સુરતના વરાછા વિસ્તારમાં ધોળા દિવસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાંચમાં લૂંટ ચલાવવાની ઘટના બની છે. આજે 27/04/2026 સોમવારે ધોળાદિવસે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા(SBI)ની શાખામાં મોટી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ચાર હથિયારધારી લૂંટારુઓએ ઘૂસીને બૅન્કમાં હાજર કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા હતા, અને અંદાજે 50 લાખની મત્તાની ચોરી કરી ત્યાંથી ભાગી છૂટયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ બપોરના સમયે ચાર અજાણ્યા બુકાનીધારી શખ્સો હથિયાર સાથે બૅન્કમાં ઘૂસી ગયા હતા. જ્યાં તેમણે ફિલ્મી ઢબે બંદૂકની અણીએ કર્મચારીઓને ધાક ધમકી આપી બૅન્કના સ્ટ્રોંગ રૂમ કે કેશ કાઉન્ટરમાંથી આશરે 50 લાખ રૂપિયાની રોકડ રકમ ઉઠાવી હતી. જે બાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા તાત્કાલિક બૅન્કે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લૂંટારુઓની ઓળખ કરી તેમને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
હવામાન વિભાગે રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવની સ્થિતને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના બુલેટિન અનુસાર, આજે અને આવતીકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હીટવેવની પ્રબળ શક્યતા છે.
કયા જિલ્લાઓમાં એલર્ટ?
26 એપ્રિલ: સુરત, પાટણ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી હતી.
27 એપ્રિલ: અમદાવાદ અને પાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને કચ્છમાં પણ ગરમીનું મોજું ફરી વળશે.
તાપમાનનો પારો ક્યાં પહોંચશે?
IMD ના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ થી 40ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. આજે ગરમ અને ભેજવાળું વાતાવરણ અનુભવાશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે અને તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શે તેવી શક્યતા છે.
યલો એલર્ટ હેઠળ, હવામાન વિભાગે સામાન્ય જનતા માટે ગરમી સહન કરી શકાય તેવી હોવા છતાં, નાના બાળકો, વૃદ્ધો અને બીમારી ધરાવતા લોકો માટે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઊભી થઈ શકે તેમ જણાવ્યું છે. સત્તાવાળાઓએ રહેવાસીઓને નીચે મુજબની સલાહ આપી હતી. જે મુજબ આવા લોકોએ વધારે સમય ગરમીમાં રહેવાનું ટાળવું જોઈએ, હળવા રંગના અને ઢીલા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને પુરતા પ્રમાણમાં પાણી પીવું અને હાઈડ્રેટેડ રહેવું જોઈએ.
સુરત શહેરના અલથાણ વિસ્તારમાં એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક વિધર્મી યુવક દ્વારા સગીર વયની યુવતીની છેડતી કરવામાં આવતા પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટનાને પગલે 24 એપ્રિલે મોડી રાત્રે પોલીસ મથક બહાર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું. ટોળાએ અલથાણ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. અંતે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે હળવો બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી. ધારાસભ્ય અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. જોકે, પોલીસે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી હતી. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.
સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં રહેતી એક સગીરા જ્યારે ઘરે જઈ રહી હતી, ત્યારે એક વિધર્મી શખ્સે તેની છેડતી કરી હતી. આ બાબતની જાણ સગીરાએ પોતાના પરિવારને કરતા પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. દીકરી સાથે થયેલી આ અશોભનીય ઘટનાને પગલે પરિવાર અને સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તુરંત જ લોકો ન્યાયની માંગ સાથે એકઠા થવા લાગ્યા હતા.
ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા સ્થાનિક રહીશો અને હિન્દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં અલથાણ પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. લોકોની માંગ હતી કે નરાધમ વિધર્મી યુવક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસ સ્ટેશનની બહાર ‘જય શ્રી રામ’ના નારા અને આરોપી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ભીડ એટલી વધી ગઈ હતી કે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
મોડી રાત્રે પોલીસ સ્ટેશન પાસે ઉમટેલા ટોળાને વિખેરવા માટે પોલીસે સમજાવટના પ્રયાસો કર્યા હતા, પરંતુ લોકોનો ગુસ્સો શાંત થવાનું નામ લેતો નહોતો. ટોળું વધુ ઉગ્ર બનતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમાતી જોઈ પોલીસે અંતે બળ પ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને વિખેર્યું હતું. આ દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા છેડતી કરનાર વિધર્મી આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે ભોગ બનનાર સગીરાના પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. હાલમાં વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાતની અગ્રણી સહકારી બેેંકોની યાદીમાં સ્થાન પામતી સુરતની વરાછા કો.ઓ. બેંકમાં નવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની રચના થઇ ચૂકી છે. આજે નવનિર્વાચિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મળેલી પહેલી મિટીંગમાં વરાછા કો.ઓ. બેંકના નવા ચેરમેન તરીકે નરેન્દ્ર મનજીભાઇ કુકડીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જ્યારે બેંકના વાઇસ ચેરમેન તરીકે સી.એ. હરેશ ધીરુભાઇ કાપડીયાની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હવે આ પ્રપોઝલને આખરી મંજૂરી અર્થે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં મોકલવામાં આવશે અને એ પછી વરાછા બેંકમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં સભ્યોની નિયુક્તિ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
વિતેલા સપ્તાહે તા.5મી એપ્રિલે વરાછા બેંકની ચૂંટણી યોજાઇ હતી અને તા.7મી એપ્રિલના રોજ મતગણતરી કરવામાં આવી હતી. એ પછી વિજેતા ઉમેદવારોને વરાછા કો.ઓ. બેંકના ડિરેક્ટર તરીકે ચૂંટાયેલી જાહેર કરવામાં આવ્યા હતા. અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની યાદીને નવી દિલ્હી સ્થિત સક્ષમ સત્તામંડળ સમક્ષ મંજૂરી માટે મોકલવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા અને વિજેતાઓની યાદી પર મંજૂરીની મહોર લાગતા આજે તા.14મી એપ્રિલને મંગળવારે ચૂંટણી અધિકારી શ્રી વાઘેલાની ઉપસ્થિતિમાં વરાછા બેંકની વડી કચેરી ખાતે વરાછા કો.ઓ. બેંકના નવનિર્વાચિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટીંગ યોજવામાં આવી હતી. જેમાં આગેવાન ડિરેક્ટર નરેન્દ્ર કુકડીયાની નવા ચેરમેન તરીકે સર્વાનુમતે નિયુક્તિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે હરેશ કાપડીયાની વરણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ચૂંટણી અધિકારી હવે આ નિર્ણય પર આખરી મંજૂરીની મહોર મારવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સમક્ષ રજૂ કરશે. રિઝર્વ બેંક તેના પર મંજૂરીની મહોર મારશે. આ એક ઔપચારીક કાર્યવાહી પૂર્ણ કરવાની બાકી રહે છે.
સુરત, મોટા વરાછા વિસ્તારમાં આવેલ આવકાર રેસિડેન્સીનાં રહેવાસી ૫૫ વર્ષીય અંગદાતાશ્રી અશોકભાઈ નાનુભાઈ ડોંડા (મૂળ વતન. નારી, તા/જિ. ભાવનગર) એ પોતાના જીવનના અંતિમ ક્ષણોમાં માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમના અંગદાનના મહાન નિર્ણયથી કુલ સાત લોકોને નવજીવન પ્રાપ્ત થયું છે.
