CIA ALERT

Slider Archives - Page 2 of 491 - CIA Live

July 28, 2026
image-62.png
1min49

કતાર ફ્રી ઝોન્સ ઓથોરિટી (QFZ)એ કતાર ડાયમંડ એક્સચેન્જ (QDE)ને વિશ્વની સેવામાં સમર્પિત કર્યું છે. કતાર ડાયમંડ એક્ષચેન્જ હીરા અને (પ્રેસિયસ સ્ટોન્સ) કિંમતી પથ્થરોના વેપાર માટે એક નવું પ્લેટફોર્મ છે. આ નેટવર્ક કતારમાં આંતરરાષ્ટ્રીય હીરા ઉદ્યોગ માટે એક નવું કેન્દ્ર બનાવે છે. જેમાં સુરક્ષિત ટ્રેડિંગ ફ્લોર, ખાનગી વાટાઘાટો સ્યુટ અને સ્થળ પર સુરક્ષા અને દેખરેખનો સમાવેશ થાય છે, આ પ્રિમાઇસીસમાં કસ્ટમ્સ અને પ્રમાણપત્ર સુવિધાઓ પણ પૂરી પાડે છે. 2021 માં, કતાર કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ (KPCS) નું સંપૂર્ણ સભ્ય બની ચૂક્યું છે.

July 28, 2026
gujarat_vidhansabha.jpg
1min38

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઈ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. બજેટ સત્ર દરમિયાન ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ સહિત દર ચારમાંથી એક ધારાસભ્યએ એક પણ ચર્ચામાં ભાગ લીધો નહોતો. ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલા બજેટ સત્ર અંગે ગુજરાત વિધાનસભા સચિવાલયના રિપોર્ટના વિશ્લેષણ મુજબ, 182માંથી 45 ધારાસભ્યોએ પ્રશ્નોત્તરી કાળ સિવાયની કોઈ પણ ચર્ચામાં ભાગ લીધો નહોતો. રાજ્યના બજટે, સરકારી વિધેયકો, દરખાસ્તો, મુતલવી રાખેલી દરખાસ્તો અને અહેવાલ સહિતની મહત્વપૂર્ણ બંધારણીય બાબતોમાં કોઈ ચર્ચામાં જોડાયા નહોતા.

ચર્ચામાં ભાગ ન લેનારા ધારાસભ્યોની યાદીમાં રાજ્યકક્ષાના પ્રધાનો ત્રિકમ છાંગા, કાંતિલાલ અમૃતિયા, પી. સી. બરંડા, દર્શના વાઘેલા, રિવાબા જાડેજા, કૌશિક વેકરિયા, પરષોત્તમ સોલંકી, કમલેશ પટેલ અને રમેશ કટારાનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે પ્રધાનો વહીવટી જવાબદારીઓમાં વ્યસ્ત હોય છે અને પોતાના ખાતાને લગતી બાબતોમાં જ મર્યાદિત જવાબ આપતા હોય છે, પરંતુ ગૃહના ચોથા ભાગના સભ્યોની નિષ્ક્રિયતા વિધાસભાની ચર્ચાઓની ભાગીદારી સામે મોટા સવાલો ઊભા કરે છે.

રિપોર્ટ અનુસાર, આ સત્ર દરમિયાન વિવિધ કામગીરીમાં કુલ 493 વખત સભ્યોએ ભાગ લીધો હતો. જેમાં બજેટ પરની ચર્ચામાં સૌથી વધુ 223 વખત રજૂઆતો થઈ હતી, જે દર્શાવે છે કે રાજ્યનું વાર્ષિક નાણાકીય નિવેદન ચર્ચાનો મુખ્ય વિષય રહ્યું હતું. આ ઉપરાંત, અન્ય વિષયો પર 144 વખત, સરકારી વિધેયકો પર 65, રાજ્યપાલના પ્રવચન પરના આભાર પ્રસ્તાવ પર 28, ખાનગી સભ્યોના પ્રસ્તાવ પર 18, ખાનગી સભ્યોના બિલ પર 8 અને સરકારી પ્રસ્તાવ પર 7 વખત સભ્યોએ રજૂઆતો કરી હતી.

આંકડાઓ પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે વિધાનસભાની કામગીરીમાં ભાગીદારી અમુક જ સભ્યો પૂરતી મર્યાદિત રહી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ગૃહનું સંચાલન કરવાની તેમની જવાબદારીના ભાગરૂપે સૌથી વધુ 47 વખત ભાગ લીધો હતો, જ્યારે ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ 10 વખત ભાગ લીધો હતો. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સત્ર દરમિયાન 5 વખત અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ 7 વખત ચર્ચામાં ભાગ લીધો હતો.

