ મચી જવા પામી હતી. આમ શનિવારે આખો દિવસ મુંબઇ અને સુરતમાં આગની ઘટનાઓ ટોક ઓફ ધ ટાઉન રહી હતી.

સુરતના પાંડેસરાની સાલુ ડાઇંગમાં લાગેલી આગની તસ્વીરો

 

સુરતના પાંડેસરાની સાલુ ડાઇંગમાં લાગેલી આગની તસ્વીરો

સુરતના પાંડેસરાની સાલુ ડાઇંગમાં લાગેલી આગની તસ્વીરો

પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલી શાલુ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલમાં શુક્રવારે રાત્રે ભયંકર આગ ફાટી નીકળી હતી, અાગની ઘટનાને પગલે સ્લેબમાં પડેલા ગાબડાના કાટમાળ નીચે લેબર દબાય ગયા હતા. આગ એટલી ભીષણ હતી કે તેની જવાળાઓની લપેટમાં બાજુની મિલમાં પણ આગ લાગી જવા પામી હતી. ગંભીરતા પારખીને ફાયર બ્રિગેડએ આ ઘટનાને બ્રિગેડ કોલ જાહેર કરીને યુદ્ધના ધોરણે બચાવ-રાહતની કામગીરી હાથ ધરી હતી.

આજે શનિવારના પણ આગ ઉપર કાબુ મેળવી શકાયો ન હતો, સ્લેબ પડતા દબાયેલા મજૂરોને ફાયર દવારા બહાર કાઢી નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાંસદ સી.આર.પાટીલ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

મુંબઈ: કોઠારી મેંશનમાં ભીષણ આગ

મુંબઈ: કોઠારી મેંશનમાં ભીષણ આગ, બિલ્ડિંગનો એક હિસ્સો ધરાશાયી

મુંબઈનાં ફોર્ટ વિસ્તારમાં એક છ માળની પ્રખ્યાત બિલ્ડિંગ કોઠારી મેંશનમાં શનિવારે વહેલી સવારે વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કે બિલ્ડિંગનો એક ભાગ સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ગયો છે. આગ પર કાબુ મેળવવા માટે ફાયરબ્રિગેડની ૧૬ ગાડીઓ અને ૧૧ જંબો ટેંકર યુદ્ધના ધોરણે કામે લગાડવામાં આવ્યા હતા. જો કે, બિલ્ડિંગમાં લાગેલી આગ એટલી હદ સુધી પ્રસરી ગઈ છે કે તેના પર સંપૂર્ણ કાબુ મેળવવો અશક્ય છે. આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં બે ફાયરબ્રિગેડનાં બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. સવારે ૪.૧૬ વાગ્યે આગ લાગી હોવાની અંગેની જાણકારી ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. જેની આઠ મિનિટની અંદર જ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

June 7, 2018
whether.jpg
1min14200

દક્ષિણ-પશ્ચિમી ચોમાસું ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસથી છૂટા છવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે પણ હવે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે દક્ષિણ-પશ્ચિમી ચોમાસું કેરળથી આગળ વધી કર્ણાટકા અને દક્ષિણી મુંબઇ પ્રવેશ કરી દીધો છે. દેશનાં અન્ય ભાગો જેવા કે, દક્ષિણ આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળમાં પણ ચોમાસું બેસી ગયું છે.

હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસુ દક્ષિણથી પ્રવેશ કરશે અને દક્ષિણ ગુજરાતમાં આગામી શનિવાર અને રવિવારના રોજ છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. કેરળ પછી હવે કર્ણાટકા, ગોવામાં પણ આગળ વધી રહ્યું છે. આગામી 24 કલાકમાં દેશના ઘણા ભાગોમાં સારો એવો વરસાદ પડશે. આગામી દિવસોમાં આ ચોમાસું મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, સિક્કિમ અને અન્ય રાજ્યોમાં આગળ વધશે. આવતી કાલથી વરસાદની તીવ્રતામાં વધારો થશે.

વિતેલા સપ્તાહમાં ગઇ તા.2 જૂનની મધરાતે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભયંકર વાવાઝોડું ફુંકાયું હતું એ અંગે હવામાન ખાતાએ કોઇ જ આગાહી કરી ન હતી. અણસાર પણ મળ્યો ન હતો. હવે જ્યારે આગામી વીકએન્ડમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતે એ કરી છે ત્યારે એ સાચી પડે છે કે ફક્ત કાગનો વાઘ પુરવાર થાય છે એ તો સુરતીઓએ અનુભવ કરીને જ જાણવું પડશે.

