જયેશ બ્રહ્મભટ્ટ
આવતીકાલ રવિવાર તા.1લી જુલાઇ 2018ના રોજ સુરત શહેરના નીયોરીચ પરિવારોની મેમ્બરશીપ ધરાવતી સુરત ટેનિસ ક્લબની ચૂંટણીમાં કોઇ નક્કર મુદ્દા વગર બે જૂથ, પરિવર્તન પેનલ (હાલની સત્તાધારી પેનલ)ની વિરુદ્ધ નવસર્જન પેનલ વચ્ચે હાઇપ્રોફાઇલ, ખર્ચાળ ચૂંટણી જંગ ખેલાય રહ્યો છે. તપાસ કરાતા જાણવા મળ્યું કે આ ચૂંટણી સુરત ટેનિસ ક્લબને ફક્તને ફક્ત ‘અપના અડ્ડા’ બનાવવાના જંગ તરીકે ખેલાઇ રહી છે. સુરત ટેનિસ ક્લબ મોટા ભાગે પૂર્ણ સ્વરૂપે વિકસી ચૂકી છે, હવે ભવિષ્યમાં વધારાનો કોઇ વિકાસ થઇ શકે નહીં સિવાય કે ઇનહાઉસ હોસ્પિટાલિટીને વધુ ઘનિષ્ઠ કરવામાં આવે. આવી સ્થિતિમાં કોઇ ગ્રુપ પાસે એવી કોઇ નક્કર યોજના નથી કે જે સુરત ટેનિસ ક્લબની સીકલ બદલી શકે.

એવી ટેનિસ ક્લબ કે જ્યાં ટેનિસની વાત સૌથી ઓછી થતી હશે
અપના અડ્ડા કેમ
સુરત ટેનિસ ક્લબમાં જુદી જુદી એક્ટિવિટીઝ માટે આવતા સભ્યો પૈકી કેટલાક સભ્યો આખો દિવસ પડ્યા પાથર્યા રહે છે એ ત્યાં સુધી કે બપોરે 3-4 વાગ્યે આવ્યા પછી રાત્રે ક્લબ બંધ થવાના સમયે ઘરે જતા હોય છે. સુરત ટેનિસ ક્લબમાં નીયોરીચ પરિવારો માટે જાણે કોઇ ટાઇમની પાબંદી જ નથી. ગમે તે સભ્ય એક્ટિવિટીના નામે ગમે તેટલો સમય ક્લબમાં બેસી રહે છે. કેટલાક સભ્યો સુરત ટેનિસ ક્લબને એક એવી જગ્યા બનાવવા માગે છે કે જ્યાંથી પોતાની ધંધાદારી સમેતની પ્રવૃતિઓનું સંચાલન કરી શકે. આશ્ચર્યની વાત એ છે કે બેમાંથી એકેય પેનલ સભ્યો માટે સમયની પાબંદી લગાડવાના મુદ્દાને પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ સામેલ કર્યો નથી. બન્ને ગ્રુપ સગવડીયા નીતિ નિયમો બનાવીને પોતાના સભ્યો માટે સુરત ટેનિસ ક્લબ જેવી જાહેર સંસ્થાની, શહેરના પોશ વિસ્તારમાં વચ્ચોવચ પ્રાઇમ લોકેશન પર આવેલી પ્રોપર્ટીને પોતાનો અડ્ડો બનાવી શકે તેની જ લડાઇ લડી રહ્યાની અનૂભુતિ થઇ રહી છે. તા.1લી જુલાઇ 2018ની ચૂંટણી એ વાત નિયત કરી આપશે કે સુરત ટેનિસ ક્લબ કોનો અડ્ડો બનશે પરિવર્તન પેનલનો કે નવસર્જન પેનલનો.
ફિક્સીંગ બંધ થતા મામલો ચૂંટણી સુધી પહોંચ્યો
એક સમય એવો હતો કે સુરત ટેનિસ ક્લબ પૈસા-નાનાના જુગાર માટે બદનામ હતી અને ઉમરા પોલીસે એકાદ-બે વખત રેઇડ કરીને સુરત ટેનિસ ક્લબના ગોરખધંધાઓ ઉજાગર કર્યા હતા. એ પછી પ્રજ્ઞેશ જગાશેઠ એન્ડ કંપનીએ સુરત ટેનિસ ક્લબનો કારોબાર હાથમાં લીધો અને જાહેરમાં થતી કેટલીક પ્રવૃતિઓને ખાનગીમાં થાય ત્યાં સુધી સીમીત કરી દીધી હતી. જગાશેઠ એન્ડ કંપનીએ સુરત ટેનિસ ક્લબની એક્ટિવીટીઝને પ્રોપર-વેમાં લાવવામાં મહદઅંશે સફળતા મેળવી છે. પ્રજ્ઞેશ જગાશેઠ એન્ડ કંપનીએ કેટલાક મનસ્વી રીતે ચાલતા વહીવટને બંધ કરાવી દેતા કેટલાક સભ્યોના પેટમાં તેલ રેડાયું હતું. બીજી તરફ જગાશેઠ એન્ડ કંપની પર પણ વિરોધી પેનલ એવો જ આરોપ લગાડી રહી છે કે મનસ્વી રીતે કારોબાર કરે છે અને લાખો રૂપિયા મનફાવે ત્યાં વાપરી નાંખ્યા છે. પરંતુ, અહીં નવસર્જન પેનલ કોઇ સજ્જડ પુરાવાઓ રજૂ કરી શક્યા નથી. સુરત ટેનિસ ક્લબમાં નવરાત્રી હોય કે અન્ય કેટલીક પ્રવૃતિઓ, સ્પર્ધાઓમાં રીતસર ફિક્સીંગ જ ચાલતું હતું અને એ પણ વર્ષોથી ચાલતી આવી પ્રવૃતિને જગાશેઠ એન્ડ કંપનીએ બંધ કરાવી દેતા મામલો ચૂંટણી સુધી પહોંચી ગયો છે. સુરત ટેનિસ ક્લબમાં ઇગો પ્રોબ્લેમ્સ તો એટલા કે ક્લબમાં ડેઇલી આવતા મેમ્બર્સ કેટલીક પ્રવૃતિઓ ક્યાં કરવી, કોચ કોને રાખવો એ બાબતે વહીવટકર્તાઓની પણ ઉપરવટ જઇને નિર્ણય કરતા, આવા મુદ્દાઓ પર તકરાર થયાની ઘટનાઓ પણ બની ચૂકી છે.

