‘એક થા ટાયગરથી ટાયગર ઝિંદા હૈ’ કંઇક આ રીતે વડા પ્રધાન મોદીએ દેશના વાઘ સંવર્ધનની વાત વર્ણવી હતી. લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં વાઘની વસતીમાં ૩૩ ટકાનો વધારો થયો છે.
વડા પ્રધાન મોદીએ બોલીવૂડ હીરો સલમાન ખાનની બે ફિલ્મના નામ ટાંકીને દેશમાં વાઘની સંખ્યામાં થયેલો વધારો જણાવ્યો હતો. ૨૦૧૪માં વાઘની સંખ્યા ૨,૨૨૬ હતી જે ૨,૦૧૮માં વધીને ૨,૯૬૭ થઇ છે.
‘આ ઘટના સાથે સંકળાયેલા તમામ લોકોને હું જણાવવા માગું છું કે એક થા ટાયગરથી આપણી જે કથા શરૂ થઇ હતી તે હવે ટાયગર જિંદા હૈ સુધી પહોંચી છે અને આ કથા અહીં અટકવી નહીં જોઇએ. વાઘોનું સંરક્ષણ ચાલુ જ રહેવું જોઇએ,’ એમ મોદીએ જણાવ્યું હતું.
વિકાસ વર્સિસ પર્યાવરણની જાળવણી એ અંગેની ચર્ચા અંગે બોલતા મોદીએ જણાવ્યું હતું કે બંને વચ્ચે સંતુલન જાળવવું જોઇએ.
આશરે ૩,૦૦૦ વાઘની સાથે ભારત દુનિયામાં વાઘની સલામતી અને મોટા રહેઠાણમાંના એક તરીકે ઊભરી આવ્યું છે. દેશના વાઘ સંરક્ષણની કવાયતમાં સામેલ તમામ લોકોની તેમણે પ્રશંસા કરી હતી. ‘નવ વર્ષ પહેલાં રશિયાના સેંટ પિટર્સબર્ગ ખાતે એમ નક્કી કરવામાં આવ્યું હતું કે ૨૦૨૨ સુધીમાં વાઘની વસતી ડબલ થવી જોઇએ. આપણે આ લક્ષ્યાંક ચાર વર્ષ વહેલો પાર પાડ્યો છે. સંકલ્પથી સિદ્ધિનું આ સૌથી પ્રેરક ઉદાહરણ છે,’ એમ મોદીએ જણાવ્યું હતું. ૨૦૧૪માં રક્ષિત વિસ્તારોની સંખ્યા ૬૯૨ હતી જે વધીને ૨૦૧૯માં ૮૬૦ થઇ છે એમ જણાવતા પોતાની અંતિમ ટિપ્પણીમાં મોદીએ ફરીથી બોલીવૂડ ગીતનો આશરો લઇને જણાવ્યું હતું કે ‘બાગોમેં બહાર આઇ ના બદલે હવે આપણે કહી શકીશું કે બાગો (વાઘ)મેં બહાર આઇ.
ગેરકાયદેસર સ્કીમોમાં નાણાં રોકનારા ડિપોઝિટરોને તેમની રકમ પાછી મળી શકે તે માટે સંસદે સોમવારે એક વિધેયક પસાર કર્યું હતું. ‘બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ્સ બીલ’ ૨૦૧૯ સોમવારે પસાર થયું હતું, જેણે આ અંગે અગાઉ બહાર પડાયેલા વટહુકમનું સ્થાન લીધું છે. ૨૪મી જુલાઈ ૨૦૧૯ તારીખે લોકસભાએ અને સોમવારે રાજ્યસભાએ વિધેયક પસાર કર્યું હતું. જેનાથી પોન્ઝી સ્કીમ્સથી ભોળા રોકાણકારો બચી શકશે.
