
રેલવેના રાજ્ય કક્ષાના પ્રધાન સુરેશ અંગડીએ રાજ્યસભામાં શુક્રવારે જણાવ્યું હતું કે મુંબઈ અને અમદાવાદ વચ્ચેના ૫૦૮ કિલોમીટરના બુલેટ ટ્રેન નેટવર્કને ૨૦૨૩માં પૂરું કરવાનો લક્ષ્ય છે.
બુલેટ ટ્રેનથી ગુજરાતના ૨૯૭ ગામને અસર થવાની છે અને તેના ૯૭ ટકાથી વધુ ખેડૂતે પોતાની જમીન આપવા સંમતિ આપી છે.
તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન માટે જમીન આપવા અમુક વિસ્તારના ખેડૂત ના પાડી રહ્યા છે, પરંતુ તેઓ પણ જલદી સંમતિ આપે એવી આશા છે.
સુરેશ અંગડીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનને લીધે મુંબઈમાં ચેર (મેન્ગ્રોવ્સ)ને ઓછામાં ઓછી અસર થાય તેનું ધ્યાન રખાશે અને પાંચ ગણા મેન્ગ્રોવ્સ ઉગાડવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન માટે દરિયામાં સાત કિલોમીટરના બોગદા સહિત કુલ ૨૧ કિલોમીટરના બોગદા બનાવાશે.
રેલવેના રાજ્ય કક્ષાના પ્રધાને જણાવ્યું હતું કે મુંબઈ – અમદાવાદ બુલેટ ટ્રેનનો પ્રકલ્પ સફળ થાય તે પછી દિલ્હી – કોલકાતા, દિલ્હી મુંબઈ અને અન્ય
શહેરો વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવા પ્રયાસ કરાશે.
રેલવેના રાજ્ય કક્ષાના પ્રધાને રાજ્યસભામાં શુક્રવારે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનમાં સરેરાશ ૩૬,૦૦૦ લોકો પ્રવાસ કરે એવી આશા છે અને તેનું લઘુતમ ભાડું રૂપિયા ૩,૦૦૦ રહેવાની શક્યતા છે.
તેમણે જણાવ્યું હતું કે ચીને ૧૯૬૪માં અતિ ઝડપી ટ્રેન શરૂ કરી હતી અને હાલમાં ચીનમાં અતિ ઝડપી ટ્રેનનું ૨૦,૦૦૦ કિલોમીટરથી લાંબું નેટવર્ક છે.



















