CIA ALERT

Slider Archives - Page 405 of 487 - CIA Live

January 5, 2019
solar_eclipse_2019.png
1min12320

ભારતમાં આ સૂર્યગ્રહણ નહીં દેખાય કે તેની અસર નહીંવત્ વર્તાશે

ભારતીય સમયાનુસાર ગ્રહણ સવારે 5.04 વાગે શરૂ થશે અને 9.18 વાગે થશે

(વિશ્વની તસ્વીરમાં દ્રશ્યમાન લંબગોળાકાર ડાર્ક ભાગમાં આવેલા દેશોમાં તા.6 જાન્યુઆરી 2019નું સૂર્યગ્રહણ દેખાશે કે તેની અસર વર્તાશે )

સૂર્ય અને ચંદ્ર પર લાગતા ગ્રહણની સીધી યા આડકતરી અસર પૃથ્વી પર વસતા સામાન્ય માનવીના જીવન પર પડતી હોય છે. કોઇક માટે આ અંધશ્રદ્ધાનો વિષય પણ હોય છે જ્યારે જ્યોતિષ શાસ્ત્રીઓ માટે આ મહત્વની ઘટના સમાન બની રહે છે. આધ્યાત્મિક જગત માટે આ ઘટના મહત્વપૂર્ણ હોય છે. 2019નું પહેલું સૂર્યગ્રહણ તા.6 જાન્યુઆરી 2019ને રવિવારે આકાર પામવાનું છે.

જોકે, રવિવારે 6 જાન્યુઆરી 2019 ના રોજ આંશિક સૂર્યગ્રહણ થવાનું છે. જોકે, આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય. ખગોળીય ઘટનાક્રમ અનુસાર ઓછામાં ઓછા બે ગ્રહણ આસપાસમાં સર્જાયા હોય છે. ક્યારેક એક સાથે ગ્રહણની સંખ્યા ત્રણ-ચાર સુધી પણ પહોંચી ગયાનો ઇતિહાસ છે. રવિવારના સૂર્યગ્રહણ બાદ ચાલુ માસમાં જ ચંદ્રગ્રહણ પણ સર્જાવાનું છે.

તા.6 જાન્યુઆરીએ આકાર પામનારા સૂર્યગ્રહણમાં ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવશે, એ જેટલો સમય રહેશે તેને ગ્રહણ સમય તરીકે ગણવામાં આવશે. ચંદ્રનું પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવવાથી ધરતી પર તેની છાયા પડશે, જેને ગ્રહણ કહેવામાં આવે છે. જોકે આ આંશિક સૂર્યગ્રહણ છે અને ભારતમાં નિહાળી શકાશે નહીં.

આંશિક સૂર્યગ્રહણ ઉત્તર-પૂર્વી એશિયા અને ઉત્તરી પેસિફિક દેશોમાં જોવા મળશે. જાપાન, કોરિયા, મંગોલિયા, તાઇવાન અને રશિયા તેમજ ચીનના પૂર્વીય કિનારા ઉપરાંત અમેરિકાના પશ્ચિમી હિસ્સામાં પણ આ ગ્રહણ દેખાશે. બેઇજિંગમાં સૂર્યનો 20 ટકા હિસ્સો, ટોક્યોમાં 30 ટકા અને વ્લાદિવોસ્ટકમાં 37 ટકા હિસ્સો ચંદ્રમાની પાછળ છુપાઈ જશે. ભારતીય સમયાનુસાર ગ્રહણ સવારે 5.04 વાગે શરૂ થશે અને 9.18 વાગે પૂર્ણ થશે.

કેલેન્ડર વર્ષ 2019ના અંતે 26 ડિસેમ્બરના રોજ ભારતમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે. આ સૂર્યગ્રહણ 2 કલાક 40 મિનિટ 6 સેકન્ડ સુધી ચાલશે. આ ગ્રહણની શરૂઆત સવારે 8.17 વાગે થશે અને 10.57 વાગે પૂરું થશે. સવારે 9.30 વાગે ગ્રહણ તેના ચરમ પર હશે. આ વર્ષનું ત્રીજું અને અંતિમ સૂર્યગ્રહણ હશે. દક્ષિણ ભારતમાં તેને વધુ સ્પષ્ટ રીતે જોઇ શકાશે. ખાસકરીને કન્નૂર, કોઝીકોડ, મદુરાઈ અને ત્રિશૂર ક્ષેત્રોામં તે સૌથી વધુ સ્પષ્ટ રીતે દેખાશે.

આ જ મહિને પૂર્ણ ચંદ્રગ્રહણ

2019ના આખા વર્ષમાં ઘણાં ચંદ્રગ્રહણ પણ જોવા મળશે. ચાલુ જાન્યુઆરી 2019 મહિનામાં જ પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે. 20-21 જાન્યુઆરીના રોજ પૂર્ણ ચંદ્રગ્રહણ યોજવાનું છે. જોકે આ ચંદ્રગ્રહણ પણ ભારતમાં નહીં દેખાય.

January 5, 2019
vidhyamangal_logo.png
1min26260

महेनत इतनी चूपके से करो कि सफलता शोर मचादे..આ કહેવત જો કોઇ શાળા સંચાલક મંડળને બંધ બેસતી હોય તો એ છે કડવા પાટીદાર કેળવણી મંડળ, સુરત. સુરતમાં સક્રિય કડવા પાટીદાર કેળવણી મંડળ જેઓ કામરેજમાં વિદ્યામંગલના નામે શૈક્ષણિક સંકુલ ચલાવે છે, વિદ્યામંગલ કેમ્પસ એટલી શાંતિથી શિક્ષણનો વ્યાપ વિસ્તાર વધારવાનું કાર્ય કરી રહી છે કે આજે તેની મહેનત સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં ચર્ચાસ્થાને છે. તાજેતરમાં જ બેંગ્લોર ખાતે ભારતની ટોપ ટ્વેન્ટી બેસ્ટ સ્કુલમાં સુરતના કામરેજની વિદ્યામંગળ સ્કુલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

(વિદ્યામંગલની ટીમને બેંગ્લોર ખાતે એવોર્ડ અર્પણ કરાયા તે પ્રસંગની તસ્વીર)

કડવા પાટીદાર કેળવણી મંડળ સંચાલિત કામરેજ તાલુકાના નવીપારડી ખાતે આવેલ વિદ્યામંગલ નિવાસી શાળાએ તા. મી ડીસેમ્બર 2018ના રોજ બેંગ્લોર ખાતે આયોજિત સમગ્ર ભારતની સર્વશ્રેષ્ઠ ૨૦ નિવાસી શાળા કેટેગરી અંતર્ગત સમગ્ર ભારતમાં ૧૭મું સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર પંથકમાં પોતાની ઝળહરતી યશપતાકા લહેરાવી હતી. ઉપરાંત સમગ્ર સુરત જીલ્લામાં પ્રથમ અને સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સિદ્ધિ બદલ કેળવણી મંડળ અને કડવા પાટીદાર સમાજ ગૌરવ અનુભવે છે.

વિદ્યામંગલને એવોર્ડ આપતા પૂર્વે કયા માપદંડો ધ્યાનમાં લેવામાં આવ્યા

  • શૈક્ષણિક પ્રતિષ્ઠા
  • દરેક વિદ્યાર્થીઓ તરફ અંગત ધ્યાન
  • સમગ્ર સંકુલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખું
  • શિક્ષણમાં નવીનતા
  • સલામતી
  • રમતગમત
  • ફી રૂપે થયેલ નાણાનો શ્રેષ્ઠ ઉપયોગ
  • ધાર્મિક વાતાવરણ
  • મેનેજમેન્ટની સક્રિય અને હકારાત્મક ભૂમિકા તેમજ
  • સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણ સબંધિત કેલેન્ડરને ધ્યાનમાં લેવામાં આવ્યા

એજ્યુકેશનટુડે.કો  દ્વારા બેંગ્લોર ખાતે યોજાયેલ ધ ઇંડિયા’ઝ સ્કુલ મેરીટ અવોર્ડઝ – ૨૦૧૮ ના ભવ્ય સમારોહમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ, બોર્ડીંગ સ્કુલ અંતર્ગત, સીબીએસઈ, આઈસીએસઈ, સ્ટેટ બોર્ડ, છોકરાને છોકરીઓ માટેની લોજીન્ગ અને બોર્ડીંગ સુવિધા તેમજ પ્રી સ્કુલ કેટેગરી અંતર્ગત દેશની ૨૦૦ થી વધુ સ્કૂલો અને ૫૦ પ્રી. સ્કુલ તરફથી પ્રાપ્ત થયેલ ૧૬૧૫ સર્વે ફોર્મ દ્વારા આવી સ્કૂલો સમગ્ર ભારતમાંથી પસંદ કરવામાં આવી હતી. સાથે સાથે જ શાળાઓને ૧૦ પેરામીટર્સ દ્વારા કેટેગરાઈઝ કરવામાં આવી હતી. જેમાં, શૈક્ષણિક પ્રતિષ્ઠા, દરેક વિદ્યાર્થીઓ તરફ અંગત ધ્યાન, સમગ્ર સંકુલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખું, શિક્ષણમાં નવીનતા, સલામતી, રમતગમત, ફી રૂપે થયેલ નાણાનો શ્રેષ્ઠ ઉપયોગ, ધાર્મિક વાતાવરણ, મેનેજમેન્ટની સક્રિય અને હકારાત્મક ભૂમિકા તેમજ સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણ સબંધિત કેલેન્ડરને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

