CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 46 of 79 - CIA Live

December 11, 2019
sumul_dairy.jpg
1min5310

સુરત જિલ્લાની સુમુલ ડેરી દ્વારા સુમુલ ગોલ્ડ અને તાજા દૂધમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જે કાલ ૧૧ ડિસેમ્બરથી અમલમાં આવશે. જેના પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાતાં ચિંતિત બની હતી.

સુરત શહેરમાં રોજ ૯ લાખ લિટર જેટલું દૂધનું વેચાણ થાય છે જેમાં સુમુલ ગોલ્ડ અને સુમુલ તાજા દૂધની માંગ વધુ રહે છે. સુમુલ ડેરીના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ચોમાસુ છ મહિના ચાલતા ઘાસચારાની તંગી ઊભી થઈ છે. સાથે દૂધની પણ અછત જોવા મળી રહી છે. જેને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. રો-મટિરિયલ્સ અને પશુપાલકોની માગને ધ્યાનમાં રાખીની સુમુલ દ્વારા દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જેમાં સુમુલ ગોલ્ડનો લિટરનો હાલનો ભાવ ૫૬ રૂપિયા છે. જેમાં બે રૂપિયાનો વધારો કરી ૫૮ રૂપિયામાં મળશે. જ્યારે સુમુલ તાજાની હાલના ભાવ ૪૪ રૂપિયામાં ૨ રૂપિયાનો વધારો કરી ૪૬ રૂપિયામાં મળશે. દૂધના ભાવ વધારાને લઈ શહેરના લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

December 9, 2019
marriage_season.jpg
1min6190

ડિસેમ્બર 16થી કમૂરતા બેસી રહ્યા છે, ડિસેમ્બરનું છેલ્લું શુભ મૂહૂર્ત 12મી નું છે

ગુજરાતમાં ખાસ કરીને દિવાળી બાદ દેવ ઉઠી એકાદશથી ઉતરાયણ સુધીના સમયગાળામાં લગ્નોત્સવની મોસમ દર વર્ષે જામતી હોય છે પણ આ વખતે તો 12મી ડિસેમ્બર 2019નો દિવસ જાણે ગુજરાતમાં મેરેજ ડે તરીકે ઉજવાશે. આગામી ગુુરુવારને તા. ૧૨ ડિસેમ્બરે લગ્નના શ્રેષ્ઠ મુહૂર્ત હોવાથી આ એક જ દિવસમાં એકલા ગુજરાતમાં હજારો નવ યુગલો લગ્નના તાંતણે બંધાશે, કારણે કે લગ્નની પહેલી સીઝનનું આ છેલ્લું મુહૂર્ત માનવામાં આવે છે.

વાડીઓ, પાર્ટી પ્લોટ્સ બુક્ડ, ભોજન સમારોહની ભરમાર, માર્ગો વરઘોડા અને જાનૈયાઓથી ઉભરાશે

આ વર્ષે ડિસેમ્બર મહિનામાં લગ્નનાં માત્ર છ મુહૂર્ત છે, જેમાંથી ડિસેમ્બર મહિનામાં સૌથી વધુ લગ્ન ૧૨ ડિસેમ્બરે છે, કારણ કે ત્યાર પછી કોઈ મુહૂર્ત નથી અને ૧૬ ડિસેમ્બરથી કમુરતાં બેસે છે. આ દિવસે અંકશાસ્ત્ર મુજબ દિનાંક, માસાંક અને વર્ષાંકનો અંક ૩ થાય છે, જે અંક ગુરુગ્રહનો ગણાય છે, જેનો ભાગ્યાંક ૯ થાય છે. તે મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે.

લગ્ન જેવા શુભ પ્રસંગમાં આ બંને ગ્રહો ખૂબ જ મહત્ત્વના હોવાથી આવા દિવસે લગ્નો સંપન્ન થશે.

સૂરત શહેરમાં આખા રાજ્યમાં સૌથી વધુ લગ્નોત્સવ તા.12મી ડિસેમ્બરના રોજ યોજાશે. સૂરતમાં લગ્નોત્સવ માટે વાડીઓ કે પાર્ટી પ્લોટ્સ તા.12મી ડિસેમ્બરે બુક્ડ થઇ ચૂક્યા છે. એવી જ રીતે લગ્નની સીઝન શરૂ થતાં બેન્ડવાજા, ડેકોરેશન, બ્યુટીપાર્લર, કેટરિંગના ભાવમાં પણ વધારો થઈ જતો હોય છે. આ વર્ષે પણ લગ્નગાળામાં લગ્ન સંબંધિત વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ૧૨મી ડિસેમ્બરે એનઆરઆઈ યુગલોનાં શહેરમાં વિવિધ જગ્યાએ લગ્ન યોજાશે. આ ઉપરાંત વિવિધ સમાજના સમૂહ લગ્નોનું પણ શહેરમાં અલગ અલગ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

November 28, 2019
satis_kumbhani.jpg
1min7110

બીટકનેક્ટ કૌભાંડમાં અનેક રોકાણકારોનાં નાણાં સલવાયા બાદ સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપવામાં આવી હતી. સુરત સીઆઈડી ક્રાઈમે ઝડપથી કેસની ગુત્થી ઉકેલીને એક પછી એક આરોપીને પાંજરે પૂર્યા છે. બીટ કનેક્ટ કૌભાંડના મુખ્ય આરોપી સતીષ કુંભાણીની રૂા. 70 કરોડની આસપાસની મિલકતો અધિકારીઓએ રીકવરી અર્થે સીઝ કરી હોવાની વિગતો સાંપડી છે. બીજી તરફ કૌભાંડનાં સૂત્રધાર ધવલ માવાણીની જામીન અરજીનો ફેંસલો પણ ઝડપથી આવશે.

