CIA ALERT

Slider Archives - Page 2 of 488 - CIA Live

July 6, 2026
WhatsApp-Image-2026-07-06-at-17.27.38-1280x853.jpeg
1min81
  • SGCCI અને CAIT ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે ‘વેપાર અને ઉદ્યોગને મજબૂત બનાવવા’ વિશે સેશન યોજાયું
  • બિઝનેસ ગ્રોથના નવા સ્કોપ અને વેપાર વૃદ્ધિના માર્ગો જાણવા ઉદ્યોગકારો માટે અનિવાર્ય: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા
  • સરકાર ‘વન ટ્રેડ, વન લાયસન્સ’ નિયમ લાવવા પ્રયત્નશીલ, ટેક્સટાઇલ ઉદ્યોગકારોને PLI સ્કીમનો લાભ લેવા હાકલ

સુરત, ૬ જુલાઈ ૨૦૨૬: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે તા. ૪ જુલાઈ ૨૦૨૬ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે, સરસાણા સ્થિત ‘ઉષાકાંત મારફતિયા હોલ’ ખાતે ‘વેપાર અને ઉદ્યોગને મજબૂત બનાવવાઃ સરકારની યોજનાઓ, વ્યવસાય વિકાસ અને નવી તકો’ વિષય પર એક વિશેષ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનમાં લોકસભાના સાંસદ અને CAIT ના સેક્રેટરી જનરલ શ્રી પ્રવીણ ખંડેલવાલે ઉપસ્થિત રહીને વેપારીઓને વર્તમાન સમયની ટેકનોલોજી અને સરકારી નીતિઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

વેપાર વૃદ્ધિ માટે અપગ્રેડેશન જરૂરી: પ્રમુખ અશોક જીરાવાલા
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, “ભારતના આર્થિક વિકાસમાં વેપાર અને ઉદ્યોગનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે અનેક નવી યોજનાઓ, સુધારા અને નીતિઓ અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે આજના સ્પર્ધાત્મક યુગમાં બિઝનેસ ગ્રોથના નવા સ્કોપ તેમજ વેપાર વૃદ્ધિના માર્ગો વિશે જાણવું ઉદ્યોગકારો માટે ખૂબ જરૂરી છે.”

૯૦% વેપારીઓ ML અને AIના જ્ઞાનથી વંચિત: પ્રવીણ ખંડેલવાલ
સાંસદ અને CAITના સેક્રેટરી જનરલ શ્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, “ઉદ્યોગકારોએ હંમેશા વેપારમાં વૃદ્ધિ કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા-વિચારણા કરવી જોઈએ. વેપાર કરતી વખતે સમયની સાથે અપગ્રેડ થવું આવશ્યક છે. હાલમાં સમગ્ર વેપાર ML (મશીન લર્નિંગ) અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) થકી થઈ રહ્યો છે, પરંતુ ભારતમાં ૯૦% વેપારીઓને ML અને AI વિશેનું પૂર્ણ જ્ઞાન નથી. ઉદ્યોગકારોએ વેપાર ચલાવવાના જરૂરી ટૂલ્સની સમગ્ર માહિતી રાખવી જોઈએ.”

તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી મુદ્રા યોજના, વિશ્વકર્મા યોજના, લખપતિ દીદી યોજના અને ડિજી સખી યોજના અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું કે, ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ PLI સ્કીમ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને આગામી સમયમાં ‘વન ટ્રેડ, વન લાયસન્સ’ નિયમ લાગુ થાય તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે.

દિલ્હીમાં ભારતીય વેપાર મહોત્સવ: શ્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, CAIT અને ITPOના સંયુક્ત ઉપક્રમે નવી દિલ્હીના ભારત મંડપમ્‌ ખાતે તા. ૧૨ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન ‘ભારતીય વેપાર મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ ૭,૦૦૦ સ્ક્વેર મીટર જગ્યામાં સ્ટોલ રાખ્યા છે. આ મહોત્સવની 40થી વધુ દેશોના ઉદ્યોગકારો મુલાકાત લેશે, જે વેપારની નવી તકો ઊભી કરશે.

આ સેશનમાં ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ, પૂર્વ પ્રમુખ અને ટેક્સટાઇલ ટાસ્કફોર્સ કમિટીના ચેરમેન શ્રી આશિષ ગુજરાતી, CAIT ગુજરાતના પ્રમુખ શ્રી પ્રમોદ ભગત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની રૂપરેખા ગ્રૂપ ચેરમેન શ્રી મનોજ અગ્રવાલે આપી હતી, સંચાલન શ્રી મિતેશ શાહે કર્યું હતું અને અંતમાં માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયાએ આભારવિધિ કરી હતી.

