ભારતે શુક્રવારે મેચના ત્રીજા દિવસે 4 વિકેટે 125 રનના સ્કોરથી પોતાનો પ્રથમ દાવ આગળ ધપાવ્યો હતો. લોકેશ રાહુલ અને રિશભ પંત બેટિંગમાં હતા. જોકે, પંત વધારે સમય ક્રિઝ પર ટકી શક્યો ન હતો અને 25 રન નોંધાવીને આઉટ થયો હતો. પરંતુ લોકેશ રાહુલ અને રવીન્દ્ર જાડેજાની અડધી સદી બાદ જસપ્રિત બુમરાહે રમેલી આક્રમક ઈનિંગ્સની મદદથી ભારત સરસાઈ મેળવવામાં સફળ રહ્યું હતું.
ભારત પ્રથમ દાવમાં 84.5 ઓવરમાં 278 રનમાં ઓલ-આઉટ થઈ ગયું હતું. વિરાટ કોહલીની ટીમે 95 રનની સરસાઈ મેળવી લીધી હતી. ભારતે ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 183 રનમાં સમેટી લીધો હતો. ભારત માટે રાહુલે 84 અને રવીન્દ્ર જાડેજાએ 56 રન નોંધાવ્યા હતા. જ્યારે ઓલી રોબિન્સને પાંચ અને એન્ડરસને ચાર વિકેટ ઝડપી હતી.
ઝડપી બોલર ઓલી રોબિન્સન તથા જેમ્સ એન્ડરસને તરખાટ મચાવ્યો હોવા છતાં લોકેશ રાહુલ અને રવીન્દ્ર જાડેજાની અડધી સદીની મદદથી ભારતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ નોટ્ટિંગહામમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં પ્રથમ દાવમાં મહત્વની સરસાઈ મેળવી લીધી હતી. જોકે, બીજા દાવમાં ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી છે. પરંતુ ત્રીજા દિવસે પણ વરસાદનું વિઘ્ન નડ્યું હતું અને રમત વહેલી પૂરી કરી દેવી પડી હતી.
ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે ઈંગ્લેન્ડે તેના બીજા દાવમાં વિના વિકેટે 25 રન નોંધાવ્યા છે. ડોમિનિક સિબ્લી 9 અને રોરી બર્ન્સ 11 રને રમતમાં છે. હાલમાં ઈંગ્લેન્ડ 70 રન પાછળ છે.
નિકાસને પ્રોત્સાહન આપવા માટે યોજાયેલી પરિષદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હાલ આપણે જીડીપીની ૨૦ ટકા જેટલી નિકાસ કરીએ છીએ અને કોવિડ બાદના વિશ્ર્વમાં નિકાસ ૪૦૦ અબજ ડોલર સુધી વધારવાની મબલક તક પડી છે.
એમણે ઉદ્યોગપતિઓ અને નિકાસકારોને આ તકનો લાભ લેવાની હાકલ કરી હતી. ભારતીય દૂતાવાસો અને એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલને સંબોધતા એમણે જણાવ્યું હતું કે આપણે દરેક ક્ષેત્રે વૈશ્ર્વિક ઉસ્તાદો પેદા કરવા પડશે. ઉત્પાદનને આધારે પ્રોત્સાહન આપવાની યોજના સરકારની ‘ઇમરજન્સી ક્રૅડિટ લાઇન ગૅરન્ટી સ્કીમ’ ઉદ્યોગજગતને સ્થાનિક ઉત્પાદન વધારવામાં મદદ કરશે. સ્થાનિક મોબાઇલ ફોન ઉત્પાદનના
ક્ષેત્રે આયાત આઠ અબજ ડોલરથી ઘટીને બે અબજ ડોલર થઇ છે અને નિકાસ જે અગાઉ ૦.૩ અબજ ડોલર હતુ, એ વધીને ૩ અબજ ડોલર થયુ હોવાની વાત પણ એમણે જણાવી હતી. એમણે વધુમાં જણાવ્યું હતું કે પાછલી અસરથી કરો નાબૂદ કરવાના નિર્ણય અમારી કટિબદ્ધતા અને નીતિમાં સમતોલપણું જાળવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય વસ્તુઓની નિકાસ માટે નવા ઠેકાણાં શોધવાની વાત પર જોર આપતા જણાવ્યું હતું કે ભારતના વિદેશમાં રહેલા દૂતાવાસોએ ભારતીય વસ્તુઓના વેચાણ માટે નવા ઠેકાણાં શોધવા જોઇએ.
રાજ્યમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં રાજ્યની ૧૦ લાખ મહિલાઓને તેમાં જોડીને રૂ. એક હજાર કરોડનું વિના વ્યાજનું ધિરાણ આપવામાં આવશે. આ નવ દિવસીય સેવાયજ્ઞમાં રાજ્યમાં ૧૮ હજાર કાર્યક્રમો થકી રૂ. ૧૫ હજાર કરોડના કામો સરકાર સામે ચાલીને લોકોને અર્પણ કરી રહી છે, એવું ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીનો ચોથો દિવસ નારીશક્તિને અર્પણ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સમગ્ર રાજ્યની નારીશક્તિની અભિવંદના કરવા વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં એક નવું જ વિકાસ વિશ્ર્વ આપણે સર્જ્યું છે. નારીશક્તિના આશીર્વાદથી આપણી સરકાર શાસનના પાંચ વર્ષ પૂરા કરી રહી છે. પાંચ વર્ષ પૂરા થવાનો આ પ્રસંગ એ સરકાર માટે કોઈ ઉજવણીનો પ્રસંગ નથી, પરંતુ જનસેવાના કાર્યોનો સેવાયજ્ઞ આદર્યો છે.
રૂપાણીએ આ જનસેવા યજ્ઞનો વિરોધ કરનારા લોકોને આડે હાથે લેતા કહ્યું કે, અમે આંબા-આંબલી બતાવનારા લોકો નથી. પરંતુ જે કહેવું તે કરવું અને જેટલું કરી શકીએ તેટલું જ કહેવું’ એ અમારા સંસ્કાર છે. જન જન પ્રત્યેની સંવેદના અને સર્વના સર્વાંગી વિકાસની વિભાવના સાથે આપણે અનેક નિર્ણયો કર્યા છે, અને લોકો સુધી તેના લાભો પહોંચાડ્યા છે.
નારીશક્તિનું મહિમામંડન કરતા રૂપાણીએ કહ્યું હતું કે, જ્યાં નારીઓનું સન્માન અને ગૌરવગાન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ છે. એનો મતલબ કે નારીશક્તિનું સન્માન એ સમૃદ્ધિ તરફનો માર્ગ છે. નારીશક્તિને વિકસવા માટેનું યોગ્ય આર્થિક વાતાવરણ રાજ્ય સરકારે આપ્યું છે.
ટોક્યો ઓલમ્પિકમાં હોકીમાં ભારતનો તિરંગો લહેરાયો છે. ભારતની પુરુષોની હોકી ટીમ આજે બ્રોન્ઝ મેડલ માટે જર્મની સામે રમવા ઊતરી હતી. ભારતીય ટીમનો જર્મની સામે 5-4થી વિજય થયો છે અને બ્રોન્ઝ મેડલ ભારતની ઝોળીમાં આવી ગયો છે.
ભારતીય પુરુષ હોકી ટીમે જર્મનીને હરાવીને ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. ભારતે 1980 બાદ પહેલીવાર ઓલિમ્પિક મેડલ પાક્કો કર્યો છે. ભારતે બ્રોન્ઝ મેડલ જીતવા માટે જર્મનીને 5-4થી હરાવ્યું છે. ભારતયી પુરુષ હોકી ટીમના આ વર્ષના પ્રદર્શનના કારણે ઘણી આશાઓ હતી કે ટીમ મેડલ જીતશે અને આખરે ટીમે બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં દમદાર ગણાતી જર્મનીની ટીમને શરુઆતની લીડ બાદ પછડાટ આપીને જીત હાંસલ કરી લીધી છે.
શરુઆતમાં 0-2થી જર્મનીની ટીમ આગળ ચાલી રહી હતી પરંતુ આ પછી ભારતે શાનદાર પ્રદર્શન કરીને 3-5થી આગળ ચાલી રહ્યું હતુ અને અંતમાં મેચનું પરિણામ 5-4 રહ્યું અને ભારતે જીત મેળવી લીધી હતી. ચોથા ક્વાર્ટરમાં જર્મનીને પેનલ્ટી કોર્નરમાં ચોથો ગોલ કર્યો હતો. ફાઈનલ ક્વાર્ટરમાં ભારતીય ટીમ 5-4થી આગળ હતી. આ પછી મેચની સાતમી મિનિટે મનદીપ સિંહ પાસે સાતમો ગોલ કરવાની તક હતી પરંતુ તેમાં તેઓ અસફળ રહ્યા હતા. જોકે, ભારતીય ટીમ જર્મની ટીમને સારી ટક્કર આપીને પાંચમા ગોલ સાથે બરાબરી કરતા રોકીને મેચ પર કબજો કરી લીધો હતો.
