CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 2 of 81 - CIA Live

August 3, 2026
WhatsApp-Image-2026-08-03-at-17.36.03.jpeg
1min54

કર્મચારીઓના પ્રોફેશનલ ટેક્સ અને ઉદ્યોગકારોના વાર્ષિક વ્યવસાય વેરાની આવક સ્થાનિક તંત્રને મળે તો વિકાસકાર્યોને મળશે વેગ

સુરત, તા. 3 ઓગસ્ટ :
સચીન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડે સચીન નોટીફાઈડ એરીયા ઓથોરિટીના ચીફ ઓફિસરને રજૂઆત કરીને સચીન જીઆઈડીસીમાં કાર્યરત ઉદ્યોગોમાંથી વસૂલવામાં આવતો વ્યવસાય વેરો (પ્રોફેશનલ ટેક્સ) અને ઉદ્યોગકારો દ્વારા ભરવામાં આવતો વાર્ષિક વ્યવસાય વેરો સીધો સચીન નોટીફાઈડ એરીયા ઓથોરિટીમાં જમા કરાવવાની વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરી છે. આ માટે તાત્કાલિક જાહેરનામું બહાર પાડવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે વર્ષ 1998થી સચીન જીઆઈડીસીને નોટીફાઈડ એરીયા તરીકે જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં અહીં અંદાજે 5,000 જેટલા નાના-મોટા ઔદ્યોગિક એકમો કાર્યરત છે, જેમાં ડાઇંગ, કેમિકલ, એન્જિનિયરિંગ સહિત વિવિધ ક્ષેત્રના ઉદ્યોગોનો સમાવેશ થાય છે. આ એકમોમાં આશરે પાંચ લાખ જેટલા કામદારો અને કર્મચારીઓને રોજગારી મળી રહી છે.

સોસાયટીના જણાવ્યા મુજબ હાલ કર્મચારીઓના પગારમાંથી દર મહિને કપાત થતો પ્રોફેશનલ ટેક્સ અને ઉદ્યોગકારો દ્વારા ભરવામાં આવતો વાર્ષિક વ્યવસાય વેરો ગુજરાત સરકારના વાણિજ્ય વિભાગમાં જમા થાય છે. જોકે, ગુજરાત વ્યવસાય વેરા અધિનિયમ-1976 મુજબ આ પ્રકારની વસૂલાત સંબંધિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની હદમાં થવી જોઈએ. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી ઔદ્યોગિક એકમોનો વ્યવસાય વેરો મહાનગરપાલિકાને મળે છે, તો સચીન નોટીફાઈડ એરીયાના ઉદ્યોગો માટે પણ સમાન નિયમ લાગુ થવો જોઈએ.

રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે ગુજરાત વ્યવસાય વેરા અધિનિયમ-1976ની કલમ-2 અને ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ-1963ની જોગવાઈઓ મુજબ સરકાર દ્વારા સત્તા પ્રાપ્ત સ્થાનિક સંસ્થાઓને આ પ્રકારનો વેરો વસૂલવાનો અધિકાર છે. ઉપરાંત, ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ, અમદાવાદના વર્ષ 2010ના એક ચુકાદામાં સચીન નોટીફાઈડ એરીયાને નગરપાલિકા સમકક્ષ ગણાવવામાં આવ્યું હોવાનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.

સોસાયટીએ જણાવ્યું છે કે વર્ષોથી સચીનના ઉદ્યોગોનો વ્યવસાય વેરો રાજ્ય સરકારના વાણિજ્ય વિભાગમાં જમા થાય છે, જેના કારણે સ્થાનિક તંત્રને તેની આવકનો લાભ મળતો નથી. જો આ આવક સચીન નોટીફાઈડ એરીયાને મળશે તો રસ્તા, ગટર, સફાઈ, સ્ટ્રીટ લાઇટ અને અન્ય માળખાકીય સુવિધાઓ સહિતના વિકાસકાર્યોને વધુ ગતિ મળશે.

રજૂઆતમાં વડોદરાના નંદેસરી જીઆઈડીસી નોટીફાઈડ એરીયાનું ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે. ત્યાં સ્થાનિક ઓથોરિટી દ્વારા ગુજરાત વ્યવસાય વેરા અધિનિયમ મુજબ પ્રોફેશનલ ટેક્સની વસૂલાત કરવામાં આવે છે. સચીનમાં પણ આવી જ વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે.

આ રજૂઆત સચીન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ કિશોર બી. પટેલ, સેક્રેટરી મયુર જે. ગોળવાલા, ઉપપ્રમુખ નિલેશ એમ. ગામી તથા કો-ઓપ્ટ સભ્ય મિતુલ એસ. મહેતાએ કરી હતી. તેમણે કાયદાકીય જોગવાઈ મુજબ વ્યવસાય વેરાની આવક સ્થાનિક તંત્રને સોંપવામાં આવે તો સચીન નોટીફાઈડ એરીયાના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરી.

July 31, 2026
PKP_2098.JPG-1280x1008.jpeg
6min52

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ રવિ રાજ દેસાઈએ રાજ્યસ્તરીય બેઠકમાં હવાઈ સેવા, ઊર્જા, ટેક્સટાઇલ, કરવેરા, પૂર રાહત, GIDC સહિતના પ્રશ્નો અને સૂચનોની રજૂઆત કરી હતી; સેક્રેટરી પરેશ લાઠીયા પણ રહ્યા ઉપસ્થિત

તા. 30 જુલાઈએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો અને વેપાર-ધંધાને અસર કરતા 17 મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી વાઇસ પ્રેસિડેન્ટ રવિ રાજ દેસાઈએ વિવિધ વિભાગોને સ્પર્શતા પ્રશ્નો અને તેમના ઉકેલ માટેની રજૂઆત કરી હતી. તેમની સાથે ચેમ્બરના સેક્રેટરી પરેશ લાઠીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

રજૂઆતમાં સુરત અને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે પ્રાદેશિક હવાઈ સેવા, વીજળી નીતિ, ટેક્સટાઇલ નિકાસ, GST અને VAT સંબંધિત મુદ્દાઓ, GIDCના પ્રશ્નો, પૂરગ્રસ્ત ઉદ્યોગોને રાહત, ટાઉન પ્લાનિંગ સહિતના અનેક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ચેમ્બરે ભારપૂર્વક રજૂઆત કરી હતી કે દક્ષિણ ગુજરાત રાજ્યના અર્થતંત્રનું સૌથી મોટું ઔદ્યોગિક એન્જિન છે, તેથી અહીંના પ્રશ્નોના ઝડપી નિરાકરણથી સમગ્ર રાજ્યના ઔદ્યોગિક વિકાસને ગતિ મળશે.

  1. સુરતથી પ્રાદેશિક હવાઈ સેવા મજબૂત બનાવવાની માંગ

UDAN/VGF યોજના હેઠળ સુરત-અમદાવાદ, સુરત-રાજકોટ અને સુરત-ભાવનગર રૂટ પર 50થી 70 બેઠકો ધરાવતા વિમાનો શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. હાલ 9 સીટની મર્યાદા મુસાફરોની માંગને અનુરૂપ નથી જ્યારે સુરત એરપોર્ટ પર 70થી વધુ બેઠકોના વિમાનો સફળતાપૂર્વક સંચાલિત થઈ રહ્યા હોવાનું રજૂ કરાયું.