(બેંગ્લોર ખાતે યોજાયેલા દબદબાભર્યા એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહેલી સુરતના વિદ્યામંગલની ટીમ..મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અરવિંદભાઈ, મંત્રીશ્રી નરેશભાઈ, કેમ્પસ ડાયરેક્ટરશ્રી મનીષભાઈ પુરાણી, શાળામાં શિક્ષણ કાર્યનું સંભાળનાર શ્રી અમિતભાઈ તથા કેળવણી મંડળના મંત્રી શ્રી હેમંતભાઈએ ઉપસ્થિત રહી આ એવોર્ડ સ્વીકાર્યો હતો)

વિદ્યામંગલ નિવાસી શાળાને કુલ -૧૦૦૦ પોઈન્ટ્સ માંથી ૮૪૫ પોઈન્ટ્સ પ્રાપ્ત થયા

ઉપરોક્ત પેરામીટર્સ અંતર્ગત વિદ્યામંગલ નિવાસી શાળાને કુલ -૧૦૦૦ પોઈન્ટ્સ માંથી ૮૪૫ પોઈન્ટ્સ પ્રાપ્ત થયા હતા. આ પ્રસંગે બેંગ્લોર ખાતે મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અરવિંદભાઈ, મંત્રીશ્રી નરેશભાઈ, કેમ્પસ ડાયરેક્ટરશ્રી મનીષભાઈ પુરાણી, શાળામાં શિક્ષણ કાર્યનું સંભાળનાર શ્રી અમિતભાઈ તથા કેળવણી મંડળના મંત્રી શ્રી હેમંતભાઈએ ઉપસ્થિત રહી આ એવોર્ડ સ્વીકાર્યો હતો. બેંગ્લોર ખાતે આ એવોર્ડ માટે ટેલીવિઝન મીડિયા દ્વારા કેમ્પસ ડાયરેકટરશ્રી મનીષભાઈનો ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યો હતો. શાળા દ્વારા આવી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ સમગ્ર કામરેજ તાલુકામાં અને સુરત જિલ્લામાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. લગાતાર છેલ્લા કેટલાય વર્ષોથી વિદ્યામંગલ નિવાસી શાળા સતત દરેક ક્ષેત્રે જોરદાર પ્રદર્શન કરી પોતાની કાબેલિયત દ્વારા બાળકોના સર્વાંગી વિકાસની મહત્તાને સિદ્ધ કરી રહી છે. જે બદલ સમગ્ર કડવા પાટીદાર સમાજ અને વિદ્યામંગલ નિવાસી શાળા પરિવાર આ એવોર્ડ માટે ગૌરવ અનુભવે છે.

January 4, 2019
SGCCI.jpg
1min14060

દક્ષિણ ગુજરાતમાં વિકાસ પામેલા ટેક્સટાઇલ ઉદ્યોગના વિવિધ ઘટકો માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આયોજિત સીટેક્ષ 2019 પ્રદર્શન આજથી સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. SGCCI પ્રેસિડેન્ટ શ્રી હેતલ મહેતાએ સી.આઇ.એ.ને જણાવ્યું હતું કે આ એવું પ્રદર્શન બની રહેશે જે સુરતની ઇકોનોમીને બુસ્ટ કરતા ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રાણવાયુ સમાન બની રહેશે. ટેક્સટાઇલ ઉદ્યોગના દરેક ઘટકો માટે અહીં ઉપયોગી ઉત્પાદનો તેમજ ટેકનિક્સ ઉપલબ્ધ બને એ રીતે એક્ઝિબિટર્સ સીટેક્ષમાં આવ્યા છે.

 

ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્‍બર ટ્રેડ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ ડેવલપમેન્‍ટ સેન્‍ટર અને ઉદ્યોગ કમિશનરશ્રી, ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે તા. 4/1/ર019થી 6/1/ર019 દરમિયાન સરસાણા સ્‍થિત સુરત ઈન્‍ટરનેશનલ એકઝીબીશન એન્‍ડ કન્‍વેન્‍શન સેન્‍ટર ખાતે સમગ્ર ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી માટે ‘સુરત ઈન્‍ટરનેશનલ ટેક્ષટાઇલ એકઝીબીશન-19′ (સીટેક્ષ-ર019)નો આજથી ભવ્‍ય પ્રારંભ થયો છે.

સીટેક્ષ પ્રદર્શનના ઉદ્‌ઘાટન સમારોહમાં મુખ્‍ય મહેમાન તરીકે શ્રી મનોહર સેમ્‍યુલ (સિનિ. પ્રેસિડેન્‍ટ, ગ્રાસીમ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિ., મુંબઇ), શ્રી હંસરાજ ગોંડલીયા (ચેરમેન, અલીફ ગૃપ ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ), શ્રી ઇસ્‍માઇલ શરીફ (આસિસ્‍ટન્‍ટ ડાયરેકટર, ટેક્ષટાઇલ કમિશનર કચેરી, ભારત સરકાર), જિલ્‍લા ઉદ્યોગ કેન્‍ફ્‍ – સુરતના જનરલ મેનેજર શ્રી ડી.આર. પટેલ, માનનીય ધારાસભ્‍ય શ્રી વિવેક એન. પટેલ (સુરત – ઉધના)અને ટેક્ષટાઇલ મશીનરી મેન્‍યુફેકચર્સ એસોસિએશનના સેક્રેટરી જનરલ શ્રી સચિન અરોરા ઉપસ્‍થિત રહયા હતા.

ચેમ્‍બરના પ્રમુખ શ્રી હેતલ મહેતાએ જણાવ્‍યુ હતુ કે, કોઇપણ ઇન્‍ડસ્‍ટ્રીના વિકાસ માટે ટેકનોલોજી અપગ્રેડેશન ખૂબ જ જરૂરી હોય છે. એવા સંજોગોમાં સીટેક્ષ એકઝીબીશને સમગ્ર ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રીના ટેકનોલોજી અપગ્રેડેશન અને ધંધાના વ્‍યાપ માટે એકજ જગ્‍યાએ પ્‍લેટફોર્મ પુરુ પાડયુ છે. અહીં ટેક્ષટાઇલના દરેક સેકટરની લેટેસ્‍ટ મશીનરીને પ્રદર્શનમાં મુકવામાં આવી છે.

શ્રી ઇસ્‍માઇલ શરીફે જણાવ્‍યુ હતુ કે, ભારતમાં જ બનેલી મશીનરીથી ઉત્તમ કક્ષાનું ફેબ્રિક ઉત્પાદિત થઇ શકે છે. ભારતની મશીનરી દ્વારા ઉત્‍પાદીત થતા પ્રોડકટને હવે આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ સ્‍વીકારવાની શરૂઆત થઇ ગઇ છે. આથી કાપડનું ઉત્પાદન કરનાર ઉદ્યોગપતિઓએ અન્‍ય દેશોમાંથી સેકન્‍ડ હેન્‍ડ મશીન ઇમ્‍પોર્ટ કરવા કરતા ભારતમાં જ બનેલી મશીનરીનો ઉપયોગ કરવો જોઇએ. આ મશીનરીમાં થોડાક મહિનાઓ બાદ બદલાવ આવતા રહે છે. આથી ટેક્ષટાઇલ મશીનરીમાં અપગ્રેડેશન કરતા રહેવું જોઇએ. સમગ્ર ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી માટે ચેમ્‍બરે જે એકઝીબીશનનું આયોજન કર્યું છે એ ખૂબ જ સરાહનીય છે.

શ્રી મનોહર સેમ્‍યુલે જણાવ્‍યુ હતુ કે, ચેમ્‍બર દ્વારા યોજાયેલા સીટેક્ષ એકઝીબીશનને કારણે એમએસએમઇને સૌથી વધુ ફાયદો થાય છે. ભારતની ટેકનોલોજી પણ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. પણ એના ડેવલપમેન્‍ટ અને પ્રોપર માર્કેટીંગ માટે જે ગેપ રહી જાય છે એ ગેપ આ એકઝીબીશન પુરી દે છે. સુરતમાં આખી ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી છે અને ઇનોવેશન પણ કરતી રહે છે. ઘણા બધા પ્રકારના ફેબ્રિકસ અહીં બને છે પણ એને ગ્‍લોબલ માર્કેટમાં એક્ષપોર્ટ કરવા માટે ટેકનોલોજીનો સપોર્ટ જોઇતો હોય છે અને આવી ટેકનોલોજી સીટેક્ષ જેવા એકઝીબીશનમાં એકજ જગ્‍યાએથી મળી રહે છે. આ એકઝીબીશનઆંત્રપ્રિન્‍યોર્સને પણ નવા ઇનોવેશન માટે પ્રોત્‍સાહન આપે છે.