સુરત સીઆઈડી ક્રાઈમે બીટ કનેક્ટ કૌંભાડમાં એકથી વધુની ધરપકડ કરી છે. સતીષ કુંભાણી, ધવલ માવાણી, સુરેશ ગોરસિયા સહિતનાઓ પાસેથી સીઆઈડી ક્રાઈમે મહત્વની વિગતો મેળવી છે. ધવલ માવાણી અને સુરેશ ગોરસિયાએ જામીન મેળવવા માટે ઉધામા નાખ્યા છે. સુરેશ ગોરસિયાના જામીન સુરત સેશન્સ કોર્ટમાંથી રદ થયા છે. બન્ને આરોપીએ હાઈકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી છે. તેમજ આરોપી સતીષ કુંભાણીએ પણ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. જેની સુનાવણી 29મીએ આવશે.

બીટકનેકટ કૌભાંડમાં સુરત સીઆઈડી ક્રાઈમે ઠેક-ઠેકાણે દરોડા પાડી મિલકતોને સીઝ કરવાની કાર્યવાહી આરંભી છે. શરૂઆતમાં દિવ્યેશ દરજી સીઆઈડીની જાળમાં આવ્યા બાદ સતીષ કુંભાણીની ધરપકડ કરવામાં આવી હતી. બન્ને સામે આવકવેરા વિભાગે તપાસનો દૌર શરૂ કર્યો છે. બન્નેને આવકવેરા વિભાગે તરફથી નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સીઆઈડી ક્રાઈમે ફરિયાદનાં આધારે નાણા ગુમાવનારાઓને નાણા મળી રહે તે માટે રીકવરી અર્થે આરોપીઓની મિલકતોને સીઝ કરવાની કામગીરી થોડો સમય અગાઉથી આરંભી દીધી છે. હાલમાં જ સીઆઈડી ક્રાઈમે સતીષ કુંભાણીની અંદાજે રૂા. 70 કરોડની મિલકતો સીઝ કરી છે. સીઆઈડી ક્રાઈમે કેટલાં મકાન, ફાર્મ હાઉસ સીઝ કર્યા છે તે જાણવા મળ્યું નથી.

November 21, 2019
CIA_Live_Logo_New2.jpg
2min16380

સમર્થન ગ્રુપની આવકારદાયી પહેલ : સૂરતના ભૂલકાઓ શાળામાં નિયમિત અંતરાલે પાણી પીશે

સૂરતની 50 શાળાઓ અને 50,000 વિદ્યાર્થીઓથી સમર્થન ગ્રુપનું વોટર બ્રેક અભિયાન 1લી ડિસેમ્‍બરથી શરૂ થશે, ગુજરાતની કોઇપણ પ્રાથમિક શાળા સરળતાથી વોટર બ્રેક અભિયાનમાં જોડાઇ શકે

સૂરત શહેર જિલ્લાની શાળાઓ ખાસ કરીને પ્રાથમિક શાળાોના બાળકો વોટર બ્રેક અભિયાન અન્વયે સ્કુલ સમયગાળામાં નિયમિત રીતે પાણી પીએ એ માટે સૂરતના જાણીતા આંખના સર્જન ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ, ઉધના વિસ્તારના ખ્યાતિ પ્રાપ્ત તબીબ અને યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર ડો. કશ્યપ ખરચીયા, અમરોલી કોલેજના આચાર્યશ્રી ડો. કે.એન. ચાવડા, ડો. વિપુલ ચૌધરી સમેત અન્ય આગેવાનોએ જણાવ્યું હતું કે સકારાત્‍મક સામાજિક હિતના જતન, સંર્વધન માટે કાર્ય કરતા સૂરતના એન.જી.ઓ. સમર્થન ગ્રુપ દ્વારા પ્રાથમિક શાળાઓના ભૂલકાઓના વિશાળ સ્‍વાસ્‍થય હિતમાં વોટર બ્રેક અભિયાનના સ્‍વરૂપમાં એક રાજ્‍યવ્‍યાપી ઝુંબેશ તા.1લી ડિસેમ્‍બર 2019થી શરૂ કરવામાં આવી રહી છે.

આપ સૌ જાણો જ છો કે માનવીય શરીરની રચનામાં પાણીનું ભારણ 60 ટકાથી વધુ હોવું જોઇએ, હવા પછી માનવીય શરીર માટે સૌથી અનિવાર્ય પરીબળ પાણી જ છે. આપ એ પણ જાણો છે કે નાના બાળકોમાં નિયમિત રીતે પાણી પીવા બાબતે એકયા બીજા કારણોસર ઉદાશીનતા જોવા મળે છે. મોટા ભાગની માતાઓની ફરીયાદ હોય છે કે બાળક શાળાએ જાય ત્‍યારે વોટરબેગ-વોટર બોટલમાં પાણી ભરીને લઇ તો જાય છે પણ શાળામાં ખૂબ ઓછું પાણી પીતા હોય છે અને મોટા ભાગે પાણી ભરેલી વોટરબેગ-વોટર બોટલ એઝ ઇટ ઇઝ પરત આવે છે. પ્રાથમિક શાળાના બાળકોના શારીરીક ઘડતર માટે પાણી ખૂબ ઉપયોગી કમ્‍પોનન્‍ટ છે અને ગુજરાતના બાળકો ખાસ કરીને પ્રાથમિક શાળાના બાળકો નિયમિત અંતરાલે પાણી પીતા થાય એ ખૂબ જરૂરી છે. અને એ માટે જ સૂરતના સમર્થન ગ્રુપ દ્વારા ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં વોટરબ્રેક અભિયાન હાથ ધર્યું છે.

