ગુજરાતની સર્વાંગી વૈશ્ર્વિક વિકાસ યાત્રાના પાયામાં રાજ્યની સુદૃઢ અને સંગીન કાયદો વ્યવસ્થાની સ્થિતિ રહેલી છે. આ જ કારણોથી ગુજરાતની કાયદો વ્યવસ્થા, સુરક્ષા-સલામતીની સ્થિતિની નોંધ દેશભરમાં લેવાય છે, એવું ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાને ગુજરાત પોલીસ દળના ૧૬૮ જેટલા અધિકારીઓ-કર્મયોગીઓને તેમની વિશિષ્ટ અને પ્રસંશનીય સેવા માટે ર૦૧૪ થી ર૦૧૯ના પ્રજાસત્તાક દિવસ સ્વાતંત્ર્ય દિવસ અવસરે જાહેર થયેલા પોલીસ ચંદ્રક અમદાવાદમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં એનાયત કર્યા બાદ વધુમાં કહ્યું હતું કે, ભારતભરમાં ગુજરાત પોલીસની પ્રતિષ્ઠા એવી વધી છે કે ગુનો આચરનારાઓને પાતાળમાંથી પણ શોધી કાઢી સજા આપવાની, નશ્યત કરવાની સજ્જતા-દક્ષતા ગુજરાત પોલીસમાં છે.
પોલીસના જવાનોએ પોતાના જાનની પરવા કર્યા વગર લોકોની સેવા કરી છે, જેથી ગુજરાત પોલીસ અને રાજ્યનું ગૌરવ વધ્યું છે. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, પોલીસ મહાનિર્દેશક શિવાનંદ જ્હા, ગૃહના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગતાસિંહ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત પોલીસ દળમાં ર૦૧૪થી ર૦૧૯ના વર્ષો દરમ્યાન ૯ પોલીસ અધિકારી-કર્મીઓને પ્રજાસત્તાક દિવસે તેમ જ ૯ જવાનોને સ્વાતંત્ર્ય દિવસે એમ કુલ-૧૮ અધિકારી-કર્મીઓને રાષ્ટ્રપતિ પોલીસ પદક જાહેર કરવામાં આવેલા તે તથા ગણતંત્ર દિવસે પ૮ અને સ્વાતંત્ર્ય દિવસે ૯ર પોલીસ પદક પણ જાહેર કરાયેલા તે પદક અર્પણ થયા હતા.



