સત્તાધારી પક્ષમાંથી પ્રધાન ઋષિકેશ પટેલ અને અર્જુન મોઢવાડિયા 15-15 વખત ચર્ચામાં ભાગ લઈને સૌથી વધુ સક્રિય રહ્યા હતા. સામે વિપક્ષમાં, કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ 15 વખત રજૂઆતો કરી હતી, જ્યારે AAP ના ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા અને ઉમેશ મકવાણા 14-14 વખત ચર્ચામાં જોડાયા હતા.

અન્ય સભ્યોમાં અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ 13 વખત, ચૈતર વસાવાએ 12, રમણલાલ વોરાએ 11, મંત્રી જીતુ વાઘાણીએ 10 અને ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ 8 વખત પોતાના વિચારો રજૂ કર્યા હતા.

રાષ્ટ્રીય રાજકીય નિષ્ણાતોના મતે, પોતાના વિસ્તારના કામો અને સમિતિઓની જવાબદારીઓ ઉપરાંત ગૃહની ચર્ચાઓમાં ભાગ લેવો એ પણ ધારાસભ્યની કામગીરીનું એક મહત્વનું માપદંડ છે.

સૂત્રોએ જણાવ્યું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાને સ્પર્શતા કાયદાઓ અને નીતિઓ પર ચર્ચા કરવા માટે જ ગૃહમાં જાય છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ મૌન રહે, ત્યારે લોકશાહીમાં તેમની જવાબદારી અને પારદર્શિતા પર અસર પડે છે.

July 26, 2026
image-56.png
1min29

50% ટેરિફના પડકારમાંથી પણ ઉદ્યોગે કાઢ્યો હતો રસ્તો; હવે દુબઈ, અબુધાબી, બ્રિટન, હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયા જેવા બજારો બન્યા મજબૂત આધાર

સુરત : અમેરિકાએ ભારતમાંથી આયાત થતા ઉત્પાદનો પર 10 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય જાહેર કર્યો હોવા છતાં સુરતના હીરા અને ઝવેરાત ઉદ્યોગમાં કોઈ ગભરાટનો માહોલ નથી. ઉદ્યોગકારોનું સ્પષ્ટ માનવું છે કે અગાઉ જ્યારે અમેરિકા તરફથી 50 ટકા સુધીના ઊંચા ટેરિફનો સામનો કરવો પડ્યો હતો ત્યારે પણ નિકાસ અટકી નહોતી. તેના બદલે સુરતના નિકાસકારોએ ઝડપથી વૈકલ્પિક બજારો શોધીને પોતાના વેપારને નવી દિશા આપી હતી.

ઉદ્યોગના અગ્રણીઓ જણાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સુરતના હીરા અને ઝવેરાત નિકાસકારોએ માત્ર અમેરિકી બજાર પરની નિર્ભરતા ઘટાડીને દુબઈ, અબુધાબી, બ્રિટન, હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં નોંધપાત્ર પ્રમાણમાં વેપાર વધાર્યો છે. આ ઉપરાંત યુરોપિયન દેશોના સમૂહ સાથેના વેપાર સંબંધો પણ સતત મજબૂત બની રહ્યા છે અને આગામી મહિનાઓમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો લાભ મળતા યુરોપિયન બજારમાં ભારતીય હીરા-ઝવેરાતને વધુ સ્પર્ધાત્મક સ્થાન મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ 10 ટકા ટેરિફ ઉત્પાદન ખર્ચ કે ઓપરેશનલ કોસ્ટનો ભાગ નથી. આ આયાત પર લાગતો કર હોવાથી તેનો અંતિમ બોજ અમેરિકન આયાતકાર અથવા ગ્રાહક પર જ આવે છે. પરિણામે સુરતના ઉત્પાદકોની ઉત્પાદન ક્ષમતા, ગુણવત્તા અથવા સ્પર્ધાત્મકતા પર તેની સીધી અસર થવાની શક્યતા ઓછી છે.

હીરા ઉદ્યોગના જાણકારોનું કહેવું છે કે સુરત આજે વિશ્વના મોટા ભાગના રફ હીરાના કટિંગ અને પોલિશિંગનું કેન્દ્ર છે. ઉચ્ચ ગુણવત્તા, કુશળ માનવબળ, આધુનિક ટેક્નોલોજી અને સમયસર સપ્લાય કરવાની ક્ષમતાના કારણે આંતરરાષ્ટ્રીય ખરીદદારો માટે સુરત આજે પણ પ્રથમ પસંદગી છે. તેથી માત્ર ટેરિફના આધારે ખરીદદારો અન્ય દેશોમાં સ્થળાંતર કરશે તેવી શક્યતા ખૂબ જ મર્યાદિત છે.

