CIA ALERT

ઇન્ડીયા Archives - Page 211 of 216 - CIA Live

July 21, 2018
pc-1.jpg
1min8070

છેલ્લાં સાડાત્રણ વર્ષમાં ઍરફોર્સનાં દુર્ઘટનાગ્રસ્ત ઍરક્રાફ્ટની યાદી જાહેર

દેશમાં ઍરફોર્સનાં ફાઇટર ઍરક્રાફ્ટ તૂટી પડવાની ઘટનાઓ જાણે કે સામાન્ય થઈ ગઈ છે. ગયા જૂન મહિનામાં બે જૅગ્વાર અને સુખોઈ ઍરક્રાફ્ટ તૂટી પડ્યાં હતાં. તા.19મી જુલાઇ 2018ના દિવસે પણ ઍરફોર્સનું મિગ-૨૧ ઍરક્રાફ્ટ હિમાચલ પ્રદેશમાં તૂટી પડ્યું હતું.

જૂન અને જુલાઈના બે મહિનામાં ત્રણ ફાઇટર ઍરક્રાફ્ટ તૂટી પડવાની ઘટના તો સામાન્ય છે, પણ જો સુખોઈ અને મિગના ક્રૅશ થવાની ઘટનાઓ પર નજર નાખીએ તો ચોંકાવનારા આંકડાઓ સામે આવે છે. લોકસભામાં તા.19મી જુલાઇએ છેલ્લાં સાડાત્રણ વર્ષમાં ઍરફોર્સની દુર્ઘટનાનો શિકાર થયેલાં ઍરક્રાફ્ટની એક યાદી જાહેર કરવામાં આવી હતી.

આ યાદીમાં લાખો રૂપિયાનાં ઍરક્રાફ્ટ તૂટી પડવાના આંકડાઓ પણ જાહેર કરવામાં આવ્યા જ હતા, પરંતુ ઍરક્રાફ્ટની સાથે જ શહીદ થનારા ઍરફોર્સના અધિકારીઓ અને જવાનોના આંકડાઓ ચોંકાવનારા છે. દેશમાં છેલ્લાં ૪૫ વર્ષમાં ૪૬૫ મિગ ઍરક્રાફ્ટ તૂટી પડ્યાં છે અને એ પણ દુશ્મન સામે લડ્યા વિના જ. યુદ્ધના મેદાનમાં તૂટી પડનારાં ઍરક્રાફ્ટની સંખ્યા માત્ર 11 છે. ૯૪૬ મિગ ઍરક્રાફ્ટમાંથી બે ૧૯૬૫ની લડાઈમાં, આઠ ૧૯૭૧ની લડાઈમાં અને એક ૧૯૯૯માં કારગિલની લડાઈમાં ક્રૅશ થયું છે.

ઍરફોર્સનાં 8 સુખોઈ ઍરક્રાફ્ટ પણ ક્રૅશ થઈ ચૂક્યાં છે. હેલિકૉપ્ટર્સમાં ચેતક અને MI-૧૭ જેવાં હેલિકૉપ્ટર ક્રૅશ થઈ ચૂક્યાં છે. એક MI-૧૭ હેલિકૉપ્ટર તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં ક્રૅશ થયું હતું. ૨૦૧૭ના માર્ચમાં પણ રાજસ્થાનમાં એક હેલિકૉપ્ટર તૂટી પડ્યું હતું.

બચેલાં ઍરક્રાફ્ટમાંથી કેટલાંક સરકાર દૂર કરવા વિચારી રહી છે, જ્યારે ૧૩૮ મિગ-૨૧ અપગ્રેડ કર્યા બાદ ૨૦૨૨ સુધી ઉડાડવામાં આવશે. મિગના સ્થાને સરકાર HAL દ્વારા તૈયાર કરવામાં આવેલા તેજસને લાવવાની વાત કરી રહી છે. જોકે હાલમાં તેજસ પણ વિવાદમાં સપડાયું છે.