ભારતીય બોલર્સનું શાનદાર પ્રદર્શન, પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડ 183 રનમાં આઉટ, જો રૂટની અડધી સદી
જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી સહિત બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે બુધવારથી નોટ્ટિંગહામમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં પ્રથમ દિવસે જ ઈંગ્લેન્ડ સામે મજબૂત સ્થિતિ મેળવી લીધી છે. ભારતે મેચના પ્રથમ દિવસે યજમાન ટીમને આઉટ કરી દીધી હતી. ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 183 રનમાં સમેટાઈ ગયો હતો. જસપ્રિત બુમરાહે ચાર વિકેટ ઝડપી હતી. પ્રથમ દિવસના અંતે ભારતે વિના વિકેટે 21 રન નોંધાવ્યા છે. લોકેશ રાહુલ અને રોહિત શર્મા 9-9 રન પર રમતમાં છે.
ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે, પ્રથમ ઓવરના પાંચમાં બોલ પર ઈંગ્લેન્ડને પ્રથમ ફટકો પડ્યો હતો. જસપ્રિત બુમરાહે રોરી બર્ન્સને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. બર્ન્સ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ત્યારબાદ ડોમિનિક સિબ્લી અને ઝેક ક્રાઉલીની જોડીએ બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. આ જોડીએ 42 રનની ભાગીદારી નોંધાવી હતી.
પરંતુ આ જોડી વધારે જોખમી બને તે પહેલા જ મોહમ્મદ સિરાજે ક્રાઉલીને આઉટ કરીને ભારતને મહત્વની સફળતા અપાવી હતી. ક્રાઉલીએ 68 બોલમાં ચાર ચોગ્ગા સાથે 27 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે મોહમ્મ શમીએ સિબ્લીને આઉટ કરવામાં સફળતા મેળવી હતી. તેણે 70 બોલમાં 18 રન નોંધાવ્યા હતા.
ત્યારબાદ સુકાની જો રૂટ અને જોની બેરસ્ટોએ ટીમના સ્કોરને આગળ ધપાવ્યો હતો. રૂટ અને બેરસ્ટોએ 72 રનની ભાગીદારી નોંધાવી હતી. આ જોડીએ ઈંગ્લેન્ડને મેચમાં પાછુ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેવા સમયે જ શમીએ બેરસ્ટોને આઉટ કરીને ભારતને રાહતનો શ્વાસ અપાવ્યો હતો. બેરસ્ટોએ 71 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 29 રન નોંધાવ્યા હતા. જ્યારે રૂટે અડધી સદી ફટકારી હતી. રૂટે 108 બોલમાં 64 રનની ઈનિંગ્સ રમી હતી જેમાં 11 ચોગ્ગા સામેલ હતા.
આજ (4/8/21)થી ટીમ India Vs England ટેસ્ટ ક્રિકેટ
વિરાટ કોહલીના કપ્તાનપદ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમના ઇંગ્લેન્ડ વિરૂધ્ધના પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની શરૂઆત આવતીકાલ બુધવારથી થશે. ત્યારે કપ્તાન વિરાટ કોહલી અને કોચ રવિ શાત્રીની ટીમ સંયોજન પસંદ કરવાની રણનીતિ તૈયાર કરવાની પરીક્ષા થશે.
કોહલીએ ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ઇલેવન પહેલા જાહેર કરી દીધી હતી, બાદમાં પરિસ્થિતિ અનુસાર ફેરફાર ન કરવાનું પરિણામ સહન કરવું પડયું હતું. આવતીકાલથી શરૂ થતાં પહેલા ટેસ્ટમાં રોહિત શર્માના દાવનો પ્રારંભ કરવાનું કેએલ રાહુલનું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. કારણ કે મયંક અગ્રવાલ માથાની ઇજાને લીધે પહેલા ટેસ્ટની બહાર થઇ ગયો છે. રાહુલ અનુભવી અને છે અને અભ્યાસ મેચમાં સદી કરી ચૂક્યો છે.
ઇંગ્લેન્ડની ટીમ તેના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસની ગેરહાજરી સાથે મેદાને પડશે. સ્ટોકસે ફરી એકવાર માનસિક તનાવનો હવાલો આપીને ક્રિકેટમાંથી બ્રેક લીધો છે.
પહેલા ટેસ્ટમાં ભારત ચાર ઝડપી બોલર અને એક સ્પિનર સાથે ઉતરે છે કે બે સ્પિનર અને ત્રણ ઝડપી બોલર સાથે તે મહત્ત્વનું બની રહેશે. જો અશ્વિન અને રવીન્દ્ર ઇલેવનમાં સામેલ હશે તો જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાઝમાંથી એકને બહાર બેસવું પડી શકે છે. બુમરાહ પાછલા કેટલાક સમયથી તેની ધાર ખોઇ ચૂક્યો છે. અનુભવી ઇશાંત અને શમીને પડતા મૂકવાનો જુગાર ભારત ખેલી શકે નહીં. ટોસની ભૂમિકા પણ ઘણી મહત્ત્વની બની રહેશે. જો બુધવારે વાદળછાયું વાતવરણ હશે તો ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ પસંદ કરી શકે છે. પાછલા કેટલાક સમયથી ધ વોલ ચેતેશ્વર પુજારાનું ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે. તેના પર રન કરવાનું દબાણ રહેશે. ઉપસુકાની રહાણેને ફિટનેસની સમસ્યા છે.
ભારતીય બેટધરોને ફરી એકવાર ડયૂક બોલથી દુનિયાની શ્રેષ્ઠ ઝડપી બોલિંગ જોડી જેમ્સ એન્ડરસન અને સ્ટૂઅર્ટ બ્રોડનો સામનો કરવાનો રહેશે. તેની સાથે માર્ક વૂડ અને ઓલિ રોબિન્સન હશે.
ઇંગ્લેન્ડની ટીમ જો રૂટના સુકાનીપદ હેઠળ પાંચ ટેસ્ટની શ્રેણી જીતવાનો ભરપૂર પ્રયાસ કરશે. કારણ કે બાદમાં તેમને એશિઝ સિરીઝ રમવાની છે. સુકાની રૂટ ઉપરાંત રોરી બર્ન્સ, જેક ક્રાઉલી, ડેન લોરેંસ, ઓલી પોપ અને જોસ બટલર ભારતીય બોલરોની કસોટી કરશે. મેચ ભારતીય સમય અનુસાર બુધવારથી 3-30થી શરૂ થશે અને સોની સ્પોર્ટસની ચેનલ પરથી જીવંત પ્રસારણ થશે.
વૈશ્વિકના શેર બજારોની સાથે તેજીનું સંતુલન જાળવતા ભારતીય શેરબજારોમાં આજે આગઝરતી તેજી જોવા મળી હતી. આજે તા.3 ઓગસ્ટે બપોરે બપોરે 1 વાગ્યાની સ્થિતિએ નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્ષમાં ઐતિહાસિક 16000ની સપાટી વટાવી દીધી હતી. સેન્સેક્સમાં પણ 525 પોઈન્ટ્સના ઉછાળા સાથે 53,475ની સપાટી નોંધાઇ હતી.
આજે વધનારા શેર્સમાં મોટાભાગે બેન્કિંગ, આઈટી, ફાર્મા અને FMCG શેર્સનો સમાવેશ થાય છે. આઈટી ઈન્ડેક્સની વાત કરીએ તો એમ્ફેસિસ 3.21 ટકા અને ટાટા એલેક્સી 2.78 ટકાના ઉછાળા સાથે ટોપ પર રહ્યા છે. આ સિવાય ટીસીએસ, ઈન્ફોસિસ પણ આજની તેજીમાં દોડી રહ્યા છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં પણ ખરીદી યથાવત જોવા મળી રહી છે.
ટાઈટન 3.89 ટકાના ઉછાળા સાથે 1839ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે HDFC 3.24 ટકાના ઉછાળા સાથે બીજા નંબરે હતો. આ સિવાય સન ફાર્મા, ભારતી એરટેલ, ઈન્ડસિન્ડ બેન્ક, ટીસીએસ, એશિયન પેઈન્ટ્સ, એસબીઆઈ, HUL, એક્સિસ જેવા શેર્સ પણ ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. ઈન્ફોસિસનો શેર પણ આજે પોતાની ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શી જતાં તેનું માર્કેટ કેપ 7 લાખ કરોડના સ્તરને વટાવી ગયું હતું.
જેની શાળાઓ આખા ભારત દેશ ઉપરાંત વિદેશોમાં પણ પથરાયેલી છે એ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE દ્વારા આજરોજ તા.3 ઓગસ્ટ 2021ના રોજ ધો.10નું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. કોરોના પેન્ડેમિકને કારણે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE સમેત કોઇપણ રાજ્ય બોર્ડ દ્વારા ફિઝિકલ ઓફલાઇન પરીક્ષાઓ થઈ શકી નથી તેવા સંજોગોમાં આંતરીક મૂલ્યાંકન અને અગાઉના વર્ષોના પરીણામોને આધારે સીબીએસઇએ આજે ઔપચારિક પરીણામ જાહેર કર્યું છે.
સુરતની જાણિતી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE એફિલિયેટેડ સ્કુલના સંચાલકે જણાવ્યું કે આજના પરીણામનું મહત્વ દસ્તાવેજી રીતે છે, વિદ્યાર્થીઓને માર્કશીટ આજે નહીં પણ ભવિષ્યમાં જરૂર પડશે એટલે પરીણામ તો જરૂરી હતું પછી ભલે એ ઔપચારિક જ બનીને ભલે ને રહી ગયું હોય. તેમણે કહ્યું કે ધો.11 સાયન્સ, કોમર્સ અને હ્યુમેનિટીઝમાં 25 ટકા જેટલો સિલેબસ પૂરો થઇ ચૂક્યો છે અને કોચિંગ ક્લાસીસોએ તો 40 ટકા સુધી ભણાવી દીધું છે ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE પરીણામોની શૈક્ષણિક મહત્વતા રહી નથી.
