સાઉથ ગુજરાત શિફલી એમ્બ્રોઈડરી એસોસિએશન દ્વારા ૯ મી એજીએમ મળી હતી. જેમાં તમામ મેમ્બરો અને હોદ્દેદારો હાજર રહ્યાં હતાં જેમાં પ્રમુખ પદે અશોકભાઈ મહેતા, ઉપપ્રમુખ પદે નરેશભાઇ લાખાણી , વજુભાઈ પટેલ, સુભાષભાઈ ગંગવાણી, ગોપાલભાઈ હુરિયા , સેક્રેટરી પદે સંજયભાઈ અગ્રવાલ , જોઈન્ટ સેક્રેટરી પદે જતીનભાઇ વાધાણી અને ખજાનચી પદે મનોજભાઈ અગ્રવાલ ની નિમણૂંક કરવામાં આવી હતી.
સંસ્થાના ઉપપ્રમુખ નરેશભાઇ લાખાણી એ કહ્યું હતું કે, છેલ્લાં ૯ વર્ષથી શિફલી એમ્બ્રોઈડરી એસોસિએશન કાર્યરત છે. સંસ્થામાં ૧૪૨ રજીસ્ટ્રર મેમ્બરો છે જ્યારે શહેરમાં શિફલી એમ્બ્રોઈડરી ના ૨૦૦ જેટલા યુનિટો કાર્યરત છે.
હાલ શિફલી વર્કની ડિમાન્ડ ભારત સહિત આંતરાષ્ટ્રીય માર્કેટમાં છે. એક્સપોર્ટમાં શિફલી વર્કનો હિસ્સો ખુબ જ મોટી માત્રામાં છે.
ખાસ કરીને હાલ પેમેન્ટનો મુદ્દો ચાલી રહ્યો છે ત્યારે શિફલી એમ્બ્રોઈડરી એસોસએશન દ્વારા પણ મેમ્બરોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ પણ સભ્યોને પરેશાની હોય તો સંસ્થા દ્વારા તમામ પ્રકારની મદદ કરવામાં આવે છે.આ ઉપરાંત જે વેપારીઓ કારણ વગર ક્લેઈમ કરશે તો તેમની સાથે એસોસિએશનના મેમ્બરો કામ કરશે નહીં તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. એસોસિએશન દ્વારા તમામ સભ્યોને ઓછા ભાવે કામ ન કરવા માટે વિનંતી કરવામાં આવી છે.
દેશના અગ્રણી વેપારી સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના રાષ્ટ્રીય પ્રમુખ તથા દિલ્હીની ચાંદની ચોક લોકસભા બેઠકના ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે સુરતની મુલાકાત દરમિયાન દક્ષિણ ગુજરાતના વેપારીઓને આગામી 12થી 15 ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારા ભારત વ્યાપાર મહોત્સવમાં સક્રિય ભાગ લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સુરત દેશનું અગ્રણી વેપાર અને ઉદ્યોગ કેન્દ્ર હોવાથી મહોત્સવમાં સુરતની ઉપસ્થિતિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પ્રસંગે કૈટના સુરત પ્રમુખ પ્રમોદ ભગત સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અશોક જીરાવાલા સાથે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે ભારત વ્યાપાર મહોત્સવ દેશભરના ઉત્પાદકો, વેપારીઓ, સ્ટાર્ટઅપ, સેવા ક્ષેત્ર અને એમએસએમઈ એકમોને એક જ મંચ પર લાવવાનો પ્રયાસ છે. આ મહોત્સવ દ્વારા નવા વ્યવસાયિક સંબંધો, માર્કેટિંગની તકો અને વેપારના વિસ્તરણ માટે અનુકૂળ વાતાવરણ ઉભું થશે.
તેમણે જણાવ્યું હતું કે સુરતમાંથી અત્યાર સુધીમાં અંદાજે 7 હજાર સ્ક્વેર ફૂટ જેટલી પ્રદર્શન જગ્યાના સ્ટોલનું બુકિંગ થઈ ચૂક્યું છે. તેમાં સૌથી વધુ ભાગીદારી ટેક્સટાઇલ ઉદ્યોગની છે, જે સુરતના કાપડ ઉદ્યોગની રાષ્ટ્રીય સ્તરે મજબૂત ઓળખ દર્શાવે છે. આગામી દિવસોમાં ડાયમંડ, જ્વેલરી, કેમિકલ, એન્જિનિયરિંગ, ફૂડ પ્રોસેસિંગ અને અન્ય સેવા ક્ષેત્રના વેપારીઓ પણ મોટી સંખ્યામાં જોડાશે તેવી આશા વ્યક્ત કરી હતી.
પ્રવીણ ખંડેલવાલે વડાપ્રધાનના **’સ્વદેશી વેચો, સ્વદેશી ખરીદો’**ના સંદેશને વધુ મજબૂત બનાવવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનશે, રોજગારીમાં વધારો થશે અને નાના-મધ્યમ વેપારીઓને નવી તકો મળશે. ભારત વ્યાપાર મહોત્સવ આ દિશામાં મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે.