July 6, 2026
Cia_business_news-1280x936.jpg
1min64

સાઉથ ગુજરાત શિફલી એમ્બ્રોઈડરી એસોસિએશન દ્વારા ૯ મી એજીએમ મળી હતી. જેમાં તમામ મેમ્બરો અને હોદ્દેદારો હાજર રહ્યાં હતાં જેમાં પ્રમુખ પદે અશોકભાઈ મહેતા, ઉપપ્રમુખ પદે નરેશભાઇ લાખાણી , વજુભાઈ પટેલ, સુભાષભાઈ ગંગવાણી, ગોપાલભાઈ હુરિયા , સેક્રેટરી પદે સંજયભાઈ અગ્રવાલ , જોઈન્ટ સેક્રેટરી પદે જતીનભાઇ વાધાણી અને ખજાનચી પદે મનોજભાઈ અગ્રવાલ ની નિમણૂંક કરવામાં આવી હતી.

સંસ્થાના ઉપપ્રમુખ નરેશભાઇ લાખાણી એ કહ્યું હતું કે, છેલ્લાં ૯ વર્ષથી શિફલી એમ્બ્રોઈડરી એસોસિએશન કાર્યરત છે. સંસ્થામાં ૧૪૨ રજીસ્ટ્રર મેમ્બરો છે જ્યારે શહેરમાં શિફલી એમ્બ્રોઈડરી ના ૨૦૦ જેટલા યુનિટો કાર્યરત છે.

હાલ શિફલી વર્કની ડિમાન્ડ ભારત સહિત આંતરાષ્ટ્રીય માર્કેટમાં છે. એક્સપોર્ટમાં શિફલી વર્કનો હિસ્સો ખુબ જ મોટી માત્રામાં છે.

ખાસ કરીને હાલ પેમેન્ટનો મુદ્દો ચાલી રહ્યો છે ત્યારે શિફલી એમ્બ્રોઈડરી એસોસએશન દ્વારા પણ મેમ્બરોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ પણ સભ્યોને પરેશાની હોય તો સંસ્થા દ્વારા તમામ પ્રકારની મદદ કરવામાં આવે છે.આ ઉપરાંત જે વેપારીઓ કારણ વગર ક્લેઈમ કરશે તો તેમની સાથે એસોસિએશનના મેમ્બરો કામ કરશે નહીં તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. એસોસિએશન દ્વારા તમામ સભ્યોને ઓછા ભાવે કામ ન કરવા માટે વિનંતી કરવામાં આવી છે.

July 6, 2026
image-6-1280x960.png
1min77

mumbai-pune-highway-closed-heavy-rain-mumbai-university-exams-postponed

મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદ અને અતિવૃષ્ટિની ચેતવણીને પગલે મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે. વાહનવ્યવહારથી લઈને રેલવે અને શિક્ષણ સંસ્થાઓ સુધીની તમામ સેવાઓ પર વરસાદની ગંભીર અસર જોવા મળી રહી છે.

મુંબઈ-પુણે હાઈવે સંપૂર્ણપણે બંધ

સતત વરસાદ અને લેન્ડસ્લાઈડના જોખમને કારણે પુણે-મુંબઈ એક્સપ્રેસવે તેમ જ જૂનો મુંબઈ-પુણે હાઈવે બંને માર્ગો પર વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) દ્વારા આગામી આદેશ સુધી બંને તરફનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. નાગરિકોને હાલ આ માર્ગો પર મુસાફરી ન કરવા અને અતિ આવશ્યક કામ હોય તો જ પ્રશાસનની સત્તાવાર સૂચનાઓ મેળવીને જ બહાર નીકળવા અપીલ કરવામાં આવી છે.

લોકલ ટ્રેનવ્યવહાર પણ ખોરવાયો

મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન સેવાઓ પણ વરસાદના કારણે ધીમી પડી ગઈ છે. જોકે પ્રશાસન દ્વારા શાળા અને કોલેજમાં જાહેર કરવામાં આવેલી રજાને પગલે મુંબઈગરાઓએ ઘરે જ રહેવાનું મુનાસિબ માન્યું હતું.
પશ્ચિમ રેલવે પર વસઈ અને નાલાસોપારા રેલવે સ્ટેશનો પર ટ્રેકના પાટા પાણીમાં ગરકાવ થઈ જતાં પશ્ચિમ રેલવેની સેવાઓ અડધો કલાક જેટલી મોડી ચાલી રહી છે.જ્યારે મધ્ય રેલવે પર મેઈન લાઈન પર લોકલ ટ્રેનો અડધો કલાક જેટલી મોડી દોડી રહી છે. કલ્યાણ સ્ટેશનથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફ જતી ટ્રેનો વિલંબથી દોડી રહી છે.

