CIA ALERT

Slider Archives - Page 2 of 491 - CIA Live

July 31, 2026
PKP_2098.JPG-1280x1008.jpeg
6min56

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ રવિ રાજ દેસાઈએ રાજ્યસ્તરીય બેઠકમાં હવાઈ સેવા, ઊર્જા, ટેક્સટાઇલ, કરવેરા, પૂર રાહત, GIDC સહિતના પ્રશ્નો અને સૂચનોની રજૂઆત કરી હતી; સેક્રેટરી પરેશ લાઠીયા પણ રહ્યા ઉપસ્થિત

તા. 30 જુલાઈએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો અને વેપાર-ધંધાને અસર કરતા 17 મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી વાઇસ પ્રેસિડેન્ટ રવિ રાજ દેસાઈએ વિવિધ વિભાગોને સ્પર્શતા પ્રશ્નો અને તેમના ઉકેલ માટેની રજૂઆત કરી હતી. તેમની સાથે ચેમ્બરના સેક્રેટરી પરેશ લાઠીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

રજૂઆતમાં સુરત અને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે પ્રાદેશિક હવાઈ સેવા, વીજળી નીતિ, ટેક્સટાઇલ નિકાસ, GST અને VAT સંબંધિત મુદ્દાઓ, GIDCના પ્રશ્નો, પૂરગ્રસ્ત ઉદ્યોગોને રાહત, ટાઉન પ્લાનિંગ સહિતના અનેક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ચેમ્બરે ભારપૂર્વક રજૂઆત કરી હતી કે દક્ષિણ ગુજરાત રાજ્યના અર્થતંત્રનું સૌથી મોટું ઔદ્યોગિક એન્જિન છે, તેથી અહીંના પ્રશ્નોના ઝડપી નિરાકરણથી સમગ્ર રાજ્યના ઔદ્યોગિક વિકાસને ગતિ મળશે.

  1. સુરતથી પ્રાદેશિક હવાઈ સેવા મજબૂત બનાવવાની માંગ

UDAN/VGF યોજના હેઠળ સુરત-અમદાવાદ, સુરત-રાજકોટ અને સુરત-ભાવનગર રૂટ પર 50થી 70 બેઠકો ધરાવતા વિમાનો શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. હાલ 9 સીટની મર્યાદા મુસાફરોની માંગને અનુરૂપ નથી જ્યારે સુરત એરપોર્ટ પર 70થી વધુ બેઠકોના વિમાનો સફળતાપૂર્વક સંચાલિત થઈ રહ્યા હોવાનું રજૂ કરાયું.

  1. GUVNLની એનર્જી બેન્કિંગ નીતિથી અટવાયેલી ગ્રીન એનર્જી ક્ષમતાનો ઉકેલ

31 ઓગસ્ટ 2024 પહેલાં રોકાણ કરનાર રિન્યુએબલ એનર્જી ઉત્પાદકોની Energy Banking મર્યાદા 100 ટકાથી ઘટાડીને 30 ટકા કરાતા આશરે 40 ટકા ઉત્પાદન ક્ષમતા બિનઉપયોગી બની ગઈ હોવાનું જણાવાયું. વીજળી ટ્રાન્સફર, Wheeling, Group Captive અને BESS માટેની મંજૂરી ઝડપથી આપવા રજૂઆત કરવામાં આવી.

  1. GETCO દક્ષિણ ઝોનનું મુખ્ય મથક સુરતમાં ખસેડવાની માંગ

ડીજીવીસીએલનું કોર્પોરેટ મુખ્ય મથક સુરતમાં હોવાથી GETCOનું દક્ષિણ ઝોન મુખ્ય મથક પણ સુરતમાં લાવવામાં આવે તો વીજ માળખાકીય વિકાસ અને સંકલનમાં ગતિ આવશે તેવી રજૂઆત કરવામાં આવી.

  1. લિફ્ટ-એસ્કેલેટર નિરીક્ષકની દક્ષિણ ઝોન કચેરી સુરતમાં ખસેડવાની રજૂઆત

દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગો, મોલ, હોસ્પિટલ અને ઊંચી ઇમારતોની સંખ્યા વધતા લિફ્ટ અને એસ્કેલેટર સંબંધિત સેવાઓ માટે વડોદરાના બદલે સુરતમાં ઝોનલ કચેરી સ્થાપવાની માંગ કરવામાં આવી.

  1. VAT, CST અને એન્ટ્રી ટેક્સ માટે એમ્નેસ્ટી યોજના અમલમાં મૂકવાની માંગ

GST અમલ પછી પણ જૂના VAT, CST અને Entry Taxના વિવાદો વેપારીઓને પરેશાન કરી રહ્યા છે. મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારની Sabka Vishwas Scheme જેવી વ્યાપક એમ્નેસ્ટી યોજના જાહેર કરવાની માંગ કરવામાં આવી.

  1. DDPI પર સ્ટેમ્પ ડ્યુટી અંગે સ્પષ્ટતા કરવા રજૂઆત

SEBI દ્વારા માન્ય DDPI માત્ર ટ્રેડ સેટલમેન્ટ માટેની સૂચના હોવાથી તેના પર સ્ટેમ્પ ડ્યુટી લાગુ પડતી નથી તે અંગે ગુજરાત સરકાર સ્પષ્ટ માર્ગદર્શન જાહેર કરે તેવી માંગ કરવામાં આવી.

  1. પેટ્રોલ-ડીઝલ પર VATમાં 1થી 2 ટકા ઘટાડાની માંગ

ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી પરિવહન ખર્ચ વધી રહ્યો છે. ઉદ્યોગો, વેપારીઓ, ખેડૂતો અને સામાન્ય નાગરિકોને રાહત આપવા પેટ્રોલ અને ડીઝલ પરના VAT તથા સેસમાં પ્રથમ તબક્કે 1થી 2 ટકાનો ઘટાડો કરવાની રજૂઆત કરવામાં આવી.

  1. GSTના આદેશો અંગ્રેજી અથવા દ્વિભાષી સ્વરૂપે જારી કરવાની માંગ

GST હેઠળના આદેશો માત્ર પ્રાદેશિક ભાષામાં હોવાથી અપીલ દરમિયાન સમય અને ખર્ચ વધે છે. તેથી અંગ્રેજી અથવા દ્વિભાષી ઓર્ડર ફરજિયાત કરવા રજૂઆત કરવામાં આવી.

  1. સુરતમાં કસ્ટમ્સ માન્ય ટેક્સટાઇલ ટેસ્ટિંગ લેબ શરૂ કરવાની માંગ

હાલ ફેબ્રિકના નમૂનાઓ વડોદરા મોકલવાના કારણે નિકાસમાં વિલંબ થાય છે. સુરતની MANTRA લેબોરેટરીને કસ્ટમ્સ માન્યતા આપી નિકાસ પ્રક્રિયા ઝડપી બનાવવા રજૂઆત કરવામાં આવી.

  1. GIDCમાં ઓટોમોબાઇલ યુનિટોને ઉદ્યોગ તરીકે માન્યતા આપવાની માંગ

GIDC વિસ્તારમાં કાર્યરત ઓટોમોબાઇલ યુનિટોને કોમર્શિયલ તરીકે ગણાવી કાર્યવાહી થતી હોવાથી નીતિમાં સુધારો કરી તેમને ઔદ્યોગિક એકમ તરીકે માન્યતા આપવાની રજૂઆત કરવામાં આવી.

  1. વ્યારા અને વાલોડને કેટેગરી-Aમાં સમાવવાની માંગ

તાપી જિલ્લાના વ્યારા અને વાલોડ ઔદ્યોગિક રીતે પછાત હોવાથી નવી ઉદ્યોગ નીતિ-2026 હેઠળ કેટેગરી-Aમાં સમાવેશ કરી રોકાણ અને રોજગારીને પ્રોત્સાહન આપવાની રજૂઆત કરવામાં આવી.

  1. ટેક્સટાઇલ પોલિસીની DLACમાં પ્રાદેશિક ચેમ્બરને સ્થાન આપવા માંગ

ગુજરાત ટેક્સટાઇલ પોલિસી-2024 હેઠળ જિલ્લા સ્તરની સમિતિમાં પ્રાદેશિક ચેમ્બરનો સમાવેશ ન હોવાથી તેમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી.