ટેનિસ ક્લબના 70 ટકા મેમ્બર્સને ચૂંટણી સાથે કોઇ લેવા-દેવા નથી
સુરત ટેનિસ ક્લબના 70 ટકા મેમ્બર્સ એવા છે જેમને ચૂંટણી સાથે કોઇ લેવા-દેવા નથી. ખાનદાન પરિવારો સુરત ટેનિસ ક્લબ ઉપરાંત અન્ય ક્લબની પણ મેમ્બરશીપ ધરાવતા હોવાથી અહીં સુરત ટેનિસ ક્લબની ચૂંટણી સાથે તેમને કશી પણ લેવાદેવા નથી આમ છતાં તેમને ચૂંટણીમાં ઘસડવા માટે છેલ્લા 15 દિવસથી પ્રયાસો થઇ રહ્યા છે. મેમ્બર્સના ફોન પર મેસેજિસથી લઇને તેમના ઘરે જઇને વોટ માટે કેન્વાસિંગ કરવામાં આવી રહ્યું હોઇ, મોટા ભાગના મેમ્બર્સને પણ અજુગતું લાગી રહ્યું છે કે સુરત ટેનિસ ક્લબમાં પહેલી વખત ચૂંટણીનો આવા નિમ્નસ્તરનો માહોલ જોવા મળી રહ્યો છે.
વોટર્સ એટલા ખમતીધર છે કે કોઇ લાલચ કામ કરી શકે તેમ નથી
સુરત ટેનિસ ક્લબની ચૂંટણીમાં જે વોટર્સ વોટિંગ કરવાના છે એ જ એટલા ખમતીધર છે કે બન્ને જૂથ પરિવર્તન પેનલ અને નવસર્જન પેનલ માટે વોટર્સને રીઝવવા માટે કયા મુદ્દા પર લોભપ્રલોભન આપવું એ જ વિસામણ હતી. બન્ને જૂથ પૈકી એક પણ પાસે કોઇ જ મુદ્દો નથી. વોટર્સ પોતે ખાનદાન અને સાધનસંપન્ન અને ધનવાન છે, ચૂંટણીનો કોઇ મુદ્દો તેમને રિઝવી શકે તેમ નથી. એટલે હોસ્પિટાલિટી, વીઆઇપી ટ્રીટમેન્ટ સિવાય અન્ય કોઇ મુદ્દો સુરત ટેનિસ ક્લબના બહુમતિ વોટર્સને રીઝવી શકે તેમ નથી. નવસર્જન પેનલે તો હોસ્પિટાલિટીના મુદ્દા પર આપેલા ચૂંટણી વચનમાં એક એવું પણ વચન આપ્યું છે કે મેમ્બર ક્લબમાં આવે ત્યારે તેને વેલકમ ડ્રીંક અને રવિવારે બ્રેકફાસ્ટ વિનામૂલ્યે આપવાનું શરૂ કરાશે. શું સુરત ટેનિસ ક્લબના મતદારોએ વેલકમ ડ્રીંક અને રવિવારના બ્રેકફાસ્ટ માટે ચૂંટણીમાં મતદાન કરવું જોઇએ.






(પ્રતિકાત્મક તસ્વીર)


