June 5, 2018
tdb.png
1min16000

દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા આગામી ચોમાસાની ઋતુમાં વીજગ્રાહકો અને જાહેર જનતાની વીજ સલામતી અર્થે તકેદારી રાખવા અનુરોધ

આગામી ચોમાસાની ઋતુમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજગ્રાહકો અને જાહેર જનતાની વીજ સલામતી અર્થે તકેદારી રાખવા અને સાવચેતીના ભાગરૂપે નીચે મુજબની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. :જે મુજબ
• કોઈપણ જગ્યાએ વીજળીનો થાંભલો કે તાર તૂટેલો કે ભયજનક રીતે નમેલો જણાય તો તૂટેલા ઝુલતા તારને કોઈપણ સંજોગોમાં અડકવું નહી અનેતુરંત જ આપની નજીકની વીજ કંપનીની સ્થાનિક પેટા વિભાગીય કચેરીનો સંપર્ક કરી જાણ કરવી અથવા ટોલ નંબર ૧૯૧૨૩ કે ૧૮૦૦૨૩૩ ૩૦૦૩ પર જાણ કરો અને સંભવિત વીજ અકસ્માતને ટાળો.
• વીજસ્થાપનના ઉપકરણો જીવંત સ્વરૂપે વીજવાહક હોવાથી સલામતીની દ્રષ્ટિએ સાવચેત રહેવું જરૂરી છે.
• વીજ સાધનો માટે યોગ્ય ક્ષમતાના ફયુઝ, એમ.સી.બી. તથા ઈ.એલ.સી.બી. નો ઉપયોગ કરવો.
• વીજળીના થાંભલા કે તેના અર્થીગ વાયર કે સ્ટ્રીટલાઈટના થાંભલા સાથે ધાતુનો તાર બાંધી કપડાં સુકવવા નહિં અથવા પશુઓને પણ ત્યાં બાંધવા નહિં.
• વરસાદના સમયે ભેજવાળા વાતાવરણમાં ઘરના વીજસ્થાપનોમાં લાગતા વીજ આંચકાઓથી બચવા ઈ.એલ.સી.બી. અવશ્ય લગાડવી.
• કોઈપણ બાંધકામ ચાલતું હોય તો તે સ્થળ પાસેથી પસાર થતી વીજ લાઈન અને થાંભલાથી સલામત અંતર અવશ્ય જાળવવું.
• વીજ લાઈનની નીચે તેમજ ટ્રાન્સફોર્મર સેન્ટરને અડીને વાહનો ઉભા રાખવા નહિં કે પાર્ક કરવા નહિં તેમજ વધુ ઉંચાઈના વાહનો વીજ લાઈનની નીચેથી સાવચેતીપૂર્વક પસાર કરવામાં આવે તેની ખાસ કાળજી લેવી.
• કારખાનાની ઘરની બારીમાંથી અથવા ગેલેરીમાંથી કોઈપણ જાતનો કચરો, પાણી, મેટાલીક યાર્ન, તાર, વાયર કે લોખંડનો ભંગાર વિગેરે વીજ લાઈન પર ફેંકશો નહીં. તેમ કરવાથી ઈલેકટ્રીક કરંટ (શોક) લાગવાનો ભય રહે છે.
• વીજ વિક્ષેપ જેવાં કે મીટર બોક્ષમાં સ્ટ્રીટ લાઈટ પોલ પર ટ્રાન્સફોર્મર પર કે અન્ય કોઈ જગ્યાએ શોર્ટ સર્કીટ જણાય તો અમારા ૨૪ ૭ કોલ સેન્ટર નંબર ૧૯૧૨૩અથવા૧૮૦૦ ૨૩૩ ૩૦૦૩અથવા મોન્સુન કન્ટ્રોલ રૂમનો ટેલીફોન નંબર ૦૨૬૧-૨૫૦૬૨૯૯ તથા મો.નં.૯૮૭૯૨ ૬૮૯૫૯ પર જાણ કરી વીજ સલામતીમાં ભાગીદાર બનો.આ ઉપરાંતવીજ સંબંધિત સમસ્યાઓની નોંધણી અને નિરાકરણ માટે, વેબસાઇટ www.dgvcl.comપર ઉપલબ્ધ આપની સ્થાનિક કચેરીઓ સ્થિત ૨૪ કલાક કાર્યરત ફોલ્ટ સેન્ટર્સ નંબરનો પણ સંપર્ક સાધવો

