CIA ALERT

Slider Archives - Page 3 of 491 - CIA Live

July 17, 2026
Fostta-Collector.jpg
1min59

વરસાદથી પ્રભાવિત કાપડ વેપારીઓને સહાય, રાહત યોજનાઓ અંગે માર્ગદર્શન અને હેલ્પડેસ્કની સ્થાપના અંગે

ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન્સ (FOSTTA) પ્રતિનિધિમંડળએ આજે શુક્રવારે ​​સુરતના કલેક્ટર તેજસ પરમારને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું. ફોસ્ટાના પ્રતિનિધિમંડળે તાજેતરના વરસાદ અને જલ-ભરાવની સ્થિતિને કારણે નુકસાન પામેલા કાપડ વેપારીઓને રાહત યોજનાના લાભો ઝડપી અને સરળ રીતે મળે તેવું વ્યવસ્થાતંત્ર કાર્યાન્વિત કરવા માટે કલેક્ટરને વિનંતી કરી હતી.
વધુ માહિતી આપતા ફોસ્ટાના પ્રેસિડેન્ટ હંસરાજ જૈન તેમજ મહામંત્રી દિનેશ કટારીયાએ જણાવ્યું હતું કે ગઇ તા.7 અને 8 જુલાઈના રોજ ભારે વરસાદને કારણે શહેરભરની કમસેકમ 30 ટેકસટાઇલ માર્કેટોના બેઝમેન્ટ અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના પરિણામે હજારો કાપડ વેપારીઓને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું હતું. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ રાહત પેકેજ જાહેર કર્યું છે તેને આવકારતા FOSTTAના પ્રતિનિધિમંડળએ વહીવટીતંત્રને રાહત યોજના, જરૂરી દસ્તાવેજોની યાદી અને અરજી પ્રક્રિયા વિશેની રજેરજની માહિતી તાત્કાલિક વેપારીઓ સુધી પહોંચાડવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

FOSTTAના પ્રતિનિધિમંડળએ અસરગ્રસ્ત વેપારીઓને મદદ કરવા અને વહીવટીતંત્ર સાથે અસરકારક રીતે સંકલન કરવા માટે અધિકૃતતાની માંગ કરી, ખાતરી કરી કે રાહત યોજના સંબંધિત માહિતી સમયસર તમામ અસરગ્રસ્ત વેપારીઓ સુધી પહોંચે.

વધુમાં, FOSTTAના પ્રતિનિધિમંડળએ પોતાની ઓફિસમાં ટેક્ષટાઇલ વેપારીઓને રાહત યોજનાની માહિતી મળી શકે તે માટે એક ડેડિકેટેડ હેલ્પડેસ્ક શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. દિનેશ કટારીયાએ જણાવ્યું હતું કે જો કોઈ વેપારીને ઓનલાઈન કે ઓફલાઈન અરજીઓ ભરવામાં, જરૂરી દસ્તાવેજો તૈયાર કરવામાં અથવા પ્રક્રિયાના કોઈપણ ભાગમાં નેવિગેટ કરવામાં મુશ્કેલીઓ નડતી હોય, તો તેઓ સહાય માટે સીધા FOSTTA ઓફિસનો સંપર્ક કરી શકે છે. આ FOSTTA હેલ્પડેસ્ક તમામ અસરગ્રસ્ત વેપારીઓને મફત માર્ગદર્શન અને સહાય પૂરી પાડશે.

FOSTTA એ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જિલ્લા વહીવટીતંત્ર આ વિનંતી પર સકારાત્મક નિર્ણય લેશે અને અસરગ્રસ્ત કાપડ વેપારીઓને નિયત સમયમર્યાદામાં રાહત યોજનાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવામાં સહયોગ કરશે.

July 17, 2026
image-17.png
2min79

જયેશ બ્રહ્મભટ્ટ, શિક્ષણ સર્વદા

NEET UG ક્વોલિફાઇંગ કટઓફ સરખામણી કોષ્ટક (2025 vs 2026)

કેટેગરી (Category)2025 ક્વોલિફાઇંગ કટઓફ2026 ક્વોલિફાઇંગ કટઓફકટઓફમાં થયેલો ચોક્કસ વધારો (માર્ક્સમાં)ક્વોલિફાઇંગ પર્સન્ટાઇલ
સામાન્ય / UR / EWS686 – 144 માર્ક્સ715 – 213 માર્ક્સ+69 માર્ક્સનો વધારો50th Percentile
OBC143 – 113 માર્ક્સ212 – 177 માર્ક્સ+64 માર્ક્સનો વધારો40th Percentile
SC143 – 113 માર્ક્સ212 – 177 માર્ક્સ+64 માર્ક્સનો વધારો40th Percentile
ST143 – 113 માર્ક્સ212 – 177 માર્ક્સ+64 માર્ક્સનો વધારો40th Percentile

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ તા.16મી જુલાઇના રોજ મોડીરાત્રે રી-નીટ યુજી 2026 પરીક્ષાનું પરીણામ ઘોષિત કર્યું હતું. તા.21મી જૂને લેવાયેલી રી-નીટ યુજી પરીક્ષાના પરીણામનું વિશ્લેષણ કરતા જણાય આવે છે કે કટઓફ મેરીટમાં 69 ટકાથી 64 માર્કનો ધરખમ વધારો 2025ની સરખામણીએ આ વર્ષે થયો છે.

ગુજરાતની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાંથી નીટ યુજી 2026 પરીક્ષા આપનારા 68,833માંથી ફક્ત 38,146 ક્વોલિફાઇડ થયા. 30 હજાર જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ નીટ ક્વોલિફાય કરી શક્યા નથી, તેનો અર્થ એ થયો કે ન તો તેઓ વિદેશમાં જઇને એમબીબીએસ કરી શકશે કે ન તો દેશભરમાં ક્યાંયે આયુર્વેદિક કે હોમિયોપેથી સુદ્ધાંમાં પ્રવેશ પામી શકશે.

