CIA ALERT

Slider Archives - Page 66 of 484 - CIA Live

November 7, 2022
alia.png
1min507

બોલીવૂડનાં સૌથી ક્યૂટ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હવે મમ્મી પપ્પા બની ગયાં છે. તેમને ત્યાં દીકરીનો જન્મ થતાં કપૂર ખાનદાન સહિત સમગ્ર બોલીવૂડમાં જશ્નનો માહોલ સર્જાયો છે. 

આજે બપોરે બરાબર ૧૨.૦૫ કલાકે એક ખાનગી હોસ્પિટલમાં આલિયાની ડિલિવરી થઈ હતી. સંયોગોવસાત આ એ જ હોસ્પિટલ છે જ્યાં ઋષિ કપૂરે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યાંથી જ કપૂર ખાનદાનમાં નવા પરિવારની પધરામણી થઈ હતી. 

અગાઉ સવારે ૭.૩૦ કલાકના અરસામાં રણબીર કપૂર આલિયાને લઈ હોસ્પિટલ પહોંચ્યો હતો. તે પછી ભટ્ટ અને  કપૂર ખાનદાનના પરિવારના એક પછી એક સભ્યો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

આલિયાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી દ ીકરી જન્મની સત્તાવાર વધામણીમાં કહેવાયું હતું કે, ‘અમારી જિંદગીના સૌથી શ્રેષ્ઠ સમાચાર છે, અમારી બેબી અહીં આવી પહોંચી છે અને તે અદ્ભૂત મેજિકલ ગર્લ છે. અમે હવે ભરપૂર આશીર્વાદ અને પ્રેમથી ઘેરાયેલાં માતાપિતા બન્યાં છીએ.’

રણબીરની બહેન રિદ્ધિમાએ પણ ભત્રીજીનાં જન્મની વધામણી ખાતાં કહ્યું હતું કે સમગ્ર પરિવાર ભારે હર્ષ અને ગૌરવ અનુભવે છે. આ ભત્રીજીને ફઈ પહેલેથી જ બહુ પ્રેમ કરે છે. 

બોલીવૂડના તમામ ટોપના સ્ટાર્સ અને હિરોઈનોએ આલિયા તથા રણબીરને માતા-પિતા બનવા બદલ અભિનંદન પાઠવ્યું હતું. સોનમ કપૂર સહિતની હિરોઈનોએ જણાવ્યું હતું કે તેઓ આલિયાની બેબીને વહેલી તકે રમાડવા માટે ઉત્સુક છે. 

ઉલ્લેખનીય છે કે આલિયા અને રણબીરે ગયાં એપ્રિલ માસમાં લગ્ન કર્યાં હતાં. તેના ચાર મહિના પછી તેમણે આલિયા માતા બની રહી હોવાનું જાહેર કર્યું હતું. 

આલિયા બેબીનું નામ અલમા રાખશે કે નહીં 

એક ટીવી રિયાલિટી શોમાં આલિયાએ કહ્યું હતું કે તેને અલમા નામ પસંદ છે. પોતાને દીકરી જન્મશે તો તેનું નામ અલમા રાખશે. હવે આલિયા ટીવી શોમાં જાહેર કરેલી આ વાત નિભાવે છે કે કેમ તે જાણવા તેના ચાહકો આતુર છે. 

ભાવિ સુપરસ્ટારનો જન્મ 

આલિયા અને રણબીરની બેબીનાં ભવિષ્ય વિશે જાતભાતની અટકળો પણ શરુ થઈ ગઈ છે. બોલીવૂડના એક ન્યૂમરોલોજિસ્ટે કહ્યું હતું આ બેબી બુધ અને શુક્રનો શુભ યોગ લઈને આવી છે. તેનો ભાગ્યાંક ૫ છે. આલિયા માટે ૩૦મું વર્ષ શુકનવંતું છે અને તેમાં આ બેબી જન્મી છે. આ તારીખ પર શુક્રનો પ્રભાવ છે એટલે માની લો કે  ભવિષ્યના સુપરસ્ટારનો જન્મ થઈ ગયો છે.  જન્મકુંડળીમાં સૂર્યનાં સ્થાન પ્રમાણે તેની રાશિ વૃશ્ચિક આવી છે. તેની માસી શાહીન ભટ્ટની સૂર્યરશિ પણ વૃશ્ચિક છે. બોલીવૂડમાં ઐશ્વર્યા રાય અને શાહરુખ ખાન બંનેની સૂર્યરાશિ વૃશ્ચિક છે. 