સાત જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી અતિવૃષ્ટિની ચેતવણીને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં રૂપે પુણે, થાણે, રાયગઢ સહિત રાજ્યના સાત મુખ્ય જિલ્લાઓમાં આજે તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા તમામ નાગરિકોને હવામાન વિભાગની અને પ્રશાસનની ઑફિશિયલ અપડેટ્સ જોયા બાદ જ ઘરની બહાર નીકળવા અને વહીવટીતંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષાઓ સ્થગિત

મુશળધાર વરસાદ અને પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓને પડનારી મુશ્કેલીઓ અને તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપીને મુંબઈ યુનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો છે. યુનિવર્સિટી દ્વારા આજે એટલે કે છઠ્ઠી જુલાઈના રોજ યોજાનારી મુંબઈ યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ પોસ્ટપોન કરવામાં આવી છે. પરીક્ષા અને મૂલ્યાંકન મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સ્થગિત રાખવામાં આવેલી પરીક્ષાઓનું નવું અને સુધારેલું ટાઈમટેબલ ટૂંક સમયમાં જ મુંબઈ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

July 6, 2026
image-4.png
1min64

વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં લંડનના લોર્ડ્સ મેદાન પર ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવી ટ્રોફી જીતી. 151 રનનો લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયાએ 17.1 ઓવરમાં હાંસલ કર્યો. બેથ મૂનીના 64 અને ફોએબે લિચફિલ્ડના 48 રનની મદદથી કાંગારુ ટીમે રેકોર્ડ 7મી વખત આ ખિતાબ જીત્યો છે.

ICC વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ના રોમાંચક ફાઇનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ફરી એકવાર ક્રિકેટ જગતમાં પોતાનું આધિપત્ય સાબિત કર્યું છે. લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રવિવારે (5 જુલાઈ) રમાયેલી ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 7 વિકેટે કરારી હાર આપીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. ઈંગ્લેન્ડે આપેલા 151 રનના ટાર્ગેટને ઓસ્ટ્રેલિયાની ટીમે માત્ર 17.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આસાનીથી હાંસલ કરી લીધો હતો. સોફી મોલિનક્સની કપ્તાની હેઠળની કાંગારૂ ટીમે આ સમગ્ર ટૂર્નામેન્ટમાં એક પણ મેચ ગુમાવી નથી, જે તેમના મજબૂત ફોર્મને દર્શાવે છે.

મહિલા ટી20 ક્રિકેટના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સૌથી સફળ ટીમ રહી છે અને આ વર્ષે જીત સાથે તેમણે રેકોર્ડ 7મી વખત આ ખિતાબ જીત્યો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ 2010, 2012, 2014, 2018, 2020 અને 2023માં પણ વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકી છે. ઓસ્ટ્રેલિયા સિવાય અન્ય ટીમોની વાત કરીએ તો ઈંગ્લેન્ડ (2009), વેસ્ટઇન્ડીઝ (2016) અને ન્યૂઝીલેન્ડ (2024) માત્ર એક-એક વાર જ આ ટ્રોફી જીતવામાં સફળ રહ્યા છે.

બેથ મૂની અને લિચફિલ્ડની વિસ્ફોટક બેટિંગ

151 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત નબળી રહી હતી અને બીજી જ ઓવરમાં ઓપનર જોર્જિયા વોલ આઉટ થઈ ગઈ હતી. જોકે, ત્યારબાદ ફોએબે લિચફિલ્ડ અને વિકેટકીપર બેટર બેથ મૂનીએ શાનદાર વાપસી કરાવી હતી. આ બંને વચ્ચે બીજી વિકેટ માટે 100 રનની મેચ વિનિંગ ભાગીદારી થઈ હતી, જેણે ઈંગ્લેન્ડની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.

લિચફિલ્ડે 35 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી ધમાકેદાર 48 રન બનાવ્યા હતા. જ્યારે બેથ મૂનીએ 49 બોલમાં 10 ચોગ્ગા ફટકારીને 64 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ બંનેના આઉટ થયા બાદ એલિસ પેરી (અણનમ 13) અને એશ્લે ગાર્ડનર (અણનમ 3)ની જોડીએ ટીમની જીત સુનિશ્ચિત કરી હતી. ઈંગ્લેન્ડ તરફથી ચાર્લોટ ડીન, સોફી એક્લેસ્ટોન અને લોરેન બેલે 1-1 વિકેટ ઝડપી હતી.

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 150 રન જ બનાવી શકી હતી. ઈંગ્લેન્ડ માટે કેપ્ટન નેટ સાઇવર-બ્રન્ટે સૌથી વધુ 53 બોલમાં 5 ચોગ્ગા સાથે અણનમ 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બીજી તરફ ફ્રેયા કેમ્પે પણ આક્રમક બેટિંગ કરતા 28 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 44 રન ફટકાર્યા હતા. આ બંને પ્લેયર્સે પાંચમી વિકેટ માટે અણનમ 80 રનની ભાગીદારી કરીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. જોકે, એમી જોન્સ (6 રન), ડેની વ્યાટ-હોજ (8 રન) અને હીથર નાઇટ (2 રન) જેવી સ્ટાર પ્લેયર્સ સસ્તામાં આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કિમ ગાર્થ, લુસી હેમિલ્ટન, સોફી મોલિનક્સ અને એનાબેલ સધરલેન્ડે 1-1 વિકેટ મેળવી હતી.

