બજરંગ દળે ગુજરાતમાં ગરબાના આયોજકોને તેમના આયોજનના સ્થળે ‘બિન-હિન્દુઓ’ને પ્રવેશવા નહીં દેવા કહ્યું છે. બજરંગ દળનો એવો દાવો છે કે નવ દિવસ લાંબો નવરાત્રિનો ઉત્સવ હિન્દુ મહિલાઓને ફસાવવા માટેનો મંચ બની ગયો છે.
આ જમણેરી જૂથે ગુજરાતભરમાં રાસ-ગરબા માટેના તમામ સ્થળોની બહાર સતતપણે દેખરેખ રાખવા ટુકડીઓ તૈયાર કરી છે અને ‘લવ જેહાદ’ વિશે લોકોને સતર્ક કરતા પોસ્ટરો પણ લગાવ્યાં છે.
અમદાવાદમાં ગરબાની ઇવેન્ટના તમામ મોટા સ્થળોની નજીક અને ખાસ કરીને મુસ્લિમોના વર્ચસ્વવાળા વિસ્તારોની નજીકના ગરબાના સ્થળોની આસપાસ આવા પોસ્ટરો લગાડી દેવામાં આવ્યા છે. આ જાણકારી બજરંગ દળના અમદાવાદ ઝોનના કો-ઑર્ડિનેટર જ્વલિત મહેતાએ સોમવારે આપી હતી.

મહેતાએ વધુમાં કહ્યું હતું કે ‘અમે આ પોસ્ટરો દ્વારા વ્યાપક પ્રમાણમાં લોકોને એવા પેંતરા વિશે સાવચેત કરી દેવા માગીએ છીએ કે જેમાં નવરાત્રિ દરમિયાન બિન-હિન્દુઓ દ્વારા હિન્દુ છોકરીઓ અને મહિલાઓને લક્ષ્યાંક બનાવવામાં આવતી હોય છે. દર વર્ષે ત્રણ લાખ કરતાં પણ હિન્દુ ક્ધયાઓ અને મહિલાઓ લવ જેહાદનો શિકાર બનતી હોય છે.’
બજરંગ દળે હિન્દુ છોકરીઓના માતા-પિતાને પણ સતર્ક રહીને પોતાની છોકરીઓને લવ જેહાદથી બચાવવા ચેતવ્યાં છે. આ દળે અમદાવાદમાં ગરબાના તમામ મોટા સ્થળે દેખરેખ રાખવા ટુકડીઓ પણ બનાવી છે. મહેતાએ વધુમાં કહ્યું હતું કે ‘ગરબાના સ્થળે બિન-હિન્દુઓને પ્રવેશ ન આપવા અમે ગરબાના આયોજકોને કહી દીધું છે. જો અમે કોઈ છોકરી કે મહિલા સાથે કોઈ વિધર્મીને પકડીશું તો પહેલાં તો અમે એ છોકરીના મમ્મી-પપ્પાને તેમ જ મહિલાના પરિવારને વાકેફ કરીશું અને પછી પેલા બિન-હિન્દુ છોકરા કે પુરુષનો કોઈ ગુપ્ત ઇરાદો છે કે કેમ એ વિશે બનતી બધી જ વિગતો મેળવવાની કોશિશ કરીશું.’
બજરંગ દળે હિન્દુ ધર્મની પવિત્રતા જાળવવા અને છોકરીઓ-મહિલાઓને લવ જેહાદથી બચાવવા બાબતમાં સ્થાનિક પોલીસ તંત્ર અને વહીવટતંત્રને પણ અરજ કરી છે.
બજરંગ દળના ઉત્તર ગુજરાતના સંકલનકાર એમ. કે. પટેલે પીટીઆઇને કહ્યું હતું કે ‘નવરાત્રિ હિન્દુઓનો ખૂબ મહત્ત્વનો તહેવાર છે અને આ ઉત્સવ લવ જેહાદ માટેનો મંચ ન બની જવો જોઈએ. બિન-હિન્દુઓને આ હિન્દુ તહેવાર સાથે કંઈ જ લેવાદેવા નથી, પરંતુ તેઓ ફાયદો ઉઠાવીને અમારા ધર્મની છોકરીઓ/મહિલાઓને ફસાવતા હોય છે.’
દળના નેતાઓએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પોલીસ તેમ જ સ્થાનિક સત્તાધીશોને હિન્દુ છોકરીઓ/મહિલાઓની સલામતી જળવાય એની કાળજી લેવાની વિનંતી કરતા આવેદનપત્ર મોકલ્યા છે.
વિશ્ર્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના ભૂતપૂર્વ વડા પ્રવીણ તોગડિયા દ્વારા રચાયેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (એએચપી) પણ ગુજરાતમાં ગરબાના સ્થળો ખાતે બિન-હિન્દુઓને પ્રવેશ ન આપવા સંબંધમાં કાર્ય કરી રહી છે.
એેએચપીના મહામંત્રી રણછોડ ભરવાડે કહ્યું હતું કે ‘અમે ગરબાના આયોજકોને સૂચિત કરી દીધા છે કે આ હિન્દુ પર્વની પવિત્રતા સાથે કોઈ પણ વ્યક્તિ છેડછાડ ન કરે એનું ધ્યાન રાખજો. જો કોઈ બિન-હિન્દુ વ્યક્તિ ગરબા રમવા ઇચ્છે તો તેણે સૌથી પહેલાં તો હિન્દુ ધર્મ અંગીકાર કરવો પડશે, ગૌમૂત્રનું પાન કરવું પડશે અને પછી જ તે ગરબા રમી શકશે. અમે કોઈપણ બિન-હિન્દુ પુરુષની લવ જેહાદની પ્રવૃત્તિ નહીં સાંખી લઈએ.’
એએચપીના બીજા નેતા જિતેન્દ્ર પ્રજાપતિએ કહ્યું હતું કે ‘બિન-હિન્દુઓને ગરબાની ઇવેન્ટના સ્થળે આવતા રોકવા એએચપીએ ચોકીપહેરા માટેની ટુકડીઓ તૈયાર કરી છે જે ગરબાના સ્થળોની બહાર ખેલૈયાઓ પર ગૌમૂત્ર છાંટે છે.’




















