CIA ALERT

Slider Archives - Page 4 of 486 - CIA Live

May 18, 2026
image-13.png
1min71

IPL 2026 Playoff, PBKS vs RCB : ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) આઈપીએલ 2026ના પ્લેઑફમાં જગ્યા બનાવનારી પ્રથમ ટીમ બની ગઈ છે. રવિવારે ધર્મશાલામાં રમાયેલા રોમાંચક મુકાબલામાં આરસીબીએ પંજાબ કિંગ્સને 23 રનથી હરાવીને ટોપ-4 માં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે. આઈપીએલ 2026માં અત્યાર સુધી 13માંથી 9 મેચ જીત્યા બાદ બેંગલુરુએ પ્લેઑફની ટિકિટ મેળવી લીધી છે. ગ્રુપ સ્ટેજમાં બેંગલુરુની છેલ્લી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાશે.

બીજી તરફ, સતત 6 હાર બાદ પંજાબ કિંગ્સની મુશ્કેલીઓ વધી ગઈ છે. પંજાબ કિંગ્સ તેની છેલ્લી મેચ જીતીને પણ ગ્રુપ સ્ટેજમાં માત્ર 15 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે. પંજાબ કિંગ્સની આ હારથી ભલે કેપ્ટન શ્રેયસ અય્યરની ચિંતા વધી હોય, પરંતુ આ પરિણામથી બીજી બે ટીમોને જબરદસ્ત ફાયદો થયો છે.

બેંગલુરુ સામે પંજાબની હાર થતાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) માટે પ્લેઑફમાં પહોંચવાની તક વધી ગઈ છે. આ પરિણામથી ખાસ કરીને ચેન્નાઈને મોટો ફાયદો થયો છે. ચેન્નાઈના ખાતામાં હાલમાં 12 પોઈન્ટ છે અને તેની બાકી બચેલી બંને મેચ જીતીને તે 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. પંજાબ છેલ્લી મેચ જીતીને પણ મહત્તમ 15 પોઈન્ટ સુધી જ પહોંચી શકતી હોવાથી હવે ટોપ-4ની રેસમાં પંજાબ પાછળ ધકેલાઈ ગયું છે અને ચેન્નાઈ સુપર કિંગ્સને નવી લાઈફ લાઈન મળી ગઈ છે.

પ્લેઑફની રેસમાં અત્યાર સુધીના સમિકરણ મુજબ, મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ સત્તાવાર રીતે બહાર થઈ ગઈ છે. દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની આશા હજુ જીવંત છે, પરંતુ તેમને આગળ વધવા માટે કોઈ ચમત્કારની જરૂર છે. આવી સ્થિતિમાં પ્લેઑફની બાકી બચેલી 3 સીટો માટે હવે સનરાઈઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઈટન્સ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ એમ 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર છે. હાલના તબક્કે બેંગલુરુ સાથે સનરાઈઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ પ્લેઑફની રેસમાં આગળ ચાલી રહ્યા છે. આઈપીએલ 2026માં આગામી બે-ત્રણ દિવસ ખૂબ જ રોમાંચક રહેશે અને દરેક મેચના પરિણામ સાથે પ્લેઑફનું સમીકરણ સતત બદલાતું જોવા મળશે.

May 17, 2026
image-12-1280x720.png
1min58

દેશમાં સતત વધી રહેલા આયાત બિલ પર નિયંત્રણ મેળવવા અને કિંમતી ધાતુઓની આયાત પર દેખરેખ મજબૂત કરવા માટે સરકારે સોના બાદ હવે ચાંદી પર પણ મોટો નિર્ણય લીધો છે. સરકારે ચાંદીની આયાતને ‘મુક્ત’ શ્રેણીમાંથી હટાવીને ‘પ્રતિબંધિત’ શ્રેણીમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ નવા નિયમ અંતર્ગત હવેથી ચાંદીની આયાત કરવા માટે સરકારી લાયસન્સ લેવું ફરજિયાત બનશે.

આ અગાઉ સરકારે ગત 13 મેના રોજ સોના અને ચાંદી પરની આયાત ડ્યુટી 6 ટકાથી વધારીને સીધી 15 ટકા કરી દીધી હતી, જ્યારે પ્લેટિનમ પર આયાત ડ્યુટી 6.4 ટકાથી વધારીને 15.4 ટકા કરવામાં આવી હતી. પશ્ચિમ એશિયાના સંકટને કારણે વધી રહેલા ખર્ચને રોકવા અને બિનજરૂરી આયાત ઘટાડવા આ પગલું લેવાયું છે.

આ ઉપરાંત, સરકાર દ્વારા સોનાની આયાત પર પણ કડક મર્યાદા નક્કી કરવામાં આવી છે. વિદેશ વ્યાપાર મહાનિર્દેશાલય (DGFT) ના આદેશ અનુસાર, હવેથી સોનાની આયાત માટેની એડવાન્સ મંજૂરી મહત્તમ 100 કિલોગ્રામની મર્યાદાને આધીન જ આપવામાં આવશે. એટલું જ નહીં, જો કોઈ વ્યક્તિ પ્રથમ વખત એડવાન્સ મંજૂરી માટે અરજી કરશે, તો તેની પ્રોડક્શન યુનિટની ફરજિયાત ફિઝિકલ ચકાસણી કરવામાં આવશે.