July 6, 2026
image-3.png
1min69

બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસની જાહેરાત કરી કરોડો ચાહકોને ચોંકાવ્યા છે. FIFA વર્લ્ડ કપ 2026 માં નોર્વે સામે બ્રાઝિલની 2-1થી હાર બાદ 34 વર્ષીય નેમારે ભાવુક થઈને નિવૃત્તિ લીધી. તેમણે ‘મેટલાઈફ સ્ટેડિયમ’માં પોતાની પ્રથમ અને અંતિમ મેચ રમી. 16 વર્ષના કરિયરમાં 129 મેચમાં 80 ગોલ સાથે તેઓ બ્રાઝિલના સફળતમ ગોલસ્કોરર બન્યા.

બ્રાઝિલના સ્ટાર અને વિશ્વના દિગ્ગજ ફૂટબોલર નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસની જાહેરાત કરીને કરોડો ચાહકોને આંચકો આપ્યો છે. ફિફા વર્લ્ડ કપ 2026 ના રાઉન્ડ ઓફ-16 મુકાબલામાં નોર્વે સામે બ્રાઝિલનો 2-1 થી પરાજય થયો હતો, જેની સાથે જ બ્રાઝિલનું વર્લ્ડ કપ જીતવાનું સપનું રોળાઈ ગયું હતું. આ શરમજનક હાર બાદ 34 વર્ષીય નેમારે ભારે હૈયે આંતરરાષ્ટ્રીય સ્તરેથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. મેચ બાદ ભાવુક થયેલા નેમારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “મેં મારી પૂરેપૂરી કોશિશ કરી. મારો પ્રવાસ જ્યાંથી શરૂ થયો હતો, આજે ત્યાં જ પૂરો થઈ ગયો છે. હવે બધું સમાપ્ત થઈ ગયું છે.”

નેમારના આ આખરી મુકાબલામાં એક અદભુત સંયોગ પણ જોવા મળ્યો હતો. તેમણે 9 ઓગસ્ટ 2010ના રોજ અમેરિકા સામે ‘મેટલાઈફ સ્ટેડિયમ’ ખાતે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમીને કરિયરની શરૂઆત કરી હતી. લગભગ 16 વર્ષ બાદ, બ્રાઝિલની જર્સીમાં તેમણે પોતાની છેલ્લી મેચ પણ આ જ સ્ટેડિયમમાં રમીને ફૂટબોલ જગતને અલવિદા કહ્યું હતું. પોતાની છેલ્લી મેચમાં નેમાર જમણા પગની પિંડલી (રાઈટ કાફ) ની ઈજાના કારણે શરૂઆતની પ્લેઈંગ 11માં સામેલ નહોતા. જોકે, તેઓ બેન્ચ પરથી મેદાનમાં આવ્યા હતા અને મેચની છેલ્લી મિનિટોમાં પેનલ્ટી દ્વારા શાનદાર ગોલ પણ કર્યો હતો, પરંતુ તે બ્રાઝિલને હારથી બચાવી શક્યો નહોતો.

છેલ્લા કેટલાક વર્ષોથી નેમારનું કરિયર સતત ઈજાઓથી પ્રભાવિત રહ્યું હતું, જેના કારણે તેઓ પોતાની જૂની લય ગુમાવી બેઠા હતા. આ આખા વર્લ્ડ કપ દરમિયાન પણ તેઓ ફિટનેસની સમસ્યાઓ સામે ઝઝૂમતા રહ્યા અને બ્રાઝિલની પાંચ મેચોમાંથી માત્ર બે જ મેચ રમી શક્યા હતા. ગ્રુપ સ્ટેજમાં સ્કોટલેન્ડ સામેની મેચમાં પણ તેઓ માત્ર 15 મિનિટ જ મેદાન પર વિતાવી શક્યા હતા. ઈજાઓએ તેમના પ્રદર્શનને ઘણું સીમિત કરી દીધું હતું.

આ આઘાતજનક વિદાય સાથે જ નેમારના 16 વર્ષ લાંબા ઈન્ટરનેશનલ કરિયરનો અંત આવ્યો છે. તેઓ બ્રાઝિલના ફૂટબોલ ઈતિહાસના સૌથી સફળ ગોલ સ્કોરર તરીકે નિવૃત્ત થયા છે. તેમણે દેશ માટે 129 ઇન્ટરનેશનલ મેચો રમીને રેકોર્ડબ્રેક 80 ગોલ નોંધાવ્યા છે અને ટીમને અનેક યાદગાર જીત અપાવી છે. નેમારની નિવૃત્તિ બાદ હવે બ્રાઝિલિયન ફૂટબોલ એક નવા યુગમાં પ્રવેશી રહ્યું છે, જ્યાં ટીમની કમાન નવી પેઢીના યુવા ખેલાડીઓના હાથમાં રહેશે.