પોન્ઝી સ્કીમના નાણાં જપ્ત કરવામાં આવે તે પછી તેના પર પ્રથમ હક ડિપોઝિટરોનો રહેશે. ડિફોલ્ટ કરનારી સંસ્થાઓની સંપત્તિ પર ટાંચ મૂકીને ડિપોઝિટરોના નાણાં તેમને પાછા આપી શકાશે તેવી યંત્રણા ઘડવામાં આવશે. ડિપોઝિટ લેનારા સાચા ધંધાર્થીઓ અથવા સગા અથવા મિત્રો પાસેથી નાણાં ઉધાર લેનારાઓને કોઈ તકલીફ પડશે નહીં તેની વિધેયકમાં તકેદારી રાખવામાં આવી છે.
ગેરકાયદેસર ડિપોઝિટ સ્કીમ પ્રમોટ કરવી, સંચાલન કરવું, જાહેરાત આપવી અથવા ડિપોઝિટ સ્વીકારવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકશે તેવી સત્તા વિધેયકમાં આપવામાં આવી છે. તેમ રાજ્યકક્ષાના નાણાપ્રધાન અનુરાગસિંહ ઠાકુરે કહ્યું હતું. તેમણે કહ્યું કે, ૯૭૮ કેસની નોંધ લેવામાં આવી છે, જેમાંથી ૩૨૬ પશ્ર્ચિમ બંગાળમાં છે.નિયમનકારી છીંડાઓનો લાભ લઈ અને કડક વહીવટી પગલાંના અભાવને કારણે ગેરકાયદેસર ડિપોઝિટ લેવાનું દૂષણ દેશમાં ફૂલ્યુફાલ્યું છે, જેમાં ગરીબો અને ભોળા લોકો પોતાના નાણાં ગુમાવી રહ્યા છે. ગેરકાયદેસર ડિપોઝિટ સ્કીમ પર પ્રતિબંધ મૂકી શકાય તેવી સર્વગ્રાહી યંત્રણા પૂરી પાડવાનો વિધેયકનો ઉદ્દેશ્ય છે. નિયમનકારી માળખા પ્રમાણે ડિપોઝિટ લેવાનું ચાલુ રહી શકશે.
સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ શ્રી વિઠ્ઠલ રાદડીયાનું આજરોજ તા.29મી જુલાઇ 2019ના રોજ નિધન થયું હોવાની માહિતી તેમના પુત્ર અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી જયેશ રાદડીયાએ આપી હતી.
જયેશ રાદડીયાએ તેમના ફેસબુક વોલ પર આ મુજબનો સંદેશો લખ્યો છે.
મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનુ આજરોજ દુ:ખદ અવસાન થયેલ છે,
ઠાકોરજી એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના,
અંતિમ દર્શન : તા.૩૦/૭/૧૯ મંગળવાર સવારના ૭ થી બપોરના ૧૨ કલાકે કન્યા છાત્રાલય-જામકંડોરણા,
એક ઓગસ્ટથી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઐતિહાસિક એશિઝ સિરિઝનો પ્રારંભ થશે. આ સાથે જ આઇસીસીની વર્લ્ડ ચેમ્પિયનશિપની પણ શરૂઆત થશે. દ્રિપક્ષી ટેસ્ટ શ્રેણીની આ ચેમ્પિયનશિપથી નવી દીશા મળશે. આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની આ પહેલી એડિશન જૂન 2021 સુધી ચાલશે. જેનો ફાઇનલ ક્રિકેટના મક્કા લોર્ડસ પર જૂન 2021માં રમાશે.
