CIA ALERT

Slider Archives - Page 314 of 487 - CIA Live

August 10, 2019
morbi.jpg
1min12820

શનિવાર તા.10મી ઓગસ્ટના રોજ સમગ્ર રાજ્યમાં મૂશળધાર વરસાદે જનજીવન ખોરવી નાંખ્યું હતું એ દરમિયાન એવા સમાચારોએ ગુજરાતમાં ગમગીની ફેલાવી દીધી હતી કે મોરબીમાં દિવાલ પડવાની દુર્ઘટનામાં એ 8 લોકોના જીવ લીધા હતા.

મળતી માહિતી મુજબ મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલા કામધેનું પાર્ટી પ્લોટ પાસે દિવાલ પડવાની ઘટનામાં ચગદાઇ ગયેલા 8 લોકોના મોત નિપજ્યા હતા.

ઘટનાની જાણ થતા મોરબી SPની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવકામગીરી હાથ ધરી હતી. ફાયર સેફ્ટી વિભાગે પણ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું . સ્થાનિકો પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયા . ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તો બીજી બાજુ સ્થાનિકો રોષે ભરાયા છે અને જવાબદાર તંત્ર સામે પગલા લેવાની માગ કરી રહ્યાં છે.

August 10, 2019
tapi1-1280x605.jpg
3min7770

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

Ukai Dam. Dt.10.08.19. @ 17.00 hrs.

  • Rule Level : 335.00 ft.
  • Present Water Level : 335.68 ft.
  • Inflow: 4,59,698 cusecs.
  • Outflow: 1,89,735 cusec
  • G.S. : 5824.91 MCM
  • Dam filled: 78.56 %
  • Increase in qty: 4951.17 MCM
  • (w.r.t to mini storage of this yr)
  • Hathnur Level:.209.54mt. 
  • Outflow : 95,368.16 cusecs

Ukai Dam. Dt.10.08.19. @ Hr: 12.00 hrs

  • R.L : 335.00 ft.
  • P.W.L: 334.73 ft.
  • Inflow: 533689 cusecs.
  • Outflow: 187406 cusec
  • G.S. : 5675.14 MCM
  • %age filling: 76.54 %
  • Increase in qty: 4801.41 MCM (w.r.t to mini storage of this yr)

ઉકાઇ ડેમમાંથી પોણા બે લાખથી વધુ ક્યુસેક્સ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સુરત મધ્યેથી પસાર થતી તાપી નદી હાલ બે કાંઠે છે, તાપી બે કાંઠે હોવાથી ફ્લેડ ગેટ્સ બંધ કરાયા છે અને તેના કારણે કારદશાની નાળ, અડાજણ મક્કાઇ પુલથી સ્વામીનારાયણ મંદિર રોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં નદીના પાણી ફરીવળ્યા છે અગર તો ગટરના પાણી બેક મારી રહ્યા છે, આ સિવાય સુરત પર હાલ તુરત કોઇ જ જળ સંકટ કે પૂરનું સંકટ નથી.

જવલ્લેજ જોવા મળતો અદભૂત નજારો, શાસ્ત્રોએ જેને પૂણ્ય સલિલાનું ઉપનામ આપ્યું છે એ સૂર્યપૂત્રી તાપી નદી આજે બે કાંઠે વહેતી જોવા મળી હતી. ઇતિહાસમાં જે રીતે ઉલ્લેખ છે એ રીતે તાપી નદી આજે વહી રહી હતી. અદભૂત નજારો જોવા માટે સુરતીઓ શહેરના બ્રીજો પર ઉમટી પડ્યા હતા. ફોટો બાય સુનિલ પટેલ (ભરીમાતા)

સુરત શહેર પર પૂરનું સંકટ ન આવે એટલા માટે ઉકાઇ ડેમની સપાટી 330 ફૂટ જેટલી જાળવવામાં આવી રહી છે એમ સુરતના અધિકારીઓ જણાવી રહ્યા છે.

સુરત શહેર માટે સૌથી નસીબવંતી વાત એ પણ છે કે ઉકાઇ ડેમમાં જ્યાંથી પાણી આવી રહ્યું છે એ ઉપરવાસના કેચમેન્ટ એરિયામાં આજે સવારે 8 વાગ્યે પૂરા થયેલા વરસાદના આંકડાઓ જોતા ત્યાં વરસાદ સાવ સામાન્ય છે, એટલે આગામી 10-12 કલાકમાં ઉકાઇ ડેમમાં પાણીનો આવરો ઓછો થઇ જશે.

ઉપરવાસમાં વરસાદ સાવ સામાન્ય છે, શનિવારે રાત સુધીમાં ઉકાઇમાં પાણીનો ઇનફ્લો ઓછો થઇ જશે

સુરત શહેરના પાણીના મુખ્યસ્ત્રોત ઉકાઇ ડેમમાં જ્યાંથી પાણીનો આવરો થઇ રહ્યો છે એ કેચમેન્ટ એટલેકે ઉપરવાસના વિસ્તારોમાં આજે તા.10મી ઓગસ્ટ 2019ની સવારે 8 વાગ્યા સુધી નોંધાયેલો વરસાદ સાવ સામાન્ય છે, એટલે ડેમમાં પાણીનો આવરો તબક્કાવાર ઘટી જશે અને શનિવાર તા.10મી એ રાત સુધીમાં ડેમમાં પાણીનો આવરો ઓછો થઇ જશે. આમ છતાં ઉકાઇ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવાનું જારી રાખવામાં આવશે. એવું જાણવા મળે છે કે ઉકાઇ ડેમની સપાટી હાલ 330 ફૂટની આસપાસ જાળવવામાં આવશે.