November 5, 2022
Elon-Musk-Twitter.jpg
1min563

એલોન મસ્કે ટ્વીટરની કમાન સંભાળી ત્યારથી કંપનીમાં ઉથલપાથલ ચાલી રહી છે. ભારતમાં એલોન મસ્કે કંપનીના સમગ્ર સ્ટાફને હટાવી દીધો છે. લગભગ 250 લોકોને નોકરીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં હવે એલોન મસ્કે આખી કંપનીના 50% લોકોને કાઢી નાખ્યા છે. જેના કારણે 7,500 લોકોએ નોકરી ગુમાવી છે. એલોન મસ્કે ટ્વિટર પર કબજો કર્યાના એક અઠવાડિયાની અંદર ઘણી મોટી કાર્યવાહી કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે 50% કર્મચારીઓની તાત્કાલિક અસરથી છટણી કરવામાં આવી છે. તેઓનો ઈમેલ અને કંપનીના કોમ્પ્યુટરનો એક્સેસ છીનવી લેવામાં આવ્યો છે.

વિશ્વની દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની ટ્વિટર તરફથી આવી તાબડતોડ છટણીને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. કંપનીના કર્મચારીઓ દ્વારા પણ છટણીની પુષ્ટિ કરવામાં આવી છે. યુ.એસ. અને કેનેડામાં ટ્વિટરના પબ્લિક પોલિસી ડાયરેક્ટર મિશેલ ઓસ્ટિનએ ટ્વિટ કર્યું કે, આજનો દિવસ એ સમાચાર સાથે શરૂ થાય છે કે ટ્વિટરમાં મારી સફર પૂરી થઈ ગઈ છે. મારૂ દિલ તુટી ગયું. હું તેને સ્વીકાર નથી કરી શકતો. એલોન મસ્કે છટણી અંગે ટ્વીટ કર્યું કે, ટ્વિટરમાં છટણી વિશે ઘણી વાતો થઈ રહી છે. દુર્ભાગ્યની વાત એ છે કે, આ એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે કંપનીને દરરોજ 4 મિલિયન ડોલરનું નુકશાન થઈ રહ્યું છે તેથી બીજો કોઈ વિકલ્પ નહોતો.

આ મોટી છટણી પહેલા ટ્વીટરે કર્મચારીઓને ઓફિસ આવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેઓને તેમના ભવિષ્યની રાહ જોવા અને જે નિર્ણય લેવામાં આવશે તેના આધારે કાર્ય કરવાનું કહેવામાં આવ્યું હતું. સોમવાર સુધી કર્મચારીઓને ઓફિસ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે, સોમવાર પહેલા જ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. બરતરફ કરાયેલા ટ્વિટરના ભૂતપૂર્વ કર્મચારીએ કહ્યું કે, ‘લોકોની સાથે જે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે તે અત્યંત અમાનવીય છે.’ તે કોઈ પણ કિંમતે પૈસા બચાવવા માંગે છે. એલોન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું છે અને એવું માનવામાં આવે છે કે, તે બચતના માર્ગ પર છે અને નાણાંની ચૂકવણી કરવા માટે મોટા પાયે છટણી કરી રહ્યા છે.

November 4, 2022
morbi.png
1min703

મોરબીની ઘટનામાં આખરે નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવાનો શહેરી વિકાસ વિભાગે આદેશ કર્યો છે. દુર્ઘટના બની ત્યારે સંદીપસિંહે ઓરેવાએ નગરપાલિકાની પરવાનગી વિના જ બ્રિજ ખુલ્લો મુકી દીધો હોવાનું જણાવી હાથ અદ્ધર કરી દીધા હતા. જોકે, ત્યારથી જ એવા સવાલ થઈ રહ્યા હતા કે બ્રિજ પાંચ દિવસ સુધી ખુલ્લો રહ્યો, તેના પર હજારો લોકોની રોજ અવરજવર હતી ત્યાં સુધી નગરપાલિકા શું ઊંઘી રહી હતી? પોલીસે પણ તાજેતરમાં જ સંદીપસિંહ ઝાલાની ચાર કલાક સુધી પુછપરછ કરી હતી.