આઇસીસી ક્રમાંકની ટોચની 9 ટીમ ટેસ્ટ ચેમ્પિયનશીપનો હિસ્સો હશે. આ ટીમોમાં ભારત, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ, બંગલાદેશ, ન્યુઝીલેન્ડ, દ. આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા હશે. જે દેશ અફઘાનિસ્તાન અને આયરલેન્ડ વિરૂધ્ધ ટેસ્ટ મેચ રમશે. તે ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો ગણાશે નહીં. તમામ 9 ટીમને 6 ટીમ સામે રમવાનું રહેશે. જેમાં ત્રણ હોમ અને ત્રણ વિદેશી સિરિઝ હશે. એક સિરિઝમાં ઓછામાં બે અને વધુમાં વધુ પ ટેસ્ટ મેચ હશે. આ મેચ સામાન્ય દ્રિપક્ષી ટેસ્ટ શ્રેણી જેવા જ હશે, પણ હવે દરેક મેચનું મહત્વ વધી જશે.
મેચ ડે-નાઇટમાં પણ રમાઇ શકે છે. જે બન્ને દેશના બોર્ડની સહમતિ પર નિર્ભર રહેશે. આ પહેલી ટેસ્ટ ચેમ્પિયનશિપ દરમિયાન 27 સિરિઝ અને 71 ટેસ્ટ મેચ રમાશે. લીગ સ્ટેજ પર ટોચ પર રહેનારી બે ટીમ વચ્ચે જૂન 2021માં લોર્ડસ પર ફાઇનલ રમાશે. આ પછી એપ્રિલ 2023થી બીજી ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થશે.
દરેક સિરિઝમાં કુલ 120 પોઇન્ટ હશે
દરેક સિરિઝમાં કુલ 120 પોઇન્ટ હશે. જે શ્રેણીના દરેક મેચના પરિણામ આધારે મળશે. પ ટેસ્ટની શ્રેણીમાં દરેક મેચ દીઠ 24 પોઇન્ટ મળી શકે છે. જો બે મેચની શ્રેણી હશે તો એક મેચ જીતાવ પર 60 પોઇન્ટ મળશે. ડ્રો થવા પર બન્ને ટીમને 20-20 પોઇન્ટ મળશે. ત્રણ ટેસ્ટની શ્રેણીમાં મેચ જીતવા પર 40 અને ડ્રો માટે 13.3 અંક મળશે. ચાર મેચની શ્રેણીમાં જીત માટે 30 અને ડ્રો માટે 10-10 અંક ફાળવવામાં આવશે. જયારે પાંચ મેચની શ્રેણી વખતે એક મેચની જીત પર 24 અને ડ્રો માટે 8-8 પોઇન્ટ મળશે. ટાઇની સ્થિતિમાં બન્ને ટીમને ઉપરોકત શ્રેણી અનુસાર અનુક્રમે 30, 20, 1પ અને 12 પોઇન્ટ મળશે. એક શ્રેણી કેટલી પણ મોટી હોય, પણ 120 પોઇન્ટથી વધુ મળશે નહીં. તેવું ફોર્મેટ આઇસીસી ગોઠવ્યું છે. ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશીપનો પ્રારંભ વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધની બે ટેસ્ટની શ્રેણી રમીને કરશે. આ પછી દ. આફ્રિકા સામે ત્રણ અને બંગલાદેશ સામે બે ટેસ્ટની શ્રેણી ઘરઆંગણે રમશે. જે આ વર્ષે રમાશે. આ પછી 2020માં બે ટેસ્ટ રમવા ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ જશે. 4 ટેસ્ટ ઓસ્ટ્રેલિયામાં રમશે. છેલ્લે ઘરઆંગણે ઇંગ્લેન્ડ વિરૂધ્ધ પ ટેસ્ટની શ્રેણી રમશે.