તાજેતરના સમયમાં ભારતે અનેક દેશો સાથે વેપાર કરારોને પ્રાધાન્ય આપ્યું છે. બ્રિટન સાથેના વેપાર સંબંધો વધુ મજબૂત બનવાના છે, જ્યારે યુરોપિયન યુનિયન સાથે ચાલી રહેલી ચર્ચાઓ સફળ થાય તો હીરા-ઝવેરાત નિકાસને નવી ગતિ મળી શકે છે. ઉદ્યોગકારોનું માનવું છે કે એક જ બજાર પર આધાર રાખવાને બદલે વિવિધ દેશોમાં ગ્રાહકોનું મજબૂત નેટવર્ક ઉભું કરવું એ જ ભવિષ્યની સૌથી મોટી વ્યૂહરચના છે.

સુરતના નિકાસકારોનું કહેવું છે કે વૈશ્વિક વેપારમાં ટેરિફ, જીઓ-પોલિટિકલ પરિસ્થિતિ અને ચલણના ઉતાર-ચઢાવ જેવા પડકારો સતત આવતા રહે છે. પરંતુ આવા પડકારો વચ્ચે પણ સુરતના ઉદ્યોગે દરેક વખતે નવી તકો ઊભી કરી છે. આજે મધ્યપૂર્વ, એશિયા-પેસિફિક અને યુરોપ જેવા વિસ્તારોમાં ભારતીય હીરા-ઝવેરાતની માંગ સતત વધી રહી છે, જેના કારણે અમેરિકન બજારમાં થતી કોઈપણ મર્યાદિત અસરને સંતુલિત કરી શકાય છે.

ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓનું માનવું છે કે આગામી સમયમાં ડિઝાઇન આધારિત જ્વેલરી, બ્રાન્ડેડ ઉત્પાદનો, ઝડપી ડિલિવરી અને નવા વૈશ્વિક બજારોમાં વિસ્તરણ પર વધુ ભાર મૂકવામાં આવશે. તેના કારણે સુરતનો હીરા અને ઝવેરાત ઉદ્યોગ માત્ર અમેરિકી બજાર પર નિર્ભર નહીં રહે, પરંતુ વૈશ્વિક સ્તરે વધુ મજબૂત અને સ્થિર નિકાસ આધાર ઉભો કરશે.

મુખ્ય મુદ્દા
અમેરિકાના 10 ટકા ટેરિફથી સુરતના હીરા-ઝવેરાત ઉદ્યોગમાં ગભરાટ નથી.
અગાઉ 50 ટકા ટેરિફ દરમિયાન પણ નિકાસ યથાવત રહી હતી.
દુબઈ, અબુધાબી, બ્રિટન, હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયા જેવા નવા બજારોમાં નિકાસ વધી.
ટેરિફનો અંતિમ બોજ અમેરિકન આયાતકાર અને ગ્રાહક પર રહેવાની ઉદ્યોગની દલીલ.
યુરોપિયન દેશો સાથે સંભવિત ફ્રી ટ્રેડ વ્યવસ્થાથી નિકાસમાં નવી તકો ઊભી થવાની આશા.
વૈશ્વિક બજારોમાં વૈવિધ્યકરણને કારણે સુરતનો હીરા ઉદ્યોગ વધુ મજબૂત સ્થિતિમાં.

July 26, 2026
export-textile.jpg
1min36

ઉદ્યોગ સંગઠન કન્ફેડરેશન ⁠ઓફ ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી (CITI) કહે છે કે યુએસ ટેરિફ ભારતીય કાપડ નિકાસકારોને પાછા પાડશે

બાંગ્લાદેશ, કંબોડિયા, ઇન્ડોનેશિયા અને મલેશિયા ટેરીફ રેટ ક્વોટામાં છે કેમકે તેઓ અમેરીકન ઓરિજન કોટન તેમજ ફાઇબરનો ઉપયોગ કરીને ફેબ્રિક તેમજ ગારમેન્ટ્સનું ઉત્પાદન કરીને અમેરીકામાં નિકાસ કરે છે

