CIA ALERT

Slider Archives - Page 3 of 488 - CIA Live

June 28, 2026
image-22.png
1min48

ફિફા વર્લ્ડ કપ 2026માં મોટો અપસેટ સર્જાયો છે. આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલા 5 લાખની વસ્તી ધરાવતા નાના દેશ કેપ વર્ડેએ ડેબ્યૂ કરતા જ નોકઆઉટ (રાઉન્ડ ઓફ 32) સ્ટેજમાં સ્થાન મેળવી ઇતિહાસ રચ્યો છે. સ્પેને ઉરુગ્વેને હરાવતા કેપ વર્ડેની ટિકિટ પાકી થઈ હતી. હવે તેનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના સામે 3 જુલાઈએ મિયામી ગાર્ડન્સ ખાતે થશે.

Cape Verde Qualified for FIFA: ફિફા વર્લ્ડ કપ 2026માં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. પ્રથમ વખત વર્લ્ડ કપ રમી રહેલા નાનકડા દેશ કેપ વર્ડેએ તા.27 જૂન 2026ને શનિવારે ઇતિહાસ રચી દીધો છે. માત્ર 5 લાખની વસ્તી ધરાવતો આ દેશ વર્લ્ડ કપના નોકઆઉટ (રાઉન્ડ ઓફ 32) સ્ટેજમાં પહોંચી ગયો છે. શનિવારે રમાયેલી મેચમાં સ્પેને ઉરુગ્વેને 1-0થી હરાવતાની સાથે જ કેપ વર્ડેનું રાઉન્ડ ઓફ 32નું ટિકિટ કન્ફર્મ થઈ ગયું છે, જ્યાં હવે તેનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના સામે થશે. આ પહેલાં કેપ વર્ડેએ હ્યુસ્ટન ખાતે સાઉદી અરેબિયા સામે 0-0થી ડ્રો રમીને ગ્રુપ Hમાં કોઈ પણ ટીમને પોતાની સામે જીતવા દીધી નહોતી.
આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલો આ આઇલેન્ડ નેશન ક્ષેત્રફળ અને વસ્તીની દ્રષ્ટિએ વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં પહોંચનારો અત્યાર સુધીનો સૌથી નાનો દેશ બની ગયો છે. લીગ રાઉન્ડના અંતે કેપ વર્ડે ગ્રુપ Hમાં બીજા સ્થાને રહ્યું અને પોતાના ડેબ્યૂમાં જ નોકઆઉટમાં જગ્યા બનાવી લીધી. 56 વર્ષીય હેડ કોચ બુબિસ્ટાની આ ટીમે માત્ર 8 મહિના પહેલાં જ પ્રથમ વખત વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરીને બધાને ચોંકાવ્યા હતા.
અજેય રહીને ગ્રુપ સ્ટેજ પાર કર્યું: ડિફેન્સ અને એટેકનો શાનદાર સમન્વય
કેપ વર્ડેએ ટૂર્નામેન્ટમાં પોતાની સફરની શરૂઆત 2010ના વર્લ્ડ કપ વિજેતા સ્પેન સામે 0-0થી ડ્રો રમીને કરી હતી, જેનાથી સાબિત થયું કે તેમનું ડિફેન્સ ખૂબ મજબૂત છે.

બીજી મેચ: બે વખતની વર્લ્ડ ચેમ્પિયન ઉરુગ્વે સામે 2-2થી ડ્રો રમીને કેપ વર્ડેએ દર્શાવ્યું કે તેમનો એટેકિંગ લાઇન-અપ પણ શાનદાર છે.
ત્રીજી મેચ: શુક્રવારે સાઉદી અરેબિયા સામે 0-0થી ડ્રો રમ્યા બાદ કેપ વર્ડે 3 પોઇન્ટ્સ સાથે ગ્રુપ Hમાં બીજા સ્થાને રહ્યું. તેઓ સ્પેનથી પાછળ પરંતુ દિગ્ગજ ઉરુગ્વે કરતાં 1 પોઇન્ટ આગળ રહ્યા.
ઐતિહાસિક રેકોર્ડ: વર્ષ 2002માં સેનેગલના પ્રદર્શન બાદ કેપ વર્ડે વિશ્વનો એવો પ્રથમ દેશ બન્યો છે, જે પોતાના ડેબ્યૂ વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજ દરમિયાન એક પણ મેચ હાર્યા વગર નોકઆઉટમાં પહોંચ્યો હોય.
ચાંદની ચોક કરતાં પણ ઓછી વસ્તી, મોટા દેશોને આપી માત
કેપ વર્ડેની કુલ વસ્તી આશરે 5,25,000 છે, જે દિલ્હીના પ્રખ્યાત વિસ્તાર ચાંદની ચોકની વસ્તી કરતાં પણ ઓછી છે. વસ્તીની દ્રષ્ટિએ કુરાકાઓ અને આઇસલેન્ડ જેવા નાના દેશો પણ વર્લ્ડ કપ રમ્યા છે, પરંતુ તેઓ ગ્રુપ સ્ટેજથી આગળ વધી શક્યા નહોતા. કેપ વર્ડે આ તમામથી આગળ નીકળીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

સાઉદી અરેબિયા સામેની નિર્ણાયક મેચમાં કેપ વર્ડેના 40 વર્ષીય અનુભવી ગોલકીપર વોઝિન્હા ગોલપોસ્ટ સામે દીવાલ બનીને ઉભા રહ્યા હતા. તેમણે મેચ દરમિયાન અદભુત સેવ કર્યા:

66મી મિનિટે હવામાં અદભુત ડાઇવ લગાવીને મોહમ્મદ અબુ અલ-શમતનો આકરો શોટ નિષ્ફળ બનાવ્યો.
92મી મિનિટે અબ્દુલ્લા અલ-હમદાનના ગોલ કરવાના પ્રયાસને નાકામ કરી મેચ ડ્રો રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

કેપ વર્ડેની ટીમ હવે 3 જુલાઈના રોજ મિયામી ગાર્ડન્સ ખાતે રમાનારા રાઉન્ડ ઓફ 32ના મુકાબલામાં વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિના સામે મેદાને ઉતરશે. આ નાનકડા દેશ માટે લિઓનલ મેસીની ટીમ સામે રમવું એ પોતે જ એક ઐતિહાસિક ક્ષણ હશે.

June 28, 2026
image-21.png
1min45

ભારતમાં જૂન 2026નો મહિનો છેલ્લા 146 વર્ષનો સૌથી સૂકો મહિનો સાબિત થયો છે. 4 જૂને કેરળમાં ચોમાસાનું આગમન થયું, પરંતુ 15 જૂન પછી તેની પ્રગતિ અટકી ગઈ. દેશમાં 40% અને મધ્ય ભારતમાં 60% વરસાદની અછત નોંધાઈ. નબળું MJO, કમજોર સોમાલી જેટ, રણની ગરમ હવા, ન્યુટ્રલ IOD અને બંગાળની ખાડીમાં લો-પ્રેશરનો અભાવ આ પાંચ પરિબળો જવાબદાર છે. ‘અલ નીનો’ની અસર જુલાઈ-સપ્ટેમ્બરમાં વધુ જોવા મળશે.