June 4, 2018
neet1.jpg
1min23890

44 વિદ્યાર્થીઓના નીટમાં 400થી વધુ માર્કસ, આશાદીપ શાળાએ જ નીટના કોચિંગની પણ વ્યવસ્થા કરી હતી

ગુજરાત બોર્ડના ધો.12 સાયન્સના પરીણામો હોય, કોમર્સના હોય કે ધો.10ના પરીણામો હોય સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પરીણામ અને એ-વન રેન્કર્સ જેણે આપ્યા છે એ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીઓએ આજે નીટ-2018ના પરિણામમાં પણ ઝળહળતો દેખાવ કર્યો છે.

 

જેઇઇ અને નીટ એ બે નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ છે, સેન્ટ્રલ બોર્ડ દ્વારે તેનું સંચાલન કરવામાં આવે છે અને સુરતની આશાદીપ સાયન્સ સ્કુલના વિદ્યાર્થીઓ ન સિર્ફ બોર્ડ પરીક્ષામાં પણ આ નેશનલ એકઝામ્સમાં પણ જબરદસ્ત પરફોર્મન્સ આપી રહ્યા છે. આજે નીટની પરીક્ષાના જાહેર થયેલા પરીણામમાં આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીએ હાઇએસ્ટ 574 માર્કસ હાંસલ કર્યા છે.

આશાદીપના ટ્રસ્ટી શ્રી મહેશભાઇ રામાણીએ સી.આઇ.એ. લાઇવને માહિતી આપતા જણાવ્યું હતું કે આશાદીપના કુલ 13 વિદ્યાર્થીઓએ નીટમાં 500 કે તેનાથી વધુ સ્કોર કર્યો છે. એવી જ રીતે 44 વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે નીટમાં 400 કે તેનાથી વધુ સ્કોર કર્યો છે. આમ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીઓએ નીટમાં પણ પોતાનું ઓલરાઉન્ડ પરફોમર્ન્સ જાળવી રાખ્યું છે.

સૌથી મહત્વની વાત એ છે કે જેઇઇ હોય કે નીટ હોય, મોટાભાગની શાળાઓ પ્રવેશ પરીક્ષાના કોચિંગ આપવામાંથી હાથ ઉંચા કરી દેતી હોય છે પરંતુ, આશાદીપ વિદ્યાલય કે જેણે હંમેશા અલગ ભાત પાડી છે ત્યાં નીટ હોય કે જેઇઇ, પ્રવેશ પરીક્ષાનું કોચિંગ પણ શાળામાં જ આપવામાં આવે છે. આજે નીટમાં જે ટોપટેન આવ્યા છે એ મોટા ભાગે એક જ બ્રાન્ડેડ પ્રાઇવેટ કોચિંગ ક્લાસના આવ્યા છે, જે તોતિંગ ફી લઇને કોચિંગ આપે છે જ્યારે આશાદીપ સાયન્સ સ્કુલમાં વિદ્યાર્થીઓને શાળા દ્વારા જ એફોર્ડેબલ ફી માં તમામ પ્રવેશ પરીક્ષાનું કોચિંગ આપવામાં આવે છે.

June 3, 2018
jbcscmain.jpg
1min18030

ભારત વૈશ્વિક કક્ષાએ “વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી(૫-જુન-૨૦૧૮) માટે યજમાન બન્યુ છે, આ વર્ષની મુખ્ય થીમ “પ્લાસ્ટિક પ્રદુષણને મહાત કરો (beat plastics pollution) પર એક અઠવાડિયું જનજાગૃતિ, સફાઈ ઝુંબેશ વગેરે કાર્યક્રમો માતા પાયે હાથ ધરવામાં આવનાર છે, તેનાં ભાગ રૂપે ગુજરાત સરકારનાં વન અને પર્યાવરણ વિભાગના, સુરત વન વિભાગ, અને જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-સુરતના  સંયુક્ત ઉપક્રમે ૫-જુન-૨૦૧૮ના રોજ સમગ્ર જીલ્લામાં મહુવા, માંડવી, ઉમરપાડા, ચોર્યાસી, રેન્જ(ડુમસ) પર અને સુરત શહેર કક્ષાએ વિવિધ કાર્યક્રમો જેવાકે  બાળકો માટે ચિત્ર સ્પર્ધા, પ્લાસ્ટિક કચરાની સફાઈ, વૃક્ષારોપણ, રોપાવિતરણ,  જનજાગૃતિ રેલીઓ, પ્રવચનો,વગેરે કાર્યક્રમો/પ્રવૃતિઓ રાખવામાં આવેલ છે, 