શ્રી હંસરાજ ગોંડલિયાએ જણાવ્‍યુ હતુ કે, ટ્રેડ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીના ડેવલપમેન્‍ટ માટે ચેમ્‍બરે સુરતને આંગણે ટેક્ષટાઇલ ઈન્‍ડસ્‍ટ્રીને ખૂબ જ સરસ પ્‍લેટફોર્મ પુરુ પાડયુ છે.જો કે, આપણે હજી ટેક્ષટાઇલ એન્‍જીનિયરીંગ અને મશીનરી ક્ષોત્રે ઘણુ બધુ કરવાનું બાકી છે. ચેમ્‍બર જયારે એકજ સ્‍થળે આપણને આટલી સરસ ફેસીલિટી આપે છે તો એને ડિઝર્વ કરવા માટે આપણે પણ મશીનરી ક્ષોત્રે સખત મહેનત કરવાની જરૂર છે. ભારતમાં ટેકનોલોજી બને છે અને સારુ માર્કેટ ઉભુ થઇ રહયુ છે એ ખુશીની વાત છે.

ધારાસભ્‍ય શ્રી વિવેક પટેલે જણાવ્‍યુ હતુ કે, સમગ્ર ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી માટેજે રીતે સીટેક્ષ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્‍યુ છે તે જોતા ચેમ્‍બર માટે વાઇબ્રન્‍ટ ગુજરાતની જેમ વાઇબ્રન્‍ટ ચેમ્‍બર કહીશ તો ખોટુ નથી. ઇન્‍ડસ્‍ટ્રીના વિકાસ માટે ઘણા મુદ્દાઓ મને મળ્‍યા છે એને સંબંધિત વિભાગ સુધી પહોંચાડીશું.વર્ષ ર03પ સુધી સુરત સૌથી વધુ વિકસતુ શહેર તરીકે ઉભરી આવે એના માટે સારી પોલિસી બને અને સુરતના વિકાસમાં લાભ થાય તેવા પ્રયાસ કરીશું.

સીટેક્ષ- ર0ક્ષ9ના ચેરમેન શ્રી હિમાંશુ બોડાવાલાએ જણાવ્‍યુ હતુ કે આ પ્રદર્શનમાં હાઇસ્પીડ રેપીયર લૂમ્‍સ, વોટરજેટ લૂમ્‍સ, એરજેટ લૂમ્‍સ, ડિજીટલ પ્રિન્‍ટીંગ મશીન, ઇલેકટ્રોનિક જેકાર્ડ અને હાઇસ્પીડ એમ્‍બ્રોઇડરી મશીન વિગેરે મુકવામાં આવ્‍યા છે. જે સમગ્ર ટેક્ષટાઇલ ઈન્‍ડસ્‍ટ્રીના વિકાસ માટે મહત્‍વનો ભાગ ભજવશે.

વિશ્વમાં હાઇસ્પીડ રેપીયર લૂમ્‍સ માટે સૌથી અગ્રણી ગણાતી ચાઇનાની છએ છ કંપનીએ પહેલી વખત સુરતના સીટેક્ષ પ્રદર્શનમાં ભાગ લીધો છે. ચાઇનાની સિગ્નેચર વાન્‍લી (પીકાનોલ બેઇઝ), રીફા (વામાટેક્ષા બેઇઝ), ટાઇટન (સ્‍મીત બેઇઝ), કીંગટેક્ષા (સોરીટ બેઇઝ), જિંગ્‍વી અને સુલટેક્ષા (સુલ્‍ઝર બેઇઝ) કંપનીઓએ તેઓની અદ્યતન દસ-દસ હાઇસ્‍પીડ રેપીયર લૂમ્‍સ મશીનરીઓ પ્રદર્શનમાં મુકી છે. ભારતની અલીફ કંપનીએ પણ ચાઇના બેઇઝ આ મશીનરી પ્રદર્શનમાં મુકી છે.

યસ બેન્‍કના શ્રી નિરજ તનેજાએ પણ ચેમ્‍બરને શુભેચ્‍છા આપી હતી અને કહયુ હતુ કે, સખત મહેનતથી સુરતની ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી આ મુકામ પર પહોંચી છે. બિઝનેસના વિકાસ માટે અમે પણ સપોર્ટ કરીશું.

ચેમ્‍બરના ઉપપ્રમુખ શ્રી કેતન દેસાઇએ સીટેક્ષ એકઝીબીશનમાં પધારેલા મુખ્‍ય મહેમાનો તથા ઉપસ્‍થિત તમામનો આભાર માની સમારોહનું સમાપન કર્યુ હતુ.

 

January 4, 2019
kausa.jpg
1min6100

ઓસ્ટ્રેલિયામાં ભણવા માટે ગયેલા અને રોજીરોટી માટે ટેક્સી ચલાવવા સહિત નાની મોટી નોકરી કરી ગુજરાન ચલાવનાર કૌશલ્યા વાઘેલાની પસંદગી ઓસ્ટ્રેલિયામાં સાંસદ તરીકે કરવામાં આવી છે.

ભારતીય નાગરિકો વિદેશમાં જઈને ભારતનું નામ રોશન કરતા હોય છે. અને આ વખતે આ કામ જામનગરના મૂળ એવા કૌશલ્યા વાઘેલાએ ભારતનું ગૌરવ વધાર્યું છે. કૌશલ્યા વાઘેલાએ જામનગરની સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે. તે ભારતમાં જન્મેલા પહેલા મહિલા છે જે વિદેશમાં સાંસદ બન્યા છે. 11 ડિસેમ્બર થયેલી ચૂંટણીના પરિણામમાં કૌશલ્યા વાઘેલાની જીત થઈ હતી. ઉલ્લેખનીય છે કે કૌશલ્યા ઓસ્ટ્રેલિયામાં સમાજના પાયાના પ્રશ્નો અને સમાજની જરૂરિયાતોને મુદ્દો બનાવીને ચૂંટણી લડ્યા હતા. મૂળ જામનગરના કૌશલ્યા વાઘેલા ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા સંસદમાં સાંસદ તરીકે ચૂંટાયા છે.

એક સમયે ઓસ્ટ્રેલિયામાં ભણવા માટે ગયેલા અને રોજીરોટી માટે ટેક્સી ચલાવવા સહિત નાની મોટી નોકરી કરી ગુજરાન ચલાવનાર કૌશલ્યા વાઘેલાની પસંદગી ઓસ્ટ્રેલિયામાં સાંસદ તરીકે કરવામાં આવી છે. કૌશલ્યા વાઘેલાએ નાની-નાની નોકરી કરતા કરતા પોતાનો ધંધો કરવાની શરૂઆત કરી હતી, જેના કારણે કેટલીક વખત એવો સમય પણ આવ્યો જ્યારે કાયદા સામે અવાજ ઉઠાવવાની જરૂર પણ પડી. જો કે આજે આ જ કૌશલ્યા વાઘેલા ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા પાર્લામેન્ટના સાસંદ બન્યા છે.

 

January 4, 2019
sansad.jpeg
1min6000

લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજને બે દિવસ દરમિયાન તેલુગુ દેશમ પક્ષ, અખિલ ભારત અન્ના દ્રમુક અને વાયએસઆર કૉંગ્રેસના મળીને કુલ ૪૫ સભ્યને ગેરવર્તણૂક બદલ સસ્પૅન્ડ કર્યા હતા. દક્ષિણ ભારતના આ રાજકીય પક્ષોના સાંસદો ગૃહમાં સતત ધાંધલધમાલ કરીને ગૃહની કાર્યવાહી ખોરવી નાખતા હોવાથી તેઓને સસ્પૅન્ડ કરવાની ફરજ પડી હતી. અગાઉ, મહાજને અખિલ ભારત અન્ના દ્રમુકના ૨૪ સાંસદને બુધવારે સતત પાંચ બેઠક માટે સસ્પૅન્ડ કર્યા હતા અને તેના એક દિવસ પછી તેમણે અન્ના દ્રમુક, તેલુગુ દેશમ પક્ષ અને વાયએસઆર કૉંગ્રેસના મળીને કુલ ૨૧ સાંસદને સસ્પૅન્ડ કર્યા હતા.

સ્પીકરે લોકસભાના કાયદાની કલમ ૩૭૪એ હેઠળ કાર્યવાહી કરી હતી. કાયદાની જોગવાઇ મુજબ આ સાંસદો આઠમી જાન્યુઆરીએ પૂરા થતાં બાકીના સત્ર દરમિયાન ગૃહની કાર્યવાહીમાં ભાગ લઇ નહિ શકે.

સંસદના નીચલા ગૃહમાં અખિલ ભારત અન્ના દ્રમુકના ૩૭ અને તેલુગુ દેશમ પક્ષના ૧૫ સાંસદ છે.

સ્પીકરે આટલી મોટી સંખ્યામાં સાંસદોને સસ્પૅન્ડ કરવાનું લીધેલું પગલું અભૂતપૂર્વ છે.