બાળકો વિશાળ સ્‍વાસ્‍થય હિતમાં પ્રાથમિક શાળાઓને વોટર બ્રેક અભિયાનમાં જોડાવા સૂરતના સમર્થન ગ્રુપની અપીલ

સમર્થન ગ્રુપ દ્વારા વોટર બ્રેક અભિયાન માટે એક્‍સપર્ટ ડોક્‍ટર્સની પેનલનું ગાઇડન્‍સ લેવાયું

પાણી માનવ જીવનની સાથે બાળકો માટે કેટલું જરૂરી છે અને વોટર બ્રેક બાળકો માટે કેટલું અનિવાર્ય છે એ વિષયે મેડીકલ સેન્‍સ મેળવવા માટે સમર્થન ગ્રુપ દ્વારા એક્‍સપર્ટ ડોક્‍ટર્સની એક પેનલ બનાવીને તેમની પાસેથી સેન્‍સ ઇમ્‍પોર્ટન્‍સ ઓફ વોટર વિષયે સેન્‍સ મેળવાયો છે. (જેની કોપી આ સાથે સામેલ છે) સમર્થન ગ્રુપની વોટર બ્રેક ડોક્‍ટર્સ પેનલમાં ડો.ફાગુન શાહ (પિડીયાટ્રીક નેફ્રોલોજીસ્‍ટ) ડો. કનકસિંહ સૂરમા (સિનિયર પિડીયાટ્રીશ્‍યન) અને ડો. ધનેશ વૈદ્ય (સિનિયર નેફ્રોલોજીસ્‍ટ)નો સમાવેશ થાય છે.

કેવી રીતે કામ કરશે વોટર બ્રેક અભિયાન?

શાળાઓમાં વોટર બ્રેક અભિયાન શરૂ કરાવવું સાવ સરળ છે. બાળકોને દર બે તાસને અંતે ત્રીજો તાસ શરૂ થાય ત્‍યારે જે તે વિષય શિક્ષક વર્ગખંડમાં પહોંચે એટલે પહેલું કામ વિદ્યાર્થીઓને પાણી પીવાનું યાદ દેવડાવશે અને બાળકોને 30થી 45 સેકન્‍ડનો સમય પાણી પીવા માટે આપશે. એ પછી શિક્ષક અભ્‍યાસ કાર્યનો આરંભ કરશે. બસ આ પ્રકારે શાળામાં બાળક સાડાચાર-પાંચ કલાકમાં ઓછામાં ઓછું 500થી 750 મિ.લિ. પાણી ઇન્‍ટેક કરી શકશે જે તેમના સ્‍વાસ્‍થય માટે ખૂબ જ લાભપ્રદ બની રહેશે.

સૂરતની 50 શાળાઓ અને 50,000 વિદ્યાર્થીઓ સાથે શરૂ થઇ રહ્યું છે વોટર બ્રેક અભિયાન

સમર્થન ગ્રુપ દ્વારા વોટર બ્રેક અભિયાનના અમલ માટે જુદી જુદી શાળાઓના મેનેજમેન્‍ટ, આચાર્યો સાથે વાતચીત કરવામાં આવી હતી અને તેમાંથી સમગ્ર સૂરત શહેર-જિલ્લા વિસ્‍તાર મળીને કુલ 50થી વધુ શાળાઓના 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે તા.1લી ડિસેમ્‍બર 2019થી વોટર બ્રેક અભિયાનનો આરંભ થઇ રહ્યો છે.

કોઇપણ શાળા સરળતાથી વોટર બ્રેક અભિયાન શરૂ કરી શકે

વોટર બ્રેક અભિયાન એ સમર્થન ગ્રુપની પહેલ છે અને કોઇપણ પ્રાથમિક શાળા આ અભિયાનમાં સરળતાથી જોડાઇ શકે. શાળાઓ સમર્થન ગ્રુપની સાથે જોડાઇને પણ વોટર બ્રેક અભિયાનમાં જોડાઇ શકે. અને નહીં જોડાઇને પણ પોતાના બાળકોને વોટર બ્રેકનો સમય આપીને શાળાકીય સમય દરમિયાન બાળકોને પાણી પીવડાવવાનું યાદ દેવડાવે તો બાળકોના સ્‍વાસ્‍થય હિતમાં એ સૌથી પૂણ્‍યશાળી કાર્ય બનશે.

સમર્થન ગ્રુપના વોટર બ્રેક અભિયાનમાં જોડાવા માટે સંપર્ક નં. 94295 07197

વોટર બ્રેક અભિયાનને કેવી રીતે રાજ્‍યવ્‍યાપી બનાવાશે

1. સૂરતમાં નગર પ્રાથમિક શિક્ષમ સમિતિ, જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ ખાનગી પ્રાથમિક શાળા સંચાલક મંડળ એસોસીએશન્‍સ વગેરેને વોટર બ્રેક અભિયાન શરૂ કરવા રજૂઆત કરાશે.

2. રાજ્‍યના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમા તેમજ અન્‍ય સરકારી ઉચ્‍ચાધિકારીઓથી લઇને સ્‍થાનિક જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સુધીના અધિકારીઓને વોટર બ્રેક અભિયાનથી માહિતગાર કરીને તેમનું સમર્થન મેળવવા પ્રયાસ કરવામાં આવશે.

3. રાજ્‍યના દરેક જિલ્લામાં સમર્થન ગ્રુપ દ્વારા વોટર બ્રેક અભિયાન માટે વોલ્‍યુન્‍ટીયર્સ, એન.જી.ઓ. સાથે જોડાણ કરાશે

4. સોશ્‍યલ મિડીયા પર #waterbreak #Samarthanwaterbreak #WBA #waterbreakabhiyan થી ડ્રાઇવ ચલાવીને સમગ્ર દેશ-દુનિયામાં વોટર બ્રેક અભિયાનનો વ્‍યાપ વિસ્‍તાર વધારવામાં આવશે.