ચેમ્બરના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ માટે આ મહોત્સવ નવા બજારો સુધી પહોંચવાનો ઉત્તમ અવસર છે. ચેમ્બર દ્વારા પણ સભ્યોને તેમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી સુરતના ઉત્પાદનો અને સેવાઓને રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક ઓળખ મળી શકે.
સુરતના નાસીર નગર ડિમોલિશન મામલે સુરત મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. 30/05/2026ના રોજ થયેલી આ કામગીરી વિવાદમાં આવતા, તપાસ સમિતિના અહેવાલ બાદ 5 એન્જિનિયરોને સસ્પેન્ડ કરાયા છે. જેમાં કાર્યપાલક ઈજનેર સુજલકુમાર પ્રજાપતિ અને જ્યાંગ જીવનરામજીવાલા સહિત ડેપ્યુટી, આસિસ્ટન્ટ અને જુનિયર એન્જિનિયરનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી દ્વારા પાલિકાએ કડક શિસ્તનો સંદેશ આપ્યો છે.
Surat Nasir Nagar demolition : સુરતના નાસીર નગર ડિમોલિશન ને લઈને ઉઠેલા સવાલો સામે આખરે સુરત મહાનગરપાલિકાને કાર્યવાહી કરવાની ફરજ પડી છે. હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા પછી આખરે સુરત મહાનગરપાલિકાની ઊંઘ ઉડી છે. નાસીર નગર ડિમોલિશન મામલે તપાસ સમિતિના અહેવાલ બાદ બે કાર્યપાલક ઈજનેર સહિત પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરીને ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે શહેરમાં ચર્ચા એ છે કે માત્ર પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી સમગ્ર ઘટનાની જવાબદારી પૂરી થઈ જશે કે પછી આ વિવાદના પડછાયા ઉચ્ચ અધિકારી- રાજકારણીઓ કે અન્ય વિભાગા અધિકારીઓ સુધી પણ પહોંચશે?
સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીરનગર ખાતે તા. 30 મે, 2026ના રોજ કરવામાં આવેલી ડિમોલિશનની કાર્યવાહી ભારે વિવાદમાં સપડાઈ હતી. સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યા બાદ પાલિકાએ તપાસ સમિતિની રચના કરી હતી. સમિતિએ રજૂ કરેલા અહેવાલમાં સામે આવેલા મુદ્દાઓના આધારે હવે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા સાથે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની અસર ન પડે અને કાર્યવાહી નિષ્પક્ષ રીતે થઈ શકે તે માટે પાલિકાએ પાંચ ઈજનેરોને તાત્કાલિક અસરથી ફરજમુક્ત (સસ્પેન્ડ) કરવાનો નિર્ણય લીધો છે.
પાલિકાએ સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં કાર્યપાલક ઈજનેર સુજલ કુમાર ધરમશીભાઈ પ્રજાપતિ, કાર્યપાલક ઈજનેર જયાંગ રજનીકાંત જીવનરામજીવાલા, ડેપ્યુટી ઈજનેર અર્પણ મનસુખલાલ પરમાર, આસિસ્ટન્ટ ઈજનેર મોનિક બાબુભાઈ ગઢીયા અને જુનિયર ઈજનેર નરેશકુમાર બીનલભાઈ ગલચરનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝોનલ ઓફિસર તરીકે ડિમોલિશન દરમિયાન હાજર રહેલા કાર્યપાલક ઈજનેર જયાંગ જીવનરામજીવાલાની ભૂમિકા તપાસના કેન્દ્રમાં છે. બીજી તરફ, રોડ વિભાગના કાર્યપાલક ઈજનેર સુજલ પ્રજાપતિને આ ડિમોલિશન કામગીરી સાથે સીધી જવાબદારી ન હોવા છતાં તેઓ સ્થળ પર હાજર રહ્યા હતા. તેમની હાજરી અને ભૂમિકાને લઈને પણ તપાસમાં ગંભીર પ્રશ્નો ઊભા થયા હોવાનું મનાઈ રહ્યું છે. આ ઉપરાંત આસિસ્ટન્ટ ઈજનેર, ડેપ્યુટી ઈજનેર અને જુનિયર ઈજનેરની કામગીરી પણ તપાસના દાયરામાં આવી છે. બે કાર્યપાલક ઈજનેર ક્લાસ-વન અધિકારી હોવાથી તેમના સસ્પેન્શન માટે મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિ સમક્ષ જાણ માટેની દરખાસ્ત રજૂ કરશે. ત્યારબાદ સામાન્ય સભાની મંજૂરી માટે મોકલવામાં આવશે.