આમ છતાં ઉકાઇ ડેમમાં પાણીની સપાટી 330 ફૂટ સુધી જાળવી રાખવા માટે આ લેવલથી ઉપર જેટલું પાણી આવશે એટલું છોડી દેવાની નીતિ અખત્યાર કરવામાં આવી છે. એ ખાસ યાદ રાખવું જોઇએ કે 335 એ રૂલ લેવલ છે, અધિકારીઓએ અગાઉના પાણીના આવરાને ધ્યાને લઇને આ લેવલ બનાવ્યું છે. ઉકાઇ ડેમની પાણીની ભયજનક સપાટી 345 ફૂટ છે. હજુ એકાદ મહિના વરસાદ પડે અને એક સામટું પાણી આવે ત્યારે વિકટ પરિસ્થિતિ ન સર્જાય એ માટે હાલમાં બે લાખ ક્યુસેક્સ પાણી છોડવાામાં આવી રહ્યું છે.

દરમિયાન તા.9મી ઓગસ્ટને બપોરે 4 વાગ્યાથી ઉકાઇ ડેમમાંથી 75 હજાર ક્યુસેક્સ પાણી તાપી નદીમાં છોડવાનું શરૂ કરાયું હતું, જે આજરોજ તા.10મી ઓગસ્ટે સવારે 10 કલાકે વધારીને 1.84 લાખ ક્યુસેક્સ કરવામાં આવ્યું છે. ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાને કારણે સ્વાભાવિક છે કે સુરત શહેરની વચ્ચેથી પસાર થતી તાપી નદીમાં પાણીનો આવરો થાય અને તાપી બે કાંઠે વહેતી જોવા મળે. આજે સવારથી જ તાપી નદીને બે કાંઠે જોવા માટે લોકોની ભીડ જામી હતી અને ત્યાંથી જ વાતો વહેતી થઇ કે સુરતમાં પૂર આવી રહ્યું છે.

તાપી નદી બે કાંઠે વહેતી હોઇ, સુરત શહેરની વરસાદી ગટર તથા ફ્લેડગેટ્સ બંધ કરાયા હોઇ નીચાણવાળા વિસ્તારોમાં ગટરીયા પાણી બેક થઇને પાણીનો ભરાવો શરૂ થયો હોવાની વિગતો જાણવા મળી છે.

અમારા એસોસીએટ સુનીલભાઇ પટેલ (ભરીમાતા)એ આજે સવારે બે કાંઠે વહેતી તાપી નદીના પીક્ચર્સ ક્લીક કર્યા હતા જે અહીં પ્રસ્તુત છે.

પૂણ્યસલિલા તાપી મૈયા આ સીઝનમાં બે કાંઠે જોવાનો અદભૂત નજારો , ફોટો સુનીલ પટેલ (ભરીમાતા)
ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે તાપી નદીના ઉપરવાસમાં ઘર કરી ગયેલી લીલ-વેલ, જળકુંભી જેવી વનસ્પતિઓ ફ્લશ આઉટ થઇને દરીયા ભેગી થઇ હતી. તાપી નદીનું પાણી શુધ્ધ થવા પામ્યું છે. ફોટો બાય સુનીલ પટેલ (ભરીમાતા)
તાપી નદીને બે કાંઠે વહેતી જોવાનો લ્હાવો સુરતીઓ છોડે ખરા..આજે સવારથી જ બે કાંઠે વહેતી સૂર્યપૂત્રી તાપી નદીને જોવા માટે લોકો બ્રીજ પર ઉમટ્યા હતા. ફોટો બાય સુનીલ પટેલ (ભરીમાતા)



August 10, 2019
CIA_Live_Logo_New2.jpg
1min17260

સુરત શહેરમાં બપોરે બે વાગ્યા બાદ શરૂ થયેલા વરસાદી ઝાપટાઓ સુરતવાસીઓ માટે આફત નોતરી શકે તેમ છે.

ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવેલી રહેલા અંદાજે બે લાખ ક્યુસેક્સ પાણીના ફ્લડને મેનેજ કરવા માટે સુરત શહેરમાં સ્ટોર્મ ડ્રેનેજના ફ્લડ ગેટ્સ જેના આઉટ લેટ્સ તાપી નદીમાં છે એ ફ્લડ ગેટ્સ બંધ કરવામાં આવ્યા હોઇ, સુરતમાં હાલ પડી રહેલા વરસાદનું પાણી સ્ટોર્મ ડ્રેનેજમાં જશે અને સ્ટોર્મ ડ્રેનેજ ભરાશે એટલે સુરતમાં ઠેરઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ શકે છે.

જાણકારો કહે છે કે જો સુરત શહેરમાં વરસાદ સતત ચાલુ રહ્યો તો સુરતમાં ઉકાઇના પાણીના લીધે નહીં પણ વરસાદી પાણીના લીધે પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે.