ફક્ત ક્વોલિફાય કટઓફ જેટલા માર્ક લાવીને વિદેશમાં ખાસ કરીને જ્યોર્જિયા, રશિયા, ચીન, કઝાકિસ્તાન જેવા દેશોમાં એમબીબીએસનો અભ્યાસ કરવાની યોજના ધરાવતા સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરાના સેંકડો વિદ્યાર્થીઓનું સપનું રોળાયું છે અને હવે આ લેવાની ફરજ પડી છે. વિદેશમાં એમબીબીએસ કરવાની યોજના ધરાવનારા અનેક વિદ્યાર્થીઓ અને તેમના પરીવારજનો નીટ યુજી પરીણામની જ રાહ જોઇ રહ્યા હતા. તેમનો પ્લાન નક્કી હતો, ઉંચા માર્ક નહીં પરંતુ, ક્વોલિફાય થવાય તેટલા માર્ક આવે એટલે વિદેશમાં એડમિશન કન્ફર્મ થઇ જાય. આવા સેંકડો વિદ્યા્થીઓનું સપનું રોળાય ગયું છે.

જયેશ બ્રહ્મભટ્ટ – શિક્ષણ સર્વદા 98253 44944
NEET UG 2026નું ક્વોલિફાઇંગ કટઓફ 69 માર્ક્સ જેટલું મોટું ઉછળીને 213 માર્ક્સ (સામાન્ય વર્ગ માટે) પર પહોંચી ગયું છે. મેડિકલ ઇતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. આ આંચકાજનક ફેરફારના કારણે વિદ્યાર્થીઓ અને એડમિશન પ્રક્રિયા પર નીચે મુજબની ગંભીર અસરો પડશે એવું શિક્ષણ સર્વદાના તજજ્ઞોનું તારણ છે:

૧. કાઉન્સિલિંગની રેસમાંથી લાખો વિદ્યાર્થીઓ બહાર
• પાત્રતા ગુમાવી: ગયા વર્ષે (2025) સામાન્ય વર્ગ માટે કટઓફ 144 માર્ક્સ હતું, જે હવે 213 થયું છે.
• મોટો આંચકો: જે વિદ્યાર્થીઓને 145 થી 212 ની વચ્ચે માર્ક્સ આવ્યા છે, તેઓ કાઉન્સિલિંગ પ્રક્રિયામાં ભાગ લેવા માટે પણ અપાત્ર (Disqualified) જાહેર થયા છે.

૨. સરકારી કોલેજો (MBBS/BDS) માટે કટઓફ આકાશ આંબશે
• હરીફાઈમાં ભારે વધારો: ક્વોલિફાઇંગ માર્ક્સ આટલા ઊંચા જવાનો સીધો અર્થ એ છે કે વિદ્યાર્થીઓએ આ વર્ષે ખૂબ જ સારો સ્કોર કર્યો છે.
• નવો સેફ સ્કોર: સરકારી મેડિકલ કોલેજમાં ઓલ ઈન્ડિયા ક્વોટા (AIQ) અથવા સ્ટેટ ક્વોટા દ્વારા MBBS સીટ મેળવવા માટે હવે 540 થી 560+ થી વધુ માર્ક્સ મેળવવા અનિવાર્ય બનશે.

૩. પ્રાઇવેટ અને મેનેજમેન્ટ ક્વોટાની સીટોના ભાવ વધશે
• ડિમાન્ડમાં ઉછાળો: ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓ પૈકી જેમને સરકારીમાં એડમિશન નહીં મળે, તેઓ પ્રાઇવેટ કોલેજો તરફ વળશે.
• સીટો મોંઘી થશે: પ્રાઇવેટ અને ડીમ્ડ યુનિવર્સિટીઓની સીટો માટે ભારે ખેંચતાણ થશે, જેના કારણે મેનેજમેન્ટ ક્વોટાની ફી અથવા કટઓફ ઊંચા જઈ શકે છે.

૪. આયુર્વેદ (BAMS) અને હોમિયોપેથી (BHMS) પર અસર
• વૈકલ્પિક કોર્સમાં મુશ્કેલી: અગાઉ ઓછા માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓ BAMS કે BHMS માં સરળતાથી એડમિશન મેળવી લેતા હતા. હવે 213 થી ઓછા માર્ક્સ વાળા વિદ્યાર્થીઓ આ કોર્સ માટે પણ એડમિશન ફોર્મ ભરી શકશે નહીં.

૫. ‘ડ્રોપ’ લેનારા (Repeaters) વિદ્યાર્થીઓની સંખ્યા વધશે
• ફરીથી તૈયારી: લાખો વિદ્યાર્થીઓ જેઓ માત્ર થોડા માર્ક્સ માટે અપાત્ર ઠર્યા છે અથવા જેમને મનપસંદ કોલેજ નથી મળી રહી, તેઓ આવતા વર્ષ માટે ફરીથી ડ્રોપ લઈને તૈયારી કરવાનું પસંદ કરશે. આનાથી આવતા વર્ષે (2027) સ્પર્ધા હજુ વધુ કડક બનશે.

July 16, 2026
image-15.png
1min66

મર્સિડીઝ-બેન્ઝ સ્ટેડિયમમાં રમાયેલા FIFA વર્લ્ડ કપ 2026ના બીજા સેમિફાઇનલમાં લિયોનેલ મેસીના આર્જેન્ટિનાએ ઇંગ્લેન્ડને 2-1થી હરાવી સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 55મી મિનિટે ઇંગ્લેન્ડના એન્થની ગોર્ડને ગોલ કરી લીડ અપાવી હતી. જોકે, મેસીના કરિશ્માથી 85મી મિનિટે એન્ઝો ફર્નાન્ડીઝે અને ઇન્જરી ટાઇમમાં લાઉતારો માર્ટિનેઝે ગોલ ફટકારી રોમાંચક જીત અપાવી. હવે ફાઇનલમાં આર્જેન્ટિના સ્પેન સામે ટકરાશે.