નાસીરનગર ડિમોલિશન દરમિયાન માત્ર પાલિકાની કામગીરી જ નહીં, પરંતુ રાજકારણીઓની સંભવિત દખલગીરી અને પોલીસની ભૂમિકાને લઈને પણ અનેક ગંભીર સવાલો ઉભા થયા હતા. હવે પાંચ ઈજનેરો સામે કાર્યવાહી થતાં ચર્ચા એ છે કે તપાસનો વ્યાપ માત્ર અધિકારીઓ સુધી જ સીમિત રહેશે કે પછી સમગ્ર ઘટનામાં જેની સામે આક્ષેપો થયા છે તે તમામની ભૂમિકાની પણ નિષ્પક્ષ તપાસ થશે. તે હવે ચર્ચાનો વિષય બન્યો છે.
અનુપમસિંહ ગેહલોત અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત થયા છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેઓ અમદાવાદ શહેરની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જવાબદારી સંભાળશે.
સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત થયા છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેઓ અમદાવાદ શહેરની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જવાબદારી સંભાળશે.
તત્કાલિન અમદાવાદ કમિશનર જી. એસ. મલિકે રાજ્યના ડીજીપી (DGP) તરીકેનો પદભાર સંભાળ્યા બાદ અમદાવાદ પોલીસ વડાની મહત્વની જગ્યા ખાલી પડી હતી. આ ખાલી પડેલા સ્થાને સરકારે સુરતના વર્તમાન પોલીસ કમિશનર અને 1997 બેચના IPS અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરી છે. ગેહલોતની અમદાવાદ બદલી થવાને કારણે હવે સુરત પોલીસ કમિશનરની જગ્યા ખાલી થઈ છે, જેના પર હજુ સુધી સરકારે કોઈ નવા અધિકારીના નામની સત્તાવાર જાહેરાત કરી નથી. અગાઉ અનુપમસિંહ ગેહલોત સુરત ઉપરાંત વડોદરા અને રાજકોટ જેવા મોટા મહાનગરોમાં કમિશનર તરીકે સેવા આપી ચૂક્યા છે.
1997 બેચના IPS અધિકારી, ઉત્તર પ્રદેશના વતની
બી.ઈ. (B.E.) તેમજ એમ.ટેક. (M.Tech.) સુધીનો ઉચ્ચ અભ્યાસ
સૌપ્રથમ ભાવનગર અને ત્યારબાદ પાટણ જિલ્લામાં પોલીસ અધિક્ષક (SP) તરીકે ફરજ
પ્રમોશન બાદ રાજકોટ અને વડોદરાના પોલીસ કમિશનર
વડોદરા બાદ તેમની બદલી સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)માં કરવામાં આવી હતી
અમદાવાદ કમિશનર તરીકે નિમણૂક પહેલા તેઓ સુરતના પોલીસ કમિશનર તરીકે કાર્યરત હતા
સુરત, ૨૮ જૂન ૨૦૨૬ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા તા. ૨૬ થી ૨૮ જૂન ૨૦૨૬ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે યોજાયેલા ત્રણ દિવસીય ‘ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬’ નું આજે રવિવારે ભવ્ય સમાપન થયું હતું. આ પ્રદર્શનમાં ભાગ લેનારા એક્ઝિબિટર્સને સુરત શહેરની સાથે જ સમગ્ર દેશ અને વિદેશમાંથી આવેલા જેન્યુન બાયર્સ તરફથી અભૂતપૂર્વ અને જબરજસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે.
દેશના અગ્રણી કોર્પોરેટ હાઉસીસ અને ખરીદદારો એક જ મંચ પર: પ્રમુખ અશોક જીરાવાલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ એક્ષ્પોની સફળતા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, “આ પ્રદર્શનનો મુખ્ય હેતુ ભારત અને વિદેશના ફેબ્રિક ઉત્પાદકો, ટેક્સટાઇલ ઉદ્યોગકારો, ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ, ફેશન ડિઝાઇનર્સ, નિકાસકારો અને હોલસેલર્સને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો હતો, જેમાં ચેમ્બરને મોટી સફળતા મળી છે. ભારતની મુખ્ય કાપડ મંડીઓ જેવી કે જયપુર, જોધપુર, ઇરોડ, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઈ, મુંબઈ અને દિલ્હીથી ફેબ્રિક્સના મોટા ગજાના જેન્યુન બાયર્સ તેમજ દેશના અગ્રણી કોર્પોરેટ હાઉસીસના પર્ચેઝ મેનેજરોએ આ પ્રદર્શનની ખાસ મુલાકાત લીધી હતી.”
તેમણે ઉમેર્યું કે, પ્રદર્શનના શરૂઆતના બે દિવસ દરમિયાન ૨૦,૦૦૦ વિઝીટર્સે મુલાકાત લીધી હતી, જ્યારે આજે રવિવારની રજાના દિવસે વધુ ૧૫,૦૦૦ લોકો ઉમટી પડ્યા હતા. આમ, ત્રણ દિવસમાં કુલ ૩૫,૦૦૦ જેટલા વિઝીટર્સ અને ૨,૫૦૦ થી વધુ અલગ-અલગ શહેરોના જેન્યુન બાયર્સે આ એક્ઝિબિશન નિહાળ્યું હતું.