એ પૂર્વે શહેરમાંથી પસાર થતી તાપી નદીમાં સ્ટોર્મ ડ્રેનેજના ફ્લડ ગેટ્સ બંધ કરવામાં આવતા કેટલાક વિસ્તારોમાં ગટરના પાણી બેક થયા હતા અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાવા પામી છે. એ સિવાય તાપી નદી કાંઠેના અડાજણ છેડે સ્વામી નારાયણ મંદિરથી શરૂ કરીને જલારામ ઓવારા સુધીના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવા પામ્યા છે. જે તસ્વીરમાં દ્રશ્યમાન છે.

તાપી નદીમાં ફ્લડ ગેટ્સ બંધ કરતા નાનપુરા કાદરશાની નાળ વિસ્તારમાં પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે
શહેરના ધાસ્તીપુરા વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા હતા.
August 10, 2019
CIA_Live_Logo_New2.jpg
2min21800

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ભૂતકાળમાં 1998 અને બાદમાં 2006ના પૂરની સ્થિતિ અને અનેક વર્ષે ચોમાસામાં સર્જાયેલી ફ્લડ લાઇક સિચુએશન્સમાંથી સુરતના વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ એટલું બધું શીખ્યા છે કે હવે સુરતવાસીઓ અને સ્થાનિક તંત્રો ફ્લડ મેનેજમેન્ટમાં પાવરધા બન્યા છે. ઉકાઇ ડેમ અંદાજે 80 લાખની વસતિને સીધી રીતે અસર કરે છે. ઉકાઇ ડેમથી નીકળતું પાણી સુરત જિલ્લામાંથી પસાર થયા બાદ તાપી નદીમાં આવે છે અને છેક મગદલ્લા પાસે દરિયામાં ભળે ત્યાં સુધીની વસતિ ઉકાઇ ડેમની સપાટીથી સીધી રીતે અસરકર્તા છે.

છેલ્લા દોઢ દિવસથી તાપી નદીમાં છ લાખ ક્યુસેક્સ પાણીનો આવરો નોધાયો હતો, એટલી વિપુલ માત્રામાં પાણી ડેમમાં આવી રહ્યું હતું કે જો નવા નિશાળીયા જેવા તંત્રવાહકો હોય તો સુરત શહેરે ફરી ડૂબવાનો વખત જોવો પડે, પણ ફ્લડ મેનેજમેન્ટ એને જ કહેવાય કે ઉકાઇ ડેમમાં આવતા પાણીના જથ્થાનું મેનેજમેન્ટ અને તાપી નદીમાં રિલીઝ કરવાની માત્રા આ દરેક બાબતોને બેલેન્સ કરીને ફ્લડની સિચુએશન ટાળી શકાય અને આજે તા.10મી ઓગસ્ટ 2019ના રોજ સુરતવાસીઓએ વધુ એક વખત સટીક ફ્લડ મેનેજમેન્ટની પ્રતીતિ કરી છે.

તા.10મી ઓગસ્ટ 2019ના રોજ સુરતવાસીઓએ વધુ એક વખત સટીક ફ્લડ મેનેજમેન્ટની પ્રતીતિ કરી

સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં જ્યારે જ્યારે પણ પૂરજનક સ્થિતિ ઉદભવી છે ત્યારે ત્યારે ફ્લડ મેનેજમેન્ટ થકી સુરતવાસીઓને બને તેટલું ઓછું નુકસાન, જાનમાલનું ઓછું નુકસાન થાય તેવી સ્થિતિ ફ્લડ મેનેજમેન્ટ થકી જ સર્જી શકાય છે અને એટલે જ સુરતવાસીઓ ફ્લડ લાઇક સિચુએશનમાં પણ ટેસથી ભજીયા ખાઇને ઉપાધીને ઉત્સવમાં પરિવર્તિત કરી શકે છે.

અત્રે એ નોંધનીય છે કે ઉકાઇ ડેમ આવ્યો છે તાપી જિલ્લામાં પરંતુ, તેનું મોનિટરિંગ સુરત જિલ્લા કલેક્ટર દ્વારા જ કરવામા આવે છે.

આ વખતે પણ તાપી નદીમાં ફ્લડ મેનેજમેન્ટ કાબિલેતારીફ રીતે થઇ રહ્યું છે. સિંચાઇ વિભાગ, સુરત કલેક્ટરેટ, સુરત મહાનગરપાલિકા, હવામાન ખાતું, ડીજીવીસીએલ સમેત અનેક તંત્રોના અધિકારીઓ વચ્ચે જબરદસ્ત સંકલન હોવાના કારણે ફ્લડ મેનેજમેન્ટ સટીક રીતે થઇ રહ્યું છે. અહીં જાણીએ ફ્લડ મેનેજમેન્ટમાં કોણ શું ભૂમિકા ભજવી રહ્યા છે.

સુરત જિલ્લા અને સુરત શહેરમાંથી પસાર થઇને સુરતના મગદલ્લા નજીક દરિયાને મળતી તાપી નદીનો નકશો કે જે ચોમાસા દરમિયાન સુરતવાસીઓની ધડકન વધારી દે છે

સેન્ટ્રલ વોટર કમિશન

સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા તાપી નદીના આરંભથી અંત સુધીમાં પડતા વરસાદ અને પાણીનો આવરો, પ્રવાહની સ્થિતિ વગેરેની માહિતી તેમજ સતત અપડેટ્સ માટે દક્ષિણ ગુજરાત સિંચાઇ વર્તુળ સાથે સંકલન સાધે છે. ઉકાઇ ડેમના ઉપરવાસમાં તેમજ ગેજ સ્ટેશન પર વરસાદના આંકડાનું સચોટ મેઝરમેન્ટસ સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા મળે છે.