અગાઉ, ૨૦૧૪ના ફેબ્રુઆરીમાં સ્પીકર મીરાં કુમારે આંધ્ર પ્રદેશના ૧૮ સાંસદને સસ્પૅન્ડ કર્યા હતા. આ સાંસદોમાંના અમુક તેલગંણની રચનાને ટેકો આપતા હતા, જ્યારે કેટલાક વિરોધ કરતા હતા.

લોકસભાનું શિયાળુ સત્ર ૧૧મી ડિસેમ્બરે શરૂ થયું હતું અને તેમાં અખિલ ભારત અન્ના દ્રમુક અને તેલુગુ દેશમ પક્ષના સાંસદો કાવેરીના પાણીની વહેંચણી અને આંધ્ર પ્રદેશને ખાસ દરજ્જો આપવાની માગણીને લઇને દેખાવ કરતા હતા.

સ્પીકરે લોકસભામાં ગુરુવારે બપોરના ૧૨ વાગ્યાની આસપાસ ૧૯ સાંસદને સસ્પૅન્ડ કર્યા હતા, જ્યારે બાકીના બે સાંસદને આશરે બપોરે બે વાગ્યે ગૃહ છોડી જવાનો આદેશ અપાયો હતો.

અગાઉ, બપોરે ૧૨ વાગ્યાની આસપાસ લોકસભામાં અખિલ ભારત અન્ના દ્રમુક અને તેલુગુ દેશમ પક્ષના સાંસદો સૂત્રોચ્ચાર કરતા બૅનર લઇને સ્પીકર ભણી ધસી ગયા હતા.

અન્ના દ્રમુકના સાંસદોએ સ્પીકર ભણી કાગળ પણ ફેંક્યા હતા.

સંસદીય બાબતોને લગતા ખાતાના પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે દેખાવ કરી રહેલા સાંસદોને તેઓની બેઠક પર બેસી જવા વિનંતિ કરી હતી.

આમ છતાં, દક્ષિણ ભારતના આ રાજકીય પક્ષોના સાંસદોએ શોરબકોર ચાલુ રાખ્યો હતો.

સ્પીકરે તેલુગુ દેશમ પક્ષના ૧૧, અન્ના દ્રમુકના ૭ અને વાયએસઆર કૉંગ્રેસના એક સાંસદને સસ્પૅન્ડ કર્યા હતા.

જે સાંસદોને સસ્પૅન્ડ કરાયા છે તેઓમાં મુલકી ઉડ્ડયન વિભાગના ભૂતપૂર્વ પ્રધાન અશોક ગજપતિ રાજુ (તેલુગુ દેશમ પક્ષ), તોતા નરસિંહ (તેલુગુ દેશમ પક્ષ) અને વાયએસઆર કૉંગ્રેસની ટિકિટ પર જીતેલા રેણુકા ભુત્તાનો સમાવેશ થાય છે.

January 4, 2019
smc.jpg
3min13600

સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી થેન્નારાશને આજે ચાલુ હિસાબી વર્ષ 2018-19ના રિવાઇઝ્ડ બજેટ અને 2019-20 માટેના રૂ.5599 કરોડનું સૂચિત બજેટ રજૂ કર્યું હતું. આંકડાઓ ભલે વધ્યા હોય કે મોટા થયા હોય પરંતુ, સૂચિત અંદાજપત્ર એ વાતની ચાડી ખાય રહ્યું છે કે શહેરનો વિકાસ કરતા કરતા વધેલા વસતિના ભારણને સેવા-સુવિધાઓ પૂરી પાડતા પાડતા સુરત મહાનગરપાલિકાનું તંત્ર હાંફી ગયું છે. નથી કોઇ મેગા પ્રોજેક્ટ, નથી કોઇ ઉડીને આંખે વળગે તેવી નવીન વાત કે નથી રેવન્યુ આવક કે ખર્ચમાં અસાધારણ વધઘટ. લોકસભાની ચૂંટણીમાં દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરમાં અગ્રેસર સુરતનું બજેટ જોઇને કોઇપણ એક્સપર્ટ પ્રથમદર્શી નજરે જ બોલી ઉઠે કે સાવ કંગાળ બજેટ છે. ચૂંટણીના વર્ષમાં આવું નબળું બજેટ રજૂ કરીને કહ્યાગરા કંથ સમાન મ્યુનિસિપલ કમિશનર થેન્નારાશને ભાજપ શાસકોને છગ્ગાબાજી ફટકારવાનો ચાન્સ આપ્યો છે. હવે જોવાનું એ રહે છે કે સ્થાયી સમિતિ મારફતે ભાજપ શાસકો લોકસભાની ચૂંટણીના વર્ષમાં દેશની સૌથી વિકસીત ગણાતી સુરત મહાનગરપાલિકાના બજેટને કેવી રીતે ડેકોરેટ કરે છે.

છેલ્લા 15 વર્ષમાં સુરત મહાનગરપાલિકાનું સૌથી નબળું બજેટ

સુરત મહાનગરપાલિકાના છેલ્લા 15 વર્ષના ઇતિહાસમાં સૌથી નબળું અને સામાન્ય બજેટ લેખાવાય રહ્યું છે. સાવ સામાન્ય કે કંગાળ બજેટ એટલા માટે લેખાય રહ્યું છે કેમકે આખા વિશ્વમાં જે શહેરનું નામ સૌથી ઝડપે વિકસી રહેલા શહેર તરીકે લેવાતું હોય એ શહેરમાં આજે રજૂ થયેલું પ્રપોઝ્ડ બજેટ જો ન બને તો પણ જે કામગીરી થવાની છે એ તો થવાની જ છે. કમિશનર હોય કે ન હોય, શાસકો હોય કે ન હોય, જે કામગીરી યંત્રવત રીતે થવાની જ હોય તેને જ બજેટરી પ્રોવિઝન તરીકે લેખાવાઇ છે.

2019ના મધ્યભાગમાં જ્યારે લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે આખા ભારતમાં ભાજપ જેને મોડેલ સિટી, વિકસિત શહેર કહે છે એ સુરતના સાવ જ નબળા બજેટમાં આગામી દિવસોમાં ભાજપ શાસકો અનેક રંગો પૂરીને આકર્ષક બનાવશે એ વાતમીન મેખ છે. એવું પણ જણાય છે કે વહીવટી પાંખે વેનિલા આઇસ્ક્રીમ જેવા રજૂ કરેલા બજેટમાં મહાનગરપાલિકાના ભાજપ શાસકોને મનગમતી ફ્લેવર એડ કરીને બજેટ રૂપી આઇસ્ક્રીમને મનપસંદ બનાવવાનો અવકાશ આપ્યો છે.

રૂ.5599 કરોડના સૂચિત બજેટમાં સૌથી ધ્યાનાકર્ષક બાબતો પર નજર કરીએ તો રૂ.2515 કરોડની રકમ વિકાસ કામો માટે એટલે કે કેપિટલ પ્રોજેક્ટસ ઉભા કરવા માટે જોગવાઇ કરવામાં આવી છે પણ અહીં ઉડીને આંખે વળગે તેવો એકપણ નવો પ્રોજેક્ટ લાવવામાં આવ્યો નથી. કમિશનર શ્રી થેન્નારાશને બજેટ રજૂ કરતી વખતે કહ્યું કે શહેરને વૈશ્વિક દરજ્જાની સ્માર્ટ સિટી બનાવવાનો સંકલ્પ કેન્દ્ર સ્થાને રાખીને વિકાસકામોની પ્રગતિ માટે પ્રતિબદ્ધતા. બસ આ ફક્ત શાબ્દિક વાત છે, હકીકતમાં બજેટમાં એવી કોઇ જોગવાઇ નથી કે જે વિકાસની હરણફાળ ભરતા સુરતની શોભા વધારશે.

આગામી વર્ષે સૌથી વધુ રૂપિયા ગટરમાં નાંખવાની જોગવાઇ

સૌથી વધુ રૂપિયા સુરત મહાનગરપાલિકા આગામી બજેટમાં ગટરમાં નાંખશે એમ મનાય છે. ગટરમાં નાંખશે એનો મતલબ એમ કે સૌથી વધુ રૂપિયા ડ્રેનેજ લાઇન અને સ્ટોર્મ ડ્રેનેજ લાઇન બિજાવવા માટે માટે ખર્ચવાની જોગવાઇ કરવામાં આવી છે, કુલ રૂ.617 કરોડ કે જે કુલ કેપિટલ ખર્ચના 15 ટકા જેટલો થાય છે તે ગટરના કામોમાં ઉપયોગમાં લેવામાં આવશે.

