RCEP એવું નથી કે ફક્ત ભારતના ઉદ્યોગ-ધંધા ખોરવશે, જાપાની યાર્ન પ્રોડ્યુસર્સમાં પણ ગભરાટ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
રિજિયોનલ કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ RCEPને કારણે 16 દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ થશે અને તેના લીધે સૌથી માઠી અસર જે ઉદ્યોગ પર થવાની છે એમા ટેક્સટાઇલ ઉદ્યોગ સામેલ છે. સૂરત ટેક્સટાઇલ સિટી હોવાના નાતે RCEP સામે અત્યારથી જ લડતના મંડાણ સૂરતથી શરૂ થયા છે.

સૂરતના ટેક્સટાઇલ ઉદ્યોગના મહત્વના અંગ વિવર્સ છે અને વિવર્સ હાલ ગ્રે બનાવવા માટે અનેક દેશી-વિદેશી પ્રોડ્યુસર્સ પાસેથી યાર્ન મેળવે છે. સૂરતના કેટલાક વિવર્સ હાઇક્વોલિટી ગ્રે, સિલ્ક ગ્રે બનાવવા માટે ઇમ્પોર્ટેડ યાર્નનો ઉપયોગ કરે છે અને એમાં જાપાન ખાતે ઉત્પાદિત બેમ્બર્ગ યાર્નનો સમાવેશ થાય છે.
સૂરતના વિવર્સ આગેવાન મયૂરભાઇ ગોળવાલા અને આશિષભાઇ ગુજરાતીએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે એવું નથી કે RCEPથી સૂરતના કે ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગોને જ મોટી અસર થવાની છે. જાપાનમાં ઉત્પાદીત થતા બેમ્બર્ગ યાર્ન કે જેમાંથી સિલ્ક ગ્રે ની વેરાઇટીઓ સૂરતમાં બની રહી છે, એ જાપાનીઝ બનાવટના બેમ્બર્ગ યાર્નનો વિશ્વભરમાં સૌથી મોટો ઉપભોક્તા જો કોઇ હોય તો એ સૂરતના વિવર્સ છે.
કલેક્ટીવ ઇન્ફર્મેશન અનુસાર આશિષભાઇ અને મયૂરભાઇ જણાવે છે કે જાપાનમાં ઉત્પાદિત બેમ્બર્ગ યાર્ન પૈકીનું 60 ટકા યાર્ન સૂરતમાં ઠલવાય રહ્યું છે. જો RCEP આવશે તો બેમ્બર્ગ યાર્ન કે જે જાપાન ઉપરાંત ચીન, હોંગકોંગ તેમજ અન્ય દેશો બનાવી રહ્યા છે એમનો માલ પણ સૂરતમાં ઠલવાશે, અને સંભવ છે કે જાપાનની ક્વોલિટી અને રેટની સામે અન્ય કોઇ દેશનું બેમ્બર્ગ યાર્ન ચઢીયાતું હશે તો જાપાને સૂરતને બેઠ્ઠો મળતો બિઝનેસ ગુમાવવો પડે એમ છે.

હાલ તો જાપાનના સૂરતમાં કે ભારતમાં ઠલવાતા બેમ્બર્ગ યાર્નના વેચાણમાં કોઇ સ્પર્ધા નડતી નથી અને મોટા ભાગે મોનોપોલી ટાઇપનો બિઝનેસ જાપાનીઝ બેમ્બર્ગ યાર્ન પ્રોડ્યુસર્સ કરી રહ્યા છે. પણ સૂરત પાસેથી, ભારત પાસેથી જાપાની પ્રોડ્યુસર્સે પણ આ બિઝનેસ ગુમાવવો પડે એવી નોબત આવીને ઉભી છે.
જાપાની મિડીયા ડેલિગેટ્સ સૂરત આવી રહ્યા છે
આશિષભાઇ ગુજરાતી અને મયૂરભાઇ ગોળવાલાએ જણાવ્યું કે RCEPના આવ્યા બાદ જાપાનના બેમ્બર્ગ યાર્નના સૂરતમાં વેચાણ પર, ભારતમાં વેચાણ પર શું અસર થઇ શકે તેની શક્યતાઓ ચકાસવા માટે આજરોજ તા.22મી ઓક્ટોબર 2019ના રોજ રાત્રે 10 વાગ્યે જાપાનના મિડીયા ડેલિગેટ્સ સૂરત આવી રહ્યા છે. આ સાથે જ મુંબઇ અને ભીવંડીમાં વિવિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ઉધોગ પ્રતિનિધિઓ પણ સૂરત આવી રહ્યા છે. તા.23મી ઓક્ટોબરે આખો દિવસ જાપાની ડેલિગેટ્સ મિટીંગો કરશે, કેટલાક યુનિટ્સની મુલાકાત લેશે તેમજ પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરશે.
RCEP કરાર નહીં કરવા સ્થાનિક ઉદ્યોગકારોની માગ
સૂરતના ટેક્સટાઇલ ઉધોગકારો સમેત અન્ય ઉદ્યોગ ધંધાર્થીઓએ RCEP કરાર નહીં કરવા સંદર્ભે કેન્દ્ર સરકારને રજૂઆતો કરવાનું મન બનાવી લીધું છે. RCEPમાં જોડાઇ રહેલા 16 દેશો પૈકી ઘણાં દેશો અને તેમના ઉદ્યોગપતિઓ રૂલ્સ ઓફ ઓરિજિન પત્ર પર સહીસિક્કા કરવાના મૂડમાં જણાતા નથી, આવી સ્થિતિમાં ભારતે પણ શું કામ RCEPને ગળે વળગાડવો જોઇએ એવી દલીલ છે સ્થાનિક ઉદ્યોગકારોની.
