ઢંગધડા વગરનું હાયર એજ્યુકેશન આપવા માટે બદનામ સુરતની ભગવાન મહાવીર કોલેજો કે જેની કાર્યપ્રણાલીને વાલીઓ વિદ્યાર્થીઓ પણ ઓળખી ચૂક્યા છે એ સુરતની ભગવાન મહાવીર કોલેજો ચલાવતી સંસ્થાને ગુજરાત સરકાર લાગવગશાહીના જોરે પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો આપી દીધો છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં એક સાથે 9 પ્રાઇવેટ યુનિવર્સિટીઓ બનાવવાની દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી છે. જેમાં સુરતના ભગવાન મહાવીર ગ્રુપને પણ પ્રાઇવેટ યુનિવર્સિટી માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
સુરતમાં ભગવાન
મહાવીર ગ્રુપની કોલેજો એટલા માટ બદનામ છે કેમકે અભ્યાસ માટે જરૂરી
ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લેબોરેટરી કે અન્ય સુવિધાઓ તો ઠીક પણ પૂરતી સંખ્યામાં પ્રોફેસરો
પણ નહીં રાખતી ભગવાન મહાવીર કોલેજના સંચાલકો સામે અધ્યાપકોનું શોષણ કરવાની પણ
સંગીન ફરીયાદો થઇ ચૂકી છે. આ ભગવાન મહાવીર ગ્રુપના ધંધાદારી સંચાલકો હવે
યુનિવર્સિટીના નામે રીતસર શિક્ષણનો વેપલો કરવાનું લાઇસન્સ લઇ બેઠા છે.
ત્રણ ત્રણ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોનું લાઇસન્સ લઇને રોકડી કરી લેવાના અનિલ જૈન એન્ડ કંપનીના મનસુબા પાર પડ્યા નથી. આ વખતે ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશાર્થીઓએ આ સુરતના ભગવાન મહાવીર ગ્રુપની ત્રણેય કોલેજોને જાકારો આપ્યો છે. માંડ દસેક ટકા બેઠકો ભરાવા પામી છે. આમ જ્યાં પ્રવેશ લેવા માટે કોઇ તૈયાર નથી અને ના છૂટકે પ્રવેશ લેતા હોય છે એવી સંસ્થાને હવે યુનિવર્સિટી તરીકેનું નામ વટાવી ખાવાનું લાઇસન્સ મળ્યું છે.
જે રીતે સરકાર શિક્ષણ ખાસ કરીને હાયર એજ્યુકેશનમાં પ્રાઇવેટાઇઝેશન કરી રહી છે એ જોતા એવું જણાય આવે છે કે ક્વોલિટી એજ્યુકેશન કરતા ક્વોન્ટીટી એજ્યુકેશનની નીતિનું અમલીકરણ થઇ રહ્યું છે. સુરતમાં ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશન કે જેની એન્જિનિયરિંગ કોલેજોમાં સાવ હલકી કક્ષાના શિક્ષણને લીધે 2019માં 85 ટકા બેઠકો ખાલી પડી રહી છે, આ કોલેજમાં કોઇ પ્રવેશ માટે લેવાલ નથી, એક સમયે મેનેજમેન્ટ ક્વોટામાં લાખો રૂપિયા ઉસેટીને જૈન બંધુઓએ શિક્ષણની હાટડી માંડી દીધી હતી ત્યાં એન્જિનિયરિંગ હોય કે મેનેજમેન્ટ કે પછી અન્ય અભ્યાસક્રમો કોઇ વિદ્યાર્થી પ્રવેશ લેવા તૈયાર નથી. એવા સુરતના ભગવાન મહાવીર ગ્રુપને પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો આપવાની દરખાસ્ત પર ગુજરાત સરકારે તો મંજૂરીની મહોર મારી દીધી છે.
ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસનું સત્ર ૧૭ કલાક અને ૪૦ મિનિટ ચાલતાં સૌથી લાંબા સમય માટે ચાલવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ સત્રના છેલ્લા દિવસે કુલ ૯ બિલો પર ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.