ધો.10 પછી ડિપ્લોમા ઇજનેરીનું રજિસ્ટ્રેશન 14 ઓગસ્ટ સુધી લંબાવાયું
ધો.10 પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ કાર્યવાહી ગુજરાતમાં એક મહિના અગાઉ શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ, દેશના સૌથી મોટા બોર્ડ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSEનું ધો.10નું પરીણામ અત્યંત વિલંબથી એટલે કે તા.3 ઓગસ્ટે જાહેર થતાં ગુજરાતમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સ http://www.acpdc.co.in ની પ્રવેશ કાર્યવાહી તા.14મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.
એલેક્સઝેન્ડર હેન્ડરિક્સની શાનદાર હેટટ્રિકની મદદથી બેલ્જિયમે ટોકિયો ઓલિમ્પિક હોકી સેમિફાઈનલમાં ભારતીય પુરુષ ટીમને 5-2થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. બન્ને ટીમો વચ્ચે ત્રણ ક્વાર્ટરમાં બરાબર હતી, પરંતુ અંતિમ ક્વાર્ટરમાં બેલ્જિયમે દમદાર ગેમ રમીને આગેકૂચ કરી લીધી. ભારતીય ટીમ હવે બ્રોન્ઝ માટે રમવા માટે ઉતરશે.
હાફ ટાઈમ સુધી બન્ને ટીમ-2-2ની બરાબરી પર હતી. બન્ને ટીમ વચ્ચે સમતોલ સ્પર્ધા ચાલી રહી હતી. બન્ને ટીમના ખેલાડીઓ ચાન્સ આપવા માટે તૈયાર નહોતા. આવામાં બન્ને ટીમને ચાન્સ મળ્યા અને 2-2 ગોલ કરીને બરાબરી કરી લીધી હતી. બેલ્જિયમે બીજી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો તે પછી ભારતીય ટીમે કમબેક કર્યું હતું. અને લેવલ બરાબર કર્યું હતું.
ભારતીય ટીમમાં હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને સ્કોલરલાઈન 1-1થી બરાબર કરી દીધી હતી. આ પછી મનદીપે ગોલ કરીને ભારતને આગળ પહોંચાડ્યું હતું. જોકે, બેલ્જિયમના હેન્ડરિક્સે પેલન્ટી કોર્નર પર બરાબરી કરી લીધી હતી.
ત્રીજા ક્વાર્ટરમાં બેલ્જિયમે વાઝોડાની જેમ ઉતરી હતી. બેલ્જિયમે અહીં પહેલા હાફમાં જ ગોલ કરીને સારી શરુઆત કરી લીધી હતી. આ પછી ભારતે આગળ નીકળવા માટે પ્રયાસો કર્યા ત્યાં બેલ્જિયમ 5-2થી આગળ નીકળી ગયું હતું. બેલ્જિયમ રિયો ઓલિમ્પિક બાદ સતત બીજીવાર ફાઈનલમાં પહોંચી છે, હવે ટીમ પાસે ગોલ્ડ જીતવાની તક છે. જ્યારે ભારતીય ટીમ પાસે બ્રોન્ઝ મેડલ જીતવાની તક રહેલી છે.
ભારતીય સ્ટ્રાઈકર મનદીપ સિંઘે જણાવ્યું છે કે, આ અમારા માટે ખરાબ દિવસ રહ્યો છે, કારણ કે અમે સેમિફાઈનલ ગુમાવી છે. પરંતુ હજુ અમારી પાસે એક મેચ છે. જેથી અમે બ્રોન્ઝ જીતવા માટે મહેનત કરીશું. અમે સર્કલમાં અને PCsમાં પણ કેટલીક મોટી ભૂલ કરી દીધી હતી. અમે આગામી મેચમાં અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીશું. અમે આગામી મેચ સાથે બ્રોન્ઝ સાથે જીતી લઈએ તે માટે એક બીજાને પ્રોત્સાહિત કરીશું.
41 વર્ષ પછી ભારતે સેમિફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચી દીધો હતો, ત્યારે દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લાઈવ મેચ જોવા બેસી ગયા હતા. ભારતીય ટીમ પાસે ઘણી આશા હતી પરંતુ બેલ્જિયમની ટીમ ચેમ્પિયનની જેમ રમી હતી, આમ છતાં ભારત પાસે હજુ પણ મેડલ જીતવાની તક રહેલી છે. વડાપ્રધાન મોદીએ ખેલાડીઓનો ઉત્સાહ વધારતા લખ્યું છે કે, હાર અને જીત તો રમતનો ભાગ છે, તમે આગામી મેચમાં સારું પ્રદર્શન કરો તેવી શુભેચ્છાઓ.
કંઈક આવું જ બન્યું હતું શ્રી દિનેશભાઇ નાવડિયાના કાર્યકાળ દરમ્યાન. કોરોના તેની ચરમસીમા પર હતો. કોણે શું કરવું તે કોઈને સમજાતું નહોતું અને તેવા સમયે તા. ૩૧ જુલાઈ, ર૦ર૦ના રોજ કાર્યવાહક પ્રમુખ તરીકે શ્રી દિનેશભાઇ નાવડિયાની મંઝિલ શરૂ થઈ. સરકારના કડક નિયંત્રણો, કોઈને પણ બોલાવીએ તો કોરોનાને કારણે બધા જ આવવાનું ટાળે, સ્ટાફમાં પણ નિયમિત અંતરે કોરોના પોઝિટીવની સંખ્યા વધતી ગઈ અને તેમ છતાં પણ જૂજ મિત્રોની સાથે કોરોના સામે ઝઝૂમવાની શરૂઆત કરી. હિંમત નહીં હાર્યા, આત્મવિશ્વાસ સંપાદિત થતો ગયો અને ધીમે ધીમે પ્રવૃત્તિઓ શરૂઆત થઈ.
શરૂઆતમાં સૌથી મોટી જરૂરિયાત હતી ધંધા અને ઉદ્યોગના મિત્રોનો આત્મવિશ્વાસ વધારવાની. તેઓની સમસ્યાને સરકાર સુધી પહોંચાડવા માટેનો આ સમય હતો. તેઓને પડતી મુશ્કેલીઓ અમો સમજતા ગયા અને સરકારશ્રી સમક્ષ એક પછી એક રજૂઆતો કરતા ગયા. સરકારશ્રીએ પણ નીતિ–નિયમોને આધિન અમારી રજૂઆતોને સ્વીકારવાનું મુનાસિબ માન્યું અને એક પછી એક રસ્તાઓ ખૂલતા ગયા. લગભગ રોજ વિવિધ ટ્રેડ અને ઈન્ડસ્ટ્રીની રજૂઆતો એ સામાન્ય ઘટના બની ગઈ પરંતુ જેટલા આપણે પોઝિટીવ હતા તેટલા જ પ્રશાસકો પણ પોઝિટીવ હતા. દરેકને એમ થતું હતું કે અર્થતંત્ર બેઠું થવું જ જોઈએ અને તેથી રસ્તાઓ નીકળતા ગયા અને હકારાત્મક પરિણામો આવતા ગયા.
કોરોનાની પહેલી લહેર દરમિયાન જ દિનેશ નાવડીયાએ ચાર્જ લીધાના 20માં દિવસથી પ્રવૃત્તિઓ ધમધમી ઉઠી
ચાર્જ લીધાના ર૦ દિવસ પછી ચેમ્બરની સી.એસ.આર. એકટીવીટીની શરૂઆત થઈ. પ્રથમ તબકકે દોઢ લાખ માસ્ક અને રપ,૦૦૦થી વધુ હેન્ડ સેનિટાઈઝર બોટલનું વિતરણ કરવામાં આવ્યું. સુરત રેલ્વે સ્ટેશન પર જે કોઈક કામદાર કે કર્મચારી ઉતરે તેને ચેમ્બર અને ચેમ્બર સાથે સંકળાયેલા અન્ય એસોસીએશનોની આર્થિક મદદથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું.
મહિલા ઉધોગ સાહસિકો માટે શૃંખલાબદ્ધ આત્મનિર્ભર પ્રદર્શનો
સમયની માંગ સમજીને લોકોને વધુ ને વધુ રોજગારી મળી રહે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા. આ પ્રયત્નોના ભાગ રૂપે લેડીઝ વીંગના ઉપક્રમે મહિલાઓ આત્મનિર્ભર બને તેવા હેતુથી એકઝીબીશનોની શરૂઆત થઈ. બહેનોને વિના મૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવી. સમૃધ્ધિ, નાનપુરા ખાતે ત્રણ–ત્રણ દિવસના કુલ ચાર એકઝીબીશન થયા. ત્યારબાદ પાટીદાર સમાજની સાથે રહીને કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે ત્રણ–ત્રણ દિવસના બે એકઝીબીશન, પુણા ગામ ખાતે ત્રણ દિવસનું એક એકઝીબીશન અને અમીધારા વાડી, રાંદેર રોડ, સુરત ખાતે કડવા પાટીદાર સમાજ સાથે ત્રણ–ત્રણ દિવસના બે એકઝીબીશનોનું સફળતાપૂર્વક આયોજન કર્યું. આમ, માત્ર બે મહિનાના સમયગાળામાં નવ એકઝીબીશનોનું સફળતાપૂર્વક આયોજન કરી બહેનોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં પ્રયત્નો કર્યા. આ જ સમયગાળામાં લોકો થાકી જતા હતા, પરંતુ કોરોના થાકતો નહોતો અને તેથી લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી જનજાગૃતિ અભિયાન અંતર્ગત પદયાત્રાઓની શરૂઆત કરી. વરાછા રોડ, મહિધરપુરા, ચોકબજારથી સ્ટેશન, ટેક્ષ્ટાઈલ માર્કેટ વિસ્તાર અને અઠવાલાઈન્સથી પીપલોદ સુધીના વિસ્તારોમાં અલગ–અલગ દિવસોએ આ પદયાત્રાઓ યોજવામાં આવી.