July 4, 2026
cia_edu-1280x925.jpg
1min67

04/07/2026
એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરત, ફરી એકવાર પોતાની રમત-ગમતની પ્રતિભાને સાબિત કરતાં ગુજરાત સરકારની ફ્લેગશિપ સ્પોર્ટ્સ પહેલ, ખેલ મહાકુંભ 2025 2026ના જિલ્લા સ્તરની ફાઇનલમાં ઓવરઓલ રનર અપ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

વિદ્યાર્થીઓએ ટુર્નામેન્ટની કુલ પોઇન્ટ સિસ્ટમ હેઠળ વિવિધ રમતોમાં ભાગ લીધો અને એથ્લેટિક્સ, સ્વિમિંગ, બાસ્કેટબોલ, ફૂટબોલ, કરાટે, સ્કેટિંગ, લોન ટેનિસ, બેડમિન્ટન તથા ટેબલ ટેનિસમાં ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. તેમના આ પ્રદર્શનને માન્યતા આપતાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓને વ્યક્તિગત રોકડ ઇનામ આપવાની સાથો-સાથ એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલને પણ રૂ. 90,000નું રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યું છે.

આ સિદ્ધિ સ્કૂલના રમત-ગમત ક્ષેત્રે સતત રેકોર્ડમાં ઉમેરો કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલે વિવિધ રમત-ગમત સ્પર્ધાઓમાં નોંધપાત્ર સફળતા મેળવી છે.

આ સિદ્ધિ અંગે ગૌરવ વ્યક્ત કરતાં સુનિતા મટુ, પ્રિન્સિપાલ, એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલે જણાવ્યું છે કે, “આ સિદ્ધિ અમારા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શકો દ્વારા દર્શાવાયેલી સમર્પણ, શિસ્ત અને રમત-ગમતની ઉત્તમતા પ્રતિબિંબિત કરે છે. એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમે માનીએ છીએ કે રમત-ગમત આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ અને નેતૃત્વ ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, અને આ માન્યતા અમને સર્વાંગી ઉત્તમતા પ્રોત્સાહિત કરવા માટે પ્રેરણા આપે છે.”

July 4, 2026
Cia_business_news-1280x936.jpg
1min68

દેશના અગ્રણી વેપારી સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના રાષ્ટ્રીય પ્રમુખ તથા દિલ્હીની ચાંદની ચોક લોકસભા બેઠકના ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે સુરતની મુલાકાત દરમિયાન દક્ષિણ ગુજરાતના વેપારીઓને આગામી 12થી 15 ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારા ભારત વ્યાપાર મહોત્સવમાં સક્રિય ભાગ લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સુરત દેશનું અગ્રણી વેપાર અને ઉદ્યોગ કેન્દ્ર હોવાથી મહોત્સવમાં સુરતની ઉપસ્થિતિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પ્રસંગે કૈટના સુરત પ્રમુખ પ્રમોદ ભગત સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અશોક જીરાવાલા સાથે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે ભારત વ્યાપાર મહોત્સવ દેશભરના ઉત્પાદકો, વેપારીઓ, સ્ટાર્ટઅપ, સેવા ક્ષેત્ર અને એમએસએમઈ એકમોને એક જ મંચ પર લાવવાનો પ્રયાસ છે. આ મહોત્સવ દ્વારા નવા વ્યવસાયિક સંબંધો, માર્કેટિંગની તકો અને વેપારના વિસ્તરણ માટે અનુકૂળ વાતાવરણ ઉભું થશે.

તેમણે જણાવ્યું હતું કે સુરતમાંથી અત્યાર સુધીમાં અંદાજે 7 હજાર સ્ક્વેર ફૂટ જેટલી પ્રદર્શન જગ્યાના સ્ટોલનું બુકિંગ થઈ ચૂક્યું છે. તેમાં સૌથી વધુ ભાગીદારી ટેક્સટાઇલ ઉદ્યોગની છે, જે સુરતના કાપડ ઉદ્યોગની રાષ્ટ્રીય સ્તરે મજબૂત ઓળખ દર્શાવે છે. આગામી દિવસોમાં ડાયમંડ, જ્વેલરી, કેમિકલ, એન્જિનિયરિંગ, ફૂડ પ્રોસેસિંગ અને અન્ય સેવા ક્ષેત્રના વેપારીઓ પણ મોટી સંખ્યામાં જોડાશે તેવી આશા વ્યક્ત કરી હતી.

પ્રવીણ ખંડેલવાલે વડાપ્રધાનના **’સ્વદેશી વેચો, સ્વદેશી ખરીદો’**ના સંદેશને વધુ મજબૂત બનાવવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનશે, રોજગારીમાં વધારો થશે અને નાના-મધ્યમ વેપારીઓને નવી તકો મળશે. ભારત વ્યાપાર મહોત્સવ આ દિશામાં મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે.

ચેમ્બરના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ માટે આ મહોત્સવ નવા બજારો સુધી પહોંચવાનો ઉત્તમ અવસર છે. ચેમ્બર દ્વારા પણ સભ્યોને તેમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી સુરતના ઉત્પાદનો અને સેવાઓને રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક ઓળખ મળી શકે.