અમેરીકાએ લાદેલા 10 ટકાના ટેરીફ પછી ભારત, સુરતના અન્ય ઉદ્યોગો કરતા સૌથી આકરો ફટકો ટેક્સટાઇલ ઉદ્યોગને પડશે એવું ઉદ્યોગ આગેવાનો જણાવી રહ્યા છે. તા.24મી જુલાઇને શુક્રવારથી અમલમાં આવે એ રીતે અમેરીકાએ 10 ટકા ટેરીફ વસૂલ કરવાની નીતિ અખત્યાર કરી છે. આ ડ્યુટી, સામાન્ય યુએસ મોસ્ટ-ફેવર્ડ-નેશન ટેરિફ ઉપર લાગુ પડે છે અને ટેરિફ લાદવા માટે ઉપયોગમાં લેવાતા 1974 ના યુએસ ટ્રેડ એક્ટની કલમ 301 હેઠળ ભારતના ઉત્પાદિત નિકાસના મોટા ભાગને આવરી લે છે, કન્ફેડરેશન ⁠ઓફ ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી (CITI) એ જણાવ્યું હતું.

ટેરીફ લાદ્યો એ પહેલી ઇફેક્ટ છે જ્યારે બીજો ફટકો ભારતને આયોજિત ટેરિફ-રેટ ક્વોટામાંથી પણ બાકાત રાખવામાં આવ્યું છે એ છે. ઓર્ગેનાઇઝ્ડ ટેરીફ-રેટ ક્વોટામાં ટેક્સટાઇલ એક્સપોર્ટમાં ભારત હરીફ ગણાતા બાંગ્લાદેશ, કંબોડિયા, ઇન્ડોનેશિયા અને મલેશિયાનો સમાવેશ થાય છે. આ દેશો યુએસ-મૂળના કપાસ અને ફાઇબરનો ઉપયોગ કરીને ચોક્કસ કાપડ અને વસ્ત્રોનું ઉત્પાદન કરે છે અને તેના શિપમેન્ટને કલમ 301 ડ્યુટીથી મુક્ત યુએસમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે છે. આમ ભારત, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો, નિકાસકારોને બેવડો ફટકો પડવાનો શરૂ થયો છે કેમકે ભારતીય કાપડ ઉત્પાદકો કે ગારમેન્ટ ઉત્પાદકો અમેરીકન ઓરિજિન કપાસ કે ફાઇબરનો રો મટિરિયલ તરીકે ઉપયોગ કરતા નથી.

CITI ના ચેરમેન અશ્વિન ચંદ્રને જણાવ્યું હતું કે, “આ પ્રકારની ડિફ્રન્શિયલ ટ્રીટમેન્ટ (વિભેદક સારવાર) ભારત, સુરતના કાપડ અને વસ્ત્રોને વૈશ્વિક સ્પર્ધામાંથી હટાવી દેવા માટે પર્યાપ્ત છે. સોર્સિંગ ઓર્ડરના માપદંડથી ભારત, સુરતના ટેક્સટાઇલ ઉત્પાદકો, નિકાસકારોની ચીજવસ્તુઓ સ્વાભાવિક રીતે બાંગ્લાદેશ, મલેશિયા, ઇન્ડોનેશિયા જેવા દેશો કરતા કિંમતમાં વધુ મોંઘી થશે.

CITI એ જણાવ્યું હતું કે, ભારતની યુએસમાં કાપડ અને વસ્ત્રોની નિકાસ, જે તેમનું સૌથી મોટું બજાર છે, તે વાર્ષિક લગભગ $11 બિલિયનનું છે.

બાંગ્લાદેશે 2024 માં યુનાઇટેડ સ્ટેટ્સમાં લગભગ $8 બિલિયનના મૂલ્યના વસ્ત્રોની નિકાસ કરી હતી, જ્યારે ઇન્ડોનેશિયા અને કંબોડિયાએ લગભગ $4 બિલિયન મોકલ્યા હતા. મલેશિયા સાથે મળીને, તેઓ નવા કાપડ ક્વોટા મિકેનિઝમ માટે પાત્ર છે, જે તેમને યુએસ બજારમાં ભારતીય સપ્લાયર્સ કરતાં આગળ લાવે છે, એમ નિકાસકારોએ જણાવ્યું હતું.