વિધાનસભાના છેલ્લા દિવસે ખાનગી યુનિવર્સિટી સુધારા બિલ ૨૦૧૯ ગૃહમાં પસાર થયા હતા. આ સુધારા સાથે વહીવટી પ્રક્રિયા સાથે ભાઈકાકા યુનિવર્સિટી, સિલ્વર ઓક યુનિવર્સિટી, ભગવાન મહાવીર યુનિવર્સિટી, એલ.જે.કે. યુનિવર્સિટી, શ્રેયાર્થ યુનિવર્સિટી, જે.જી યુનિવર્સિટી, કેલોરેક્સ ટીચર્સ યુનિવર્સિટી, આઈટીએમ બરોડા યુનિવર્સિટી, ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટી મળીને કુલ ૯ નવી ખાનગી યુનિવર્સિટીઓ ગુજરાતમાં કાર્યરત થવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. સરકારનો હેતુ રાજ્યમાં ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન મળે તેવા હેતુ સાથે રાજ્યનાં જરૂરિયાતવાળા વિસ્તારોમાં ખાનગી યુનિવર્સિટીઓની સ્થાપના થાય અને ઉચ્ચ શિક્ષણ મળે તેવો છે.
9 નવી યુનિવર્સિટી માટેની દરખાસ્તોમાં સુરતમાં ઢંગધડા વગરનું હાયર એજ્યુકેશન આપવા માટે બદનામ બી.એમ.ઇ.એફ. (ભગવાન મહાવીર એજ્યુકેશ ફાઉન્ડેશન)ની પણ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
ગુજરાતના વિવિધ વિભાગોમાં બેસતા સરકારી બાબુઓએ વર્ષ ૨૦૧૭-૧૮ના વર્ષમાં ૧૪ કરોડ રૂપિયાની ઉચાપતો કરી હોવાનું કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલમાં બહાર આવ્યું હતું. સરકારે આ ઉચાપત બદલ કોઈ કડક પગલાં નહીં લીધાં હોવાની ટિપ્પણી પણ કેગ દ્વારા કરાઈ છે.
સૌથી વધુ ઉચાપત શિક્ષણ વિભાગમાં ૩.૮૫ કરોડ
વિધાનસભા સત્રના છેલ્લા દિવસે રજૂ થયેલા અહેવાલમાં કેગ દ્વારા જણાવાયું હતું કે, સરકારી બાબુઓએ કરેલી ઉચાપતના ૯૯ કેસ સામે આવ્યા હતા. જેમાં કુલ ૧૨.૮૧ કરોડની ઉચાપતો પકડાઈ હતી. સૌથી વધુ ઉચાપત શિક્ષણ વિભાગમાં ૩.૮૫ કરોડની કરાઈ હતી તેવું જણાવ્યું હતું. જ્યારે એકમાત્ર શ્રમ અને રોજગાર વિભાગ સિવાયના તમામ સરકારી વિભાગોના બાબુઓએ ઉચાપત કરી હોવાનું જણાયું હતું. તો ૭૩ લાખ રૂપિયાનો સરકારી માલસામાન ચોરી અથવા સગેવગે થઇ ગયો હોવાનું પણ નોંધાયું હતું. રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમને કુલ રૂ. ૨૨,૪૩૧ કરોડનું નુકસાન થયું હતું.
જ્યારે બજેટ ૨૦૧૭-૧૮ દરમિયાન વિવિધ વિભાગોએ કુલ બજેટ સામે ૨૧,૯૦૮ કરોડ રૂપિયા ઓછાં ખર્ચ્યાં. શિક્ષણ વિભાગે તો બજેટના વધેલાં રૂપિયા ૩૪૫ કરોડ નાણાં વિભાગમાં પાછાં જમા પણ ન કરાવ્યાં.
જીએસટી કાઉન્સિલે ઇલેક્ટ્રિક વાહન પરનો જીએસટી દર ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કર્યો હતો. કાઉન્સિલની બેઠક શનિવારે મળી હતી. ડ્યૂટી ઘટાડો ૧ ઑગસ્ટથી અમલી બનશે. કાઉન્સિલે ઇવીચાર્જર પરનો જીએસટી ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા કર્યો છે.