ફૂટબોલ ઇતિહાસની સૌથી મોટી પ્રતિદ્વંદ્વિત્તામાં આજે એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. મર્સિડીઝ-બેન્ઝ સ્ટેડિયમમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપ 2026ના બીજા સેમિફાઇનલ મુકાબલામાં લિયોનેલ મેસીની આગેવાની હેઠળના આર્જેન્ટિનાએ ઇંગ્લેન્ડને 2-1 થી પરાજય આપી સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. મેચના પ્રથમ હાફમાં બંને ટીમો વચ્ચે ભારે તણાવ જોવા મળ્યો હતો અને ફાઉલના કારણે રમત વારંવાર અટકી હતી, જેના લીધે પ્રથમ હાફ 0-0 ની બરાબરી પર રહ્યો હતો.

બીજા હાફમાં મેચનો રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો હતો. મેચની 55મી મિનિટે ઇંગ્લેન્ડના મોર્ગન રોજર્સના શાનદાર પાસ પર એન્થની ગોર્ડને ગોલ ફટકારીને ઇંગ્લેન્ડને 1-0 ની લીડ અપાવી દીધી હતી. આ ગોલ બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના પર ભારે દબાણ જોવા મળતું હતું અને સમય પસાર થવાની સાથે ઇંગ્લેન્ડની જીત પાકી લાગી રહી હતી.

જ્યારે આર્જેન્ટિનાના ફેન્સ આશા ગુમાવી રહ્યા હતા ત્યારે 39 વર્ષીય લિયોનેલ મેસીએ મેચની કમાન પોતાના હાથમાં લીધી હતી. 85મી મિનિટે મેસીના પાસ પર એન્ઝો ફર્નાન્ડીઝે ગોલ કરીને સ્કોર 1-1 ની બરાબરી પર લાવી દીધો હતો. ત્યારબાદ ઇન્જરી ટાઇમમાં મેસીએ વધુ એક સચોટ પાસ આપ્યો, જેને લાઉતારો માર્ટિનેઝે ગોલમાં ફેરવીને માત્ર 7 મિનિટમાં સ્કોર 2-1 કરી આર્જેન્ટિનાને રોમાંચક જીત અપાવી હતી. હવે ફાઇનલમાં આર્જેન્ટિનાનો સામનો સ્પેન સામે થશે.

July 15, 2026
India-uk-fta.jpg
1min60

CiA Live ન્યુઝ વેબ

ભારત અને યુનાઇટેડ કિંગડમ (યુકે) વચ્ચે અમલમાં આવેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અંતર્ગત સુરતથી હીરા અને ઝવેરાતનો પ્રથમ નિકાસ કન્સાઇનમેન્ટ બુધવારે વિધિવત રીતે રવાના કરવામાં આવ્યો હતો. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ઐતિહાસિક પ્રસંગે કસ્ટમ્સ વિભાગના અધિકારીઓ તેમજ હીરા ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારત અને યુકે વચ્ચે એક વર્ષ અગાઉ થયેલા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટનો અમલ આજે તા.15મી જુલાઇ 2026થી શરૂ થયો છે. આજે પહેલા જ દિવસે સુરતથી હીરા ઝવેરાત, કોસ્મેટિક્સ અને પરફ્યુમ્સ તેમજ ઠંડાપીણા મળીને કૂલ 7 પાર્સલો ઝીરો ડ્યુટીથી યુકે રવાના કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સુરત ડાયમંડ બુર્સ સ્થિત જીજેઇપીસીની ગુજરાત રિજિયનની કચેરીમાં યોજાયેલી ફ્લેગ ઓફ સેરેમનીમાં જીજેઇપીસી ગુજરાત ચેરમેન જયંતી સાવલિયા, જોઇન્ટ DGFT- સુરત અભિમન્યુ શર્મા, આઇડીઆઇ ચેરમેન દિનેશ નાવડીયા, SURSEZ ના ડેવલપમેન્ટ કમિશનર વિનોદ યેર્ને, સુરત ડાયમંડ બુર્સના એપ્રાઇઝર રતનજય વી. ઉપરાંત એક્સપોર્ટર્સ અને મિડીયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારત-યુકે FTA અમલમાં આવતા અત્યાર સુધી યુકેમાં ભારતીય હીરા અને ઝવેરાત પર લાગતી 4થી 16 ટકા સુધીની આયાત જકાત સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે. પરિણામે ભારતીય નિકાસકારોને યુકેના બજારમાં વધુ સ્પર્ધાત્મક કિંમતે ઉત્પાદનો પહોંચાડવાની તક મળશે. ઉદ્યોગના મતે આ કરાર ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર માટે ઐતિહાસિક સાબિત થશે.

GJEPCના ચેરમેન શ્રી કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માત્ર વેપાર કરાર નથી, પરંતુ બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જનાર મહત્વપૂર્ણ પગલું છે. સુરતથી પ્રથમ કન્સાઇનમેન્ટ રવાના થવું સમગ્ર ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે ગૌરવની ક્ષણ છે.

તેમણે જણાવ્યું કે યુકે ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉત્પાદનો માટે મહત્વપૂર્ણ બજાર છે. હવે ડ્યૂટી ફ્રી પ્રવેશ મળતા નિકાસમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. ખાસ કરીને પોલિશ્ડ ડાયમંડ, ગોલ્ડ જ્વેલરી, પ્લેટિનમ જ્વેલરી અને લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરીના ક્ષેત્રમાં નવા અવસર ઊભા થશે.

GJEPCના જણાવ્યા મુજબ, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે આગામી વર્ષોમાં ભારતમાંથી યુકે તરફ હીરા અને ઝવેરાતની નિકાસમાં ઝડપથી વધારો થશે. સુરત, મુંબઈ સહિતના ઉત્પાદન કેન્દ્રોને તેનો સીધો લાભ મળશે, જેના કારણે રોજગારીમાં વધારો થવા ઉપરાંત ઉત્પાદન અને નિકાસ ક્ષમતામાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થશે.

ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય અને GJEPCના સંયુક્ત પ્રયાસોથી અમલમાં આવેલા આ કરારને ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે એક નવા વિકાસ અધ્યાય તરીકે જોવામાં આવી રહ્યો છે. સુરતથી રવાના થયેલો આ પ્રથમ કન્સાઇનમેન્ટ ભારતના નિકાસ ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવી રહ્યો છે.