સરકાર દ્વારા લેવાયેલા આ કડક નિર્ણયો પાછળ તાજેતરમાં સોના-ચાંદીની આયાતમાં થયેલો તોતિંગ વધારો જવાબદાર છે. પ્રાપ્ત આંકડાઓ અનુસાર, ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં જ ભારતની સોનાની આયાત 81.69 ટકા વધીને 5.62 અબજ ડોલર પર પહોંચી ગઈ હતી, જ્યારે ચાંદીની આયાતમાં 157.16 ટકાનો બમ્પર ઉછાળો આવતા તે 41.1 કરોડ ડોલર થઈ ગઈ હતી. આ સિવાય, નાણાકીય વર્ષ 2025-26 માં સોનાની કુલ આયાત મૂલ્યની દૃષ્ટિએ 24 ટકા વધીને 71.98 અબજ ડોલરની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગઈ હોવાને કારણે સરકારે આ આકરા નિયંત્રણો લાદવાની ફરજ પડી છે.

May 17, 2026
image-11.png
1min119

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્રાહ્મણો વિરુદ્ધ વાંધાજનક ટીપ્પણી કરવા બદલ ફિલ્મસર્જક અનુરાગ કશ્યપ વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો આદેશ સુરત કોર્ટે આપ્યો હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી.
કશ્યપે 19 માર્ચ, 2025ના રોજ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વીટર) પર બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અણછાજતી ટિપ્પણી કરી હતી.

આ માટે વકીલે 14 મહિના સુધી કાયદાકીય સંઘર્ષ કર્યો હતો અને હવે કોર્ટે ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આથી હવે કશ્યપે સુરત કોર્ટમાં હાજર થવું પડશે. કોર્ટે ડિરેક્ટર વિરુદ્ધ માનહાનિનો ગુનો દાખલ કરવા જણાવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

May 17, 2026
image-10.png
1min50

અમદાવાદ ના શહેરીજનો માટે પરિવહન ક્ષેત્રે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ફ્યુઅલ સેવિંગ માટે વધુમાં વધુ જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની પ્રધાનમંત્રીની અપીલને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં અમદાવાદ મેટ્રો સેવાઓનો સમય રાત્રે 11 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે. આગામી સોમવારથી નવા સમયપત્રકનો અમલ થશે.

રાજ્ય સરકારની અપીલ અને મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય (Decision) લેવામાં આવ્યો છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન રાત્રે 10 વાગ્યાને બદલે 11 વાગ્યા સુધી દોડશે. જાહેર પરિવહનને (Public Transport) વધુ પ્રોત્સાહન આપવા અને મોડી રાત્રે મુસાફરી કરતા નોકરિયાતો તેમજ નાગરિકોની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

છેલ્લી ટ્રેનનો સમય 11 વાગ્યા સુધી વધારી દેવાયો

વસ્ત્રાલ ગામથી હાલમાં છેલ્લી ટ્રેન રાત્રે 10 વાગ્યે ઉપડતી હતી. જેને હવે રાત્રે 11 વાગ્યા સુધી લંબાવાઈ છે. થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ જતી છેલ્લી ટ્રેન પણ હવે રાત્રે 11 વાગ્યા સુધી દોડશે. એપીએમસીથી હાલમાં છેલ્લી ટ્રેન રાત્રે 10.10 વાગ્યે ઉપડતી હતી, જેને હવે 11.10 વાગ્યા સુધી જયારે કોટેશ્વરથી એપીએમસી જતી છેલ્લી ટ્રેનનો સમય પણ હવે રાત્રે 11 વાગ્યા સુધી વધારી દેવાયો છે.

ઇંધણ બચાવવા સરકારન નિર્ણય

કોટેશ્વરથી મહાત્મા મંદિર, ગાંધીનગર જતી છેલ્લી ટ્રેન અગાઉ સાંજે 7.43 વાગ્યે હતી, જેને હવે રાત્રે 9.20 વાગ્યા સુધી લંબાવાઈ છે. તે જ રીતે મહાત્મા મંદિરથી કોટેશ્વર અને એપીએમસી જતી છેલ્લી ટ્રેન પણ હવે રાત્રે 9 વાગ્યે ઉપલબ્ધ રહેશે. આ નિર્ણયથી અપડાઉન કરનારા તેમજ વિદ્યાર્થીઓ સહિતના મુસાફરોને ફાયદો થશે. ઈંધણ બચાવવા અને જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વસ્ત્રાલગામથી હાલમાં છેલ્લી ટ્રેન રાત્રિના 10 કલાકે ઊપડતી હોય છે. જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના 11 કલાકે ઉપડશે જે અન્વયે વધારાની 3 સર્વિસ રાત્રે 10:20, 10:40 અને 11 કલાકે વસ્ત્રાલ ગામથી ઉપડીને થલતેજ ગામ જશે. તો થલતેજ ગામથી છેલ્લી ટ્રેન રાત્રે 10 કલાકે ઊપડતી હતી, જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના 11 કલાકે ઉપડશે.