  1. પૂરગ્રસ્ત ઉત્પાદન એકમોને રાહત પેકેજમાં સ્પષ્ટ સમાવેશ કરવાની માંગ

સુરતના પૂરગ્રસ્ત MSME માટે જાહેર થયેલા પેકેજમાં ઉત્પાદન એકમોને સ્પષ્ટ લાભાર્થી તરીકે સામેલ કરવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી.

  1. પૂરગ્રસ્ત ઉદ્યોગોને મિલકત વેરામાં રાહત

તાજેતરના પૂરના કારણે નુકસાન પામેલા સુરત મહાનગરપાલિકા વિસ્તારના ઉત્પાદન એકમોને મિલકત કરમાં રાહત આપવાની રજૂઆત કરવામાં આવી હતી.

  1. જાહેર ટ્રસ્ટોને રોકાણમાં વધુ સ્વતંત્રતા આપવા માંગ

મહારાષ્ટ્રની જેમ જાહેર ટ્રસ્ટોને પૂર્વ મંજૂરી વિના નિર્ધારિત મર્યાદા સુધી રોકાણ કરવાની છૂટ ગુજરાતમાં પણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી.

  1. રોડ ટેક્સની દ્વિગુણી વસૂલાત દૂર કરવાની માંગ

RTO દ્વારા રોડ ટેક્સ વસૂલ્યા બાદ પણ નગરપાલિકાઓ દ્વારા અલગથી વસૂલાત થતી હોવાથી ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટની કલમ 99(II)માં સુધારો કરવાની રજૂઆત કરવામાં આવી.

  1. વર્ષોથી અટવાયેલી ટી.પી. સ્કીમોને મંજૂરી આપવા રજૂઆત

સુરત જિલ્લામાં છેલ્લા બે દાયકાથી અટવાયેલી ડ્રાફ્ટ અને પ્રિલિમિનરી ટાઉન પ્લાનિંગ સ્કીમોને ઝડપથી અંતિમ મંજૂરી આપી વિકાસ કાર્યોને ગતિ આપવા માંગ કરવામાં આવી.

July 31, 2026
WhatsApp-Image-2026-07-30-at-16.44.37-1280x853.jpeg
1min44

પૂર અસરગ્રસ્ત વેપારીઓને રૂ. 30 લાખ સુધીની લોન પર 3 વર્ષ માટે 7 ટકા વ્યાજ સબસિડી અપાશે; નુકસાનીના ફોટો/વીડિયો ન હોય તો ચેમ્બર કે જે-તે એસોસિયેશનનું સર્ટિફિકેટ માન્ય પુરાવો ગણાશે

અરજી પ્રક્રિયા, લોન ટેન્યોર અને વ્યાજ સબસિડી અંગે સ્પષ્ટતા આપતા DIC-GM અને કલેક્ટર કચેરીના અધિકારીઓ

બેંકમાંથી સેન્ક્શન લેટર મેળવી DIC કચેરી ખાતે જમા કરાવવાનો રહેશે; ઇન્સ્યોરન્સ ક્લેઇમ સાથે લોનને લિંક કરાશે નહીં

સુરત, 30 જુલાઈ 2026: દક્ષિણ ગુજરાતના પૂર અસરગ્રસ્ત વેપારીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે જાહેર કરાયેલી ‘સુરત ફ્લડ રિલીફ સ્કીમ’ અંતર્ગત લોન અને વ્યાજ સબસિડીની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવાના હેતુથી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC)ના જનરલ મેનેજરની અધ્યક્ષતામાં આજે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવેલી ત્વરિત રજૂઆતના પગલે આયોજિત આ બેઠકમાં દક્ષિણ ગુજરાતની તમામ બેંકોના હેડ, અગ્રણી બેંકર્સ, કલેક્ટર કચેરીના અધિકારીઓ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલા અને પૂર્વ પ્રમુખ શ્રી આશિષ ગુજરાતી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં બેંકો સુધી સ્કીમની સ્પષ્ટ ગાઇડલાઇન પહોંચાડવા અને વેપારીઓને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે નીચે મુજબના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે:

  1. અરજી પ્રક્રિયા અને સેન્ક્શન લેટર: સ્કીમ હેઠળ લાભ મેળવવા ઇચ્છુક વેપારીએ જે-તે બેંકમાં લોન માટે અરજી કરી ‘સેન્ક્શન લેટર’ (મંજૂરી પત્ર) મેળવવાનો રહેશે. આ સેન્ક્શન લેટર DICની કચેરી ખાતે જમા કરાવ્યા બાદ તેના આધારે લોન મંજૂર કરવામાં આવશે. લોન/સબસિડી માટે આખરી સત્તા ડીઆઈસીની રહેશે.
  2. લોનની રકમ, મુદત અને 7% વ્યાજ સબસિડી: સરકારી ઠરાવ (જીઆર) મુજબ પૂર અસરગ્રસ્ત વેપારીઓને રૂ. 30 લાખ સુધીની લોન પર વર્ષે 7 ટકા વ્યાજ સબસિડી 3 વર્ષ માટે મળવાપાત્ર રહેશે. જો કોઈ વેપારીને રૂ. 30 લાખથી વધુ રકમની લોન સેન્ક્શન થાય કે લોનની મુદત 3 વર્ષથી વધુ હોય, તો પણ વ્યાજ સબસિડીની રકમ રૂ. 30 લાખની મર્યાદામાં વાર્ષિક 7 ટકા લેખે મહત્તમ 3 વર્ષ સુધી જ મર્યાદિત રહેશે.
  3. નુકસાનીના પુરાવા અંગે મોટી છૂટછાટ: જો કોઈ વેપારી પાસે પૂરના કારણે થયેલા નુકસાનના ફોટોગ્રાફ્સ કે વીડિયોગ્રાફીના પુરાવા ઉપલબ્ધ ન હોય, તો તેવા કિસ્સામાં ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) અથવા જે-તે સર્વિસ સોસાયટી/કો-ઓપરેટિવ સોસાયટી/વેપારી એસોસિયેશનનું સર્ટિફિકેટ વેલિડ પ્રૂફ તરીકે માન્ય ગણવામાં આવશે.
  4. કોલેટરલ સિક્યોરિટી અને અન્ય જોગવાઈઓ: લોન મંજૂર કરતી વખતે જો કોલેટરલ કે મોર્ગેજ મૂલ્યમાં આંશિક ઘટાડો જણાતો હોય, તો પણ વેપારીઓની લોન અરજીઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી લોન મંજૂર કરવા બેંકોને સૂચન થયું છે. વધુમાં, આ સ્કીમને વેપારીના ઇન્સ્યોરન્સ ક્લેઇમ સાથે લિંક કરવામાં આવશે નહીં.
  5. જરૂરી દસ્તાવેજો: લોન અરજી સાથે વેપારીઓએ એપ્રિલ, મે, જૂન મહિનાના GSTR-3Bની નકલ રજૂ કરવાની રહેશે.

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા અમદાવાદ સ્થિત બેંકોની રિજિયોનલ ઓફિસોને આ અંગે તાકીદે પરિપત્ર જારી કરવામાં આવશે, જેથી સુરતની તમામ બેંક શાખાઓ સુધી ગાઇડલાઇન સત્વરે પહોંચે અને વેપારીઓને રાહત લોનનો લાભ ઝડપથી મળી શકે.

July 30, 2026
image-69.png
1min86

રાજયસભામાં વંદે માતરમ બિલ પસાર થયું છે. આ બિલમાં સુધારા બાદ હવે વંદે માતરમમાં અપમાન બદલ ત્રણ વર્ષ જેલની સજા અને દંડની જોગવાઇ છે. આ સુધારા હેઠળ વંદે માતરમના અપમાન સંબંધિત જોગવાઈઓને કાનૂની રક્ષણ મળશે. એકવાર આ કાયદો અમલમાં આવ્યા પછી જે કોઈ પણ વ્યક્તિ જાણી જોઈને ‘વંદે માતરમ’નું અપમાન કરે છે અથવા રાષ્ટ્રગીતમાં ખલેલ પહોંચાડે છે તેને ત્રણ વર્ષ સુધીની જેલ- દંડ અથવા બંને થઈ શકે છે.

વંદે માતરમનો આદર એ ભારતનું ગૌરવ

આ અંગે ભાજપ સાંસદ  વિનોદ તાવડેએ એકસ પર લખ્યું કે, વંદે માતરમનો આદર એ ભારતનું ગૌરવ છે. રાષ્ટ્રગીત વંદે માતરમના જય ઘોષે દેશની સ્વતંત્રતા ચળવળને ઉર્જા આપી, પ્રેરણા આપી અને બલિદાન અને તપસ્યાનો માર્ગ બતાવ્યો. તેનું ગર્વથી સ્મરણ કરવું એ આપણા માટે સૌભાગ્ય છે.