July 24, 2026
01.JPG-1-1280x853.jpeg
1min54
  • SGCCIના પ્રમુખ અશોક જીરાવાલાએ પદગ્રહણ વખતે લીધેલો વધુ એક સંકલ્પ પૂર્ણ કર્યો
  • કોઈ પણ ઈમરજન્સીના સમયે ઉદ્યોગોને ત્વરિત સહાય આપવા હેલ્પલાઇન નંબર 7211173108 કાર્યરત કરાયો
  • પ્રમુખશ્રીએ જાહેર કરેલા સંકલ્પોને ત્વરિત સાકાર કરવાની દિશામાં 24/7થી જ 24 *7 કાર્યરત સેવાનો પ્રારંભ
  • આપત્તિ સમયે સત્વરે રાહત અને કાનૂની/વહીવટી માર્ગદર્શન મેળવવામાં આ હેલ્પલાઇન સંજીવની બનશે
  • હેલ્પલાઇનની મુખ્ય જવાબદારી ચેમ્બરના માનદ્ ખજાનચી અતુલ પટેલ અને જાણીતા એડવોકેટ અજય જાંગીડને સોંપાઈ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ પદગ્રહણ કરતી વખતે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગતના કલ્યાણ માટે અને બિઝનેસ બિયોન્ડ એક્સેલન્સના સૂત્રને ચરિતાર્થ કરવા જે મહત્વપૂર્ણ સંકલ્પો જાહેર કર્યા હતા, તેને ત્વરિત પરિપૂર્ણ કરવાની દિશામાં આજે વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે. હવે ચેમ્બર દ્વારા 24/7થી એટલે કે તા. 24 જુલાઈ 2026થી દક્ષિણ ગુજરાતના તમામ નાના-મોટા ઉદ્યોગકારો માટે કોઈપણ પ્રકારની કટોકટી કે ઈમરજન્સી સમયે ત્વરિત મદદ કે માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી ‘SGCCI ઉદ્યોગસાથી 24 * 7’ હેલ્પલાઇનનો વિધિવત્‌ પ્રારંભ કરવામાં આવ્યો છે.

શ્રાવણ બિઝનેસ મેળાના ઉદ્‌ઘાટન સમારોહના મંચ પરથી આ મહત્વપૂર્ણ જાહેરાત કરતા પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, “ઔદ્યોગિક એકમોમાં આકસ્મિક દુર્ઘટનાઓ, આફતો કે કટોકટીના સમયે ઉદ્યોગકારો મૂઝવણમાં પડી જતા હોય છે અને તેમને તાત્કાલિક વહીવટી કે ફાયર-રેસ્ક્યૂ સહાય મેળવવામાં મુશ્કેલી પડે છે. પદગ્રહણ સમયે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગજગતને આકસ્મિક આપત્તિઓમાં રક્ષણ પૂરું પાડવાનો જે સંકલ્પ કર્યો હતો, તેને આજે સાકાર કરવામાં આવ્યો છે. આજથી જ 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર 7211173108 લોન્ચ કરી દેવાયો છે. દક્ષિણ ગુજરાતનો કોઈપણ ઉદ્યોગકાર મુશ્કેલીના સમયે આ નંબર પર સંપર્ક કરીને ઓન-ધ-સ્પોટ માર્ગદર્શન અને રાહત મેળવી શકશે.”

અતુલ પટેલ અને અજય જાંગીડને સોંપાઈ જવાબદારી: આ વિશેષ 24 * 7 હેલ્પલાઇન સેવાને અસરકારક રીતે ચલાવવા માટે તેની મુખ્ય જવાબદારી ચેમ્બરના માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ તથા જાણીતા એડવોકેટ શ્રી અજય જાંગીડને સોંપવામાં આવી છે. આપત્તિના સમયે સ્થાનિક તંત્ર, ફાયર બ્રિગેડ, પોલીસ અને સરકારી વિભાગો સાથે તાત્કાલિક સંકલન સાધીને ઉદ્યોગકારોને બનતી તમામ મદદ અને માર્ગદર્શન મળી રહે એના પ્રયાસો કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ વાધવાણી ફાઉન્ડેશન સાથે “SGCCI Accelerate Proના સંકલ્પની જાહેરાત કરી હતી તે પણ કાર્યરત થઈ ચૂક્યો છે. પદગ્રહણ સમયે રજૂ કરાયેલા સંકલ્પો માત્ર કાગળ પર ન રહેતા, ગણતરીના દિવસોમાં ઓન-ગ્રાઉન્ડ સાકાર થઈને ઉદ્યોગજગતના કલ્યાણ માટે કાર્યરત થયા છે. સંકલ્પથી સિદ્ધિ તરફની આ ઐતિહાસિક સફર દર્શાવે છે કે, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોની સુરક્ષા અને તેમના બિઝનેસ ગ્રોથ માટે ચેમ્બરનું વર્તમાન નેતૃત્વ કેટલું કટિબદ્ધ અને સંવેદનશીલ છે.

