- ડાયમંડ હોસ્પિટલમાં જન્મલેનાર 400 દિકરીઓને રૂ.1-1 લાખના બોન્ડ પ્રમાણપત્રો એનાયત કરાશે
- ડાયમંડ હોસ્પિટલ દ્વારા કમસેકમ રૂ.250 કરોડની રકમની રાહત દર્દીઓને તેમના મેડીકલ બિલમાં કરાવી આપવામાં આવી
- છેલ્લામાં 10 વર્ષમાં 11.64 લાખ દર્દીઓને તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી
- ડાયમંડ હોસ્પિટલમાં જન્મલેનાર 2000થી વધુ દિકરીઓને રૂ.1-1 લાખના બોન્ડ સુપરત કરવામાં આવ્યા છે.
તા.22મી ફેબ્રુઆરી 2014ના રોજ જેની સ્થાપના થઇ હતી એ સુરત ડાયમંડ હોસ્પિટલ આરોગ્ય સમિતિ સંચાલિત RTSV ડાયમંડ હોસ્પિટલે સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ કર્યા છે. દશાબ્દી વર્ષની પૂર્ણાહૂતિના વિરલ પ્રસંગે ડાયમંડ હોસ્પિટલની તબીબી અને આરોગ્યલક્ષી સેવાઓને વધુ લોકાભિમુખ બનાવવાની નેમ સાથે દશાબ્દી મહોત્સવને ભવ્યાતિભવ્ય રીતે ઉજવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
વધુ માહિતી આપતા ડાયમંડ હોસ્પિટલના ચેરમેન શ્રી સી.પી.વાનાણી તેમજ સેક્રેટરીશ્રી દિનેશ નાવડીયાએ પત્રકાર પરીષદને સંબોધતા જણાવ્યું છે કે દશાબ્દી મહોત્સવનું આયોજન તા.17મી માર્ચને રવિવારે સાંજે 5.30 કલાકે કિરણ હોસ્પિટલ-2 ગ્રાઉન્ડ, લેક ગાર્ડન પાસે, ડિજિટલ વેલી, મોટા વરાછા મેઇનરોડ ખાતે કરવામાં આવ્યું છે. ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવમાં કમસેકમ 5000થી વધુ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
છેલ્લા 10 વર્ષમાં 11 લાખ 64 હજારથી વધુ દર્દીઓને ડાયમંડ હોસ્પિટલે જરૂરી જરૂરી તબીબી સેવા પૂરી પાડી છે. 26,556 ગર્ભવતી મહિલાઓની ડિલિવરી અત્યંત રાહત દરે કરી આપવામાં આવી છે. જુદાજુદા સમાજના લોકોને અંદાજે રૂ.250 કરોડથી પણ વધુ રકમની રાહત તબીબી સેવા, સુવિધાઓમાં કરી આપવામાં આવી છે. ડાયમંડ હોસ્પિટલમાં જન્મ લેનાર 2000 દિકરીઓને રૂ.1 લાખના બોન્ડ એનાયત કરવામાં આવ્યા છે.
શ્રી સી.પી.વાનાણી અને શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યું કે અમને આનંદ છે કે દશાબ્દી મહોત્સવની ઉજવણી પ્રસંગે વધુ 400 દિકરીઓને 1-1 લાખના બોન્ડ વિતરણ કરવામાં આવશે. આગામી દિવસોમાં મોટા વરાછા વિસ્તાર ખાતે રત્નકલાકાર તેમજ દરેક સમાજના જરૂરીયાત મંદ પરીવારોને પરવડે તેવી સુરત મહાનગરપાલિકા અને ગુજરાત સરકારના ભૂમિદાનથી નામકરણના મુખ્યદાતા કિરણ જેમ્સના વલ્લભભાઇ લાખાણી પરિવાર તથા ટ્રસ્ટી દાતાશ્રીઓના સહયોગથી રૂ.425 કરોડના ખર્ચે 450 બેડની કિરણ હોસ્પિટલ-2 અને નર્સિંગ કોલેજનું નિર્માણ કાર્ય ધમધમતું કરકી દેવાનું આયોજન છે.
આ પ્રસંગે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા સમારોહના અધ્યક્ષ તરીકે જ્યારે કિરણ જેમ્સના ચેરમેન શ્રી વલ્લભભાઇ એસ. લાખાણી, રાજ્યસભાના નવનિર્વાચીત સદસ્ય શ્રી ગોવિંદભાઇ ધોળકીયા અને આલિધ્રા ગ્રુપના શ્રી હંસરાજભાઇ ગોંડલિયા ઉદઘાટક તરીકે ઉપસ્થિત રહેશે. ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવમાં કેન્દ્ર સરકારના મંત્રી શ્રી પુરુષોત્તમભાઇ રુપાલા, ગુજરાત ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ, સુરતના સાંસદ અને કેન્દ્ર સરકારના મંત્રી શ્રીમતી દર્શના જરદોષ, રાજ્યના નાણાં મંત્રી શ્રી કનુભાઇ દેસાઈ, ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, રાજ્યના મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, શ્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા, મેયર સુરત શ્રી દક્ષેશભાઇ માવાણી અને સાંસદ બારડોલી શ્રી પ્રભુભાઇ વસાવા વિશેષ ઉપસ્થિત રહેશે.