ઇલેક્ટ્રિક વાહન પરના જીએસટી ઘટાડાના પગલાંને સોસાયટી ઑફ મેન્યુફેકચર્સ ઑફ ઇલેક્ટ્રિક વ્હિક્લ્સે આવકાર્યુ હતું. ઇકોફ્રેન્ડલી વાહનને પ્રમોટ કરવા સરકારના નિર્ણયને અનુરૂપ કાઉન્સીલે આ પગલું લીધું છે.
સોસાયટીના ડીરેક્ટર જનરલ સોહિન્દર ગીલે જણાવ્યું હતું કે જીએસટી દરમાં ઘટાડો થતાં ઇલેક્ટ્રિક વાહનો અને ઇન્ટરનલ કોમ્બસ્ટન એન્જિન વ્હિકલના ભાવ ફરકમાં ઘટાડો આવશે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રમોટ કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે.
સ્પેર બેટરીમાં ૧૮ ટકા જીએસટી છે તેમાં ઘટાડો થાય તેવી અપેક્ષા રખાઇ છે.
પાણી ચોરીને અપરાધની શ્રેણીમાં રાખવા
સાથે જ ચોરી કરતા પકડાવા પર બે વર્ષની જેલની સજાની જોગવાઈ કરતા ખરડાને શુક્રવારે
તા.26મી જુલાઇ 2019ના રોજ ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો છે.
ગુજરાત ઈરિગેશન અને ડ્રેનેજ સંશોધન બિલ 2019 અને ગુજરાત ડોમેસ્ટિક વોટર સપ્લાય(પ્રોટેક્શન) બિલ 2019ને બહુમત સાથે વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો. જ્યારે બિલના
વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું.
આ ખરડા પસાર થતા હવે જો કોઈ વ્યક્તિ પાણી
ચોરી કરતો પકડાશે અને ગુનો સાબિત થશે તો તેને જેલ અને 2 લાખ રુપિયા સુધીનો દંડ બંને થઈ શકે છે. આ જ આધારે બેંગલુરુ વોટર
સપ્લાય અને સીવેજ સહિતના કેટલાક અન્ય કાયદા(સંશોધન) 2009 છે. જેના અતંર્ગત પાણી ચોરી કરવા પર વધુમાં વધુ 3 વર્ષની જેલની સજાની જોગવાઈ છે.
રાજ્ય વિદ્યુત મંત્રી સૌરભ પટેલ, જેમણે ઈરિગેશન અને ડ્રેનેજ સંશોધન બિલ સદનમાં રજૂ કર્યું તેમણે
કહ્યું કે, ‘આ પગલા પાછળનો મુખ્ય હેતું મોટી સંખ્યામાં થતી પાણી ચોરીને
અટકાવવાનો છે.