July 24, 2026
image-50-1280x720.png
1min33

સુરત-કડોદરા જવાના બન્ને વૈકલ્પિક માર્ગો પાણીમાં ગરકાવ થતાં ટ્રાન્સપોર્ટરોએ બુકિંગ બંધ રાખ્યાં; ગોડાઉનોમાં હજારો પાર્સલો અટવાયા, શનિવારે માર્ગ ખુલશે તો જ રાહત નહીં તો સીધું સોમવારથી જ પરિવહન શરૂ થવાની શક્યતા

છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદ અને શહેર તેમજ આસપાસ સર્જાયેલી જલભરાવની સ્થિતિએ દેશના સૌથી મોટા મેન-મેડ ટેક્સટાઇલ હબ સુરતના વેપારને ગંભીર અસર પહોંચાડી છે. ખાસ કરીને ટેક્સટાઇલ ગુડ્ઝનું પરિવહન સંપૂર્ણપણે ઠપ થઈ જતાં સમગ્ર સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. સુરતથી કડોદરા થઈને નેશનલ હાઇવેને જોડતા બંને વૈકલ્પિક માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતાં ટ્રાન્સપોર્ટર્સ માટે વાહનો બહાર કાઢવા પણ મુશ્કેલ બન્યું છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરના મોટાભાગના ટ્રાન્સપોર્ટરોએ છેલ્લા બે દિવસથી નવા માલનું બુકિંગ લેવાનું બંધ રાખ્યું છે. પરિણામે વેપારીઓ તૈયાર માલ દેશના વિવિધ રાજ્યોમાં મોકલી શક્યા નથી. અગાઉના દિવસોમાં બુક થયેલા હજારો પાર્સલો પણ વિવિધ ટ્રાન્સપોર્ટ કંપનીઓના ગોડાઉન અને હબમાં જ અટવાઈ ગયા છે.

ટેક્સટાઇલ ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા મુજબ સુરતમાંથી દરરોજ લાખો મીટર કાપડ અને હજારો ટન તૈયાર માલ દેશના વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવે છે. તેમાં આશરે 65 ટકા માલ રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલાય છે. આવી સ્થિતિમાં રોડ પરિવહન બંધ થતાં વેપારની સમગ્ર સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. નવા ઓર્ડરની ડિલિવરી મોડી પડતાં વેપારીઓને ગ્રાહકો સમક્ષ જવાબ આપવો મુશ્કેલ બની રહ્યો છે.

ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ જો શનિવાર સુધી પાણી ઉતરી માર્ગો ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લા થશે તો જ કામગીરી તબક્કાવાર શરૂ થઈ શકશે. અન્યથા રવિવારે સામાન્ય રીતે મર્યાદિત કામગીરી રહેતી હોવાથી હવે સીધા સોમવારથી જ નિયમિત પરિવહન શરૂ થઈ શકે તેવી શક્યતા છે. એટલે કે અસરકારક રીતે પાંચ દિવસ સુધી માલની હેરફેર પ્રભાવિત રહેવાની આશંકા છે.
વેપારીઓનું કહેવું છે કે પરિવહન અટકતાં ગોડાઉનમાં સ્ટોક વધતો જાય છે, જ્યારે બીજી તરફ દેશભરના હોલસેલર્સ અને રિટેલર્સ સુધી સમયસર માલ ન પહોંચતાં નવા ઓર્ડર પર પણ અસર પડી શકે છે. જો આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેશે તો માત્ર ટેક્સટાઇલ જ નહીં પરંતુ ડાઈંગ-પ્રિન્ટિંગ, પેકિંગ, લોડિંગ-અનલોડિંગ, કુરિયર અને લોજિસ્ટિક્સ સહિત સમગ્ર ટેક્સટાઇલ ઇકોસિસ્ટમને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે. હાલમાં સમગ્ર ઉદ્યોગની નજર વરસાદની સ્થિતિ અને સુરત-કડોદરા માર્ગો ફરી ક્યારે કાર્યરત થાય તેના પર ટકેલી છે.

July 24, 2026
Sanjiv-Mukhiya.png
1min51

NEET-UG 2024 પેપર લીક કેસમાં બિહાર પોલીસે જેને મુખ્ય ષડયંત્રકારી ગણાવીને કાર્યવાહી કરી હતી એ સંજીવ મુખિયાને CBIએ ક્લીન ચિટ આપી છે. CBIને તપાસમાં સંજીવ મુખિયા વિરુદ્ધ કોઈ પુરાવા ન મળતા તેને ક્લીન ચીટ અપાઇ છે. આ મામલો ત્યારે સપાટી પર આવ્યો છે જ્યારે દેશભરમાં નીટ 2026ના પેપર લીક બાબતે આંદોલન ચાલી રહ્યું છે. બિહાર પોલીસની શંકાના આધારે FIRમાં નામ હતું. CBIએ 45 લોકો સામે પટણા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. સંજીવ મુખિયા અન્ય કેસોમાં હજુ કસ્ટડીમાં છે.