ભારતમાં ચોમાસાનું આગમન સમયસર થયું હોવા છતાં દેશનો એક બહુ મોટો ભાગ હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યો છે. જૂન 2026નો મહિનો ભારતીય હવામાન ઇતિહાસમાં વિતેલા 146 વર્ષના સૌથી સૂકા મહિનાઓમાંથી એક સાબિત થયો છે.

કેરળમાં 4 જૂને સમયસર એન્ટ્રી કર્યા બાદ ચોમાસું દક્ષિણ, પૂર્વ અને પૂર્વોત્તરના મોટાભાગના વિસ્તારોમાં ફેલાયું હતું, પરંતુ 15 જૂન પછી તે અચાનક અટકી ગયું હતું. આશરે બે અઠવાડિયા સુધી મોનસૂનની પ્રગતિ અટકી જતાં દેશમાં 40 ટકાથી વધુ અને મધ્ય ભારતમાં 60 ટકા જેટલી વરસાદની ભારે અછત નોંધાઈ છે. 23 જૂન પછી મુંબઈ સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ પાછો ફર્યો છે, પરંતુ જૂનની આ ખાધ પુરાવવામાં હજુ સમય લાગશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે કોઈ એક નહીં પરંતુ પાંચ અલગ-અલગ સિસ્ટમ એકસાથે વરસાદની વિરુદ્ધ કામ કરી રહી હતી:

નબળું MJO (મેડન જુલિયન ઓસિલેશન): વૈશ્વિક સ્તરે વાદળો અને વાવાઝોડાની આ મોટી લહેર દર 30 થી 60દિવસે પૃથ્વીનું ચક્કર લગાવે છે. તે જૂન મહિનામાં હિંદ મહાસાગર પરથી આગળ વધી જતાં ભારતમાં વરસાદની ગતિ પણ ઘટી ગઈ.

કમજોર સોમાલી જેટ (Somali Jet): આ પવનો આફ્રિકાથી અરબ સાગર થઈને ભારત તરફ ભેજ લાવે છે, જે આ વર્ષે અત્યંત નબળા રહ્યા છે.

રણ પ્રદેશની ગરમ-સૂકી હવા: ઉત્તર-પશ્ચિમ ભારત અને પશ્ચિમ એશિયાના રણમાંથી આવેલી સૂકી હવાએ મધ્ય ભારત પર એક ‘ઢાંકણ’ જેવી સ્થિતિ સર્જી, જેથી વાદળો હોવા છતાં વરસાદ ન પડ્યો.

ન્યુટ્રલ ઇન્ડિયન ઓશન ડાઇપોલ (IOD): હિંદ મહાસાગરના બે ભાગોના તાપમાનનો આ તફાવત આ વખતે તટસ્થ (Neutral) રહ્યો, જેથી ચોમાસાને પૂરતી મદદ ન મળી.

બંગાળની ખાડીમાં લો-પ્રેશરનો અભાવ: બંગાળની ખાડીમાં ઓછું દબાણ ધરાવતી મજબૂત સિસ્ટમ ન બનવાને કારણે વાદળો દેશના આંતરિક ભાગો તરફ ખેંચાઈ શક્યા નહીં.

અમેરિકન એજન્સી NOAA દ્વારા જૂનના બીજા અઠવાડિયામાં જ ‘અલ નીનો’ (El Nino) ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના મતે જૂનની અછતમાં તેની અસર ઓછી હતી, પરંતુ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં તેનો મોટો ખતરો જોવા મળી શકે છે.

હવામાન વિભાગનો અંદાજ છે કે આ વર્ષે દેશમાં કુલ વરસાદ સામાન્ય કરતાં ઓછો એટલે કે અંદાજે 90 ટકા જેટલો જ રહેશે. આ સાથે જ ગ્લોબલ વોર્મિંગના કારણે વૈજ્ઞાનિકોની ચિંતા એ પણ વધી છે કે, ગરમ હવા વધુ પાણી સંગ્રહી શકે છે, જેના લીધે લાંબા સૂકા ગાળા પછી અચાનક અત્યંત ભારે વરસાદ (Flash Floods) આવવાનું જોખમ પણ વધી જાય છે.

June 27, 2026
WhatsApp-Image-2026-06-27-at-17.54.05.jpeg
2min104

૩ દિવસમાં ૩૫,૦૦૦ વિઝિટર્સે લીધી મુલાકાત

દેશની ૧૫ થી વધુ મુખ્ય કાપડ મંડીઓ અને કોર્પોરેટ હાઉસીસના ૨,૫૦૦ થી વધુ જેન્યુન બાયર્સે પ્રદર્શનની લીધી મુલાકાત: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા

લેટેસ્ટ વિસ્કોસ પોઝિશન પ્રિન્ટ, સાલસા પ્લેન-બુટી, નાયલોન અને વોટરજેટના હોમ ફર્નિશિંગ ફેબ્રિક્સની બજારમાં ભારે ડિમાન્ડ

ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ દ્વારા ડેનિમ ફેબ્રિક્સની વ્યાપક પૂછપરછ, ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવામાં ચેમ્બર સફળ

સુરત, ૨૮ જૂન ૨૦૨૬ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા તા. ૨૬ થી ૨૮ જૂન ૨૦૨૬ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે યોજાયેલા ત્રણ દિવસીય ‘ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬’ નું આજે રવિવારે ભવ્ય સમાપન થયું હતું. આ પ્રદર્શનમાં ભાગ લેનારા એક્ઝિબિટર્સને સુરત શહેરની સાથે જ સમગ્ર દેશ અને વિદેશમાંથી આવેલા જેન્યુન બાયર્સ તરફથી અભૂતપૂર્વ અને જબરજસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે.

દેશના અગ્રણી કોર્પોરેટ હાઉસીસ અને ખરીદદારો એક જ મંચ પર: પ્રમુખ અશોક જીરાવાલા
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ એક્ષ્પોની સફળતા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, “આ પ્રદર્શનનો મુખ્ય હેતુ ભારત અને વિદેશના ફેબ્રિક ઉત્પાદકો, ટેક્સટાઇલ ઉદ્યોગકારો, ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ, ફેશન ડિઝાઇનર્સ, નિકાસકારો અને હોલસેલર્સને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો હતો, જેમાં ચેમ્બરને મોટી સફળતા મળી છે. ભારતની મુખ્ય કાપડ મંડીઓ જેવી કે જયપુર, જોધપુર, ઇરોડ, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઈ, મુંબઈ અને દિલ્હીથી ફેબ્રિક્સના મોટા ગજાના જેન્યુન બાયર્સ તેમજ દેશના અગ્રણી કોર્પોરેટ હાઉસીસના પર્ચેઝ મેનેજરોએ આ પ્રદર્શનની ખાસ મુલાકાત લીધી હતી.”

તેમણે ઉમેર્યું કે, પ્રદર્શનના શરૂઆતના બે દિવસ દરમિયાન ૨૦,૦૦૦ વિઝીટર્સે મુલાકાત લીધી હતી, જ્યારે આજે રવિવારની રજાના દિવસે વધુ ૧૫,૦૦૦ લોકો ઉમટી પડ્યા હતા. આમ, ત્રણ દિવસમાં કુલ ૩૫,૦૦૦ જેટલા વિઝીટર્સ અને ૨,૫૦૦ થી વધુ અલગ-અલગ શહેરોના જેન્યુન બાયર્સે આ એક્ઝિબિશન નિહાળ્યું હતું.

