
પર્યાવરણમાં થઇ રહેલા ફેરફાર પર અભ્યાસ કરતી વિજ્ઞાનીઓ અને પત્રકારોની બનેલી અમેરિકી સંસ્થા ‘ક્લાઇમેટ સેન્ટ્રલ’એ તાજેતરમાં પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે વિશ્ર્વના સૌથી વધુ ગીચ શહેરોમાંનું એક મુંબઈ દરિયામાં વધતી જળસપાટીને લીધે ૨૦૫૦ સુધીમાં ડૂબી જવાની શક્યતા છે. ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં ૨૦૧૧ની વસતિગણતરી મુજબ અંદાજે ૧.૨૫ કરોડ લોકો રહે છે. દક્ષિણ મુંબઈમાં
વર્ષમાં ઓછામાં ઓછું એક વખત મોટી ભરતીને કારણે ઘણું પાણી ભરાઇ જાય છે અને ભવિષ્યમાં આ વિસ્તારની પરિસ્થિતિ વધુ વણસવાની શક્યતા છે.
દરિયામાં વધતી જળસપાટીથી ભારત, બંગલાદેશ અને ઇન્ડોનેશિયા જેવા કેટલાક દેશના કાંઠાવિસ્તારોમાં પૂરનું જોખમ વધી રહ્યું છે.
સ્કોટ એ. કલ્પ અને બેન્જામિન એચ. સ્ટ્રોસ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા અભ્યાસના સંબંધિત અહેવાલમાં દાવો કરાયો હતો કે દરિયામાં વધતી જળસપાટીથી પ્રભાવિત થનારા લોકોની સંખ્યા ૨૧૦૦ સુધીમાં પાંચથી દસ ગણી વધી જશે.
અહેવાલમાં જણાવાયું હતું કે દરિયાની જળસપાટીમાં થઇ રહેલા વધારાથી અસરગ્રસ્ત દુનિયાના ૭૦ ટકા લોકોથી વધુ લોકો એશિયાના આઠ દેશ – ચીન, બંગલાદેશ, ભારત, વિયેટનામ, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, ફિલિપાઇન્સ અને જાપાનમાં જ છે.
દરિયાની મોટી ભરતીથી અસર પામનારા ભારત, બંગલાદેશ, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સના લોકોમાં પાંચથી દસ ગણો વધારો થવાની ધારણા છે.
અભ્યાસમાં કરાયેલી ધારણા મુજબ દરિયાની વધી રહેલી જળસપાટીની અસર ૨૦૫૦ સુધીમાં અંદાજે ૩૪ કરોડ લોકોને થશે અને આ આંકડો સદીના અંત સુધીમાં વધીને આશરે ૬૩ કરોડ થઇ જશે.
વિજ્ઞાનીઓએ વિશ્ર્વમાં ગ્રીનહાઉસ ગૅસના વધી રહેલા પ્રમાણ સામે ચેતવણી આપી હતી અને તેનાથી રાજકીય સ્થિરતા સામે ગંભીર પડકાર ઊભો થવાની શક્યતા વ્યક્ત કરી હતી.



