રાત્રિ કરફ્યુ દરમિયાન મુસાફરોને વિનામૂલ્યે ગંતવ્ય સ્થળે પહોંચાડવાનું સૌપ્રથમ દિનેશ નાવડીયાએ શરૂ કરાવ્યું
અચાનક અનલોકના સમયગાળા દરમ્યાન રાત્રિ કરફયુનો આરંભ થયો. ચેમ્બરે નાના માણસોની તકલીફને સમજીને રાત્રિ કરફયુના સમયગાળા દરમ્યાન રપ ફોર વ્હીલર દ્વારા સુરત રેલ્વે સ્ટેશન પર ઉતરતા મુસાફરોને ઘર સુધી પહોંચાડવાનો ઉપક્રમ હાથ ધર્યો, જે સતત ૧પ દિવસ ચાલ્યો. એમ લાગતું હતું કે બધું સમુંસુતરું પાર ઉતરશે પરંતુ કોરોનાના સેકન્ડ વેવે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી. એવા સંજોગોમાં પણ કોવિડના તમામ સરકારી નિયમોના ચુસ્તપણે પાલન સાથે ચેમ્બરના કાર્યાલયને એક દિવસ પણ બંધ નહીં રાખી કાર્યને આગળ ધપાવવા સાથે પ્રવૃત્તિનો દોર લંબાવ્યો.
ખરા સમયે ચેમ્બરે ઓક્સિજન બેંક શરૂ કરી
આ સમયગાળામાં ઓકિસજનની ભયંકર અછત વર્તાઇ. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની તમામ ચેમ્બર ઓફ કોમર્સને ·ઓકિસજન બેંક શરૂ કરવાની હાકલ કરી અને આ હાકલને સૌથી પહેલા આપણે ઝીલી લીધી અને ચેમ્બર પ્રેરિત પહેલી ઓકિસજન બેંક સમગ્ર ગુજરાતમાં સુરતમાં આપણે ત્યાં શરૂ થઈ. પરંતુ સમસ્યા હતી તેના રિફિલીંગની. ઉચ્ચ સંપર્કોનો ઉપયોગ કરીને આ સમસ્યાનો પણ હલ આવ્યો અને લોકોને પ્રાણવાયુ પૂરો પાડીને આપણે સાચા અર્થમાં ઓકિસજનના વાહક બન્યા. હજારો જીવ તેને કારણે બચ્યા અને આજે પણ આ ઓકિસજન બેંક વિના મૂલ્યે કાર્યરત છે. સાથે સાથે નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં ડૉકટર્સ, નર્સીસ, ચોથા વર્ગના કર્મચારીઓ, રેસિડેન્ટ ડૉકટર્સ માટે રોજ સવારે, બપોરે અને રાત્રે લગભગ ૧૩૦૦ વ્યકિતઓ માટે નાસ્તો અને છાશ–જયુસની વ્યવસ્થા કરવામાં આવી. ઉપરાંત, નવી સિવિલ હોસ્પિટલને રપ બાયપેપની સુવિધા પણ ઈમરજન્સીમાં ઉપલબ્ધ કરાવી આપી. કોવિડ સમરસ સેન્ટરોમાં દર્દીઓનો સમય ગુણવત્રની દ્રષ્ટિએ સારી રીતે પસાર થાય તે માટે પુસ્તકોનું વિતરણ અને સંગીતના લાઈવ કાર્યક્રમ દ્વારા દર્દીઓને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું.
આ જ સમયગાળા દરમ્યાન વેબિનારના માધ્યમ દ્વારા કોરોના સંદર્ભની માહિતી આપતી મેડીકલ કોન્ફરન્સીસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રસીકરણ સેન્ટરોનું અસરકારક સંકલન ઉપરાંત અનેક દર્દીઓને દવા, ઈન્જેકશન અને હોસ્પિટલાઈઝેશનની વ્યવસ્થામાં પણ ચેમ્બર મદદરૂપ થઈ હતી.
ટ્રાફિક બેરીકેડ્સનું વિતરણ
પોલીસ કમિશ્નર શ્રી અજય કુમાર તોમરજીએ કરેલી અપીલના સંદર્ભમાં મીની અને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લગભગ રૂ. ર૪ લાખના ખર્ચે ૩૦૦થી વધુ ટ્રાફિક બેરીકેડસનું વિતરણ ઔદ્યોગિક એસોસીએશનો અને ઉદ્યોગપતિઓની સાથે રહીને કર્યું હતું.
દિનેશ નાવડીયાના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને મુદ્દાસર રિપ્રેઝન્ટેશન કરીને પરીણામો મેળવ્યા.
વર્ષ દરમ્યાન દરરોજ કોઇક ને કોઇક સમસ્યા સંદર્ભે રજૂઆતો કરવામાં આવી હતી અને તેના ધાર્યા પરિણામો મેળવવામાં સફળતા પ્રાપ્ત થઇ હતી. આ રજૂઆતોમાં જે સૌથી વધુ સફળ રહી હતી. ચેમ્બર દ્વારા કોરોના કાળમાં ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીને પડી રહેલી મુશ્કેલીને દૂર કરવા માટે રજૂઆતોનો દોર વધુ ગતિથી લંબાવ્યો હતો. ખાસ કરીને ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કારીગરોની સુરક્ષા માટે વેકસીનેશનમાં તેઓને પ્રાથમિકતા આપીને વિના મૂલ્યે વેકસીનેશન માટે અસરકારક રજૂઆત કરી હતી અને તેમાં સફળતા પણ મળી હતી. આ ઉપરાંત રિટેલ વેપારીઓને લોકડાઉન દરમ્યાન શનિવાર અને રવિવારના રોજ પણ અમુક સમયગાળા માટે દુકાનો ખુલ્લી રાખવા માટે કરેલી રજૂઆતને પગલે વેપારીઓને રાહત થઇ હતી.
લોકડાઉનના શરૂઆતના તબકકામાં જ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ધમધમતી રહે અને આ ઉદ્યોગનું અર્થતંત્ર પડી નહીં ભાંગે તે માટે સ્થાનિક અધિકારીઓની સાથે રહીને કોવિડના નિયમોનું અક્ષરશ: પાલન કરીને આ ઉદ્યોગને સંપૂર્ણપણે
ધબકતું રાખવા માટે કરેલા સનિષ્ઠ પ્રયાસોને કારણે તેના હકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા હતા અને તેને કારણે બેરોજગારીના પ્રશ્નો ઓછા થયા હતા.
આખા દેશમાં સુરતમાંથી સૌથી વધુ 9 લાખ શ્રમિકોનું સફળ સ્થળાંતર કરાવવામાં દિનેશ નાવડીયાનું નેતૃત્વ કાબિલેતારીફ રહ્યું
કોરોના કાળમાં વિવિધ ઇન્ડસ્ટ્રીના કારીગરો માદરે વતનની વાટ પકડી હતી ત્યારે તેઓ સુરક્ષિત રીતે વતન પહોંચી શકે તે માટે ચેમ્બર દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવાની રેલ્વે તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. જેને પગલે રેલવે તંત્ર દ્વારા શરૂ કરાયેલી ટ્રેનો મારફત કારીગરો તથા અન્ય મુસાફરો પોતપોતાના ગંતવ્ય સ્થળો સુધી પહોંચી શકયા હતા.
ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં નવા સ્થપાતા વોટરજેટ ઉદ્યોગકારોને જીપીસીબીનું કલીયરન્સ મળતું ન હતું તેમજ સમય મર્યાદા પૂર્ણ થઇ ગઇ હોય તેવા એકમોને પણ એનઓસી અને સીસીએ રિન્યુઅલ મળતું ન હતું. ઘણા વર્ષોથી પેચીદો બની ગયેલા આ પ્રશ્ન અંગે ચેમ્બર દ્વારા કરાયેલી રજૂઆતને પગલે વોટરજેટ ઉદ્યોગકારોને રાહત થઇ હતી.
નવા હોલને મંજૂરી
સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરની સમગ્ર જગ્યા આવનારા વર્ષોમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે નવા દ્વાર ખોલનારી બની રહેશે. હાલમાં એકઝીબીશન હોલ, મલ્ટીપર્પઝ પ્લેટીનમ હોલ, એસોસીએશન બિલ્ડીંગ તો છે જ પરંતુ આવનારા વર્ષોમાં વધુ કેટલાક પ્રોજેકટ આકાર લેનાર છે. છેલ્લા બે વર્ષની સફળ રજૂઆતને પગલે ર૦૦૦ સીટનું ઓડિટોરિયમ આ શહેરને ભેટ મળશે. ચેમ્બરના ટ્રસ્ટ પ્રેરિત આ પ્રોજેકટને ગુજરાત સરકારની પ્રાથમિક મંજૂરી મળી ગઇ છે. આ સિવાય બિઝનેસ સપોર્ટ સર્વિસ સેન્ટરનો પ્રોજેકટ પણ મંજૂરીની આરે છે.