મોદી સરકારે ભારતના સાંસ્કૃતિક ગૌરવને પુન:સ્થાપિત કર્યું 

તેમણે જણાવ્યું હતું કે, આજે રાજ્યસભામાં પસાર થયેલ ‘રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ- 2026 ભારતના સાંસ્કૃતિક ગૌરવને પુનઃસ્થાપિત કરવાના મોદી સરકારના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે.

વંદે માતરમ ને રાષ્ટ્રગીત જન ગણ મન જેટલું જ સન્માન અપાશે 

આ બિલનું નામ પ્રીવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ હોનર( એમેન્ડમેન્ટ) બિલ 2026 છે. આ બિલમાં વંદે માતરમ ને રાષ્ટ્રગીત જન ગણ મન જેટલું જ સન્માન આપવામાં આવશે. આ બિલ સરકારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રગીત ગાવાનું ફરજિયાત બનાવશે. 

July 29, 2026
image-67.png
2min77

29 Jul 2026 | 02:02 PM
લોકસભામાં બળપ્રયોગના આદેશો મુદ્દે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેને પગલે વિપક્ષી સાંસદોએ ભારે શોરબકોર કરતા ગૃહમાં અશાંતિ સર્જાઈ હતી. સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને મર્યાદામાં રહીને તથા તથ્યોના આધારે વાત રજૂ કરવા ટકોર કરી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું કે ગૃહ નિયમો અને પ્રક્રિયાથી ચાલે છે અને અહીં બોલાયેલો એક-એક શબ્દ વર્ષો સુધી રેકોર્ડ પર રહે છે. બીજી તરફ, વિપક્ષી સભ્યો ગૃહમંત્રીના રાજીનામા અને જવાબની માગ સાથે સતત સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. સભ્યો દ્વારા સ્પીકરના આદેશોની વારંવાર અવહેલના કરવામાં આવતા સ્પીકરે નારાજગી વ્યક્ત કરી હતી અને લોકસભાની કાર્યવાહી બપોરે 2:30 વાગ્યા સુધી મુલતવી રાખવાની જાહેરાત કરી હતી.

29 Jul 2026 | 01:53 PM
અખિલેશ યાદવે કહ્યું કે જો નેતા પ્રતિપક્ષે સરકાર પર કોઈ ગંભીર આરોપ લગાવ્યો છે, તો આ સરકારની જવાબદારી બને છે કે તે સ્પષ્ટ કરે કે કોના આદેશ પર પોલીસે છાત્રો સાથે આ રીતે વ્યવહાર કર્યો છે.

કિરેન રિજિજૂએ કહ્યું કે, આ અલગ વાત છે. રાહુલ ગાંધીએ સીધું નામ લઈને કહ્યું છે. ઈન્ક્વાયરીની માંગ ઠીક છે, અમે સમજીએ છીએ. રાહુલ ગાંધીએ જે કહ્યું છે, તે ખૂબ ગંભીર છે અને રાહુલ ગાંધીએ માફી માંગવી પડશે.

સ્પીકરે કહ્યું કે, રાહુલજી તમે બિલ પર બોલો, તમે ઈન્ક્વાયરીની માંગ કરી શકો છો, પણ આ રીતે વાત ના કરો.

રાહુલ ગાંધીએ કહ્યું કે, સર જ્યારે આતંકીને ગોળી મારવામાં આવે છે, ત્યારે રિજિજૂએ તેમને રોકતા કહ્યું કે, તમે ગૃહ મંત્રીનું નામ લઈને જે શબ્દો વાપર્યા છે, તેના માટે માફી માંગવી પડશે. કાલે કોઈ પણ મેમ્બર ઊઠીને કંઈ પણ બોલશે. તમને કેવી રીતે આ ખબર પડી અને કયા બેસિસ પર તમે બોલી રહ્યા છો? આવું ના કરી શકાય. રાહુલ ગાંધીએ કોઈનું મર્ડર કર્યું છે, અમે અહીં એવું બોલી શકીએ શું? તમારે બતાવવું પડશે કે કયા બેસિસ પર તમે આવું બોલ્યા છે. માફી માંગો અથવા બતાવો કે કેમ બોલ્યા, કેવી રીતે બોલ્યા, સદન આ રીતે નહીં ચાલે.

સ્પીકરે કહ્યું કે તમે જે રીતે વાત બોલી છે, એવા શબ્દો સદનની અંદર અને સદનની બહારની કાર્યવાહીમાં ના જવા જોઈએ.

29 Jul 2026 | 01:48 PM
પ્રધાન નહીં, RSS ચલાવી રહ્યું હતું શિક્ષણ મંત્રાલય : લોકસભામાં રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર
રાહુલ ગાંધીએ પરીક્ષાનું પેપર તૈયાર કરવાથી લઈને તેને પહોંચાડવા અને ચેકિંગ સુધીની સમગ્ર પ્રક્રિયા સામે સવાલો ઊભા કર્યા હતા. તેમણે કહ્યું કે ‘આ પરીક્ષાની પદ્ધતિ નથી પરંતુ વસૂલી કરવાનું તંત્ર છે, જેમાં પ્રામાણિક વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે અને 30થી 40 લાખ રૂપિયામાં પેપર લીક થઈ રહ્યા છે. રાજનાથ સિંહે અગાઉ કહ્યું હતું કે, આ UPA સરકાર નથી અને અહીં મંત્રીઓ રાજીનામા નથી આપતા, છતાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું. તેમણે વધુમાં ઉમેર્યું કે શિક્ષણ વ્યવસ્થામાં ખાનગી કંપનીઓ ઘૂસી ગઈ છે અને તે જ પરીક્ષાઓ યોજી રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે શિક્ષણ વ્યવસ્થા પર કબ્જો જમાવી લીધો છે અને વાસ્તવમાં ધર્મેન્દ્ર પ્રધાન નહીં પરંતુ RSS આખું શિક્ષણ મંત્રાલય ચલાવી રહ્યું હતું.’

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ‘અમે ગૃહમંત્રીને ગાડીઓના કાફલામાં જોયા હતા, પણ તેઓ ક્યાં છે? તેમનામાં ગૃહમાં આવીને બેસવાની હિંમત નથી.’ આ વાત પર સ્પીકરે સ્પષ્ટતા કરી હતી કે, અત્યારે જે બિલ પર ચર્ચા ચાલી રહી છે તેના સંબંધિત મંત્રી અહીં હાજર જ છે. આજે ગૃહ મંત્રાલય પર ચર્ચા નથી થઈ રહી અને જે વિષય પર ચર્ચા હોય તેના જ મંત્રી ગૃહમાં બેસે તેવી સંસદીય પરંપરા છે.

ત્યારબાદ રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે, તમે વિદ્યાર્થીઓ પર ગોળીઓ ચલાવો છો અને ગૃહમંત્રીમાં અહીં બેસવાની હિંમત નથી. તેમના આ નિવેદનને કારણે લોકસભામાં ભારે અફડાતફડી અને હંગામો મચી ગયો હતો.

સંસદીય કાર્ય મંત્રી કિરન રિજિજૂએ આ વાતનો સખત વિરોધ કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ અત્યંત અયોગ્ય વાત કહી છે અને આવું નિવેદન આપી શકાય નહીં. તેમણે કયા આધારે આ આક્ષેપ કર્યો છે અને તેમને ફાયરિંગના આદેશ આપ્યા હોવાની માહિતી કોણે આપી?

ગૃહમાં શાસક પક્ષ તરફથી રાહુલ ગાંધી માફી માગે તેવી માંગણી ઊઠી હતી, જ્યારે સામે પક્ષે વિપક્ષી સાંસદોએ ગૃહમંત્રીના રાજીનામા અને માફીની માંગ સાથે જોરદાર સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો.

29 Jul 2026 | 01:38 PM
લોકસભામાં સ્પીકરે રાહુલ ગાંધીને બોલવાનું ચાલુ રાખવા કહ્યું અને પૂછ્યું કે જો તેઓ બોલવા ન માગતા હોય તો બીજા વક્તાને બોલાવવામાં આવે. તેમણે ઉમેર્યું કે અગાઉ પણ ગૃહમાં આવા પ્રસંગો જોયા છે જ્યારે તમે નેતા સદનને બોલવા દીધા નહોતા.