અભિયાનમાં જોડાવા માટે અહીં ક્લીક કરો

http://bit.ly/2OpL4u8

November 19, 2019
CIA_hanuman_chalisa_pathan1.jpg
1min10240

સૂરતના પાલ સ્થિત અન્નપૂર્ણા મંદિરમાં રચાઇ રહ્યો છે સવા લાખ સકિર્તન હનુમાન ચાલીસા પઠનનો ઇતિહાસ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સૂરત શહેરમાં આજે રામ-રહીમ એક છે, ઇશ્વર-અલ્લાહ એક સમાન છે ને ચરિચાર્થ કરતી એક વિરલ ઘટના સૂરતના પવિત્ર યાત્રાધામ તરીકે વિકસી રહેલા પાલ પાટીયા સ્થિત અન્નપૂર્ણા માતાજી મંદિર અને સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર સંકુલમાં આકાર પામી રહી છે. અહીં આજે કાલ ભૈરવ જયંતિ પર્વે વિશ્વ શાંતિ હેતુ સવા લાખ હનુમાન ચાલીસા સકિર્તન પાઠ યોજાઇ રહ્યા છે અને સોનામાં સુગંધ ભળે એમ મુસ્લિમ છાત્રો પણ હોંશે હોંશે આ સકિર્તન હનુમાન ચાલીસાનું પઠન કરી રહ્યા છે.

પાલ પાટીયા સ્થિત હનુમાન ચાલીસા મંદિર સંકુલ ખાતે બપોરે 4 વાગ્યે શરૂ થયેલા સવાલાખ હનુમાન ચાલીસા સકીર્તન પાઠમાં 300 ભાવિક ભક્તજનોએ ભાગ લીધો છે. પ્રી રજિસ્ટ્રેશન પ્રક્રીયા ચાલી રહી હતી ત્યારે કુલ 7 છાત્રોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.આ પૈકી આજે આ લખાઇ રહ્યું છે ત્યારે અન્નપૂર્ણા મંદિર સંકુલમાં 3 મુસ્લિમ છાત્રો હનુમાન ચાલીસાનું પઠન કરી રહ્યા છે.

તા.19મી નવેમ્બર 2019ના રોજ સૂરતના પાલ પાટીયા સ્થિત અન્નપૂર્ણા મંદિર સંકુલમાં યોજાયેલા સવા લાખ સકિર્તન હનુમાન ચાલીસા પઠન કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયેલા મુસ્લિમ છાત્રો સાથે મંદિર સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નીતિન મહેતા દ્રશ્યમાન છે. CIA Live News.

સવા લાખ સકિર્તન હનુમાન ચાલીસા પઠન કાર્યક્રમના આયોજક અને અન્નપૂર્ણા માતાજી મંદિર ટ્રસ્ટના મે.ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે 300 ભાવિકો આજે 4 વાગ્યાથી સવાલાખ હનુમાન ચાલીસનું પઠન શરુ કર્યું છે. અમે જ્યારે રજિસ્ટ્રેશન કરવાનું શરૂ કરાવ્યું ત્યારે મુરબ્બી સ્વ. શ્રી શંભુભાઇ પટેલ દ્વારા સ્થાપિત સૂરત એજ્યુકેશન સોસાયટી સંચાલિત સૂરતના સુમુલડેરી રોડ પર આવેલી આઇ.સી. ગાંધી સ્કુલમાં ધો.10-12માં અભ્યાસ કરતા 7 મુસ્લિમ વિદ્યાર્થીઓએ પણ નામો નોંધાવ્યા હતા.

શ્રી મહેતાએ ઉમેર્યું કે અમે મુસ્લિમ છાત્રો અને તેમના પરિવારજનોને આ અંગે ઘનિષ્ઠતાથી વાત કરી હતી. તેમણે કહ્યું કે બાળકો શાળામાં પણ નિયમિત રીતે હનુમાન ચાલીસા પઠન કે અન્ય ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લે છે અને તેમના માતા પિતાએ તેમાં સંમતિ આપી હતી. મુસ્લિમ છાત્રોનું કહેવું છે કે ઇશ્વર અલ્લાહ એક જ છે. હનુમાન ચાલીસા પઠન કરવાની મક્કમ મનોબળ બને છે અમે એની અનુભૂતિ કરી રહ્યા છીએ.

કુલી ભાઇઓ પણ હોંશભેર હનુમાન ચાલીસા ગાઇ રહ્યા છે

સૂરત રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા કુલીભાઈઓ પણ સામૂહિક હનુમાન ચાલીસા પઠન કાર્યક્રમમાં હોંશભેર જોડાયા છે. પોતાના પરીધાનમાં સજ્જ કુલીઓને સવાલાખ હનુમાન ચાલીસા મંત્ર પઠન અંગે માહિતી મળી એટલે તેમણે સામૂહિક રીતે આ કાર્યક્રમમાં જોડાવાનો નિશ્ચય કર્યો હતો.

અગાઉ અમે આ અહેવાલ પ્રકાશિત કર્યો હતો

November 19, 2019
CIAlive_BGDC_3.jpg
2min16440

કોમન સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ ઇન ફેમિલી પ્રેક્ટીસ પર પદ્મશ્રી ડૉ. પ્રકાશ કોઠારીનું ઇન્ફર્મેટીવ સેશન

Jayesh Brahmbhatt 98253 44944

વ્યાવસાયિકો, ધંધાર્થીઓ આખું અઠવાડીયું વ્યસ્તતામાં વિતાવતા હોય છે અને જ્યારે વીકએન્ડ આવે અને શનિવારની સાંજ પડે એટલે 36 કલાક માટે કામકાજ બંધ અને ફક્ત રેસ્ટીંગ-રિલેક્સીંગ શરૂ કરી દેતા હોય છે. પણ સૂરતના ભટાર-ઘોડદોડ રોડના તબીબોએ ગયો રવિવાર પોતાના નોલેજ અપગ્રેડેશનમાં વિતાવીને અન્ય પ્રોફેશનલ્સ માટે પ્રેરણાદાયી દાખલો પૂરો પાડ્યો છે.