June 29, 2026
image-26-1280x1453.png
1min81

દિલ્હી સરકારે પ્રદૂષણ ઘટાડવા ‘નવી EV પોલિસી 2026’ ને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ 1 July 2026 થી 31 માર્ચ 2030 સુધી લાગુ પડતી આ નીતિ જાહેર કરી. દિલ્હીમાં EV વાહનો પર 100% રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફી માફ થશે. ટુ-વ્હીલર પર ₹30,000, થ્રી-વ્હીલર પર ₹50,000 સુધીની સબસિડી મળશે. 2027 થી ફક્ત ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને 2028 થી ટુ-વ્હીલરનું જ રજીસ્ટ્રેશન થશે.

Delhi New EV Policy : દિલ્હી સરકારે પ્રદૂષણ મુક્ત અને સ્વચ્છ વાહનવ્યવહારને પ્રોત્સાહન આપવા માટે ‘નવી ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) પોલિસી 2026’ ને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જાહેરાત કરી છે કે આ નવી નીતિ 1 July 2026 થી લાગુ કરવામાં આવશે અને તે 31 માર્ચ 2030 સુધી પ્રભાવી રહેશે. આ પોલિસી હેઠળ દિલ્હીના નાગરિકોને કરોડો રૂપિયાના વિવિધ ટેક્સ અને સબસિડીના લાભો મળશે.

નવી નીતિ અનુસાર, દિલ્હીમાં ખરીદવામાં આવતા તમામ પ્યોર ઈલેક્ટ્રિક વાહનો પર 100 ટકા રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફી માફ કરવામાં આવશે. જો કે, ચાર પૈડાવાળા વાહનો માટે આ નિયમ રૂ. 30 લાખ સુધીની એક્સ-શોરૂમ કિંમત વાળા વાહનો પર જ લાગુ પડશે.

નવી પોલિસીમાં વાહનોની ખરીદી પર વર્ષ પ્રમાણે સબસિડી નક્કી કરવામાં આવી છે. ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદી પર પહેલા વર્ષે રૂ. 30,000, બીજા વર્ષે રૂ. 20,000 અને ત્રીજા વર્ષે રૂ. 10,000 ની સબસિડી મળશે. ઈલેક્ટ્રિક ઓટો (થ્રી-વ્હીલર) ખરીદી પર પહેલા વર્ષે રૂ. 50,000, બીજા વર્ષે રૂ. 40,000 અને ત્રીજા વર્ષે રૂ. 30,000 ની સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત વાહનો સ્ક્રેપ કરવા પર પણ ખાસ ઈન્સેન્ટિવ મળશે.

દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવાના હેતુથી સરકારે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ, 1 જાન્યુઆરી 2027 થી દિલ્હીમાં તમામ થ્રી-વ્હીલર અને April 2028 થી તમામ ટુ-વ્હીલરનું રજીસ્ટ્રેશન માત્ર ઈલેક્ટ્રિક કેટેગરીમાં જ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે, જે વાહનો પર સબસિડી લેવામાં આવશે તેને 3 વર્ષ સુધી અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કે રજીસ્ટ્રેશન કરાવી શકાશે નહીં.

આ નીતિને સફળ બનાવવા માટે દિલ્હીના મુખ્ય માર્ગો પર મોટા પાયે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે. લોકો પોતાના અંગત વપરાશ માટે પણ ચાર્જિંગ સ્ટેશન બનાવી શકે તે માટે વીજ કંપનીઓ (ડિસ્કોમ) સાથે મળીને કામ શરૂ કરી દેવાયું છે. સરકાર આગામી 4 વર્ષમાં આ ક્ષેત્રે રૂ. 7,000 કરોડથી વધુનું સીધું રોકાણ કરશે, જેનાથી લોકોને ટેક્સ અને અન્ય સવલતો સહિત આશરે રૂ. 15,000 કરોડનો મોટો ફાયદો થશે.

June 29, 2026
image-25.png
1min52

મુંબઈમાં ચોમાસાના ભારે વરસાદને કારણે શહેરના ઘણા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. રસ્તાઓ તળાવ બની ગયા છે અને ટ્રાફિક જામ થઈ ગયો છે. લોકોને ઘરોમાંથી બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. અંધેરી સબવે (અંડરપાસ)માં એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે તેને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આખી રાત પડેલા ભારે વરસાદને કારણે અંધેરી, બાંદ્રા, ખાર, મલાડ, ગોરેગાંવ, જુહુ અને વર્સોવા જેવા વિસ્તારોમાં સૌથી વધુ અસર જોવા મળી છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પણ પાણી ભરાઈ જવાને કારણે ગાડીઓની ગતિ ધીમી પડી ગઈ છે.