  1. GUVNLની એનર્જી બેન્કિંગ નીતિથી અટવાયેલી ગ્રીન એનર્જી ક્ષમતાનો ઉકેલ

31 ઓગસ્ટ 2024 પહેલાં રોકાણ કરનાર રિન્યુએબલ એનર્જી ઉત્પાદકોની Energy Banking મર્યાદા 100 ટકાથી ઘટાડીને 30 ટકા કરાતા આશરે 40 ટકા ઉત્પાદન ક્ષમતા બિનઉપયોગી બની ગઈ હોવાનું જણાવાયું. વીજળી ટ્રાન્સફર, Wheeling, Group Captive અને BESS માટેની મંજૂરી ઝડપથી આપવા રજૂઆત કરવામાં આવી.

  1. GETCO દક્ષિણ ઝોનનું મુખ્ય મથક સુરતમાં ખસેડવાની માંગ

ડીજીવીસીએલનું કોર્પોરેટ મુખ્ય મથક સુરતમાં હોવાથી GETCOનું દક્ષિણ ઝોન મુખ્ય મથક પણ સુરતમાં લાવવામાં આવે તો વીજ માળખાકીય વિકાસ અને સંકલનમાં ગતિ આવશે તેવી રજૂઆત કરવામાં આવી.

  1. લિફ્ટ-એસ્કેલેટર નિરીક્ષકની દક્ષિણ ઝોન કચેરી સુરતમાં ખસેડવાની રજૂઆત

દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગો, મોલ, હોસ્પિટલ અને ઊંચી ઇમારતોની સંખ્યા વધતા લિફ્ટ અને એસ્કેલેટર સંબંધિત સેવાઓ માટે વડોદરાના બદલે સુરતમાં ઝોનલ કચેરી સ્થાપવાની માંગ કરવામાં આવી.

  1. VAT, CST અને એન્ટ્રી ટેક્સ માટે એમ્નેસ્ટી યોજના અમલમાં મૂકવાની માંગ

GST અમલ પછી પણ જૂના VAT, CST અને Entry Taxના વિવાદો વેપારીઓને પરેશાન કરી રહ્યા છે. મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારની Sabka Vishwas Scheme જેવી વ્યાપક એમ્નેસ્ટી યોજના જાહેર કરવાની માંગ કરવામાં આવી.

  1. DDPI પર સ્ટેમ્પ ડ્યુટી અંગે સ્પષ્ટતા કરવા રજૂઆત

SEBI દ્વારા માન્ય DDPI માત્ર ટ્રેડ સેટલમેન્ટ માટેની સૂચના હોવાથી તેના પર સ્ટેમ્પ ડ્યુટી લાગુ પડતી નથી તે અંગે ગુજરાત સરકાર સ્પષ્ટ માર્ગદર્શન જાહેર કરે તેવી માંગ કરવામાં આવી.

  1. પેટ્રોલ-ડીઝલ પર VATમાં 1થી 2 ટકા ઘટાડાની માંગ

ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી પરિવહન ખર્ચ વધી રહ્યો છે. ઉદ્યોગો, વેપારીઓ, ખેડૂતો અને સામાન્ય નાગરિકોને રાહત આપવા પેટ્રોલ અને ડીઝલ પરના VAT તથા સેસમાં પ્રથમ તબક્કે 1થી 2 ટકાનો ઘટાડો કરવાની રજૂઆત કરવામાં આવી.

  1. GSTના આદેશો અંગ્રેજી અથવા દ્વિભાષી સ્વરૂપે જારી કરવાની માંગ

GST હેઠળના આદેશો માત્ર પ્રાદેશિક ભાષામાં હોવાથી અપીલ દરમિયાન સમય અને ખર્ચ વધે છે. તેથી અંગ્રેજી અથવા દ્વિભાષી ઓર્ડર ફરજિયાત કરવા રજૂઆત કરવામાં આવી.

  1. સુરતમાં કસ્ટમ્સ માન્ય ટેક્સટાઇલ ટેસ્ટિંગ લેબ શરૂ કરવાની માંગ

હાલ ફેબ્રિકના નમૂનાઓ વડોદરા મોકલવાના કારણે નિકાસમાં વિલંબ થાય છે. સુરતની MANTRA લેબોરેટરીને કસ્ટમ્સ માન્યતા આપી નિકાસ પ્રક્રિયા ઝડપી બનાવવા રજૂઆત કરવામાં આવી.

  1. GIDCમાં ઓટોમોબાઇલ યુનિટોને ઉદ્યોગ તરીકે માન્યતા આપવાની માંગ

GIDC વિસ્તારમાં કાર્યરત ઓટોમોબાઇલ યુનિટોને કોમર્શિયલ તરીકે ગણાવી કાર્યવાહી થતી હોવાથી નીતિમાં સુધારો કરી તેમને ઔદ્યોગિક એકમ તરીકે માન્યતા આપવાની રજૂઆત કરવામાં આવી.

  1. વ્યારા અને વાલોડને કેટેગરી-Aમાં સમાવવાની માંગ

તાપી જિલ્લાના વ્યારા અને વાલોડ ઔદ્યોગિક રીતે પછાત હોવાથી નવી ઉદ્યોગ નીતિ-2026 હેઠળ કેટેગરી-Aમાં સમાવેશ કરી રોકાણ અને રોજગારીને પ્રોત્સાહન આપવાની રજૂઆત કરવામાં આવી.

  1. ટેક્સટાઇલ પોલિસીની DLACમાં પ્રાદેશિક ચેમ્બરને સ્થાન આપવા માંગ

ગુજરાત ટેક્સટાઇલ પોલિસી-2024 હેઠળ જિલ્લા સ્તરની સમિતિમાં પ્રાદેશિક ચેમ્બરનો સમાવેશ ન હોવાથી તેમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી.

  1. પૂરગ્રસ્ત ઉત્પાદન એકમોને રાહત પેકેજમાં સ્પષ્ટ સમાવેશ કરવાની માંગ

સુરતના પૂરગ્રસ્ત MSME માટે જાહેર થયેલા પેકેજમાં ઉત્પાદન એકમોને સ્પષ્ટ લાભાર્થી તરીકે સામેલ કરવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી.

  1. પૂરગ્રસ્ત ઉદ્યોગોને મિલકત વેરામાં રાહત

તાજેતરના પૂરના કારણે નુકસાન પામેલા સુરત મહાનગરપાલિકા વિસ્તારના ઉત્પાદન એકમોને મિલકત કરમાં રાહત આપવાની રજૂઆત કરવામાં આવી હતી.

  1. જાહેર ટ્રસ્ટોને રોકાણમાં વધુ સ્વતંત્રતા આપવા માંગ

મહારાષ્ટ્રની જેમ જાહેર ટ્રસ્ટોને પૂર્વ મંજૂરી વિના નિર્ધારિત મર્યાદા સુધી રોકાણ કરવાની છૂટ ગુજરાતમાં પણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી.