આ રહ્યા આંકડા મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યાં રૂપિયા ખર્ચવાની છે એના

સુરત મનપાની તિજોરી પર સૌથી મોટો બોજો પગાર ખર્ચનો રૂ.1609 કરોડ

સુરત મહાનગરપાલિકાને જે રેવન્યુ આવક થવાની છે તેમાંથી પ્રોજેક્ટ કરવાની વાત તો દૂર રહી પરંતુ, પોતાનો ખર્ચો પણ સુરત મહાનગરપાલિકા કાઢી શકવાની નથી. રૂ.2939 કરોડની રેવન્યુ આવકની સામે 3084 કરોડનો રેવન્યુ ખર્ચ થશે તેવો અંદાજ વહીવટીતંત્રે મૂક્યો છે. જેમાં સૌથી મોટો રેવન્યુ ખર્ચ પગારનો છે. કર્મચારીઓના પગાર અને ભથ્થ વગેરે માટે રૂ.1609 કરોડની જરૂરીયાત રહેશે. રૂ.727 કરોડનો તોતિંગ ખર્ચ પ્રોજેક્ટ મેઇન્ટેનન્સ તેમજ વિજળીના ખર્ચ તરીકે જરુર પડશે.

ઓક્ટ્રોલની અવેજીમાં રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટમાં કોઇ વધારો નહીં

સુરત મહાનગરપાલિકા માટે ઓકટ્રોયની આવક જબરદસ્ત હતી. પણ ગુજરાત સરકારે ઓક્ટ્રોય નાબૂદ કરતા રાજ્ય સરકારે ઓક્ટ્રોયની આવકની અવેજીમાં ગ્રાન્ટ આપવાની શરૂઆત કરી હતી. આ ગ્રાન્ટ ચાલુ વર્ષે રૂ.795 કરોડ મળવાની છે, આગામી વર્ષ માટે આ પણ ઓક્ટ્રોયના વિકલ્પ રૂપ ગ્રાન્ટની રકમ માટે રૂ.795 કરોડની જ જોગવાઇ કરવામાં આવી છે. વહીવટીતંત્રે રજૂ કરેલા ડ્ર્રાફ્ટ બજેટમાં રેવન્યુ આવકમાં સૌથી વધુ 27 ટકા હિસ્સો જ ઓક્ટ્રોયની અવેજીમાં રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટનો છે. જો સુરત મહાનગરપાલિકા આજની તારીખે ઓક્ટ્રોય વસુલ કરતી હોત તો શું ઓક્ટ્રોયની આવકમાં વધારો ન થયો હોત, રાજ્ય સરકાર ઓક્ટ્રોયની જે આવક થતી હતી તેના આધારે ગ્રોથરેટ સાથે ગ્રાન્ટ આપી શકતી નથી. મનપામાં ભાજપ શાસકોની જ સરકાર રાજ્યમાં હોવા છતાં સ્થાનિક વામણી નેતાગીરી કશું બોલી શક્તી નથી.

પાંચ વર્ષમાં શહેરના એકેએક નળ જોડાણો પર મીટર લાગી જશે, શરુઆત આ વર્ષથી થશે

સુરત મનપાનું બજેટ રજૂ કરતા મ્યુનિ. કમિશનરે એક અગત્યની જાહેરાત એ કરી હતી કે સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણી પુરવઠાને નિયંત્રિત કરવા માટે, લોકો પીવાના શુદ્ધ પાણીનો દુરુપયોગ કરતા અટકે, ટ્રીટેડ પાણીનું મૂલ્ય સમજાય તે માટે દરેકે દરેક નળ જોડાણ પર મીટર લગાડવામાં આવશે. પાંચ વર્ષમાં સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં એકેય પાણી જોડાણ નહીં હોય જેના પર મીટર ન લગાડેલું હશે. આ વર્ષથી જ નળ જોડાણો પર મીટર લગાડવાની યોજના શરૂ કરી દેવામાં આવશે. પહેલા 100 ચો.મી. કે તેનાથી વધુ ક્ષેત્રફળ ધરાવતી મિલક્તોના નળજોડાણો પર મીટર લગાડવામાં આવશે. એ પછી તબક્કાવાર 50થી 100 ચો.મી. સુધીની મિલક્તો અને એ પછી બધા જ પ્રકારની મિલ્કતોના નળ જોડાણો પર મીટર લાગી જશે. પાણીની કિંમત લોકોને ત્યારે સમજાશે.

ઉમરા-ભાઠા વચ્ચે તાપી નદી પર બરાજની જોગવાઇ ફરીથી બજેટમાં આવી

પાલિકાના વહીવટીતંત્રે રજૂ કરેલા 19-20 વર્ષના ડ્રાફ્ટ બજેટમાં ભાઠા-ઉમરા વચ્ચે તાપી નદી પર બરાજ બનાવવાની યોજના માટે ફરીથી જોગવાઇ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે રૂ.50 કરોડની માતબર રકમની જોગવાઇ કરવામાં આવી છે. ચાલુ વર્ષના કયા પ્રોજેક્ટ આગામી વર્ષે હાથ ધરાશે, તેમાં કેટલી રકમની નાણાકીય જોગવાઇ કરવામાં આવી છે તેની માહિતી અત્રે પ્રસ્તુત છે.

લોલીપોપ પ્રોજેક્ટસ જુઓ કોના માટે કેટલી જોગવાઇ  થઇ છે બજેટમાં

અહીં પાંચ પ્રોજેક્ટના ફોટા રજૂ કરવામાં આવ્યા છે, સુરતવાસીઓને નજીકના ભવિષ્યમાં નહીં બલ્કે આગામી પાંચ વર્ષમાં આમાંથી એકાદ પ્રોજેક્ટ પણ જોવા મળે તો નવાઇ લાગશે.

સુરત મહાનગરપાલિકાના બજેટના મુખ્ય અંશો

  • સુરત મહાનગરપાલિકાની પોતાની આવક રૂ.844 કરોડ થવાનો અંદાજ જ્યારે ગ્રાન્ટની આવક પેટે રૂ.1295 કરોડ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી મળવાનો આશાવાદ
  • રૂ.2515 કરોડનું કેપિટલ બજેટ
  • કુલ આવક 18-19માં રૂ.4917 કરોડના અંદાજની સામે 19-20માં રૂ.5078 કરોડ
  • કુલ જાવક 18-19માં રૂ.5033 કરોડની સામે 19-20માં રૂ.5599 કરોડનો અંદાજ
  • આઉટકમ બેઝ્ડ બજેટ રૂ.1666 કરોડ
  • સિટી બ્યુટિફિકેશન, સ્કીલ અપગ્રેડેશન
  • રેવન્યુ આવક 18-19માં રિવાઇઝડ રૂ.2791 કરોડથી વધીને 19-20માં રૂ.2939 કરોડ થવાનો અંદાજ
  • ઓક્ટ્રોય અવેજ પેટે રાજ્ય સરકાર તરફથી રૂ.795 કરોડની આવકનો અંદાજ
  • યુઝર ચાર્જ રૂ.634 કરોડ
  •  સૌથી વધુ રૂપિયા ડ્રેનેજ અને સ્ટોર્મ ડ્રેનેજ માટે ખર્ચાશે, રૂ.617 કરોડ, કુલ કેપિટલ ખર્ચના 15 ટકા ખર્ચશે.
  • 16 નવા કેપિટલ કામો 19-20 રિવાઇઝ બજેટમાં સૂચિત કરાયા
  • આખા શહેરમાં પાંચ વર્ષમાં નળ જોડાણો પર વોટર મિટર સાથે જોડી દેવાશે
  • રિચાર્જ બોરવેલ સબસિડી રૂ.20 હજારથી વધારીને રૂ.30 હજાર સુધી કરીને પ્રોત્સાહિત કરવામાં આવશે.
  • તાપી નદીમાં 5 જગ્યાએ રીયલ ટાઇમ વોટર ક્વોલિટી મોનિટરીંગ સેન્સર લગાડવામાં આવશે
  • સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એક વખત વપરાયેલા પાણીને રિસાયકલ કરીને પુનઃ ઉપયોગમાં લઇને કુલ 10 ટકા પાણીનો જથ્થો બચાવશે. વર્ષે 1140 કરોડ લિટર પાણીની બચત
  • તાપી નદી પર ઉમરા-ભાઠા વચ્ચે બરાજ માટે રૂ.25 કરોડની જોગવાઇ
  • તમામ પ્રકારના બજારો માટે એક મેગા માર્કેટ હોલ બનાવશે
  • 113.7 રનિંગ કિલોમીટરના સિમેન્ટ કોંક્રિટ રોડ સુરત મહાનગરપાલિકાએ બનાવી દીધા
  • જંકશનો પર કોબલ બ્લોકથી કામગીરી કરવામાં આવશે. જંકશનો પર વધુ ટ્રાફિક અને રોડ ખરાબ થતા હોવાથી કોબલ બ્લોક જંકશન બનાવવામાં આવશે
  • 1019-20ના વર્ષમાં વેડ-વરીયાવને જોડતા રૂ.107.75 કરોડના નવો બ્રિજ તૈયાર કરવાની યોજના
  • 50 ઇલેક્ટ્રોનિક બસ ખરીદીને શહેરના માર્ગો પર દોડાવવામાં આવશે, આ ઇલેક્ટ્રીક બસ પ્રદૂષણ મુક્ત અને બિનખર્ચાળ હોવાથી તેનો તબક્કાવાર ઉપયોગ વધારવામાં આવશે
  • હાલમાં 275 સિટી બસ ચાલી રહી છે જેમાં વધુ 155 બસ ઉમેરવામાં આવશે, એવી જ રીતે 116 બીઆરટીએસ બસમાં વધુ 50 બસ ઉમેરવામાં આવશે.
  • 2382 બેઘર લોકો માટે લેબર ટ્રાંઝિટ એકોમોડેશન સેન્ટર ઉભા કરવામાં આવશે, જેનો ખર્ચ 22.90 કરોડ રૂપિયા
  • 84,715 આવાસો સુરત મહાનગરપાલિકા બનાવી ચૂકી છે જેનો ખર્ચ રૂ.1847.92 કરોડ
  • આગામી વર્ષ માટે કુલ 10 લાખ રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવશે, સુરત મહાનગરપાલિકાની પ્રોપર્ટીઓમાં ગ્રીન ટોપ, ગ્રીન સ્કેપ, ગ્રીન રૂફટોપ બનાવવામાં આવશે.
  • મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ફક્ત રૂ.50 લાખની જોગવાઇ, જેમાંથી ફક્ત કાગળ પરની કામગીરી એટલે કે (ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) ડીપીઆર બનાવાશે.
  • ઉમરા બ્રિજ ભલે તૈયાર હોય પરંતુ, હજુ ત્રણ-ચાર મહિના આ બ્રિજનો મેળ નહીં પડે. કમિશનરે ચોખ્ખા શબ્દોમાં લેખિત સ્વરૂપે આપ્યું છે કે 2019-20માં ઉમરા-પાલ વચ્ચેનો બ્રિજ ખુલ્લો મૂકી શકાશે.