અંધેરી સબવે મુંબઈનો એક એવો રસ્તો છે જે પૂર્વ અને પશ્ચિમ (વિસ્તાર)ને જોડે છે. દરરોજ હજારો ગાડીઓ અને લોકો અહીંથી પસાર થાય છે. ચોમાસાના વરસાદમાં અંધેરી સબવેમાં પાણી ભરાઈ જવું એ એક જૂની સમસ્યા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘણી જગ્યાએ ભારે પાણી ભરાયા હોવાની તસવીરો સામે આવી રહી છે. પાણી ભરાવાની સ્થિતિને જોતા સાવચેતીના ભાગરૂપે અંધેરી સબવેને મોડી રાત્રે 1.45 વાગ્યાથી વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. કોઈ પણ અપ્રિય ઘટના કે અકસ્માતને રોકવા માટે સબવેની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

એક તરફ ભારે વરસાદને કારણે મુંબઈગરાઓને બફારા અને ગરમીથી મોટી રાહત મળી છે, તો બીજી તરફ વહેલી સવારે ઓફિસ અને કામે જનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે આજે પણ વરસાદનું ‘યેલો એલર્ટ’ જાહેર કર્યું છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે આ વખતે ચોમાસું 13 દિવસ મોડું મુંબઈ પહોંચ્યું હતું.

મુંબઈમાં ચોમાસાની ઋતુ હજી શરૂઆતના તબક્કામાં છે અને આગામી દિવસોમાં વધુ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં પ્રશાસન (તંત્ર) સામે સૌથી મોટો પડકાર પાણી ભરાવાની સમસ્યા, ટ્રાફિક મેનેજમેન્ટ અને નાગરિક સુવિધાઓને રાબેતા મુજબ રાખવાનો રહેશે. બીજી તરફ, નાગરિકોને પણ હવામાન વિભાગ અને પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા (ગાઈડલાઈન્સ)નું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે, જેથી કોઈ પણ કટોકટીની સ્થિતિમાં સુરક્ષિત રહી શકાય.

29/06/26 આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે તોફાની પવન!

મુંબઈ સહિત રાજ્યમાં બે થી ત્રણ દિવસના મોટા વિરામ બાદ ચોમાસાએ ફરી એકવાર જોરદાર એન્ટ્રી કરી છે. મુંબઈ અને તેના ઉપનગરો સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. રવિવાર રાતથી જ મુંબઈ શહેર અને આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સોમવારે સવારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે.

હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આગામી 24થા 48 કલાક મુંબઈ સહિત સમગ્ર રાજ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે મુંબઈ, પુણે, કોંકણ, મરાઠવાડા અને વિદર્ભના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદનું ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન મુંબઈ અને મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદના ઝાપટા ચાલુ રહેશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી કરા પડવાની પણ શક્યતા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે, જેથી લોકોને બફારા અને ગરમીથી મોટી રાહત મળશે.

રવિવાર રાતે 11.30 વાગ્યાથી લઈને સોમવાર વહેલી સવારે 4 વાગ્યાની વચ્ચે ઠાણેમાં મુસળધાર વરસાદ નોંધાયો હતો. માત્ર ચાર કલાકની અંદર જ અહીં આશરે 98mm જેટલો વરસાદ ખાબક્યો હતો. વિરોના કડકડાટ અને તોફાની પવન સાથે શરૂ થયેલા આ વરસાદે થાણે સહિત મુંબઈના ઉપનગરોને તરબતર કરી દીધું છે.

બીજી તરફ, પશ્ચિમ મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો સહિત પુણે જિલ્લાના આંબેગાંવ તાલુકાના પારગાંવ અને નિરગુડસર વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. આ વરસાદથી ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી છે.

ભારતીય હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ ઠાણે, પુણે, સાતારા, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે નાસિક, ધુળે, નંદુરબાર, નાંદેડ, હિંગોલી અને પરભણીમાં વીજળીના કડકડાટ સાથે હળવો વરસાદ પડી શકે છે. આ દરમિયાન કલાકના 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. સોમવારથી આગામી ત્રણ દિવસ સુધી કોંકણ કિનારાના વિસ્તારો અને ઘાટ ક્ષેત્રમાં વરસાદનું જોર વધુ જોવા મળશે.

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પવનની દિશામાં થઈ રહેલા ફેરફારોને કારણે પહેલી અને બીજી જુલાઈ દરમિયાન કોંકણ, મરાઠ અને વિદર્ભમાં વરસાદનું જોર ખૂબ વધારે રહેશે. 29મી જૂનથી બીજી જુલાઈ દરમિયાન ઉત્તર કોંકણના દરિયાકાંઠાના ભાગોમાં વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાક રહેશે, જે વધીને 60 કિમી સુધી પહોંચી શકે છે. આથી વહીવટીતંત્ર દ્વારા માછીમારોને આ દિવસોમાં દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.

June 29, 2026
image-24.png
1min53

આયર્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમને બીજી T20 મેચમાં પણ કારમો પરાજય મળ્યો છે. ડબલિનમાં રમાયેલી આ મેચમાં આયર્લેન્ડે 154 રન બનાવ્યા હતા, જેમાં હેરી ટેક્ટરે 53 રન ફટકાર્યા હતા. પ્રિન્સ યાદવે 3 વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારત 155 રનનો લક્ષ્યાંક હાંસલ કરી શક્યું નહીં અને સિરીઝ 0-2થી ગુમાવી દીધી. તિલક વર્માએ 55 રન બનાવ્યા, જ્યારે જય મૂન્દ્રા અને મેટ હોલાર્ડે 3-3 વિકેટ લીધી.

