

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર ૧૫મી ઑગસ્ટથી પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવશે. સિરોહી જિલ્લા તંત્ર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંગળવારે બેઠક મળી હતી જેમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. માઉન્ટ આબુના એસડીએમ ડૉ. રવીન્દ્ર ગોસ્વામીએ કહ્યું કે ‘ઝાડ, છોડવા, વનસ્પતિ અને પ્રાણીઓના હિતમાં માઉન્ટ આબુને પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિક પર્યાવરણ માટે હાનિકારક હોવાથી ૧૫મી ઑગસ્ટથી તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે.’

પ્લાસ્ટિકની થેલી, બોક્સ, થર્મોકોલ કપ, પ્લેટ, વોટર બોટલ વિગેરે પર પણ પ્રતિબંધ મુકાશે. પેપ જળ પૂરું પાડવા ઓટોમેટેડ વોટર ડિસ્પેન્સિંગ મશીનની સુવિધા પૂરી પાડવામાં આવશે. પ્રતિબંધોનો અમલ થઈ રહ્યો છે, તેની તકેદારી રાખવા ટીમની રચના કરવામાં આવશે. નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે યોગ્ય પગલાં ભરવામાં આવશે, તેવું એસડીએમએ કહ્યું હતું.
માઉન્ટ આબુને ‘ઈકોસેન્સિટિવ ઝોન’માં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. કાચની બિયર બોટલની ખપત ઘટાડી બિયર કેનના ઉપયોગને પ્રોત્સાહન આપવા જિલ્લા વહીવટીતંત્રે પહેલ શરૂ કરી છે. બિયર બોટલના કાચના ટુકડાથી જંગલી પ્રાણીઓેને જોખમ ઊભું થતું હોવાથી વહીવટીતંત્રે બિયરકેનને પ્રોત્સાહન આપવાની પહેલ શરૂ કરી છે.
એસડીએમ ગોસ્વામી અને ડેપ્યુટી ક્ધઝર્વેટર ઑફ ફોરેસ્ટસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં વેપારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.
ભાજપના સાંસદ કૈલાસ વિજયવર્ગીયાના વિધાનસભ્ય પુત્ર આકાશની સરકારી કર્મચારીઓને બેટથી મારવાની ઘટનાના સંદર્ભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સખત શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે કોઇપણ હોય, ઘમંડ અને ઉદ્ધતાઇ ચલાવી નહીં લેવાય, આવા વર્તનથી પક્ષનું નામ ખરાબ થાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપની સંસદીય પક્ષની બેઠકમાં મોદીએ જણાવ્યું હતું કે કોઇપણ હોય, ઘમંડ અને ઉદ્ધતાઇ ચલાવી નહીં લેવાય અને હિંદીમાં જણાવ્યું હતું કે ‘મનમાની નહીં ચલેગી’ અર્થાત કોઇપણ આવું કંઇ કરીને છટકી નહીં શકે. જોકે, એમણે બેટથી મારવાવાળી ઘટનાનો ઉલ્લેખ નહોતો કર્યો, પણ એમના કહેવાનો અર્થ સૌને સમજાયો હતો. આ બેઠકમાં ભાજપના સાંસદ અને રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયા પણ હાજર હતા.
મોદીએ જણાવ્યું હતું કે આવા વર્તનથી પક્ષનું નામ ખરાબ થાય છે અને એ અસ્વીકાર્ય છે. જો કોઇ ભૂલ કરે છે, તો માફી માગવાનું ભાન એનામાં હોવું જોઇએ.
લોકસભાની ચૂંટણીમાં જોરદાર વિજય મેળવ્યા બાદ ભાજપની આ પહેલી સંસદીય બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મોદીનું બહુમાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પક્ષપ્રમુખ અમિત શાહ અને કાર્યકારી પ્રમુખ જે. પી. નડ્ડાનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.
મોદીએ આ પ્રસંગે ‘પંચવટી’ અભિયાન હેઠળ દેશના દરેક બૂથમાં ઓછામાં ઓછા પાંચ ઝાડ વાવવાની હાકલ કરી હતી. રામ, સીતા અને લક્ષ્મણ પંચવટીમાં ૧૪ વર્ષ વનવાસમાં રહ્યાં હતાં.