પૂછપરછ દરમિયાન સંદીપસિંહ ઝાલાએ બ્રિજને ફરી ખુલ્લો મુકવામાં રહેલા જોખમની નગરપાલિકાને જાણ હોવાનું પોલીસને જણાવ્યું હોવાની ચર્ચા છે. પોલીસ સમક્ષ સંદીપસિંહે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે ઓરેવાએ બ્રિજ ખુલ્લો મુકવા પરવાનગી નથી લીધી તેની પણ તેમને જાણ હતી. બ્રિજ પડ્યો ત્યારે ઝાલાએ દોષનો ટોપલો ઓરેવાના માથે ઢોળી દીધો હતો, અને નગરપાલિકાનો તેમાં કોઈ દોષ ના હોવાનો દાવો કર્યો હતો. જોકે, પોલીસે કરેલી પૂછપરછમાં તેમણે વટાણા વેરી દીધા હતા, અને સ્વીકાર્યું હતું કે નગરપાલિકાને જાણ હતી કે જો બ્રિજ ખુલ્લો મુકાય અને મોટી સંખ્યામાં લોકો તેના પર ભેગા થાય તો તે જોખમી સાબિત થઈ શકે છે.

મોરબી નગરપાલિકા બ્રિજ ખુલ્લો મુકવો જોખમી સાબિત થઈ શકે છે તેટલું જ નહીં, પરંતુ તેનું રિનોવેશન યોગ્ય રીતે ના થયું હોવાનું પણ જાણતી હતી. રિનોવેશન બરાબર ના થયું હોવાથી બ્રિજનો ઉપયોગ ભયાનક હોનારત સર્જી શકે છે તે વાત પણ નગરપાલિકાના અધિકારીઓથી છૂપી નહોતી. પોલીસે સંદીપસિંહને પોતે કરેલા દાવાના દસ્તાવેજ સોંપવા જણાવ્યું હતું તેમજ બ્રિજના રિપેરિંગ અને રિઓપનિંગમાં તેમની શું ભૂમિકા હતી તે અંગે પણ સવાલ કર્યા હતા.

આ ઘટનામાં મોરબી પોલીસે નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ઓરેવાના બે મેનેજર ઉપરાંત સિક્યોરિટી ગાર્ડ અને ટિકિટબારીના ક્લાર્કનો સમાવેશ થાય છે. જોકે, ઓરેવાનો માલિક જયસુખ પટેલ હજુય ફરાર છે. પોલીસ તેને શોધવા માટે તેની અમદાવાદ તેમજ મોરબી સ્થિત ઓફિસ પર અનેકવાર ચક્કર લગાવી ચુકી છે, પરંતુ જયસુખ પટેલ હજુય હાથ નથી લાગ્યો. જયસુખ પટેલ રાજ્ય બહાર હોવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે પોલીસે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ ઓરેવાના કર્મચારીઓની કોલ ડિટેઈલ્સ ચકાસવાનું પણ શરુ કર્યું છે.

November 3, 2022
world-cup-t20.png
1min442

ટી-20 વિશ્વ કપનો સુપર-12 રાઉન્ડનો ગ્રુપ-બેનો 3/11/22 ગુરુવારે પાકિસ્તાન અને દ. આફ્રિકા વચ્ચેનો એક નિર્ણાયક મેચ રમાશે. આ મેચ પાકિસ્તાન માટે કરો યા મરો સમાન છે. આફ્રિકા સામેની હારથી તે વિશ્વ કપની બહાર થઇ જશે જ્યારે જીત મળવાથી તેની થોડીઘણી આશા જીવંત રહેશે.

હાલ ગ્રુપ બેમાં ભારતીય ટીમ 6 પોઇન્ટ સાથે ટોચ પર છે. તેના પછી દ. આફ્રિકા બીજા સ્થાને પ પોઇન્ટ સાથે છે જ્યારે બાંગલાદેશના ખાતામાં 4, ઝિમ્બાબ્વેના ખાતામાં 3 અને પાકિસ્તાનના ખાતામાં માત્ર બે અંક છે. આથી તેની આમ તો સેમિ ફાઇનલની રાહ લગભગ અશક્ય સમાન બની ચૂકી છે. આફ્રિકા પછી પાકિસ્તાનને એક મેચ બાંગલાદેશ સામે રમવાનો રહે છે.

જો બન્ને મેચમાં તેને જીત મળે તો 6 પોઇન્ટ સુધી પહોંચી શકે છે. આ સામે આફ્રિકાને નેધરલેન્ડ સામે મેચ રમવાના છે. જેમાં તેની નિશ્ચિત જીત ગણી શકાય. આથી પાક. સામેની હાર છતાં તે અંતમાં 7 અંકે પહોંચી જશે. બીજી તરફ હાલ 6 પોઇન્ટ ધરાવતી ભારતીય ટીમ રવિવારે ઝિમ્બાબ્વે સામે રમશે. જે વર્લ્ડ કપનો સુપર-12 રાઉન્ડનો આખરી મેચ હશે. આ મેચના વિજયથી ભારતના ખાતામાં 8 પોઇન્ટ હશે. ભારતની રન રેટ ઘણી સારી છે. આથી પાક. માટે સેમિના દ્વાર લગભગ બંધ સમાન છે. આમ છતાં આફ્રિકા સામેનો તેનો મેચ ડૂ ઓર ડાઇ જેવો કહી શકાય.