એપીએમસીથી અત્યારે છેલ્લી ટ્રેન રાત્રિના 10:10 કલાકે ઊપડતી હોય છે જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના 10:10 કલાકે ઉપડશે જે અન્વયે વધારાની 3 સર્વિસ રાત્રે 10:30, 10:50 અને 11:10 કલાકે એપીએમસીથી ઉપડીને કોટેશ્વર સુધી જશે. કોટેશ્વરથી છેલ્લી ટ્રેન રાત્રે 10:05 કલાકે ઊપડતી હતી. જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના 11 કલાકે ઉપડશે જે અન્વયે વધારાની 3 સર્વિસ રાત્રે 10:20, 10:40 અને 11 કલાકે કોટેશ્વરથી ઉપડીને એપીએમસી સુધી જશે.

May 15, 2026
indian-rupee-vs-us-dollar-symbols-HY0EN3-1280x993.jpg
1min71

ભારતીય અર્થતંત્ર માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકન ડૉલરની સરખામણીએ ભારતીય રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. વૈશ્વિક આર્થિક અસ્થિરતા અને મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની સીધી અસર ભારતીય ચલણ પર જોવા મળી રહી છે.

આજે એટલે કે 15 મે 2026ના રોજ ભારતીય રૂપિયો અમેરિકન ડૉલર સામે રૅકોર્ડબ્રેક નબળો પડીને ₹96.02ના સ્તરે પહોંચી ગયો છે. અગાઉના દિવસે એટલે કે 14 મેના રોજ રૂપિયો ₹95.76 પર બંધ થયો હતો, જેની સરખામણીએ આજે વધુ ઘટાડો નોંધાયો છે. વર્ષ 2022થી અત્યાર સુધીના ગ્રાફ પર નજર કરીએ તો રૂપિયામાં સતત મૂલ્યહ્રાસ જોવા મળી રહ્યો છે. વર્ષ 2026માં અત્યાર સુધીમાં (YTD Change) રૂપિયામાં 13.2% જેટલો તોતિંગ ઘટાડો નોંધાયો છે. આ કડાકા પાછળનું મુખ્ય કારણ ક્રૂડ ઓઇલની વધતી કિંમતો, વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાંથી સતત ઉપાડ અને અમેરિકન ડૉલરની વૈશ્વિક બજારમાં મજબૂતી માનવામાં આવી રહી છે.

રૂપિયો નબળો પડવાને કારણે વિદેશથી આયાત કરવામાં આવતી વસ્તુઓ જેવી કે ક્રૂડ ઓઇલ, ઈલેક્ટ્રોનિક્સ અને ખાદ્ય તેલ મોંઘા થશે. આનાથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે, જે આખરે મોંઘવારીમાં વધારો કરશે. આ ઉપરાંત, વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પ્રવાસ પર જનારા લોકો માટે પણ ખર્ચમાં મોટો ઉછાળો આવશે.

મિડલ ઈસ્ટમાં યુદ્ધ અને હોર્મુઝ નાકાબંધી: ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ છે. યુદ્ધના ડરથી રોકાણકારો સુરક્ષિત રોકાણ માટે ડૉલર તરફ વળ્યા છે.

ક્રૂડ ઓઇલ ₹107 ડૉલરને પાર: ભારત પોતાની જરૂરિયાતનું 85% ક્રૂડ આયાત કરે છે. બ્રેન્ટ ક્રૂડ $107 પ્રતિ બેરલને પાર કરી જતાં ભારતનું આયાત બિલ વધ્યું છે, જેના કારણે ડૉલરની માંગ વધી અને રૂપિયો ઘટ્યો.

મજબૂત ડૉલર ઇન્ડેક્સ: વૈશ્વિક સ્તરે ડૉલર ઇન્ડેક્સ 99.05 પર પહોંચી ગયો છે. જ્યારે પણ ડૉલર આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત થાય છે, ત્યારે રૂપિયો અને અન્ય એશિયન કરન્સી નબળી પડે છે.

FII દ્વારા આક્રમક વેચવાલી: વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાંથી સતત નાણાં પાછા ખેંચી રહ્યા છે. માત્ર બુધવારે જ FII એ ₹4,700 કરોડની વેચવાલી કરી હતી.

આયાતી ફુગાવાનો ખતરો: જથ્થાબંધ મોંઘવારી દર (WPI) સાડા ત્રણ વર્ષની ટોચે પહોંચ્યો છે. તેલ મોંઘું થવાથી દેશમાં જીવનજરૂરી વસ્તુઓના ભાવ વધવાની ભીતિ છે.

પેટ્રોલ-ડીઝલ અને ગેસ: આયાત મોંઘી થવાથી પેટ્રોલ-ડીઝલ અને LPG સિલિન્ડરના ભાવમાં મોટો વધારો થઈ શકે છે.

ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ: મોબાઇલ, લેપટોપ અને અન્ય ગેજેટ્સના આયાતી પાર્ટ્સ મોંઘા થતા તેની કિંમતો વધશે.

વિદેશી શિક્ષણ અને પ્રવાસ: જે વિદ્યાર્થીઓ વિદેશમાં ભણે છે અથવા જે લોકો વિદેશ પ્રવાસે જવાનું આયોજન કરી રહ્યા છે, તેમણે હવે ડૉલર ખરીદવા માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે.