આ એવા પ્રોજેક્ટ છે કે ચાલુ વર્ષ અને આગામી વર્ષ બન્ને વર્ષ માટે નાણાંકીય જોગવાઇઓ ધરાવે છે

મેજર કામો માટે આ મુજબની જોગવાઇ કરવામાં આવી છે

ઝોનવાઇઝ બજેટ આ પ્રમાણે ફાળવવામાં આવ્યું

હવા-પાણી પ્રદૂષણ માટે આ પ્રકારના પગલાંઓ ભરવાની જોગવાઇ કરવામાં આવી છે

 

 

 

 

 

 

 

 

January 3, 2019
CIA_Live_Logo_New2.jpg
1min11700
  • 2019માં નેટ ડેટા વપરાશ ડબલથી 140 ટકા સુધી વધી જશે કેમ 
  • (1) વેલેન્ટાઇન
  • (2) લોકસભાની ચૂંટણી
  • (3) આઇ.પી.એલ. ક્રિકેટ અને
  • (4) વર્લ્ડ કપ ક્રિકેટ 2019

2019માં (1) વેલેન્ટાઇન (2) લોકસભાની ચૂંટણી અને (3) આઇ.પી.એલ. ક્રિકેટ અને (4) વર્લ્ડ કપ ક્રિકેટ 2019 આ ચાર એવી મોટી ઇવેન્ટસ થવા જઇ રહી છે કે આ ઇવેન્ટસથી ભારતીયોના દૈનિક ઇન્ટરનેટ ડેટા વપરાશ બમણાથી વધીને જુદા જુદા સરવે તારણો પ્રમાણે પ્રમાણે 140 ટકા સુધી વધી જાય તેવી ગણતરીઓ મૂકાય રહી છે. સૌથી વધુ ડેટા યુઝ મોબાઇલ ધારકો લોકસભાની ચૂંટણી લક્ષી સાહિત્ય જોવામાં કરશે એમ મનાય છે. કેમકે લોકસભાની ચૂંટણી પહેલાં ભારતીય વોટર્સને પર રાજકીય પક્ષો, ઉમેદવારો, અપક્ષો, બિનસરકારી સંસ્થાઓ વગેરે જુદા જુદા સાહિત્યનું કાર્પેટ બોમ્બિંગ કરશે. ચૂંટણીના પ્રચાર માટે ફેસબૂક, વોટ્સએપ અને યુટ્યૂબ સહિતનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના ભરપૂર પોસ્ટીંગ્સ થશે, પોસ્ટ્સમાં વિડીયો સૌથી વધુ હશે અને તેના કારણે ડેટાના વપરાશમાં મોટા ઉછાળાની શક્યતા જોવાય રહી છે અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ પણ એ પ્રકારના ડેટા પેકની તૈયારી કરી રહ્યા છે.

(Symbolic Photo)

ભારતમાં 1લી ફેબ્રુઆરીથી જુલાઈ 2019 ના ગાળામાં ત્રણ મોટી ઇવેન્ટસ યોજાશે. પહેલી ઇવેન્ટસ 14મી ફેબ્રુઆરીના વેલેન્ટાઇનની છે. યંગસ્ટર્સથી લઇને મિડલ એજ ગ્રુપના કપલ્સમાં આ તહેવાર ફેવરિટ હોવાને કારણે નેટ ડેટાનો વપરાશ વધી જશે. એ પછી માર્ચથી મે મહિનામાં IPL રમાશે. જેમાં ક્રિકેટ ચાહકો મન ભરીને મોબાઇલ ડેટાનો ઉપયોગ કરશે. એ પુરું થાય ત્યાં લોકસભાની ચૂંટણીઓની ઘોષણા સાથે ભારતીય મોબાઇલ યુઝર્સનો ડેટા વપરાશ રોકેટ સ્પીડથી વધી જશે એવી ગણતરીઓ માંડવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણીના પરીણામો આવતા સુધીમાં મે મહિનામાં ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થશે, જે જુલાઈના પ્રથમ પખવાડિયા સુધી ચાલશે. ટેલિકોમ કંપનીઓ અને એનાલિસ્ટ્સના જણાવ્યા અનુસાર બે મોટી ક્રિકેટ ઇવેન્ટ્સને કારણે ડેટાના વપરાશને અસામાન્ય રીતે વધી જશે.

સ્માર્ટફોન હાથવગી સ્ક્રીન હોવાથી એરટેલના મોબાઇલ નેટવર્ક પર સપ્ટેમ્બર 2018માં ડેટાનો વપરાશ યુઝર દીઠ ગયા વર્ષની તુલનામાં 125 ટકા ઊછળી 9.2 જીબી થયો છે અને બે વર્ષમાં તેમાં 900 ટકા ઉછાળો નોંધાયો છે. બંડલ્ડ ડિજિટલ કન્ટેન્ટ અને વધુ ગ્રાહકો દ્વારા 4G સ્માર્ટફોન્સમાં અપગ્રેડને કારણે આગામી સમયમાં ડેટા વપરાશમાં મોટો ઉછાળો નોંધાશે.

એક અન્ય રિસર્ચમાં એવા તારણો સપાટી પર આવ્યા છે કે 2019ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં યુઝર દીઠ મહિને 9 જીબી સુધી પહોંચવાનો અંદાજ છે. તે અત્યારના યુઝર દીઠ 4 જીબીની તુલનામાં 125 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. બીજા અર્ધવાર્ષિક ગાળામાં ડેટા વપરાશ 11 જીબીને પણ સ્પર્શી શકે.

2017માં વ્યક્તિ દીઠ ડેટા વપરાશ 1.8 જીબી હતો

2018માં ડેટાનો વપરાશ યુઝર દીઠ ગયા વર્ષની તુલનામાં 125 ટકા ઊછળી 9.2 જીબી થયો

ઉલ્લેખનીય છે કે, 2017માં વ્યક્તિ દીઠ ડેટા વપરાશ 1.8 જીબી હતો. જેનું મુખ્ય કારણ સપ્ટેમ્બર 2016માં રિલાયન્સ જિયોની એન્ટ્રીના કારણે ફ્રી કે સસ્તું ઇન્ટરનેટ કહી શકાય. બીજી અને ત્રીજી હરોળનાં શહેરોમાં ડેટાના વપરાશમાં મોટો ઉછાળો નોંધાશે. કારણ કે આ વિસ્તારોમાં ટેલિવિઝન કરતાં મોબાઇલની સંખ્યા વધુ છે અને સ્માર્ટફોનની સંખ્યામાં પણ તીવ્ર ઉછાળો નોંધાયો છે.

લોકસભાની ચૂંટણી એપ્રિલ કે મે મહિનામાં યોજાશે, પણ રાજકીય પક્ષો વચ્ચે યુદ્ધનો પ્રારંભ તો આગામી થોડાં સપ્તાહમાં થઈ જશે. આ વખતે માત્ર મેસેજ કે ફોટોગ્રાફને બદલ રાજકીય લડાઈ વિડિયો દ્વારા થવાની ધારણા છે.

સોશિયલ મીડિયા પર લગભગ 90 ટકા ફીડ વિડિયોની હોય છે. 2019ની ચૂંટણીમાં ડેટાનો વપરાશ 2014ની તુલનામાં 10 ગણો વધશે. રાજકીય પક્ષોની માર્કેટિંગ ઝુંબેશ સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર અપલોડ થતાંની સાથે ડેટાના વપરાશમાં મોટી છલાંગ જોવા મળશે.