વિસ્કોસ, સાલસા અને હોમ ફર્નિશિંગ ફેબ્રિક્સની ધૂમ ડિમાન્ડ

ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬ના ચેરમેન ડૉ. હરેશ પટેલે વ્યાપારી ટ્રેન્ડ્સ અંગે જણાવ્યું કે, બહારથી આવેલા મોટા ગજાના બાયર્સમાં લેટેસ્ટ ટેક્નોલોજી આધારિત વિસ્કોસ ફેબ્રિક ઉપર પોઝિશન પ્રિન્ટ, એરજેટ મશીન પર બનેલા સાલસા પ્લેન અને સાલસા બુટીના ફેબ્રિક્સમાં ભારે આકર્ષણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત નાયલોન ફેબ્રિક અને ટોપ ડાયડ સાડીઓની જેમ જ વોટરજેટ લૂમ્સ પર તૈયાર થયેલા હોમ ફર્નિશિંગના પ્લેન ફેબ્રિક તથા ડોબી ફેબ્રિકની પણ બજારમાં ખૂબ ડિમાન્ડ રહી હતી.

પ્રદર્શનમાં વોટરજેટના વેલ્યુ એડિશન ફેબ્રિક્સ અને ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ દ્વારા ડેનિમ ફેબ્રિક્સની વ્યાપક પૂછપરછ અને ઓર્ડર્સ જોવા મળ્યા હતા. બાયર્સ તરફથી મળેલા આ શાનદાર પ્રતિસાદને કારણે પ્રદર્શનમાં ભાગ લેનારા એક્ઝિબિટર્સને આશરે રૂપિયા ૬૦૦ કરોડથી વધુનો સ્પોટ અને પ્રોસ્પેક્ટિવ બિઝનેસ મળ્યો છે, જે સુરતના કાપડ ઉદ્યોગ માટે આગામી દિવસોમાં ખૂબ જ આશાસ્પદ સાબિત થશે.

Dated 27 June 2026

SGCCIના ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોને મળ્યો જબ્બર રિસ્પોન્સ, 2 દિવસમાં 20 હજાર ખરીદારોની વિઝીટ

નામને સાર્થક કરતા ૧,૦૦૦ થી વધુ અન્ય શહેરના બાયર્સ અને ઘાનાથી તેમજ નેધરલેન્ડથી આવેલ જેન્યુન બાયર્સે એક્ઝિબિશનની મુલાકાત લીધીઃ ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલા

સુરતઃ ધી સધર્નગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ૨૬ થી ૨૮ જુન ૨૦૨૬ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ‘ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬’ ને બાયર્સનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, ‘ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬’ નામને સાર્થક કરતા આ એક્ઝિબિશનમાં બે દિવસ દરમિયાન કુલ ૨૦,૦૦૦ વિઝીટર્સે મુલાકાત લીધી, જેમાં ૧,૦૦૦ થી વધુ અન્ય શહેરમાંથી આવેલ બાયર્સ અને ઘાનાથી તેમજ નેધરલેન્ડથી આવેલ જેન્યુન બાયર્સેનો સમાવેશ થાય છે. આ એક્ઝિબિશન યાર્નમાંથી કાપડ બનાવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ, નીટર્સ, ટેક્નિકલ ટેક્ષ્ટાઈલ્સ, વેલ્વેટ અને પાઈલ ફેબ્રિક ઉત્પાદકો તેમજ ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

આ એક્ષ્પોમાં હોસ્પિટલ કર્ટેન્સ, શાવર કર્ટેન્સ, ડ્રેપરીઝ બ્લેક–આઉટ અને વ્હાઇટ–આઉટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર પોલિએસ્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર બેડશીટ્‌સ, કમ્ફર્ટર ફેબ્રિક,માઇક્રો ફાઇબર ડ્‌યુવેટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્‌યુવેટ્‌સ અને ડ્‌યુવેટ કવર્સ, પીલો કવર્સ, માઇક્રો ફાઇબર બેડસ્પ્રેડ, પ્લેટેડ માઇક્રો ફાઇબર બેડસ્કટ્‌ર્સ, ડિજીટલ પ્રિન્ટેડ બ્લેક આઉટ ફેબ્રિક અને અલ્ટ્રાસોનિક બ્લેકઆઉટ ફેબ્રિકનું પ્રદર્શન કરવામાં આવી રહી છે. આ બધી પ્રોડક્ટ સુરતમાં ઇન્ટીગ્રેટેડ અથવા કમ્પોઝીટ યુનિટ એટલે કે વિવિંગ, નીટિંગ અને સ્ટીચિંગની સુવિધા ધરાવનારા ઉદ્યોગકારો દ્વારા બનાવવામાં આવે છે.

ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોમાં લેટેસ્ટ ટેક્નોલોજીનું વિસ્કોસ ફેબ્રિક પર પોઝિશન પ્રિન્ટ, એરજેટ ઉપર સાલસા પ્લેન અને સાલસા બુટીનું ફેબ્રિક પ્રદર્શનને નિહાળવા લોકો આવી રહ્યા છે. આ ઉપરાંત, લક્ઝરી, કમ્ફર્ટ અને ટ્રેન્ડી ફેશનનું અનોખું સંયોજન પશ્મિના બોમ્બર જેકેટ ફેબ્રિક, લૂમ પર સીધું એમ્બ્રોઈડરી ઈફેક્ટ આપતું પ્રીમિયમ અને હાઈ-વેલ્યુ લપેટ એમ્બ્રોઈડરીડ ફેબ્રિક (Lappet Embroidered Fabric), ટેક્ષ્ટાઈલ વેસ્ટમાંથી તૈયાર થયેલું ઈકો-ફ્રેન્ડલી રિસાયકલ કોટન ફેબ્રિક જોવા મળી રહ્યું છે.

અગ્રણી ટેક્સ્ટાઈલ ગૃહો અને ડિઝાઇનરો પરંપરાગત-એથનિક અને ફેશન વસ્ત્રોના જીવંત કલેક્શન રજૂ કરી રહ્યા છે. પરંપરાગત સાડીઓથી માંડીને અત્યાધુનિક ફ્યુઝન વસ્ત્રો સુધી, આ પ્રદર્શન સ્થાનિક તેમજ નિકાસ બજારોને આકર્ષતા ઉત્પાદનોની વિવિધ શ્રેણી રજૂ કરે છે.

June 27, 2026
image-20.png
1min51

26/06/26 ડબ્લિનમાં રમાયેલી T20 મેચમાં આયર્લેન્ડે ભારતને 34 રને હરાવી પ્રથમવાર ઐતિહાસિક વિજય મેળવ્યો. આયર્લેન્ડે ટકરના 50 અને ડેલાનીના 49 રનથી 182 રન બનાવ્યા, જેની સામે હર્ષિત રાણાએ 3 વિકેટ ઝડપી. ભારતીય ટીમ અભિષેકના 49 રન છતાં 148 રનમાં ઓલઆઉટ થઈ, મેટ હોલાર્ડે 3 વિકેટ લીધી હતી.