November 2, 2022
world-cup-t20-1.png
1min507

ટીમ ઇન્ડિયા Dt.2/11/22 બુધવારે અહીં રમાનાર ગ્રુપ-બેના તેના લીગ મેચમાં બાંગલાદેશ વિરૂધ્ધ વિજય મેળવીને સેમિ ફાઇનલ ભણી આગેકૂચ કરવાના લક્ષ્ય સાથે મેદાને પડશે. ભારતીય ટીમના હાલ 3 મેચમાં 2 જીત અને 1 હારથી કુલ 4 પોઇન્ટ છે અને દ. આફ્રિકા પછી પોઇન્ટ ટેબલ પર બીજા સ્થાને છે. બાંગલાદેશની ટીમની પણ ભારત સમાન જ સ્થિતિ છે, પણ તે નેટ રન રેટમાં પાછળ છે. આથી તે ત્રીજા સ્થાને છે. ભારતનો રન રેટ 0.844 અને શ્રીલંકાનો માઇનસ 1.પ33 છે. બાંગલાદેશની ટીમ ઉલટફેર કરવામાં માહિર છે, પણ આ મેચમાં ટીમ ઇન્ડિયા જીતની પ્રબળ દાવેદાર છે.

બંગલાદેશ સામેના મેચમાં ભારતીય ટીમ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલ કેએલ રાહુલને ફરી ઓપનિંગમાં ઉતરાવનું પસંદ કરશે. જ્યારે અનફિટ દિનેશ કાર્તિકના સ્થાને ઋષભ પંતને તક મળી શકે છે અને તે મીડલ ઓર્ડરમાં બેટિંગ કરશે તેવું માનવામાં આવે છે. કેએલ રાહુલ ટી-20 વિશ્વ કપમાં હજુ સુધી 3 મેચમાં 22 રન જ કરી શકયો છે. જો કે કોચ દ્રવિડ અને કપ્તાન શર્મા તેના પર પૂરો ભરોસો રાખે છે. બાંગલાદેશનું બોલિંગ આક્રમણ પ્રમાણમાં નબળુ છે આથી રાહુલ પાસે ફોર્મમાં વાપસી કરવાનો મોકો બની રહેશે.

બંગાલદેશના બોલિંગ આક્રમણમાં મુસ્તાફિઝૂર, તસકીન, મહેંદી હસન, હસન મહમૂદ અને કપ્તાન શકિબ છે, પણ નિશ્ચિત રીતે આ આક્રમણ વિશ્વસ્તરીય નથી. સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલી વિશ્વ કપમાં શાનદાર ઇનિંગો રમી ચૂકયા છે. આથી તેની સામે બાંગલાદેશની બોલિંગની કસોટી થશે. ભારતીય ટીમને કપ્તાન રોહિત શર્મા પાસેથી મોટી અને વિસ્ફોટક ઇનિંગની આશા રહેશે. પાછલા મેચમાં વિકેટકીપર કાર્તિક ઇજાગ્રસ્ત થયો હતો. આથી તેના સ્થાને પંતને મોકો મળી શકે છે. ભારતીય ટીમમાં દીપક હુડ્ડાના સ્થાને અક્ષર પટેલની વાપસી થઇ શકે છે. કારણ કે બાંગલાદેશની ટીમમાં 4 ડાબોડી બેટધર છે. આ મેચમાં પણ ભારત ઝડપી બોલર ત્રિપુટી ભુવનેશ્વર, અર્શદિપ અને શમી સાથે ઉતરવાનું પસંદ કરશે.
ટોસ જીતનાર ટીમ એડિલેડમાં પહેલા બેટિંગ પસંદ કરી શકે છે. કારણ કે એડિલેડમાં સંધ્યા ટાણે બોલ વધુ સ્વિંગ થાય છે. જેનો ફાયદો મળી શકે છે. મેચ ભારતીય સમય અનુસાર બુધવારે બપોરે 1-30થી શરૂ થશે.