આ અંગે કિરન રિજિજૂએ કહ્યું કે સારી ચર્ચા ચાલી રહી છે, તમે આવી પરિસ્થિતિ ઊભી ન કરો. વડાપ્રધાનને કેટલીય વાર બોલવા દેવાયા નહોતા. આજે તમે અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો છે. માત્ર તમારા શબ્દ સામે વાંધો છે, તમે ભાવુક ચહેરો બતાવીને ગુમરાહ કરી શકો નહીં.

આના પર રાહુલ ગાંધીએ કહ્યું કે આ શબ્દનો પ્રયોગ કોઈના માટે નથી કર્યો, માત્ર જે છે તેની કેટેગરી બતાવી છે. જો તમે લોકો ઇચ્છતા હોવ કે અહીં માત્ર ભાજપ જ બોલે તો હું ચૂપ થઈને બેસી જાઉં છું, કોઈ વાંધો નથી. હું જ્યારે પણ બોલું છું ત્યારે રિજિજૂજી ઊભા થઈ જાય છે અને તમે તેમને તક આપી રહ્યા છો.

સ્પીકરે આ બાબતે કહ્યું કે ગૃહમાં સારી વ્યવસ્થાઓ અને મર્યાદાઓ રહી છે. આપણે સારી મર્યાદા બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. ગૃહમાં જે મર્યાદા અને તર્ક સાથે બોલે છે, દેશ તેને સાંભળે છે અને સન્માન પણ કરે છે. શબ્દોની પસંદગી સંસદીય મર્યાદાને અનુકૂળ હોવી જોઈએ.

29 Jul 2026 | 01:29 PM
લોકસભામાં ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી કિરન રિજિજૂએ રાહુલ ગાંધીના નિવેદન સામે આકરો વાંધો ઉઠાવતા કહ્યું કે, ‘આપ સંસદમાં આવા શબ્દોનો ઉપયોગ ન કરી શકો, આ નિયમો અમે નથી બનાવ્યા. જો તમે સંસદીય મર્યાદા જાળવી રાખશો તો જ તમારું ભાષણ સાંભળવામાં આવશે. હું રાહુલજીને વિનંતી કરું છું કે તેઓ આ પ્રકારના શબ્દો ટાળીને પોતાનું વક્તવ્ય ફરી શરૂ કરે. ભૂતકાળમાં તમે પણ એવી પરિસ્થિતિઓ ઊભી કરી છે જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનું ભાષણ પૂરું કરી શક્યા નહોતા, પરંતુ હવે તમે આ રીતે લાગણીશીલ થઈને ગૃહને ગુમરાહ કરી શકો નહીં.’

29 Jul 2026 | 01:22 PM
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હું સ્ટુડન્ટને વ્યાખ્યાયિત કરી રહ્યો છું. સ્ટુડન્ટ સત્યની પાછળ દોડતો રહે છે. ગાંધીજીએ કહ્યું હતું કે, ઘરની બારી તમામ પ્રકારની હવા માટે ખુલ્લી રહેવી જોઈએ. મેં એક વિદ્યાર્થીનીને પૂછ્યું કે ઈડિયટ વિશે તમારી શું રાય છે? જે સ્ટુડન્ટ નથી, તેના વિશે શું? વિદ્યાર્થીએ કહ્યું કે, સ્ટુડન્ટ ગર્વથી સત્યની સાથે હોય છે, જ્યારે બીજી તરફના લોકો ઈમેજની ચિંતા કરે છે. ઈડિયટ પોતાને ભગવાન માને છે અને પોતાની ઈમેજ બનાવવાનો પ્રયાસ કરે છે. અંધ ભક્ત ઈડિયટને ફોલો કરે છે.’ રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ગૃહમાં ભારે હંગામો શરૂ થઈ ગયો હતો, જેના પર કેન્દ્રીય મંત્રી કિરન રિજિજૂએ વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો છે.

29 Jul 2026 | 01:18 PM
લોકસભામાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશના યુવાનો અને ભવિષ્યએ મને એવો વિશ્વાસ અપાવ્યો છે કે, તેઓ પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સક્ષમ છે. ભાજપમાં રહેલા મારા મિત્રો સહિત તમામ રાજકીય પક્ષોએ આ વાતનો સ્વીકાર કરવો જોઈએ. ભાજપના નેતાઓએ પોતાના ઘરે જઈને બાળકોને પૂછવું જોઈએ કે જંતર-મંતર પર વિદ્યાર્થીઓ જે કરી રહ્યા હતા તેમાં શું ખોટું હતું? યુવાનો દ્વારા જે પણ કરવામાં આવ્યું તે બિલકુલ ખોટું નહોતું અને દરેક ભારતીયને તેમના પર ગર્વ હોવો જોઈએ.

29 Jul 2026 | 01:10 PM
લોકસભામાં બોલતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ‘મને વિદ્યાર્થીઓ, તેમની શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષાઓ વિશે વાત કરવાની તક આપવા બદલ આભાર. યુવાનોનો આ વિરોધ કોઈ ગુસ્સો, હિંસા કે નફરત નહોતી, પરંતુ તેમની અભિવ્યક્તિ હતી. તમામ રાજકીય પક્ષોએ આ અભિવ્યક્તિનું સન્માન કરવું જોઈએ. પેપર લીક સામે વિદ્યાર્થીઓનો આક્રોશ સંપૂર્ણપણે વ્યાજબી હતો. દરેક ભારતીય નાગરિકને ગર્વ હોવો જોઈએ.’ તેમણે તાજેતરમાં કેટલાક બાળકો સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘મેં એક બાળકીને પૂછ્યું કે વિદ્યાર્થી હોવાનો અર્થ શું છે? તો તેણે ખૂબ સુંદર જવાબ આપ્યો કે, વિદ્યાર્થી એ છે જેનું મન ખુલ્લું હોય છે અને જે એ વાતનો સ્વીકાર કરે છે કે તે બધું જ નથી જાણતો. વિદ્યાર્થી જાણે છે કે દુનિયા સતત બદલાઈ રહી છે.’

29 Jul 2026 | 01:07 PM
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એન્ટિ પેપર લીક બિલ પર બોલતા સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, દેશનું ભવિષ્ય આજે રસ્તા પર ઉતરી આવ્યું છે. ભાજપના નેતાઓએ પણ પોતાના બાળકોને પૂછવું જોઈએ કે દેશમાં શું ખોટું થઈ રહ્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં યુવાનોનો આક્રોશ હતો, કોઈ નફરત નહોતી અને દેશના યુવાનોનું સન્માન થવું જ જોઈએ. આજે દેશના વિદ્યાર્થીઓને રસ્તા પર ઉતરવાની નોબત આવી છે, જ્યારે કે તેઓ જ આપણા દેશનું ભવિષ્ય છે. વિદ્યાર્થીઓ સારી રીતે સમજે છે કે સમગ્ર વિશ્વ બદલાઈ રહ્યું છે અને જ્ઞાનનું મહત્ત્વ સૌથી વધુ છે.

29 Jul 2026 | 12:38 PM
પૂર્નિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવે RTI અને ઓડિટ વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, આ બાબતોને તમામ પ્રકારની ગડબડીઓથી દૂર કરી દેવામાં આવી છે, ત્યારે આખરે જવાબદારી કોની નક્કી થશે? NTA ના ચેરમેનને કેમ હટાવવામાં આવ્યા નથી, તેવો પ્રશ્ન ઉઠાવતા તેમણે ઉમેર્યું કે 2018માં જેમને NTA માં લાવવામાં આવ્યા હતા તેઓ અગાઉ મધ્ય પ્રદેશના શિક્ષણ વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર હતા. કરોડો ઉમેદવારોના ફોર્મના કરોડો રૂપિયા NTA ને શા માટે આપવામાં આવે છે અને તેની તપાસ કોણ કરશે? રાજ્ય સરકારોના અધિકારો છીનવી લેવાયા હોવાનો આક્ષેપ કરતા તેમણે NTA સામે યોગ્ય તપાસ કમિટી અને SIT ની માંગણી કરી હતી અને સંજીવ મુખિયાને છોડી મૂકવા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.