July 19, 2018
cn1.jpg
1min5090

મોંઘવારી ભથ્થાની રકમની ગણતરી(ડીએ) કરવા ઉપયોગમાં લેવાતા બૅઝ યર અને ઇન્ડેક્સમાં સુધારા કરવા કેન્દ્ર સરકાર સજજ છે. આ પગલાંને પરિણામે આ વર્ષે ભથ્થામાં બે ટકા વધારો મળ્યા પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓને બીજી વાર વધારો મળશે.

મોંઘવારી ભથ્થાની રકમ સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને જીવન ખર્ચપેટે આપવામાં આવે છે. વેતનનો એક ભાગ છે અને તેની ગણતરી વ્યક્તિના બેઝિક વેતનની નિશ્ર્ચિત ટકાવારી પ્રમાણે કરવામાં આવે છે.

એક અંગ્રેજી દૈનિકના જણાવ્યા પ્રમાણે શ્રમ મંત્રાલય દ્વારા ઔદ્યોગિક કામદારો(સીપીઆઇ-આઇડબ્લ્યુ) માટે નવી પ્રાઇસ ઇન્ડેક્સ પર કામગીરી ચાલી રહી છે. મંત્રાલય હેઠળના લેબર બ્યૂરોએ નવું સીપીઆઈ-આઈડબ્લ્યુ બેઝ યર 2016 તરીકે નક્કી કર્યું છે અને એવું સૂચન કરવામાં આવ્યું છે કે જીવન નિર્વાહ ખર્ચ બદલાતો રહેતો હોવાથી દર છ વર્ષે બેઝ પ્રમાણે સુધારા કરવા જોઈએ.

સીપીઆઇ-ડબ્લ્યુ માટે હાલનું બૅઝ યર 2001 હોવાથી આ પગલું મહત્ત્વનું બની રહે છે.

કિંમતમાં વધુ પારદર્શકતા લાવવા નવા ઇન્ડેક્સમાં નવા ઔદ્યોગિક સેન્ટરનો ઉમેરો કરવામાં આવશે. 78 સેન્ટર સામે 88 સેન્ટરનો સમાવેશ કરાશે. અહેવાલમાં જણાવાયા પ્રમાણે નવા સીપીઆઈ-આઈડબ્લ્યુમાં કાર અને મોબાઈલ જેવી આઈટેમનો સમાવેશ કરવામાં આવશે.

નવા ઇન્ડેક્સની ઝીણવટભરી તપાસ કરવા ટૅક્નિકલ એડવાઈઝરી કમિટીને મોકલવામાં આવ્યા પછી તેને આખરી ઓપ આપતાં પહેલાં રાષ્ટ્રીય કક્ષાએ ત્રિપક્ષી સલાહ મસલત કરાશે. લેબર બ્યુરોએ દરેક સ્ટેજ પર ઈન્ડેક્સ નક્કી કરવા સ્ટેન્ડિંગ ટ્રાઈપાઈટ્રાઈટ કમિટીની મંજૂરી મેળવી છે. આ પગલાંનો 110 લાખ સરકારી કર્મચારી અને પેન્શન ધારક ને લાભ થશે.

આ વર્ષે કૅબિનેટે મોંઘવારી ભથ્થું (ડીએ) પાંચ ટકા પરથી વધારીને સાત ટકા કર્યું હતું. આ પગલાંથી આશરે 48.41 લાખ સરકારી કર્મચારી અને 61.17 લાખ પેન્શનધારકને લાભ થયો હતો. સાતમા વેતન પંચની ભલામણ અનુસાર ઉક્ત વધારો કરવામાં આવ્યો હતો.

July 18, 2018
modi2.jpg
1min5520

આજથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ ગયો છે. મોદી સરકાર સામે ચાર વર્ષમાં પહેલી વખતનો પ્રસંગ છે કે વિપક્ષ દ્વારા મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હોય.