  1. રોડ ટેક્સની દ્વિગુણી વસૂલાત દૂર કરવાની માંગ

RTO દ્વારા રોડ ટેક્સ વસૂલ્યા બાદ પણ નગરપાલિકાઓ દ્વારા અલગથી વસૂલાત થતી હોવાથી ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટની કલમ 99(II)માં સુધારો કરવાની રજૂઆત કરવામાં આવી.

  1. વર્ષોથી અટવાયેલી ટી.પી. સ્કીમોને મંજૂરી આપવા રજૂઆત

સુરત જિલ્લામાં છેલ્લા બે દાયકાથી અટવાયેલી ડ્રાફ્ટ અને પ્રિલિમિનરી ટાઉન પ્લાનિંગ સ્કીમોને ઝડપથી અંતિમ મંજૂરી આપી વિકાસ કાર્યોને ગતિ આપવા માંગ કરવામાં આવી.

July 31, 2026
WhatsApp-Image-2026-07-30-at-16.44.37-1280x853.jpeg
1min40

પૂર અસરગ્રસ્ત વેપારીઓને રૂ. 30 લાખ સુધીની લોન પર 3 વર્ષ માટે 7 ટકા વ્યાજ સબસિડી અપાશે; નુકસાનીના ફોટો/વીડિયો ન હોય તો ચેમ્બર કે જે-તે એસોસિયેશનનું સર્ટિફિકેટ માન્ય પુરાવો ગણાશે

અરજી પ્રક્રિયા, લોન ટેન્યોર અને વ્યાજ સબસિડી અંગે સ્પષ્ટતા આપતા DIC-GM અને કલેક્ટર કચેરીના અધિકારીઓ

બેંકમાંથી સેન્ક્શન લેટર મેળવી DIC કચેરી ખાતે જમા કરાવવાનો રહેશે; ઇન્સ્યોરન્સ ક્લેઇમ સાથે લોનને લિંક કરાશે નહીં

સુરત, 30 જુલાઈ 2026: દક્ષિણ ગુજરાતના પૂર અસરગ્રસ્ત વેપારીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે જાહેર કરાયેલી ‘સુરત ફ્લડ રિલીફ સ્કીમ’ અંતર્ગત લોન અને વ્યાજ સબસિડીની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવાના હેતુથી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC)ના જનરલ મેનેજરની અધ્યક્ષતામાં આજે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવેલી ત્વરિત રજૂઆતના પગલે આયોજિત આ બેઠકમાં દક્ષિણ ગુજરાતની તમામ બેંકોના હેડ, અગ્રણી બેંકર્સ, કલેક્ટર કચેરીના અધિકારીઓ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલા અને પૂર્વ પ્રમુખ શ્રી આશિષ ગુજરાતી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં બેંકો સુધી સ્કીમની સ્પષ્ટ ગાઇડલાઇન પહોંચાડવા અને વેપારીઓને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે નીચે મુજબના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે:

  1. અરજી પ્રક્રિયા અને સેન્ક્શન લેટર: સ્કીમ હેઠળ લાભ મેળવવા ઇચ્છુક વેપારીએ જે-તે બેંકમાં લોન માટે અરજી કરી ‘સેન્ક્શન લેટર’ (મંજૂરી પત્ર) મેળવવાનો રહેશે. આ સેન્ક્શન લેટર DICની કચેરી ખાતે જમા કરાવ્યા બાદ તેના આધારે લોન મંજૂર કરવામાં આવશે. લોન/સબસિડી માટે આખરી સત્તા ડીઆઈસીની રહેશે.
  2. લોનની રકમ, મુદત અને 7% વ્યાજ સબસિડી: સરકારી ઠરાવ (જીઆર) મુજબ પૂર અસરગ્રસ્ત વેપારીઓને રૂ. 30 લાખ સુધીની લોન પર વર્ષે 7 ટકા વ્યાજ સબસિડી 3 વર્ષ માટે મળવાપાત્ર રહેશે. જો કોઈ વેપારીને રૂ. 30 લાખથી વધુ રકમની લોન સેન્ક્શન થાય કે લોનની મુદત 3 વર્ષથી વધુ હોય, તો પણ વ્યાજ સબસિડીની રકમ રૂ. 30 લાખની મર્યાદામાં વાર્ષિક 7 ટકા લેખે મહત્તમ 3 વર્ષ સુધી જ મર્યાદિત રહેશે.
  3. નુકસાનીના પુરાવા અંગે મોટી છૂટછાટ: જો કોઈ વેપારી પાસે પૂરના કારણે થયેલા નુકસાનના ફોટોગ્રાફ્સ કે વીડિયોગ્રાફીના પુરાવા ઉપલબ્ધ ન હોય, તો તેવા કિસ્સામાં ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) અથવા જે-તે સર્વિસ સોસાયટી/કો-ઓપરેટિવ સોસાયટી/વેપારી એસોસિયેશનનું સર્ટિફિકેટ વેલિડ પ્રૂફ તરીકે માન્ય ગણવામાં આવશે.
  4. કોલેટરલ સિક્યોરિટી અને અન્ય જોગવાઈઓ: લોન મંજૂર કરતી વખતે જો કોલેટરલ કે મોર્ગેજ મૂલ્યમાં આંશિક ઘટાડો જણાતો હોય, તો પણ વેપારીઓની લોન અરજીઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી લોન મંજૂર કરવા બેંકોને સૂચન થયું છે. વધુમાં, આ સ્કીમને વેપારીના ઇન્સ્યોરન્સ ક્લેઇમ સાથે લિંક કરવામાં આવશે નહીં.
  5. જરૂરી દસ્તાવેજો: લોન અરજી સાથે વેપારીઓએ એપ્રિલ, મે, જૂન મહિનાના GSTR-3Bની નકલ રજૂ કરવાની રહેશે.

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા અમદાવાદ સ્થિત બેંકોની રિજિયોનલ ઓફિસોને આ અંગે તાકીદે પરિપત્ર જારી કરવામાં આવશે, જેથી સુરતની તમામ બેંક શાખાઓ સુધી ગાઇડલાઇન સત્વરે પહોંચે અને વેપારીઓને રાહત લોનનો લાભ ઝડપથી મળી શકે.

July 29, 2026
WhatsApp-Image-2026-07-27-at-18.58.46-1280x853.jpeg
1min42
  • રોજગાર શોધનાર નહીં પણ રોજગાર આપનાર બની દેશના વિકાસમાં યોગદાન આપવા અતુલ પટેલનું આહ્વાન
  • અતુલ પટેલ અને ‘ચૂઝ માય ટ્રીપ’ના ત્રુપેશ વાઘાણીના હસ્તે થયો કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ
  • 2500થી વધુ યુવા સાહસિકો અને રોકાણકારોનો મહાકુંભ યોજાયો
  • 25થી વધુ નવા સ્ટાર્ટઅપ્સનું પ્રેઝન્ટેશન; રૂ. 2.3 કરોડથી વધુના સંભવિત ઇન્વેસ્ટમેન્ટ માટે હકારાત્મક વાટાઘાટો સંપન્ન

યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા, નવા સ્ટાર્ટઅપ્સ અને રોકાણ અંગે વ્યાપક જાગૃતિ લાવવાના મુખ્ય હેતુથી મોટા વરાછા, સુદામા બેન્ક્વેટ હોલ ખાતે શનિવાર, તા. 25 જુલાઈ 2026ના રોજ ‘કેપિટલ નેક્સસ સિઝન–2’ નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

આ કાર્યક્રમમાં સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાંથી 2500થી વધુ યુવા ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં 25થી વધુ નવા બિઝનેસ સ્ટાર્ટઅપ્સે પોતાના ઇનોવેટિવ આઇડિયા અને ફંડિંગ યોજનાઓ અગ્રણી રોકાણકારો સમક્ષ રજૂ કરી હતી.