આ સિવાય મોદીએ સાંસદોને સત્ર દરમિયાન સંસદમાં હાજર રહેવા સાથે લોકોની સેવા કરીને લોકો માટે કરેલાં કામો બદલ ઓળખાવાની વાત કહી હતી. ત્રિપલ તલાકના ખરડા વખતે ભાજપના સાંસદોની ઓછી હાજરી વિશે એમણે નારાજગી વ્યક્ત કરી હતી.
૬ઠ્ઠી જુલાઇએ ભાજપનો સ્થાપના દિવસ છે અને એ દિવસે મોદી વારાણસીથી, અમિત શાહ તેલંગણાથી અને પક્ષના અન્ય નેતાઓ દેશના વિવિધ ભાગોમાંથી ભાજપની મેમ્બરશીપ ડ્રાઇવના શ્રીગણેશ કરશે.
સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે સોમવારે મોડી રાત્રે મુંબઈ ઍરપોર્ટ ખાતે સ્પાઇસ જેટની જયપુરથી આવેલી ફલાઇટ લેન્ડ થતી વખતે રનવે પર ઑવરશૂટ થઇ હતી. જોકે, પાઇલટની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

જયપુરથી મુંબઈની સ્પાઇસ જેટની ફલાઇટ એસજી૬૨૩૭ રાત્રે ૧૧.૪૫ વાગ્યે રનવે પર સ્કીડ થઇને ઑવરશૂટ થઇ ગઇ હતી. જોકે, ફલાઇટને લેન્ડ કરતી વખતે પાઇલટે દેખાડેલી સતર્કતાને કારણે ફલાઇટના તમામ ૧૬૭ પ્રવાસીઓ અને ક્રુ મેમ્બર્સ હેમખેમ બચી ગયા હતા.
મુશળધાર વરસાદને કારણે ઍરપોર્ટ પર પાણી ભરાઇ ગયા હતા તેમ જ કાદવકીચડ થતા વિમાન રનવેની બહાર નીકળી ગયું હતું. આ ઘટનામાં કેટલાક પેસેન્જરને નાની-મોટી ઈજા થઇ હતી.
ઘટના બાદ તાત્કાલિક ઍમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જોકે, તેમ છતાં ફલાઇટમાંથી મુસાફરોને બહાર કાઢવામાં ઘણો સમય લાગતા તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. મુસાફરોને ઍરપોર્ટ પર લઇ જઇ ઇમર્જન્સી સારવાર આપવામાં આવી હતી. જોકે, તેમને સામાન બપોર પછી મળ્યો હતો.
વિમાનને બહાર કાઢવા ૧૫૦ મીટર લાંબો રેમ્પ તૈયાર કરવામાં આવ્યો હતો અને ફલાઇટને ખેંચીને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. દુર્ઘટનાને પગલે ઍરપોર્ટ ખાતે સેક્ધડરી રનવે પરથી ફલાઇટ ઑપરેટ કરવામાં આવી હતી. તેમ જ અનેક ફલાઇટો અમદાવાદ અને બેગ્લુરુ ઍરપોર્ટ પર વાળવામાં આવી હતી.
દુર્ઘટના બાદ સિયોલથી આવી રહેલી કોરિયન ઍર ફલાઇટ કેઇ૬૫૫ને અમદાવાદમાં વાળવામાં આવી હતી. તે જ પ્રમાણે ફ્રેન્કફર્ટથી આવી રહેલી લફથાંસા ફલાઇટ એલએચ૭૫૬ અને બૅંગ્કોકથી આવી રહેલી ઍર ઇન્ડિયાની ફલાઇટ એઆઇ૩૩૧ને અન્ય ઍરપોર્ટ પર વાળવામાં આવી હતી. રનવે પરથી દુર્ઘટનાગ્રસ્ત બોઇંગ ૭૩૭ ઍરક્રાફટને રનવે પરથી હટાવવાના પ્રયત્નો મોડી રાત સુધી ચાલુ હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
છેલ્લા અમુક દિવસથી પડી રહેલા ભારે વરસાદ અને તેજ પવનોને કારણે બાવન ફલાઇટ રદ કરવામાં આવી હતી, જ્યારે પંચાવન ફલાઇટ નજીકના અન્ય ઍરપોર્ટ પર વાળવામાં આવી હતી. વરસાદની સાથે તોફાની અને ત્રાંસા તેજ પવનને કારણે વિમાનને ઉડાન ભરવામાં મુશ્કેલી થાય છેત્તેમ જ સંતુલન ખોરવાતા દુર્ઘટનાનો શિકાર બનવાની સંભાવના હોય છે.