કેન્દ્ર સરકાર સામે વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને સ્પીકર સુમીત્રા મહાજને સ્વીકાર્યો હતો. અવિશ્વાસના પ્રસ્તાવ મુદ્દે ચર્ચા કરવા સરકારે તૈયારી દર્શાવી હતી જો કે હજુ તેના પર ચર્ચાનો સમય નિશ્ચિત થયો નથી. સંસદમાં મોદી સરકાર સામેનો અવિશ્વાસનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવતા સરકાર સામે મોટું સંકટ ઘેરાયું છે. જો કે એક અંદાજ મુજબ સરકાર પાસે સાંસદોનું સંખ્યાબળ પુરતું છે જેને પગલે સરકાર અવિશ્વાસનો પ્રસ્તાવ જીતી જાય તેવી પ્રબળ સંભાવના રહેલી છે. બહુમત માટે 268 સંસદની જરૂર છે.

 

July 12, 2018
pilot-1.jpg
1min6840

ભારતીય વિમાની કંપનીઓ આગામી વર્ષોમાં સેંકડો વિમાનની ડિલિવરી લેવાની છે ત્યારે તેમને મોટાપાયા પર પાઇલટ્સની અછતનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. ઇન્ડિગો, સ્પાઇસજેટ, જેટ એરેવેઝ, ગોએર, વિસ્તારા અને એરએશિયા જેવી એરલાઇન્સ માર્ચ 2019 સુધીમાં લગભગ 100 પ્લેનની સંયુક્ત ડિલિવરી મેળવશે, તેમ એરલાઇન્સના વરિષ્ઠ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું.

ભારતીય એરલાઇન્સને એક જ વર્ષની અંદરના સમયગાળામાં 800થી 1000 પાઇલટ તથા તેનાથી અડધી સંખ્યામાં ફર્સ્ટ ઓફિસર્સ અને કમાન્ડર્સની જરૂર પડશે. હાલમાં ફર્સ્ટ ઓફિસર્સ વિપુલ પ્રમાણમાં છે. પરંતુ પ્લેનની ડિલિવરી મળશે ત્યારે સૌથી મોટી તકલીફ કમાન્ડરને લગતી છે.

ભારતીય એરલાઇન્સને આગામી એક વર્ષમાં 800થી વધુ કમાન્ડરની જરૂર પડશે, તેમ સિડની સ્થિત કન્સલ્ટન્ટ કાપા સેન્ટરના સાઉથ એશિયાના સીઇઓ કપિલ કૌલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ સમયે 30 ટકા કે 240 જેટલા પાઇલટની ઘટ પડશે તેમ લાગે છે. એરલાઇન ફર્સ્ટ ઓફિસર્સથી કેપ્ટનને તાલીમ આપી અપગ્રેડ કરવા પ્રયત્નશીલ છે અને ઘણી એરલાઇનને આગામી વર્ષોમાં તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે કમાન્ડરની ભરતી કરવાની જરૂરિયાત લાગતી નથી.

તેના પરિણામે પાયલોટોએ વધુ કામ કરવું પડશે, તેમના કામકાજના કલાકો વધી જશે અને તેમને આરામનો ઓછો સમય મળસે. વિકસતા અર્થતંત્રમાં સતત વિકસતા મધ્યમ વર્ગ અને વધતી જતી વ્યક્તિગત આવકે ભારતને વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન બજાર બનાવી દીધું છે. આગામી દાયકામાં ભારતીય વિમાની કંપનીઓ એક હજારથી વધારે પ્લેનની ડિલિવરી લેવાની છે ત્યારે આ જરૂરિયાત 8,000થી 10,000 પાઇલોટ્સની હશે.

એકબાજુ ઘરઆંગણે કમાન્ડરોની મર્યાદિત સંખ્યા અને સરકાર દ્વારા વિદેશી પાઇલટને લેવા સામેની અનિચ્છાના લીધે આ સ્થિતિ વધુ વણસી શકે છે, તેમ એરલાઇન એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું.