વિસ્કોસ, સાલસા અને હોમ ફર્નિશિંગ ફેબ્રિક્સની ધૂમ ડિમાન્ડ
ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬ના ચેરમેન ડૉ. હરેશ પટેલે વ્યાપારી ટ્રેન્ડ્સ અંગે જણાવ્યું કે, બહારથી આવેલા મોટા ગજાના બાયર્સમાં લેટેસ્ટ ટેક્નોલોજી આધારિત વિસ્કોસ ફેબ્રિક ઉપર પોઝિશન પ્રિન્ટ, એરજેટ મશીન પર બનેલા સાલસા પ્લેન અને સાલસા બુટીના ફેબ્રિક્સમાં ભારે આકર્ષણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત નાયલોન ફેબ્રિક અને ટોપ ડાયડ સાડીઓની જેમ જ વોટરજેટ લૂમ્સ પર તૈયાર થયેલા હોમ ફર્નિશિંગના પ્લેન ફેબ્રિક તથા ડોબી ફેબ્રિકની પણ બજારમાં ખૂબ ડિમાન્ડ રહી હતી.
પ્રદર્શનમાં વોટરજેટના વેલ્યુ એડિશન ફેબ્રિક્સ અને ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ દ્વારા ડેનિમ ફેબ્રિક્સની વ્યાપક પૂછપરછ અને ઓર્ડર્સ જોવા મળ્યા હતા. બાયર્સ તરફથી મળેલા આ શાનદાર પ્રતિસાદને કારણે પ્રદર્શનમાં ભાગ લેનારા એક્ઝિબિટર્સને આશરે રૂપિયા ૬૦૦ કરોડથી વધુનો સ્પોટ અને પ્રોસ્પેક્ટિવ બિઝનેસ મળ્યો છે, જે સુરતના કાપડ ઉદ્યોગ માટે આગામી દિવસોમાં ખૂબ જ આશાસ્પદ સાબિત થશે.
નામને સાર્થક કરતા ૧,૦૦૦ થી વધુ અન્ય શહેરના બાયર્સ અને ઘાનાથી તેમજ નેધરલેન્ડથી આવેલ જેન્યુન બાયર્સે એક્ઝિબિશનની મુલાકાત લીધીઃ ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલા
સુરતઃ ધી સધર્નગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ૨૬ થી ૨૮ જુન ૨૦૨૬ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ‘ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬’ ને બાયર્સનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, ‘ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬’ નામને સાર્થક કરતા આ એક્ઝિબિશનમાં બે દિવસ દરમિયાન કુલ ૨૦,૦૦૦ વિઝીટર્સે મુલાકાત લીધી, જેમાં ૧,૦૦૦ થી વધુ અન્ય શહેરમાંથી આવેલ બાયર્સ અને ઘાનાથી તેમજ નેધરલેન્ડથી આવેલ જેન્યુન બાયર્સેનો સમાવેશ થાય છે. આ એક્ઝિબિશન યાર્નમાંથી કાપડ બનાવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ, નીટર્સ, ટેક્નિકલ ટેક્ષ્ટાઈલ્સ, વેલ્વેટ અને પાઈલ ફેબ્રિક ઉત્પાદકો તેમજ ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
આ એક્ષ્પોમાં હોસ્પિટલ કર્ટેન્સ, શાવર કર્ટેન્સ, ડ્રેપરીઝ બ્લેક–આઉટ અને વ્હાઇટ–આઉટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર પોલિએસ્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર બેડશીટ્સ, કમ્ફર્ટર ફેબ્રિક,માઇક્રો ફાઇબર ડ્યુવેટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્યુવેટ્સ અને ડ્યુવેટ કવર્સ, પીલો કવર્સ, માઇક્રો ફાઇબર બેડસ્પ્રેડ, પ્લેટેડ માઇક્રો ફાઇબર બેડસ્કટ્ર્સ, ડિજીટલ પ્રિન્ટેડ બ્લેક આઉટ ફેબ્રિક અને અલ્ટ્રાસોનિક બ્લેકઆઉટ ફેબ્રિકનું પ્રદર્શન કરવામાં આવી રહી છે. આ બધી પ્રોડક્ટ સુરતમાં ઇન્ટીગ્રેટેડ અથવા કમ્પોઝીટ યુનિટ એટલે કે વિવિંગ, નીટિંગ અને સ્ટીચિંગની સુવિધા ધરાવનારા ઉદ્યોગકારો દ્વારા બનાવવામાં આવે છે.
ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોમાં લેટેસ્ટ ટેક્નોલોજીનું વિસ્કોસ ફેબ્રિક પર પોઝિશન પ્રિન્ટ, એરજેટ ઉપર સાલસા પ્લેન અને સાલસા બુટીનું ફેબ્રિક પ્રદર્શનને નિહાળવા લોકો આવી રહ્યા છે. આ ઉપરાંત, લક્ઝરી, કમ્ફર્ટ અને ટ્રેન્ડી ફેશનનું અનોખું સંયોજન પશ્મિના બોમ્બર જેકેટ ફેબ્રિક, લૂમ પર સીધું એમ્બ્રોઈડરી ઈફેક્ટ આપતું પ્રીમિયમ અને હાઈ-વેલ્યુ લપેટ એમ્બ્રોઈડરીડ ફેબ્રિક (Lappet Embroidered Fabric), ટેક્ષ્ટાઈલ વેસ્ટમાંથી તૈયાર થયેલું ઈકો-ફ્રેન્ડલી રિસાયકલ કોટન ફેબ્રિક જોવા મળી રહ્યું છે.