કાર્યક્રમનું ઉદ્‌ઘાટન મુખ્ય અતિથિ અને ચેમ્બર ઓફ કોમર્સના માનદ્‌ ખજાનચી શ્રી અતુલ પટેલ તથા મુખ્ય પ્રાયોજક ‘ચૂઝ માય ટ્રીપ’ના શ્રી ત્રુપેશ વાઘાણીના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ શ્રી અતુલ પટેલે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં યુવાનોને પરંપરાગત માનસિકતામાંથી બહાર આવી નવી વિચારસરણી સાથે આગળ વધવા હાકલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આજનો યુવા માત્ર રોજગાર શોધનાર ન બનતાં, નવા સાહસો શરૂ કરીને અન્યોને રોજગારી આપનારો એમ્પ્લોયર બને અને સમાજ તેમજ દેશના આર્થિક વિકાસમાં સક્રિય યોગદાન આપે.

રૂ.2.3 કરોડથી વધુનું સંભવિત રોકાણ: બિઝનેસ પીચિંગ અને નેટવર્કિંગ સેશન દરમિયાન રોકાણકારો અને નવા વ્યવસાય શરૂ કરનાર યુવાનો વચ્ચે અનેક મહત્વપૂર્ણ વ્યાપારી ચર્ચાઓ થઈ હતી. જેના પરિણામે પ્રારંભિક તબક્કે જ રૂ.2.3 કરોડથી વધુના સંભવિત રોકાણ માટે અત્યંત હકારાત્મક વાતચીત થઈ હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સખીયા, મયંક ભાલાળા, રિદ્ધિ ગુજરાતી, હેત્વીક ઝાલાવડીયા, ધ્યેય દુધાત્રા અને ક્રિશ કુંભાણી સહિતની યુવા આયોજક ટીમે અથાક મહેનત અને સમર્પણ સાથે કામ કર્યું હતું. કેપિટલ નેક્સસ આજે માત્ર એક ઇવેન્ટ નહીં, પણ યુવાનોના બિઝનેસ આઇડિયાને વેગ આપવા અને યોગ્ય ગાઇડન્સ પૂરું પાડવાનું સશક્ત મંચ બની રહ્યું છે. આયોજકોએ આગામી સમયમાં પણ વધુ મોટા પાયે આવા પ્લેટફોર્મ પૂરા પાડી ગુજરાતના યુવાનોને નવી તકો આપવાનો મક્કમ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

સુરતના મોટા વરાછા ખાતે ‘કેપિટલ નેક્સસ સિઝન–2’ યોજાઈ
2500થી વધુ યુવા સાહસિકો અને રોકાણકારોનો મહાકુંભ યોજાયો
25થી વધુ નવા સ્ટાર્ટઅપ્સનું પ્રેઝન્ટેશન; રૂ. 2.3 કરોડથી વધુના સંભવિત ઇન્વેસ્ટમેન્ટ માટે હકારાત્મક વાટાઘાટો સંપન્ન

રોજગાર શોધનાર નહીં પણ રોજગાર આપનાર બની દેશના વિકાસમાં યોગદાન આપવા અતુલ પટેલનું આહ્વાન
અતુલ પટેલ અને ‘ચૂઝ માય ટ્રીપ’ના ત્રુપેશ વાઘાણીના હસ્તે થયો કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ

યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા, નવા સ્ટાર્ટઅપ્સ અને રોકાણ અંગે વ્યાપક જાગૃતિ લાવવાના મુખ્ય હેતુથી મોટા વરાછા, સુદામા બેન્ક્વેટ હોલ ખાતે શનિવાર, તા. 25 જુલાઈ 2026ના રોજ ‘કેપિટલ નેક્સસ સિઝન–2’ નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

આ કાર્યક્રમમાં સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાંથી 2500થી વધુ યુવા ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં 25થી વધુ નવા બિઝનેસ સ્ટાર્ટઅપ્સે પોતાના ઇનોવેટિવ આઇડિયા અને ફંડિંગ યોજનાઓ અગ્રણી રોકાણકારો સમક્ષ રજૂ કરી હતી.

કાર્યક્રમનું ઉદ્‌ઘાટન મુખ્ય અતિથિ અને ચેમ્બર ઓફ કોમર્સના માનદ્‌ ખજાનચી શ્રી અતુલ પટેલ તથા મુખ્ય પ્રાયોજક ‘ચૂઝ માય ટ્રીપ’ના શ્રી ત્રુપેશ વાઘાણીના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ શ્રી અતુલ પટેલે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં યુવાનોને પરંપરાગત માનસિકતામાંથી બહાર આવી નવી વિચારસરણી સાથે આગળ વધવા હાકલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આજનો યુવા માત્ર રોજગાર શોધનાર ન બનતાં, નવા સાહસો શરૂ કરીને અન્યોને રોજગારી આપનારો એમ્પ્લોયર બને અને સમાજ તેમજ દેશના આર્થિક વિકાસમાં સક્રિય યોગદાન આપે.

રૂ.2.3 કરોડથી વધુનું સંભવિત રોકાણ: બિઝનેસ પીચિંગ અને નેટવર્કિંગ સેશન દરમિયાન રોકાણકારો અને નવા વ્યવસાય શરૂ કરનાર યુવાનો વચ્ચે અનેક મહત્વપૂર્ણ વ્યાપારી ચર્ચાઓ થઈ હતી. જેના પરિણામે પ્રારંભિક તબક્કે જ રૂ.2.3 કરોડથી વધુના સંભવિત રોકાણ માટે અત્યંત હકારાત્મક વાતચીત થઈ હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સખીયા, મયંક ભાલાળા, રિદ્ધિ ગુજરાતી, હેત્વીક ઝાલાવડીયા, ધ્યેય દુધાત્રા અને ક્રિશ કુંભાણી સહિતની યુવા આયોજક ટીમે અથાક મહેનત અને સમર્પણ સાથે કામ કર્યું હતું. કેપિટલ નેક્સસ આજે માત્ર એક ઇવેન્ટ નહીં, પણ યુવાનોના બિઝનેસ આઇડિયાને વેગ આપવા અને યોગ્ય ગાઇડન્સ પૂરું પાડવાનું સશક્ત મંચ બની રહ્યું છે. આયોજકોએ આગામી સમયમાં પણ વધુ મોટા પાયે આવા પ્લેટફોર્મ પૂરા પાડી ગુજરાતના યુવાનોને નવી તકો આપવાનો મક્કમ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

July 29, 2026
Travel-Fair-1280x596.jpg
1min47

ગુજરાત વિધાનસભાના નાયબ અધ્યક્ષ અને સુરત પશ્ચિમના ધારાસભ્ય શ્રી પૂર્ણેશ મોદીએ ઉપસ્થિત રહી પ્રદર્શનને ખુલ્લું મૂક્યું