July 15, 2026
sgcci-riyadh-jpg.jpg
1min55

સાઉદી અરેબિયામાં સુરતના ટેક્સટાઇલ, ડાયમંડ અને ફાર્મા ક્ષેત્ર માટે રોકાણની વિપુલ તકો

સાઉદી સરકારની ઇન્વેસ્ટમેન્ટ બોડી અને નેશનલ ચેમ્બર સાથે સુરતના ઉદ્યોગકારોની B2B બેઠકો યોજવા ભારતીય દૂતાવાસ કટિબદ્ધ

સાઉદી અરેબિયામાં એક્સપોર્ટ વધારવા વેસ્ટર્ન કોસ્ટ, રિયાધ અને દમામ કોસ્ટની મુલાકાત લેવા ચેમ્બરના પ્રતિનિધિમંડળને આમંત્રણ

સુરત, 15 જુલાઈ 2026: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા મંગળવાર, તા. 14 જુલાઈ 2026ના રોજ રિયાધ (સાઉદી અરેબિયા) સ્થિત ભારતીય દૂતાવાસના ઉચ્ચ અધિકારીઓ સાથે એક અત્યંત મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ મીટિંગ યોજવામાં આવી હતી. આ ઓનલાઇન મીટમાં રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસના ફર્સ્ટ સેક્રેટરી (કોમર્સ) શ્રી વિપુલ બાવા અને ચેમ્બરના હોદ્દેદારો વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધો મજબૂત કરવા અને સાઉદી અરેબિયામાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે નિકાસની નવી તકો શોધવા અંગે વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું.

બેઠકના પ્રારંભમાં SGCCIના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, “ચેમ્બર આજે દક્ષિણ ગુજરાતમાં 14,500થી વધુ પ્રત્યક્ષ સભ્યો અને 155થી વધુ અગ્રણી વેપારી સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતી દેશની અગ્રણી સંસ્થા છે.” તેમણે સાઉદી અરેબિયાના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ દક્ષિણ ગુજરાતના મુખ્ય મજબૂત ક્ષેત્રો જેવા કે ટેક્સટાઇલ્સ, ડાયમંડ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ અને રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતાઓ રજૂ કરી હતી.

બેઠકમાં ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી રવિ રાજ દેસાઈએ ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં નેચરલ ફાઇબર, કોટન અને સિન્થેટિક કાપડ ક્ષેત્રે સુરતના મોનોપોલી સમાન સ્થાનની વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે જ તેમણે સાઉદી અરેબિયામાં સુરતના કાપડની નિકાસ સરળતાથી વધારી શકાય તે માટેના રોડમેપ અંગે ચર્ચા કરી હતી.

રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસના ફર્સ્ટ સેક્રેટરી શ્રી વિપુલ બાવાએ સાઉદી અરેબિયામાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોનો વ્યાપાર વધે તે માટે સાઉદીના વેસ્ટર્ન કોસ્ટ, રિયાધ અને દમામ કોસ્ટની પ્રત્યક્ષ મુલાકાત લેવા અને ત્યાંના બજારની માહિતી મેળવવા ચેમ્બરના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળને સત્તાવાર આમંત્રણ આપ્યું હતું. તેમણે ખાતરી આપી હતી કે, ચેમ્બરનું આ ડેલિગેશન જ્યારે સાઉદી આવશે ત્યારે દૂતાવાસ દ્વારા તેમની બેઠકો ‘નેશનલ ચેમ્બર ઓફ કોમર્સ – રિયાધ’, ‘ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (સાઉદી અરેબિયા)’ અને ‘સાઉદી ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ’ના ટોચના હોદ્દેદારો અને બાયર્સ સાથે ગોઠવવામાં આવશે.

શ્રી બાવાએ સાઉદી અરેબિયાના ‘વિઝન-2030’ અંતર્ગત ટેક્સટાઇલ્સ, ડાયમંડ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ અને ખાસ કરીને રિન્યુએબલ એનર્જી (સૌર અને પવન ઊર્જા) ક્ષેત્રે સાઉદી સરકાર દ્વારા અપાતા આર્થિક પ્રોત્સાહનો, સબસિડી અને લિબરલ ઇન્વેસ્ટમેન્ટ પોલિસીઓ વિશે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી.

અંતમાં ચેમ્બરના ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનીષ કાપડિયાએ સાઉદી અરેબિયાના બાયર્સને સુરતના આગામી પ્રદર્શનોમાં લાવવા અંગે ઉત્સુકતા દર્શાવી હતી અને ભારતીય દૂતાવાસના તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કરીને બેઠકનું સમાપન કર્યું હતું.

July 14, 2026
WhatsApp-Image-2026-07-14-at-17.19.57-1280x853.jpeg
1min76
  • દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો માટે ઓમાનમાં વેપાર-રોકાણની નવી તકો
  • ઓમાનમાં હાઇ-લેવલ મલ્ટી-સેક્ટર બિઝનેસ ડેલિગેશન મોકલવા ચેમ્બર પ્રમુખનો પ્રસ્તાવ; ટેક્સટાઇલ, ડાયમંડ અને ફાર્મા સેક્ટર પર વિશેષ ફોકસ
  • 1 જૂનથી અમલી બનેલા ઇન્ડિયા-ઓમાન મુક્ત વ્યાપાર કરાર (CEPA) બાદ સુરત અને દક્ષિણ ગુજરાતના વેપારને વૈશ્વિક સ્તરે મોટો વેગ મળી શકે એમ છે
  • ભારત મસ્કત દૂતાવાસ દ્વારા ચેમ્બરના ડેલિગેશનને ઓમાન સરકાર અને ‘ઇન્વેસ્ટ ઓમાન’ સાથે B2B બેઠકો કરાવવા સંપૂર્ણ ખાતરી

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા આજે મસ્કત (ઓમાન) સ્થિત ભારતીય દૂતાવાસના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજવામાં આવી હતી. ઝૂમ પર યોજાયેલી આ બેઠકનો ઉદ્દેશ મુખ્ય બેઉ દેશો વચ્ચે 1 જૂનથી અમલમાં આવેલા મુક્ત વેપાર કરાર બાદ અને ભારત-ઓમાન વચ્ચે વેપાર તેમજ રોકાણ સહકારને વધુ મજબૂત બનાવવાનો હતો. બેઠકમાં દૂતાવાસના સેકન્ડ સેક્રેટરી (કોમર્સ) શ્રી કરનબીર સિંહ ચોહાણ અને ચેમ્બરના હોદ્દેદારો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અંગે સકારાત્મક મંથન થયું હતું.