IND vs IRE T20 Match Record : ડબ્લિનમાં રમાયેલી ટી-20 મેચમાં ભારતનો આયર્લેન્ડ સામે પહેલીવાર પરાજય થયો છે. આયર્લેન્ડે ટીમ ઈન્ડિયાને 34 રને હાર આપી શાનદાર જીત મેળવી છે. પહેલા બેટિંગ કરતાં આયર્લેન્ડે લોર્કન ટકરની અડધી સદી (50 રન) અને ગેરેથ ડેલાનીની આક્રમક ઇનિંગ (49 રન) ના સહારે 20 ઓવરમાં 9 વિકેટે 182 રન બનાવ્યા હતા, જેની સામે ભારત તરફથી હર્ષિત રાણાએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારત તરફથી અભિષેક શર્માએ 49 રનની તોફાની ઇનિંગ રમી હોવા છતાં, મેટ હોલાર્ડની 3 વિકેટની ઘાતક બોલિંગ સામે ભારતની ટીમ 18.5 ઓવરમાં 148 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને લક્ષ્ય સુધી પહોંચી શકી નહોતી.

આયર્લેન્ડ તરફથી કેપ્ટન લોર્કન ટકરે 36 બોલમાં 5 ફોર અને 2 સિક્સરની મદદથી 50 રનની અડધી સદી ફટકારી હતી. ગેરેથ ડેલાનીએ 32 બોલમાં 3 ફોર અને 3 સિક્સરની મદદથી 49 રનની આક્રમક ઇનિંગ રમી હતી. જ્યોર્જ ડોકરેલે 10 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 19 રન બનાવ્યા હતા. ટિમ ટેક્ટરે 12 બોલમાં 2 ફોર અને 1 સિક્સરની મદદથી 17 રન નોંધાવ્યા હતા. બેન કેલિટ્ઝે 11 બોલમાં 2 સિક્સરની મદદથી 15 રન કર્યા હતા, જ્યારે રોસ અડેરે 7 બોલમાં 2 ફોર સાથે 12 રન બનાવ્યા હતા. લિયમ મેકકાર્થીએ 5 બોલમાં 1 ફોર સાથે 7 રન નોંધાવ્યા હતા.

ભારત તરફથી હર્ષિત રાણાએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 24 રન આપીને 3 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહે 4 ઓવરમાં 28 રન આપી 2 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે 4 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ મેળવી હતી, જ્યારે શિવમ દુબેએ 3 ઓવરમાં 18 રન આપી 1 વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 ઓવરમાં 57 રન આપ્યા છતાં તેને કોઈ વિકેટ મળી નહોતી. વોશિંગ્ટન સુંદરને 1 ઓવરમાં 19 રન પડ્યા હતા અને તે પણ વિકેટ મેળવી શક્યો નહોતો.

ભારત તરફથી અભિષેક શર્માએ સૌથી વધુ 49 રન બનાવ્યા હતા. તેણે માત્ર 20 બોલમાં 7 ફોર અને 2 સિક્સરની મદદથી આક્રમક ઇનિંગ રમી હતી. શિવમ દુબેએ 14 બોલમાં 1 ફોર અને 2 સિક્સરની મદદથી 25 રન નોંધાવ્યા હતા. તિલક વર્માએ 21 બોલમાં 3 ફોર સાથે 19 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે 16 બોલમાં 1 ફોર સાથે 15 રન કર્યા હતા. વોશિંગ્ટન સુંદર 12 બોલમાં 9 રન, હર્ષિત રાણા 9 બોલમાં 1 સિક્સર સાથે 8 રન અને સંજુ સેમસને 4 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવ્યા હતા. અર્શદીપ સિંહ 2 અને પ્રસિદ્ધ કૃષ્ણા 1 રન સાથે અણનમ રહ્યા હતા.

આયર્લેન્ડ તરફથી મેટ હોલાર્ડ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. મેથ્યૂ હમ્ફ્રીઝે 3.3 ઓવરમાં 38 રન આપી 2 વિકેટ લીધી હતી, જ્યારે જય મૂન્દ્રાએ 4 ઓવરમાં 25 રન આપી 2 વિકેટ મેળવી હતી. લિયમ મેકકાર્થીએ 3 ઓવરમાં 29 રન આપી 1 વિકેટ ઝડપી હતી. ગેરેથ ડેલાનીએ 1 ઓવરમાં માત્ર 3 રન આપી 1 વિકેટ લીધી હતી. હેરી ટેક્ટરે 3 ઓવરમાં 22 રન આપ્યા હતા, પરંતુ તેને કોઈ વિકેટ મળી નહોતી.

June 26, 2026
image-19.png
2min94

અયોધ્યા સ્થિત રામ મંદિરના ચઢાવામાં કથિત કૌભાંડના મામલે 26/06/26 ગુરુવારે એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ફરિયાદ અને એસઆઈટી (SIT)ની ભલામણ બાદ આ FIR નોંધવામાં આવી છે.

એફઆઈઆરમાં આઠ લોકોને નામજોગ આરોપી બનાવવામાં આવ્યા છે. આ FIR

  • રમાશંકર યાદવ (ટિન્નુ યાદવ),
  • અનુકલ્પ મિશ્રા,
  • અવિનાશ શુક્લા,
  • મનીષ યાદવ,
  • રમાશંકર મિશ્રા,
  • સુભાષ,
  • કરુણેશ અને
  • લવકુશ મિશ્રા વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે.

આ પૈકીના બે મુખ્ય આરોપીઓ લવકુશ મિશ્રા અને અનુકલ્પ મિશ્રાની ધરપકડ કરી લેવામાં આવી છે. અનુકલ્પ મિશ્રા અને લવકુશ મિશ્રા નોટો ગણવાનું કામ કરતા હતા. બીજી તરફ, અવિનાશ ત્રિપાઠી, કરુણેશ પાંડે, સુભાષ ચંદ્ર અને મનીષ યાદવને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

યુપી સરકારના નિર્દેશ પર બીએનએસ (BNS)ની કલમ 306, 316(5), 317(4), 317(5), 61 અને 3(5)ની હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ FIR ચોરી, ચોરીમાં મદદ કરવી, ઉચાપત, છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને સરકારી કર્મચારી અથવા સંસ્થાના કર્મચારી દ્વારા ગુનાહિત કાવતરા હેઠળ વિશ્વાસઘાત કરવાના ગુના હેઠળ દાખલ કરવામાં આવી છે. આ મામલો રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે. શ્રી કૃષ્ણ મોહનની ફરિયાદ પર આ કેસ નોંધવામાં આવ્યો છે. જે લોકો પાસેથી રકમ મળી આવી છે, તે તમામના નામ એફઆઈઆરમાં સામેલ કરાયા છે. એવું પણ માનવામાં આવે છે કે આ મામલે મોટાપાયે ધરપકડો પણ થશે.

આવી સ્થિતિમાં હવે આગળની તપાસ અને સંભવિત કાર્યવાહી પર સૌની નજર મંડરાયેલી છે. આ ઘટનાક્રમ પર વિશ્વ હિન્દુ પરિષદના વડા આલોક કુમારે જણાવ્યું હતું કે, ‘સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા વિવાદ ઊભો કરીને રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આખી દુનિયા બધું જોઈ રહી છે.’