ભટાર-ઘોડદોડ રોડ ડોક્ટર્સ ક્લબ દ્વારા તેમના મેમ્બર તબીબો માટે રવિવાર તા.17મી નવેમ્બર 2019ના રોજ અવધ યુટોપીયા ખાતે BGDC.CON નોલેજ ગેઇનિંગ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું દીપ પ્રગટાવીને ઉદઘાટન કરી રહેલા મહાનુભાવોમાં પદ્મશ્રી ડો. પ્રકાશ કોઠારી, શહેરના જાણીતા આંખના સર્જન ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ, ડો.ધનેશ વૈદ્ય, ડો.કશ્યપ ખરચીયા જેઓ કોન્ફરનન્સના ચેરમેન તરીકે ફરજ નિભાવી હતી, સાથે અન્ય મહાનુભાવો દ્રશ્યમાન છે. CIA Live News, Surat

સૂરતના ભટાર-ઘોડદોડ ડોક્ટર્સ એસોસીએશનના સભ્યોએ ગયા રવિવાર તા.17મી નવેમ્બર 2019ના રોજ રવિવારે રજાનો આખો દિવસ તેમના નોલેજ અપગ્રેડેશનમાં કાઢ્યો હતો. ભટાર-ઘોડદોડ ડોક્ટર્સ એસોસીએશનની ટીમે શ્રી ડો. કશ્યપ ખરચીયાની ચેરમેનશીપ હેઠળ ભારતના વિખ્યાત પદ્મશ્રી ડો. પ્રકાશ કોઠારી સમેત 11 એક એકથી ચઢીયાતા ડોક્ટર સ્પીકર્સના સેશન્સ રવિવારે તા.17મીએ અવધ ઉટોપીયા ખાતે રાખ્યા હતા. સવારે 9થી સાંજે 7 સુધી ઘોડદોડ-ભટાર ડોક્ટર્સ એસોસીએશનના સભ્યોએ શિસ્તબદ્ધ રીતે તમામ સેશન્સમાં હાજરી આપીને નોલેજ ગેઇન કર્યું હતું.

ભટાર-ઘોડદોડ રોડ ડોક્ટર્સ ક્લબ દ્વારા તેમના મેમ્બર તબીબો માટે રવિવાર તા.17મી નવેમ્બર 2019ના રોજ અવધ યુટોપીયા ખાતે BGDC.CON નોલેજ ગેઇનિંગ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગેસ્ટ લેક્ચર પદ્મશ્રી ડો. પ્રકાશ કોઠારી સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ ઇન ફેમિલી લાઇફ વિષય પર ભટાર ઘોડદોડ રોડના તબીબો માટે ખાસ માહિતીસભર પેશકશ કરી હતી. CIA Live News, Surat

ભટાર-ઘોડદોડ ડોક્ટર્સ એસોસીએશનના પ્રમુખ ડો. હેતલ યાજ્ઞિક, સેક્રેટરી ડો. રોનક નાગોરીયા, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડો. આલોક શાહ, એડવાઇઝર ડો. રજનિકાંત દવે, ડો. સંજીવ વ્યાસ, ડો.પ્રદીપ દેસાઇ તેમજ તેમની સમગ્ર ટીમે ભટાર-ઘોડદોડ રોડ ડોક્ટર્સ એસોસીએશનના મેમ્બર માટે આ નોલેજ ગેઇનિંગ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં ગેસ્ટ લેક્ચરર પદ્મશ્રી ડો.પ્રકાશ કોઠારી ઉપરાંત અતિથિ વિશેષ તરીકે શહેરના જાણીતા આંખના સર્જન ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ તેમજ ડો. ધનેશ વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા.

ભટાર-ઘોડદોડ ડોક્ટર્સ એસોશીએશન છેલ્લા 18 વર્ષથી પોતાના મેમ્બર ડોક્ટર્સ માટે આ પ્રકારના નોલેજ ગેઇનિંગ સેસન્શનું આયોજન કરે છે. સૂરતના જાણિતા તબીબ ડો.અશોક સૂર્યવંશી તેમજ ડો. સમસુદ્દીન વિરાણીએ આ કોન્ફરન્સને સફળ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

તદુપરાંત ડો.પ્રથમેશ કુલકર્ણી, ડો.અંકુર ગર્ગ, ડો.ગોપાલ રાવલ, ડો.સંજય દુધાત, ડો.હેમિશ પટેલ, ડો. અર્ચના શેટ્ટી, ડો. હિમાશું રોહેલ્લા, ડો.આર. શેખર, ડો. નિશિલ શાહે પોતપોતાના વિષયો પર માહિતીસભર વક્તવ્યો આપીને સાથી તબીબ મિત્રો સાથે નોલેજ શેરીંગ કર્યું હતું.

ભટાર-ઘોડદોડ રોડ ડોક્ટર્સ ક્લબ દ્વારા તેમના મેમ્બર તબીબો માટે રવિવાર તા.17મી નવેમ્બર 2019ના રોજ અવધ યુટોપીયા ખાતે BGDC.CON નોલેજ ગેઇનિંગ સેશન્સના સફળ આયોજકોની ટીમ અને ડો. પ્રકાશ કોઠારી સાથેની યાદગાર તસ્વીર. CIA Live News, Surat

ડો.રાજેશ ડુંગરાણી, ડો.રિન્કી શાહ, ડો.પ્રશાંત નાયક તેમજ ડો. કોમલ પરીખે અનુક્રમે પહેલા સેશન અને બીજા સેશનમાં માસ્ટર ઓફ સેરેમની તરીકે ભૂમિકા અદા કરી હતી.