દક્ષિણ ગુજરાતની આર્થિક તાકાત ઓમાનના બજારો સુધી પહોંચશે: પ્રમુખ અશોક જીરાવાલા
બેઠકના પ્રારંભમાં SGCCIના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ ચેમ્બરની સત્તાવાર રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, “ચેમ્બર આજે દક્ષિણ ગુજરાતમાં 14,500 થી વધુ પ્રત્યક્ષ સભ્યો અને 155થી વધુ અગ્રણી વેપારી સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતી દેશની અગ્રણી સંસ્થા છે.” તેમણે ઓમાનના સત્તાવાળાઓ સમક્ષ દક્ષિણ ગુજરાતના મુખ્ય ક્ષેત્રો જેવા કે ટેક્સટાઇલ્સ, ડાયમંડ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ અને રિન્યુએબલ એનર્જીની તાકાત રજૂ કરી હતી. તેમણે સૂચવ્યું કે ચેમ્બર ઓમાનમાં અગ્રણી કંપનીઓ સાથે B2B બેઠકો કરવા, સંયુક્ત સાહસો સ્થાપવા અને નિકાસની નવી તકો શોધવા માટે ટૂંક સમયમાં એક ઉચ્ચ સ્તરીય-મલ્ટી સેક્ટર પ્રતિનિધિમંડળ ઓમાન મોકલશે.

CEPA કરાર અને ઓમાનની વેપાર નીતિઓ અંગે ચર્ચા
ચેમ્બર તરફથી ઓમાનના ઇમ્પોર્ટ રેગ્યુલેશન્સ, કસ્ટમ્સ પ્રોસિજર અને પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ્સ સમજવા માટે માર્કેટ ઇન્ટેલિજન્સ પૂરી પાડવા વિનંતી કરવામાં આવી હતી. ભારત-ઓમાન વચ્ચે થયેલા કોમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (CEPA)ના અમલીકરણ બાદ ઊભી થયેલી તકો તેમજ વર્તમાન પ્રાદેશિક કટોકટીની લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન પર પડનારી અસરો અંગે દૂતાવાસનું માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું. જ્યારે ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનીષ કાપડિયાએ પોતાના ભૂતકાળના ઓમાન પ્રવાસના હકારાત્મક અનુભવો શેર કર્યા હતા.

ભારતીય દૂતાવાસ તરફથી પૂરતો સહયોગ આપવાની ખાતરી

એમ્બેસી ઓફ ઇન્ડિયા, મસ્કત (ઓમાન) ના સેકન્ડ સેક્રેટરી (કોમર્સ, પ્રેસ એન્ડ ઇન્ફોર્મેશન) તેમજ હેડ ઓફ ચાન્સરી શ્રી કરનબીર સિંહ ચોહાણે જણાવ્યું હતું કે, ઓમાનમાં ભારતમાંથી થતી આયાતમાં દક્ષિણ ગુજરાતના જે સેક્ટર્સનો મોટો હિસ્સો છે, તેમને ઓમાનના સ્થાનિક બજાર સાથે જોડવામાં આવશે. આ હેતુસર તેમણે ચેમ્બરને સેક્ટર વાઇઝ પ્રતિનિધિમંડળ લઈને ઓમાન આવવા આમંત્રણ આપ્યું હતું અને તે તમામ બેઠકોનું આયોજન ભારતીય દૂતાવાસ કરશે તેવી ખાતરી આપી હતી. આ ઉપરાંત, તેમણે ઓમાનમાં યોજાનારા વિવિધ પ્રદર્શનો પૈકી મેડિકલ ક્ષેત્રના પ્રતિષ્ઠિત એક્ઝિબિશન ‘ઓમાન હેલ્થ’ માં જોડાવા માટે ચેમ્બરના પ્રતિનિધિમંડળને વિશેષ આમંત્રણ આપ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, હાલમાં ઓમાનમાં સોલાર એનર્જી (સૌર ઊર્જા) ક્ષેત્રે વિદેશી રોકાણને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

તેમણે ચેમ્બરને એક વિસ્તૃત પ્રસ્તાવ સબમિટ કરવા જણાવ્યું છે, જેના આધારે દૂતાવાસ ઓમાનની સત્તાવાર રોકાણ એજન્સી ‘ઇન્વેસ્ટ ઓમાન’ તેમજ સ્થાનિક સરકારી સત્તાવાળાઓ સાથે ચેમ્બરના સભ્યોની ઉચ્ચ સ્તરીય બેઠકોનું આયોજન કરાવી શકે.

આ બેઠકમાં દૂતાવાસ તરફથી માર્કેટિંગ આસિસ્ટન્ટ્સ સુશ્રી સોનિયા ધુરી અને સુશ્રી સબિહા પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયાએ ભારતીય દૂતાવાસના તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કરીને બેઠકનું સમાપન કર્યું હતું.

July 14, 2026
Cia_business_news-1280x936.jpg
1min53

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના માધ્યમથી બે નિકાસકારો કરશે પ્રથમ શિપમેન્ટ; કસ્ટમ્સ અધિકારીઓની હાજરીમાં થશે પ્રસ્થાન

ભારત અને બ્રિટન વચ્ચે આવતીકાલે, તા. 15 જુલાઈથી અમલમાં આવનારા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ (FTA)નો લાભ લેતી સુરતમાંથી હીરા અને ઝવેરાતની પ્રથમ નિકાસ કરવામાં આવશે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના સંકલન હેઠળ શહેરના બે નિકાસકારો બ્રિટન માટે હીરા-ઝવેરાતની પ્રથમ ડ્યૂટી-ફ્રી શિપમેન્ટ રવાના કરશે.