મહારાષ્ટ્રમાં સતત થઈ રહેલા વરસાદના કારણે સ્થિતિ વધારે ને વધારે બગડી રહી છે. મંગળવારે પુણે સિવાય મુંબઈના મલાડ અને કલ્યાણમાં દિવાલ પડવાની ઘટનામાં બે ડઝલથી વધુના મોત થયા હતા. હવે ભારે વરસાદના કારણે રત્નાગિરીમાં તિવરે ડેમ તૂટ્યો છે. આ કારણે ડેમની આસપાસ રહેતા 7 ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. અચાનક બનેલી આ ઘટનામાં 24 જેટલા લોકો ગાયબ છે. સ્થાનિક તંત્રને બે મૃતદેહ મળ્યા છે.
ઇંગ્લૅન્ડમાં ચાલતા વર્લ્ડ કપમાં એકમાત્ર ઑસ્ટ્રેલિયા સેમી ફાઇનલમાં પહોંચ્યું છે. સાઉથ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ અને અફઘાનિસ્તાન સ્પર્ધાની બહાર ફેંકાઈ ગયા છે. સેમી ફાઇનલના બાકીના ત્રણ સ્થાન માટે ભારત, ન્યૂ ઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ, બંગલાદેશ અને પાકિસ્તાન વચ્ચે હરીફાઈ છે.
ભારતે આજની અથવા ૬ જુલાઈની શ્રીલંકા સામેની મૅચ જીતવાની છે. ભારતની મૅચ ધોવાઈ જશે તો એક પૉઇન્ટથી પણ તથા બન્ને હારને પગલે સારું માર્જિન હોવાથી ઊંચા રનરેટથી પણ ભારતને ચાલી જશે.
ન્યૂ ઝીલૅન્ડને પણ એક જ પૉઇન્ટની જરૂર છે. ઇંગ્લૅન્ડ જો ન્યૂ ઝીલૅન્ડ સામે હારશે, પરંતુ બંગલાદેશ જો પાકને હરાવશે તો પણ ઇંગ્લૅન્ડને સેમીનો ચાન્સ રહેશે. પાકિસ્તાને બંગલાદેશને મોટા માર્જિનથી હરાવવું પડશે, જ્યારે બંગલાદેશે સેમીમાં પહોંચવા ભારતને તેમ જ પાકને હરાવવું જ પડશે.
શેરો ખરીદવા માટે ક્લાયન્ટને નાણાં ઉછીને આપવા સહિતની સંખ્યાબંધ સર્વિસિસ પૂરી પાડતા અને અસ્તિત્વની લડાઈ લડી રહેલા કેટલાક સ્ટોક બ્રોકર્સ માટે સેબીના નવા નિયમોને કારણે નવી મુસીબતો ઊભી થઇ રહી છે. સેબીના નવા નિયમો મુજબ સ્ટોક બ્રોકર્સ ભંડોળ એકત્ર કરવા બેન્કો અને એનબીએફસીઝને ક્લાયન્ટના શેર ગીરવે મૂકી શકશે નહીં. બજારના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે બ્રોકર એક ક્લાયન્ટને ફંડ આપવા બીજા ક્લાયન્ટની સિક્યોરિટીઝનો દુરૂપયોગ ન કરે તે નવા નિયમોનો હેતુ છે, પરંતુ આ ફેરફારથી બ્રોકર્સની કાર્યકારી મૂડી અને તેમના બિઝનેસ પર મોટી અસર થશે, કારણ કે ફંડિંગ માટેની સુવિધા બંધ થશે.