ઘટના અનુસાર તા. ૧૦ એપ્રિલ’૨૦૨૬ ના રોજ સવારે તેઓ પોતાની પત્ની રેખાબેનની સારવાર અર્થે અમદાવાદથી સારવાર પૂર્ણ કરી વહેલી સવારે સુરત ઘરે પરત ફર્યા હતા. તબિયત ઠીક નહી જાણતા બપોરે જમવાનું ટાળીને આરામ કરવા ગયા બાદ, આશરે ૨:૩૦ વાગ્યે અચાનક તેમની તબિયત બગડતા તેઓ સોફા ઉપર બેઠા હતાને ત્યાજ ઢળી પડ્યા હતા. તરત જ તેમને સારવાર અર્થે પી.પી. સવાણી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સઘન સારવાર આપ્યા બાદ ડૉ. મૌલિક પટેલ (ન્યુરોસર્જન), ડો. નિરવ સુતરીયા (ન્યુરો ફીઝીશ્યન), ડૉ. જીગ્નેશ ગેંગડીયા (એમ.ડી.) અને ડૉ. અનિલ તંતી (એડમિન) દ્વારા તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
આ મુશ્કેલ સમયમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના પી.એમ. ગોંડલીયા અને વિપુલ તળાવીયા દ્વારા પરિવારને યોગ્ય માર્ગદર્શન અને સમજણ આપવામાં આવી હતી. ડોંડા પરિવારના સભ્યો પત્ની રેખાબેન ડોંડા, પુત્ર મૌલિકભાઈ ડોંડા,પુત્રવધુ હિનલબેન ડોંડા, લલ્લુભાઈ ડોંડા, તેમજ મિલનભાઈ કાનાણી, મહેશભાઈ કાનાણી, ભૌતિકભાઈ સાચપરા, ઉત્સવભાઈ ઘોરી સહિત અન્ય હાજર સ્નેહીજનો દ્વારા માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આપતાં અંગદાન માટે સંમતિ આપી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
અંગદાનની સંમતી મળતાની સાથે સોટોનાં ડાયરેક્ટર ડો.પ્રાંજલભાઈ મોદી, સોટોના પ્રિયાબેન અને હાર્દિકભાઈનો સંપર્ક કરીને રજીસ્ટ્રેશન પ્રોસેસ શરુ કરવામાં આવી હતી.
અંગદાન સમગ્ર પ્રક્રિયામાં પી પી સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઈ સવાણી, દીલીપદાદા દેશમુખ (અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ), બાબુભાઈ વિરડીયા (સમાજ સેવક), દિનેશભાઈ નાવડિયા(ડાયમંડ હોસ્પિ), વલ્લભભાઈ ચોથાણી, ડો. કેતન કાનાણી, ડો. હર્ષિતા સાવલિયા, ડો. શિવાની ડાંખરા, ડો. કિરણ પરમાર, ડો. જેનિશ ત્રપસીયા, ડો.પ્રીન્સી સવાણી, ડો. મીરાલી જસાણી, ટીમ જીવનદીપના અનેક સભ્યો નીતિનભાઈ ધામેલીયા, જસ્વીનભાઈ કુંજડીયા, બીપીનભાઈ તળાવીયા, આશિષભાઈ સાવલિયા, વૈજુલ વિરાણી, વિપુલભાઈ કોરાટ, અભિષેક સોનાણી, સાગર કોરાટ, રાજ ગોધાણી, સ્મિત ઠુંમર, યુગ તળાવીયા, જીત ડોબરીયા, સતીશ ભંડેરી, ચૈતન્ય ત્રિવેદી અને ક્રિશ પટેલ સહિત અનેક લોકોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
હૃદય: યુ.એન. મહેતા હોસ્પિટલ, અમદાવાદ, ફેફસા: KD હોસ્પિટલ, અમદાવાદ, લીવર અને બંને કિડની: IKDRC હોસ્પિટલ, અમદાવાદ તેમજ બંને આંખોનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું, આ દર્દીના અંગદાન થકી કુલ- ૭ દર્દીઓને નવજીવન મળ્યું છે.