અગ્રણી ટેક્સ્ટાઈલ ગૃહો અને ડિઝાઇનરો પરંપરાગત-એથનિક અને ફેશન વસ્ત્રોના જીવંત કલેક્શન રજૂ કરી રહ્યા છે. પરંપરાગત સાડીઓથી માંડીને અત્યાધુનિક ફ્યુઝન વસ્ત્રો સુધી, આ પ્રદર્શન સ્થાનિક તેમજ નિકાસ બજારોને આકર્ષતા ઉત્પાદનોની વિવિધ શ્રેણી રજૂ કરે છે.
ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ટેક્ષટાઇલ્સ એસોસીએશન્સ (ફોસ્ટા)ના નવનિર્વાચિત બોર્ડની પહેલી મિટીંગમાં
કોષાધ્યક્ષ તરીકે નીરજ અગ્રવાલની વરણી,પૂર્વ કૈલાશ હાકિમે નવી ટીમને કાર્યભાર સોંપી દીધો
ગીરીશ મિત્તલની સંગઠન મહામંત્રી તરીકે નિયુક્તિ
સુરત, તા.18 તાજેતરમાં નવનિર્વાચીત થયેલા ફોસ્ટા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પહેલી મિટીંગ આજે યોજાઇ હતી અને આ મિટીંગમાં દેશમાં ટેક્ષટાઇલ વેપારીઓના સૌથી મોટા સંગઠન ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ટેક્ષટાઇલ એસોસીએસન્સ (ફોસ્ટા)ના નવા પ્રમુખ તરીકે હંસરાજ જૈન, સેક્રેટરી તરીકે દિનેશ કટારીયા અને કોષાધ્યક્ષ તરીકે નીરજ અગ્રવાલની સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી. ફોસ્ટાના વિદાય લેતા પ્રમુખ કૈલાશ હાકીમે નવી ટીમને કાર્યભાર સુપરત કરી દીધો હતો.
ફોસ્ટાના તત્કાલિન પ્રમુખ કૈલાશ હાકીમે જણાવ્યું હતું કે આજે સાંજે 5 કલાકે ફોસ્ટા કાર્યાલય ખાતે ફોસ્ટાની નવ નિર્વાચીત ટીમની પહેલી બોર્ડ મિટીંગ યોજાઇ હતી. જેમાં અધ્યક્ષ પદે હંસરાજ જૈન, સેક્રેટરી તરીકે દિનેશ કટારીયા તેમજ કોષાધ્યક્ષ તરીકે નીરજ અગ્રવાલ તેમજ સંગઠન મહામંત્રી તરીકે ગીરીશ મિત્તલના નામની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેને સર્વાનુંમતે મંજૂર કરવામાં આવી હતી. ફોસ્ટાના નવા વરાયેલા પ્રમુખ હંસરાજ જૈન તેમજ સેક્રેટરી દિનેશ કટારીયાએ મિડીયા કર્મીઓને પોતાના પહેલા સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે તેઓ સુરતના 75 હજારથી વધુ ટેક્ષટાઇલ વેપારીઓ માટે જે રીતે વિતેલા ત્રણ વર્ષ દરમિયાન આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવી, વેપારીઓને સ્પર્શતા પ્રશ્નોને ટોપ પ્રાયોરિટી પર રાખીને તેનું નિરાકરણ લાવવાની અપનાવેલી સિસ્ટમને આગળ વધારવામાં આવશે. તેમજ આગામી ત્રણ વર્ષ દરમિયાન વધુને વધુ વેપારીઓ ફોસ્ટા સંગઠનના મેમ્બર બને તે માટે મુહિમ ચલાવવામાં આવશે.
અવાસ્તવિક DCR નિયમો, દૈનિક 70% સુધીનો પાવર કાપ અને ડિસ્કોમ દ્વારા બિનજરૂરી ચાર્જિસ ભારતના નેટ-ઝીરો લક્ષ્યાંકો અને અબજોના રિન્યુએબલ રોકાણો માટે જોખમરૂપ સુરત-
દેશના કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ (C&I) સોલાર સેક્ટરમાં ગંભીર કટોકટી સર્જાઈ છે, જેના કારણે ખાનગી મૂડી રોકાણો અને દેશના રિન્યુએબલ એનર્જીના લક્ષ્યાંકો જોખમમાં મુકાયા છે. સોલાર પ્રોજેક્ટ ડેવલપર્સ અને ઔદ્યોગિક ગ્રાહકોના સંગઠનોએ સંયુક્ત રીતે ગંભીર વહીવટી, નિયમનકારી અને નાણાકીય અવરોધો અંગે ચિંતા વ્યક્ત કરી છે, જેના કારણે ચાલુ પ્રોજેક્ટ્સ અટકી પડ્યા છે. આ ગંભીર સમસ્યા અંગે સાઉથ ગુજરાત સોલાર એસોસીએશન દ્વારા સરકાર સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપની માંગણી કરવામાં આવી છે.