રોજિંદી વસ્તુઓ: ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાથી શાકભાજીથી લઈને પ્લાસ્ટિક અને અન્ય પેટ્રોકેમિકલ ઉત્પાદનો મોંઘા થશે.

May 11, 2026
image-8.png
1min172

સુરત ગ્રામ્ય એલ.સી.બી. (LCB) એ ટેક્સ ચોરી અને છેતરપિંડી આચરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે સુરત સ્થિત “સદ્દગુરુ શિવમ ટ્રાવેલ્સ” ના માલિક અજયકુમાર વામજા સરકારી ટેક્સ બચાવવા માટે પોતાની અલગ-અલગ પેસેન્જર બસો પર એક જ રજીસ્ટ્રેશન નંબર લગાવીને ગેરકાયદેસર રીતે પરિવહન કરી રહ્યા છે. આ બાતમીના આધારે એલ.સી.બી.ના પી.આઈ. એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી કડોદરા ચાર રસ્તા પાસે વોચ ગોઠવવામાં આવી હતી.

પોલીસની ટીમે કડોદરા ખાતેથી નાશિક-સુરત રૂટની બસને અટકાવી હતી. આ જ સમયે બાતમી મળી હતી કે આ જ નંબરની બીજી બસ અમરેલીથી સુરત તરફ આવી રહી છે, જેથી પોલીસે સુરત શહેરમાં રેઈડ કરી બીજી બસ પણ ઝડપી પાડી હતી. આશ્ચર્યજનક રીતે, બંને બસોમાં એક જ રજીસ્ટ્રેશન નંબર હોવા ઉપરાંત તેના એન્જિન અને ચેસિસ નંબર સાથે પણ ચેડા કરી તેને એકસરખા બનાવ્યા હોવાનું રેકેટ બહાર આવ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે સરકારને લાખો રૂપિયાનો પેસેન્જર ટેક્સ ન ચૂકવવો પડે તે માટે માલિક દ્વારા આ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી હતી.

આ કામગીરીમાં પોલીસે બસ ચાલક બિજલભાઈ પુનાભાઈ ભુરખીયા (રહે. ભાવનગર) ની ધરપકડ કરી છે, જ્યારે ટ્રાવેલ્સના માલિક અજયભાઈ રમેશભાઈ વામજા (રહે. વરાછા, સુરત) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે બંને લક્ઝરી બસો જપ્ત કરી કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

May 11, 2026
image-7.png
1min197

મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોના સરળતાથી પરિવહનની અનિશ્ચચતા વચ્ચે દેશમાં પણ ઇંધણની સપ્લાય ચેનને અસર થઇ છે. જેના પગલે પીએમ મોદીએ રવિવારે નાગરિકોને ઇંધણનો સંયમપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે. ત્યારે કેન્દ્ર સરકારે પણ લોકોને પેટ્રોલ ડીઝલનો ઓછો વપરાશ કરવા અપીલ કરી છે. જોકે, મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશના ઈંધણનો જથ્થો પૂરતો છે.

આ અંગે પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે શક્ય હોય ત્યાં મેટ્રો અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ લોકો કારપૂલિંગ અપનાવે છે અને માલસામાન માટે રેલવેને પસંદ કરે છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે જો દરેક નાગરિક રોજિંદા જીવનમાં ઊર્જા બચાવવાનો પ્રયાસ કરે તો દેશ પરનો આર્થિક દબાણ ઘટાડી શકાય છે.

તેમણે પેટ્રોલ ડીઝલની સ્થિતી અને જણાવ્યું કે દેશમાં ક્રુડ ઓઈલનો ભંડાર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને બધી રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી રહી છે. દેશના કોઈપણ પેટ્રોલ પંપ પર ઇંધણની કોઈ અછત નથી અને એલપીજી એજન્સીઓ પર પણ પુરવઠો સામાન્ય રહ્યો છે.

મંત્રાલયે માહિતી આપી હતી કે રાંધણ ગેસ પૂરો પાડવામાં આવી રહ્યો છે. એલપીજી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. છેલ્લા ત્રણ દિવસમાં 1 કરોડ 14 લાખ બુકિંગ સામે 1 કરોડ 26 લાખ એલપીજી સિલિન્ડર ઘરોમાં પહોંચાડવામાં આવ્યા છે. જયારે છેલ્લા ત્રણ દિવસમાં કોમર્શીયલ એલપીજીનું વેચાણ પણ 17 હજાર ટનથી વધુ થયું છે. સરકારે કહ્યું કે ઓટો એલપીજીનું વેચાણ પણ 762 ટનથી વધુ નોંધાયું છે. તેમજ પુરવઠા પ્રણાલી સામાન્ય રીતે કાર્યરત છે અને ગભરાવાની કોઈ જરૂર નથી.