July 21, 2026
image-29.png
1min52

ભારત-અમેરિકા FTA સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ‘દેશ બચાવો મોરચા’ના આહ્વાન પર પંજાબના હજારો ખેડૂતો દિલ્હી કૂચ કરવા શંભુ બોર્ડર પર એકઠા થયા છે. FTA રદ કરવાની માંગ સાથે આ આંદોલન ઉગ્ર બન્યું છે. ગુરનામ સિંહ ચઢૂનીની અટકાયતથી વાતાવરણ વધુ ગરમાયું છે. શંભુ બોર્ડર પર કલમ 163 અને ચુસ્ત સુરક્ષા સાથે બેરિકેડ્સ ગોઠવાયા છે. ખેડૂતોનું માનવું છે કે FTAથી ભારતીય ખેતી અને ડેરી ઉદ્યોગને મોટું નુકસાન થશે.

July 20, 2026
image-21.png
1min59

ન્યુ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં સ્પેને ગત ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0થી હરાવી ટાઇટલ જીત્યું. 16 વર્ષ બાદ સ્પેને વર્લ્ડ કપ જીતી ઇતિહાસ રચ્યો. ફેરાન ટોરેસે 106મી મિનિટે ગોલ ફટકારી સ્પેનને જીત અપાવી. મેસીની ટીમ ટાઇટલ બચાવવામાં નિષ્ફળ રહી.

Spain vs Argentina FIFA World Cup Final: ન્યુ જર્સીના પ્રખ્યાત મેટલાઇફ સ્ટેડિયમમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપ 2026 ના હાઈ-વોલ્ટેજ ફાઇનલ મુકાબલામાં સ્પેને શાનદાર પ્રદર્શન કરતા ગત ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0થી હરાવીને ફૂટબોલ જગત પર પોતાનો કબજો જમાવ્યો છે. આ જીત સાથે સ્પેને 16 વર્ષ લાંબો વર્લ્ડ કપનો દુકાળ ખતમ કર્યો છે. અગાઉ સ્પેનિશ ટીમ 2010માં ચેમ્પિયન બની હતી. બીજી તરફ, લિયોનેલ મેસીની આગેવાની હેઠળની આર્જેન્ટિનાની ટીમ પોતાનું ટાઈટલ ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહી હતી અને સતત બે વાર વર્લ્ડ કપ જીતવાનો ઇટાલી અને બ્રાઝિલનો ઐતિહાસિક રેકોર્ડ બરાબરી ચૂકી ગઈ હતી. જેના બાદ મેદાનમાં મેસી રડતો દેખાયો હતો.

ફાઇનલ મેચમાં બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. નિર્ધારિત 90 મિનિટના સમય સુધી બંનેમાંથી એકપણ ટીમ ગોલ કરી શકી નહોતી અને સ્કોર 0-0 ની બરાબરી પર રહ્યો હતો. આથી મેચ એક્સ્ટ્રા ટાઈમમાં પ્રવેશી હતી. મેચની 106મી મિનિટે સ્પેન માટે સબસ્ટિટ્યૂટ ખેલાડી તરીકે આવેલા ફેરાન ટોરેસે નિકો વિલિયમ્સના શાનદાર પાસ પર ગોલ ફટકારીને સ્પેનને 1-0ની નિર્ણાયક લીડ અપાવી હતી, જે અંત સુધી જળવાઈ રહી હતી અને ટોરેસ જીતનો અસલી હીરો બન્યો હતો.

આ મહામુકાબલામાં આર્જેન્ટિનાના સુપરસ્ટાર કેપ્ટન લિયોનેલ મેસીનો જાદુ બિલકુલ ચાલ્યો નહોતો. સ્પેનિશ ડિફેન્ડર્સે મેસીને આખી મેચ દરમિયાન જકડી રાખ્યો હતો. મેચના આંકડા પર નજર કરીએ તો સ્પેનનું પલડું ભારે રહ્યું હતું. પ્રથમ હાફમાં સ્પેન પાસે 65% અને બીજા હાફમાં 68% બોલ પઝેશન રહ્યું હતું. સ્પેને ગોલપોસ્ટ પર ઘણા સચોટ પ્રહારો કર્યા હતા, જેનો આર્જેન્ટિનાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝે બચાવ કર્યો હતો. જ્યારે આર્જેન્ટિના આખી મેચમાં એક પણ શૉટ ઓન ટાર્ગેટ લગાવી શકી નહોતી. મેચના અંતિમ સમયમાં આર્જેન્ટિનાના એન્ઝો ફર્નાન્ડીઝને બીજો યલો કાર્ડ મળતાં રેડ કાર્ડ આપી મેદાનની બહાર મોકલી દેવાયો હતો, જે આર્જેન્ટિના માટે મોટો ઝટકો હતો.