મનઘડત નિયમો, સ્થાનિક સ્તરે સોલાર સેલના પુરવઠાની ભારે અછત, નીતિગત અસ્થિરતા અને જેટકો (GETCO) તથા ડિસ્કોમ (DISCOMs) દ્વારા કરવામાં આવતા પાવર કાપને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ઉદ્યોગ જગતે ચેતવણી આપી છે કે જો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સુધારો કરવામાં નહીં આવે, તો ઉદ્યોગોને ગ્રીન એનર્જી તરફ વાળવાની યોજના નિષ્ફળ જશે જેમાં કોઇ શંકાને સ્થાન નથી. સોલાર ઉદ્યોગ એવા વળાંક પર છે કે જ્યાં વગર વિચારે લેવાયેલા નિર્ણયો ઉદ્યોગના જ રિન્યુએબલ એનર્જીના પ્રોગ્રેસને નુકસાન પહોંચાડી રહ્યા છે. પ્રોજેક્ટ્સના ખર્ચમાં રાતોરાત 30% સુધીનો વધારો થયો છે, જ્યારે કાર્યરત પ્લાન્ટમાંથી આધુનિક ગ્રીડના અભાવે 70% જેટલી સ્વચ્છ ઊર્જા ગુમાવવી પડે છે. સોલાર ઉદ્યોગને બંધ થતો બચાવવા સરકારને આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની પણ અમારી માંગણી છે.
સોલાર ઉદ્યોગ દ્વારા ઉઠાવવામાં આવેલા 8 મુખ્ય મુદ્દાઓ:
1. સપ્લાય ચેઈનની સમસ્યા (DCR અને ALCM નીતિ): હાઈ-એફિશિયન્સી સોલાર સેલના સ્થાનિક ઉત્પાદનની અછત હોવા છતાં DCR નિયમો ફરજિયાત કરાતા પ્રોજેક્ટ ખર્ચમાં 25% થી 30% નો તોતિંગ વધારો થયો છે.
2. નીતિગત ગૂંચવણ (DCR સેલ્સ વિરુદ્ધ ALMM મોડ્યુલ્સ): સ્થાનિક સ્તરે સેલ ઉત્પાદન ક્ષમતા મર્યાદિત હોવાથી, આ નિયમના કારણે બજારમાં જૂજ ઉત્પાદકોની મોનોપોલી (Monopoly) સર્જાવાનું અને ભાવવધારો થવાનું જોખમ છે.
3. ગ્રીડની બિનકાર્યક્ષમતા અને ભારે પાવર કાપ: GETCO અને ડિસ્કોમ દ્વારા પીક અવર્સ દરમિયાન સોલાર પાવર જનરેશનને 60% થી 70% સુધી ઘટાડી દેવા અથવા બંધ કરવા દબાણ કરવામાં આવે છે, જેનાથી રોકાણકારોને ભારે આર્થિક નુકસાન થઇ રહ્યુ છે.
4. વીકએન્ડ દરમિયાન અનપેક્ષિત શટડાઉન: શનિવાર અને રવિવાર દરમિયાન કોઈપણ પૂર્વ સૂચના વગર ગ્રીડ બ્રેકડાઉન અને શટડાઉન કરવામાં આવે છે. ઉદ્યોગ જગત આ માટે અગાઉથી નોટિસ અને વળતરની વ્યવસ્થા કરવામાં આવે એવી માંગણી પણ કરવામાં આવે છે.
5. ડિજિટલ મીટર રીડિંગના નામે ઉઘાડી લૂંટ: સોલાર પ્લાન્ટ્સ ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમથી સજ્જ હોવા છતાં, ડિસ્કોમ દ્વારા મીટર રીડિંગ દીઠ આશરે ₹5,000 નો જંગી ચાર્જ વસૂલવામાં આવે છે, જે તદ્દન ગેરવાજબી છે.
6. જટિલ અને અસ્પષ્ટ બિલિંગ સિસ્ટમ: C&I, કુસુમ (KUSUM) અને ગ્રાઉન્ડ માઉન્ટેડ પ્રોજેક્ટ્સમાં બિલ જનરેટ થવામાં વિલંબ, બેંકિંગ ગણતરીમાં ભૂલો અને અસ્પષ્ટ ફોર્મેટને કારણે રોકાણકારોનો વિશ્વાસ ડગમગી રહ્યો છે.
7. લાઈવ હિતધારક પરામર્શનો અભાવ: પાયાની વાસ્તવિકતાઓ સમજ્યા વિના જ બંધ બારણે મોટા નીતિગત નિર્ણયો લેવાય છે. સરકારે ગ્રાહકો અને ડેવલપર્સ સાથે ચર્ચા કરીને પછી જ નિર્ણય લેવો જોઈએ આ અમારી માંગણી છે.