સિંચાઇ વિભાગની શું ભૂમિકા ?

ઉકાઇ ડેમમાં પાણીના આવરાથી લઇને પાણી રિલીઝ કરવાની બાબતો પર ઘનિષ્ટ વોચ રાખવામાં આવે છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના આધારે ડેમમાં કેટલું પાણી આવશે એ સઘળી બાબતો સંકલન કરીને મેળવે છે, રેકોર્ડ રાખે છે. સ્થાનિક કલેક્ટરેટને જાણકારી આપે છે.

સુરત કલેક્ટરેટની શું ભૂમિકા ?

સુરતના કલેક્ટર તમામ વહીવટીતંત્રો સાથે સંકલન સાધે છે. ફ્લડ લાઇક સિચુએશન દરમિયાન સૌથી શ્રેષ્ઠ નિર્ણય લઇ શકાય એ માટે સુરત કલેક્ટર દરેક તંત્રવાહકોના ઉચ્ચાધિકારીઓની મિટીંગ યોજે છે અને સૂચનો મેળવીને પરિસ્થિતિ અનુસાર શ્રેષ્ઠ નિર્ણય કરે છે. ઉકાઇ ડેમથી લઇને સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પાણીની પરિસ્થિતિ અંગે સચોટ માહિતી મેળવે છે અને સુરત મહાનગરપાલિકાથી લઇને સંબંધિત દરેક તંત્રવાહકો સુધી માહિતી પહોંચાડે છે. ઇનપુટ્સ આપે છે, આગળ કઇ કાર્યવાહી કરવી તેની સૂચના આપે છે.

વર્તમાન કલેક્ટર ડો. ધવલ પટેલના ન્યુઝ ફોરકાસ્ટ ઓડિયો મેસેજીસ (ઓડિયો ક્લીપ્સ) ભારે વાઇરલ થયા છે, લોકોએ ધવલ પટેલના ઓડિયો મેસેજીસ વારંવાર વ્હોટ્સ એપ પર સેન્ડ કર્યા. ઓડિયો મેસેજીસના ન્યુઝ ફોરકાસ્ટ કરીને સુરત કલેક્ટર ડો. ધવલ પટેલએ નવો ચીલો ચાતર્યો છે, ભવિષ્યમાં આવનારા કલેક્ટરોએ ડો.ધવલ પટેલની પરંપરા જાળવી રાખવી પડશે

સુરત કલેક્ટર મિડીયાને માહિતી આપીને લોકો સુધી સચોટ માહિતી પહોંચાડે છે. વર્તમાન કલેક્ટર ડો.ધવલ પટેલ તારીખ અને સમય સાથેના ઓડિયો મેસેજ મિડીયાને પાસ કરે છે અને મિડીયા સુરતવાસીઓ સુધી ઉકાઇ ડેમથી લઇને તાપી નદીમાં વોટર લેવલ સુધીની સચોટ માહિતી પૂરી પાડે છે.

ફાયર બ્રિગેડ

સુરત ફાયર બ્રિગેટ ચોમાસાની સીઝનમાં સૌથી વધુ સ્ટેન્ડ ટુ સિચુએશનમાં હોય છે. વરસાદી હોનારતો, પાણી ભરાવાની સ્થિતિ, ઝાડ પડવા કે શોર્ટ સર્કિટ થવો કે અન્ય અકસ્માતના સમય સંજોગોમા દિવસ રાત સ્ટેન્ડ ટુની સિચુએશનમાં હોય છે. આમેય ફાયર બ્રિગેડની કામગીરી ચોવીસે કલાકની જ હોય પરંતુ, ચોમાસામાં અકસ્માતો, આકસ્મિક સંજોગો વધુ ઉદભવતા હોવાથી ફાયર બ્રિગેડ તમામ ઔજારો, સાધનો સાથે તૈનાત રહે છે. ફાયર બ્રિગેડ પાસે અત્યાધુનિક ટુલ્સ ઉપરાંત પ્રારંભિક બચાવ રાહત માટેના વાહનો, બોટ વગેરે પણ રેડી પોઝીશનમાં હોય છે. કલેક્ટરેટની મિટીંગમાં લેવાયેલા નિર્ણયોની સૌથી પહેલી જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવે છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ભૂમિકા શું ?

સુરત મહાનગરપાલિકા શહેરમાં ફ્લડની પરિસ્થિતિ સર્જાય, ગટરીયા પૂર આવે તો લોકોના સ્થળાંતરની કામગીરી, જરૂર જણાય તો શેલ્ટર હાઉસ ઉભા કરવા, નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરવો, લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી, સામાન્ય લોકો સુધી તાપીમાં પાણીના લેવલની જાણકારીની માહિતી, વિયર કમ કોઝવેને સંબંધિત તમામ સંચાલન, તાપી નદીમાં વોટર લેવલ વધે તો ફ્લેડ ગેટ બંધ કરવા વગેરે અગત્યની કામગીરી નિભાવે છે. શહેરની ખાડીઓ ઉભરાય ત્યારે ખાડી કિનારે વસેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી, ફુડ પેકેટ્સ વિતરણ વગેરે પણ પાલિકા કરે છે. ફ્લડ પછી સેનિટેશન, સાફસફાઇ વગેરે કામગીરી સુરત મહાનગરપાલિકા હાથ ધરે છે.