October 31, 2022
modi-in-gujarat.jpeg
1min569

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે આજે તેનના પ્રવાસનો બીજો દિવસ છે. તેઓ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા. અહીં તેમણે ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને જળ અર્પણ કરીને તેમને નમન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ વડાપ્રધાને કેવડિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વિવિધ રાજ્યોના પોલીસ દળના જવાનોએ પરેડ કાઢી હતી જેનું પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ‘આરંભ 2022’માં તાલીમાર્થી પોલીસ અધિકારીઓને સંબોધિત કર્યા હતા.

આ ‘આરંભ’ કાર્યક્રમની ચોથું સંસ્કરણ હતું અને આ વર્ષની થીમ હતી- ‘અમૃત કાલમાં સુશાસનઃ ડિજિટલ ટેક્નોલોજી, ફાઉન્ડેશન ટુ ફ્રન્ટિયર્સ’. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પીએમ મોદીની હાજરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે 5 રાજ્યોના BSF અને પોલીસ દળોએ પરેડમાં ભાગ લીધો હતો. અંબાજીનું આદિવાસી બાળકોનું સંગીત બેન્ડ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ હતું. એક સમયે આ બેન્ડના સભ્યો અંબાજી મંદિરમાં ભીખ માગતા હતા. આ સિવાય પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2 પ્રવાસન સ્થળો- મેઝ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું પણ ઉદ્ઘાટન કર્યું.

2018માં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ થયું ત્યારથી પીએમ મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ જેવા કાર્યક્રમોની બરાબરી પર લાવ્યા છે. રાષ્ટ્રીય એકતા દિવસ દર વર્ષે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર ઉજવવામાં આવે છે. આ દિવસે ‘રન ફોર યુનિટી’નું આયોજન પણ કરવામાં આવે છે. 

October 31, 2022
morbi.png
1min1235

મોરબી ખાતે રવિવાર, Dated 30/10/22, સાંજે ઝૂલતો પુલ તુટી પડવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને 141 પર પહોંચી ગયો છે. મોરબીની ઘટનામાં જવાબદાર લોકો સામે સદોષ માણવવધની ફરિયાદ દાખલ થશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવું રાજ્ય સરકારે જણાવ્યું હતું.

આ દુર્ઘટનામાં કલમ 304, 308, 114 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે એવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ફરિયાદ થઈ હોવાનું એક ટ્વીટ કરી જાહેર કર્યું હતું પણ આ ઘટનામાં ગુનેગારો કોણ છે તે અંગે કોઈ ફોડ પાડ્યો ન હતો.

મોરબીની ઘટનામાં પોલીસ ફરિયાદ થઈ છે જેમાં સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ પુલનું સમારકામ કરનાર તેમજ સંચાલન કરનાર એજન્સી સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, ફરિયાદમાં બન્નેમાંથી એકપણ એજન્સીના નામ લખવામાં નથી આવ્યા.

October 31, 2022
morbi.png
2min491

સોમવાર તા.31મી ઓક્ટોબરે સવારે 8 વાગ્યે અપડેટેડ સમાચાર

રવિવાર, તા.30મી ઓક્ટોબર 2022ના સંધ્યાકાળે મોરબીમાં બનેલી ભયાનક અને અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટનામાં મચ્છુ નદી ઉપરનો ઝુલતો પુલ વચ્ચેથી તૂટતા અનેક લોકો પુલ નીચે મચ્છુ નદીના પાણીમાં અને પથ્થરો પર ખાબકતા ૧32થી વધુના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે અને ૫૦થી વધુને ઈજા પહોંચી છે જેમાં કેટલાકની હાલત ગંભીર છે. સોમવારે સવારે અજવાળું થતાં જ બચાવ કામગીરીમાં વેગ આવ્યો હતો. અનેક એજન્સીઓ દ્વારા નદીમાં હજુ પણ મૃતદેહોની શોધખોળ યુદ્ધસ્તર પર કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના ગૃહમંત્રી સહિત અનેક અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે આખી રાત ઉપસ્થિત રહ્યો હતો.

મચ્છુ નદીમાં દર્દથી કણસતા લોકોને તત્કાલ સારવાર પણ મળી શકી ન હતી અને મહિલા,બાળકો સહિત તરફડીને મોતને ભેટયા હતા. સાત મહિનાથી રિપેરીંગ માટે બંધ રખાયેલ ઝુલતો પુલ હજુ પાંચ દિવસ પહેલા જ વિ.સં.૨૦૭૯ના બેસતા વર્ષના દિવસે જ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે તા.30મી ઓક્ટોબર 2022ને રવિવારે રજાના હોવાથી લોકો સાહજિક હરવા ફરવા નીકળ્યા હતા તેને કારણે પુલ પર સાંજે ચિક્કાર ભીડ હતી ત્યારે પૂલ ધસી પડતા મરણોન્મુખ ચીસોથી મચ્છુ નદી ફરી એક વાર દ્રવી ઉઠી હતી. 