માળખાકીય સગવડો :
પાર્કિંગની સુવિધા :
નાનપુરા સ્થિત સમૃદ્ધિ બિલ્ડીંગમાં પાર્કીંગની સમસ્યા ખૂબ ગંભીર હતી અને તેને કારણે સભ્યોને અને શહેરીજનોને કાર્યાલય સુધી આવવામાં ખૂબ અડચણ ઉભી થતી હતી. આ પ્રશ્નના કાયમી નિરાકરણ માટે જ્યાં પહેલા બેંક હતી, જે ત્યાર પછી ખાલી થઇ ગઇ હતી તે બેંકને તોડીને દરવાજો બનાવીને ર૦ કાર પાર્ક થઇ શકે તેવું પાર્કીંગ બનાવવામાં આવ્યું છે.
નવી ઓફિસનું સ્થળાંતર:
ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ શ્રી કેતન દેસાઇએ તેમના કાર્યકાળ દરમ્યાન સરસાણા ખાતે ચેમ્બરની નવી ઓફિસ માટે મહત્વની કામગીરી પૂર્ણ કરી દીધી હતી અને કળશવિધી પણ સંપન્ન થઇ હતી અને હવે શ્રી દિનેશભાઇના કાર્યકાળમાં ચેમ્બરની નવી ઓફિસ સરસાણા ખાતેના બિલ્ડીંગમાં વિધિવત કાર્યરત થઇ ગઇ છે.
રિજીયોનલ ચેમ્બર અને વિવિધ એસોસીએશન :
ચેમ્બરે, દક્ષિણ ગુજરાતની તમામ ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વિવિધ એસોસીએશનો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રીના પ્રશ્નોને સમજીને તેને વાચા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આવી રીતે ચેમ્બરને દક્ષિણ ગુજરાતમાં એક સંગઠન બનાવવામાં સફળતા પ્રાપ્ત થઇ હતી.
સ્ટાફ કર્મચારીઓનો પગાર વધારો :
કોરોના કાળમાં દેશભરમાં જ્યાં કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી અને મોટા ભાગના કર્મચારીઓના પગારમાં કાપ મુકી દેવામાં આવ્યો હતો ત્યાં ચેમ્બર દ્વારા કોરોનાની વિપરીત પરિસ્થિતિમાં પણ કર્મચારીઓની છટકી કે પગારમાં કાપ મૂકયો ન હતો. જો કે, એકઝીબીશન થકી થતી આવક ગુમાવવાને કારણે છેલ્લા ત્રણ વર્ષથી કર્મચારીઓનો પગાર વધારો કરવામાં આવ્યો ન હતો. આ બાબતને ધ્યાને લઇને શ્રી દિનેશભાઇ નાવડિયાએ તેમના વર્ષના અંતે દરેક કર્મચારીઓને તેમની કાર્યદક્ષતા પ્રમાણે પગાર વધારો આપીને વહીવટી તંત્રનો બેનમૂન દાખલો બેસાડયો હતો.
એકઝીબીશન
આપણી ચેમ્બર માટે એકઝીબીશન એ તેની આર્થિક કરોડરજજુનો એક ખૂબ મહત્વનો ભાગ છે. દર વર્ષે છથી પણ વધુ એકઝીબીશનોનું આયોજન થતું હોય છે પરંતુ કોરોનાને કારણે આ શકય બન્યું નહીં અને તેને કારણે આર્થિક આયોજનમાં ખૂબ તકલીફ પડી.
પ્રથમ વેવ અને સેકન્ડ વેવ વચ્ચે સમય અને સંજોગ અનુકૂળ થતાં કેન્દ્ર સરકારની સીધી સૂચનાથી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સહકારથી કોરોનાના નિયમોને આધિન એકઝીબીશન આયોજિત કરવાની છૂટ પ્રાપ્ત થઈ. એકઝીબીશન કરવું કે નહીં ? તેની ભારે અસમંજસતા હતી. સ્ટોલ હોલ્ડરોમાં પણ પુન: વિશ્વાસ સંપાદન કરવાનું કામ જટિલ હતું પરંતુ સમગ્ર ટીમ કામે લાગી અને ઉ–ભવ થયો સમગ્ર ભારતના કોરોનાના સમયગાળા દરમ્યાનના પ્રથમ ફિઝિકલ એકઝીબીશનનો. ‘સીટેક્ષ’ એટલે કે સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઈલ એકઝીબીશન. ત્રણ દિવસના સમયગાળામાં ર૧,૦૦૦થી વધુ ટેક્ષ્ટાઈલ સ્થપતિઓએ મુલાકાત લીધી અને રૂ. ૭૦૦ કરોડનો બિઝનેસ જનરેટ થયો. આ આંકડાઓ જ બતાવે છે કે આ એકઝીબીશનની જરૂરિયાત કેટલી સમયસરની હતી. ‘સીટેક્ષ’ એકઝીબીશન દક્ષિણ ગુજરાતની ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રી માટે સંજીવની સાબિત થયું હતું. આ એકઝીબીશનના ચેરમેન ઉપપ્રમુખ ઈલેકટ શ્રી હિમાંશુભાઈ બોડાવાલા તેમજ પ્રમુખ ઈલેકટ શ્રી આશિષભાઈ ગુજરાતીના માર્ગદર્શનથી આ એકઝીબીશન સોળે કળાએ ખીલ્યું હતું. ‘સીટેક્ષ’ની સફળતામાં સીધી યા આડકતરી રીતે સંકળાયેલા તમામ એકઝીબીટર્સ, મેનેજિંગ કમિટીના સભ્યો, જી.એફ.આર.આર.સી.ના મહાનુભાવો અને ચેમ્બરનો માર્કેટીંગ અને અન્ય સ્ટાફનો આભાર માનવા માટે શબ્દો ઓછા પડે છે.
કોરોનાના સમયગાળા દરમ્યાન ડાયમંડ ઈન્ડસ્ટ્રીને મંદીની અસર ઓછી હતી પરંતુ આ ઈન્ડસ્ટ્રીમાં જોમ પૂરું પાડવા માટે એક એવા સ્પાર્કની જરૂર હતી કે જેને કારણે ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોમાં ઉત્સાહનો પુન: સંચાર થાય અને એમ જ થયું. જેમ એન્ડ જ્વેલરીના ત્રણ દિવસના ‘સ્પાર્કલ’ એકઝીબીશનની નોંધ આંતરરાષ્ટ્રીય કક્ષાએ લેવાઈ. એકઝીબીશનમાં ભાગ લેનારાઓ માટે તો ઘર બેઠા ગંગા હતી. આ એકઝીબીશનની સફળતાનો યશ હું સમગ્ર વર્ષ દરમ્યાન એકઝીબીશનની જવાબદારી જેમણે ઉપાડી હતી તે એકઝીબીશન ચેરમેન શ્રી જયંતિભાઈ સાવલીયા, ‘સ્પાર્કલ’ એકઝીબીશન ચેરમેન શ્રી વિજયભાઇ માંગુકીયા અને આ એકઝીબીશનના સહ આયોજક સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસીએશનના તમામ પદાધિકારીઓને આપું છું.
યાર્ન એક્ષ્પોનું બુકીંગ પૂરજોશમાં ચાલતું હતું. એનર્જી એક્ષ્પો જો થયો હોત તો ભારે સફળતાને વર્યો હોત, પરંતુ કોરોનાને કારણે આ બંને એકઝીબીશન આયોજિત નહીં થઈ શકયા તે અફસોસની વાત છે.
‘સીટેક્ષ’ અને ‘સ્પાર્કલ’ એકઝીબીશનોની થયેલી આવકથી ચેમ્બરને તેની બાકીની પ્રવૃત્તિઓ માટે ખૂબ રાહત થઈ પરંતુ સૌથી વિચારણીય મુદ્દો એ હતો કે આ એકઝીબીશન્સ થયા જ ન હોત તો શું પરિસ્થિતિ થાત ?
મેમ્બરશીપ ડ્રાઇવમાં નેત્રદિપક કામગીરી
અને તેમાંથી એક નવા વિચારનો જન્મ થયો કે ચેમ્બરનું કોર્પસ એટલી હદે વધારવું જોઈએ કે તેના વ્યાજમાંથી જ ચેમ્બરને દર વર્ષે થતો રૂ. ૩ કરોડથી ઉપરનો જંગી રિકરીંગ ખર્ચ નીકળી જાય અને તેથી બંધારણમાં સુધારા કરીને ગોલ્ડ, પ્લેટીનમ અને પ્રિમિયમ મેમ્બરશિપ વધારવા પર અમોએ ફોકસ કર્યું અને આ સમયગાળા દરમ્યાન પ્રિમિયમ સભ્ય ૮, પ્લેટીનમ સભ્ય ૧૪, ગોલ્ડ સભ્ય ૬, ચીફ પેટ્રન સભ્ય ૭, પેટ્રન સભ્ય ૯, આજીવન સભ્ય પપ૧ અને એન્યુઅલ સભ્ય ૮૦ વધ્યા. ઉપરાંત, મેમ્બરશિપ કમિટીના ચેરમેન શ્રી કમલેશભાઈ ગજેરા અને સમગ્ર ટીમના અનેરા ઉત્સાહથી સમગ્ર વર્ષમાં કુલ સભ્ય સંખ્યા ૯૪૭૧ થી વધીને ૧૦૧૪૬ થઈ. એટલે આ વર્ષ દરમ્યાન ૬૭પ નવા સભ્યો ચેમ્બર પરિવારમાં ઉમેરાયા. આ સમયગાળાની સભ્યપદની કુલ આવક રૂપિયા ર,પ૮,૧૮, ર૦૦ (બે કરોડ અઠ્ઠાવન લાખ અઢાર હજાર બસ્સો) થઈ અને આ જ રીતે જો સભ્યપદ વૃધ્ધિ અભિયાન આગળ વધારવામાં આવશે તો ચેમ્બરનો ખર્ચનો પ્રશ્ન કાયમી રીતે હલ થઈ જશે.