ટૂંકમાં કહીએ તો સુરતીઓને સ્પર્શતી મોટા ભાગની કામગીરી સુરત મહાનગરપાલિકા વહીવટીતંત્ર દ્વારા જ પાર પાડવામાં આવે છે.

સુરત પોલીસ તંત્રની શુ ભૂમિકા ?

સુરત પોલીસ તંત્ર જ્યારે જ્યારે તાપી નદીમાં ફ્લડ લાઇક સિચુએશન હોય ત્યારે ત્યારે હરકતમાં હોય છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ઉપરાંત શહેરના બ્રિજો, નદી કિનારાઓ પર બિનજરૂરી રીતે ઉમટી પડતા લોકોને વિખેરવાની કામગીરી હાથ ધરે છે. જરૂર જણાય એવા પોઇન્ટસ પર હંગામી ધોરણે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવે છે. અફવા ફેલાવતા લોકોને શોધી કાઢવાનું કામ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે છે.

જિલ્લા પંચાયત તંત્રની શું ભૂમિકા ?

જે રીતે સુરત મહાનગરપાલિકા સુરત શહેરમાં ફ્લડ લાઇક સિચુએશન દરમિયાન લોકોને સ્પર્શતી સીધી બાબતોની દેખરેખ રાખે છે એ જ રીતે જિલ્લા પંચાયતનું તંત્ર સુરત જિલ્લામાં આવેલા ગામડાઓમાં પૂર, પાણી ભરાવા, સેનિટેશન વગેરેની બાબતો પર ધ્યાન આપે છે. જરૂરીયાત સમયે બચાવ રાહતની કામગીરી, સલામત સ્થળે ખસેડવાની કામગીરી, સેલ્ટર હાઉસ ઉભા કરવાની કામગીરી વગેરે જિલ્લા વિસ્તારમાં આવેલી સઘળી કામગીરી જિલ્લાપંચાયત દ્વારા હાથ ધરવામાં આવે છે.

ડીજીવીસીએલ

દક્ષિણ ગુજરાત વીજ કંપનીને એવી સૂચના આપવામાં આવે છે કે જો વરસાદી હોનારત કે ફ્લડ સિચુએશનમાં વીજ પુરવઠો ખોરવાય, કોઇ સ્થળે ભંગાણ થાય તો સત્વરે વીજ પ્રવાહ રીસ્ટોર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાવી જોઇએ. તદુપરાંત વરસાદી માહોલ દરમિયાન શોર્ટ સર્કિટ તેમજ અન્ય બનાવો દરમિયાન ડીજીવીસીએલએ સ્ટેન્ડ ટુ ની પોઝીશનમાં તૈનાત રહેવાનું હોય છે.

જાહેર બાંધકામ વિભાગ

જાહેર બાંધકામ વિભાગની જવાબદારીએ હોય છે કે કોઇ સરકારી કચેરી, સરકારી મિલકતમાં વરસાદી હોનારત, પાણી ભરાવા કે પુરની સ્થિતિમાં બને એટલું નુકસાન ઓછું થાય અને રૂટીન કામગીરી ન ખોરવાય એ જોવાની સઘળી જવાબદારી જાહેર બાંધકામ વિભાગની હોય છે.

August 10, 2019
nyari_rajkot.jpg
1min8070

રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે ન્યારી-2 ડેમ ઓવરફ્લો થતા ડેમના 10 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. ન્યારી-2 ડેમમાં પાણી છોડવામાં આવતા આસપાસના 3 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘરાજાએ સટાસટી બોલાવતા પાણી પાણી થઇ ગયું છે ખાસ કરીને સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, બોટાદ, રાજકોટ જીલ્લામાં મેઘરાજા વધુ મેહરબાન થઇ રહ્યા છે સુરેન્દ્રનગર જીલ્લાના ચુડામાં ૩૦ ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે. જયારે ચોટીલામા ૧૮ ઇંચ, વઢવાણ, સુરેન્દ્રનગરમાં સાડા ૧૭ ઇંચ વરસાદ વરસ્યો છે આ ઉપરાંત લીંબડીમાં ૧પ, બોટાદ જીલ્લાના બરવાળામાં પણ ભારે મેઘ ખાંગા થયા હોય  તેમ ૧પ ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે લખતરમાં સાયાલમાં ૧૪, ઇંચ, મુળી, ધ્રાંગધ્રામાં સાડા ૧૩ ઇંચ તથા સુરેન્દ્રનગર જીલ્લામાં ૮ ઇંચ વરસાદ વરસ્યો છે.

છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદ પડતા શેહરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે. ભારે વરસાદના પગલે સાવચેતીના ભાગરૂપે શાળા-કોલેજો બંધ રાખવા જણાવાયું છે. ભારે વરસાદની આગાહીના પગલે કારણ વગર બહાર ન નીકળવા પણ સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં અમરેલીમાં 5 ઈંચ, મોરબીમાં 7 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. આ તરફ જૂનાગઢમાં પણ ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે.

અમરેલીમાં જિલ્લામાં ભારે વરસાદના કારણે તમામ નદી નાળાઓ છલકાય ગયા છે. તો મોરબીમાં પણ 7 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને મચ્છુ 2 ડેમમાં જળ સપાટી 21.56 ફૂટ પહોંચી છે. ભારે વરસાદના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરવમાં આવી છે.