29 Jul 2026 | 12:20 PM
લોકસભામાં ‘એન્ટિ પેપર લીક બિલ’ પર બીજા દિવસની ચર્ચાનો પ્રારંભ થઈ ગયો છે. ચર્ચાની શરૂઆત બિહારના સુપૌલથી JDU સાંસદ દિલેશ્વર કામતે કરી હતી. તેમણે આ બિલનું સમર્થન કરતા જણાવ્યું હતું કે, આ વિધેયક NDA સરકાર પ્રત્યે જનતાના વિશ્વાસને દર્શાવે છે અને દેશના બાળકોના ભવિષ્યને સુરક્ષિત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

29 Jul 2026 | 12:17 PM
લોકસભામાં આજે પણ એન્ટિ પેપર લીક બિલ પર ચર્ચા આગળ વધશે. બિલ પર વિપક્ષ તરફથી મોટો પ્રહાર કરવાની તૈયારી છે.

29 Jul 2026 | 12:16 PM
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે બપોરે 12:30 વાગ્યે એન્ટી પેપર લીક બિલ પર પોતાના વિચાર રજૂ કરશે અને સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.

29 Jul 2026 | 12:15 PM
બુધવારે સવારે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ જોરદાર હંગામો મચાવ્યો હતો. જેના કારણે લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને બપોરે 12 વાગ્યા સુધી ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. ત્યારબાદ ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

July 29, 2026
WhatsApp-Image-2026-07-27-at-18.58.46-1280x853.jpeg
1min45
  • રોજગાર શોધનાર નહીં પણ રોજગાર આપનાર બની દેશના વિકાસમાં યોગદાન આપવા અતુલ પટેલનું આહ્વાન
  • અતુલ પટેલ અને ‘ચૂઝ માય ટ્રીપ’ના ત્રુપેશ વાઘાણીના હસ્તે થયો કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ
  • 2500થી વધુ યુવા સાહસિકો અને રોકાણકારોનો મહાકુંભ યોજાયો
  • 25થી વધુ નવા સ્ટાર્ટઅપ્સનું પ્રેઝન્ટેશન; રૂ. 2.3 કરોડથી વધુના સંભવિત ઇન્વેસ્ટમેન્ટ માટે હકારાત્મક વાટાઘાટો સંપન્ન

યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા, નવા સ્ટાર્ટઅપ્સ અને રોકાણ અંગે વ્યાપક જાગૃતિ લાવવાના મુખ્ય હેતુથી મોટા વરાછા, સુદામા બેન્ક્વેટ હોલ ખાતે શનિવાર, તા. 25 જુલાઈ 2026ના રોજ ‘કેપિટલ નેક્સસ સિઝન–2’ નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

આ કાર્યક્રમમાં સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાંથી 2500થી વધુ યુવા ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં 25થી વધુ નવા બિઝનેસ સ્ટાર્ટઅપ્સે પોતાના ઇનોવેટિવ આઇડિયા અને ફંડિંગ યોજનાઓ અગ્રણી રોકાણકારો સમક્ષ રજૂ કરી હતી.

કાર્યક્રમનું ઉદ્‌ઘાટન મુખ્ય અતિથિ અને ચેમ્બર ઓફ કોમર્સના માનદ્‌ ખજાનચી શ્રી અતુલ પટેલ તથા મુખ્ય પ્રાયોજક ‘ચૂઝ માય ટ્રીપ’ના શ્રી ત્રુપેશ વાઘાણીના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ શ્રી અતુલ પટેલે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં યુવાનોને પરંપરાગત માનસિકતામાંથી બહાર આવી નવી વિચારસરણી સાથે આગળ વધવા હાકલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આજનો યુવા માત્ર રોજગાર શોધનાર ન બનતાં, નવા સાહસો શરૂ કરીને અન્યોને રોજગારી આપનારો એમ્પ્લોયર બને અને સમાજ તેમજ દેશના આર્થિક વિકાસમાં સક્રિય યોગદાન આપે.

રૂ.2.3 કરોડથી વધુનું સંભવિત રોકાણ: બિઝનેસ પીચિંગ અને નેટવર્કિંગ સેશન દરમિયાન રોકાણકારો અને નવા વ્યવસાય શરૂ કરનાર યુવાનો વચ્ચે અનેક મહત્વપૂર્ણ વ્યાપારી ચર્ચાઓ થઈ હતી. જેના પરિણામે પ્રારંભિક તબક્કે જ રૂ.2.3 કરોડથી વધુના સંભવિત રોકાણ માટે અત્યંત હકારાત્મક વાતચીત થઈ હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સખીયા, મયંક ભાલાળા, રિદ્ધિ ગુજરાતી, હેત્વીક ઝાલાવડીયા, ધ્યેય દુધાત્રા અને ક્રિશ કુંભાણી સહિતની યુવા આયોજક ટીમે અથાક મહેનત અને સમર્પણ સાથે કામ કર્યું હતું. કેપિટલ નેક્સસ આજે માત્ર એક ઇવેન્ટ નહીં, પણ યુવાનોના બિઝનેસ આઇડિયાને વેગ આપવા અને યોગ્ય ગાઇડન્સ પૂરું પાડવાનું સશક્ત મંચ બની રહ્યું છે. આયોજકોએ આગામી સમયમાં પણ વધુ મોટા પાયે આવા પ્લેટફોર્મ પૂરા પાડી ગુજરાતના યુવાનોને નવી તકો આપવાનો મક્કમ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

સુરતના મોટા વરાછા ખાતે ‘કેપિટલ નેક્સસ સિઝન–2’ યોજાઈ
2500થી વધુ યુવા સાહસિકો અને રોકાણકારોનો મહાકુંભ યોજાયો
25થી વધુ નવા સ્ટાર્ટઅપ્સનું પ્રેઝન્ટેશન; રૂ. 2.3 કરોડથી વધુના સંભવિત ઇન્વેસ્ટમેન્ટ માટે હકારાત્મક વાટાઘાટો સંપન્ન

રોજગાર શોધનાર નહીં પણ રોજગાર આપનાર બની દેશના વિકાસમાં યોગદાન આપવા અતુલ પટેલનું આહ્વાન
અતુલ પટેલ અને ‘ચૂઝ માય ટ્રીપ’ના ત્રુપેશ વાઘાણીના હસ્તે થયો કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ

યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા, નવા સ્ટાર્ટઅપ્સ અને રોકાણ અંગે વ્યાપક જાગૃતિ લાવવાના મુખ્ય હેતુથી મોટા વરાછા, સુદામા બેન્ક્વેટ હોલ ખાતે શનિવાર, તા. 25 જુલાઈ 2026ના રોજ ‘કેપિટલ નેક્સસ સિઝન–2’ નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

આ કાર્યક્રમમાં સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાંથી 2500થી વધુ યુવા ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં 25થી વધુ નવા બિઝનેસ સ્ટાર્ટઅપ્સે પોતાના ઇનોવેટિવ આઇડિયા અને ફંડિંગ યોજનાઓ અગ્રણી રોકાણકારો સમક્ષ રજૂ કરી હતી.

કાર્યક્રમનું ઉદ્‌ઘાટન મુખ્ય અતિથિ અને ચેમ્બર ઓફ કોમર્સના માનદ્‌ ખજાનચી શ્રી અતુલ પટેલ તથા મુખ્ય પ્રાયોજક ‘ચૂઝ માય ટ્રીપ’ના શ્રી ત્રુપેશ વાઘાણીના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ શ્રી અતુલ પટેલે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં યુવાનોને પરંપરાગત માનસિકતામાંથી બહાર આવી નવી વિચારસરણી સાથે આગળ વધવા હાકલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આજનો યુવા માત્ર રોજગાર શોધનાર ન બનતાં, નવા સાહસો શરૂ કરીને અન્યોને રોજગારી આપનારો એમ્પ્લોયર બને અને સમાજ તેમજ દેશના આર્થિક વિકાસમાં સક્રિય યોગદાન આપે.