November 16, 2019
CIAlive_surat_BJP5-1280x853.jpg
1min5590

રાફેલના મુદ્દે રાહુલ ગાંધી દેશની માફી માગે : સૂરત ભાજપ

ભારતીય જનતા પાર્ટી, સૂરત મહાનગર દ્વારા આજરોજ તા.16મી નવેમ્બર 2019 ને શનિવારે રાફેલના મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને આપવામાં આવેલી ક્લીન ચીટના સમર્થનમાં અને રાફેલના મુદ્દે એન.ડી.એ. સરકાર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પર એલફેલ આક્ષેપો કરનાર કોંગ્રેસના તત્કાલિન પ્રમુખ રાહુલ ગાંધી જાહેરમાં દેશની માફી માગે એવી માગણી સાથે પ્રતિક ધરણા તેમજ દેખાવો યોજવામાં આવ્યા હતા.

ભાજપા, સૂરત મહાનગર દ્વારા આજે તા.16મી નવેમ્બર 2019ના રોજ રાફેલના મુદ્દે કોંગ્રેસ દ્વારા ચલાવાયેલા જુઠ્ઠાણા સામે દેખાવો યોજીને કોંગ્રેસના રાહુલ ગાંધી દેશની અને વડાપ્રધાન શ્રી મોદીની જાહેર માફી માગે તેવી માગ કરીને પ્રતિક ધરણા યોજ્યા હતા. CIA Live News, Surat

સૂરત ભાજપા મહાનગરના પ્રમુખ શ્રી નીતિન ભજીયાવાળાના નેતૃત્વમાં ભાજપાના દેખાવોમાં મોટી સંખ્યામાં કાર્યકરો, નેતાઓ, કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદો વગેરે જોડાયા હતા.

ભાજપા, સૂરત મહાનગરના પ્રમુખ શ્રી નીતિનભાઇ ભજીયાવાલાએ રાફેલના મુદ્દે કોંગ્રેસના જુઠ્ઠાણાનો પર્દાફાશ લખેલા પ્લેકાર્ડ સાથે પ્રતિક ધરણામાં બેઠા હતા એ વેળા લેવાયેલી તસ્વીર CIA Live News, Surat
ભાજપા, સૂરત મહાનગર દ્વારા આજે તા.16મી નવેમ્બર 2019ના રોજ રાફેલના મુદ્દે કોંગ્રેસ દ્વારા ચલાવાયેલા જુઠ્ઠાણા સામે દેખાવો યોજીને કોંગ્રેસના રાહુલ ગાંધી દેશની અને વડાપ્રધાન શ્રી મોદીની જાહેર માફી માગે તેવી માગ કરીને પ્રતિક ધરણા યોજ્યા હતા. CIA Live News, Surat

ભાજપાના આ કાર્યક્રમમાં ભાજપાના કાર્યકરો, નેતાઓ ઉપરાંત મહિલા ભાજપા, યુવા ભાજપ સમેત અને મોરચા, સેલના આગેવાનો, પદાધિકારીઓ, મ્યુનિસિપલ પદાધિકારીઓ પણ જોડાયા હતા.

દરમિયાન ભાજપાના નેતાએ જણાવ્યું હતું કે રાફેલ ડિલના મુદ્દે એ સમયે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી અને અન્ય નેતાઓએ રજનું ગજ કરીને વડાપ્રધાન શ્રી મોદી તેમજ કેન્દ્ર સરકાર પર એલફેલ આક્ષેપો કર્યા હતા. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પીટીશનો કરી હતી. પણ છેવટે સુપ્રીમ કોર્ટે આ મામલે વડાપ્રધાન શ્રી મોદી અને કેન્દ્ર સરકારને ક્લીન ચીટ આપીને કોંગ્રેસની હવા કાઢી નાંખી છે. હવે ભાજપાની માગણી છે કે રાહુલ ગાંધીએ દેશની અને વડાપ્રધાન શ્રી મોદીની જાહેર માફી માગવી જોઇએ.

November 15, 2019
jay_hanuman.jpg
2min20100

સૂરતના પાલ સ્થિત અન્નપૂર્ણા માતાજી મંદિર સંકુલમાં ગુજરાતભરના ભાવિકો આવશે

સૂરતા આર.ટી.ઓ. પાલની બાજુમાં આવેલા અન્નપૂર્ણાસંમાતાજી મંદિર ખાતે આગામી તા.19મી નવેમ્બર 2019ના રોજ કાલ ભૈરવ જયંતિએ સવા લાખ હનુમાન ચાલીસા પઠનનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. અન્નપૂર્ણા માતાજી મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નીતિન મહેતાએ જણાવ્યું કે વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી નીતિન મહેતાએ ઉમેર્યું કે સવા લાખ હનુમાન ચાલીસાનું સામૂહિક પઠન સંકિર્તન પરિવાર સંસ્થા દ્વારા તેમની આગવી શૈલીમાં કરાવવામાં આવશે.

સૂરતમાં સવા લાખ હનુમાન ચાલીસાનું સંકિર્તન સામૂહિક પઠન થઇ રહ્યાનું આ પ્રથમ આયોજન છે, આ કાર્યક્રમમાં સૂરત ઉપરાંત સમસ્ત દક્ષિણ ગુજરાત, વડોદરા, અમદાવાદ અને સૌરાષ્ટ્રથી ભાવિકો ઉપસ્થિત રહેવાના હોઇ, અન્નપૂર્ણા મંદિર સંકુલમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

પાલ પાટીયા સ્થિત અન્નપૂર્ણા મંદિર સંકુલમાં યોજનારા આ કાર્યક્રમને લાભ મહત્તમ લોકોને મળે, મહત્તમ ભક્તજનો સવા લાખ હનુમાન ચાલીસા સામૂહિક પઠનના સાક્ષી બને તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને વ્યવસ્થા સુપેરે પાર પડે એ માટે અગાઉથી સંપર્ક કરવા માટે જણાવાયું છે. નીચે મુજબના નંબરો પર કોઇપણ પ્રકારની માહિતીની આપ-લે કરી શકાશે.