ભારે વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે અને ગઇકાલ સાંજથી ધોધમાર અવિરત વરસાદ વરસતા  ચારે બાજુ પાણી-પાણી થઇ ગયું છે. સુરેન્દ્રનગર અને બોટાદ જીલ્લામાં આભ ફાટયું હોય તેમ સુરેન્દ્રનગર જીલ્લામાં સર્વત્ર ૮ થી ૩૦ ઇંચ વરસાદ પડયો છે. જયારે બોટાદ જીલ્લામાં પણ મેઘતાંડવ યથાવત છે.અને બોટાદના બરવાળામાં ૧પ ઇંચ ગઢડામાં ૧ર, બોટાદમાં ૧૧ અને રાણપુરમાં ૧૦ ઇંચ વરસાદ વરસ્યો છે.

August 10, 2019
congress.jpg
1min10390

કૉંગ્રેસમાં નિર્ણયો લેનારી સર્વોપરી બોડી – કારોબારી સમિતિ દ્વારા આવતી કાલે નવા પક્ષપ્રમુખની પસંદગી કરવામાં આવશે. ટોચના નેતા સોનિયા ગાંધીના નિવાસસ્થાને આજે મળેલી આગેવાનોની બેઠક પછી સૂત્રોએ આ માહિતી આપી હતી.
વિદાય લેતા પક્ષપ્રમુખ રાહુલ ગાંધીના અનુગામી તરીકે જેઓના નામ બોલાય છે તેમાં દલિત નેતા મુકુલ વાસનિકનું નામ મોખરે છે. રાહુલ ગાંધીએ ગત મે માસમાં લોકસભાની ચૂંટણીમાં પરાભવનું કારણ આગળ ધરીને પક્ષપ્રમુખપદેથી રાજીનામું આપ્યું છે. આગામી થોડા સમયમાં મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તેમાં રાહુલ ગાંધી પોતાની વિશ્વસનીયતાનું જોખમ લેવા ઈચ્છતા નથી. વધુમાં તેઓ પક્ષને પાયાના સ્તરે મજબૂત બનાવવા માગે છે. આ પહેલાં પણ દલિત નેતાઓ સુશીલકુમાર શિંદે અને મલ્લિકાર્જુન ખડગેનાં નામો પક્ષપ્રમુખપદ માટે ચર્ચામાં હતાં. આમ છતાં મોવડીઓએ બિનવિવાદાસ્પદ અને પક્ષમાં બધાં જૂથોનો ટેકો ધરાવતા 59 વર્ષીય મુકુલ વાસનિકના નામ ઉપર પસંદગી ઉતારી હોવાનું મનાય છે.

August 9, 2019
delhi_bombay.jpg
1min6230

મુંબઈ અને દિલ્હી તથા દિલ્હી અને હાવરા વચ્ચે દોડાવાતી મેલ-એક્સ્પ્રેસ ટ્રેનોની સ્પીડ વધારવા માટે કેન્દ્ર સરકારે રેલવેને મંજૂરી આપી હોવાનું જણાવ્યું હતું. 

મુંબઈ દિલ્હી વચ્ચે દોડાવતી ટ્રેનોની સ્પીડ વધારવાથી બંને શહેર વચ્ચેના ટ્રેનના ટ્રાવેલિંગમાં ઘટાડો થશે.

મુંબઈ-દિલ્હી વચ્ચે ટ્રેનની સ્પીડ વધારવાના પ્રોજેક્ટ પાછળ રૂ. ૬,૮૦૬ કરોડનો ખર્ચ કરવામાં આવશે, જ્યારે તેને ૨૦૨૨-૨૩ સુધીમાં પૂરો કરવાનો ટાર્ગેટ છે.

૧૦૦ દિવસના એજન્ડા હેઠળના વિવિધ પ્રોજેક્ટમાં મુંબઈ-દિલ્હી-મુંબઈ વચ્ચે ટ્રેનોની સ્પીડ વધારવાનો પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

તા.5મી ઓગસ્ટ 2019ના રોજ મળેલી કૅબિનેટની મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો, અને જાહેરાત તા.7મી ઓગસ્ટને બુધવારે તેની સત્તાવાર રીતે કરવામાં આવી હતી.

મુંબઈ-દિલ્હી વચ્ચે દોડાવાતી ટ્રેનોની સ્પીડ વધારવા માટે સરકારની મંજૂરી

કેન્દ્રીય પ્રધાનમંડળની મીટિંગમાં સોમવારે કાશ્મીરના ૧૭૦ કલમને નાબૂદ કરવાનો નિર્ણય લીધો હતો.

મુંબઈ દિલ્હી અને દિલ્હી અને હાવરા વચ્ચેના રેલવે રૂટ્સની વિવિધ ટ્રેનોની સ્પીડ વધારવાથી ટ્રેનોની સર્વિસમાં પણ સુધારો થશે.

એટલું જ નહીં, ટ્રેનોની સુરક્ષા(અકસ્માતના પરિપ્રેક્ષ્યમાં)માં પણ વધારો થશે. ટ્રેનમાં પેસેન્જર કેપિસિટી વધારવામાં આવશે.