રૂ.2.3 કરોડથી વધુનું સંભવિત રોકાણ: બિઝનેસ પીચિંગ અને નેટવર્કિંગ સેશન દરમિયાન રોકાણકારો અને નવા વ્યવસાય શરૂ કરનાર યુવાનો વચ્ચે અનેક મહત્વપૂર્ણ વ્યાપારી ચર્ચાઓ થઈ હતી. જેના પરિણામે પ્રારંભિક તબક્કે જ રૂ.2.3 કરોડથી વધુના સંભવિત રોકાણ માટે અત્યંત હકારાત્મક વાતચીત થઈ હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સખીયા, મયંક ભાલાળા, રિદ્ધિ ગુજરાતી, હેત્વીક ઝાલાવડીયા, ધ્યેય દુધાત્રા અને ક્રિશ કુંભાણી સહિતની યુવા આયોજક ટીમે અથાક મહેનત અને સમર્પણ સાથે કામ કર્યું હતું. કેપિટલ નેક્સસ આજે માત્ર એક ઇવેન્ટ નહીં, પણ યુવાનોના બિઝનેસ આઇડિયાને વેગ આપવા અને યોગ્ય ગાઇડન્સ પૂરું પાડવાનું સશક્ત મંચ બની રહ્યું છે. આયોજકોએ આગામી સમયમાં પણ વધુ મોટા પાયે આવા પ્લેટફોર્મ પૂરા પાડી ગુજરાતના યુવાનોને નવી તકો આપવાનો મક્કમ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

July 29, 2026
Travel-Fair-1280x596.jpg
1min49

ગુજરાત વિધાનસભાના નાયબ અધ્યક્ષ અને સુરત પશ્ચિમના ધારાસભ્ય શ્રી પૂર્ણેશ મોદીએ ઉપસ્થિત રહી પ્રદર્શનને ખુલ્લું મૂક્યું

ડોમેસ્ટિક ટુરિઝમ વધારવાની જરૂર છે, જેથી ભારતીય હૂંડિયામણ ભારતમાં જ રહે તેવો ધારાસભ્યશ્રીનો આગ્રહ

Global Travel Trade Fair 2026 એ માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ વૈશ્વિક પ્રવાસન ઉદ્યોગને એક જ છત નીચે લાવતું આંતરરાષ્ટ્રીય મંચ છે. આ એક્સ્પો દ્વારા B2B અને B2C નેટવર્કિંગ માટે ઉત્કૃષ્ટ તકોઃ ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા

સુરત 28 જુલાઈ 2026: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા પ્રવાસન ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ કરવામાં આવ્યો છે. TAAPI ટ્રાવેલ એક્સ્પો (TTE) 2026ના સહયોગથી ચેમ્બર દ્વારા દક્ષિણ ગુજરાતના ઇતિહાસમાં સર્વપ્રથમવાર આંતરરાષ્ટ્રીય સ્તરના ‘ગ્લોબલ ટ્રાવેલ ટ્રેડ ફેર (GTTF) 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC)ના પિલર-લેસ ડોમમાં 28 અને 29 જુલાઈ 2026ના રોજ આ વિશાળ B2B એક્ઝિબિશન યોજાયું છે.

GTTF 2026ના ઉદ્‌ઘાટન સમારોહ આજરોજ સવારે 10:30 કલાકે સરસાણા સ્થિત ઉષાકાંત મારફતિયા હોલ ખાતે યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ અધ્યક્ષ અને સુરત પશ્ચિમના ધારાસભ્ય શ્રી પૂર્ણેશ મોદીએ ઉપસ્થિત રહી પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે સોહાગિયા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના એમડી શ્રી કાંતિલાલ સોહાગિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ‘એક્ઝિબિટર્સ ગાઇડ’ અને ‘GTTF 2027’ ના બ્રોશરનું ડિજિટલ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

ડોમેસ્ટિક ટુરિઝમ વધારવાની જરૂર છે, જેથી ભારતીય હૂંડિયામણ ભારતમાં જ રહે
ગુજરાત વિધાનસભાના નાયબ અધ્યક્ષ અને સુરત પશ્ચિમના ધારાસભ્ય શ્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આજે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસે હું દરેક ભારતીય નાગરિકને ભારતના વિવિધ પ્રાકૃતિક સ્થળો, ધાર્મિક, એડવેન્ચર અને રમણીય સ્થળોની મુલાકાત લઈને ભારતીય પરંપરાને નજીકતાથી માણે તેવી ઈચ્છા રાખું છું. કારણ કે, વિકસિત ભારતના મૂળમાં આત્મનિર્ભર ભારત છે અને જ્યારે ભારતીય પ્રવાસન સ્થળોની મુલાકાત ભારતીયો લેશે તો ભારતીય હૂંડિયામણ દેશમાં જ રહેશે. દેશમાં અસંઘટિત ક્ષેત્રના કામગારોને રોજગારી પ્રદાન કરવાનું કાર્ય પ્રવાસન ક્ષેત્ર અને તેના એજેન્ટો દ્વારા થાય છે. પ્રવાસન ક્ષેત્ર રોજગારી પ્રદાન કરવાની સાથે જ રાજકીય સંબંધો મજબૂત કરવાનું કાર્ય અને સંસ્કૃતિનું અદાન-પ્રદાન કરવાનું કાર્ય કરે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે જ્યારે ડોમેસ્ટિક ટુરિઝમ વધારવાની વાત કરી રહ્યા છે, ત્યારે વિશ્વના અનેક દેશો માત્ર ટુરિઝમ થકી જ આર્થિક ઉપાર્જન મેળવે છે તે બાબતને ધ્યાને લેવી જોઈએ. વિશ્વમાં પ્રખ્યાત થયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી રાજ્યના પ્રવાસન ક્ષેત્રમાં પરિવર્તન આવ્યું છે.

એક્સ્પો દ્વારા B2B (બિઝનેસ-ટુ-બિઝનેસ) અને B2C (બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર) નેટવર્કિંગ માટે ઉત્કૃષ્ટ તકો
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, તાજેતરના આર્થિક આંકડા અનુસાર, ભારતમાં ટ્રાવેલ ઉદ્યોગમાં વાર્ષિક એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગ સ્પેન્ડમાં ૨૮% સુધીનો તીવ્ર ઉછાળો નોંધાયો છે. આજે ૭૫% થી વધુ ટ્રાવેલ બુકિંગ અને શોધ ડિજિટલ માધ્યમો જેવાં કે સોશિયલ મીડિયા, એપ્સ અને ઓનલાઇન પ્લેટફોર્મ્સ દ્વારા થાય છે. ખાસ કરીને ટિયર-૨ અને ટિયર-૩ શહેરોમાંથી ડિજિટલ માધ્યમો દ્વારા પ્રવાસન અંગેની જાગૃતિ ૩૫% થી વધુ વધી છે. આજે પણ સ્થાનિક પ્રવાસન અને વિશ્વાસપાત્ર આયોજનો માટે વર્તમાનપત્રો અને પ્રિન્ટ મીડિયા સૌથી મોટું અને ભરોસાપાત્ર માધ્યમ છે, જે સ્થાનિક લોકોને ટૂરિઝમ સાથે સીધા જોડે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ Global Travel Trade Fair 2026 એ માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ વૈશ્વિક પ્રવાસન ઉદ્યોગને એક જ છત નીચે લાવતું આંતરરાષ્ટ્રીય મંચ છે. આ એક્સ્પો દ્વારા B2B (બિઝનેસ-ટુ-બિઝનેસ) અને B2C (બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર) નેટવર્કિંગ માટે ઉત્કૃષ્ટ તકો ઉભી થશે. અહીં દેશ-વિદેશના ડેસ્ટિનેશન્સ, નવીનતમ સેવાઓ અને ટ્રાવેલ ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત, જે ભારતનું સૌથી ઝડપથી વિકસતું આર્થિક હબ છે, ત્યાં નવતર વ્યવસાયિક તકોના દ્વાર ખુલશે.

ભારતની કુલ આવક (ટર્નઓવર)ના ગ્રોથમાં પ્રવાસન ઉદ્યોગનો ફાળો અત્યારે 13% થી પણ વધુ છે
શ્રી કાંતિલાલ સોહાગિયાએ જણાવ્યું હતું કે, ભારતની કુલ આવક (ટર્નઓવર)ના ગ્રોથમાં પ્રવાસન ઉદ્યોગનો ફાળો અત્યારે 13% થી પણ વધુ છે. ઘણા વર્ષો પહેલા જ્યારે તેમણે વ્યવસાય શરૂ કર્યો હતો, ત્યારે આ ક્ષેત્રનો ગ્રોથ માત્ર 3 થી 4% હતો, જે આજે વધીને 13 થી 15% સુધી પહોંચી ગયો છે. તેમના મતે આ ઈન્ડસ્ટ્રીમાં અકલ્પનીય વિકાસની તકો રહેલી છે.