નગરપાલિકાએ આ પુલની મરમ્મતનું કામ તથા સંચાલન મોરબીના અજન્તાગુ્રપના જયસુખ પટેલની ઓરેવા કંપનીને સોંપ્યું  હતું. રિપેરીંગ માટે  સાત મહિનાથી પુલ બંધ હતો અને નૂતન વર્ષના દિવસે કંપની દ્વારા તેને લોકો માટે ખોલવામાં આવ્યો હતો. રિપેરીંગ માટે મોરબી નગરપાલિકાએ આશરે રૂ.૨ કરોડથી વધુ ખર્ચ કર્યો છે. 

૪.૬૦ ફૂટ પહોળાઈ અને ૨૩૩ મીટરની લંબાઈ ધરાવતા આ તારના આધારે ઝુલતા રહેતા પુલ પર આજે રજાના પગલે ચિક્કાર ભીડ હતી અને લોકો મોજ માણી રહ્યા હતા ત્યાં જ  પોણા સાત વાગ્યે તે વચ્ચેથી ધસી પડયો હતો.

મહિલા,બાળકો સહિત લોકો પુલ પરથી નદીમાં અને કિનારે પથ્થરો પર પટકાયા હતા. મચ્છુ નદીમાં  મોટા કાળમીંઢ પથ્થરો છે જેના પર લોકો પછડાઈને તરવાનો પણ પ્રયાસ ન કરી શકે એવી ગંભીર ઈજા સાથે મોતને ભેટયા હતા. બચાવ કાર્ય માટે મોરબીમાં અપુરતી ટીમોને પગલે રાજકોટ,સુરેન્દ્રનગર,કચ્છ સહિત જિલ્લામાંથી એમ્બ્યુલન્સ, તરવૈયા બોલાવાયા હતા, રાજકોટથી ફાયરબ્રિગેડની સાત ટીમ ધસી ગઈ હતી. 

ઘટના એટલી ભયાનક અને કરુણ હતી કે લોકો તારના આધારે કલાકો સુધી જીવ બચાવવા લટકતા નજરે પડયા હતા. નદીમાં પાણીમાં અને પથ્થર ઉપર ખૂબ ઉંચાઈથી પટકાયેલા  લોકો કણસતાં રહીને મોતને ભેટયા હતા. દુર્ઘટનાના કલાક-બે કલાક સુધી તો મૃત્યુ આંક ઓછો હતો પરંતુ, રાત્રે એકપછી એક લાશો નદીની બહાર આવતી ગઈ ત્યારે અત્યંત કરુણદ્રશ્યો સર્જાયા હતા. સ્થળ પર અને હોસ્પિટલ પર લોકોના હૈયાફાટ આક્રંદથી ભારે ગમગીની છવાઈ ગઈ હતી. 

ઘટનાની અતિ કરુણતા એ હતી કે જ્યાં મચ્છુ નદીમાં ગંભીર ઈજાથી દર્દથી કણસતાં હતા તે જગ્યાથી ઉપર રસ્તા સુધી લાવવા કોઈ ઝડપી માર્ગ જ ન્હોતો.તેમને હોસ્પિટલે ઝડપથી પહોંચાડવા બચાવકાર્યમાં પણ મૂશ્કેલીઓ આવી હતી.  