આ ઐતિહાસિક પ્રસંગે કસ્ટમ્સ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે અને ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ હેઠળ થનારી પ્રથમ નિકાસ પ્રક્રિયાના સાક્ષી બનશે. સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે આ પ્રસંગને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

ભારત-બ્રિટન વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટથી બ્રિટિશ બજારમાં ભારતીય હીરા અને ઝવેરાતને વધુ સ્પર્ધાત્મક સ્થાન મળશે. આયાત શુલ્કમાં મળનારી રાહતને કારણે ભારતીય નિકાસકારોને ભાવની દૃષ્ટિએ લાભ મળશે, જેના પરિણામે નિકાસમાં વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુરત વિશ્વનું અગ્રણી હીરા કટિંગ અને પોલિશિંગ કેન્દ્ર છે. શહેરમાંથી દર વર્ષે મોટી માત્રામાં હીરા અને જ્વેલરીની નિકાસ થાય છે. નવી વેપાર સંધિ અમલમાં આવતા સુરતના નિકાસકારોને બ્રિટનના બજારમાં વધુ તકો મળશે અને લાંબા ગાળે નિકાસ તેમજ રોજગારી બંનેમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પ્રસંગને ધ્યાનમાં રાખીને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ શિપમેન્ટને પ્રતીકાત્મક રીતે રવાના કરવામાં આવશે. ઉદ્યોગજગતની નજર હવે એ તરફ છે કે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટના અમલ બાદ બ્રિટન તરફની હીરા અને ઝવેરાતની નિકાસમાં કેટલો વધારો નોંધાય છે.

July 14, 2026
image-13.png
1min233

7 બેઠકો ભાજપ સમર્થિત ઉમેદવારો બિનહરીફ જીતતાં બોર્ડ પર બહુમતી નિશ્ચિત, છતાં નિઝર, સોનગઢ, મહુવા, વ્યારા અને ઓલપાડમાં કાંટાની ટક્કર; 710 મતદારો નક્કી કરશે 6,600 કરોડના ટર્નઓવર ધરાવતી ડેરીનું ભાવિ

ધી સુરત અને તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી (સુમુલ ડેરી)ની 16 બેઠકોમાંથી 9 બેઠકો માટેનો ચૂંટણી જંગ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. 9 બેઠકો માટે કુલ 21 ઉમેદવારો મેદાનમાં હોવાથી અનેક બેઠકો પર સીધો અને ત્રિકોણીય મુકાબલો સર્જાયો છે. બુધવાર, તા.15 જુલાઈએ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે, જેમાં કુલ 710 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

વ્યારા અને મહુવા બેઠકો પર સૌથી વધુ ચાર-ચાર ઉમેદવારો મેદાનમાં હોવાથી અહીં સૌથી વધુ રસાકસી જોવા મળશે. જ્યારે કુકરમુંડા બેઠક પર ત્રિકોણીય મુકાબલો છે. અન્ય બેઠકો પર ભાજપ સમર્થિત અને કોંગ્રેસ સમર્થિત ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર રહેશે.

ચૂંટણી મતદાન પૂર્વેથી જ 16માંથી 7 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ઉપરાંત સરકાર દ્વારા નિયુક્ત થનારી ત્રણ બેઠકોને ધ્યાનમાં લેતાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જ ભાજપે સુમુલ ડેરીના બોર્ડમાં બહુમતી સુનિશ્ચિત કરી લીધી છે. તેમ છતાં બાકીની 9 બેઠકોની ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે.

ખાસ કરીને નિઝર, સોનગઢ, મહુવા, વ્યારા અને ઓલપાડ બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો સામે કોંગ્રેસ તેમજ પશુપાલક હિતરક્ષક સમિતિના ઉમેદવારો ઉપરાંત ભાજપના બળવાખોર ઉમેદવારો પણ મેદાનમાં હોવાથી ચૂંટણી અત્યંત રસપ્રદ બની છે. કેટલીક બેઠકો પર ભાજપના આંતરિક અસંતોષે ચૂંટણીને વધુ કાંટાની બનાવી છે.

સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.50 લાખ પશુપાલકો સાથે સંકળાયેલી અને વાર્ષિક આશરે ₹6,600 કરોડનું ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીની આ ચૂંટણીને માત્ર સહકારી સંસ્થાની ચૂંટણી નહીં પરંતુ રાજકીય પ્રતિષ્ઠાની લડાઈ તરીકે પણ જોવામાં આવી રહી છે. કોંગ્રેસમુક્ત અથવા વિપક્ષમુક્ત સુમુલનું સ્વપ્ન સંપૂર્ણ રીતે સાકાર થશે કે વિરોધ પક્ષ પોતાની હાજરી નોંધાવશે, તેના પર સૌની નજર છે.

મતદાન પૂર્વે ઉમેદવારો દ્વારા નિયુક્ત મતદારોને પોતાના પક્ષે કરવા માટે ‘ડિનર ડિપ્લોમસી’ પણ પૂરજોશમાં ચાલી રહી છે. વિવિધ સ્થળોએ બપોર અને રાત્રિના ભોજનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જ્યાં મતદારોને મનાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ ચૂંટણીમાં કુલ 710 મતદારો મતદાન કરશે. તેમાં સોનગઢ બેઠકમાં સૌથી વધુ 176 મતદારો, ત્યારબાદ માંડવીમાં 129, વ્યારામાં 80, મહુવામાં 65, ઉમરપાડામાં 61, ડોલવણમાં 53, નિઝરમાં 51, કુકરમુંડામાં 43 અને ઓલપાડમાં 42 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