ઉદઘાટન સમારોહના અંતે ચેમ્બરના ઉપ પ્રમુખશ્રી રવિરાજ દેસાઈએ ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયા, માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ, તાપી એસોસિએશનના પ્રમુખ શ્રી જિગ્નેશ પટેલ, ચેમ્બરના પૂર્વ પ્રમુખશ્રીઓ, ગ્રૃપ ચેરમેનો અને વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ તેમજ એક્ઝિબિટર્સ ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બરના ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનીષ કાપડિયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, જ્યારે ગ્લોબલ ટ્રાવેલ ટ્રેડ ફેર-2026ના ચેરમેન શ્રી વિનેશ શાહે એક્ઝિબિશન વિશેની માહિતી આપી હતી.

July 29, 2026
image-63-1280x853.png
1min50

દેશની બેંકોએ છેલ્લા ત્રણ વર્ષમાં ગ્રાહકો પાસેથી ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ પેનલ્ટી પેટે રૂપિયા 26,170.37 કરોડ વસૂલ્યા છે. આ માહિતી નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આપી હતી.

આ અંગે રાજયસભામાં માહિતી આપી હતી કે બેંકોએ છેલ્લા ચાર નાણાકીય વર્ષ 23 થી નાણાકીય વર્ષ 26 દરમિયાન ગ્રાહકો પાસેથી જરૂરી મિનિમમ બેલેન્સ જાળવવામાં બદલ દંડ વસૂલ્યો છે.

આ ડેટા મુજબ દંડમાં વધારો થઈ રહ્યો છે. સંસદીય માહિતી અનુસાર, બેંકોએ 2025-26 નાણાકીય વર્ષ દરમિયાન ગ્રાહકો પાસેથી રૂપિયા 7,086.63 કરોડ, વર્ષ 2024-25 નાણાકીય વર્ષમાં રૂપિયા 6,974.79 કરોડ દંડ વસૂલ્યો હતો. વર્ષ 2022-23 અને 2025-26 નાણાકીય વર્ષો વચ્ચે બેંકોએ મિનિમમ બેલેન્સ ન જાળવવામાં બદલ રૂપિયા 26,100 કરોડથી વધુ દંડ વસૂલ્યો હતો.

વર્ષ 2025-26 ના નાણાકીય વર્ષના ડેટા દર્શાવે છે કે દંડ વસૂલવામાં ખાનગી બેંકોએ જાહેર ક્ષેત્રની બેંકો આગળ છે. જેમાં ખાનગી બેંકોએ ગ્રાહકો પાસેથી કુલ રૂપિયા 4948.71 કરોડ દંડ વસૂલ્યા હતા. એચડીએફસી બેંકે રૂપિયા 1798. 14 કરોડ અને એક્સિસ બેંકે રૂપિયા 1081.33 કરોડ વસૂલ્યા હતા.

જેમાં સામૂહિક રીતે 12 જાહેર ક્ષેત્રની બેંકોએ કુલ રૂપિયા 2137.92 કરોડ વસૂલ કર્યા. તેમાંથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સૌથી વધુ રૂપિયા 477.27 કરોડ વસૂલ કર્યા હતા. ત્યારબાદ બેંક ઓફ બરોડા રૂપિયા 394.1 કરોડ વસૂલ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, એસબીઆઇએ માર્ચ 2020 થી બચત ખાતાઓમાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ પેનલ્ટી સંપૂર્ણપણે માફ કરી દીધી છે. આ દંડ અગાઉ ફક્ત ચાલુ ખાતાઓ અથવા અન્ય ચોક્કસ પ્રકારના ખાતાઓ પર લાગુ પડતો હતો. નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા માર્ગદર્શિકા હેઠળ, બેંકોને તેમની વ્યવસાયિક નીતિઓના આધારે દંડ નક્કી કરવાની પરવાનગી છે. જો કે આ નીતિઓ પારદર્શક હોય.

જોકે, ગ્રાહકોને રાહત આપવા માટે, દેશની 12 જાહેર ક્ષેત્રની બેંકોમાંથી 10 બેંકોએ બચત ખાતાઓ પર દંડ સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે.જ્યારે બાકીની બે બેંકોએ તેમને વધુ વાજબી બનાવવા માટે તેમના ચાર્જ ઘટાડ્યા છે. જો કોઈ ગ્રાહકનું બેલેન્સ ન્યૂનતમ મર્યાદાથી નીચે જાય તો બેંકે કોઈપણ દંડ કાપતા પૂર્વે ગ્રાહકને એસએમએસ , ઇમેઇલ અથવા પત્ર દ્વારા જાણ કરવી જોઈએ.

July 28, 2026
image-62.png
1min77

કતાર ફ્રી ઝોન્સ ઓથોરિટી (QFZ)એ કતાર ડાયમંડ એક્સચેન્જ (QDE)ને વિશ્વની સેવામાં સમર્પિત કર્યું છે. કતાર ડાયમંડ એક્ષચેન્જ હીરા અને (પ્રેસિયસ સ્ટોન્સ) કિંમતી પથ્થરોના વેપાર માટે એક નવું પ્લેટફોર્મ છે. આ નેટવર્ક કતારમાં આંતરરાષ્ટ્રીય હીરા ઉદ્યોગ માટે એક નવું કેન્દ્ર બનાવે છે. જેમાં સુરક્ષિત ટ્રેડિંગ ફ્લોર, ખાનગી વાટાઘાટો સ્યુટ અને સ્થળ પર સુરક્ષા અને દેખરેખનો સમાવેશ થાય છે, આ પ્રિમાઇસીસમાં કસ્ટમ્સ અને પ્રમાણપત્ર સુવિધાઓ પણ પૂરી પાડે છે. 2021 માં, કતાર કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ (KPCS) નું સંપૂર્ણ સભ્ય બની ચૂક્યું છે.

July 28, 2026
gujarat_vidhansabha.jpg
1min73

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઈ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. બજેટ સત્ર દરમિયાન ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ સહિત દર ચારમાંથી એક ધારાસભ્યએ એક પણ ચર્ચામાં ભાગ લીધો નહોતો. ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલા બજેટ સત્ર અંગે ગુજરાત વિધાનસભા સચિવાલયના રિપોર્ટના વિશ્લેષણ મુજબ, 182માંથી 45 ધારાસભ્યોએ પ્રશ્નોત્તરી કાળ સિવાયની કોઈ પણ ચર્ચામાં ભાગ લીધો નહોતો. રાજ્યના બજટે, સરકારી વિધેયકો, દરખાસ્તો, મુતલવી રાખેલી દરખાસ્તો અને અહેવાલ સહિતની મહત્વપૂર્ણ બંધારણીય બાબતોમાં કોઈ ચર્ચામાં જોડાયા નહોતા.

ચર્ચામાં ભાગ ન લેનારા ધારાસભ્યોની યાદીમાં રાજ્યકક્ષાના પ્રધાનો ત્રિકમ છાંગા, કાંતિલાલ અમૃતિયા, પી. સી. બરંડા, દર્શના વાઘેલા, રિવાબા જાડેજા, કૌશિક વેકરિયા, પરષોત્તમ સોલંકી, કમલેશ પટેલ અને રમેશ કટારાનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે પ્રધાનો વહીવટી જવાબદારીઓમાં વ્યસ્ત હોય છે અને પોતાના ખાતાને લગતી બાબતોમાં જ મર્યાદિત જવાબ આપતા હોય છે, પરંતુ ગૃહના ચોથા ભાગના સભ્યોની નિષ્ક્રિયતા વિધાસભાની ચર્ચાઓની ભાગીદારી સામે મોટા સવાલો ઊભા કરે છે.

રિપોર્ટ અનુસાર, આ સત્ર દરમિયાન વિવિધ કામગીરીમાં કુલ 493 વખત સભ્યોએ ભાગ લીધો હતો. જેમાં બજેટ પરની ચર્ચામાં સૌથી વધુ 223 વખત રજૂઆતો થઈ હતી, જે દર્શાવે છે કે રાજ્યનું વાર્ષિક નાણાકીય નિવેદન ચર્ચાનો મુખ્ય વિષય રહ્યું હતું. આ ઉપરાંત, અન્ય વિષયો પર 144 વખત, સરકારી વિધેયકો પર 65, રાજ્યપાલના પ્રવચન પરના આભાર પ્રસ્તાવ પર 28, ખાનગી સભ્યોના પ્રસ્તાવ પર 18, ખાનગી સભ્યોના બિલ પર 8 અને સરકારી પ્રસ્તાવ પર 7 વખત સભ્યોએ રજૂઆતો કરી હતી.