કોરોનાની આમ તો બધી નેગેટિવ અસર જ ઉભી થઈ છે પરંતુ એકમાત્ર હકારાત્મક અસર ઉભી થઈ તે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને વેબિનારોનું આયોજન. આખા વર્ષમાં વિવિધ વિષયોના રપ૦ થી પણ વધુ વેબિનારોનું આયોજન કરીને ટ્રેડ અને ઈન્ડસ્ટ્રીના તમામ મિત્રોને તેઓ સમયથી પાછળ ન પડી જાય અથવા તો વર્તમાન પ્રવાહોથી વંચિત નહીં રહી જાય તેના સફળ પ્રયત્નો કર્યા. સમગ્ર દેશ, રાજ્ય અને સુરતના ચુનંદા વકતાઓના જ્ઞાનથી આ તમામ કાર્યક્રમો તેની સફળતાની ચરમસીમાએ પહોંચ્યા. આ વર્ષે એક નવો અભિગમ હાથ ધરવામાં આવ્યો અને તે સોફટ સ્કીલના કાર્ય શિબિરોનું આયોજન કરીને લોકોને આત્મનિર્ભર બનાવવા અને સાથે સાથે ચેમ્બરની આવક વધારવી. ચેમ્બરની ડિજિટલ માર્કેટીંગ કમિટીના સહકારથી ડિજિટલ માર્કેટીંગના ૧ર દિવસની કુલ પાંચ કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવ્યું. ‘ગૂગલ ફોર બિઝનેસ’ અને વર્ષના અંત ભાગમાં ટેક્ષ્ટાઈલના વ્યવસાયિક કોર્સના આયોજનમાં ચેમ્બરને ભારે સફળતા સાંપડી. જી.એફ.આર.આર.સી. પ્રેરિત ‘ફેબ્રિક આઈડેન્ટીફિકેશન’ની કુલ પાંચ કાર્યશાળાઓ હાલમાં જ સમાપ્ત થઈ. પૂર્વ કલેકટર શ્રી જે.બી. વોરાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ રેવન્યુ કિલનિક અને અન્ય બીજા નિષ્ણાતોની મદદથી ચાલી રહેલા બિઝનેસ કાઉન્સિલિંગ સેન્ટરને મળેલી સફળતા આંખે ઉડીને વળગે તેવી છે. બીજા ઘણા આયોજનો હતા પરંતુ કોરોનામાં આ તમામ આયોજનો અટવાયા, પરંતુ આવક માટેનો અણધાર્યો પ્રવાહ આપણને પ્રાપ્ત થયો. આશા રાખું છું કે નવી ટીમ આ ગતિને આગળ વધારશે.
મેરીટોરીયસ પર્સનાલિટીઝનું જાહેર અભિવાદન
ચેમ્બરમાં દર વર્ષે ગોલ્ડન જયુબિલી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા એવોર્ડ આપવામાં આવે છે અને તે એવોર્ડ સમારોહમાં કુલ ૧પ થી વધુ કેટેગરીમાં યોગ્ય વ્યકિતઓ અને સંસ્થાઓને સન્માનિત કરવામાં આવે છે. ચેમ્બર દ્વારા આ વર્ષે તેનો દાયરો વધારવામાં આવ્યો અને ચેમ્બરે ગોલ્ડન જયુબિલી એવોર્ડ ઉપરાંત આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે મહિલા સાહસિકોને સન્માનિત કર્યા તો યુથ ડેના દિવસે યુવાનોને પણ એવોર્ડ આપીને પ્રોત્સાહિત કર્યા.
સીએ ડે અને ડૉકટર્સ ડેના દિવસે વ્યવસાયિકોને એવોર્ડ વિતરીત કરીને તેઓને ચેમ્બરની નજીક લાવવામાં સફળતા પ્રાપ્ત કરી તો ધરતીપુત્ર એવોર્ડ, સ્ટાર્ટ અપ એવોર્ડ અને ડિજીટેક એવોર્ડ દ્વારા આ આખી શ્રૃંખલાને તેની સફળતાના સર્વોત્ર્મ શિખર સુધી લઈ ગયા. આ એવોર્ડ સમારોહને કારણે ઉદ્યોગ સાહસિકો પ્રોત્સાહિત તો થયા જ પરંતુ ચેમ્બર બધા જ માટે છે તે જે લાગણી ઉભી થઈ તેનું મહત્વ વધારે છે અને આડકતરી રીતે સભ્યપદ વૃધ્ધિ અભિયાનને પણ આને કારણે ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ. ખાસ કરીને ડિજીટેક એવોર્ડ પછી સુરતને આઇટી હબ બનાવવાની દિશામાં જે પ્રયત્નો ચાલી રહયા છે તેને વેગ મળશે. આઇ.ટી. ક્ષેત્ર સાથે સંકળાયેલા મિત્રોએ ચેમ્બરના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆતો કરી જ છે, જેને હવે વેગ મળશે.
ચેમ્બરનું કંપનીમાં રૂપાંતર
ચેમ્બર ઓફ કોમર્સનું ખૂબ જટિલ કાનૂની પ્રક્રિયાઓ બાદ કંપની તરીકે રજિસ્ટ્રેશન કરાવવાની દિશામાં આપણે આગળ વધ્યા. શ્રેણીબધ્ધ મિટીંગો થઈ અને મેનેજિંગ કમિટીની મંજૂરી બાદ હાલમાં આપણા કન્સલ્ટન્ટ શ્રી એમ. સી. ગુપ્તા પાસે અંતિમ મંજૂરી માટેની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા સમાપ્ત થતાં ચેમ્બરના તમામ સભ્યોની સાધારણ સભામાં તેને અંતિમ ઓપ આપવામાં આવશે અને પછી ચેમ્બર એક કંપની તરીકે પ્રસ્થાપિત થશે. આ સમગ્ર પ્રક્રિયામાં સામેલ ભૂતપૂર્વ પ્રમુખ શ્રી બી. એસ. અગ્રવાલજી, ગૃપ ચેરમેન સીએ અનુજ જરીવાલા અને આ પ્રક્રિયામાં સામેલ હતા.
જી.એફ.આર.આર.સી.
ટેક્ષ્ટાઈલ ઉદ્યોગને વેગવંતુ બનાવવા માટે અને ટેક્ષ્ટાઈલના છેલ્લામાં છેલ્લા ટ્રેન્ડથી ઉદ્યોગકારોને વાકેફ કરવા તેમજ દક્ષિણ ગુજરાતના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગને નવા બજારો અને નવા ઉત્પાદનોથી પરિચિત કરાવવાના આશયથી જી.એફ.આર.આર.સી.ની સ્થાપના કરવામાં આવી છે. આ કેન્દ્રમાં વિશ્વના વિવિધ દેશોમાં વપરાતા કાપડના નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે, જે વીવર્સ અને ટ્રેડર્સ માટે ઉપલબ્ધ છે. આ કેન્દ્ર ફેબ્રિકસ વિશેની ટેકનિકલ જાણકારી અને એના બજાર વિશેની માહિતી વિવર્સ, પ્રોસેસર્સ અને ટ્રેડર્સને પૂરી પાડે છે. કોરોનાને કારણે આ પ્રવૃત્તિ ખૂબ મંદ પડી ગઇ હતી પરંતુ હવે જ્યારે સંજોગો બદલાયા છે ત્યારે બમણા જોશથી આ પ્રવૃત્તિને આપણે સૌ આગળ વધારીશું.
જી.એફ.આર.આર.સી.ની પ્રવૃત્તિની સફળતામાં શ્રી ગિરધર ગોપાલ મુંદડાજી, ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ શ્રી મહેન્દ્ર કાજીવાલા અને શ્રી પ્રફૂલભાઈ શાહ, શ્રી હિમાંશુભાઈ બોડાવાલા, શ્રી આશિષભાઈ ગુજરાતીની ભૂમિકા રહેલી છે.