સ્થળ પર પહોંચેલા મંત્રી  બ્રિજેશ મેરજાએ જણાવ્યા મૂજબ સાંજે ૬.૪૦ વાગ્યે આ ભયાનક દુર્ઘટના ઘટી હતી, પુલ વચ્ચેથી તૂટતા તેના પર રહેલા સેંકડો લોકો નીચે પટકાયા હતા. ટિકીટબારી પર ત્રણસો મુલાકાતીઓની ટિકીટ લેવાઈ હતી. બચાવ કાર્ય તુરંત શરુકરાયું હતું પરંતુ, શરુઆતના એકાદ કલાકમાં મૃત્યુ આંક જાણી ન્હોતો શકાયો અને રાત્રિના સાડા નવ સુધીમાં ૪૦થી વધુ ડેડબોડી બહાર કાઢવામાં આવી છે. જ્યારે ૬૦થી વધુ લોકોના મૃત્યુ થયાનું બહાર આવ્યું છે.  ઘટનાની સી.એમ.ઓફિસથી તપાસ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે આશરે સવા સાત વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોનથી વાત કરી હતી અને ઘટના અંગે ઘેરો શોક વ્યક્ત કરીને બચાવકાર્યમાં લેશમાત્ર કચાશ ન રહે તે માટે તાકીદ કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી, આરોગ્યમંત્રી સહિતના મંત્રીઓ આજે ઠેરઠેર યોજાયેલા કાર્યક્રમોને ટૂંકાવીને ઘટનાની જાણ થતા બાદ રાત્રિના સાડા નવ પછી મોરબી ધસી આવ્યા હતા. કેન્દ્ર દ્વારા મૃતકોને રૂ।.બે-બે લાખ અને ઈજાગ્રસ્તોને ૫૦ હજારની સહાય જાહેર કરાઈ છે. 

પ્રાથમિક રીતે ઝુલતાપૂલની સ્ટ્રક્ચરલ સ્ટેબિલીટીની પૂરતી ચકાસણીનો  અભાવ,ઓવરલોડથી આ ભયાનક દુર્ઘટના સર્જાયાનું તારણ છે. જો કે સી.એમ.કક્ષાએથી આ ઘટનાની તપાસ કરાવાશે.

બેસતા વર્ષના દિવસે ઝૂલતો પુલ શરૂ કરાયો

મોરબીમાં ઝુલતો પુલ છેલ્લા સાતેક મહિનાથી બંધ હાલતમાં હતો. સમારકામ બાદ બેસતા વર્ષના દિવસે જ ઝુલતો પુલ ખુલ્લો મૂકાયો હતો. દિવાળીના તહેવારોને પગલે ઝુલતા પુલ પર લોકોની ભારે ભીડ ઉમટી હતી. ઓરેવા કંપનીને ઝુલતા પુલના સમારકામ અને જાળવણીની જવાબદારી સોંપવામાં આવી હતી. ઝુલતા પુલની સ્થિતી દયનીય બનતા તેનુ પુઃન સમારકામ કરવામાં આવ્યુ હતું. સમારકામ બાદ પણ ઝુલતો પુલ તૂટી પડયો હતો જેથી સમારકામની કામગીરી સામે પણ સવાલો ઉઠયા છે.

ચાર દિવસમાં ૧૫ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી

મોરબીનો ઐતિહાસિક ઝુલતો પુલ છેલ્લા ૭ મહિનાથી બંધ હતો અને તેનું રીનોવેશન કાર્ય ચાલુ હતું. હમણાં જ નૂતન વર્ષના દિવસે સવારે પુલ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાયો હતો. જે પછી દિવાળીનાં તહેવારો દરમિયાન ચાર દિવસમાં ૧૫૦૦૦થી વધુ લોકોએ ઝુલતા પુલની મુલાકાત લીધી હતી. 

October 30, 2022
india-vs-sa-t20.png
1min485

 વિશ્વકપમાં ગુરૂવારે ભારતીય ટીમે નેધરલેન્ડને 56 રને હરાવ્યું હતું. ટુર્નામેન્ટમાં આ ટીમ ઈન્ડિયાની સતત બીજી જીત છે. આ પહેલા મેલબર્નમાં રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું. અત્યારે ટીમ ઈન્ડિયાના બે મેચમાં ચાર પોઈન્ટ છે અને ગ્રુપ બેમાં ટોપ ઉપર છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ બીજા ક્રમાંકે છે. દક્ષિણ આફ્રિકાએ ગુરૂવારે બંગલાદેશ સામે મોટી જીત નોંધાવી હતી. જો કે દક્ષિણ આફ્રિકાનો પહેલો મેચ ઝિમ્બાબ્વે સામે હતો જે ધોવાઈ ગયો હતો. જેના કારણે બે મેચમાં ત્રણ પોઈન્ટ સાથે દક્ષિણ આફ્રિકાની ટીમના ત્રણ પોઈન્ટ છે. હવે આવતીકાલે દક્ષિણ આફ્રિકાની ટીમ અને ભારતીય ટીમ વચ્ચે મુકાબલો થવાનો છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેનો મેચ ભારતીય સમયઅનુસાર 4.30 વાગ્યે શરૂ થશે. ટી20 વિશ્વકપનો આ 30મો મેચ હશે. જેમાં ભારતીય ટીમ પર્થમાં પોતાનો પહેલો મેચ રમશે. જો ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવવામાં સફળ રહેશે તો ગ્રુપ બેમાં ટોચ ઉપર યથાવત રહેશે. બીજી તરફ જો દક્ષિણ આફ્રિકાની ટીમ જીતી જશે તો તે ટોચ ઉચપર પહોંચી જશે. અત્યારે ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા બન્નેના ત્રણ ત્રણ પોઈન્ટ છે. જો કે સારી રનરેટના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ બીજા ક્રમાંકે છે.