 

રસ ધરાવનાર બાળકો જે તે રેન્જ ઓફિસનો સંપર્ક કરવા, શ્રી પુનીત નાયર, નાયબ વન સંરક્ષક,સુરત વન વિભાગ અને જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર- સુરતના ડાયરેકટર શ્રી જી.એન.કાકડીયા, દ્વારા જણાવામાં આવે છે, આ સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળકોમાં નાનપણથી પ્લાસ્ટિકના પ્રદુષણથી થતા નુકશાન અને તેને દુર કરવા અત્યારથી જાગૃત થાય તે મુખ્ય આશય છે. બાળકોએ ચિત્રો દ્વારા પોતાની વેદના અને સામે ઉપાયો ચિત્રણ દ્વારા ખુજ સરસ રીતે પ્રસ્તુત કરવામાં આવશે.ઉપરાંત સામાજિક વનીકરણ વિભાગ-સુરત દ્વારા પણ જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર- સુરત, વાસુદેવ સ્માર્ત પ્રાથ. શાળા નં.૪ , પીપલોદ ખાતે વૃક્ષારોપણ અને સફાઈ જેવા કાર્યક્રમો રાખવામાં આવેલ છે.

June 1, 2018
rutu1.jpg
1min17070

એર એશિયાની બેંગ્લોરથી સુરતની પહેલી ફ્લાઇટના કો-પાઇલટ તરીકે રુતુ ગોસ્વામીને ખાસ ડ્યૂટી સોંપવામાં આવી કેમકે એર એશિયાની વિશિષ્ટતા છે કે જે તે શહેરની પહેલી ફ્લાઇટના પાઇલટ તેમજ કેબિન ક્રુ મેમ્બર્સ જે તે શહેરના મૂળ વતની હોય તેવા સ્ટાફને મોકલે છે

આજે એર એશિયા દ્વારા બેંગ્લોર ટુ સુરતની ફ્લાઇટનું પહેલું વિમાન બેંગ્લોરથી સુરત આવ્યું હતું. આ ફ્લાઇટની અનેક વિશેષતાઓ હતી પરંતુ, એક વિશેષતા એ પણ નોંધનીય છે કે આ ફ્લાઇટમાં કો-પાઇલટ તરીકે રુતુ ગોસ્વામી નામનો યુવાન હતો. રુતુ ગોસ્વામી જન્મે સુરતી છે. રુતુ ગોસ્વામીનો જન્મ સુરત થયો અને એ પછી પાંચ વર્ષ સુધી રુતુ ગોસ્વામીનો ઉછેર સુરત થયો હતો.

એર એશિયા કંપનીની ખાસિયત છે કે જે શહેરમાં પહેલી ફ્લાઇટ રવાના કરતી હોય ત્યારે એ ફ્લાઇટમાં જે તે શહેરના વતની હોય તેવા પાઇલટ અગર તો કેબિન ક્રુ મેમ્બરને ખાસ ડ્યૂટી સોંપે છે. આ પરંપરાના ભાગરૂપે રુતુ ગોસ્વામીની પસંદગી કરવામાં આવી હતી.

બેંગ્લોરથી ફ્લાઇટ સુરત આવી પહોંચી ત્યારે વોટરકેનનથી તેનું સ્વાગત કરવામાં આવ્યું અને જ્યારે રુતુ ગોસ્વામીએ ફ્લાઇટ ડ્યૂટી પૂરી કરીને એરપોર્ટ પર આવ્યા ત્યારે સુરતીઓનો આનંદ સાતમે આસમાને હતો. સુરતને નવી ફ્લાઇટ બેંગ્લોરની તો મળી જ પરંતુ, સાથોસાથ તેને પહેલી વખત ઉડાડીને જે પાઇલટ લાવ્યા તે પણ જન્મે સુરતી છે.