ઈન્ડસ્ટ્રીયલ ટુર
ચેમ્બરના સભ્યો સ્થળ પર જઈને જાતે ઉદ્યોગ કેવી રીતે ચાલે છે તેનું નિરિક્ષણ કરે તો તેના જ્ઞાનમાં સહજપણે વધારો થાય. નાનકડો ઉદ્યોગ ગૃહ, મોટું એમ્પાયર કેવી રીતે બની શકે છે તેની પ્રેરણા પણ આવી મુલાકાતોથી પ્રાપ્ત થાય. આવા હેતુઓને ધ્યાનમાં રાખીને આખા વર્ષ દરમ્યાન સંયમિત રીતે ઈન્ડસ્ટ્રીયલ ટુરનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમૃધ્ધિ મેગેઝીન
ચેમ્બરનું મુખપત્ર સમૃધ્ધિ, ચેમ્બરના સભ્યોને ચેમ્બરની પ્રવૃત્તિઓથી માહિતગાર કરાવે છે અને તેમાં પ્રગટ થતા માહિતી સભર લેખો તેમના જ્ઞાનમાં વધારો કરે છે. સમૃધ્ધિ મેગેઝિન દ્વારા ચેમ્બરની પ્રવૃત્તિઓ તમામ સ્તરે પહોંચે એની જવાબદારી સંપાદકશ્રીએ ઉપાડી. શ્રી અમરિષભાઇ ભ˝ના માર્ગદર્શન હેઠળ સમૃધ્ધિ મેગેઝિનના ત્રણ પ્રકાશન દ્વારા ચેમ્બર શહેરીજનોના હૈયામાં ધબકતી રહી તો સાથે સાથે દર મહિને એક વાર શ્રી સંજયભાઇ પંજાબીના માર્ગદર્શન હેઠળ ઇન્ફોઝાઇને પણ માહિતીનો સ્ત્રોત ધબકતો રાખ્યો.
કોરોના કાળમાં ચેમ્બરે આવક ગુમાવી હોવાથી સમૃદ્ધિ મેગેઝીનમાં જાહેરાતો લાવીને આવક ઉભી કરવાનો વિચાર ચેમ્બરના માનદદ્મ ખજાનચી શ્રી મનિષભાઇ કાપડીયા અને ગૃપ ચેરમેન શ્રી પરેશભાઇ લાઠીયાએ મેનેજમેન્ટ સમક્ષ પ્રસ્તૃત કર્યો હતો અને તેનો અમલ પણ કરવામાં આવ્યો હતો.
લેડીઝ વીંગ અને વિમેન આંત્રપ્રિન્યોર સેલ
વર્ષ દરમ્યાન ચેમ્બરની લેડીઝ વીંગ દ્વારા ચેરપર્સન શ્રીમતી પૂનમબેન દેસાઈની આગેવાની હેઠળ માહિતીસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનાથી શહેરના મહિલા સાહસિકોને ખૂબ સુંદર પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. વિમેન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન શ્રીમતી સ્વાતિબેન શેઠવાળાના માર્ગદર્શન હેઠળ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના અનેક કાર્યક્રમો આયોજિત થયા તે નોંધનીય બાબત છે.
રોજગાર મેળાઓ…..
કોરોના કાળમાં લોકોએ રોજગારી ગુમાવી હતી ત્યારે સામાજિક ઉત્ર્રદાયિત્વ નિભાવવના ભાગરૂપે ચેમ્બર દ્વારા રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાઓને તેઓની કાબેલિયત પ્રમાણે રોજગારી મળી રહે તેવી વ્યવસ્થા ચેમ્બર દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત ચેમ્બરે ખાસ મહિલાઓ માટે પણ મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી પગભર થવા માગતી મહિલાઓને ઘણા અંશે રાહત થઇ હતી.
શૈક્ષણિક પ્રવૃત્તિઓ
શૈક્ષણિક પ્રવૃત્તિઓને જેટલું વધારે પ્રોત્સાહન આપવામાં આવે એટલું સમાજનું ભવિષ્ય ઉજળું બને. જેટલા વધુ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉદ્યોગપતિઓ સમાજમાં વધારે તેટલું ઉદ્યોગનું ભવિષ્ય ઉજ્જ્વળ અને તેથી આ પ્રકારની પ્રવૃત્તિઓને વર્ષ દરમ્યાન ખૂબ પ્રોત્સાહન આપવામાં આવ્યું.
કાયમી સમાધાન પંચ
ચેમ્બર દ્વારા ચલાવવામાં આવતા કાયમી સમાધાન પંચની પ્રવૃત્તિ પણ કોરોનાને કારણે સંયમિત ધોરણે ચાલતી રહી હતી. કોર્ટોમાં વધતા જતા કેસોનું ભારણ ઓછું કરવા માટે અને લંબાણપૂર્વકની લડાઈઓ સમાધાન દ્વારા પૂર્ણ કરવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત કાયમી સમાધાન પંચની પ્રવૃત્તિને આગળ ધપાવવા બદલ ભૂતપૂર્વ પ્રમુખ શ્રી અમરનાથભાઈ ડોરા, ભૂતપૂર્વ કુલપતિશ્રી ડૉ. બી. એ. પરીખ, એડવોકેટ શ્રી અજય મહેતા સહિત કાયમી સમાધાન પંચના દરેક સભ્યોનો હું આભાર માનું છું.
સર્ટિફિકેટ ઓફ ઓરિજિન
નિકાસકારોને પ્રમાણિત કરવા માટે સર્ટિફિકેટ ઓફ ઓરિજિન આપવાની જવાબદારી કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા આપણી ચેમ્બરને ઘણા વર્ષોથી સોંપવામાં આવી છે અને જે આપણે સુપેરે કાર્યક્ષમતા પૂર્વક બજાવી રહયા છીએ. આ અંતર્ગત સમગ્ર વર્ષ દરમ્યાન કુલ ૩૭૩૧ સર્ટિફિકેટ ઓફ ઓરિજિન આપવામાં આવ્યા હતા.
સહયોગી સંસ્થાઓ
ચેમ્બરે પોતાની સહયોગી સંસ્થાઓ સાર ઇન્ફ્રાકોન, સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર (ટ્રસ્ટ), સાઉથ ગુજરાત પ્રોડકટીવિટી કાઉન્સિલ, સુરત સીટીઝન કાઉન્સિલ, ગોલ્ડન જયુબિલી મેમોરીયલ ટ્રસ્ટ અને રીલીફ ફંડની પ્રવૃત્તિઓને આગળ ધપાવવામાં પોતાની સિક્રય ભૂમિકા ભજવી છે. ખાસ કરીને સારના બહુ વર્ષો સુધી અટવાયેલા ઇન્કમ ટેકસ રીફંડ પરત મેળવવામાં આપણને સફળતા મળી છે. આ તકે આ તમામ સહયોગી સંસ્થાઓનો દિલથી આભાર માનું છું.
મહાનુભાવો ચેમ્બરની મુલાકાતે….
કોરોનાના સંક્રમણને કારણે ઉચ્ચ કક્ષાના મહાનુભાવો તેમજ મોટા ગજાના ઉદ્યોગપતિઓએ સુરતની મુલાકાત લેવાનું ટાળ્યું હતું તે છતાં પણ પ્રથમ અને બીજા સ્ટ્રેનની વચ્ચે માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુજી અને તે સમયના ટેકસટાઇલ મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાનીજી, ટેકસટાઇલ કમિશનર શ્રી રૂપ રાશીજી, રિપબ્લીક ઓફ ઇન્ડોનેશિયા કોન્સુલ જનરલ મિ. આગુસ સપ્તોનો, બાંગ્લાદેશના ડેપ્યુટી હાઇ કમિશનર મિ. મોહંમદ લુત્ફોર રહેમાન, મુંબઇ સ્થિત રોયલ થાઇ કોન્સ્યુલેટ જનરલના કોન્સુલ જનરલ થાનાવત સિરીકુલ અને સાઉથ આફ્રિકાના કોન્સુલ જનરલ મેડમ આંદરીયા કુહન, મોટીવેટર સોનુ શર્મા, કેન્દ્રીય મંત્રી દેબોશ્રી ચૌધરી, ગુજરાત રાજ્યના ચેરીટી કમિશનર શ્રી વાય.એમ. શુકલ, ગુજરાત રાજ્યના ઇન્કમ ટેકસ વિભાગના પ્રિન્સીપલ ચીફ કમિશનર શ્રી અમિત જૈન, કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ગુજરાત ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ, પૂર્વ ભારતીય ક્રિકેટર શ્રી મુનાફ પટેલ, જીજેઇપીસીના ચેરમેન શ્રી કોલીન શાહ અને ફિલ્મ અભિનેત્રી શ્રીમતી અપરા મહેતા ચેમ્બરની મુલાકાતે પધાર્યા હતા.
વેબિનારના માધ્યમ દ્વારા હાલના ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, જાણીતા એડવોકેટ શ્રી મુકેશભાઇ પટેલ, જાણીતા અર્થશાસ્ત્રી અને તત્વ ચિંતક શ્રી જયનારાયણભાઇ વ્યાસ, શ્રી જ્ઞાનવત્સવલ સ્વામીજી, ડો. જગદીશ ત્રિવેદી, ડો. સંજય રાવલ, શ્રી દેવેન ચોકસી, શ્રી પ્રવિણ ખંડેલવાલ, ડો. બકુલ ધોળકીયા, ફિલ્મ મેકર અભિષેક જૈન, શ્રી રાહુલ મહેતા, શ્રી જગત શાહ, કથાકાર શ્રી પ્રફુલભાઇ શુકલ અને રાષ્ટ્રીય સંત શ્રી સુધાંશુજી મહારાજ સહિત બીજા ર૦૦થી વધુ વકતાઓએ પોતાના જ્ઞાનનો લાભ આપ્યો હતો.