પી.પી. સવાણી હોસ્પિટલથી અંગોને વિવિધ હોસ્પિટલ સુધી સમયસર પહોંચાડવા માટે ગુજરાત પોલીસ દ્વારા ત્રણ ગ્રીન કોરિડોરનું ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સુરતથી અમદાવાદ સુધી અંગો ઝડપથી અને સલામત રીતે પહોંચાડવામાં સફળતા મળી. આ સમગ્ર પ્રક્રિયામાં સુરત અને અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ પણ મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો.
જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને પી.પી. સવાણી હોસ્પિટલના સંયુક્ત પ્રયાસોથી ડોંડા પરિવારના મોભીનું આ 32મું સફળ અંગદાન સંપન્ન થયું છે, જે સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની રહેશે.
“અંગદાન સર્વ શ્રેષ્ઠદાન” “એક જીવન અનેક જીવન પ્રકાશિત કરી શકે છે” “જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ”, સુરત સંપર્ક:- ૯૯૭૮૪ ૪૧૦૦૦ / ૯૯૦૪૪ ૪૧૦૦૦
સોશ્યલ મિડીયાને કારણે સૌરાષ્ટ્રવાસીઓમાં હાઇપ્રોફાઇલ બનેલી વરાછા કો.ઓ.બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીમાં આજે યોજાયેલી મતગણતરીના અંતે સત્તાધારી પક્ષની સહકાર પેનલના તમામ 12 ઉમેદવારોનો ખાસ્સા માર્જિનથી વિજય થયો હતો. સોશ્યલ મિડીયામાં ચૂંટણી જીતવાનો દાવો કરનારા 4 ઉમેદવારો મતગણતરીના પહેલા રાઉન્ડથી સતત પછડાતા ગયા હતા અને છેલ્લા પાંચ હજાર કરતા વધુ મતોના માર્જિનથી તમામ ચારેય ઉમેદવારોએ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 31 વર્ષ પૂર્વે સ્થપાયેલી વરાછા મલ્ટી સ્ટેટ કો.ઓ. બેંકના વહીવટમાં અત્યાર સુધી જેમનો દબદબો હતો એવા બેંકના સ્થાપક પીબી ઢાકેચા અને કાનજી ભાલાળા જેવા આગેવાનો હવે વહીવટની બહાર થઇ ગયા હોવાની ચર્ચાઓ પણ વરાછામાં વ્યાપક પણે શરૂ થવા પામી છે.
ગઇ તા.5મી એપ્રિલને રવિવારે વરાછા કો.ઓ. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ખાલી પડેલી 12 બેઠકો માટે મતદાન યોજાયું હતું અને એ પછી આજે મંગળવારે સવારે 8ના ટકોરે મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કુલ 9766 મત પડ્યા હતા, જે પૈકી આજે 10 ટકા એટલે કે 981 મતો રદ બાતલ જાહેર કરવામાં આવ્યા હતા. રદ કરાયેલા મતો એવા હતા કે જેમાં કોઇક મતદારે 12ની જગ્યાએ વધુ સંખ્યામાં અને કેટલાક મતદારોએ તો તમામ 18 ઉમેદવારોને મત આપ્યા હતા. કેટલાક મતો યોગ્ય રીતે ચોકડી નહીં મારવાના કારણે રદ કરવામાં આવ્યા હતા. આજે કુલ ત્રણ રાઉન્ડની મતગણતરી હાથ ધરવામા આવી હતી. જેમાં પહેલા જ રાઉન્ડથી સત્તાધારી પક્ષની સહકાર પેનલના ઉમેદવારોને 75 ટકા મતો મળતા ગયા હતા. ચૂંટણી મતદાન પૂર્વે બે ઉમેદવારોએ સત્તાધારી પક્ષની સહકાર પેનલના સમર્થનમાં નામ પાછું ખેચી લીધું હતું, આમ છતાં સરકારના ચૂંટણીના નિયમો મુજબ એ ઉમેદવારોનું નામ બેલેટ પેપરમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને એ ઉમેદવારોને પણ 1 હજારથી વધુ મતો મળ્યા હતા. સહકાર પેનલમાં સૌથી વધુ મતો શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા બાબુભાઇ રાદડીયાને 7926 મળ્યા હતા. વીવીંગ ઉદ્યોગના આગેવાન હરીભાઇ કથિરીયાને 7692 જ્યારે ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સીપી વાનાણીને 7621 મતો મળ્યા હતા.
