આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની ૧૩મી સિઝન આગામી ૨૯મી માર્ચે શરૂ થશે. એ પ્રારંભિક દિવસે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગયા વર્ષના ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને રનર-અપ ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે.
ફ્રૅન્ચાઇઝી-આધારિત આ ઇવેન્ટનો આરંભ ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ પૂરી થયાના ૧૧ દિવસ બાદ થશે.
આ સ્પર્ધાની છેલ્લી લીગ મૅચ ૧૭મી મેએ રમાશે. એ મૅચ બેંગલુરુમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વચ્ચે રમાશે. આઇપીએલના સત્તાવાળાઓ નૉકઆઉટ મૅચોનું શેડ્યૂલ પછીથી જાહેર કરશે. જોકે, ફાઇનલનો દિવસ નક્કી થઈ ગયો છે અને એ ૨૪ મેએ રમાશે.
એકમાત્ર રાજસ્થાન રૉયલ્સને બાદ કરતા બાકીના બધા ફ્રૅન્ચાઇઝીઓએ પોતાનું હોમ-બેઝ અગાઉની જેમ જ રાખ્યું છે. રાજસ્થાન પોતાના નવા ઘરઆંગણાના સ્થળ તરીકે ગુવાહાટી પર કળશ ઢોળવા વિચારે છે. દર વખતની જેમ આ વખતે પણ બપોરની મૅચો ૪.૦૦ વાગ્યે અને રાતની મૅચો ૮.૦૦ વાગ્યે શરૂ થશે.

વાનખેડેમાં કઈ લીગ મૅચ ક્યારે?
* રવિવાર, ૨૯ માર્ચે મુંબઈ વિરુદ્ધ ચેન્નઈ
* રવિવાર, ૫ એપ્રિલે મુંબઈ વિરુદ્ધ બૅન્ગલોર
* બુધવાર, ૧૫ એપ્રિલે મુંબઈ વિરુદ્ધ રાજસ્થાન
* સોમવાર, ૨૦ એપ્રિલે મુંબઈ વિરુદ્ધ પંજાબ
* મંગળવાર, ૨૮ એપ્રિલે મુંબઈ વિરુદ્ધ કોલકતા
* શુક્રવાર, ૧ મેએ મુંબઈ વિરુદ્ધ દિલ્હી
* શનિવાર, ૯ મેએ મુંબઈ વિરુદ્ધ હૈદરાબાદ
—
હવેથી શનિવારે બે મૅચ નહીં રમાય
આઇપીએલના સત્તાધીશોએ ટુર્નામેન્ટ દરમિયાન દર શનિવારે બે મૅચ રાખવાની પ્રથા કાઢી નાખી છે. પરિણામે, આ વખતથી આઇપીએલનો લીગ રાઉન્ડ અઠવાડિયું વધુ ચાલશે. સામાન્ય રીતે અગાઉ આઇપીએલની સિઝન પ્રારંભિક મૅચથી માંડીને ફાઇનલ સુધી કુલ ૭૬ દિવસ સુધી ચાલતી હતી, પણ હવે ૮૩ દિવસ સુધી ચાલશે.
ક્રિકેટ બોર્ડે ફ્રૅન્ચાઇઝીઓને શનિવારે મૅચોનું લિસ્ટ મોકલવાની સાથે જણાવ્યું હતું કે ‘હવેથી એક દિવસમાં બે મૅચો માત્ર રવિવારે જ રમાશે. અગાઉની માફક શનિવારે બે મૅચ નહીં રમાય.’




