શેરદલાલોના સંગઠનના પ્રવકતાએ જણાવ્યું હતું કે ક્લાયન્ટની પોઝિશન માટે બ્રોકર્સ નાણાની વ્યવસ્થા કરે તે સુવિધ હવે બંધ થશે. હવે બ્રોકર્સે તેમના ખિસ્સામાંથી ક્લાયન્ટને ફંડ આપવું પડશે અથવા બ્રોકરે ક્રેડિટ ફેસિલિટી આપી શકશે નહીં. ક્લાયન્ટે બેન્ક કે ગઇઋઈત જેવા બીજા સ્રોત પાસેથી સીધું ભંડોળ મેળવવું પડશે. સેબીએ નવી માર્ગરેખાનો અમલ પહેલી સપ્ટેમ્બરથી થશે. ક્લાયન્ટ કોલેટરલ એકાઉન્ટ, ક્લાયન્ટ માર્જિન ટ્રેડિંગ સિક્યોરિટી એકાઉન્ટ અથવા ક્લાયન્ટ અનપેઇડ સિક્યોરિટીઝ એકાઉન્ટમાં પડેલા શેરનો મેમ્બર્સ દ્વારા ભંડોળ એકત્ર કરવા બેન્ક કે નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓમાં ગીરવે મૂકી શકાશે નહીં અથવા ટ્રાન્સફર કરી શકાશે નહીં.
શેરદલાલો અને એક્સચેન્જના સંગઠનોના પ્રવકતાએ જણાવ્યું હતું કે, ગીરવે માટે ક્લાન્ટની સિક્યોરિટીઝ ઉપલબ્ધ ન રહેતાં શેરબજારમાં લિક્વિડિટીમાં ઘટાડો થશે. તેથી લો કોસ્ટ કસ્ટોડિયન જેવી વૈકલ્પિક વ્યવસ્થાની જરૂર પડશે. ખરીદેલા શેર માટે આંશિક ચુકવણી કરી હોય તેવા ક્લાયન્ટ માટે અલગ ક્લાયન્ટ અનપેઇડ સિક્યોરિટીઝ એકાઉન્ટ રાખવા સેબીએ ટ્રેડિંગ મેમ્બરને સૂચના આપી છે. સંપૂર્ણ પેમેન્ટ બાદ જ આ એકાઉન્ટમાં રાખવામાં આવેલા શેર ક્લાન્ટ ડિમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા જોઈએ. જો ક્લાયન્ટ સંપૂર્ણ પેમેન્ટ કરવામાં નિષ્ફળ રહે તો આ શેરનો સેટલમેન્ટ ડેટના પાંચ દિવસમાં મેમ્બરે બજારમાં નિકાલ કરવાનો રહેશે.
ટી પ્લસ ફાઇવમાં અનપેઇડ ક્લાન્ટ સિક્યોરિટીઝનો ફરજિયાત નિકાલ કરવાના નિયમને કારણે બજારમાં તીવ્ર ઘટાડાના કિસ્સામાં જંગી નુકસાન થશે. સેબીએ જણાવ્યું છે કે માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી હેઠળ ખરીદવામાં આવેલા શેરને ક્લાયન્ટ માર્જિન ટ્રેડિંગ સિક્યોરિટીઝ એકાઉન્ટમાં રાખવા પડશે. પુલ એકાઉન્ટ, ક્લાયન્ટ માર્જિન ટ્રેડિંગ સિક્યોરિટીઝ એકાઉન્ટ અને ક્લાયન્ટ કોલેટરલ એકાઉન્ટ સિવાયના હાલના ક્લાયન્ટ સિક્યોરિટીઝ એકાઉન્ટ 31 ઓગસ્ટ પહેલા બંધ કરવાના રહેશે. ક્લાન્ટની સિક્યોરિટીઝના દેખરેખ માટે વ્યવસ્થાતંત્ર ઊભું કરવાની શેરબજારો અને ક્લિરિંગ કોર્પોરેશનને સૂચના આપવામાં આવી છે.
રાજ્યના હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધીમાં દ.ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અરબ સાગરમાં સક્રિય થયેલી મોન્સુન સિસ્ટમના પગલે વરસાદી માહોલ રચાયા બાદ આગામી તા. 3જી જુલાઈથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ પડશે.
આ સિસ્ટમ બે દિવસમાં નબળી પડી જશે જેથી ત્યાર બાદ એટલે કે, ત્રીજી જુલાઈ સુધી રાજ્યમાં સામાન્યથી મધ્ય વરસાદ પડશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ હતી જેમાં ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણનો સમાવેશ થાય છે.
આ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. જ્યારે આગામી તા.3જી અને તા. 4થી જુલાઈએ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ શરૂ થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી, જ્યારે અન્ય ભાગોમાં છૂટોછવાયો વરસાદ થશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, દાહોદ, પંચમહાલ, અરવલ્લી વગેરે વિસ્તારમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી હતી.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો જ્યારે રાજ્યના 23 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. તેમાં વલસાડના વાપીમાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ પડ્યો હતો.