ડોમેસ્ટિક ટુરિઝમ વધારવાની જરૂર છે, જેથી ભારતીય હૂંડિયામણ ભારતમાં જ રહે તેવો ધારાસભ્યશ્રીનો આગ્રહ

Global Travel Trade Fair 2026 એ માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ વૈશ્વિક પ્રવાસન ઉદ્યોગને એક જ છત નીચે લાવતું આંતરરાષ્ટ્રીય મંચ છે. આ એક્સ્પો દ્વારા B2B અને B2C નેટવર્કિંગ માટે ઉત્કૃષ્ટ તકોઃ ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા

સુરત 28 જુલાઈ 2026: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા પ્રવાસન ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ કરવામાં આવ્યો છે. TAAPI ટ્રાવેલ એક્સ્પો (TTE) 2026ના સહયોગથી ચેમ્બર દ્વારા દક્ષિણ ગુજરાતના ઇતિહાસમાં સર્વપ્રથમવાર આંતરરાષ્ટ્રીય સ્તરના ‘ગ્લોબલ ટ્રાવેલ ટ્રેડ ફેર (GTTF) 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC)ના પિલર-લેસ ડોમમાં 28 અને 29 જુલાઈ 2026ના રોજ આ વિશાળ B2B એક્ઝિબિશન યોજાયું છે.

GTTF 2026ના ઉદ્‌ઘાટન સમારોહ આજરોજ સવારે 10:30 કલાકે સરસાણા સ્થિત ઉષાકાંત મારફતિયા હોલ ખાતે યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ અધ્યક્ષ અને સુરત પશ્ચિમના ધારાસભ્ય શ્રી પૂર્ણેશ મોદીએ ઉપસ્થિત રહી પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે સોહાગિયા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના એમડી શ્રી કાંતિલાલ સોહાગિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ‘એક્ઝિબિટર્સ ગાઇડ’ અને ‘GTTF 2027’ ના બ્રોશરનું ડિજિટલ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

ડોમેસ્ટિક ટુરિઝમ વધારવાની જરૂર છે, જેથી ભારતીય હૂંડિયામણ ભારતમાં જ રહે
ગુજરાત વિધાનસભાના નાયબ અધ્યક્ષ અને સુરત પશ્ચિમના ધારાસભ્ય શ્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આજે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસે હું દરેક ભારતીય નાગરિકને ભારતના વિવિધ પ્રાકૃતિક સ્થળો, ધાર્મિક, એડવેન્ચર અને રમણીય સ્થળોની મુલાકાત લઈને ભારતીય પરંપરાને નજીકતાથી માણે તેવી ઈચ્છા રાખું છું. કારણ કે, વિકસિત ભારતના મૂળમાં આત્મનિર્ભર ભારત છે અને જ્યારે ભારતીય પ્રવાસન સ્થળોની મુલાકાત ભારતીયો લેશે તો ભારતીય હૂંડિયામણ દેશમાં જ રહેશે. દેશમાં અસંઘટિત ક્ષેત્રના કામગારોને રોજગારી પ્રદાન કરવાનું કાર્ય પ્રવાસન ક્ષેત્ર અને તેના એજેન્ટો દ્વારા થાય છે. પ્રવાસન ક્ષેત્ર રોજગારી પ્રદાન કરવાની સાથે જ રાજકીય સંબંધો મજબૂત કરવાનું કાર્ય અને સંસ્કૃતિનું અદાન-પ્રદાન કરવાનું કાર્ય કરે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે જ્યારે ડોમેસ્ટિક ટુરિઝમ વધારવાની વાત કરી રહ્યા છે, ત્યારે વિશ્વના અનેક દેશો માત્ર ટુરિઝમ થકી જ આર્થિક ઉપાર્જન મેળવે છે તે બાબતને ધ્યાને લેવી જોઈએ. વિશ્વમાં પ્રખ્યાત થયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી રાજ્યના પ્રવાસન ક્ષેત્રમાં પરિવર્તન આવ્યું છે.

એક્સ્પો દ્વારા B2B (બિઝનેસ-ટુ-બિઝનેસ) અને B2C (બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર) નેટવર્કિંગ માટે ઉત્કૃષ્ટ તકો
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, તાજેતરના આર્થિક આંકડા અનુસાર, ભારતમાં ટ્રાવેલ ઉદ્યોગમાં વાર્ષિક એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગ સ્પેન્ડમાં ૨૮% સુધીનો તીવ્ર ઉછાળો નોંધાયો છે. આજે ૭૫% થી વધુ ટ્રાવેલ બુકિંગ અને શોધ ડિજિટલ માધ્યમો જેવાં કે સોશિયલ મીડિયા, એપ્સ અને ઓનલાઇન પ્લેટફોર્મ્સ દ્વારા થાય છે. ખાસ કરીને ટિયર-૨ અને ટિયર-૩ શહેરોમાંથી ડિજિટલ માધ્યમો દ્વારા પ્રવાસન અંગેની જાગૃતિ ૩૫% થી વધુ વધી છે. આજે પણ સ્થાનિક પ્રવાસન અને વિશ્વાસપાત્ર આયોજનો માટે વર્તમાનપત્રો અને પ્રિન્ટ મીડિયા સૌથી મોટું અને ભરોસાપાત્ર માધ્યમ છે, જે સ્થાનિક લોકોને ટૂરિઝમ સાથે સીધા જોડે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ Global Travel Trade Fair 2026 એ માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ વૈશ્વિક પ્રવાસન ઉદ્યોગને એક જ છત નીચે લાવતું આંતરરાષ્ટ્રીય મંચ છે. આ એક્સ્પો દ્વારા B2B (બિઝનેસ-ટુ-બિઝનેસ) અને B2C (બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર) નેટવર્કિંગ માટે ઉત્કૃષ્ટ તકો ઉભી થશે. અહીં દેશ-વિદેશના ડેસ્ટિનેશન્સ, નવીનતમ સેવાઓ અને ટ્રાવેલ ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત, જે ભારતનું સૌથી ઝડપથી વિકસતું આર્થિક હબ છે, ત્યાં નવતર વ્યવસાયિક તકોના દ્વાર ખુલશે.

ભારતની કુલ આવક (ટર્નઓવર)ના ગ્રોથમાં પ્રવાસન ઉદ્યોગનો ફાળો અત્યારે 13% થી પણ વધુ છે
શ્રી કાંતિલાલ સોહાગિયાએ જણાવ્યું હતું કે, ભારતની કુલ આવક (ટર્નઓવર)ના ગ્રોથમાં પ્રવાસન ઉદ્યોગનો ફાળો અત્યારે 13% થી પણ વધુ છે. ઘણા વર્ષો પહેલા જ્યારે તેમણે વ્યવસાય શરૂ કર્યો હતો, ત્યારે આ ક્ષેત્રનો ગ્રોથ માત્ર 3 થી 4% હતો, જે આજે વધીને 13 થી 15% સુધી પહોંચી ગયો છે. તેમના મતે આ ઈન્ડસ્ટ્રીમાં અકલ્પનીય વિકાસની તકો રહેલી છે.