સામૂહિક પઠનમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત

અન્નપૂર્ણા માતાજી મંદિર ટ્રસ્ટના મે. ટ્રસ્ટી શ્રી નીતિનભાઇએ જણાવ્યું હતું કે સવા લાખ હનુમાન ચાલીસા પઠનમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. એના વગર કાર્યક્રમમાં ભાગ લઇ શકાશે નહીં. તમામની વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી પૂર્વ રજિસ્ટ્રેશનનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. જેમણે હનુમાન ચાલીસા સામૂહિક પઠનમાં ભાગ લેવો હોય તેમણે મોડામાં મોડુ રવિવાર તા.16મી નવેમ્બર 2019 સુધીમાં પાલ પાટીયા સ્થિત અન્નપૂર્ણા માતાજી મંદિર સંકુલ ખાતે નિર્ધારિત ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. મહત્તમ 3000 હજાર ભાવિકો જ સવા લાખ હનુમાન ચાલીસા પઠન કાર્યક્રમમાં સામેલ થઇ શકશે.

માહિતી માટેના સંપર્ક નંબરો

  • 99131-97252
  • 98252-58380
  • 97261-56339
  • 99130-88252
  • 94278-33877

શ્રમ સહયોગ

  • શ્રી ગણેશ પરિવાર
  • શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, રાજ્ય કક્ષા
  • શ્રી સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળા, સૂરત
  • શ્રી દત્તાત્રેય ચેરીટેબલ ટ્રસ્ટ
  • શ્રી બ્રહ્મસમાજ દક્ષિણ ગુજરાત તેમજ અન્ય સેવાકીય સંસ્થાઓ

November 10, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5280

લખનઉ, ગુવાહાતી અને થિરુવનંતપૂરમ ત્રણ નવા વેન્યૂ પર IPL મેચ યોજાશે

આઈપીએલમાં નવી ટીમો સામેલ કરવા માટે 2021ની સીઝન સુધી રાહ જોવી પડશે પણ 2020ના આઈપીએલમાં ત્રણ નવા શહેર મેચ સ્થળ તરીકે સામેલ કરવામાં આવે તેવી સંભાવના છે. આઠ ફ્રેન્ચાઈઝી માલિકોએ બીસીસીઆઈ મુખ્યાલયમાં નવા પદાધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને તેમાં નવા સ્થળ અંગે વાતચીત થઈ હતી. આ ત્રણ શહેરમાં લખનઉ, ગુવાહાટી અને તિરુવનંતપુરમનો સમાવેશ થાય છે. પણ સૂરત માટે એક આશા હતી એના પર પણ હવે અનિશ્ચિત કાળ માટે પૂર્ણવિરામ મૂકાઇ ગયો છે. કેમકે 2021માં IPLમાં નવી ટીમો દાખલ કરવાની યોજના છે. 8ની જગ્યાએ 12 ટીમો થશે એ રીતે 8ની જગ્યાએ 12 વેન્યુ અને ટીમ હોમ પણ થશે. આમ, સૂરતને આઇ.પી.એલ. મેચ મળે તેવી શક્યતાઓ સાવ ધૂંધળી છે. સિવાય કે કોઇ પોલિટિકલ પ્રેશર કામ કરી જાય.

સૂરતના ગ્રાઉન્ડનું પરફોર્મન્સ શાનદાર પણ હજુ અનિશ્ચિતકાલિન રાહ જોવી પડશે

તાજેતરમાં સૂરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશને ઇન્ડિયા વિરુદ્ધ સાઉથ આફ્રિકાની વુમન્સ ક્રિકેટ ટી ટ્વેન્ટીની 5 મેચો આયોજનબદ્ધ રીતે રમાડીને સમગ્ર બીસીસીઆઇનું ધ્યાન ખેંચ્યું હતું. સૂરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર ગ્રાઉન્ડના ખૂબ વખાણ થયા. ફેસેલિટીઝ વર્લ્ડ ક્લાસ હતી. ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચર પણ વખાણાયું. સૌથી ધ્યાનાકર્ષક બાબત સૂરતના પ્રેક્ષકોની હતી. વરસાદી માહોલમાં પણ સ્ટેડીયમ ખચાખચ ભરાયેલું હતું. સૂરતીઓ માટે ગરબા સૌથી મનપસંદ તહેવાર આમ છતાં ક્રિકેટ પ્રેમીઓ નવરાત્રીના સમયમાં પણ નાઇટ મેચ જોવા સૂરતના ગ્રાઉન્ડમાં ઉમટી પડ્યા અને 10000ની સિટીંગ કેપેસિટી વધારવી પડી. આ તમામ બાબતોથી બીસીસીઆઇ વાકેફ હતું. સૂરત માટે એવી આશા બંધાઇ હતી કે 2020માં સૂરતને એકાદ-બે આઇ.પી.એલ.ની મેચ મળી શકે.

લખનઉ, ગુવાહાતી અને થિરુવનંતપૂરમ ત્રણ નવા વેન્યૂ પર IPL મેચ યોજાશે

બીસીસીઆઈના એક અધિકારીના કહેવા પ્રમાણે કિંગ્સ ઈલેવન પંજાબ લખનઉને બીજું ઘર બનાવી શકે છે. તો બીજી તરફ રાજસ્થાન અમદાવાદથી ગુવાહાટી જવા માગે છે. તિરુવનંતપુરમ કોના ભાગમાં આવશે તે અંગે હજી સુધી નિર્ણય કરવામાં આવ્યો નથી. અધિકારીએ કહ્યું હતું કે, રાજસ્થાને બીજા ગૃહનગરના રૂપમાં સ્થળમાં બદલાવ કરવાની માગણી કરી છે અને અમદાવાદથી ગુવાહાટી જવા માગે છે. જીસી આ ફેંસલાથી સહમત છે અને ગુવાહાટીના બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમને લીલીઝંડી આપતા પહેલા તપાસ કરવામાં આવશે.