આભાર:
કોઈપણ એક વ્યકિત માટે સફળતા પ્રાત્ત્ય કરવી એ સહેલી વાત ત્યારે જ બને જ્યારે તેની સાથે સમૂહ જોડાયો હોય. સમગ્ર વર્ષ દરમ્યાન કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સનદી અધિકારીઓ, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક નેતાઓ, વહીવટી અધિકારીશ્રીઓ, કોર્પોરેટ જગત અને દક્કિણ ગુજરાતના સર્વે ઉદ્યોગકારોએ ચેમ્બરની પ્રવૃત્ર્નિે વેગ આપવામાં જરા પણ કચાશ રાખી નથી. હું આ તબકકે એ તમામનું ૠણ સ્વીકારૂં છું અને આભાર માનું છું.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલ, ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી ગણપતભાઇ વસાવા, મંત્રી શ્રી કુમારભાઇ કાનાણી, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા, કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલજી, સુરતના તમામ ધારાસભ્યશ્રીઓ, ગુજરાત સરકારના માનનીય અધિકારીગણ અને ખાસ કરીને સુરતના તે સમયના કલેકટર ડો. ધવલભાઇ પટેલ, પોલીસ કમિશનર શ્રી અજય કુમાર તોમર અને મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધી પાની, પૂર્વ મેયર ડો. જગદીશ પટેલ, વર્તમાન મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાનો આ તકે તેમના સહકાર બદલ આભાર.
આ ઉપરાંત મને સતત માર્ગદર્શન પૂરુ પાડનાર તત્કાલિન નિવૃત પ્રમુખ શ્રી કેતનભાઇ દેસાઇ, સરકાર સાથેના વિવિધ રજૂઆતના દોરમાં જેમની ભૂમિકા ખૂબ જ અગત્યની રહી છે તેવા પ્રેસિડેન્ટ ઇલેકટ શ્રી આશિષભાઇ ગુજરાતી અને ચેમ્બરને મુશ્કેલીના સમયમાં પણ આર્થિક રીતે તરબતર કરનાર માનદદ્મ ખજાનચી શ્રી મનિષભાઇ કાપડીયાનો આભાર માનવા માટે શબ્દો ઓછા પડે છે. હવે હું જે વ્યકિતનો ઉલ્લેખ કરવા માટે જઇ રહયો છું તે મારા માનદદ્મ મંત્રી શ્રી નિખિલભાઇ મદ્રાસી. મારા વર્ષની સફળતાનો કોઇ મદાર હોય તો તે છે શ્રી નિખિલભાઇ મદ્રાસી. કોઇપણ કાર્ય પ્રત્યેની તેમની સુઝ અને લીધેલું કાર્ય પૂરું કરવાની અને સમજશકિત સાથે તેને સફળતા અપાવવાની તેમની કાર્ય પદ્ધતિ કાબિલે દાદ છે. મારા ૧૮ ગૃપ ચેરમેનોનો તેમની અદદ્મભુત કામગીરી માટે અભિનંદન અને આભાર.
આભાર સ્ટાફ
હું એને સ્ટાફ નહીં કહીશ, મારો બીજો પરિવાર કહીશ. અમે તો નિર્ણયો લઈએ પણ નિર્ણયોનું અમલીકરણ જો સારી રીતે ન કરવામાં આવે તો ઉમદા પરિણામો કેવી રીતે પ્રાપ્ત થાય ? સમયની પરવા કર્યા વગર ચેમ્બરના તમામ કાર્યક્રમો અને પ્રદર્શનોને સફળતાની ચરમસીમા પર પહોંચાડનાર ચેમ્બર તથા સારના સ્ટાફના તમામ સભ્યોને પહેલા તો હું મન, વચન અને કાયાથી કંઈક દુ:ખ પહોંચ્યુ હોય તો દિલગીરી વ્યકત કરું છું અને સુંદરતમ કામગીરી બłવવા માટે આભાર માનું છું.
આભાર પ્રેસ એન્ડ મીડિયા
લોકશાહીની ચોથી જાગીર અખબારો અને ટી.વી. ચેનલો વગર કોઈપણ કાર્યક્રમની સારી ફળશ્રૃતિ શકય નથી. કાર્યક્રમોનું આયોજન તો થાય પરંતુ તેના હેતુઓ, ધ્યેયો ઉદેશો લોકો સુધી જો ન પહોંચે તો સફળતા પ્રાપ્ત ન કરી શકાય. શહેરના મિડીયાએ ચેમ્બરના જનસંપર્કના તમામ કાર્યક્રમોને પોતાના કાર્યક્રમો ગણી ઘર ઘર સુધી તેને લોકોના દિલ સુધી પહોંચાડયા, જેને કારણે અમો સફળ થયા. અમારી સફળતાના સાથી એવા અખબારોના તંત્રીશ્રીઓ, રિપોર્ટરશ્રીઓ, ફોટોગ્રાફરશ્રીઓ, સ્થાનિક ટી.વી. ચેનલના માલિકો – સંપાદકો, રિજીયોનલ અને રાલ્લ્રીય ચેનલના પ્રતિનિધિશ્રીઓ, વિડીયોગ્રાફરશ્રીઓનો હું આ તકે હૃદયની સાચી ઉષ્મા અને લાગણીથી આભાર માનું છું.
આભાર પરિવાર અને મિત્રો
હું સંયુકત કુટુંબનો માણસ છું. એટલે કૌટુંબિક જવાબદારી રહે એ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે. વજ્ઞ્ર્યોથી આ જવાબદારી હું નિભાવતો આવ્યો છું પણ આ વજ્ઞ્ર્યે ચેમ્બરની વ્યસ્તતાને કારણે આ જવાબદારી નિભાવવામાં કચાશ રહી હશે. મારા વ્યવસાયને પણ કયાંક મારી વ્યસ્તતા નડી હશે. પરંતુ આ સર્વે આ અવિરત સેવાયજ્ઞમાં મારી પડખે રહયા અને મને વધુ ને વધુ કાર્ય કરવા માટે પ્રેરણા આપી. જેના થકી દિવસ–રાત જોયા વગર હું ચેમ્બરમાં કાર્યરત રહી શકયો. મારા પરિવારે આખા વર્ષ દરમ્યાન જે સહકાર આપ્યો તેનાથી મારો ઉત્સાહ ખૂબ વધ્યો. આ તમામનો હું આ તકે અંત:કરણપૂર્વક આભાર માનું છું.
નવા વરાયેલા પદાધિકારીઓને શુભકામનાઓ
ચેમ્બરની પોતાની એક આગવી ઓળખ છે. એ ઓળખને મેં આગળ વધારવાનો જ પ્રયત્ન કર્યો છે અને પ્રયત્ન કરતો રહીશ. ઉજ્જ્વળ પરંપરાના મારા ઉત્ર્રાધિકારી એવા નવા વરાનારા પ્રમુખ શ્રી આશિષભાઇ ગુજરાતી તથા ઉપપ્રમુખ શ્રી હિમાંશુભાઇ બોડાવાલાને આવનાર વર્ષ દરમ્યાન ઉજ્જ્વળ કામગીરી માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. આભાર…
વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે સરકાર અને લાભાર્થી વચ્ચે મર્યાદિત સંપર્ક સહિત ચોક્કસ રીતે અને લીક પ્રૂફ રીતે ચોક્કસ લાભાર્થીને લાભ મળી શકે એ માટે સરકાર ઘણા વર્ષોથી પ્રયત્ન કરી રહી છે.
ઇ-રૂપી ચૂકવણી માટે કેશલેસ અને કૉન્ટેક્ટલેશ સાધન છે. આ ક્યુઆર કૉડ અથવા એસએમએસ સ્ટ્રીંગ આધારિત ઇ-વાઉચર છે અને એને લાભાર્થીના મોબાઇલ પર મોકલવામાં આવશે. આ ઇ-રૂપી મેળવનાર લાભાર્થી ચોક્કસ કેન્દ્રો પર જઇને ઇ-રૂપી વાઉચરને કોઇપણ કાર્ડ, ઇન્ટરનેટ બૅન્કિંગ અથવા કોઇપણ જાતની ઍપની વગર વટાવી શકશે.
નૅશનલ પેમેંટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાએ પોતાના યુપીઆઇ પ્લેટફૉર્મ પર વિત્તિય સેવા વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણના સહયોગથી ઇ-રૂપી બનાવવામાં આવી છે.
સેવાઓના સ્પોન્સર્સને ઇ-રૂપી કોઇપણ જાતના શારીરિક સંપર્ક વગર લાભાર્થીઓને અને સેવા પ્રદાતાને જોડશે.
ઇ-રૂપી ઉપયોગ માતૃ એવં બાળ કલ્યાણ યોજનાઓ હેઠળ દવાઓ અને પોષણ સંબંધી સહાયતા, ટીબી ઉન્મૂલન કાર્યક્રમો, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી યોજનાઓ હેઠળ દવાઓ, ઉપચાર, સબ્સિડી વગેરે આપવાની યોજનાઓ હેઠળની સેવાઓ મેળવવા માટે કરી શકાશે.
ખાનગી ક્ષેત્ર પણ પોતાના કર્મચારીઓને કલ્યાણ યોજનાઓ અને સામાજિક જવાબદારી સંબંધી યોજનાઓ માટેના વળતર આપવા ઇ-રૂપીનો ઉપયોગ કરી શકશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.