મુંબઈ-દિલ્હી-મુંબઈ વચ્ચેના રેલવે રૂટ્સમાં ૧૬૦ કિલોમીટરની ઝડપે ટ્રેન દોડાવાશે, જ્યારે ગુડ્સ ટ્રેનના ટ્રાફિકના પરિવહનમાં સુધારો થશે. આ બંને રેલવે રૂટ્સમાં કુલ પેસેન્જર ટ્રાફિકમાંથી બંનેનો કુલ ૨૯ ટકા હિસ્સો છે. 

August 9, 2019
national_film_awards_logo-1280x1024.png
2min6240
નેશનલ ફિલ્મ એવોર્ડના નિર્ણાયકોની પેનલએ આજરોજ ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ મિનિસ્ટર શ્રી જાવડેકરને મળીને તેમને નેશનલ ફિલ્મ એવોર્ડસના વિજેતાઓની યાદી અર્પણ કરી હતી.

નેશનલ ફિલ્મ અવૉર્ડ્સ Winners

  • બેસ્ટ ફિલ્મઃ અંધાધુન
  • બેસ્ટ એક્ટરઃ આયુષ્માન ખુરાના અને વિકી કૌશલ(સંયુક્ત રીતે)
  • બેસ્ટ એક્ટ્રેસઃ કીર્તિ સુરેશ

Over All Performance

  • બેસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટઃ ઉત્તરાખંડ
  • બેસ્ટ કૉરિયોગ્રાફરઃ જ્યોતિ(ઘૂમર, પદ્માવત)
  • બેસ્ટ શૉર્ટ ફીચર ફિલ્મઃ ખરવસ
  • બેસ્ટ સ્પોર્ટ્સ ફિલ્મઃ સ્વિમિંગ થ્રૂ ધ ડાર્કનેસ
  • બેસ્ટ ફિલ્મ ક્રિટિક(હિન્દી): અનંત વિજય

Regional Movies

  • બેસ્ટ મરાઠી ફિલ્મઃ ભોંગા
  • બેસ્ટ રાજસ્થાની ફિલ્મઃ ટર્ટલ
  • બેસ્ટ તમિલ ફિલ્મઃ બરામ
  • બેસ્ટ ઉર્દુ ફિલ્મઃ હામિદ
  • બેસ્ટ બેંગાલી ફિલ્મઃ એક જે છીલો રાજા
  • બેસ્ટ મલયાલમ ફિલ્મઃ સુદાની ફ્રોમ નાઈજીરિયા
  • બેસ્ટ તેલુગુ ફિલ્મઃ મહંતી
  • બેસ્ટ કન્નડ ફિલ્મઃ નથીચરામી
  • બેસ્ટ કોંકણી ફિલ્મઃઅમોરી
  • બેસ્ટ પંજાબી ફિલ્મઃ હરજીતા
  • બેસ્ટ ગુજરાતી ફિલ્મઃ રેવા
  • બેસ્ટ આસામી ફિલ્મઃ બુલબુલ કેન સિંગ

Bollywood

  • બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરઃ પદ્માવત
  • બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શનઃ સંજય લીલા ભણસાલી, પદ્માવત માટે
  • બેસ્ટ મ્યુઝિકઃ ઉરી
  • બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટઃ રંજીત ફોર એવ
  • બેસ્ટ એક્શનઃ કેજીએફ
  • બેસ્ટ સ્પેશિયલ ઈફેક્ટઃ કેજીએફ અને એવ
  • બેસ્ટ સાઉન્ટ ડિઝાઈનઃ ઉરી
  • બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લેઃ અંધાધુન
  • બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગરઃબિંદુ મણિ
  • બેસ્ટ મેલ પ્લેબેક સિંગરઃ અરિજીત, પદ્માવતના બિન્તે દિલ માટે
  • બેસ્ટ ફિલ્મ ઓન સોશિયલ ઈસ્યુઃ પેડ મેન
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ સુરેખા સીક્રી, બધાઈ હો માટે
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ સ્વાનંદ કીરકીર, ચુંબક માટે

August 9, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6570

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત સરકારની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસએ ખુદ ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટ 2019 પરીક્ષાનું અવમૂલ્યન કર્યું છે. સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજોને ધંધો મળે તે માટે હવે એડમિશન કમિટીએ એવી જાહેરાત કરી છે કે ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી એફિલિયેટેડ એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે 2019માં ગુજકેટ પરીક્ષા આપી ન હોય તેવા ધો.12 પાસ ઉમેદવારોને પણ પ્રવેશ આપવામાં આવશે.

ગુજકેટ વગર જ પ્રવેશ આપવાનો હતો તો મહેનત કરીને ગુજકેટ પાસ કરનાર વિદ્યાર્થીઓનો શું વાંક ગુનો હતો

એડમિશન કમિટીએ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના ઇશારે આ પ્રકારનો ધંધો કર્યો હોવાનું કહેવાય છે. જો ગુજકેટ વગર જ એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ આપવાનો હોત તો

  • જેમણે મહેનત કરીને માર્કસ મેળવ્યા છે એવા વિદ્યાર્થીઓએ શું ગુનો કર્યો હતો,
  • પહેલેથી જ ગુજરાત સરકારે ગુજકેટ વગર પ્રવેશ આપવાની જાહેરાત કેમ ન કરી.
  • જો ગુજકેટ પરીક્ષા વગર જ પ્રવેશ આપવાનો હોય તો ગુજકેટ લેવાય છે શું કામ

શિક્ષણશાસ્ત્રીઓનું કહેવું છે કે માત્રને માત્ર સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને ધંધો મળે તે હેતુથી એડમિશન કમિટી દર વર્ષે આ પ્રકારે ગુજકેટ પરીક્ષા ન આપી હોય તેવા વિદ્યાર્થીઓને પણ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ આપે છે.