અયોધ્યાના રામ મંદિરના ચઢાવામાં ઉચાપતના આરોપો સાબિત થવા પર આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. આ FIR બીએનએસની કલમ 61, 306, 316 અને 317 હેઠળ ગુનાહિત કાવતરું ઘડવા, ચોરી, વિશ્વાસઘાત અને ચોરીની મિલકત સાથે જોડાયેલા ગંભીર ગુના માટે નોંધવામાં આવી છે. આ કલમોમાં ગુનાની વિગતવાર વિગતો અને તેના હેઠળ મળનારી સજાની જોગવાઈ પણ સ્પષ્ટ છે. BNSની કલમ 61 ગુનાહિત કાવતરા એટલે કે, ક્રિમિનલ કોન્સ્પિરેસી વિશે છે, એટલે કે જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ મળીને કોઈ ગેરકાયદેસર કામ કરે છે, ત્યારે આ કલમ લાગે છે. જો કાવતરા હેઠળ કરવામાં આવેલા ગુનાની સજા મૃત્યુદંડ, આજીવન કેદ અથવા બે વર્ષથી વધુની સખત કેદ હોય, તો કાવતરું ઘડનારને પણ મુખ્ય ગુનેગાર જેટલી જ સજા મળશે, જ્યારે તેનાથી ઓછા ગંભીર ગુનામાં છ મહિના સુધીની કેદ, દંડ અથવા બંને થઈ શકે છે.

આ મામલો પહેલીવાર 7 જૂને રાજકીય ચર્ચાનો વિષય બન્યો હતો. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે, રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવેલા કરોડો રૂપિયાના દાનમાં ગરબડ થઈ છે. અખિલેશ યાદવે કોર્ટને પણ આ મામલાની નોંધ લેવાની માંગ કરી હતી.

June 26, 2026
image-18.png
2min65
  • સરકારે કોમર્શિયલ LPG સપ્લાય પરના તમામ પ્રતિબંધો હટાવ્યા, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ ગ્રાહકોને રાહત

કેન્દ્ર સરકારે ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ LPGનો સપ્લાય પશ્ચિમ એશિયાના સંકટ પૂર્વેના સ્તરે પુનઃસ્થાપિત કર્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયે સેક્ટર-સ્પેસિફિક એલોકેશન કેપ્સ પણ હટાવી દીધા છે. પ્રોપેન અને બ્યુટેન પરના પ્રતિબંધો પણ હળવા કરાયા છે. જોકે, PNG તરફ સ્થળાંતરની ઝુંબેશ ચાલુ રહેશે.

પશ્ચિમ એશિયાના સંકટના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી દેશના ઔદ્યોગિક સેક્ટરમાં જે દબાણ જોવા મળી રહ્યું હતું, તેમાં હવે કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. સરકારે ગુરુવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસના સપ્લાયને કટોકટી પહેલાના સ્તરે પુનઃસ્થાપિત કરી દીધો છે. આ સાથે જ સરકારે અગાઉ લાદવામાં આવેલા તમામ સેક્ટર-સ્પેસિફિક એલોકેશન કેપ્સ પણ હટાવી લીધા છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે કહ્યું છે કે, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ LPG ગ્રાહકોને મોટી રાહત આપતા, સરકારે નોન-ડોમેસ્ટિક પેક્ડ LPGની સપ્લાય પરના તમામ સેક્ટરલ પ્રતિબંધો દૂર કર્યા છે અને પશ્ચિમ એશિયાના સંકટ પહેલા પ્રવર્તતા સ્તરે સપ્લાય પુનઃસ્થાપિત કર્યો છે.

નવા નિર્દેશો અનુસાર, જે મોટા ગ્રાહકો છે, તેમને કટોકટી પૂર્વેના તેમના કુલ વપરાશના 50% જરૂરિયાત જેટલો ગેસ ફાળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કટોકટીની શરૂઆતમાં આ સપ્લાય સંપૂર્ણપણે સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.

માર્ચ મહિનાની શરૂઆતમાં જ્યારે કટોકટી ચરમસીમા પર હતી, ત્યારે સરકારે કોમર્શિયલ LPGના સપ્લાય પર કામચલાઉ પ્રતિબંધો મૂક્યા હતા. ત્યારબાદ સ્થિતિ સુધરતા અલગ-અલગ તબક્કામાં સપ્લાય વધારીને 70% સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પાઇપ્ડ નેચરલ ગેસ તરફ ઝડપથી વળવા માટે 10%ની શરતી ફાળવણી પણ સામેલ હતી.

સરકારે માત્ર LPG સપ્લાય જ નથી વધાર્યો, પરંતુ અન્ય ઔદ્યોગિક કેમિકલ્સના નિયમોમાં પણ ઢીલ આપી છે. અગાઉ સરકારે આદેશ આપ્યો હતો કે પ્રોપેન અને બ્યુટેનનો ઉપયોગ માત્ર સ્થાનિક LPGના ઉત્પાદન માટે જ કરવો. હવે આ કડક આદેશને પણ હળવો કરવામાં આવ્યો છે.ભવિષ્યમાં સપ્લાયનું યોગ્ય સંચાલન થઈ શકે તે માટે પેટ્રોલિયમ મંત્રાલયે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ ગ્રાહકોનો ડેટા સતત મેઇન્ટેન રાખવા માટે પણ સૂચના આપી છે.

  • કોમર્શિયલ પેક્ડ LPG > 100% સપ્લાય પુનઃસ્થાપિત (પ્રી-ક્રાઈસિસ લેવલ)
  • બલ્ક LPG કન્ઝ્યુમર્સ > પ્રી-ક્રાઈસિસ વપરાશના 50% સપ્લાયની ફાળવણી
  • નવા PNG કનેક્શન્સ (માર્ચથી અત્યાર સુધી) > 10,00,000થી વધુ કનેક્શન્સ અપાયા
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી (ભવિષ્યના કનેક્શન્સ) > 3,22,000 વધારાના કનેક્શન્સ માટે લાઈનો તૈયાર
  • મે 2026 માં કુલ LPG વપરાશમાં ઘટાડો > 19% નો ઘટાડો (પ્રોવિઝનલ સરકારી ડેટા મુજબ)

સરકારે ભલે LPG સપ્લાય સામાન્ય કરી દીધો હોય, પરંતુ દેશમાં પાઇપ્ડ નેચરલ ગેસનો વ્યાપ વધારવાનો તેનો સંકલ્પ યથાવત છે. કટોકટી સમયે LPG પરનું દબાણ ઘટાડવા માટે જે ગ્રાહકોને PNG પર શિફ્ટ કરવામાં આવ્યા હતા, તેઓ આગામી સમયમાં પણ PNG પર જ રહેશે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, જે કોમર્શિયલ અને બલ્ક ગ્રાહકો પાસે PNG નેટવર્કની સુવિધા ઉપલબ્ધ છે, અથવા જેઓ શિફ્ટ થવાની પ્રક્રિયામાં છે, તેમને સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન સંસ્થાઓના સંકલન સાથે ક્રમશઃ PNG તરફ વાળવામાં આવશે.