July 9, 2026
અશોક-જીરાવાલા.png
2min105

છેલ્લા કેટલાક દિવસોથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસેલા અતિભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને કારણે સ્થાનિક વેપાર, ઉદ્યોગ અને ધંધા-રોજગારને વ્યાપક પ્રમાણમાં આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ પ્રોસેસિંગ હાઉસ, વણાટ ઉદ્યોગ, ડાયમંડ એકમો અને અસંખ્ય MSME સેક્ટરની ફેક્ટરીઓમાં પાણી ભરાઈ જવાને કારણે મશીનરી, કાચો માલ અને તૈયાર સ્ટોકને ભારે નુકસાન પહોંચ્યું છે. આ નુકસાનીનો વ્યવસ્થિત, સત્તાવાર અને વાસ્તવિક અંદાજ મેળવવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા એક વિશેષ કવાયત હાથ ધરવામાં આવી છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ પ્રભાવિત ઉદ્યોગકારોને અપીલ કરતા જણાવ્યું છે કે, “અતિવૃષ્ટિને કારણે દક્ષિણ ગુજરાતના નાના-મોટા ઉદ્યોગો અત્યારે ભારે કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે. ઉદ્યોગોને આ સંકટમાંથી બહાર લાવવા અને તેમને યોગ્ય સરકારી મદદ અપાવવા માટે આપણી પાસે નુકસાનનો એક વ્યવસ્થિત અને સત્તાવાર ડેટા હોવો અત્યંત અનિવાર્ય છે. આથી, દક્ષિણ ગુજરાતના જે પણ ઔદ્યોગિક એકમો, ફેક્ટરીઓ કે વ્યાપારી પેઢીઓને નુકસાન થયું હોય, તેઓ વિગતો સાથે પોતાની રજૂઆત તાત્કાલિક ચેમ્બરને મોકલી આપે.”

ઉદ્યોગકારો પોતાની નુકસાનીનો વિગતવાર અહેવાલ (જેમાં અંદાજિત આર્થિક નુકસાન, મશીનરી કે માલસામાનની વિગત અને જે-તે વિસ્તારનું નામ સામેલ હોય) નીચે મુજબના માધ્યમથી ચેમ્બર સુધી પહોંચાડી શકે છે:

  • 1.એસોસિએશનો મારફતે:
    વિવિધ ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનો અને વ્યાપારી સંગઠનો પોતાના સભ્યોની વિગતો એકત્રિત કરીને સામૂહિક રીતે ચેમ્બરને મોકલી શકે છે.
  • 2.સીધી રજૂઆત:
    જો કોઈ ઉદ્યોગકાર સીધી રીતે વિગતો મોકલવા માંગતા હોય, તો તેઓ લેખિત રજૂઆત અથવા ચેમ્બરના સત્તાવાર ઈ-મેઈલ પર સીધી માહિતી મોકલી આપશે.
  • પ્રભાવિત ઉદ્યોગકારોએ પોતાની વિગતો નીચે મુજબના નિયત ફોર્મેટમાં ભરીને ચેમ્બર ઓફ કોમર્સની કચેરીએ કે સત્તાવાર ઈ-મેઈલ dysec@sgcci.in પર મોકલી આપવાની રહેશે:
  • નુકસાનીગ્રસ્ત એકમોની માહિતી આ ફોર્મેટ મુજબ આપવી
  • એકમનું નામ:
  • સરનામું:
  • GST નંબર:
  • ઉદ્યોગનું ક્ષેત્ર:
  • MSME પ્રમાણપત્ર (જો ઉપલબ્ધ હોય તો):
  • નુકસાનનું વર્ણન (મશીનરી, કાચો માલ, સ્ટોક વગેરે):
  • નુકસાનની અંદાજિત રકમ (રૂપિયામાં):
  • નુકસાનના પુરાવારૂપ ફોટોગ્રાફ્સ:
  • ચેમ્બર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમામ ઔદ્યોગિક વિસ્તારોમાંથી વિગતો આવ્યા બાદ તેનો એક વ્યાપક અહેવાલ તૈયાર કરવામાં આવશે. અને તેના આધારે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તેમજ સંબંધિત સત્તાવાળા સમક્ષ લોનના વ્યાજમાં રાહત, વીમા કંપનીઓ પાસેથી ઝડપી ક્લેમ સેટલમેન્ટ અને વિશેષ આર્થિક સહાય પેકેજ જાહેર કરવા માટે ચેમ્બર દ્વારા સચોટ રજૂઆતો કરવામાં આવશે, જેથી દક્ષિણ ગુજરાતના અર્થતંત્રને ફરી બેઠું કરી શકાય.

ફોગવા પ્રમુખ અશોક જીરાવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત પત્ર પાઠવી રજૂઆતો કરી

ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસીએશન દ્વારા અમે આપના ધ્યાનમાં લાવવા માંગીએ છીએ કે, તાજેતરમાં સુરત શહેર તથા આસપાસના વિસ્તારોમાં પડેલા અત્યંત ભારે વરસાદ અને પાણીના ભરાવાને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગને અત્યંત વ્યાપક નુકસાન થયું છે. સુરત ગુજરાતનું મુખ્ય ટેક્સટાઈલ હબ હોવાથી હજારો મિલો, પાવરલૂમ યુનિટ્સ, પ્રોસેસિંગ હાઉસ અને એમ્બ્રોડરી ઉદ્યોગો પૂરી રીતે પાણીમાં ડૂબી ગયા છે. મશીનરી, કાચો માલ, તૈયાર માલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે નુકસાન થયું છે.

આ નુકસાનથી અસંખ્ય ઉદ્યોગપતિઓ, કામદારો અને તેમના પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હજારો મજૂરોની રોજી-રોટી પર અસર પડી છે અને ઉદ્યોગની પુનઃસ્થાપના માટે તાત્કાલિક આર્થિક સહાયની જરૂર છે.

અમારી વિનંતી છે કે, ટેક્સટાઈલ ઉદ્યોગને થયેલા નુકસાનનું તાત્કાલિક સર્વે કરાવીને નુકસાનીનું મૂલ્યાંકન કરવામાં આવે. પ્રભાવિત ઉદ્યોગોને આર્થિક સહાય, સબસિડી, લોનમાં છૂટ અને પુનઃનિર્માણ માટે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે. કામદારોને તાત્કાલિક રાહત અને વળતર આપવામાં આવે. ઉદ્યોગને ઝડપથી સામાન્ય સ્થિતિમાં લાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવે.