May 10, 2026
image-6.png
1min215
  • વીસીકે અને આઈયુએમએલના બે-બે ધારાસભ્યોના સમર્થન સાથે થલાપતિ વિજય 120 ધારાસભ્યોના ટેકાથી બહુમતે પહોંચ્યો
  • કોંગ્રેસના પાંચ અને ડાબેરીઓના ચાર ધારાસભ્યોનો વિજયને શરૂઆતથી જ ટેકો

તમિલનાડુમાં અંતે શનિવારે Dated 09/05/2026 અભિનેતામાંથી નેતા બનેલા વિજયની સરકારની રચના અંગેની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. પાંચ રાજ્યોની ચૂંટણીના ભાગરૂપે સોમવારે પરિણામો જાહેર થતા તમિલનાડુમાં નવી સરકારની રચના માટે પોલિટિકલ ડ્રામા શરૂ થયો હતો, જેનો શનિવારે ડીએમકેના સાથી પક્ષો વીસીકે અને આઈએમયુએલના વિજયના તમિલગા વેટ્રી કઝગમ (ટીવીકે)ને બિનશરતી સમર્થન સાથે અંત આવ્યો છે. હવે વિજય રવિવારે મુખ્યમંત્રીપદના શપથ લેશે. વિજયે નાના પક્ષોના સહારે સરકાર બનાવવા માટે જરૂરી સમર્થન મેળવવામાં વિજય મેળવ્યો છે, પરંતુ છેલ્લા એક સપ્તાહનો રાજકીય ડ્રામા વિજય માટે આગામી ચઢાણ કપરા રહેશે તેવા સંકેત આપે છે.

તમિલનાડુમાં બે વર્ષ જૂની ટીવીકેએ પહેલી વખત ચૂંટણી લડતા 108 બેઠકો જીતીને ઈતિહાસ રચનારા થલાપતિ વિજય માટે સરકાર રચવા ૨૩૪ સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના પાંચ અને ડાબેરીઓના ચાર ધારાસભ્યોના સમર્થન છતાં 118 ધારાસભ્યોનું સમર્થન મેળવવું મુશ્કેલ બની ગયું હતું. જોકે, ટીવીકેને શનિવારે સમર્થન આપનારા વીસીકે અને આઈએમયુએલ પાસે 2-2 ધારાસભ્યો છે. આ સાથે વિજયને 120 સભ્યોનું સમર્થન મળી ગયું છે. વિજયે શનિવારે સાંજે તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરની મુલાકાત લઈને તેમને 120 ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપતા રવિવારે વિજયના શપથગ્રહણનો રસ્તો સાફ થઈ ગયો હતો.

વિજય હવે 10/05/2026 રવિવારે સવારે 10 કલાકે મુખ્યમંત્રીપદના શપથ લેશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચેન્નઈમાં વિજયના શપથગ્રહણ સમારંભમાં સામેલ થશે. સૂત્રો મુજબ વિજય શપથગ્રહણનો સમય બદલવા માગતા હતા, પરંતુ તેમના જ્યોતિષીએ સવારે 10 વાગ્યાના સમયને શુભ મુહૂર્ત ગણાવ્યું હતું.

આ પહેલા છેલ્લા ત્રણ દિવસમાં વિજયે ત્રણ વખત રાજ્યપાલ અર્લેકરની મુલાકાત લઈને સરકાર બનાવવા માટેનો દાવો ક્યો હતો, પરંતુ તેઓ રાજ્યપાલને બહુમત માટે જરૂરી 118 ધારાસભ્યોનું સમર્થન બતાવી શક્યા નહોતા.

ડીએમકેના સાથી પક્ષો વીસીકે અને આઈએમયુએલે શુક્રવારે ટીવીકેને સમર્થન આપ્યા પછી યુ-ટર્ન લીધો હતો. વીસીકેએ ટીવીકેને સમર્થન માટે નાયબ મુખ્યમંત્રીપદની માગણી કરી હતી જ્યારે આઈયુએમએલે ડીએમકેનો સાથ આપવા માટે ટીવીકેને સમર્થનનો ઈનકાર કર્યો હતો. જોકે, અંતે શનિવારે આ બંને પક્ષોએ ફરી તેમનું વલણ બદલ્યું હતું અને ટીવીકેને બિનશરતી સમર્થન આપ્યું હતું.

May 6, 2026
SS_Logo_Red-1280x986.png
6min546

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવાયેલી ધોરણ-10 (SSC)ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્યનું કુલ પરિણામ 83.86% નોંધાયું છે, જે ગત વર્ષ 2025ના 83.08% પરિણામની સરખામણીએ 0.78%નો સાધારણ સુધારો દર્શાવે છે. જોકે, સૌથી આશ્ચર્યજનક અને આનંદદાયક પાસું ‘A1’ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં થયેલો તોતિંગ વધારો છે.

પરિણામના આંકડા અને તુલનાત્મક અભ્યાસ

આ વર્ષે પરીક્ષામાં કુલ 7,56,392 નિયમિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 6,34,327 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ગત વર્ષે (2025) 7,46,892 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવા છતાં પરિણામની ટકાવારી ઊંચી જવી એ શિક્ષણની ગુણવત્તામાં સુધારો સૂચવે છે.

મેધાવી વિદ્યાર્થીઓનો દબદબો: A1 ગ્રેડમાં ઉછાળો

આ વર્ષના પરિણામની સૌથી મોટી હાઈલાઈટ ‘ગ્રેડ વાઈઝ સિદ્ધિ’ છે. વર્ષ 2026માં કુલ 35,508 વિદ્યાર્થીઓએ ‘A1’ ગ્રેડ મેળવ્યો છે. ગત વર્ષે આ સંખ્યા 28,055 હતી. એટલે કે, ગત વર્ષની સરખામણીએ આશરે 7,453 વધુ વિદ્યાર્થીઓએ ટોચનો ગ્રેડ હાંસલ કર્યો છે. તેવી જ રીતે, ‘A2’ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ 86,459 થી વધીને 90,863 થઈ છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મકતા અને ગુણવત્તાલક્ષી દેખાવ વધ્યો છે.