લખનઉની વાત કરવામાં આવે તો ગત સીઝનમાં જ પંજાબ સ્થળ બદલવા માગતું હતું અને અપીલ પણ કરી હતી. પરંતુ ચૂંટણીના કારણે નિર્ણય લઈ શકાયો નહોતો. પરંતુ ઈકાના સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝના મેચ બાદ જે રિવ્યુ આવ્યા છે તેનાથી લગભગ નક્કી છે કે પંજાબની ટીમનું બીજું ઘર લખનઉ બનશે. બીજી તરફ તિરુવનંતપુરમને લઈને કોઈપણ ટિપ્પણી કરવી ઉતાવળ ગણાશે. જો કે ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશન સ્ટેડિયમના રિવ્યુ શાનદાર છે અને કેરળના લોકોનો રમતમાં જુસ્સો પણ છે.

November 9, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5410

અયોધ્યા ખાતે રામજન્મભૂમિ સંદર્ભે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને વધામણા

આજે તા.9-11 ને હનુમાનજીના વાર, શનિવારે ભારતની સર્વોચ્ચ અદાલતે અયોધ્યા ખાતે રામજન્મ ભૂમિ પર રામજી મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થવા આડેના અવરોધો દૂર કરતા સમગ્ર ભારત વર્ષમાં ખુશાલી વ્યાપી ગઇ છે. હિન્દુ ધર્મના અનુયાયીઓમાં સ્વાભાવિક ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.

સૂરતની વાત કરીએ તો સૂરતમાં સુપ્રીમ કોર્ટના આદેશોના ઠેરઠેર વધામણા થઇ રહ્યા છે. સોશ્યલ મિડીયામાંથી બહાર નીકળીને શહેરના મંદિરોમાં આજે ખાસ વધામણા કાર્યક્રમો અને મહાઆરતીના આયોજનો થઇ રહ્યાના સગડ મળ્યા છે.

ખાસ કરીને સૂરતના વરાછા રોડ પર મિની બજાર ખાતે સાંજે 6 કલાકે મહાઆરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ શહેરના દરેક રામજી મંદિરોમાં આજે સાંજની આરતી વિશેષ સ્વરૂપે કરવાના આયોજન થઇ રહ્યા છે. કેટલાક સ્થળોએ રામધૂન અને ક્યાંક મહાપ્રસાદીના પણ આયોજન હાથ ધરવામાં આવ્યા છે.

અયોધ્યા ખાતે છેલ્લા 70 વર્ષથી રામ મંદિર નિર્માણ કાર્ય કરવાના થઇ રહેલા પ્રયાસોમાં છેવટે સુપ્રીમ કોર્ટના આદેશોને પગલે મંદિર નિર્માણનો માર્ગ મોકળો બનતા હિન્દુ સંપ્રદાયના લોકોમાં ખુશાલી વ્યાપે આ સ્વાભાવિક છે.

સાંજે 4.30 કલાકે શિવાજી મહારાજ સ્મારક ખાતે

  • સાંજે 7 કલાકે મિનીબજાર વરાછા રોડ ખાતે જાહેર મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
  • સાંજે 4.30 કલાકે સૂરતના ન્યુ બોમ્બે માર્કેટ ખાતે, કરણીચોક સ્થિત શિવાજી સ્મારક ખાતે સુપ્રીમ કોર્ટના ચુકાદાને વધાવવા માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
  • એવી જ રીતે અટલ આશ્રમ ખાતે આજે સાંજે મહા આરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
  • અડાજણ, સ્ટાર બજારની સામે રામજી મંદિર ખાતે પણ આજે સાંજે મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાને સહર્ષ વધામણા, કોમી એખલાસભર્યો માહોલ જાળવી રાખવો આપણી જવાબદારી :  દિનેશ નાવડીયા, અધ્યક્ષ, દક્ષિણ ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ

દક્ષિણ ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ, SGCCI વાઇસ પ્રેસિડેન્ટ અને ડાયમંડ ઉદ્યોગના અગ્રણી શ્રી દિનેશભાઇ નાવડીયાએ આજે સુપ્રીમ કોર્ટે અયોધ્યા ખાતે રામજન્મભૂમિ અંગે ચાલી રહેલા 70 વર્ષ જુના કેસમાં આપેલા આખરી ચુકાદાને સહર્ષ આવકારતા જણાવ્યું હતું કે રામજન્મભૂમિ અયોધ્યા એ હિન્દુ ધર્મ માટે આ એક આસ્થાનું પ્રતિક છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મભૂમિએ તેમનું મંદિર નિર્માણ થાય એ ભારત જ નહીં વિશ્વમાં વસતા દરેક હિન્દુઓનું સપનું છે. અમે સુપ્રીમ કોર્ટના આદેશને આવકારીએ છીએ અને તેના વધામણા કરીએ છીએ. અયોધ્યા ખાતે રામમંદિર નિર્માણ આડેના અવરોધો દૂર થયા છે. વિધ્વાન વકીલોના પ્રતિસાદો સાંભળ્યા બાદ જણાયું છે કે સુપ્રીમ કોર્ટે અતિસંવેદનશીલ મનાતા અયોધ્યાના વિવાદમાં સર્વસંમત અને ખુબ જ સમતોલ ચૂકાદો આપ્યો છે.

વધુમાં વિહીપના દક્ષિણ ગુજરાત અધ્યક્ષ શ્રી દિનેશ નાવડીયાએ હિન્દુ ધર્મપ્રેમી તમામને અપીલ કરી છે કે ક્યાંયે ઉત્સાહ કે ઉન્માદના અતિરેકમાં આવીને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી આપણે તમામે રાખવાની છે. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં કોઇની હાર કે કોઇની જીતનો વાદ વિવાદ હોઇ ન શકે. આપણી આસપાસ, આપણા પ્રદેશમાં, આપણા દેશમાં કોમી એખલાસભર્યો માહોલ જળવાયેલો રહે એની જવાબદારી આપણા સૌની છે.