ભારતીય એરલાઇનો જે રીતે વૃદ્ધિ પામી છે તેની સામે સ્થાનિક સ્તરે વિકસેલા પાઇલોટ્સનો ખાસ પ્રવાહ નથી. તેને ધ્યાનમાં રાખતા  વિદેશી પાઇલોટ્સ પર જ આધાર રાખવો પડશે. અમલદારશાહી અને આકરી નિયમનકારી નીતિના લીધે વિદેશી પાઇલટ લાવવા મુશ્કેલ પડી શકે છે. રેગ્યુલેટરી મંજૂરીમાં 40થી 60 દિવસ લાગી જાય છે. બીજા દેશો કરતાં ભારતમાં રેગ્યુલેટરી પ્રક્રિયા વધારે આકરી છે. ડીજીસીએ ભારતીય હવાઈદળના પાઇલોટ માટે જે મેડિકલ ધોરણો હોય તેવા ધોરણોની અપેક્ષા કોમર્સિયલ પાયલોટ પાસે પણ રાખે છે.

યાદ રાખો, ભારતીય કંપનીઓને અમેરિકન કે યુરોપીયન પાઇલોટ પોસાઇ શકે તેમ નથી. તેઓ મુખ્યત્વે રશિયા, યુક્રેન કે મેક્સિકોના પાયલોટ્સની ભરતી કરે છે. તેઓને સરેરાશ ભારતીય કમાન્ડરને ચૂકવાતા વેતન કરતાં 30થી 35 ટકા વધારે માસિક બેઝિક પગાર ચૂકવવો પડે છે. ભારતીય પાયલોટને મહિને ₹6,50,000 પગાર મળે છે જ્યારે વિદેશી પાયલોટને ₹8,84,000 (13,000 ડોલર) ચૂકવવા પડે છે.

July 12, 2018
net.jpg
1min5030

સરકાર નેટ ન્યુટ્રાલિટી અંગેના નિયમ સમાવવા ટૂંક સમયમાં ટેલિકોમ લાઇસન્સમાં ફેરફાર કરશે. તેમાં કન્ટેન્ટને બ્લોક કે ધીમું કરવા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મહત્ત્વની સેવાઓ માટે ફાસ્ટ લેન ફાળવાશે અને ‘કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક’ને કંપનીઓના અધિકારક્ષેત્રની બહાર મૂકવામાં આવશે. ટેલિકોમ કમિશન (TC)એ તા.11મી જુલાઇ 2018ના રોજ ટેલિકોમ નિયમનકર્તાની નવેમ્બર 2017ની ભલામણોને સંપૂર્ણપણે સ્વીકારી લીધી હતી. આ સાથે ઓપન ઇન્ટરનેટને ટેકો આપવાના ભારતના વલણને સમર્થન મળ્યું છે. નેટ ન્યુટ્રાલિટીના સમર્થકોએ આ પગલાને આવકાર્યું હતું. જોકે, ટેલિકોમ કંપનીઓના જણાવ્યા અનુસાર તેને લીધે ઇનોવેશન પર અસર થવાની શક્યતા છે.

ટેલિકોમ કમિશને નવી ટેલિકોમ પોલિસી ‘નેશનલ ડિજિટલ કમ્યુનિકેશન્સ પોલિસી 2018’ને મંજૂરી આપી હતી. પોલિસીનો લક્ષ્યાંક ભારતમાં ૨૦૨૨ સુધીમાં ૧૦૦ અબજ ડોલરથી વધુનું રોકાણ આકર્ષવાનો અને રોજગારી સર્જનનો છે. કેબિનેટને બે સપ્તાહમાં નવી પોલિસી રજૂ કરવામાં આવશે.

નેટ ન્યુટ્રાલિટી અંગે ટ્રાઇની તમામ ભલામણો સ્વીકારી લેવામાં આવી છે. કેટલીક મહત્ત્વની સર્વિસિસ સિવાય તમામ બાબતોમાં નેટ ન્યુટ્રાલિટીના મહત્ત્વના સિદ્ધાંતોને અનુસરવામાં આવશે.