8. લાંબા ગાળાની નીતિગત સ્થિરતાની માંગ: સોલાર પ્રોજેક્ટ્સમાં કરોડોનું રોકાણ લાંબા ગાળા માટે થતું હોય છે. વારંવાર બદલાતી નીતિઓ અસ્થિરતા લાવે છે, તેથી મુખ્ય નીતિઓ ઓછામાં ઓછા 5 વર્ષ માટે સ્થિર રાખવી જરૂરી છે.
ડાયમંડ સિટી સુરતમાંથી રવિવારની સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં એક એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ETP) ની અંડરગ્રાઉન્ડ ટેન્ક ચેમ્બરમાં સફાઈના હેતુથી ઉતરેલા 4 સફાઈ કામદારોના અંદર ફસાઈ જવાથી મોત નીપજ્યા છે.
પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, ટેન્કની અંદર એકત્રિત થયેલા અતિ ઝેરી ગેસના કારણે શ્રમિકોનો શ્વાસ રૂંધાયો હતો અને ગૂંગળામણના લીધે તેઓએ જીવ ગુમાવ્યા હોવાની પ્રબળ આશંકા છે. આ અકસ્માતને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
આ ઘટનાની વિગતો મુજબ, આજે સવારે અંદાજે 10.22 વાગ્યે સુરત ફાયર કંટ્રોલ રૂમને એક ઈમરજન્સી કોલ મળ્યો હતો. આ કોલ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે ચોર્યાસી ડેરીની બાજુમાં, ખાંડ બજાર પાસે આવેલા રતિ હાઉસ (રતિ જ્વેલર્સ) પરિસરમાં કોઈ વ્યક્તિ ફસાઈ ગઈ છે. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની બચાવ ટુકડી સત્વરે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્યાં પહોંચીને તપાસ કરતા માલૂમ પડ્યું કે કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ ટેન્ક ચેમ્બર સાફ કરવા અંદર ઉતરેલા કુલ ચાર શ્રમિકો અંદર ઝેરી ગેસની અસરમાં આવીને બેભાન થઈ ગયા છે.
ફાયર ફાઈટરોની ટીમે ઓક્સિજન કીટ અને જરૂરી સંસાધનો સાથે ટેન્કની અંદર ઉતરીને ભારે જહેમત બાદ ચારેય વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. તમામની ગંભીર સ્થિતિને જોતા એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિકહોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ કરીને ચારેય શ્રમિકોને મૃત જાહેર કર્યા હતા. હાલમાં પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને કયા કારણોસર આ બેદરકારી દાખવવામાં આવી તેની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
સુરતના બારડોલી નજીક ઉવા ગામ પાસે બે બસો વચ્ચે ભયંકર ટક્કર બાદ એક બસ પલટી મારી જતા તેમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
ઘટના સ્થળેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ બારડોલીના ઉવા ગામ નજીક બે સરકારી એસ.ટી. બસો વચ્ચે ખતરનાક ટક્કર વાગતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંને બસ મહારાષ્ટ્ર પાસિંગની છે. હાઈવે પર એક ટેન્કર પલટી મારી ગયું હતું. આવી સ્થિતિમાં પાછળ ચાલતી બસના ચાલકે ટેન્કર સાથે અથડામણ ટાળવાનો પ્રયત્ન કરતા બસ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેમાં બસ ડીવાઈડર કૂદી સામે આવતી અન્ય બસ સાથે ભયંકર રીતે ટકરાઈ હતી.
ગમખ્વાર અકસ્માતમાં એક બસ CNG હોવાથી ટક્કર બાદ તેમાં આગ ફાટી નીકળી હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 6થી વધુ લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે. બસ અકસ્માતની ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
ગુજરાત રાજ્યની સહકારી બેંકોમાં અગ્રણી સ્થાન ધરાવતી ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરત માટે અતિ ગૌરવ સાથે જણાવતા આનંદ થાય છે કે, બેંકને સત્તાવાર રીતે “શિડયુલ્ડ બેંક” નો પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત થયો છે. અગાઉથી “મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ બેંક” તરીકે સફળતાપૂર્વક કાર્યરત રહેલી બેંક હવે “મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ કો-ઓપરેટિવ બેંક” તરીકે નવી ઓળખ અને વધતી વિશ્વસનીયતા સાથે સહકારી બેંકિંગ ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
વર્ષ 1995માં સ્થાપિત થયેલી ધી વરાછા કો-ઓપ. બેંક લિ. એ માત્ર 30 વર્ષના ટૂંકા ગાળામાં સતત પ્રગતિ, પારદર્શક વહીવટ, મજબૂત નાણાકીય શિસ્ત, ગ્રાહકકેન્દ્રિત સેવાઓ અને અત્યંત આધુનિક ટેક્નોલોજી આધારિત બેંકિંગ સુવિધાઓ સાથે ગુજરાત સહિત રાષ્ટ્રીય કક્ષાએ સમગ્ર સહકારી ક્ષેત્રમાં આગવી ઓળખ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. ગુજરાતમાં કુલ 211 અર્બન કો-ઓપ. બેંક છે. જેમાંથી કુલ 7 બેંકો શિડયુલ્ડ બેંક છે. વર્ષ 2000 પછી ગુજરાતમાં કો-ઓપ. બેંકોમાં વરાછા કો-ઓપ. બેંક એક માત્ર બેંક છે જેને “મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ કો-ઓપરેટિવ બેંક” નો દરજ્જો પ્રાપ્ત થયો છે. આ બેંક માટે ગૌરવની વાત છે.