અત્રે એ નોંધનીય છે કે 31 વર્ષના વરાછા બેંકના ઇતિહાસમાં આ પહેલી વખત છે કે જ્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી યોજવી પડી છે અને આ ચૂંટણીમાં પણ પહેલીવહેલી વખત સ્થાપક પીબી ઢાકેચા કે વરાછા બેંકનું અત્યાર સુધી નેતૃત્વ કરનાર કાનજી ભાલાળાનું નામ ક્યાંય ચર્ચામાં નહતું.
ભારતમાં સતત મેટ્રો સેવાનો વ્યાપ વધી રહ્યો છે, ગુજરાતમાં અમદાવાદ બાદ હવે ગાંધીનગર પણ મેટ્રો સેવાથી જોડાઈ ગયું છે. ત્યારે હવે મેટ્રો સેવા રાજ્યના ડાયમંડ સિટીમાં પણ મેટ્રો સેવાના પગરણ મંડાયા છે. સુરત શહેરના ડ્રીમ સિટી અને અલથાણ ટેનામેન્ટ સ્ટેશનો વચ્ચેના 8.5 કિમી લાંબા એલિવેટેડ વાયડક્ટનું કામ પૂર્ણ થતા આ રૂટ પર મેટ્રો ટ્રેનના ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવ્યા છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ડ્રીમ સિટી અને અલથાણ ટેનામેન્ટ સ્ટેશનો વચ્ચેના 8.5 કિમી લાંબા એલિવેટેડ વાયડક્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ રૂટ પર મેટ્રો ટ્રેનના ટ્રાયલ રન પણ સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવ્યા છે, જે શહેરના પરિવહન ક્ષેત્રે એક નવી ક્રાંતિની દિશામાં મોટું પગલું માનવામાં આવે છે.
મેટ્રો અધિકારીઓના જણાવ્યા મુજબ, સિસ્ટમ ટેસ્ટિંગના ભાગરૂપે આ રૂટ પર અંદાજે 500 કલાક સુધી ટ્રાયલ ઓપરેશન ચલાવવામાં આવશે. આ કોરિડોર પર ટ્રેક બિછાવવાનું કામ અને ટ્રેક્શન પાવર માટે જરૂરી ‘થર્ડ રેલ સિસ્ટમ’ ઇન્સ્ટોલ કરવાનું કામ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ રૂટ પર આવેલા તમામ સાત સ્ટેશનોનું માળખાકીય કામ પૂરું થઈ ગયું છે, જ્યારે હાલમાં એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ સહિતની અન્ય ફિનિશિંગ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
હવે પછીના તબક્કામાં રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO) અને કમિશનર ઓફ મેટ્રો રેલવે સેફ્ટી (CMRS) દ્વારા સુરક્ષા અને કામગીરીની સજ્જતાની કડક તપાસ કરવામાં આવશે. આ સંસ્થાઓ પાસેથી જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ, આ કોરિડોરને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા યોજાતા ઔદ્યોગિક પ્રદર્શનોની શ્રેણીઓ વચ્ચે ચાર દિવસીય ‘સુરત ઈન્ટરનેશનલ ઓટો એક્ષ્પો ર૦ર૬’નું તા. ૧૩ માર્ચથી ૧૬ માર્ચ ર૦ર૬ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમિયાન સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે ઓટો એક્ષ્પોની સાતમી આવૃત્તિ રજૂ કરવામાં આવશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ગુજરાત હવે ઓટોમોબાઈલ હબ બની રહ્યું છે ત્યારે આ મેગા શોમાં દેશની અગ્રણી કંપનીઓ દ્વારા કાર, ટુ–વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ અને લેટેસ્ટ વર્કશોપ ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે. કાર સેગમેન્ટ, ટુ વ્હીલર સેગમેન્ટ, કોમર્શિયલ સેગમેન્ટ અને એન્સીલરીઝની ૭૦થી વધુ બ્રાન્ડ્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. ઉદ્યોગ સાહસિકો, વ્યવસાયિકો અને પ્રોફેશનલ્સ માટે આ એક્ષ્પો નવી ટેકનોલોજી અને વૈશ્વિક વલણો સમજવાની ઉત્તમ તક પૂરી પાડશે.
ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્ષ્પોનો ઉદ્ઘાટન સમારોહ શુક્રવાર, તા. ૧૩ માર્ચ, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઉષાકાંત મારફતિયા હોલ, સરસાણા ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે, જેમાં વિન્ટેજ એન્ડ કલાસિકલ કાર કલબ ઓફ ઇન્ડિયા (VCCCI)ના ચેરમેન શ્રી નિતિનભાઇ ડોસા ઉદ્ઘાટક તરીકે પધારશે અને તેમના વરદ્ હસ્તે ઓટો એક્ષ્પોનું ઉદ્ઘાટન કરાશે.
ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ઓટો એક્ષ્પોના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્ય સભાના માનનીય સાંસદશ્રી અને એસઆરકે ગૃપના ફાઉન્ડર અને ચેરમેન શ્રી ગોવિંદભાઇ ધોળકિયા, હરી કૃષ્ણ એક્ષ્પોર્ટ્સ પ્રા.લિ.ના ચેરમેન પદ્મશ્રી સવજીભાઇ ડી. ધોળકિયા અને કેપી એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેકટર ડો. ફારૂકભાઇ પટેલ મુખ્ય મહેમાનો તરીકે સ્થાન શોભાવશે. ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એકસલન્સ (iACE)ના એકિઝકયુટિવ ડિરેકટર શ્રી ઇ. રાજીવ અતિથિ વિશેષ તરીકે શોભા વધારશે.
ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી બિજલ જરીવાલા અને માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, ઓટો એક્ષ્પોમાં એક જ છત નીચે સંપૂર્ણ ઓટો સોલ્યુશન મળી રહેશે. અહીં માત્ર વાહનો જ નહીં, પરંતુ ઓટો એસેસરીઝ, સ્પેરપાટ્ર્સ અને ખાસ કરીને ઇલેકિટ્રક વ્હીકલ્સ (EV) તથા હાઇબ્રીડ વ્હીકલ્સ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે, જેનું એકિઝબિટર્સ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે.
ચેમ્બરના ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમરે જણાવ્યું હતું કે, આ વર્ષે મુલાકાતીઓ માટે સ્થળ પર જ ટેસ્ટ ડ્રાઈવની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી ગ્રાહકો પસંદગીના વાહનનો અનુભવ કરી ત્વરિત ખરીદી કરવાનો નિર્ણય લઈ શકશે.
એક્ષ્પોની મુખ્ય વિશેષતાઓ અને બ્રાન્ડ્સ
ઓટો એક્ષ્પોના ચેરમેન શ્રી મેહુલ દેસાઈએ જણાવ્યું હતું કે, દિલ્હી બાદ સુરતનો આ ઓટો એક્ષ્પો ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો કમ્પોઝીટ એક્ષ્પો છે, જેમાં મીની કૂપર, ઓડી, મર્સિડીઝ, બીએમડબ્લ્યુ, જેગુઆર–લેન્ડ રોવર, ટાટા મોટર્સ, હયુન્ડાઇ, કિયા, જીપ, એમજી અને એમજી સિલેકટ, રિનોલ્ટ, નિસાન, સ્કોડા, ટોયોટા, વોલ્વો, સિટ્રોન અને મહિન્દ્રા જેવી ર૦થી વધુ નામાંકિત બ્રાન્ડ્સ ભાગ લઈ રહી છે.