બંને ટીમો માટે ફાઇનલ સુધી પહોંચવાનો રસ્તો સરળ રહ્યો ન હતો. સ્પેને ગ્રુપ સ્ટેજમાં ટોચનું સ્થાન મેળવ્યા બાદ રાઉન્ડ ઓફ-32માં ઓસ્ટ્રિયા, રાઉન્ડ ઓફ-16માં પોર્ટુગલ, ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમ અને સેમિફાઇનલમાં મજબૂત ફ્રાન્સને 2-0થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ, આર્જેન્ટિનાએ ઇજિપ્ત, સ્વિટ્ઝર્લેન્ડ અને સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે રોમાંચક જીત મેળવીને સતત બીજી વખત ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ જીત સાથે સ્પેને આર્જેન્ટિના સામે વર્લ્ડ કપના ઇતિહાસમાં 60 ર્ષ જૂનો હિસાબ પણ બરાબર કરી લીધો છે.

July 18, 2026
image-19.png
1min61

જાણીતા પર્યાવરણવિદ સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે જંતર-મંતર પરથી હટાવ્યા છે. 20 દિવસથી અનશન પર બેઠેલા વાંગચુકને વહેલી સવારે પોલીસ હોસ્પિટલ લઈ ગઈ. સતત ઉપવાસથી તેમની તબિયત લથડી હતી અને 9 કિલો વજન ઘટ્યું હતું. પોલીસે અન્ય પ્રદર્શનકારીઓને પણ હટાવી, બેનર-પોસ્ટરો જપ્ત કર્યા. વિદ્યાર્થીઓએ લાઠીચાર્જનો આક્ષેપ કર્યો, જોકે પોલીસે નકાર્યો છે.

દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા 20 દિવસથી અનશન પર બેઠેલા જાણીતા પર્યાવરણવિદ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રવિવારે વહેલી સવારે મોટી સંખ્યામાં દિલ્હી પોલીસના જવાનો જંતર-મંતર પહોંચ્યા હતા અને ગણતરીની મિનિટોમાં જ સોનમ વાંગચુકને ત્યાંથી ઉપાડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

પોલીસની આ ઓચિંતી કાર્યવાહીને પગલે આંદોલન સ્થળ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સતત 20 દિવસના ઉપવાસના કારણે સોનમ વાંગચુકની તબિયત લથડી રહી હતી અને તેમનું વજન પણ 9 કિલો કરતાં વધુ ઘટી ગયું હતું.

દિલ્હી પોલીસે માત્ર સોનમ વાંગચુકને જ હોસ્પિટલ ખસેડ્યા નથી, પરંતુ જંતર-મંતર પરથી અન્ય તમામ પ્રદર્શનકારીઓને પણ હટાવી દીધા છે. આંદોલન સ્થળે લગાવવામાં આવેલા તમામ બેનરો અને પોસ્ટરો પોલીસે કબજે કરીને હટાવી દીધા છે. સોનમ વાંગચુકના સમર્થકો અને વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, જોકે દિલ્હી પોલીસે લાઠીચાર્જના આ આરોપોને સરેઆમ નકારી દીધા છે.

‘કોકરોચ જનતા પાર્ટી’ના નેતાનો પોલીસ પર માર મારવાનો આરોપ

આ આંદોલન સાથે જોડાયેલા ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના સ્થાપક અભિજીત દીપકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉ ટ્વિટર) પર એક પછી એક અનેક પોસ્ટ કરીને દિલ્હી પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, “દિલ્હી પોલીસે જંતર-મંતર પર કડક વલણ અપનાવ્યું છે. લોકો પર બળપ્રયોગ કરવામાં આવી રહ્યો છે અને સોનમ સરને જબરદસ્તીથી લઈ જવામાં આવ્યા છે.” દીપકે વધુમાં આરોપ લગાવ્યો છે કે પોલીસે તેમને પણ રોકી રાખ્યા હતા, તેમની સાથે મારપીટ કરી હતી અને બાદમાં કસ્ટડીમાં લઈ લીધા હતા. આ કાર્યવાહી બાદ જંતર-મંતર પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.