DoT દ્વારા આ મહત્ત્વની સેવાઓને નોટિફાય કરવામાં આવશે. આ બાબત અન્ય દેશોની પદ્ધતિ મુજબની છે. ટ્રાઇ સાથેની ચર્ચા કરીને આગામી કેટલાક મહિનામાં મહત્ત્વની સર્વિસિસ અંગે નિર્ણય લેવાશે. જોકે, આ માળખું હાલ નવું અને સતત બદલાતું હોવાના કારણે સરકાર અક્કડ વલણ નહીં અપનાવી શકે.

પેનલ ટેલિકોમ કંપનીઓની સેવાની ગુણવત્તા નક્કી કરવા ટ્રાફિક મેનેજમેન્ટ પ્રેક્ટિસિસ (TMPs)નું માળખું નક્કી કરશે. ઉપરાંત નેટવર્કની સિક્યોરિટી, ઇમરજન્સી સર્વિસિસ, કોર્ટના આદેશનો અમલ અને સરકારના દિશાનિર્દેશ પારદર્શક હશે તો તેને પણ સમાવવામાં આવશે.

DoT ટેલિકોમ અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર (ISP) લાઇસન્સમાં તાત્કાલિક ફેરફાર કરશે, જે ઓપન વેબના સિદ્ધાંતોને આધિન રહેશે. નિયમો માટે કેબિનેટની મંજૂરી જરૂરી નથી, પણ અમલ પહેલાં તેમને નોટિફાય કરવા પડશે.

ઉલ્લેખનીય છે કે, ચાર વર્ષની સઘન વાટાઘાટ પછી ફ્રી ઇન્ટરનેટનો માર્ગ મોકળો થયો છે.

નેટ ન્યુટ્રાલિટી અંગે મોબાઇલ ફોન ઓપરેટર્સ વિરુદ્ધ કન્ટેન્ટ પ્રોવાઇડર્સ અને એપ મેકર્સ વચ્ચે લાંબી ચર્ચા થઈ હતી. ટેલિકોમ કંપનીઓના જણાવ્યા અનુસાર તેઓ કોઈ પણ કેસમાં મતભેદ નહીં કરતા હોવાથી નિયમનની જરૂર નથી. જ્યારે એપ મેકર્સે કોઈ ભેદભાવ વગર સ્પષ્ટ નિયમોની માંગણી કરી હતી.

July 12, 2018
indianeco.jpg
1min6020

વર્લ્ડ બૅન્કના 2017ના વર્ષના સુધારેલા આંકડા મુજબ ભારત ફ્રાન્સને પાછળ રાખીને વિશ્ર્વનું છઠ્ઠા ક્રમનું અર્થતંત્ર ધરાવતો દેશ બની ગયો છે. ભારતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) 2.597 ટ્રિલ્યન યુએસ ડૉલરની ઊંચાઈને સર કરી હતી, જ્યારે ફ્રાન્સે 2.582 ટ્રિલ્યન યુએસ ડૉલર પર હોવાનું એક સમાચાર સંસ્થાએ બુધવારે તેના અહેવાલમાં જણાવ્યું હતું.

અમેરિકાએ તેનો પહેલો ક્રમ જાળવી રાખ્યો હતો અને ત્યાર પછી ચીન, જાપાન, જર્મનીનો ક્રમ હતો. બ્રિટન 2017ના પૂરા થતા વર્ષે 2.622 ટ્રિલ્યન યુએસ ડૉલરના જીડીપી દર સાથે પાંચમા ક્રમે રહ્યું હતું.સરકારના ખર્ચ અને રોકાણના કારણે ભારતના અર્થતંત્રએ 2018ના જાન્યુઆરીથી માર્ચ દરમિયાન 7.7 ટકાનો આર્થિક વિકાસ સાધ્યો હતો, પરંતુ તેનાથી જીડીપીના વિકાસને રોકી શકાયો નહોતો એ, નરેન્દ્ર મોદી સરકારના ચોથા વર્ષે પણ નીચા સ્તરે ગબડયો હતો.નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર 2018-19માં 7.5 ટકાના દરને આંબી જશે. ભારતને એવી આશા છે કે, 2018ના અંતમાં વિકાસદર 7.4 ટકાનો થશે અને 2019માં એ 7.8 ટકા સુધી પહોંચશે. એ ઊંચાઈએ પહોંચતાં જ નજીકના હરીફ ચીનને બે વર્ષમાં 6.6 ટકા અને 6.4 ટકાના દરે પાછળ રાખી દેશે, તેવું આ વર્ષમાં એપ્રિલ મહિનામાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)એ જણાવ્યું હતું.ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં વર્લ્ડ ઈકોનોમિક લીગ ટેબલ (ડબલ્યુઈએલટી) 2018, સેન્ટર ફોર ઈકોનોમિક એન્ડ બિઝનેસ રિસર્ચ ફોરકાસ્ટે જાહેર કર્યા મુજબ ઈન્ડિયા બ્રિટન અને ફ્રાન્સને પાછળ ધકેલી દઈ 2018 સુધીમાં વિશ્ર્વની પાંચમા ક્રમની આર્થિક સત્તા બની જશે.