January 3, 2019
russel-1280x720.jpg
1min17840

રુપિયા માટે લોકો કેવા કેવા ધંધા કરવામાં ઉતરી પડ્યા છે. ગુજરાતમાંથી પહેલું એવું કૌભાંડ પકડાયું છે જેમાં ગુજરાતના જંગલોમાંથી ઝેરી સાપ પકડીને મુંબઇ વેચી મારવામાં આવે છે. સાબરકાંઠાના રાયગઢ ફોરેસ્ટ રેન્જમાંથી એવા ચાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે જેઓ કોબ્રા, રસેલ વાઇપર જેવા 30 ઝેરી સાપ પકડીને મુંબઇ આપવાના હતા જેના બદલામાં મુંબઇના કૌભાંડ ઓપરેટરો તેમને રૂ.12 લાખ રોકડા આપવાના હતા.

મુંબઇમાં દવા બનાવતી કંપનીઓને અત્યંત ઉપયોગી સાપનું ઝેર વેચવાના ધંધા સાથે સંકળાયેલા બે વ્યક્તિઓએ ગુજરાતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જંગલોમાંથી 30 સાપ પકડવાના 12 લાખ રૂપિયા ઓફર આપતા હોવાનું બહાર આવ્યું છે. સાપને મુંબઈ લાવવાની જવાબદારી પરેશ અને રાહુલ દ્વારા કરવામાં આવતી હતી.

ગુજરાતમાં સાપ પકડવાનું કામ કરતા ચાર લોકોનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને આ ચાર જણા પાસેથી ગુજરાતમાં કોબ્રા અને ‘રસેલ વાઈપર’ જેવા ઝેરી સાપ ક્યાંથી મળે એની વિગતો લેવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતમાં સ્વૈચ્છિક રીતે સાપ પકડવાનું કામ કરતા અને શહેરોમાંથી મળી આવતા સાપને જંગલમાં છોડવાનું કામ કરતા પરેશ પુરોહિત, સંદીપ મિસ્ત્રી, કિશન મિસ્ત્રી અને દિવ્ય સોનારાનો સંપર્ક કર્યો હતો. ગ્રેજ્યુએટ થયા પછી કામ નહીં મળતાં સાપ પકડવાનો શોખ રાખતા આ ચાર જણાને 30 સાપ પકડવા બદલ 12 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા.

મુંબઈના પરેશ અને રાહુલ એમની પાસેથી આ ઝેરી સાપ 15 જાન્યુઆરી પછી લેવા આવવાના હતા. આ ચારેય જણા સાપ વિષે જાણકાર હતા પરંતુ દક્ષિણ ગુજરાતમાં સાપ પકડવા મુશ્કેલ હતા અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને ગીરના જંગલોમાં સાપ આસાનીથી પકડી શકાય એમ હોવાથી એમને અહીંથી સાપ પકડવાનું શરૂ કર્યું હતું આજે સાબરકાંઠાના રાયગઢ ફોરેસ્ટ ઓફિસરને બાતમી મળતાં સફેદ કારમાં 3 સાપ સાથે એમની ધરપકડ કરી છે.

January 3, 2019
kiran_hospital-1280x720.jpg
1min18740

હેલ્થ ચેકઅપનું સ્થળ અને તારીખ અને સમય

સુરતના કતારગામ સ્થિત અને 17 મહિનામાં જ દેશ-દુનિયામાં જાણીતી બનેલી કિરણ હોસ્પિટલ (મેનેજ્ડ બાય સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ)ના સંચાલકોએ આગામી તા.6 જાન્યુઆરી 2019ના રોજ બપોરે 3 વાગ્યે ડી.એમ.ડી. પાર્ટી પ્લોટ, જોલી પાર્ટી પ્લોટની સામે, ઉધના-મગદલ્લા રોડ, વેસુ – સુરત ખાતે એક મેગા મિશન હેલ્થ કેર કાર્યક્રમનું આયોજન કર્યું છે.

6 જાન્યુઆરી 2019ના મિશન હેલ્થકેર માટે નોંધણી કરાવો અને હેલ્થ ચેકઅપ પેકેજમાં મેળવો 50 ટકા ડિસ્કાઉન્ટ

કિરણ હોસ્પિટલ આયોજિત મિશન હેલ્થ કેરની વિશેષતા એ છે કે વક્તાઓ તરીકે 17 એક્સપર્ટસ તબીબો જ સામાન્ય લોકોને કેવી રીતે તંદુરસ્ત રહી શકાય તેની માહિતી આપશે. અને એથી વિશેષ આ હેલ્થ ચેક અપ માટે ઓનલાઇન રજિસ્ટ્રશેન કરાવનાર 12 હજારથી વધુ લોકોને કિરણ હોસ્પિટલના રૂ.1000થી લઇને રૂ.25000 સુધીના હેલ્થ ચેકઅપ પેકેજીસમાં સીધા 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

(Photo of Press conference held At Kiran Hospital on 3 Jan. 2019)

પત્રકાર પરિષદમાં કિરણ હોસ્પિટલના મેનેજમેન્ટ પૈકી શ્રી મથુરભાઇ સવાણીએ માહિતી આપી હતી જ્યારે વહીવટી મંડળમાં શ્રી મનજીભાઇ, શ્રી બી.એન. ગુજરાતી, શ્રી જયેશભાઇ લાઠીયા, શ્રી રવજીભાઇ મોણપરા, શ્રી રાજેશભાઇ મકવાણા, શ્રી સુરેશભાઇ કુકડીયા, શ્રી રાજુભાઇ વાનાણી સમેત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દિકરીઓને જન્મ આપનારી માતાઓનું વિશિષ્ટ સન્માન

કિરણ હોસ્પિટલના મિશન હેલ્થ કેર અંગે માહિતી આપતા પત્રકાર પરિષદમાં સંસ્થાના સુકાની શ્રી મથુર સવાણીએ જણાવ્યું કે તા.6 જાન્યુઆરી 2019નું આ અભિયાન અનેક હેતુઓ સર કરવામાં આવ્યું છે. સામાન્ય લોકોને તંદુરસ્ત કેવી રીતે રહી શકાય, રોગથી દૂર કેવી રીતે રહી શકાય તે અંગે જાણકારી તો આપવામાં આવશે જ સાથોસાથ આ જ સમારોહમાં બેટી બચાવો અભિયાનના ભાગરૂપે કિરણ હોસ્પિટલના ઉદઘાટન સમારોહ  પ્રસંગે કરાયેલી જાહેરાત કે જેમાં એક દિકરી હોવા ઉપરાંત બીજી પણ દિકરીને જન્મ આપનાર 300 જેટલી માતાઓને દિકરીના નામે રૂ.1 લાખના કિરણ સુકન્યા બોન્ડ, તેમજ બે દિકરીઓના જન્મ પછી ઓપરેશન કરાવનાર 9 માતાઓને રૂ.5 લાખના કિરણ સુકન્યા બોન્ડના પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવશે. બોન્ડની રકમ દિકરીઓની ઉંમર 1 વર્ષની થશે ત્યારે રોકડમાં રૂપાંતરીત થઇ શકશે.

તાપી નદીનું પ્રદૂષણ અટકાવવામાં સહાયભૂત થનારા ગણેશ મંડળોને પ્રશસ્તિ પત્રો તેમજ 100 મંડળોને રૂ.11 હજારની સહાય

કિરણ હોસ્પિટલના મિશન હેલ્થ કેર કાર્યક્રમમાં સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવીને તાપી નદીમાં ગણેશજીની પ્રતિમાનુંં વિસર્જન નહીં કરનારા ગણેશ આયોજકોને બિરદાવવા માટે તેમને પ્રશસ્તિ પત્રો એનાયત કરવામાં આવશે. તેમજ આ માટે ઓનલાઇન રજિસ્ટ્રશન કરાવનાર ગણેશ આયોજકો પૈકી ડ્રોથી 100 જેટલા આયોજકોને સિલેક્ટ કરીને તેમને સમારોહમાં જ રૂ.11000ની સહાય આપવામાં આવશે.

17 મહિનામાં કિરણ હોસ્પિટલ એક વટવૃક્ષ બની ગયું

આજથી 17 મહિના અગાઉ કિરણ હોસ્પિટલને લોકસમર્પિત કરવામાં આવી હતી. આ 17 મહિનાની સફર દરમિયાન કિરણ હોસ્પિટલે દિન દુગની રાત ચૌગુની પ્રગતિ કરી.550 બેડની હોસ્પિટલમાં 66 ટકા બેડ જનરલ વોર્ડ માટે ફાળવી દેવાયા છે. જનરલ વોર્ડ એટલે ત્યાં સામાન્યમાં સામાન્ય દર્દીઓ રહી શકે અને એક જનરલ વોર્ડમાં 5થી વધુ બેડ નહીં. કિરણ હોસ્પિટલ કેમ એક વટવૃક્ષ બન્યું એની એટ અ ગ્લાન્સ વિગતો આ રહી.