અશોક જીરાવાલાએ મુખ્યમંત્રીને જણાવ્યું કે આપના નેતૃત્વમાં ગુજરાત વિવિધ આપત્તિઓમાંથી ઝડપથી બહાર આવ્યું છે. અમે આપના પર પૂર્ણ વિશ્વાસ રાખીએ છીએ કે આ વખતે પણ આપ ટેક્સટાઈલ ઉદ્યોગ અને સુરતના આર્થિક વિકાસ માટે ત્વરિત અને સકારાત્મક નિર્ણય લેશો.

July 8, 2026
Cia_business_news-1280x936.jpg
1min82

રિંગરોડથી સારોલી સુધી અનેક માર્કેટોના બેઝમેન્ટમાં વરસાદી પાણી ઘૂસ્યાં; લાખોના સાડી-ડ્રેસ મટિરિયલના સ્ટોકને નુકસાન, પ્રાથમિક સર્વે બાદ જ નુકસાનનો સાચો અંદાજ આવશે

CiA Live ન્યુઝ વેબ

સુરતમાં થયેલા ભારે વરસાદ બાદ શહેરના રિંગરોડ, કમેલા દરવાજા, લિંબાયત, પરવટ પાટિયા, સારોલી, પૂણા સહિતના ટેક્સટાઇલ હબ વિસ્તારોમાં આવેલી અસંખ્ય માર્કેટોના બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાઈ જતાં ટેક્સટાઇલ વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તૈયાર સાડીઓ, ડ્રેસ મટિરિયલ તથા અન્ય કાપડના મોટા પ્રમાણમાં રાખવામાં આવેલા સ્ટોક પાણીમાં પલળી જતાં વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા છે. જોકે નુકસાનનું વાસ્તવિક ચિત્ર આવતીકાલથી સ્પષ્ટ થશે, જ્યારે વેપારીઓ બેઝમેન્ટમાંથી પલળેલો માલ બહાર કાઢવાની કામગીરી શરૂ કરશે.

વેપારી સંગઠનોના સૂત્રોના જણાવ્યા મુજબ આજે દિવસભર વિવિધ માર્કેટોના બેઝમેન્ટમાંથી પમ્પ દ્વારા ડી-વોટરિંગ કરીને પાણી બહાર કાઢવાની કામગીરી ચાલી હતી. અનેક સ્થળોએ કલાકો સુધી પાણી ભરાયેલું રહેતાં માલસામાનને ભારે અસર પહોંચી હોવાનું માનવામાં આવે છે. હાલ તંત્ર તેમજ વેપારી સંસ્થાઓ માટે સૌથી પ્રથમ પ્રાથમિક સર્વે કરાવવો જરૂરી બન્યો છે, જેથી કઈ માર્કેટમાં કેટલી દુકાનો અને ગોડાઉનોને અસર થઈ છે તથા કુલ નુકસાનનો અંદાજ મેળવી શકાય.

ટેક્સટાઇલ વેપારીઓ માટે સૌથી મોટી ચિંતા વીમા સુરક્ષાની છે. વર્ષ 2006ના ઐતિહાસિક પૂર બાદ મોટાભાગની વીમા કંપનીઓએ બેઝમેન્ટમાં આવેલી નવી દુકાનો અને ગોડાઉનો માટે વીમા કવર આપવાનું લગભગ બંધ કરી દીધું હતું. પરિણામે 2006 પછી વિકસેલી અનેક નવી ટેક્સટાઇલ માર્કેટોના બેઝમેન્ટમાં વ્યવસાય કરતા વેપારીઓ પાસે હાલમાં વરસાદી નુકસાન સામે કોઈ વીમા સુરક્ષા ઉપલબ્ધ નથી.
ઉદ્યોગ સાથે સંકળાયેલા વર્તુળોના જણાવ્યા મુજબ 2006 પહેલાં જેમના બેઝમેન્ટના વીમા પોલિસી ચાલુ હતા અને જેમણે સતત તેનું રિન્યૂઅલ કરાવ્યું છે, તેઓ નુકસાનના ક્લેઇમ માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરી શકશે. પરંતુ ત્યારબાદ બનેલી માર્કેટોમાં બેઝમેન્ટ માટે વીમાની જોગવાઈ ન હોવાથી આવા વેપારીઓને થયેલું સમગ્ર નુકસાન પોતાના ખર્ચે સહન કરવું પડી શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં બેઝમેન્ટનો ઉપયોગ મુખ્યત્વે તૈયાર સાડી, ડ્રેસ મટિરિયલ અને અન્ય કાપડના મોટા જથ્થાના સંગ્રહ માટે થાય છે. એક જ ગોડાઉનમાં લાખો રૂપિયાથી લઈને કરોડો રૂપિયાનો માલ રાખવામાં આવતો હોવાથી પાણી ભરાવાની ઘટનામાં નુકસાનનું પ્રમાણ પણ ખૂબ ઊંચું રહે છે. પ્રાથમિક અંદાજ મુજબ અનેક વેપારીઓને લાખો રૂપિયાનો ફટકો પડ્યો હોવાની ચર્ચા છે, પરંતુ સત્તાવાર આંકડા સર્વે પૂર્ણ થયા બાદ જ સામે આવશે.

વેપારી સંગઠનોએ તંત્ર સમક્ષ અસરગ્રસ્ત તમામ ટેક્સટાઇલ માર્કેટોમાં સંયુક્ત સર્વે હાથ ધરવાની માંગ કરી છે, જેથી નુકસાનનું વાસ્તવિક મૂલ્યાંકન થઈ શકે અને સરકાર દ્વારા કોઈ રાહત પેકેજ અથવા સહાય જાહેર કરવામાં આવે તો તેનો લાભ અસરગ્રસ્ત વેપારીઓ સુધી પહોંચી શકે. સાથે જ ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી સર્જાય નહીં તે માટે વરસાદી પાણીના ઝડપી નિકાલ, ડ્રેનેજ વ્યવસ્થાના સુધારણા અને બેઝમેન્ટ સુરક્ષા માટે લાંબા ગાળાના આયોજનની પણ જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી રહી છે.