આંકડાઓ પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે વિધાનસભાની કામગીરીમાં ભાગીદારી અમુક જ સભ્યો પૂરતી મર્યાદિત રહી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ગૃહનું સંચાલન કરવાની તેમની જવાબદારીના ભાગરૂપે સૌથી વધુ 47 વખત ભાગ લીધો હતો, જ્યારે ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ 10 વખત ભાગ લીધો હતો. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સત્ર દરમિયાન 5 વખત અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ 7 વખત ચર્ચામાં ભાગ લીધો હતો.

સત્તાધારી પક્ષમાંથી પ્રધાન ઋષિકેશ પટેલ અને અર્જુન મોઢવાડિયા 15-15 વખત ચર્ચામાં ભાગ લઈને સૌથી વધુ સક્રિય રહ્યા હતા. સામે વિપક્ષમાં, કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ 15 વખત રજૂઆતો કરી હતી, જ્યારે AAP ના ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા અને ઉમેશ મકવાણા 14-14 વખત ચર્ચામાં જોડાયા હતા.

અન્ય સભ્યોમાં અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ 13 વખત, ચૈતર વસાવાએ 12, રમણલાલ વોરાએ 11, મંત્રી જીતુ વાઘાણીએ 10 અને ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ 8 વખત પોતાના વિચારો રજૂ કર્યા હતા.

રાષ્ટ્રીય રાજકીય નિષ્ણાતોના મતે, પોતાના વિસ્તારના કામો અને સમિતિઓની જવાબદારીઓ ઉપરાંત ગૃહની ચર્ચાઓમાં ભાગ લેવો એ પણ ધારાસભ્યની કામગીરીનું એક મહત્વનું માપદંડ છે.

સૂત્રોએ જણાવ્યું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાને સ્પર્શતા કાયદાઓ અને નીતિઓ પર ચર્ચા કરવા માટે જ ગૃહમાં જાય છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ મૌન રહે, ત્યારે લોકશાહીમાં તેમની જવાબદારી અને પારદર્શિતા પર અસર પડે છે.

July 26, 2026
image-56.png
1min39

50% ટેરિફના પડકારમાંથી પણ ઉદ્યોગે કાઢ્યો હતો રસ્તો; હવે દુબઈ, અબુધાબી, બ્રિટન, હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયા જેવા બજારો બન્યા મજબૂત આધાર

સુરત : અમેરિકાએ ભારતમાંથી આયાત થતા ઉત્પાદનો પર 10 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય જાહેર કર્યો હોવા છતાં સુરતના હીરા અને ઝવેરાત ઉદ્યોગમાં કોઈ ગભરાટનો માહોલ નથી. ઉદ્યોગકારોનું સ્પષ્ટ માનવું છે કે અગાઉ જ્યારે અમેરિકા તરફથી 50 ટકા સુધીના ઊંચા ટેરિફનો સામનો કરવો પડ્યો હતો ત્યારે પણ નિકાસ અટકી નહોતી. તેના બદલે સુરતના નિકાસકારોએ ઝડપથી વૈકલ્પિક બજારો શોધીને પોતાના વેપારને નવી દિશા આપી હતી.

ઉદ્યોગના અગ્રણીઓ જણાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સુરતના હીરા અને ઝવેરાત નિકાસકારોએ માત્ર અમેરિકી બજાર પરની નિર્ભરતા ઘટાડીને દુબઈ, અબુધાબી, બ્રિટન, હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં નોંધપાત્ર પ્રમાણમાં વેપાર વધાર્યો છે. આ ઉપરાંત યુરોપિયન દેશોના સમૂહ સાથેના વેપાર સંબંધો પણ સતત મજબૂત બની રહ્યા છે અને આગામી મહિનાઓમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો લાભ મળતા યુરોપિયન બજારમાં ભારતીય હીરા-ઝવેરાતને વધુ સ્પર્ધાત્મક સ્થાન મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ 10 ટકા ટેરિફ ઉત્પાદન ખર્ચ કે ઓપરેશનલ કોસ્ટનો ભાગ નથી. આ આયાત પર લાગતો કર હોવાથી તેનો અંતિમ બોજ અમેરિકન આયાતકાર અથવા ગ્રાહક પર જ આવે છે. પરિણામે સુરતના ઉત્પાદકોની ઉત્પાદન ક્ષમતા, ગુણવત્તા અથવા સ્પર્ધાત્મકતા પર તેની સીધી અસર થવાની શક્યતા ઓછી છે.

હીરા ઉદ્યોગના જાણકારોનું કહેવું છે કે સુરત આજે વિશ્વના મોટા ભાગના રફ હીરાના કટિંગ અને પોલિશિંગનું કેન્દ્ર છે. ઉચ્ચ ગુણવત્તા, કુશળ માનવબળ, આધુનિક ટેક્નોલોજી અને સમયસર સપ્લાય કરવાની ક્ષમતાના કારણે આંતરરાષ્ટ્રીય ખરીદદારો માટે સુરત આજે પણ પ્રથમ પસંદગી છે. તેથી માત્ર ટેરિફના આધારે ખરીદદારો અન્ય દેશોમાં સ્થળાંતર કરશે તેવી શક્યતા ખૂબ જ મર્યાદિત છે.

તાજેતરના સમયમાં ભારતે અનેક દેશો સાથે વેપાર કરારોને પ્રાધાન્ય આપ્યું છે. બ્રિટન સાથેના વેપાર સંબંધો વધુ મજબૂત બનવાના છે, જ્યારે યુરોપિયન યુનિયન સાથે ચાલી રહેલી ચર્ચાઓ સફળ થાય તો હીરા-ઝવેરાત નિકાસને નવી ગતિ મળી શકે છે. ઉદ્યોગકારોનું માનવું છે કે એક જ બજાર પર આધાર રાખવાને બદલે વિવિધ દેશોમાં ગ્રાહકોનું મજબૂત નેટવર્ક ઉભું કરવું એ જ ભવિષ્યની સૌથી મોટી વ્યૂહરચના છે.

સુરતના નિકાસકારોનું કહેવું છે કે વૈશ્વિક વેપારમાં ટેરિફ, જીઓ-પોલિટિકલ પરિસ્થિતિ અને ચલણના ઉતાર-ચઢાવ જેવા પડકારો સતત આવતા રહે છે. પરંતુ આવા પડકારો વચ્ચે પણ સુરતના ઉદ્યોગે દરેક વખતે નવી તકો ઊભી કરી છે. આજે મધ્યપૂર્વ, એશિયા-પેસિફિક અને યુરોપ જેવા વિસ્તારોમાં ભારતીય હીરા-ઝવેરાતની માંગ સતત વધી રહી છે, જેના કારણે અમેરિકન બજારમાં થતી કોઈપણ મર્યાદિત અસરને સંતુલિત કરી શકાય છે.

ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓનું માનવું છે કે આગામી સમયમાં ડિઝાઇન આધારિત જ્વેલરી, બ્રાન્ડેડ ઉત્પાદનો, ઝડપી ડિલિવરી અને નવા વૈશ્વિક બજારોમાં વિસ્તરણ પર વધુ ભાર મૂકવામાં આવશે. તેના કારણે સુરતનો હીરા અને ઝવેરાત ઉદ્યોગ માત્ર અમેરિકી બજાર પર નિર્ભર નહીં રહે, પરંતુ વૈશ્વિક સ્તરે વધુ મજબૂત અને સ્થિર નિકાસ આધાર ઉભો કરશે.

મુખ્ય મુદ્દા
અમેરિકાના 10 ટકા ટેરિફથી સુરતના હીરા-ઝવેરાત ઉદ્યોગમાં ગભરાટ નથી.
અગાઉ 50 ટકા ટેરિફ દરમિયાન પણ નિકાસ યથાવત રહી હતી.
દુબઈ, અબુધાબી, બ્રિટન, હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયા જેવા નવા બજારોમાં નિકાસ વધી.
ટેરિફનો અંતિમ બોજ અમેરિકન આયાતકાર અને ગ્રાહક પર રહેવાની ઉદ્યોગની દલીલ.
યુરોપિયન દેશો સાથે સંભવિત ફ્રી ટ્રેડ વ્યવસ્થાથી નિકાસમાં નવી તકો ઊભી થવાની આશા.
વૈશ્વિક બજારોમાં વૈવિધ્યકરણને કારણે સુરતનો હીરા ઉદ્યોગ વધુ મજબૂત સ્થિતિમાં.