પર્થમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના મેચમાં વરસાદની સંભાવના નથી. એટલે કે મેચ કોઈપણ અડચણ વિના 40 ઓવરનો રમાશે અને ક્રિકેટ ચાહકો એક રોમાંચક મેચની મજા માણી શકશે.

ટીમ ઈન્ડિયાની વાત કરવામાં આવે તો રોહિત શર્માના નેતૃત્વમાં પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે. પહેલા મેચમાં ભારતે પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું હતું અને નેધરલેન્ડ સામે 56 રને જીત મળી હતી. તેવામાં દક્ષિણ આફ્રિકા સામે કાબુ મેળવવો ભારતીય ટીમ સામે મુશ્કેલ રહેશે નહી. જો કે દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકા સામે સારુ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ભારતીય ટીમ સાવધાન રહેવું પડશે.’

પર્થની વિકેટ ઝડપી બોલર માટે સૌથી અનુકુળ માનવામાં આવે છે. પર્થ દુનિયાની સૌથી ઝડપી પીચ છે.
જેના કારણે બેટરોને પરેશાની થઈ શકે છે. આ જ કારણથી ભારતે ટી20 વિશ્વકપની તૈયારી પર્થમાં જ કરી હતી. ભારતીય ટીમ વિશ્વકપ શરૂ થયાના એક અઠવાડીયા સુધી પર્થમાં રહી હતી અને પ્રેક્ટિસ કરી હતી. તેમજ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે બે અભ્યાસ મેચ પણ રમ્યા હતા. તેવામા આ પ્રેક્ટિસ કેટલી કારગર સાબિત થાય છે તે દક્ષિણ આફ્રિકા સામે રવિવારના મુકાબલામાં જોવા મળશે.

October 30, 2022
PM_Modi.jpg
1min440

ગુજરાતના જે વિસ્તારોમાં ભાજપ ક્યાંય નબળો જણાઈ રહ્યો હોય એવા વિસ્તારોમાં પીએમ મોદી રેલી અને સભાઓ યોજીને માહોલ ભાજપ તરફી કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યાં છે. એના જ ભાગરૂપે વડાપ્રધાન મોદી તા.30 ઓક્ટોબરથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે.

વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે બપોરે વડોદરામાં રોડ શો કર્યા બાદ લેપ્રસી ગ્રાઉન્ડ પહોંચશે અને ત્યાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓને સંબોધન કરશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતમાં રક્ષા ક્ષેત્રે કરોડોના રોકાણની જાહેરાત પણ કરશે. વડોદરાના કાર્યક્રમ બાદ તેઓ કેવડિયા રવાના થશે. જ્યાં રાત્રિ રોકાણ કરશે.” વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલને નમન કરી કેવડિયા માં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.
કેવડિયાથી વડોદરા એરપોર્ટ અને ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદથી થરાદ જવા રવાના થશે. થરાદમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. જનસભાને સંબોધન બાદ વડાપ્રધાન અમદાવાદ પરત ફરશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.

વડાપ્રધાન મોદી 1 નવેમ્બરે સવારે સચિવાલયથી માનગઢ જવા રવાના થશે. માનગઢમા’ જનસભાને સંબોધન કરશે. માનગઢ થી વડાપ્રધાન બપોરે જાંબુઘોડા પહોંચશે જ્યાં નવી મેડિકલ’ કોલેજ સહિતના કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. જંગી જનસભાને વડાપ્રધાન સંબોધન કરશે. જાંબુઘોડાથી વડાપ્રધાન ગાંધીનગર પરત ફરશે.

ગાંધીનગર મહાત્મા મંદિરથી ભાજપના કાર્યકરોને વર્ચ્યુઅલ સંબોધન કરશે. તમામ 182 વિધાનસભા બેઠકો પર ભાજપના દિવાળી સ્નેહમિલન કાર્યક્રમને વડાપ્રધાન સંબોધશે. સ્નેહમિલન કાર્યક્રમ બાદ રાત્રે વડાપ્રધાન મોદી દિલ્હી જવા રવાના થશે.