અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં ૧૮.૫૦ લાખનો વધારો થયો છે.
દેશના અતિ વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક એવા અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ એરપોર્ટની વધેલી કનેક્ટિવિટી અને સસ્તી ટિકિટને લઈને ચાલુ વર્ષે અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યામાં ૧૮.૫૦ લાખનો વધારો થયો છે. વર્તમાન સમયે બિઝનેસમેન કે પછી અન્ય વ્યવસાયિકોને ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી જવું હોય છે. જેને માટે તેઓ હવે ફ્લાઈટની પહેલી પસંદગી કરી રહ્યા છે. જોકે, આ મુસાફરોની વધતી જતી સંખ્યાને લઈને એરપોર્ટ તથા એરક્રાફ્ટ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને ઘણો ફાયદો થઈ રહ્યો છે.
અમદાવાદ એરપોર્ટ પરથી વર્ષ ૨૦૧૬-૧૭માં ૭૩.૨૩ લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી જ્યારે ૧૭-૧૮માં મુસાફરોની સંખ્યા વધીને ૯૧.૭૪ લાખ પહોંચી ગઈ છે. એક જમાનો એવો હતો કે વિમાનમાં મુસાફરી કરવી તે લક્ઝરી ગણાતી અને સમાજમાં એક સ્ટેટસ ગણાતું હતું.
ઘણા લોકો એવા હતા અને હાલમાં પણ છે કે જેમણે ક્યારેય વિમાનમાં મુસાફરી ન કરી હોય. હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. એરલાઈન્સ કંપનીઓ વધી રહી છે. જેમની વચ્ચેની તીવ્ર હરીફાઈમાં મુસાફરોને ફાયદો થઈ રહ્યો છે.
હાલ અમદાવાદથી રોજની ૮૫થી વધુ ડોમેસ્ટિક ફ્લાઈટના આવાગમન થઈ રહ્યા છે. તેવી જ રીતે ઈન્ટરનેશનલ ફ્લાઈટની સંખ્યા પણ વધી રહી છે. આ ઉપરાંત, દુનિયાનાં ઘણાં સ્થળોએ અમદાવાદથી સીધા જ પહોંચી શકાય છે. જ્યારે દેશના તો લગભગ તમામ મોટાં શહેરોની અમદાવાદથી કનેક્ટિવિટી મળી રહે છે. જે પણ મુસાફરો વધવા માટેનું એક જવાબદાર કારણ છે.
લક્ઝુરિયસ ટ્રેન અને વોલ્વો સહિતની એસી, સ્લીપર કોચ લકઝરીની ટિકિટના ભાવમાં જ હવે ઈકોનોમિક ફ્લાઈટની ટિકિટો મળી રહી છે. વેકેશન કે મહત્ત્વના દિવસોને બાદ કરતાં અમદાવાદ-મુંબઈ વચ્ચેની ફ્લાઈટની ટિકિટ ૧૩૦૦ -૧૫૦૦માં જ મળી રહેતી હોવાથી લોકો હવે ટ્રેન અને લકઝરીમાં કલાકોનો સમય વેડફવાને બદલે ફ્લાઈટમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે.
અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીની વેબસાઈટની આંકડાકીય માહિતી મુજબ વર્ષ ૨૦૧૭-૧૮માં અમદાવાદ એરપોર્ટ પરથી કુલ ૯૧,૭૪,૪૨૫ મુસાફરોનું આવાગમન થયું છે. સમારકામ બાદ એરપોર્ટ પર મુસાફરોની સુવિધા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.