India Vs Ireland T20 Match : ભારતીય ક્રિકેટ ટીમ માટે આયર્લેન્ડનો પ્રવાસ એક ખરાબ સ્વપ્ન સમાન સાબિત થયો છે. પ્રથમ T20 મેચમાં 34 રનથી હાર્યા બાદ, બીજી મેચમાં પણ ભારતનો શરમજનક પરાજય થયો છે. જીતવા માટેના 155 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 20 ઓવરમાં માત્ર 153 રન જ બનાવી શકી હતી. સતત બીજી કારમી હારના કારણે ટીમ ઈન્ડિયાએ આ T20 સિરીઝ પણ ગુમાવી દીધી છે, જે ભારતીય ક્રિકેટ માટે અત્યંત આઘાતજનક બાબત છે.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી આયર્લેન્ડની ટીમે મજબૂત શરૂઆત કરી હતી. હેરી ટેક્ટરે 47 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી સૌથી વધુ 53 રન ફટકાર્યા હતા. બેન કેલિટ્ઝે 23 બોલમાં ઝડપી 37 રન બનાવ્યા, જેમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. રોસ અદૈરે 7 બોલમાં 1 ચોગ્ગો અને 2 છગ્ગા મારી 16 રન જોડ્યા હતા. લોર્કન ટકરે 18 બોલમાં 2 ચોગ્ગા સાથે 15 રન અને જ્યોર્જ ડોકરેલે 14 બોલમાં 1 ચોગ્ગો અને 1 છગ્ગો ફટકારી 19 રન બનાવ્યા હતા. જ્યારે ટિમ ટેક્ટરે 6 બોલમાં 1 ચોગ્ગા સાથે 5 રન કર્યા હતા. લિયમ મેકકાર્થી 2 રન અને જય મૂન્દ્રા 1 રને અણનમ રહ્યા હતા, જેથી ટીમનો સ્કોર 20 ઓવરમાં 8 વિકેટે 154 રન સુધી પહોંચ્યો હતો.

ભારતીય બોલરોએ મેચમાં વાપસી કરાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. જેમાં પ્રિન્સ યાદવ સૌથી સફળ બોલર રહ્યો, જેણે 4 ઓવરમાં માત્ર 22 રન આપીને 3 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. શિવમ દુબેએ પણ સારી બોલિંગ કરી 3 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહે 4 ઓવરમાં 35 રન આપીને 2 સફળતા મેળવી હતી. હર્ષિત રાણાએ કરકસરયુક્ત બોલિંગ કરતા 3 ઓવરમાં 17 રન આપી 1 વિકેટ મેળવી હતી. જોકે, સૂર્યાંશ શેડગેએ 2 ઓવરમાં 25 રન અને અક્ષર પટેલે 4 ઓવરમાં 28 રન આપ્યા હતા, પરંતુ આ બંને બોલરોને કોઈ વિકેટ મળી શકી નહોતી.

155 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી ભારતની બેટિંગ લાઇન-અપ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી. ઓપનર સંજુ સેમસન અને અભિષેક શર્મા ખાતું ખોલાવ્યા વિના જ પ્રથમ ઓવરમાં આઉટ થઈ ગયા હતા. ઈશાન કિશને 11 બોલમાં 1 ચોગ્ગા સાથે 12 રન અને શ્રેયસ અય્યરે 7 બોલમાં 2 ચોગ્ગા ફટકારી 10 રન બનાવ્યા હતા. મધ્યક્રમમાં તિલક વર્માએ એકલા હાથે લડત આપતા 46 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 55 રનની ઇનિંગ રમી હતી, પરંતુ તેઓ ટીમને જીતાડી શક્યા નહીં. શિવમ દુબેએ 16 બોલમાં 2 ચોગ્ગા સાથે 20 રન અને અક્ષર પટેલે 18 બોલમાં 14 રન કર્યા હતા. સૂર્યાંશ શેડગે 1 રન ફટકાર્યો હતો.

આયર્લેન્ડના બોલરોએ ભારતના દિગ્ગજ બેટ્સમેનોને પિચ પર ટકવા દીધા નહોતા. જય મૂન્દ્રાએ ઘાતક બોલિંગનું પ્રદર્શન કરીને 4 ઓવરમાં 31 રન આપીને 3 મોટી વિકેટો ઝડપી હતી. તેને સાથ આપતા મેટ હોલાર્ડે 4 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ લીધી હતી. મેથ્યુ હમ્ફ્રીઝે પણ શાનદાર લાઈન-લેન્થ જાળવી 4 ઓવરમાં 28 રન આપી 1 વિકેટ મેળવી હતી. લિયમ મેકકાર્થીએ 4 ઓવરમાં 22 રન અને હેરી ટેક્ટરે 3 ઓવરમાં 22 રન આપ્યા હતા.