ઉદઘાટન સમારોહના અંતે ચેમ્બરના ઉપ પ્રમુખશ્રી રવિરાજ દેસાઈએ ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયા, માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ, તાપી એસોસિએશનના પ્રમુખ શ્રી જિગ્નેશ પટેલ, ચેમ્બરના પૂર્વ પ્રમુખશ્રીઓ, ગ્રૃપ ચેરમેનો અને વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ તેમજ એક્ઝિબિટર્સ ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બરના ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનીષ કાપડિયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, જ્યારે ગ્લોબલ ટ્રાવેલ ટ્રેડ ફેર-2026ના ચેરમેન શ્રી વિનેશ શાહે એક્ઝિબિશન વિશેની માહિતી આપી હતી.

July 24, 2026
01.JPG-1280x853.jpeg
2min44

  • ભાજપ મહિલા મોરચાનાં પ્રદેશ અધ્યક્ષ અંજુબેન વેકરિયાના હસ્તે મેળો ખુલ્લો મુકાયો; ગૃહ ઉદ્યોગ કરતી મહિલાઓ માટે વેપારના નવા દ્વાર ખુલશે
  • સુરત નારી સશક્તિકરણનું કેન્દ્ર; મહિલાઓના હુન્નરને માર્કેટિંગ પ્લેટફોર્મ આપવા ચેમ્બર સતત પ્રયત્નશીલ: અશોક જીરાવાલા
  • મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બને તે માટે સરકારના તાલીમ કાર્યક્રમો અને વર્કશોપનો લાભ લેવા અંજુબેન વેકરિયાનું આહ્વાન
  • કોરોના કાળથી શરૂ થયેલી ચેમ્બરની આ પહેલથી સ્થાનિક મહિલા સાહસિકોને મોટું પ્રોત્સાહન મળ્યું: દિનેશ નાવડિયા
  • રાખી, ડિઝાઇનર સાડીઓ, ઇમિટેશન જ્વેલરી, હસ્તકલા અને હોમ ડેકોર સહિતની પ્રોડક્ટ્સનું એક જ જગ્યાએ ભવ્ય પ્રદર્શન આજે પણ ચાલુ રહેશે

શ્રાવણ માસ દરમિયાન આવતા પવિત્ર તહેવારોની ઉજવણીને ધ્યાનમાં રાખીને વેપાર અને મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા તા. 24 અને 25 જુલાઈ 2026ના રોજ મોટા વરાછા, સુદામા ચોક સ્થિત SMC કોમ્યુનિટી હોલ ખાતે દ્વિ-દિવસીય ‘શ્રાવણ બિઝનેસ મેળા 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10:00થી સાંજે 07:00 કલાક દરમિયાન યોજાયેલા આ બિઝનેસ મેળાનો ભાજપ મહિલા મોરચા ગુજરાતનાં અધ્યક્ષ શ્રીમતી અંજુબેન વેકરિયાના વરદ્‌ હસ્તે આજે ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ગૃહ ઉદ્યોગ કરતી બહેનોને વ્યાપારી પ્લેટફોર્મ: ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, “શ્રાવણનો પવિત્ર મહિનો સમૃદ્ધિ અને નવી શરૂઆતનો સંદેશ આપે છે. સુરત હંમેશાં નારી સશક્તિકરણનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. ટેક્સટાઇલ અને અન્ય ક્ષેત્રોમાં લાખો મહિલાઓ રોજગારી મેળવે છે. જે બહેનો ઘરે બેસીને નાના ગૃહ ઉદ્યોગો ચલાવે છે, તેમના હુન્નરને યોગ્ય માર્કેટિંગ અને ગ્રાહકોનું પ્લેટફોર્મ મળી રહે તે માટે ચેમ્બર આ મેળાનું આયોજન કરે છે. આ મેળો માત્ર વેપારનું માધ્યમ નથી પણ લઘુ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને મહિલા સાહસિકોને નવા બજારો સાથે જોડતો સેતુ છે.”

મહિલાઓ દરેક સ્થિતિમાં આત્મનિર્ભર બનવા સક્ષમ: અંજુબેન વેકરિયા મુખ્ય અતિથિ શ્રીમતી અંજુબેન વેકરિયાએ બહેનોને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, મહિલાઓ ઘરની સાથે વેપાર પણ શ્રેષ્ઠ રીતે સાચવી શકે છે. બહેનો આર્થિક રીતે પગભર બને તે માટે રિઝર્વ બેંક પ્રેરિત કલાભારતી જેવા સરકારી તાલીમ કાર્યક્રમો અને વર્કશોપનો મહત્તમ લાભ લેવો જોઈએ. જ્યારે ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી દિનેશ નાવડિયાએ યાદ અપાવ્યું હતું કે, કોરોના કાળમાં મહિલાઓને રોજગારી આપવા શરૂ કરાયેલી ચેમ્બરની આ પરંપરા આજે બહેનો માટે વેપારના નવા દ્વાર ખોલી રહી છે.

એક જ છત નીચેથી તહેવારલક્ષી ખરીદી: ચેમ્બરના શ્રાવણ બિઝનેસ મેળાનાં ચેરપર્સન શ્રીમતી રૂપલ શાહે વિગતો આપતા જણાવ્યું કે, આ મેળામાં ફેન્સી રાખડીઓ, રાખી કાર્ડ્સ, ડિઝાઇનર ડ્રેસ મટીરિયલ્સ, ઇમિટેશન જ્વેલરી, હોમ કેર પ્રોડક્ટ્સ, હેન્ડિક્રાફ્ટ, હોમ ડેકોરેશન, ફેન્સી બ્લાઉઝ, સાડીઓ, બેડશીટ્સ, કુર્તી-કોટી અને વાનગીઓ સહિતની તમામ તહેવારલક્ષી વસ્તુઓ ઉપલબ્ધ કરાઈ છે.

ઉદ્‌ઘાટન સમારોહનું સફળ સંચાલન માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલે કર્યું હતું અને ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનીષ કાપડિયાએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે લેડીઝ વિંગનાં ચેરપર્સન શ્રીમતી અલ્પાબેન મદ્રાસી, સ્થાનિક કોર્પોરેટરો સર્વશ્રી મનુભાઈ બલર, શ્રીમતી મનીષાબેન ખેર, શ્રીમતી ચંદ્રિકાબેન આસોદરિયા, શ્રી જૈનેશકુમાર જાદવ, શ્રીમતી જયશ્રીબેન ઓવારા, શ્રીમતી નયનાબેન ડોબરિયા સહિત સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

July 20, 2026
adani-Navchetan.jpg
1min51

સુરત, હજીરા: નવચેતન અદાણી વિદ્યાલય, જુનાગામ (શિવરામપુર) દ્વારા ‘તાપી પ્રાગટ્ય દિવસ’ની અનોખી ઉજવણી કરવામાં આવી. પર્યાવરણીય જાગૃતિના હેતુથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હજીરા ખાતે તાપી નદીના કિનારે પહોંચીને તાપી મૈયાનું ભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યું હતું.