ટુ–વ્હીલર અને કોમર્શિયલ સેગમેન્ટમાં રોયલ એન્ફિલ્ડ, સુઝુકી, કેટીએમ, એથર, રિવર, કાઇનેટિક ઇલેકિટ્રક, બજાજ ચેતક, કેટીએમ, ટ્રાયમ્ફ યામાહા, ટીવીએસ તેમજ કોમર્શિયલ સેગમેન્ટમાં ટાટા અને સ્વરાજ મઝદાના અને મહિન્દ્રાના વાહનો જોવા મળશે.
ખાસ આકર્ષણ
૧૦ જેટલી અતિ દુર્લભ વિન્ટેજ કાર્સ ઓટો એક્ષ્પોમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત ૧૦ નવા પેસેન્જર વ્હીકલ્સનું અને ૩ કોમર્શિયલ વ્હીકલ્સનું અનવેઈલિંગ આ એક્ષ્પોમાં કરવામાં આવશે. તદુપરાંત, સ્ટંટ બાઈક શો અને ઓફ–રોડ પ્રૂવિંગ ગ્રાઉન્ડ મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ રહેશે.
ઓટો એક્ષ્પોના કો–ચેરમેનો શ્રી કનુભાઇ મોદી અને શ્રી પ્રધુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સને ઓટો એક્ષ્પોના આયોજનમાં મોબિલ, ઓલ ઇન્ડિયા ઓટોમોબાઇલ વર્કશોપ્સ એસોસિએશન, સુરત કાર એકસેસરીઝ એસોસિએશન અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે.
કલા, સંગીત અને સર્જનાત્મકતા સાથે જીવંત સાંસ્કૃતિક સાંજનો અનોખો અનુભવ થશે
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરત શહેરમાં કલા પ્રેમીઓ માટે આકર્ષક અને અનોખો સાંસ્કૃતિક મહોત્સવ ‘સુરત આર્ટ સ્ટ્રીટ ર૦ર૬’ કલા ઉત્સવનું આયોજન તા. ર૧ અને રર ફેબ્રુઆરી, ર૦ર૬ના રોજ સાંજે પઃ૦૦થી રાત્રે ૧૦:૦૦ કલાક દરમિયાન ડુમસ સ્થિત લંગરથી કિનારા સુધી કરવામાં આવ્યું છે. ખુલ્લા અને જીવંત વાતાવરણમાં યોજાનારા આ કાર્યક્રમમાં શહેરના કલાકારો તથા સર્જકો દ્વારા વિવિધ પ્રકારની કલા કૃતિઓ, ચિત્ર પ્રદર્શન, લાઈવ આર્ટ ડેમોન્સ્ટ્રેશન, સંગીત અને અન્ય પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે. આ મહોત્સવમાં મુલાકાતીઓ હેન્ડમેડ ક્રાફ્ટ્સ, સર્જનાત્મક ઉત્પાદનો અને કલાત્મક પ્રસ્તુતિઓનો અનોખો અનુભવ મેળવી શકશે.
આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ કલાને સામાન્ય જનતા સુધી પહોંચાડવાનો તથા સમાજમાં કલા પ્રત્યે રસ અને જાગૃતિ વધારવાનો છે. પરિવારમૈત્રીપૂર્ણ વાતાવરણમાં આયોજિત આ કાર્યક્રમમાં મિત્રો અને પરિવાર સાથે આવીને કલાની ઉજવણીનો માહોલ માણવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ખુલ્લી જગ્યામાં યોજાનાર આ સાંસ્કૃતિક ઉત્સવ શહેરના યુવાનો, કલા રસિકો અને સર્જનાત્મક લોકો માટે ખાસ આકર્ષણ બનશે.