વરાછા કો-ઓપ. બેંકની મજબૂત નાણાકીય સ્થિતિ દર્શાવતા તા. 31 માર્ચ 2026ના રોજ પૂર્ણ થયેલ નાણાકીય વર્ષ ના મુખ્ય આંકડા નીચે મુજબ છે:
• કુલ થાપણો : ₹4,411.11 કરોડ
કુલ ધિરાણ : ₹2,571.31 કરોડ
• મૂડી ભંડોળ : ₹447.23 કરોડ
• કુલ વ્યવસાય : ₹6,982.42 કરોડ
બેંક હાલમાં 30 શાખાઓના મજબૂત નેટવર્ક દ્વારા 5,07,769થી વધુ ગ્રાહકોને સુરક્ષિત, વિશ્વસનીય અને ડિજિટલ બેંકિંગ સેવાઓ પ્રદાન કરી રહી છે. ગ્રાહકોનો અખૂટ વિશ્વાસ, ઝડપી અને પારદર્શક સેવા, ટેક્નોલોજી આધારિત સુવિધાઓ તેમજ સેવા પ્રતિબદ્ધ અભિગમના કારણે બેંકે સતત વિકાસનો મજબૂત માર્ગ અપનાવ્યો છે.
“શિડયુલ્ડ બેંક” નો દરજ્જો પ્રાપ્ત થવો બેંકના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ સોપાન સમાન છે. આ સિદ્ધિ બેંકની મજબૂત નાણાકીય સ્થિતિ, સુવ્યવસ્થિત સંચાલન, નિયમનાત્મક પાલન તથા લાખો ગ્રાહકો અને સભાસદોના અવિચળ વિશ્વાસનું પ્રતિબિંબ છે. બેંકને પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત થતા બેંકના સભાસદ મિત્રો તેમજ ગ્રાહકમિત્રો ને ASBA એકાઉન્ટ, RERA એકાઉન્ટ તેમજ Demat એકાઉન્ટ જેવી તમામ સુવિધાઓ મળી રહેશે.
બેંકની પ્રગતિમાં બેંકના પૂર્વ હોદ્દેદારોશ્રીઓ, ડિરેક્ટરશ્રીઓ તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્યશ્રીઓએ વર્ષો સુધી દુરંદેશી નેતૃત્વ અને મજબૂત પાયો પૂરો પાડ્યો હતો, જ્યારે હાલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના માર્ગદર્શન હેઠળ બેંક સતત વિકાસના નવા આયામો સર કરી રહી છે. બેંકના કર્મચારીઓની નિષ્ઠા, સેવાભાવ અને કાર્યક્ષમતાએ પણ આ સફળતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
આ ગૌરવપૂર્ણ અવસરે બેંકના નવનિયુક્ત ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ કુકડીયાએ તમામ સભાસદો, ગ્રાહકો, શુભેચ્છકો અને બેંક પરિવારના કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ધી વરાછા કો-ઓપ. બેંક લિ.એ આજ સુધી હાંસલ કરેલી પ્રતિષ્ઠા અને ઝળહળતી પ્રગતિ પાછળ તમામનો અતૂટ વિશ્વાસ અને સહકાર રહેલો છે. બેંકને પ્રાપ્ત થયેલ “મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ કો-ઓપરેટિવ બેંક” નો દરજ્જો સમગ્ર બેંક પરિવાર માટે ગૌરવની સાથે વધુ જવાબદારીનું પ્રતિક છે. બેંકનાં નવનિયુક્ત વાઈસ ચેરમેનશ્રી CA હરેશભાઈ કાપડીયા દ્વારા આ પ્રસંગે જણાવ્યું હતું કે, સહકાર, વિશ્વાસ અને સેવાભાવના મજબૂત પાયા પર ઉભેલી વરાછા કો-ઓપ. બેંક ભવિષ્યમાં પણ આધુનિક બેંકિંગ સેવાઓ, અદ્યતન ટેક્નોલોજી, ગ્રાહકકેન્દ્રિત યોજનાઓ અને વિસ્તૃત કામગીરી દ્વારા ઉત્તરોત્તર પ્રગતિના નવા શિખરો સર કરશે તથા સહકારી ક્ષેત્રમાં દેશવ્યાપી આગવી ઓળખ વધુ મજબૂત બનાવશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.