રુતુ ગોસ્વામીએ એરપોર્ટ પર સી.આઇ.એ. સંવાદદાતાને જણાવ્યું કે સ્વાભાવિક છે કે જ્યાં જન્મ થયો હોય તે શહેરમાં પહેલી ફ્લાઇટ ફ્લાય કરીને આવવાનો આનંદ સવિશેષ હોય. રુતુ ગોસ્વામીએ કહ્યું કે તેનો પરિવાર મૂળ ભૂજના છે. તેમના પિતાની સુરત ટ્રાન્સફર થઇ ત્યારે પરિવાર સુરત આવ્યો હતો અને એ સમયે જ રુતુ ગોસ્વામીનો જન્મ સુરતમાં થયો હતો. રુતુના જન્મ પછી પાંચ વર્ષ સુધી તેમનો પરિવાર સુરતમાં રહ્યો હતો આમ, સુરતમાં જન્મીને ઉછરેલા રુતુ ગોસ્વામીએ આજે બેંગ્લોરથી સુરતની પહેલી ફ્લાઇટ ઉડાડી એ એક યાદગાર પ્રસંગ બની ગયો હતો. સુરત એરપોર્ટ પર પ્લેન ઉડાડીને આવેલા રુતુ ગોસ્વામીને આવકારવા ખુદ તેનો સમગ્ર પરિવાર પણ એરપોર્ટ પર ઉપસ્થિત હતો.

એરપોર્ટ પર નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ,  શ્રીમતી દર્શનાબેન જરદોષ, ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ શ્રી હેતલ મહેતા, શ્રી કલ્લુભાઇ દેસાઇ તેમજ અન્ય અાગેવાનોએ રુતુ ગોસ્વામીને ફ્લાવર બુકે આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.

June 1, 2018
v3.jpg
1min49540

આજે સમગ્ર વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે સુરત માટે ગૌરવવંતી બાબત એ છે કે સુરતમાં 1975થી દૂધ અને દૂધ ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલી જૂની અને જાણીતી વિજય ડેરીને આજે નવી દિલ્હી ખાતે યોજાયેલા દબદબાભર્યા કાર્યક્રમમાં નેશનલ ગોપાલ રત્ન એવોર્ડ 2018 એનાયત કરવામાં આવ્યો છે. વિજય ડેરી વતી તેમના મેનેજમેન્ટના શ્રી પિયુષભાઇ પટેલએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ એગ્રિકલ્ચ એન્ડ ફાર્મર્સ વેલ્ફેર ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર હસબન્ડરી, ડેરીઇંગ એન્ડ ફિશરીઝ દ્વારા સમગ્ર ભારત સ્તરે રાષ્ટ્રીય ગોકુલ મિશન ચલાવવામાં આવે છે અને આ મિશનના ભાગરૂપે નેશનલ ગોપાલ રત્ન એવોર્ડ 2018 માટે સુરતની વિજય ડેરી દ્વારા સંચાલિત શ્રી હરી નાણજી ફાર્મના સંચાલન માટે એનાયત કરવામાં આવ્યો છે.

આજે વિશ્વ મિલ્ક ડે નિમિતે દિલ્હી ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં સુરતની વિજય ડેરીના શ્રી પિયુષભાઇ પટેલને સમગ્ર દેશની ટોચની ડેરીઓના સંચાલકોની ઉપસ્થિતમાં રાષ્ટ્રીય સ્તરે દ્વિતીય રહેવા બદલ રૂ.3 લાખનું ઇનામ તેમજ ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

 

નવી દિલ્હી ખાતે તા.1લી જૂન શુક્રવારે યોજાયેલા દબદબાભર્યા સન્માન સમારોહમાં દેશભરના ટોચના ડેરી ઉત્પાદકોની હાજરીમાં સુરતની વિજય ડેરીના માલિક શ્રી પિયુષભાઇ પટેલને રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરષ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

એવોર્ડ લીધા બાદ સુરતની વિજય ડેરીના શ્રી પિયુષ પટેલે સમારોહને સંબોધન કર્યું હતું.

 

સુરતની વિજય ડેરીને શ્રી હરી નારણ ફાર્મના સંચાલન બદલ જે એવોર્ડ અપાયો તેનું પ્રમાણપત્ર

રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ 2018 માટે સુરતની વિજય ડેરીને રાષ્ટ્રીય સ્તરે દ્વિતીય ક્રમનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. વિજય ડેરીના શ્રી પિયુષ પટેલ એવોર્ડ સ્વીકારતા નજરે પડે છે.

રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ આપવા માટે જુદા જુદા ક્રાઇટેરીયા હોય છે જેમાં પશુપાલન એરીયાની સ્વચ્છતા, તેમનો આહાર, તેમનો ઉછેર, વાતાવરણ, રસીકરણ વગેરે બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે.

 

May 31, 2018
aone.jpeg
1min49339080

આજે જાહેર થયેલા ધો.12 કોમર્સના પરિણામો હાલ સમગ્ર શહેર જ નહીં રાજ્યમાં પણ ટોક ઓફ ધ ટાઉન ઇશ્યુ બન્યા છે. ગુજરાત બોર્ડ દ્વારા જ્યારથી સિટી ટોપ ટેન કે ડિસ્ટ્રીક્ટ ટોપ ટેન જાહેર કરવાની પ્રથા બંધ કરવામાં આવી ત્યારથી બેસ્ટ સ્કુલનો ક્રાઇટેરિયા, એ-વન ગ્રેડ ગેટર્સ એટલે કે એ-વન ગ્રેડ હાંસલ કરતા જે તે સ્કુલના વિદ્યાર્થીઓની સંખ્યા બની ગયો છે.

આજે તા.31મી મે 2018ના દિવસે ગુજરાત બોર્ડનું ધો.12 સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર થયું. પરિણામમાં સૌથી મહત્વના ફેક્ટર ગણાતા એ-વન ગ્રેડ ગેટર્સની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં કુલ 451 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ હાંસલ કર્યો છે. આ પૈકી ત્રીજા ભાગના એટલે કે 143 એ-વન ગ્રેડ એકલા સુરતના વિદ્યાર્થીઓએ જ હાંસલ કરી લીધા છે.

સુરત શહેર અને જિલ્લામાં 143 પૈકી કેટલા એ-વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ કઇ સ્કુલના છે એની મહત્તમ માહિતી સૌથી પહેલા આપવાનો પ્રયાસ સી.આઇ.એ. કરી રહ્યું છે. અત્રે પ્રસ્તુત છે 12.30 વાગ્યા સુધીમાં ટેલી થયેલા સુરત શહેર જિલ્લાના એ-વન ગ્રેડ ગેટર્સ વિદ્યાર્થીઓની સ્કુલ વાર સંખ્યા

આશાદીપ વિદ્યાલય-1            16

આશાદીપ વિદ્યાલય-2           03

આશાદીપ  વિદ્યાલય-3          03

આશાદીપ વિદ્યાલય-4           03

ભૂલકા ભવન શાળા                09

પી.પી. સવાણી હીરાબાગ      08

લુડ્ઝ કોન્વેન્ટ સ્કુલ                07

ટેકરાવાળા ઉ.મા.શાળા        05

લીલાબા કન્યા વિદ્યાલય        05

વીએનગોધાણી કન્યાશાળા  03

અંકુર વિદ્યાવિહાર                 02

સ્વામી નારાયણ ગુરુકુળ       02

સરસ્વતી  વિદ્યાલય               02

આ ઉપરાંત એક એક એ-વન ગ્રેડર સ્ટુડન્ટ ધરાવતી શાળાઓમાં ડી.આર. રાણા વિદ્યાસંકુલ, ડી.આર. ઉમરીગર મેમોરીયલ, એચ.એમ.બી. સરદાર ઇંગ્લિશ સ્કુલ, રૂ.સી.મા.પૂણાવાળા એક્સપેરિમેન્ટલ સ્કુલ, સંસ્કારદીપ શાળા-મોટા વરાછા, માધવબાગ વિદ્યાભવનનો સમાવેશ થાય છે. 2.30 વાગ્યા સુધીમાં અમે 143 પૈકી 72 એ-વન ગ્રેડર્સનો શોધી શક્યા છીએ.