લોર્ડસના મેદાન પર વિશ્વ વિજેતા ઇંગ્લેન્ડની ટીમે ફરી ઇતિહાસ આલેખ્યો છે. આયરલેન્ડની ટીમ 182 રનના વિજય લક્ષ્યાંક સામે માત્ર 38 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આથી ઇંગ્લેન્ડનો શ્રેણીના એકમાત્ર ટેસ્ટમાં 143 રને નાટકિય વિજય થયો હતો. પોતાના પ્રથમ ટેસ્ટ વિજયના ઓરતા સાથે આજે મેચના ત્રીજા દિવસે સવારે બીજી ઇનિંગમાં બેટીંગમાં ઉતરેલી આયરલેન્ડની ટીમનો ઇંગ્લેન્ડના બોલર ક્રિસ વોકસ અને સ્ટૂઅર્ટ બ્રોડની આગઝરતી ખતરનાક બોલિંગ સામે માત્ર 1પ.4 ઓવરમાં 38 રનમાં વીંટલો વળી ગયો હતો. ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસનો આ પાંચમો સૌથી ઓછો ટીમ ટોટલ છે. સૌથી ઓછા રનમાં ઓલઆઉટ થવાનો વિક્રમ ન્યુઝીલેન્ડની ટીમના નામે છે. તે 19પપમાં ઓકલેન્ડમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ 26 રનમાં ઓલઆઉટ થઇ હતી. પહેલી ઇનિંગમાં ઇંગ્લેન્ડનો 8પ રનમાં ઢાળિયો થયો હતો. પહેલી ઇનિંગમાં સૌથી ઓછો સ્કોર હોવા છતાં મળેલી જીતની સૂચિમાં ઇંગ્લેન્ડનો આ વિજય પાંચમા ક્રમે છે. આ પહેલા 1886/87માં ઇંગ્લેન્ડની ટીમ પહેલા દાવમાં 4પ રનમાં ઓલઆઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયા સામે જીતી હતી. ઓવરઓલ પહેલા દાવના ઓછા સ્કોર છતાં પાછલા 112 વર્ષની આ પહેલી જીત નોંધાઇ છે. લોર્ડસ ટેસ્ટની બીજી ઇનિંગમાં 92 રન કરનાર ઇંગ્લેન્ડનો જેક લીચ મેન ઓફ ધ મેચ બન્યો હતો. તેના 92 રન અને જેસન રોયના72, સુકાની જો રૂટના 31, સેમ કરનના 37 રનથી ઇંગ્લેન્ડની ટીમ આજે તેના બીજા દાવમાં 303 રનમાં ઓલઆઉટ થઇ હતી. આથી આયરલેન્ડને તેની પહેલી ટેસ્ટ જીત માટે 182 રનનું લક્ષ્યાંક મળ્યું હતું, પણ આયરલેન્ડની ટીમ તેના બીજા દાવમાં પત્તાના મહેલની માફક વિખેરાઇ ગઇ હતી. ટીમનો એકમાત્ર બેટધર જેમ્સ મેકયુલમ (11) બે આંકડે પહોંચી શકયો હતો. સુકાની પોર્ટફિલ્ડ 2, પોલ સ્ટર્લિંગ 0, કેવિન ઓ’બેરોય 4, ગેરી વિલ્સન 0 અને સ્ટૂઅર્ટ થોમ્પસન જેવા કાઉન્ટિ ક્રિકેટના અનુભવી બેટસમેનો વોકસ-બ્રોડની જોડી સામે ઘૂંટણિયે પડી ગયા હતા. વોકસે તેની કેરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને 17 રનમાં 6 વિકેટ લીધી હતી. સ્ટૂઅર્ટ બ્રોડે 19 રનમાં 4 વિકેટ લીધી હતી. ચાર દિવસીય ટેસ્ટ મેચ સવા બે દિવસમાં જ સમાપ્ત થઇ ગયો હતો. આ દરમિયાન લોર્ડસના મેદાન પર 170 ઓવરમાં 40 વિકેટ પડી હતી.