જિલ્લાવાર દેખાવ: નર્મદા જિલ્લો મોખરે

જિલ્લાવાર પરિણામ પર નજર કરીએ તો, વર્ષ 2026માં નર્મદા જિલ્લો 90.85% સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે. ગત વર્ષે બનાસકાંઠા જિલ્લો 89.29% સાથે મોખરે હતો. બીજી તરફ, સૌથી ઓછું પરિણામ પંચમહાલ જિલ્લાનું (76.42%) રહ્યું છે, જોકે ગત વર્ષના સૌથી ઓછા પરિણામ ધરાવતા ખેડા જિલ્લા (72.55%) કરતા આ આંકડો ઘણો સારો છે.

કેન્દ્રની વાત કરીએ તો, ગાંધીનગર જિલ્લાનું ‘આજોલ’ કેન્દ્ર 100% પરિણામ સાથે રાજ્યમાં સર્વોત્તમ રહ્યું છે. જ્યારે દાહોદ જિલ્લાનું ‘મુનખોસલા’ કેન્દ્ર 33.74% પરિણામ સાથે સૌથી પાછળ રહ્યું છે.

શાળાઓનું પ્રદર્શન: 100% પરિણામ ધરાવતી શાળાઓ વધી

રાજ્યની શાળાઓના પ્રદર્શનમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે:

  • 100% પરિણામ ધરાવતી શાળાઓ: ગત વર્ષે 1,574 શાળાઓનું પરિણામ સો ટકા હતું, જે આ વર્ષે વધીને 1,697 થયું છે.
  • ઝીરો ટકા પરિણામ: શૂન્ય પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 45 થી ઘટીને 39 થઈ છે, જે શિક્ષણ વિભાગ માટે રાહતના સમાચાર છે.
  • 30% કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓમાં પણ ઘટાડો થયો છે (201 થી ઘટીને 164).

પુનરાવર્તિત અને ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓ

નિયમિત વિદ્યાર્થીઓ ઉપરાંત, પુનરાવર્તિત (Repeater) વિદ્યાર્થીઓનું પરિણામ 33.53% આવ્યું છે, જે ગત વર્ષના 32.26% કરતા વધુ છે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) ના વિદ્યાર્થીઓના પરિણામમાં પણ આંશિક સુધારો જોવા મળ્યો છે, જે 27.18% થી વધીને 28.22% નોંધાયું છે.

નિષ્કર્ષ

સમગ્ર રીતે જોતા, 2026નું ધોરણ-10નું પરિણામ શૈક્ષણિક પ્રગતિનું પ્રતીક છે. પરીક્ષા કેન્દ્રોની સંખ્યા 989 થી વધારીને 1,006 કરવામાં આવી હતી, જે વ્યવસ્થાપનની સરળતા દર્શાવે છે. A1 અને A2 ગ્રેડના વિદ્યાર્થીઓની વધતી સંખ્યા ભવિષ્યમાં વિજ્ઞાન પ્રવાહ અને ઉચ્ચ અભ્યાસ માટે નવી તકોના દ્વાર ખોલશે. જે વિદ્યાર્થીઓ સફળ થયા છે તેમના ઘરોમાં દિવાળી જેવો માહોલ છે, અને જેઓ પાછળ રહી ગયા છે તેમને પૂરક પરીક્ષા દ્વારા ફરી તક આપવામાં આવશે.

૧. નર્મદા જિલ્લો: રાજ્યમાં અવ્વલ (૯૦.૮૫%)

સામાન્ય રીતે મોટા શહેરો કે જે શૈક્ષણિક હબ ગણાય છે (જેમ કે અમદાવાદ કે રાજકોટ) તે મોખરે રહેતા હોય છે, પરંતુ ૨૦૨૬માં નર્મદા જિલ્લાએ બાજી મારી છે:

  • ઐતિહાસિક સિદ્ધિ: ગત વર્ષે (૨૦૨૫) બનાસકાંઠા જિલ્લો ૮૯.૨૯% સાથે પ્રથમ હતો. આ વર્ષે નર્મદા જિલ્લાએ ન માત્ર પ્રથમ સ્થાન મેળવ્યું છે, પરંતુ રાજ્યની સરેરાશ (૮૩.૮૬%) કરતા પણ ૭% જેટલું ઊંચું પરિણામ આપ્યું છે.
  • ગરીબ અને ગ્રામીણ વિસ્તારોનો દબદબો: નર્મદા જેવા આદિવાસી બહુલ જિલ્લાનું આ પ્રદર્શન સૂચવે છે કે છેવાડાના વિસ્તારોમાં પણ શિક્ષણનું સ્તર અને વિદ્યાર્થીઓની મહેનત વધી રહી છે.