 

May 28, 2018
suratairport.jpg
1min15510

સુરત એરપોર્ટ પર મુસાફરોની સતત વધી રહેલી સંખ્યાને પગલે દેશ – દુનિયાની મોટા ભાગની વિમાની કંપનીઓ સુરત હવાઈ મથકથી પોતાની વિમાની સેવા શરૂ કરવા માટે તત્પર છે. જા કે, સુરત એરપોર્ટ પર રન-વેની સમસ્યાને કારણે હાલ વિમાની કંપનીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સંદર્ભે મારી અને સુરતના સાંસદ શ્રીમતિ દર્શનાબેન જરદોશ દ્વારા એરપોર્ટ ઓથોરોટી ઓફ ઇન્ડિયાને કરવામાં આવેલી રજુઆતો બાદ હવે સુરત એરપોર્ટ પર ૨૨૮૦ મીટરના રન-વે પરથી વિમાનોને લેન્ડીંગ અને ટેક ઓફ ની પરમીશન મળી ચુકી છે.

આ સંદર્ભે ગત ૧૪મી ફેબ્રુઆરીના રોજ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ચેરમેન શ્રી ગુરૂપ્રસાદ મહાપાત્રને પત્ર લખીને આ સંદર્ભે રજુઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૨મી માર્ચના રોજ નવી દિલ્હી ખાતે રૂબરૂ મુલાકાત દરમ્યાન પણ બન્ને સાંસદો દ્વારા સુરત એરપોર્ટ પર રન-વેની સમસ્યા સંદર્ભે તેઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેને પગલે ડીજીસી દ્વારા એક ટીમ સુરત એરપોર્ટ ખાતે મોકલીને ઇન્સ્પેક્શન કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા ઈન્સ્પેક્શન બાદ સુરત એરપોર્ટ પર તૈયાર થયેલા ૨૯૦૫ મીટરના રન-વે પૈકી ૨૨૮૦ મીટરના રન-વેના ઉપયોગને મંજુરી આપવાનો નિર્ણય લેવાયો હતો. વેસુ તરફની નડતર રૂપ ઈમારતોના મુદ્દે જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી ૬૨૫ મીટરનો રન-વે હાલ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. બન્ને સાંસદોની સફળ રજુઆતને પગલે ડી.જી.સી.એ દ્વારા સુરત એરપોર્ટને વૈશ્વિક સ્તરનું બનાવવા માટે ૪૪૬ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ડી.જી.સી. દ્વારા સુરત એરપોર્ટ પર ૨૨૮૦ મીટરના રન-વેના ઉપયોગને લીલી ઝંડી આપવાના નિર્ણયને પગલે હવે શહેરીજનોને તેનો સીધો લાભ મળશે.

અત્યાર સુધી માત્ર ૧૯૦૫ મીટરના રન-વેનો ઉપયોગ ટેક ઓફ અને લેન્ડીંગ માટે કરવામાં આવતો હોવાને કારણે એરબસ ૩૧૯ અને ૩૨૦ જેવા મોટા વિમાનો માટે વિમાની કંપનીઓપર લોડ પેનલ્ટી લાગુ કરવામાં આવી હતી જેના કારણે વિમાનમાં ચોક્કસ સીટો ખાલી રાખવી પડતી હતી. જેનો સીધો ભાર શહેરીજનોએ ભોગવવો પડતો હતો. હવે રન-વેના મહત્તમ ઉપયોગને પગલે વિમાની કંપનીઓને પેનલ્ટી લોડમાંથી મુક્તિ મળશે. જેને કારણે વિમાની કંપનીઓ વિમાનની તમામ સીટની ટિકીટો વેચી શકશે. જેના કારણે વિમાની દરમાં પણ ઘટાડો થશે. જેનો સીધો લાભ શહેરીજનોને મળશે. સુરત વિમાની મથકે સતત વધી રહેલા એર ટ્રાફિક અને ઉતારૂઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને મોટા ભાગની વિમાની કંપનીઓ સુરતથી દેશના અન્ય શહેરોને સાંકળતી વિમાની સેવા શરૂ કરવા માટે તત્પર છે. જ્યારે હવે એરપોર્ટ પર રન-વેની લંબાઈની સમસ્યાનું સમાધાન થતાં એર ઇન્ડિયા એક્સપ્રેસ અને સ્પાઈસજેટ માટે સુરતથી દુબઈ અને સુરતથી બેંગકોકની સીધી વિમાની સેવા શરૂ કરવાનો માર્ગ મોકળો થયો છે. આ બંને વિમાની કંપનીઓ છેલ્લા કેટલાક સમયથી સુરતથી આંતરરાષ્ટ્રીય વિમાની સેવા શરૂ કરવા માટે તત્પર હતી. તેમજ એર એશિયા દ્વારા પણ તૈયારી બતાવામાં આવી છે.