મુલાકાત પૂર્વે શિક્ષકોએ પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદીના ભૌગોલિક મહત્વ, પ્રદૂષણના કારણો અને નદી સંરક્ષણ અંગે વિસ્તૃત સમજ આપી હતી. આ જ્ઞાનને અમલમાં મૂકતા વિદ્યાર્થીઓએ નદી કિનારે ઉત્સાહભેર સફાઈ ઝુંબેશ ચલાવી હતી અને પ્લાસ્ટિકમુક્ત તાપીનો સંદેશ આપતી એક પ્રભાવશાળી મૂક રેલી યોજી હતી.

વિદ્યાર્થીઓએ સ્વહસ્તે બનાવેલા આકર્ષક પોસ્ટરો દ્વારા સ્થાનિક નાગરિકો, વાહનચાલકો અને રાહદારીઓને નદી બચાવવા માટે પ્રેરિત કર્યા હતા. આ સરાહનીય પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા હજીરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોના પ્રયાસોને બિરદાવ્યા હતા.

કાર્યક્રમના અંતે સૌએ તાપી નદીને કચરામુક્ત રાખવા, સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરવા અને પર્યાવરણનું જતન કરવાના સામૂહિક શપથ લીધા હતા. આ પ્રેરણાદાયી અભિયાન દ્વારા અદાણી વિદ્યાલયે વિદ્યાર્થીઓ સાથે સમાજમાં પણ પર્યાવરણીય સંવેદનશીલતા જગાવવાનો સશક્ત પ્રયાસ કર્યો છે.

July 20, 2026
image-23-1280x853.png
1min49

માત્ર રૂ. 50માં સાત્વિક ભોજનની સુવિધા • હીરા ઉદ્યોગના વેપારીઓના સહયોગથી સામાજિક સેવાનું અનોખું મોડેલ • SDB માત્ર વેપાર નહીં, સંસ્કારનું પણ કેન્દ્ર બની રહ્યું છે

વિશ્વના સૌથી મોટા ઓફિસ કોમ્પ્લેક્સ તરીકે ઓળખાતા સુરત ડાયમંડ બુર્સ (SDB)માં હવે માત્ર હીરાના વેપાર પૂરતો જ નહીં, પરંતુ સામાજિક સેવા અને માનવ કેન્દ્રિત સુવિધાઓનો પણ વિસ્તાર થઈ રહ્યો છે. આજે SDB ખાતે ‘ચોવહાર હાઉસ અને ભોજનશાળા’નો પ્રારંભ કરવામાં આવ્યો, જે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ, કર્મચારીઓ, મુલાકાતીઓ તેમજ જૈન સમાજના લોકો માટે મહત્વપૂર્ણ સુવિધા સાબિત થશે.

આ ભોજનશાળામાં દરરોજ બપોરે માત્ર રૂ. 50ના સેવામૂલ્યે સ્વચ્છ, સાત્વિક અને ભરપેટ શાકાહારી ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત સાંજના સમયે ચોવહારની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી જૈન ધર્મના નિયમોનું પાલન કરતા લોકોને અનુકૂળતા મળશે.

પ્રસંગે સુરત ડાયમંડ બુર્સ ચોવહાર હાઉસ અને ભોજનશાળા સમિતિના પ્રમુખ સેવંતીભાઈ શાહે જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગના વેપારીઓ અને દાતાશ્રીઓના સ્વૈચ્છિક સહયોગથી આ સેવા શરૂ થઈ છે અને તેનો મુખ્ય હેતુ ગુણવત્તાયુક્ત તથા સાત્વિક ભોજન સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે.

SDBના વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સુરત ડાયમંડ બુર્સ હવે માત્ર વૈશ્વિક હીરા વેપારનું કેન્દ્ર નથી રહ્યું, પરંતુ સેવા, સંસ્કાર અને સામાજિક જવાબદારીનું પણ પ્રતીક બની રહ્યું છે. ભવિષ્યમાં પણ વેપારીઓ અને દાતાશ્રીઓના સહયોગથી આવી સેવાઓ સતત ચાલુ રહેશે.

આ પ્રસંગે હીરા ઉદ્યોગના અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રકલ્પ અનેક દાતાશ્રીઓના ઉદાર યોગદાનથી સાકાર થયો હોવાનું સમિતિએ જણાવ્યું હતું.

SDB માટે આ પહેલ કેમ મહત્વપૂર્ણ?

છેલ્લાં કેટલાક વર્ષોમાં સુરત ડાયમંડ બુર્સે પોતાની ઓળખ માત્ર ઓફિસ સ્પેસ પૂરતી સીમિત રાખી નથી. વેપારીઓને એક જ કેમ્પસમાં બેંકિંગ, કસ્ટમ્સ, લોજિસ્ટિક્સ, સુરક્ષા, કોન્ફરન્સ સુવિધાઓ અને હવે ગુણવત્તાયુક્ત ભોજન જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં સતત પ્રયાસો થઈ રહ્યા છે. ‘ચોવહાર હાઉસ અને ભોજનશાળા’ જેવી પહેલ કર્મચારીઓ અને વેપારીઓ માટે સમય તથા ખર્ચની બચત સાથે કાર્યક્ષમતામાં વધારો કરશે.

વિશેષ કરીને હજારો કર્મચારીઓ અને મુલાકાતીઓ દરરોજ SDBમાં આવે છે. આવી સ્થિતિમાં ઓછી કિંમતમાં સ્વચ્છ અને વિશ્વસનીય ભોજન મળવાથી સમગ્ર બિઝનેસ ઇકોસિસ્ટમને સીધો લાભ મળશે. આ પહેલ SDBને ‘વર્કપ્લેસથી આગળ વધીને સંપૂર્ણ બિઝનેસ કમ્યુનિટી’ તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

July 20, 2026
image-22.png
1min31

કેન્સર સર્જરીમાં આધુનિક ટેકનોલોજીથી દર્દીઓ માટે ઝડપી રિક્વરી શક્ય

હવે કેન્સરની સારવારમાં માત્ર બીમારી મટાડવી જ નહીં, પરંતુ ‘ક્વોલિટી ઓફ લાઈફ’ (જીવનની ગુણવત્તા) જાળવવી મહત્વની

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રવિવારે તા. 19 જુલાઈ 2026ના રોજ સવારે 10:30 કલાકે, સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘નાનું કટ.. કેન્સર પર મોટી જીત’ વિશે સેશન યોજાયું હતું, જેમાં પીપી મણિયા હોસ્પિટલના સીનિયર કન્સલ્ટન્ટ સર્જન ડો. મિશાલ શાહે કેન્સર સર્જરી વિશે અને ડો. મૃદુલ પટેલે લેપ્રોસ્કોપિક સર્જરીના ફાયદાઓ વિસ્તૃત સમજ આપી હતી.

હવે કેન્સરની સારવારમાં માત્ર બીમારી મટાડવી જ નહીં, પરંતુ ‘ક્વોલિટી ઓફ લાઈફ’ (જીવનની ગુણવત્તા) જાળવવી મહત્વનીઃ ડો. મિશાલ શાહ
સીનિયર કન્સલ્ટન્ટ સર્જન ડો.મિશાલ શાહે કેન્સર સર્જરીમાં આવેલા પરિવર્તનો વિશે વાત કરતા જણાવ્યું કે, હવે કેન્સરની સારવારમાં માત્ર બીમારી મટાડવી જ નહીં, પરંતુ ‘ક્વોલિટી ઓફ લાઈફ’ (જીવનની ગુણવત્તા) જાળવવી અને પેશન્ટ કેટલી વહેલી તકે સામાન્ય જીવનમાં પરત ફરી શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે લેપ્રોસ્કોપી (દૂરબીનથી થતી સર્જરી) દ્વારા પેટના અને છાતીના મોટાભાગના કેન્સરના ઓપરેશન હવે શક્ય છે, જેનાથી પેશન્ટને ઓછામાં ઓછો દુખાવો થાય છે.

