ભારતીયોને વીઝીટર વીઝા પણ નહીં આપવાની નીતિ અખત્યાર કરવા પાછળ અમેરિકાએ એક મજબૂત કારણ રજૂ કર્યું છે અને એ આ મુજબ છે. અમેરિકામાં ગયા વર્ષે 21,000થી વધુ ભારતીય તેમના વીઝાની મુદત પૂરી થયા પછી પણ વધુ સમય સુધી ગેરકાયદે રહ્યા હોવાનું હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે તા.8મી ઓગસ્ટ 2918ના રોજ જણાવ્યું હતું.
વીઝાની મુદત પૂરી થયા પછી અમેરિકાથી પાછા નહીં જનારા ભારતીયની સંખ્યા બીજા દેશના લોકોની સરખામણીમાં વધુ નહીં હોવા છતાં અમેરિકામાં કાયદેસર આવતા અને ગેરકાયદે રહી પડતા ટોચના 10 દેશની યાદીમાં ભારતનો સમાવેશ થાય છે.
ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટી (ડીએચએસ)ના છેલ્લા વાર્ષિક અહેવાલમાં જણાવાયા પ્રમાણે અમેરિકામાં હવાઇ અથવા દરિયાઈ માર્ગે કાયદેસર પ્રવેશતા 701,900 વિદેશી નાગરિકો તેમની વીઝાની મુદત પૂરી થઈ હોવા છતાં 2017ના સપ્ટેમ્બર અને 2016ના ઑક્ટોબર વચ્ચેના સમયગાળા દરમિયાન ગેરકાયદે રહ્યા હતા. અહેવાલમાં જણાવાયું હતું કે 2017માં 10.7 લાખ કરતાં વધુ ભારતીય લોકપ્રિય બી-1 અને બી-2 વીઝા પર અમેરિકા આવ્યા હતા. આ પ્રકારના વીઝા બિઝનેસ અથવા પર્યટન માટેના છે. આવા વીઝા પર આવેલા લોકો પૈકી 14,204 લોકો વીઝાની મુદત પૂરી થયા પછી પણ ગેરકાયદે રહ્યા હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
1,708 ભારતીય વીઝાની મુદત પૂરી થતાં અમેરિકા છોડી ગયા હતા જ્યારે અમેરિકા છોડી જનારા 12,498નો કોઈ રેકોર્ડ નથી મળતો. એથી ધારી લેવામાં આવે છે કે તેઓ અમેરિકામાં ગેરકાયદે રહે છે.
આની સરખામણીએ 2016માં દસ લાખથી થોડા વધુ ભારતીય બી-1, બી-2 વીઝા પર અમેરિકા આવ્યા હતા જે પૈકી 17,763 અમેરિકામાં વધુ સમય રહ્યા હતા. તેમાંના 2,040 વીઝાની મુદત પૂરી થયે અમેરિકા છોડી ગયા હતા. જ્યારે 15,723 ગેરકાયદે વસવાટ કરી રહ્યા હોવાનું ડીએચએસની સત્તાવાર આંકડાકીય માહિતીમાં જણાવવામાં આવ્યું હતું.