દક્ષિણ ગુજરાતના છ તાલુકામાં 500 મિ.મી કરતાં વધુ વરસાદ નોંધાતા સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે પાણીનું સ્તર 119.85 મીટરે પહોંચી ગયું હતું જેને પગલે ખેડૂતોમાં આનંદ ફેલાયો હતો. ગુજરાતમાં હાલમાં દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ ચાલુ રહેતા ઉપરવાસમાં વરસાદના કારણે 13278 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જેની સામે મુખ્ય કેનાલમાં 2863 પાણી છોડવામાં આવી રહ્યું છે.
ગોડબોલે વિયરમાં 510 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં પાણીનું લાઈવ 1196.58 મિલીયન ક્યુબીક મીટર થયું છે. જોકે, નર્મદા ડેમની કુલ ક્ષમતા કરતાંની સામે હાલ 51.76 ટકા ભરેલો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 23 જિલ્લામાં વરસાદ પડ્યો હતો.
વલસાડ જિલ્લામાં સિઝનનો 9.20 વરસાદ પડી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડ જિલ્લામાં સરેરાશ 10.28 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સારા વરસાદથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને સામાન્ય લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ ઉપરાંત ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ પાણીની નવી આવક નોંધાઈ હતી અને ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો હતો.
રાજ્યમાં આગામી બે વર્ષમાં 300થી વધુ સીએનજી સ્ટેશન ‘સીએનજી સહભાગી યોજના’ હેઠળ રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થાપવાનું આયોજન છે. રાજ્યમાં છેલ્લાં 23 વર્ષમાં 542 સીએનજી સ્ટેશન ઊભાં કરાયાં છે, તેની સામે આગામી બે વર્ષમાં જ વધુ નવાં 300 CNG સ્ટેશન સ્થપાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. રાજ્યના CNG વાહન ધારકો-ચાલકોને સરળતાથી સીએનજી ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તે માટે ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા સીએનજી પંપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું કે રાજ્યમાં હાલ જ્યાં પેટ્રોલ પંપ કાર્યરત હોય તેવા પેટ્રોલ પંપ ધારકો પણ સરળતાએ સીએનજી પંપ શરૂ કરી શકશે. આ માટે તેમણે સરકાર પાસેથી કોઈ વધારાની પરવાનગી નહીં લેવી પડે.
‘સીએનજી સહભાગી યોજના’ અન્વયે શહેરી-નગરપાલિકા વિસ્તાર તથા હાઈવે પર સહભાગીદારી મોડલ પદ્ધતિ અંતર્ગત સીએનજી ફ્રેન્ચાઇઝી (સ્વસંચાલિત ડીલર) મોડલ અને પીએસયુ – ઓએમસી ડીલર એમ બે પ્રકારના સીએનજી સ્ટેશનોનો સમાવેશ થાય છે. પીએસયુ-ઓએમસી ડીલર અંતર્ગત ઓનલાઇન સીએનજી સ્ટેશન (પાઇપલાઇન દ્વારા) અથવા ડોટર બુસ્ટર સીએનજી સ્ટેશન (પાઇપલાઇન વિના)નો સમાવેશ થાય છે.
નવા સીએનજી સ્ટેશનનો પ્રારંભ કરવા માટે મુખ્ય સાધનો કંપની દ્વારા પૂરા પાડવામાં આવશે તેમજ અન્ય કાર્ય માટે સહયોગ પણ પૂરો પાડવામાં આવશે. એનઓસી અને સિવિલ કામ અરજીકર્તાએ કરવાનું રહેશે.
અરજીકર્તા જે સ્થળે સીએનજી સ્ટેશન સ્થાપવા ઇચ્છતા હોય તે જગ્યાની માલિકી અરજીકર્તાની હોવી આવશ્યક છે, તેમ પણ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું. રાજ્યમાં પાછલાં 23 વર્ષમાં 542 સીએનજી સ્ટેશન ઊભાં કરાયાં છે, તેની સામે આગામી બે વર્ષમાં જ નવા 300 સીએનજી સ્ટેશન ઊભાં કરીને ગુજરાત નેચરલ ગેસ – સુરક્ષિત ઈંધણના ઉપયોગમાં અગ્રેસર રહેશે અને સીએનજી ક્ષેત્રે ગુજરાત દેશને નવી દિશા આપશે.