જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
નોટબંધી પછી કેશ લિક્વીડિટીની સમસ્યાના કારણે અને એ પછી રેરા કાયદાને કારણે રિયલ એસ્ટેટ બિઝનેસ મંદીની ગર્તામાં ધકેલાય ગયો હતો જોકે, આજકાલ સુરતના રિયલ એસ્ટેટ બિઝનેસમાં ખાસ કરીને એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ્સ એટલે કે ઇકોનોમી ક્લાસ અને મિડીયમ ક્લાસના પ્રોજેક્ટસ, ફ્લેટ્સમાં સારી એવી ઘરાકી નીકળી હોવાનો મત રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા અગ્રણીઓ જણાવી રહ્યા છે. સુરતના રિયલ એસ્ટેટ બિઝનેસની વાત કરીએ તો ફાર્મ હાઉસ, લક્ઝુરીયસ એપાર્ટમેન્ટસ, વીકએન્ડ હોમ, સ્ટુડીયો ફ્લેટ્સ વગેરે જેવા પ્રોજેક્ટસ કરનારા બિલ્ડરો પાસે ઘરાકી નથી જ્યારે વાસ્તવિક રહેવા માગતા ફેમિલી એફોર્ડેબલ હોમ્સ એટલે કે રૂ.40થી 65 લાખની રેન્જના ફ્લેટ્સની ખરીદી સારી એવી કરી રહ્યા છે.

એફોર્ડેબલ હોમમાં સારી ઘરાકી, ફાર્મ હાઉસ અને લક્ઝુરીયસ પ્રોજેક્ટ કરતા બિલ્ડરો નવરાધૂપ
રૂ.40લાખથી 65 લાખના ફ્લેટ્સના ખરીદારો
સુરતના રિયલ એસ્ટેટ માર્કેટ અંગે સી.આઇ.એ. લાઇવની ટીમે જુદા જુદા જેમકે બિલ્ડર્સ, ડેવલપર્સ, બેંક ઓફિસર્સ તેમજ મહાનગરપાલિકા તથા સુડાના અધિકારીઓ જે બાંધકામની પરવાનગી આપવા સાથે સંકળાયેલા છે તેમની સાથે હાલમાં રિયલ એસ્ટેટ ઉધોગની સ્થિતિ અંગે વાતચીત કરી એનો નિષ્કર્ષ એ આવ્યો કે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જેટલી મંદીની બૂમો પડી રહી છે તેવી સ્થિતિ નથી. એફોર્ડેબલ હાઉસિંગમાં ગ્રાહકો મળી રહ્યા છે અને રૂ.40થી 65 લાખની વચ્ચેની કિંમતના મકાનો, ફ્લેટ્સ વેચાઇ રહ્યા છે. શહેરના એક બિલ્ડરએ જણાવ્યું કે ઇકોનોમી રેન્જ નહીં કહી શકાય પણ મિડલ ક્લાસ અને લૉઅર મિડલ ક્લાસ ફ્લેટ્સ ખરીદી રહ્યા છે. ખાસ કરીને વેસુ, જહાંગીરપુરા અને પાલ એરીયામાં 50 લાખનું બજેટ હોય તેવા પ્રોજેક્ટસમાં ઘરાકી જોવા મળી રહી છે. એવી જ રીતે કતારગામ અને વરાછામાં પણ એફોર્ડેબલ હાઉસિંગમાં કોઇ મંદી જોવા મળતી નથી.
બજારમાંથી ઇન્વેસ્ટર્સ ઓછા થઇ ગયા એટલે લિક્વિડીટી મળતી બંધ થઇ
શહેરમાં જાણીતી બ્રાન્ડના ડેવલપરએ જણાવ્યું કે રિયલ એસ્ટેટ ઉદ્યોગમાંથી ઇન્વેસ્ટર્સ સાવ ઓછા થઇ ગયા છે. નોટબંધી અને એ પછી રેરાના કાયદો એવો આવ્યો છે કે ઇન્વેસ્ટર્સ કે જે અગાઉ પ્રોજેક્ટમાં ફ્લેટ, રો હાઉસ, દુકાનો કે ઓફિસોમાં બ્લેક મની રોકી રાખતા અને નફો મળે એટલે નીકળી જતા હતા એ સાવ બંધ થઇ જતા હવે બિલ્ડર્સને લિક્વિડટીનો પ્રોબ્લેમ નડી રહ્યો છે. એ સિવાય રિયલ રહેવાવાળા, વપરાશકર્તાઓ ખરીદી માટે આવી રહ્યા છે તેમાં કોઇ બે મત નથી.
ફાર્મ હાઉસ લેવાવાળા સામે પ્રોપર્ટી વળગાડવાની ઓફર કરી જાય છે
બીજી તરફ, શહેરની ફરતેના વિસ્તારોમાં ફાર્મ હાઉસીસના પ્રોજેક્ટસની ભરમાર લોંચ થઇ ચૂકી છે પરંતુ, છેલ્લા બે વર્ષથી સતત ફાર્મ હાઉસ પ્રોજેક્ટસના બિલ્ડર્સ ઘરાકીનો અભાવ સહન કરી રહ્યા છે. ફાર્મ હાઉસના પ્રોજેક્ટ રૂ.2 કરોડથી લઇને રૂ.5 કરોડ સુધીના હોઇ બજારમાં નાણાંભીડને કારણે એલીટ ક્લાસના કસ્ટમર્સ પણ આવી ખરીદીથી દૂર ભાગી રહ્યા છે. ઓલપાડ વિસ્તારમાં ફાર્મ હાઉસનો પ્રોજેક્ટ ધરાવતા એક બિલ્ડરે કહ્યું ફાર્મ હાઉસ ખરીદવા માટે અઠવાડીયે એકલ દોકલ લોકો આવે છે અને એ પણ હવાલામાં કે બદલામાં મિલકત ઓફર કરી રહ્યા છે. શહેર ફરતેના મોટા ભાગના ફાર્મ હાઉસીસના પ્રોજેક્ટમાં આવી સ્થિતિનું નિર્માણ થયું છે.
લક્ઝુરીયસ ફ્લેટ્સ બિલ્ડરોનું બ્લડ પ્રેશર વધારી રહ્યા છે
શહેરમાં જ્યારે તેજીનો માહોલ હતો ત્યારે 3-3 કરોડમાં પણ ફ્લેટો વેચાયા હતા. આવી સ્થિતિમાં એ સમયે નોટબંધી ન હતી કે રેરા પણ ન હતું. પરંતુ, છેલ્લા બે વર્ષમાં પરિસ્થિતિ બદલાઇ જતા, હાલમાં દોઢ કરોડથી ઉપરની કિંમત ધરાવતા ફ્લેટોનું વેચાણ સાવ મંદ થઇ જવા પામ્યું છે. વેસુ વિસ્તારમાં લક્ઝરીયસ પ્રોજેક્ટ માટે દલાલી કરતા એક વ્યક્તિએ જણાવ્યું કે હાલમાં ગ્રાહકો સ્પેશિફિક બજેટ લઇને આવે છે, રીયલ રહેવાવાળા માટે એક કરોડનું બજેટ પણ મોટું થઇ પડે છે. મોટા ભાગના લક્ઝરીયસ પ્રોજેક્ટના ફ્લેટસ ખાલી પડી રહ્યા છે અને તેનું મેઇન્ટેનન્સ કરવું હવે બિલ્ડરો માટે માથાનો દુખાવો બની રહ્યું છે.