એપ્રિલ, 2018માં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, 2018માં ભારત 7.4 ટકાનો વિકાસદર સાધશે અને 2019માં એ વિકાસદર 7.8 ટકાનો થઈ જશે અને ચીનને પાછળ રાખી દઈને દક્ષિણ એશિયામાં ઉપરનો ક્રમ હાંસલ કરશે.

આઈએમએફના જણાવ્યા મુજબ ભારત એશિયન-5 દેશોમાં સ્થિર અર્થતંત્ર ધરાવતો દેશ બની જશે. 2017માં ચીન 6.8 ટકા સાથે સૌથી આગળ હતું, જ્યારે ભારતનો વિકાસદર 6.7 ટકા હતો. જેના કારણે ચીને ઝડપથી વિકસતા અર્થતંત્રનું બિરુદ મેળવ્યું હતું, જે છેલ્લાં કેટલાક વર્ષોથી જળવાઈ રહ્યું છે, પરંતુ નોંધનીય બાબત એ છે કે, 2016ના વર્ષમાં ભારત 7.1 ટકાના વિકાસદર સાથે ઝડપથી વિકસતા અર્થતંત્રવાળો દેશ હતો, પરંતુ 2016માં નોટબંધીના તેમજ જીએસટી લાદવા જેવાં પગલાં લેવાવાના કારણે ભારતનો વિકાસદર ઘટીને 6.7 ટકા પર પહોંચ્યોે હતો. 2017માં એ વિકાસદરમાં પણ ઘટાડો થયો હતો.

July 7, 2018
law1.jpg
1min13480

કાયદા પંચે સ્પોર્ટ્સમાં જુગાર અને સટ્ટાને નિયંત્રિત કરવા ભલામણ કરી છે. આજે સરકારને સુપ્રત કરવામાં આવેલા વિગતવાર અહેવાલમાં પંચે એવો અભિપ્રાય આપ્યો છે કે આ પ્રકારની પ્રવૃત્તિને અટકાવી શકાય તેમ ન હોવાથી તેને કાયદા દ્વારા નિયંત્રિત કરવી જ સારું રહેશે.

પંચના અહેવાલ પ્રમાણે સંસદ રાજ્યો માટે આદર્શ કાયદો ઘડી શકે છે અથવા તો બંધારણની કલમ 249 કે 252 હેઠળ તેને મળેલી સત્તાઓનો પ્રયોગ કરીને કાયદો ઘડી શકે છે. આ કલમ હેઠળ કેન્દ્ર સરકારને વ્યાપક રાષ્ટ્રીય હિતમાં રાજ્યના વિષયમાં કાયદો ઘડવાની સત્તા છે.