  • 550 બેડની સંપૂર્ણ હોસ્પિટલ
  • કીડની ટ્રાન્સપ્લાન્ટની માળખાગત સુવિધાઓને પગલે સરકાર દ્વારા મંજૂરી
  • 66 ટકા બેડ જનરલ વોર્ડ માટે ફાળવાયા, એક જનરલ વોર્ડમાં પાંચથી વધુ પેશન્ટ નહીં.
  • 3.5 લાખ જેટલા આઉટ ડોર પેશન્ટસની સારવાર કરાઇ
  • 30મી નવેમ્બર 2019ની સ્થિતિએ કુલ 26,622 દર્દીઓને વિનામૂલ્યે સારવાર ઉપરાંત રૂ.300 આપીને ઘરે પરત મોકલાયા
  • 3789 દર્દીઓને માં અમૃતમ યોજના અન્વયે મોટા મોટા ઓપરેશનનો ખર્ચ બિલકુલ ફ્રીમાં આપવામાં આવ્યો
January 2, 2019
sg_main.jpg
1min12810

સીટેક્ષ પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારંભ શુક્રવારે, તા. 4 જાન્‍યુઆરી ર019ના રોજ સવારે 10:30 કલાકે સુરત ઈન્‍ટરનેશનલ એકઝીબીશન એન્‍ડ કન્‍વેન્‍શન સેન્‍ટર ખાતે

ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્‍બર ટ્રેડ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્‍ટર અને ઉદ્યોગ કમિશનરશ્રી, ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે તા. 4/1/ર019થી 6/1/ર019 દરમિયાન સરસાણા સ્‍થિત સુરત ઈન્‍ટરનેશનલ એકઝીબીશન એન્‍ડ કન્‍વેન્‍શન સેન્‍ટર ખાતે સમગ્ર ટે1ટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી માટે ‘સુરત ઈન્‍ટરનેશનલ ટેક્ષટાઇલ એકઝીબીશન-19′ (સીટેક્ષ-ર019) યોજાશે.

શું શું હશે સિટેક્ષ-2019માં

  • ટેક્ષટાઇલ મશીનરી
  • ટેક્ષટાઇલ એન્‍સીલરી અને મશીનરીઓ
  • એમ્‍બ્રોઇડરી એન્‍ડ બ્રાઇડીંગ મશીનરી
  • એસેસરીઝ
  • ટેક્ષટાઇલ એન્‍જીનિયરીંગટેકનીકલ ટેક્ષટાઇલ સંબંધીત મશીનરી
  • એસેસરીઝ
  • યાર્ન
  • ફેબ્રિકસ

ચેમ્‍બરના પ્રમુખ શ્રી હેતલ મહેતાએ જણાવ્‍યુ હતુ કે, ચેમ્‍બર દ્વારા યોજાતા સમગ્ર ટેક્ષટાઇલ સેકટરને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું આ ચોથું પ્રદર્શન છે. આ પ્રદર્શનમાં ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રીના ટેક્ષટાઇલ મશીનરી, ટેક્ષટાઇલ એન્‍સીલરી અને મશીનરીઓ, એમ્‍બ્રોઇડરી એન્‍ડ બ્રાઇડીંગ મશીનરી તથા એસેસરીઝ, ટેક્ષટાઇલ એન્‍જીનિયરીંગ, ટેકનીકલ ટેક્ષટાઇલ સંબંધીત મશીનરી અને એસેસરીઝ, યાર્ન અને ફેબ્રિકસ જેવા તમામ સેકટર્સને આવરી લેવામાં આવ્‍યા છે. આથી જ અમને તમામ સેકટર્સના એકઝીબીટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્‍યો છે.

સીટેક્ષ પ્રદર્શનના આયોજનમાં એસોસિએટ તરીકે ભારત સરકારના ટેક્ષટાઇલ વિભાગનું ટેક્ષટાઇલ કમિશ્‍નર કાર્યાલય, ગુજરાત સરકારનું ઇન્‍ડસ્‍ટ્રીઝ કમિશ્‍નરેટ અને સુરત મહાનગરપાલિકા ચેમ્‍બરની સાથે જોડાયા

હેતલ મહેતાએ વધુમાં કહયુ હતુ કે, સીટેક્ષ પ્રદર્શનના આયોજનમાં એસોસિએટ તરીકે ભારત સરકારના ટેક્ષટાઇલ વિભાગનું ટેક્ષટાઇલ કમિશ્‍નર કાર્યાલય, ગુજરાત સરકારનું ઇન્‍ડસ્‍ટ્રીઝ કમિશ્‍નરેટ અને સુરત મહાનગરપાલિકા ચેમ્‍બરની સાથે જોડાયા છે. સપોર્ટર્સ તરીકે યસ બેન્‍ક પણ જોડાઇ છે.

ચેમ્‍બરના એકઝીબીશન સેલના હેડ શ્રી દેવેશ પટેલે જણાવ્‍યુ હતુ કે, સરસાણા સ્‍થિત સુરત ઈન્‍ટરનેશનલ એકઝીબીશન એન્‍ડ કન્‍વેન્‍શન સેન્‍ટર ખાતે 1 લાખ 10 હજાર ચોરસ ફૂટ વિસ્‍તારમાં સીટેક્ષ પ્રદર્શન યોજાશે. જેમાં ટેક્ષટાઇલના વિવિધ સેકટરના 130થી વધુ એકઝીબીટર્સ લેટેસ્‍ટ ટેક્ષટાઇલ મશીનરી અને એન્‍સીલરીનું તથા મેન્‍યુફેકચરર્સ તેમના યાર્ન અને ફેબ્રિકસના ઉત્‍પાદનો પ્રદર્શિત કરનાર છે. આ મશીનરીમાં શટર લૂમ્‍સ, રેપીયર લૂમ્‍સ, વોટરજેટ લૂમ્‍સ, એરજેટ લૂમ્‍સ, નીડલ લૂમ્‍સ મશીન, ટીએફઓ, ટ્‍વીસ્‍ટર મશીન, ડિજીટલ પ્રિન્‍ટીંગ મશીન, ઇલેકટ્રોનિક જેકાર્ડ, યાર્ન ડાઈંગ પ્‍લાન્‍ટ, વોટર રિસાયકલીંગ પ્‍લાન્‍ટ અને સકર્યુલર નીટીંગ મશીનનો સમાવેશ થાય છે.

ટેક્ષટાઇલના વિવિધ સેકટરના 130થી વધુ એકઝીબીટર્સ લેટેસ્‍ટ ટેક્ષટાઇલ મશીનરી અને એન્‍સીલરીનું તથા મેન્‍યુફેકચરર્સ તેમના યાર્ન અને ફેબ્રિકસના ઉત્‍પાદનો પ્રદર્શિત થશે

સીટેક્ષ- ર019ના ચેરમેન શ્રી હિમાંશુ બોડાવાલાએ જણાવ્‍યુ હતુ કે, ત્રણ દિવસ ચાલનારા સીટેક્ષ પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારંભ શુક્રવારે, તા. 4 જાન્‍યુઆરી ર019ના રોજ સવારે 10:30 કલાકે સુરત ઈન્‍ટરનેશનલ એકઝીબીશન એન્‍ડ કન્‍વેન્‍શન સેન્‍ટર ખાતે યોજાશે. આ સમારંભમાં મુખ્‍ય મહેમાન તરીકે શ્રી મનોહર સેમ્‍યુલ (સિનિ. પ્રેસિડેન્‍ટ, ગ્રાસીમ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિ., મુંબઇ), શ્રી હંસરાજ એ. ગોંડલીયા (ચેરમેન, અલીફ ગૃપ ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ), શ્રી સૌરભ સિન્‍હા (ડેપ્‍યુટી ડાયરેકટર, ટેક્ષટાઇલ કમિશનર કચેરી, અમદાવાદ) અને માનનીય ધારાસભ્‍ય શ્રી વિવેક એન. પટેલ (સુરત – ઉધના) પધારનાર છે.

મશીનરીમાં શટર લૂમ્‍સ, રેપીયર લૂમ્‍સ, વોટરજેટ લૂમ્‍સ, એરજેટ લૂમ્‍સ, નીડલ લૂમ્‍સ મશીન, ટીએફઓ, ટ્‍વીસ્‍ટર મશીન, ડિજીટલ પ્રિન્‍ટીંગ મશીન, ઇલેકટ્રોનિક જેકાર્ડ, યાર્ન ડાઈંગ પ્‍લાન્‍ટ, વોટર રિસાયકલીંગ પ્‍લાન્‍ટ અને સકર્યુલર નીટીંગ મશીનનો સમાવેશ

આ પ્રદર્શન દરમિયાન તા. 4 જાન્‍યુઆરી ર019ના રોજ સાંજે 4:00 કલાકે ‘સિનારીયો ઓફ ટેક્ષટાઇલ મશીનરી’ વિષય ઉપર સેમિનાર યોજાશે. જેમાં તજજ્ઞો ટેક્ષટાઇલ મશીનરી ઉપર માહિતીપ્રદ વકતવ્‍ય રજૂ કરશે. આ પ્રદર્શન તા. 4 થી 6 જાન્‍યુઆરી ર019 સુધી સવારે 10:00 થી સાંજે 6:00 કલાક સુધી ટેક્ષટાઇલ ઉદ્યોગમાં રસ ધરાવતા મુલાકાતીઓ માટે ખુલ્‍લુ રહેશે.