કલાકારો માટે ભાગ લેવા તક
કાર્યક્રમમાં વિવિધ કલાકારોને પણ ભાગ લેવા માટે તક આપવામાં આવી છે. શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ પણ કલાકાર તરીકે આ ઉત્સવમાં ભાગ લઇ શકશે. કલાકારો માટે રૂ. ૧,૦૦૦ની નામમાત્ર નોંધણી ફી નક્કી કરવામાં આવી છે, જે ઉત્સવ પૂર્ણ થયા બાદ તેઓને સંપૂર્ણ પરત આપવામાં આવશે. આ પહેલ દ્વારા નવા અને પ્રતિભાશાળી કલાકારોને પોતાના કામને લોકો સમક્ષ રજૂ કરવાની તથા કલા જગત સાથે જોડાવવાની અનોખી તક મળશે.
આ રીતે સુરત આર્ટ સ્ટ્રીટ ર૦ર૬ સુરત શહેર માટે સર્જનાત્મકતા, કલા અને સાંસ્કૃતિક ઊર્જાનો ભવ્ય ઉત્સવ સાબિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
Surat Metro: સુરતના ગીચ વિસ્તારમાં મેટ્રો ટનલની મુશ્કેલ કામગીરી આખરે પુરી થઈ છે. TBM(ટનલ બોરિંગ મશીન) જમીનમાંથી નિર્ધારિત જગ્યાએ બહાર આવતા એન્જિનિયરો- કર્મચારીઓ અને કામદારો અને રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.
છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં રહેલી સુરત મેટ્રોની કામગીરીનો સંવેદશીલ તબક્કો આજે પૂર્ણ થયો છે. શહેરનો કોટ વિસ્તાર સુરતનો સૌથી જુનો વિસ્તાર હતો. અંડરગ્રાઉન્ડ ટનલ માટે જમીનની નીચે 12 મીટર પર TBM મશીન દ્વારા કામ થઈ રહ્યું હતું. જે મેટ્રો માટે મોટો પડકાર હતો. કામગીરી કોઈ વિધ્ન વગર સપન્ન થતાં ઉજવણી કરાઈ હતી.
મેટ્રોના કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી મશીન જમીન સપાટીની અત્યંત નજીક હોવાથી અને વાઇબ્રેશનના કારણે સુરક્ષાના ભાગરૂપે આસપાસની મિલકત ખાલી કરાવવામાં આવી હતી. મિલકત પર સંભવિત ખતરો જોતા સ્થાનિકોમાં ભારે ઉચાટ હતો પરંતુ આજે કોઈ પણ જાતની નુકસાન વગર મશીન જમીનમાં બહાર આવ્યું હતું. જેથી સ્થાનિકોના જીવમાં જીવ આવ્યો હતો.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)ના જણાવ્યા અનુસાર, ‘કોરિડોર-1 (સરથાણા થી ડ્રીમ સિટી) પર અંડરગ્રાઉન્ડ સેક્શનની કામગીરી હવે ઝડપથી આગળ વધી રહી છે. ડાઉનલાઇન બાદ હવે પેરેલલ અપલાઇન ટનલનું કામ પણ અંતિમ તબક્કામાં છે. આજે 10 ફેબ્રુઆરીએ જે બ્રેક થ્રુ મળ્યું તે સુરત મેટ્રોના ફેઝ-1 માટે ખૂબ જ મહત્વનું છે. ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં ટનલિંગ પૂર્ણ કરવું એ ટેકનિકલ સફળતા છે’
TBM બહાર નીકળ્યા બાદ હવે આ સ્ટેશન પર ફિનિશિંગ અને ટ્રેક બિછાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. સુરત મેટ્રોનો પ્રથમ તબક્કો જૂન 2026 સુધીમાં કાર્યરત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.