જેમણે ગુજકેટ પરીક્ષા આપી નથી તેવા વિદ્યાર્થીઓને પહેલેથી જ ખબર હતી કે તેમને એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મળવાનો નથી, આથી એવા વિદ્યાર્થીઓ ગત જુન 2019માં જ ફર્સ્ટ ઇયર બી.એસસી. કે અન્ય અભ્યાસક્રમોમાં પ્રવેશ લઇ ચૂક્યા છે, હવે આવા વિદ્યાર્થીઓને આકર્ષવા માટે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના સંચાલકોના ઇશારે એડમિશન કમિટીએ ગુજકેટ વગર એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ આપવાના દરવાજા ખોલ્યા છે.

ગુજરાત સરકારની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા તા.9મી ઓગસ્ટ 2019ના રોજ એવી જાહેરાત કરવામાં આવી છે કે જેમને ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવો હોય તેમણે ઉપરોક્ત જાહેરાત અનુસાર કાર્યવાહી કરવી. આ જાહેરાતમાં

ખુદ સરકારે ગુજકેટનો નિયમ બનાવ્યો છે

અગાઉ ગુજરાત સરકારે જીટીયુ હસ્તકની ઇજનેરી કોલેજોમાં પ્રવેશ માટે જેઇઇ મેઇન્સ પરીક્ષા ફરજિયાત હતી એ મરજિયાત કરીને ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરી હતી. ધો.12 પીસીએમ થીયરીના 60 ટકા અને ગુજકેટના 40 ટકા મળીને જીટીયુ સંલગ્ન કોલેજોમાં પ્રવેશ માટેની મેરીટ યાદી તૈયાર કરવાનો નિયમ સરકારે જ બનાવ્યો છે. હવે જ્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની બેઠકો નથી ભરાઇ ત્યારે સરકારે આવી ખાનગી કોલેજોને ધંધો કરાવવા માટે પોતાનો જ નિયમ તોડીને હવે ગુજકેટ વગર જીટીયુ સંલગ્ન પ્રાઇવેટ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં પ્રવેશ આપવાની જાહેરાત કરી છે. નંબર 5 પર એવી જોગવાઇ પણ સામેલ કરવામાં આવી છે કે જેમણે ગુજકેટ પરીક્ષા આપી ન હોય તેવા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપી શકાશે.

August 9, 2019
homa_auto.jpg
1min8870

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપોરેટમાં 0.35 ટકાનો ઘટાડો કરતા જ બેંકોએ પણ પોતાના ધિરાણ દરો ઘટાડવા માંડ્યા છે. તા.8મી ઓગસ્ટ 2019ના રોજ સ્ટેટબેંક અને હવે અન્ય ત્રણ બેંકો ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, આઇ.ડી.બી.આઇ. તેમજ બેંક ઓફ મહારાષ્ટ્રએ હોમલોન તેમજ ઓટોલોનના વ્યાજના દરોમાં 0.05થી 0.15 ટકા સુધીના ઘટાડા કર્યા છે. આ ઘટાડો તા.12મી ઓગસ્ટ 2019થી લાગૂ પડશે. નવા ગ્રાહકોને આ ઘટાડાનો સીધો લાભ મળવાપાત્ર છે.

આ ઘટાડા બાદ નવી લૉન ઉપરાંત જૂની ચાલતી લૉનના ઈએમઆઈ પણ સસ્તા થઈ જશે.

ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (OBC), બેંક ઓફ મહારાષ્ટ્ર અને IDBI બેંક શામેલ છે.

IDBI બેંકે એક વર્ષ માટે લીધેલી લોન પર વ્યાજદર 0.10 ટકા ઘટાડીને 8.95 ટકા કર્યો છે.

ત્રણ મહિનાથી 3 વર્ષ માટે વ્યાજદરમાં 0.05થી 0.15 ટકા ઘટાડો કરાયો છે. આ નવો ઘટાડો 12 ઓગસ્ટથી લાગૂ થશે.

ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સે અલગ-અલગ સમયની લૉન પર 0.10 ટકા ઘટાડો કર્યો છે. એક વર્ષની લૉન પર 0.10 ટકા વ્યાજદર ઘટાડીને 8.55 ટકા કર્યો છે. બેંકનો નવો વ્યાજદર 10 ઓગસ્ટથી અમલમાં આવશે.

બેંક ઓફ મહારાષ્ટ્રના ઘટાડા બાદ 1 વર્ષની લૉન પર વ્યાજદર 8.50 ટકા થઈ ગયો છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની હાલમાં મળેલી બેઠકમાં રેપો રેટમાં 35 બેસિસ પોઈન્ટ ઘટાડો કરાયો હતો. આ બાદ હવે રેપોરેટ 5.75 ટકાથી ઘટાડીને 5.40 ટકા થઈ ગયો છે.

કેન્દ્રીય બેંકના આ નિર્ણય બાદ SBIએ તરત જ વ્યાજદરમાં 0.15 ટકા ઘટાડો કર્યો હતો.