ગુજરાત સરકારના નાણાકિય વહિવટની કમ્પ્રોટર એન્ડ ઓડિટર જનરલ અર્થાત કેગના અહેવાલમાં આકરી ટીકા કરવામાં આવી છે. સરકાર વિવિધ વિભાગો પાસેની બચતની રકમને આવક દર્શાવી રહી છે અને વિકાસ યોજનાઓ પાછળ કરોડોનું દેવું કરી રહી હોવાના મુદ્દે કેગના અહેવાલમાં ગંભીર નોંધ લેવામાં આવી છે.કેગે સરકારના 73 બોર્ડ અને નિગમોમાં થયેલી બારેખમ ખોટ અને સામાન્ય નફા અંગેનો પણ ઉલ્લેખ કર્યો હતો. સરકારના વિવિધ વિભાગોના વાર્ષિક બજેટમાં કરાયેલી જોગવાઇ મુજબની રકમ’ ન ખર્યાય તો તેને વર્ષના અંતે પરત કરવાની જોગવાઇ છે.’ છતાં રાજ્યસરકારના સંખ્યાબંધ વિભાગોએ આવી વણવપરાયેલી બચતની રકમ સરકારમાં જમા કરાવવાને બદલે પોતાના વિભાગની મહેસૂલી આવક દર્શાવવાની ભૂલ કરી છે.’ કેગ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લઇ સરકારની ભારેભાર ટીકા કરતી નોંધ કરી છે. ‘2014-15થી 2016-17 મહેસૂલી ખર્ચની રૂા.160.81 કરોડની વણવપરાયેલી સિલકો શરૂઆતમાં જી.એસ.એફ.એસ.માં મુકવામાં આવી હતી અને ત્યારબાદ સરકારના હિસાબમાં મહેસૂલી આવક તરીકે જમા કરવામાં આવી હતી.’ 12 માં નાણાંપંચ દ્વારા મહેસૂલની આવકની સામે વ્યાજની ચુકવણીનો ગુણોત્તર 15 ટકા સુધી નીચો હોવો જોઇએ એવી તાકીદ કરાઇ હોવા છતાં ગુજરાતમાં આ ગ્રોથ જળવાતો નથી. કેગના કહેવા પ્રમાણે શિસ્તબદ્ધ નાણાંકીય વ્યવસ્થાપનમાં સર્વશ્રેષ્ઠ હોવાનો દાવો કરતી રાજ્યસરકાર દ્વારા તેને મહેસૂલ તરીકે પ્રાપ્ત દરેક 100 રૂપિયા માટે 15.37 રૂપિયા વ્જાય પેટે ચુકવવામાં આવે છે. સરકારને માથે 5.44 ટકાના દરે જવાબદારીઓમાં વધારો થયો છે.કેગે એવું પણ નોંધ્યું છે કે, સરકાર જે રકમ વ્યાજે લેશે તેનો સરેરાશ દર 7.59 ટકા જેટલો છે જ્યારે સરકાર જે વ્યાજની ચુકવણી કરે છે તે દર 15.37 ટકા છે. સરકાર હસ્તકના કુલ 73 જેટલા બોર્ડ નિગમમાંથી 19 જેટલા બોર્ડ-નિગમોએ રૂા.3813 કરોડની ખોટ કરી છે’ જ્યારે 50 જેટલા બોર્ડ નિગમોએ રૂા.5113 કરોડનો નફો કર્યો હતો. બાકીના 4 બોર્ડ નિમગોમાં નફો કે નુકશાન કાંઇ થયું નથી. નફો કરતા બોર્ડ-નિગમો તરફથી સરકારને સાવ સામાન્ય વળતર મળ્યું હતું એવો ઉલ્લેખ પણ કેગ દ્વારા કરાયો છે. કેગ દ્વારા જાહેર કરાયેલા રાજ્યની નાણાંકીય પરિસ્થિતિ અંગેના ઓડિટ અહેવાલમાં નોંધાયું છે કે, ગુજરાત સરકારના 19 જેટલા અબજો રૂપિયાની ખોટ કરતા બોર્ડ નિગમોમાં મુખ્યત્વે ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી)એ રૂા.1564 કરોડની ખોટ કરી છે.’ જ્યારે સરદાર સરોવર નર્મદા નિગમે રૂા.1075 કરોડની ખોટ કરી છે. તો ભાવનગર એનર્જી કંપનીએ રૂા.617 કરોડ, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે રૂા.264 કરોડ અને ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે રૂા.137 કરોડની ખોટ કરી છે. નોંધનીય બાબત એ છે કે, ગુજરાત સરકારના જે 50 નિગમોએ નફો કર્યો હતો તેણે ગુજરાત સરકારને માત્ર રૂા.97 કરોડ ડિવિડન્ડ પેટે ચુકવ્યા હતા. જે આ બોર્ડ નિગમોમાં સરકાર દ્વારા રોકાયેલા અબજો રૂપિયાના મુડીરોકાણ સામે માત્ર 1.91 ટકા જેટલું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.