ડો.મૃદુલ પટેલે લેપ્રોસ્કોપિક સર્જરીના ફાયદાઓ સમજાવતા કહ્યું કે,

  • પરંપરાગત 15-20 સે.મી.ના મોટા ચીરાને બદલે માત્ર 1 સેમીના નાના કાણાં દ્વારા જટિલ ઓપરેશનો કરવામાં આવે છે.
  • 3D અને 4K કેમેરા સિસ્ટમ દ્વારા ડોક્ટર્સને પેટની અંદરનું 360 ડિગ્રી સ્પષ્ટ દ્રશ્ય દેખાય છે, જે વધુ ચોકસાઈપૂર્વક સર્જરી કરવામાં મદદ કરે છે.
  • નાના ચીરાને કારણે પેશન્ટ 24 કલાકમાં ચાલતું થઈ જાય છે અને 4 થી 5 દિવસમાં રજા મેળવી શકે છે.
  • કેન્સરની સર્જરી બાદ કીમોથેરાપી કે રેડિએશનની જરૂર હોય તો દર્દી ઝડપથી રિક્વર થવાને કારણે સમયસર બીજી સારવાર શરૂ કરી શકાય છે.

સેમિનારમાં ICG ડાઈ જેવી નવી ટેકનોલોજી અને ચોથા સ્ટેજના કેન્સર માટે ‘પાઈપેક’ (PIPAC) જેવી અત્યાધુનિક પદ્ધતિઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી, જેના દ્વારા પેટમાં ભરાતા પાણીની સમસ્યામાં રાહત મેળવી શકાય છે. નિષ્ણાંતોએ સ્પષ્ટ કર્યું હતું કે દૂરબીનથી થતા ઓપરેશન કોઈ પ્રયોગ નથી, પરંતુ આજના સમયમાં તે ‘સ્ટાન્ડર્ડ ઓફ કેર’ છે.

આ સેશનમાં ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં ચેમ્બરના માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ, ડો.સોહમ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બરની પબ્લિક હેલ્થ કમિટીના કો-ચેરમેન ડો.ભાવિની દીક્ષિતે વક્તાનો પરિચય આપ્યો હતો. અંતે, ઉપસ્થિતોને મુંઝવતા પ્રશ્નોના સંતોષકારક જવાબો વક્તાશ્રી દ્વારા આપવામાં આવ્યા હતા. ચેમ્બરની પબ્લિક હેલ્થ કમિટીના ચેરમેન ડો.જગદીશ વઘાસિયા કાર્યક્રમનું સંચાલન કર્યું હતું તેમજ ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો.

July 17, 2026
Dinesh-Navadiya-1280x971.jpg
1min51

CiA Live ન્યુઝ વેબ

સુરત કે દક્ષિણ ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર રાજ્યમાં પહેલી હરોળમાં સ્થાન પામતી સુરતની વરાછા કો.ઓ. બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકે હીરા ઉદ્યોગના આગેવાન અને ઇન્ડીયન ડાયમંડ ઇન્સ્ટીટ્યુટના ચેરમેન દિનેશ નાવડીયાની વરણી કરવાનો ઠરાવ કરીને વરાછા બેંક મેનેજમેન્ટ દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને મંજૂરી અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. જેના પ્રતિસાદમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી દિનેશ નાવડીયાની વરણીને મંજૂરી આપવામાં આવી છે. બેંકના ચેરમેન નરેન્દ્રભાઇ કુકડીયા તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં દિનેશ નાવડીયાએ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકેનો ચાર્જ અખત્યાર કર્યો હતો.

આ પ્રસંગે દિનેશ નાવડીયાએ મિડીયા કર્મીઓને સંબોધતા જણાવ્યું હતું કે વરાછા કો-ઓપરેટિવ બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકે મારી વરણીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મંજૂરી મળતાં હું બેંકના તમામ સભાસદો, થાપણદારો, ગ્રાહકો, શેરહોલ્ડરો અને બોર્ડના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારા પર મૂકવામાં આવેલા વિશ્વાસને હું એક મોટી જવાબદારી તરીકે સ્વીકારું છું.

વરાછા કો-ઓપરેટિવ બેંકે છેલ્લા ઘણા વર્ષોથી પારદર્શિતા, વિશ્વસનીયતા અને ગ્રાહકકેન્દ્રિત સેવાઓના આધારે ગુજરાતની અગ્રણી સહકારી બેંકોમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. આ પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવવાનો અમારો સંકલ્પ રહેશે.

આગામી સમયમાં બેંકના વહીવટમાં સુશાસન (Good Governance), પારદર્શિતા, નિયમનકારી માળખાનું સંપૂર્ણ પાલન, જોખમ વ્યવસ્થાપન (Risk Management) અને આધુનિક બેંકિંગ સેવાઓના વિસ્તરણ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ડિજિટલ બેંકિંગને વધુ સશક્ત બનાવવાની સાથે ગ્રાહકોને ઝડપી, સુરક્ષિત અને ગુણવત્તાસભર સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું અમારી પ્રાથમિકતા રહેશે.
સહકારી ક્ષેત્રની મૂળ ભાવના અનુસાર નાના વેપારીઓ, ઉદ્યોગસાહસિકો, મહિલાઓ, યુવાનો, વ્યાવસાયિકો તથા સામાન્ય ગ્રાહકોની

નાણાકીય જરૂરિયાતોને વધુ અસરકારક રીતે પૂરી કરી શકાય તે માટે નવા આયામો પર કામ કરવામાં આવશે. બેંકના મજબૂત નાણાકીય પાયા, થાપણદારોના હિતોની સુરક્ષા અને સતત વિકાસ માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ, કર્મચારીગણ અને તમામ હિતધારકો સાથે ટીમભાવનાથી કાર્ય કરવામાં આવશે.

વરાછા કો-ઓપરેટિવ બેંકને વધુ આધુનિક, વધુ મજબૂત, વધુ વિશ્વસનીય અને ગ્રાહકોની પ્રથમ પસંદગી બને તેવી સંસ્થા તરીકે આગળ લઈ જવાનો અમારો સ્પષ્ટ રોડમેપ રહેશે. બેંકના વિકાસની સાથે સમાજ અને અર્થતંત્રના વિકાસમાં પણ વધુ સકારાત્મક યોગદાન આપી શકાય તે દિશામાં સતત પ્રયત્ન કરવામાં આવશે.

મને વિશ્વાસ છે કે બેંકના કર્મચારીઓ, ગ્રાહકો, સભાસદો અને તમામ શુભેચ્છકોના સહયોગથી આપણે વિકાસના નવા સીમાચિહ્નો સ્થાપિત કરી શકીશું.