June 23, 2026
image-14.png
1min103

નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત વર્ષો જૂના કેસમાં આજે(23મી જૂન) રાજપીપળા સેશન્સ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટી(AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને આ કેસમાં દોષિત જાહેર કર્યા છે. કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારી છે.

આ સમગ્ર વિવાદ નવેમ્બર 2023માં નોંધાયેલી એક સત્તાવાર પોલીસ ફરિયાદ સાથે જોડાયેલો છે. આ ફરિયાદ મુજબ, ધારાસભ્ય ચૈતર વસાવા પર આક્ષેપ હતો કે તેમણે વન વિભાગના કર્મચારીઓને વાતચીત કરવા ઘરે બોલાવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે મારામારી કરી હતી. એટલું જ નહીં, તેઓને સરકારી ફરજ કરતાં અટકાવીને, હવામાં ફાયરિંગ કરીને, તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બન્યા બાદ ચૈતર વસાવા લાંબા સમય સુધી ફરાર રહ્યા હતા અને ઘટનાના 1 મહિના અને 9 દિવસ બાદ તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. આ કેસમાં લાંબી કાયદેસરની કાર્યવાહી અને ટ્રાયલ બાદ કોર્ટે આ ચુકાદો આપ્યો છે.

આ મામલે માહિતી આપતા ઇન્ચાર્જ સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે, ‘આ કેસ વર્ષ 2023માં ફોરેસ્ટ ઑફિસર પર થયેલા હુમલા અંગેની છે. જેમાં ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓ સામેલ છે. આજે કોર્ટે તમામ આરોપીઓને દોષિત જાહેર કરી સજા ફટકારવાનો આદેશ કર્યો છે.’

સરકારી વકીલના જણાવ્યાઅનુસાર, આ કેસ વર્ષ 2023 નો છે. દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગ (ફોરેસ્ટ) ની સરકારી જમીન પર વન કર્મચારીઓએ ગેરકાયદે થયેલું વાવેતર દૂર કર્યું હતું. આ બાબતની અદાવત રાખીને ધારાસભ્ય ચૈતર વસાવાએ વન કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા. ત્યાં તેમને ધાક-ધમકી આપી, ધોલ-ધપાટ કરી અને પોતાની બંદૂક વડે હવામાં ગોળીબાર કરીને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. આટલું જ નહીં, તેના બીજા દિવસે ધારાસભ્યના પીએ (PA) અને અન્ય ઇસમોએ વન કર્મચારીઓ પાસે બે વ્યક્તિઓને આપવાના બહાને 60,000 રૂપિયાની ખંડણી માંગી હતી.

આ કેસમાં કાયદાકીય રીતે આરોપીઓને ભીંસમાં લેવા માટે સરકારી પક્ષે મજબૂત પુરાવા રજૂ કર્યા હતા. ભોગ બનનાર કર્મચારીએ ખંડણી આપવા માટે ડેડિયાપાડા નજીકના એટીએમ (ATM) માંથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જતાં સ્લીપ નીકળી હતી. ત્યારબાદ કર્મચારીએ પોતાના ઉપરી અધિકારીને ફોન કરતાં અધિકારીએ ઓનલાઇન ₹30-30 હજાર ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં આ રકમ જે વ્યક્તિની જમીન પર ગેરકાયદેસર વાવેતર હતું ત્યાંથી જ મળી આવી હતી. કોર્ટે આ આખી કડી કમ્પ્લીટ હોવાનું નોંધીને તમામ પુરાવા ગ્રાહ્ય રાખ્યા હતા.

અદાલતના હુકમ બાદ તમામ 5 પુરુષ આરોપીઓ અને 4 મહિલા આરોપીઓ (જેમાં એક ગર્ભવતી મહિલા અને એક નવજાત બાળકની માતા પણ સામેલ છે) ને રાજપીપળા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. નવજાત બાળકની માતાએ બાળકને સાથે રાખવાની મંજૂરી માંગી છે.

ભારતીય બંધારણ અને લોકપ્રતિનિધિત્વ અધિનિયમના નિયમો અનુસાર, જો દેશના કોઈ પણ સાંસદ અથવા ધારાસભ્યને અદાલત દ્વારા 2 વર્ષ કે તેથી વધુની જેલની સજા ફટકારવામાં આવે, તો તેમનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ થઈ જાય છે. રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાને પૂરા 7 વર્ષની સજા સંભળાવી હોવાથી, કાયદાકીય રીતે તેમનું ધારાસભ્ય પદ હવે રદ થવાના આરે છે. હવે વસાવા પાસે હાઇકોર્ટમાંથી આ સજા પર સ્ટે મેળવવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

June 22, 2026
cia_edu-1280x925.jpg
2min143
  • IIIT સુરતે નવા અભ્યાસક્રમોની જાહેરાત કરી, પ્રવેશ ક્ષમતામાં વધારો કર્યો તથા સંશોધન, નવીનતા, સ્ટાર્ટઅપ્સ અને વૈશ્વિક સહયોગને વધુ ગતિ મળશે
  • AI, સેમિકન્ડક્ટર, ડિફેન્સ અને સ્પેસ ક્ષેત્રમાં ભારતની વધતી પ્રતિભાની માંગને અનુરૂપ નવા અભ્યાસક્રમોનો શૈક્ષણિક વર્ષ 2026-27થી પ્રારંભ થશે

ભારતીય માહિતી પ્રૌદ્યોગિકી સંસ્થા (IIIT) સુરત, જે રાષ્ટ્રીય મહત્વની સંસ્થા (Institute of National Importance) છે, એ શૈક્ષણિક વર્ષ 2026-27 થી બે નવા શૈક્ષણિક અભ્યાસક્રમો શરૂ કરવાની જાહેરાત કરી છે. સંસ્થા બી.ટેક. (ગણિત અને કમ્પ્યુટિંગ) તથા એમ.ટેક. (ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન એન્જિનિયરિંગ)માં ડિફેન્સ અને સ્પેસ ઇલેક્ટ્રોનિક્સ વિશેષતા સાથે નવા અભ્યાસક્રમો શરૂ કરશે.

નવા અભ્યાસક્રમોની શરૂઆત અંગે IIIT સુરતના નિયામક ડૉ. રાજીવ શૌરીએ જણાવ્યું હતું કે, “બી.ટેક. ગણિત અને કમ્પ્યુટિંગ તથા એમ.ટેક. ડિફેન્સ અને સ્પેસ ઇલેક્ટ્રોનિક્સ અભ્યાસક્રમોની શરૂઆત, ભવિષ્યની ટેકનોલોજીકલ માંગને ધ્યાનમાં રાખી અને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે સુસંગત શૈક્ષણિક અભ્યાસક્રમો વિકસાવવાની IIIT સુરતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ અભ્યાસક્રમો વિદ્યાર્થીઓને મજબૂત સિદ્ધાંત આધાર અને વ્યવહારુ કૌશલ્ય પ્રદાન કરવા માટે રચવામાં આવ્યા છે, જે ભારતના ટેકનોલોજીકલ અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”