૨. A1 ગ્રેડ: રેકોર્ડબ્રેક સફળતા

A1 ગ્રેડ મેળવવો એટલે કે ૯૦% થી વધુ ગુણ મેળવવા. આ વર્ષે તેમાં ઘણો મોટો ઉછાળો જોવા મળ્યો છે:

  • આંકડાકીય તફાવત: ૨૦૨૫માં ૨૮,૦૫૫ વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં હતા, જે ૨૦૨૬માં વધીને ૩૫,૫૦૮ થયા છે. આ લગભગ ૨૬% નો વધારો છે.
  • આનું કારણ શું હોઈ શકે?
    • વિદ્યાર્થીઓમાં વધેલી સ્પર્ધાત્મકતા.
    • પરીક્ષા પદ્ધતિમાં થયેલા અનુકૂળ ફેરફારો.
    • ડિજિટલ લર્નિંગ અને સંસાધનોની સુલભતા.

૩. ૧૦૦% પરિણામ ધરાવતી શાળાઓ

આ વર્ષે ૧,૬૯૭ શાળાઓ એવી છે જ્યાં એક પણ વિદ્યાર્થી નાપાસ થયો નથી. ૨૦૨૫માં આવી ૧,૫૭૪ શાળાઓ હતી. આ વધારો દર્શાવે છે કે શાળાઓ હવે માત્ર પાસ થવા પર નહીં, પણ ગુણવત્તાયુક્ત પરિણામ લાવવા પર ધ્યાન આપી રહી છે.


તુલનાત્મક સારાંશ (૨૦૨૫ vs ૨૦૨૬):

વિગત૨૦૨૫૨૦૨૬
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લોબનાસકાંઠા (૮૯.૨૯%)નર્મદા (૯૦.૮૫%)
૧૦૦% પરિણામ ધરાવતી શાળાઓ૧,૫૭૪૧,૬૯૭
A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ૨૮,૦૫૫૩૫,૫૦૮

દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાનો તુલનાત્મક અભ્યાસ

ગુજરાત બોર્ડના ધોરણ-10ના પરિણામમાં દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓએ (સુરત, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ) સરેરાશ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. આ સાત જિલ્લાઓમાં સુરત જિલ્લો 86.04% સાથે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મોખરે રહ્યો છે, જ્યારે નર્મદા જિલ્લો 90.85% (રાજ્યમાં પ્રથમ) હોવા છતાં સુરતની વિદ્યાર્થીઓની સંખ્યાની સરખામણીએ સુરતનો દબદબો વધુ જણાય છે. ભરૂચ (84.15%) અને નવસારી (84.61%) જિલ્લાઓએ પણ ગૌરવશાળી પ્રદર્શન કર્યું છે. તાપી જિલ્લો 83.22% અને વલસાડ 79.80% પરિણામ સાથે મધ્યમ સ્તરે રહ્યા છે. ડાંગ (આહવા) જિલ્લાએ ભૌગોલિક પડકારો છતાં 88.17% જેવું ઊંચું પરિણામ લાવીને સૌને ચોંકાવી દીધા છે. સમગ્ર રીતે જોતા, દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ રાજ્યના સરેરાશ પરિણામ કરતા પણ વધુ સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યા છે.

સુરત જિલ્લાનું શાનદાર પ્રદર્શન: આંકડાની દ્રષ્ટિએ વિશ્લેષણ

સુરત જિલ્લાએ આ વર્ષે તેની શૈક્ષણિક ગુણવત્તાનો પરચો આપતા 86.04% પરિણામ હાંસલ કર્યું છે. આ પરિણામની વિશેષતા એ છે કે સુરતમાં રાજ્યના સૌથી વધુ 81,652 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 70,254 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ (EQC) થયા છે. સૌથી મહત્વની બાબત ‘A’ ગ્રેડ મેળવનારા તેજસ્વી તારલાઓની સંખ્યા છે. સુરત જિલ્લામાં રાજ્યમાં સૌથી વધુ 6,475 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 13,534 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. આ આંકડા સાબિત કરે છે કે સુરત માત્ર વેપારનું જ નહીં, પરંતુ શિક્ષણનું પણ પાવરહાઉસ બની રહ્યું છે. ગત વર્ષના પરિણામની તુલનામાં સુરતે તેની ગરિમા જાળવી રાખી છે અને વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ આપ્યા છે.

સુરત જિલ્લો: રાજ્યના અન્ય જિલ્લાઓ કરતા શા માટે ચઢીયાતો?

૧. મેધાવી વિદ્યાર્થીઓનો ગઢ: A1 અને A2 ગ્રેડમાં એકહથ્થુ શાસન

સુરતની સૌથી મોટી તાકાત તેના તેજસ્વી વિદ્યાર્થીઓ છે. આખા રાજ્યમાં સૌથી વધુ A1 અને A2 ગ્રેડ સુરત જિલ્લાના ફાળે ગયા છે.

  • A1 ગ્રેડ: સુરતમાં ૬,૪૭૫ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જેની સરખામણીએ અમદાવાદ સિટી (૧,૭૫૫) અને રાજકોટ (૪,૨૬૨) જેવા મોટા શહેરો ઘણા પાછળ છે.
  • A2 ગ્રેડ: અહીં ૧૩,૫૩૪ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે, જે રાજ્યમાં સર્વોચ્ચ છે.
  • આ સાબિત કરે છે કે સુરતમાં માત્ર પાસ થવાનું પ્રમાણ જ નથી, પણ ‘ટોપર’ બનવાનું પ્રમાણ પણ અન્ય જિલ્લાઓ કરતા અનેકગણું વધારે છે.