IIIT સુરતના બોર્ડ ઓફ ગવર્નર્સ (BoG)ના સભ્ય શ્રીમતી આશા દવેએ જણાવ્યું હતું કે, “IIIT સુરતે નવીન શૈક્ષણિક અભ્યાસક્રમો અને મજબૂત રાષ્ટ્રીય તથા વૈશ્વિક સહયોગો દ્વારા ઉદ્યોગ અને સમાજની ઊભરતી જરૂરિયાતોને સતત પ્રતિસાદ આપ્યો છે. આ નવા અભ્યાસક્રમોની શરૂઆતથી અદ્યતન કમ્પ્યુટિંગ, સંરક્ષણ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર અને અવકાશ પ્રણાલીઓ જેવા રાષ્ટ્રીય વ્યૂહાત્મક ક્ષેત્રો માટે ઉચ્ચ કૌશલ્ય ધરાવતી માનવશક્તિ તૈયાર કરવામાં સંસ્થાનું યોગદાન વધુ મજબૂત બનશે. આ સ્થાનિક ઉદ્યોગ અને નવીનતા ઇકોસિસ્ટમ માટે પણ વિશાળ તકો ઊભી કરશે.“

આ નવા અભ્યાસક્રમો સાથે IIIT સુરતના B.Tech. અભ્યાસક્રમોની કુલ સંખ્યા પાંચ થશે, જેમાં Computer Science and Engineering (CSE), Computer Science and Engineering (Artificial Intelligence & Machine Learning), Computer Science and Engineering (Cyber Security), Electronics and Communication Engineering (ECE) તથા Mathematics & Computing નો સમાવેશ થાય છે. સંસ્થા ત્રણ M.Tech. અભ્યાસક્રમો પણ શરૂ કરશે, જેમાં Computer Science and Engineering (Data Science & AI-ML), Electronics and Communication Engineering (VLSI) તથા Electronics and Communication Engineering (Defence & Space Electronics) નો સમાવેશ થાય છે.

આ નવા સોપાનોને ટેકો આપવા માટે IIIT સુરતે પોતાની શૈક્ષણિક ક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે. બી.ટેક. કાર્યક્રમોમાં પ્રવેશ ક્ષમતા 280 થી વધારીને 384 બેઠકો કરવામાં આવી છે, જ્યારે એમ.ટેક. કાર્યક્રમોમાં પ્રવેશ ક્ષમતા 40 થી વધારીને 60 બેઠકો કરવામાં આવી છે. સંસ્થા તેના પીએચ.ડી. કાર્યક્રમો અને આંતરવિષયક સંશોધનના પ્રારંભ દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા, સાયબર સિક્યોરિટી, VLSI ડિઝાઇન, રોબોટિક્સ, કમ્યુનિકેશન સિસ્ટમ્સ અને સ્પેસ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સંશોધન અને નવીનતાને સતત પ્રોત્સાહન આપી રહી છે.
IIIT સુરત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રણી ઉદ્યોગો તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથેના મજબૂત સહયોગો દ્વારા ટેકનોલોજીકલ શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી રહ્યું છે.

સંસ્થાએ Advanced Micro Devices (AMD), USA; MediaTek, Taiwan; Bosch;
ISRO Space Applications Centre (SAC); તેમજ ભારત અને વિદેશના અનેક સ્ટાર્ટઅપ્સ સાથે સમજુતી કરારો (MoU) કર્યા છે. ઉપરાંત, સંસ્થાએ IIT Gandhinagar, IIIT Bangalore, IITMO University (Russia),Singapore Management University (Singapore), University of Siena (Italy) અને Deakin University, (Australia) જેવી અગ્રણી સંસ્થાઓ સાથે શૈક્ષણિક સહયોગ સ્થાપ્યો છે.

35 નિયમિત ફેકલ્ટી સભ્યો અને 13 Professors of Practice તથા Adjunct Faculty સાથે સંસ્થાએ જાન્યુઆરીથી જૂન 2026 દરમિયાન 45 કરતાં વધુ સંશોધન પેપરો પ્રકાશિત કર્યા છે અને 2 પેટન્ટ પ્રાપ્ત કર્યા છે. સંસ્થાએ ઉદ્યોગસાહસિકતા માટે પણ સશક્ત માહોલ ઊભો કર્યો છે, જેના પરિણામે તેની સ્થાપના પછીથી વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી દ્વારા પાંચ સ્ટાર્ટઅપ્સ ઇન્ક્યુબેટ કરવામાં આવ્યા છે.

IIIT સુરતે પ્લેસમેન્ટ ક્ષેત્રમાં પણ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન સંસ્થાનો સર્વોચ્ચ વાર્ષિક પગાર પેકેજ ₹54.89 લાખ (LPA) અને સરેરાશ વાર્ષિક પગાર પેકેજ ₹14.85 લાખ (LPA) રહ્યો હતો, જે ગુણવત્તાસભર શિક્ષણ, સંશોધન, નવીનતા અને ઉદ્યોગ-તૈયાર માનવશક્તિ નિર્માણ પ્રત્યેની સંસ્થાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ નવા અભ્યાસક્રમોની શરૂઆત ભવિષ્ય માટે પ્રતિભાઓને તૈયાર કરી અને ભારતની ટેકનોલોજીકલ પ્રગતિમાં યોગદાન આપવાના IIIT સુરતના ધ્યેય તરફનું વધુ એક મહત્વપૂર્ણ પગલું છે.

June 17, 2026
image-10-1280x853.png
1min89

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં જણાવાયું છે કે કફ સિરપ સહિત તમામ પ્રકારની સીરપ હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના મળશે નહીં. આ સીરપ ખરીદવા માટે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી રહેશે. સરકારે ડ્રગ્સ રૂલ્સ, 1945માં એક નવો સુધારો કર્યો છે, જેમાં કફ સિરપ સહિત તમામ સીરપના વેચાણ માટેના નિયમો કડક બનાવવામાં આવ્યા છે. આનો અર્થ એ થયો કે ગ્રાહકોને હવે ફાર્મસીઓમાંથી આવી દવાઓ ખરીદવા માટે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર પડશે..

દવાની ગુણવત્તા અને દર્દીની સલામતીની ચિંતાઓ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશભરમાં ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપ સહિત સીરપના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માટે નિયમોમાં સુધારો કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પગલાનો હેતુ કફ સિરપ સહિત સીરપ આધારિત ફોર્મ્યુલેશનને કડક નિયમનકારી દેખરેખ હેઠળ લાવવાનો છે.

મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે આ ફેરફાર અગાઉ શિડ્યુલ-કેની એન્ટ્રી નંબર 13 હેઠળ 1000થી ઓછી વસ્તી ધરાવતા ગામમાં કફ સિરપના વેચાણની મંજૂરી હતી જેના માટે ચોક્કસ છૂટક વેચાણ લાઇસન્સિંગ સાથે જોડાયેલા કેટલાક નિયમોનું પાલન જરૂરી નહોતું.

ઉક્ત એન્ટ્રીમાંથી “સીરપ” શબ્દને બાદ કરતાં કફ સિરપ માટે આ મુક્તિ હવે ઉપલબ્ધ રહેશે નહીં. પરિણામે નાના ગામડાઓમાં કફ સિરપનું વેચાણ અને વિતરણ હવે ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ, 1940 અને તેના હેઠળ રચાયેલા નિયમોની જોગવાઈઓ અનુસાર યોગ્ય રીતે લાઇસન્સ પ્રાપ્ત ફાર્મસીઓ દ્વારા જ કરવાની રહેશે.”