૨. સૌથી વધુ વિદ્યાર્થીઓ હોવા છતાં ઊંચું પરિણામ

કોઈપણ જિલ્લા માટે જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા વધે ત્યારે પરિણામની ટકાવારી જાળવવી પડકારજનક હોય છે.

  • સંખ્યાનું ગણિત: સુરત જિલ્લામાં રાજ્યમાં સૌથી વધુ ૮૧,૬૫૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા.
  • આટલી મોટી સંખ્યા હોવા છતાં સુરતે ૮૬.૦૪% જેવું ઊંચું પરિણામ મેળવ્યું છે. તેની સરખામણીએ અમદાવાદ સિટી (૭૯.૯૯%) અને વડોદરા (૭૮.૩૮%) જેવા મોટા જિલ્લાઓ પાછળ રહી ગયા છે.

૩. પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં રાજ્યમાં પ્રથમ

જો આપણે ટકાવારીને બાજુ પર મૂકીને સફળ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા જોઈએ, તો સુરત અજેય છે.

  • સુરતમાંથી કુલ ૭૦,૨૫૪ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
  • રાજ્યના ઘણા નાના જિલ્લાઓના કુલ વિદ્યાર્થીઓ કરતા પણ સુરતના પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. આ આંકડો સુરતની શૈક્ષણિક ક્ષમતાનો પુરાવો છે.
May 5, 2026
image-2.png
1min210

દેશના ચાર રાજ્ય પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલમ અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી ના અત્યાર સુધીના પરિણામોમાં બે રાજ્ય પશ્ચિમ બંગાળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં ભાજપની જીત નિશ્ચિત છે. જ્યારે તમિલનાડુમાં થલાપતિ વિજયની પાર્ટી ટીવીકે અને કેરળમમાં કોંગ્રેસ સમર્થિત UDF સરકારની રચના કરી શકે છે.

પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષ TMCની કારમી હાર

જેમાં પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષ ટીએમસીની કારમી હાર થઇ છે. જેમાં સીએમ મમતા બેનર્જી ખુદ ભવાનીપુર બેઠક પરથી 15,114 મતથી હારી ગયા છે. તેમજ ભાજપના સુવેન્દુ અધિકારીની જીત થઇ છે. જ્યારે કુલ 293 બેઠકમાંથી ભાજપને 199 બેઠક પર જીત મેળવી છે. તેમજ 08 બેઠક પર આગળ છે. જ્યારે ટીએમસી 69 બેઠક જીતી છે અને 11 બેઠક પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 2 બેઠક જીતી છે. જ્યારે લેફ્ટ 1 બેઠક અને અન્યના ફાળે 3 બેઠક ગઇ છે.

આસામમાં ભાજપના નેતૃત્વમાં એનડીએએ 91 બેઠકો જીતી

આ ઉપરાંત આસામમાં ભાજપના નેતૃત્વમાં એનડીએએ 91 બેઠકો જીતી છે. જ્યારે એક પર આગળ છે. કોંગ્રેસે 20 બેઠક જીતી છે અને એક પર આગળ છે. જ્યારે એઆઇયુડીએફ બે બેઠક જીતી છે જ્યારે અન્યના ફાળે 11 બેઠકો ગઇ છે.

પુડુચેરીમાં 30માંથી એનડીએ 17 બેઠક પર વિજય મેળવ્યો

કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં 30માંથી એનડીએ 17 બેઠક પર વિજય મેળવ્યો છે. જ્યારે એક પર આગળ છે. જ્યારે કોંગ્રેસને 6 અને ટીવીકેને 3 બેઠકો મળી છે. તેમજ ત્રણ બેઠકો અપક્ષને ફાળે ગઇ છે. આમ, પુડુચેરીમાં એનડીએ સરકારની રચના કરશે.

તમિલનાડુમાં થલાપતિ વિજયની ટીવીકે કિંગ બની

તમિલનાડુમાં થલાપતિ વિજયની ટીવીકેએ બે મુખ્ય રાજકીય પક્ષ ડીએમકે અને એઆઇએડીએમકેને પછાડી દીધા છે. તેમજ ટીવીકે 104 બેઠક પર જીત મેળવી છે તેમજ 03 બેઠકો પર આગળ છે. જોકે, ટીવીકેને પૂર્ણ બહુમત માટે 118 બેઠકોની જરૂર છે. જ્યારે સત્તાધારી ડીએમકેએ 72 બેઠક જીતી છે અને 2 બેઠક પર આગળ છે. જ્યારે એઆઇએડીએમકે એ 51 બેઠક જીતી છે અને 2 બેઠક પર આગળ છે.

કેરલમમાં કોંગ્રેસ સમર્થિત યુડીએફએ 97 બેઠક જીતી

જ્યારે કેરલમમાં 140 બેઠકમાંથી કોંગ્રેસ સમર્થિત યુડીએફએ 97 બેઠક જીતીને સત્તા મેળવી છે. જ્યારે કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતૃત્વવાળી એલડીએફએ 35 બેઠક જીતી છે. તેમજ એનડીએ માત્ર 3 બેઠક જીતી છે.