આ ફેરફાર ડ્રગ્સ (પાંચમા સંશોધન) નિયમ, 2026 દ્વારા સૂચિત કરવામાં આવ્યો છે, જે સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયો છે. ડ્રગ્સ રૂલ્સ, 1945ની શેડ્યૂલ-કે ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ, 1940ની કેટલીક જોગવાઈઓ અને તેના હેઠળ બનાવેલા નિયમોમાંથી દવાઓના ચોક્કસ વર્ગો માટે છૂટ આપે છે. તે દવાઓની શ્રેણીઓનો ઉલ્લેખ કરે છે જે ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ અને નિયમો હેઠળ ઉત્પાદન, વેચાણ અને વિતરણ સંબંધિત ચોક્કસ જોગવાઈઓમાંથી મુક્તિ આપે છે, જે નિર્ધારિત શરતોને આધીન છે.ફિફા વર્લ્ડ કપ

આ પગલું ગયા વર્ષે ડિસેમ્બરમાં સરકાર દ્વારા જાહેર કરાયેલ ડ્રાફ્ટ નોટિફિકેશનને અનુસરે છે જેમાં હિસ્સેદારો પાસેથી વાંધા અને સૂચનો માંગવામાં આવ્યા હતા. આ ફેરફાર સિરપ ફોર્મ્યુલેશનની નિયમનકારી દેખરેખને મજબૂત કરવા અને સમકાલીન જાહેર આરોગ્ય અને સલામતી આવશ્યકતાઓ સાથે મુક્તિ માળખાને સંરેખિત કરવા માટે હાથ ધરવામાં આવ્યો છે. આ પગલાથી દેશભરમાં કફ સિરપના જવાબદાર વિતરણ અને વેચાણને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.”

આ ફેરફાર ત્યારે કરવામાં આવ્યો છે જ્યારે તાજેતરના વર્ષોમાં કેટલાક દેશોમાં સિરપમાં ભેળસેળના કારણે બાળકોના મૃત્યુના અહેવાલો બહાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સુધારાથી ઉત્પાદકો અને વેચાણકર્તાઓ કડક લાઇસન્સિંગ અને ગુણવત્તા-નિયંત્રણ આવશ્યકતાઓનું પાલન કરે છે તેની ખાતરી કરવામાં આવે છે.

June 17, 2026
image-9-1280x720.png
1min121

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે. ઉદ્ધવ ઠાકરે (UBT)ની શિવસેનામાં મોટું ભંગાણ થવા જઇ રહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉદ્ધવના 9માંથી 6 સાંસદ બળવાખોર બનવાના મૂડમાં છે. UBT સાંસદ સંજય રાઉતે મોટો દાવો કર્યો છે. રાઉતે દેવેન્દ્ર ફડણવીસને ટેગ કરીને દાવો કર્યો છે કે ઉદ્ધવ જૂથના સાંસદોને 15-15 કરોડની ઓફર આપવામાં આવી રહી છે. UBTના ઘણાં સાંસદોના ફોન સ્વીચ ઓફ આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 6 થી 7 સાંસદો એકનાથ શિંદે જૂથમાં સામેલ થઇ શકે છે.

અગાઉ શિવસેના (શિંદે) નેતા પ્રતાપ સરનાઇકે સંકેત આપ્યો હતો કે અમારી પાર્ટીમાં બળવાખોર સાંસદો(UBT)નું સ્વાગત કરવામાં આવશે. સરનાઇકના સંકેતોથી ઉદ્ધવ જૂથમાં વિદ્રોહની સંભાવનાને બળ મળ્યું હતું. સંજય રાઉત દિલ્હી પહોંચ્યા ત્યારે જ ઉદ્ધવ જૂથના સાંસદોના પક્ષ પલટાની ચર્ચાઓ શરુ થઇ ગઇ હતી. એવું માનવામાં આવતું હતું કે રાઉત શિવસેનાના બાગી 9 સાંસદો દ્વારા અલગ સમૂહ બનાવવાની સંભાવનાને રોકવા માટે લોકસભા અધ્યક્ષ બિરલા સાથે મુલાકાત કરી શકે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર મોડી રાત્રે કરેલી એક પોસ્ટમાં સંજય રાઉતે કહ્યું, ‘અપના સપના મની… મની! એવા સમાચાર છે કે મહારાષ્ટ્રના સાંસદોને ખરીદવા માટે આજે રાત્રે 15 કરોડ રૂપિયાની એડવાન્સ રકમ આપવામાં આવશે. આ ચોંકાવનારું અને શરમજનક છે!’ આ પહેલા સંજય રાઉત અને તેમની પાર્ટી શિવસેના (UBT) ના સાથી અને લોકસભા સાંસદ અનિલ દેસાઈએ કેટલાક સાંસદો અલગ જૂથ બનાવી શકે છે એ વાતને નકારી કાઢી હતી.

સાંસદો વચ્ચે બળવાની ચર્ચાઓ વચ્ચે શિવસેના નેતા અને રાજ્યના પરિવહન મંત્રી સરનાઇકે સંકેતમાં બળવાખોર સાંસદોને એક પ્રકારે આમંત્રણ આપ્યું. તેમણે કહ્યું, ‘જો સાંસદ અને ધારાસભ્ય જેવા જનપ્રતિનિધિઓને તેમના નેતૃત્વ પર ભરોસો નથી… જો તેઓ શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના આદર્શોમાં વિશ્વાસ રાખે છે અને એકનાથ શિંદેના નેતૃત્વ પર ભરોસો કરવા તૈયાર છે, તો શિવસેનાના દરવાજા તેમના માટે ખુલ્લા છે.’ તેમણે વધુમાં કહ્યું, ‘જો તેઓ ભવિષ્યમાં ક્યારેય એવું વિચારશે, તો અમે તેમને પ્રાધાન્ય આપીશું.’ તેમની આ ટિપ્પણી શિવસેના (UBT) ના સાંસદ સંજય દેશમુખે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને શિવસેના નેતા પ્રતાપરાવ જાધવ સાથે મુલાકાત કર્યાના એક દિવસ પછી આવી છે.

રવિવારે ઉદ્ધવ ઠાકરેના નિવાસ્થાને શિવસેના (UBT)ના 9માંથી માત્ર ચાર સાંસદો જ બેઠકમાં વ્યક્તિગત રીતે હાજર રહ્યા બાદ પક્ષ પલટાની શક્યતાઓને વધુ બળ મળ્યું. સંજય રાઉતે દાવો કર્યો હતો કે બાકીના પાંચ સાંસદો ડિજિટલ માધ્યમથી અને ફોન દ્વારા બેઠકમાં જોડાયા હતા. મંગળવારે સંજય રાઉતે કહ્યું કે ખોટું ચિત્ર રજૂ કરવામાં આવી રહ્યું છે અને ભારપૂર્વક જણાવ્યું કે તમામ સાંસદો મજબૂતાઈથી પાર્ટી અને ઉદ્ધવ ઠાકરેની સાથે છે.