પંચે જુગાર માટે 18 વર્ષની લઘુતમ વય નિર્દિષ્ટ કરી છે. તેણે એવી પણ ભલામણ કરી છે કે જુગાર અને સટ્ટાના તમામ વ્યવહારોને ઓપરેટર અને ખેલીના આધાર કે પાન કાર્ડ સાથે લિન્ક કરવા જોઇએ. અહેવાલમાં તો એમ પણ જણાવાયું છે કે કેસિનો/ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગમાં સીધા વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા એફડીઆઇ નીતિ પણ હોવી જોઇએ. મેચ ફિક્સિંગ અને સ્પોર્ટ્સ ફ્રોડને કડક સજા સાથે ફોજદારી ગુનો ગણવો જોઇએ એવું સૂચન કરવામાં આવ્યું છે.

પંચનું વડપણ ધરાવતા ન્યાયમૂર્તિ (નિવૃત્ત) બી એસ ચૌહાણે એવો મત વ્યક્ત કર્યો છે કે જુગાર પર નિયંત્રણ લાદવાથી છેતરપિંડી અને મની લોન્ડરિંગને શોધી કઢાશે. જોકે પંચના એક સભ્યએ બહુમતી અભિપ્રાય સામે વિરોધી સૂર વ્યક્ત કર્યો છે. પ્રોફેસર એસ સિવાકુમારે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટે પંચ સમક્ષ સ્પોર્ટ્સમાં સટ્ટાનો મુદ્દો ક્યારેય રીફર ન કર્યો હોવાથી પંચનો અહેવાલ સર્વગ્રાહી ન કહી શકાય.

July 6, 2018
isro.jpg
1min4960

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)એ અવકાશયાત્રીઓને તાકીદની પરિસ્થિતિમાં ઉગારવા માટેની નવી ડિઝાઇનવાળી ક્રૂ એસ્કેપ સિસ્ટમની 5 જુલાઇ 2018ના દિને સફળ ફ્લાઇટ ટેસ્ટ કરી હતી.

ઇસરોએ જણાવ્યું હતું કે ક્રૂ એસ્કેપ સિસ્ટમના યોજાનારા શ્રેણીબદ્ધ પરીક્ષણમાંનું આ સૌપ્રથમ પરીક્ષણ હતું. અવકાશયાન છોડવાની કામગીરી અચાનક રદ કરવી પડે તો એવા તાકીદના સમયે અવકાશયાત્રીઓને ક્રૂ મૉડ્યુલ સાથે લૉન્ચ વેહિકલથી સલામત સ્થળે લઇ જવા માટેની આ ખાસ યંત્રણા તૈયાર કરાઇ છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશનની યાદીમાં જણાવાયું હતું કે લૉન્ચ પૅડ ખાતે કોઇ તાકીદની પરિસ્થિતિ ઊભી થાય તો ક્રૂ મૉડ્યુલને ઝડપથી સલામત સ્થળે ખેંચી જવા તૈયાર કરાયેલી પ્રથમ ‘પૅડ અબૉર્ટ ટેસ્ટ’ સફળ રહી હતી.

July 4, 2018
1min12120

વિધાનસભાના ચોમાસુ સત્રની પૂર્વસંધ્યાએ અંધેરીના વિધાનસભ્ય રમેશ લટકેના પ્રાઇવેટ અસિસ્ટન્ટના ફ્રેન્ડની ડેડ-બૉડી મળતાં સનસનાટી ફેલાઈ

death

અંધેરી (ઈસ્ટ)ના શિવસેનાના વિધાનસભ્ય રમેશ લટકેના પર્સનલ અસિસ્ટન્ટ સંદીપ વાધળેના ૫૦ વર્ષના મિત્ર વિનોદ અગ્રવાલની ડેડ-બૉડી નાગપુરની MLA હૉસ્ટેલની રૂમમાંથી મળી આવી હતી. વિધાનસભાનું ચોમાસુ સત્ર નાગપુરમાં આજથી શરૂ થવાનું છે ત્યારે આ ડેડ-બૉડી મળી આવતાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસે આ સંદર્ભે ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો છે.

મૂળ રાજસ્થાનના કોટાનો વિનોદ અગ્રવાલ વિધાનસભ્ય રમેશ લટકેને આપવામાં આવેલી રૂમમાં રહેતો હતો. ગઈ કાલે સવારે લાંબા સમય સુધી વિનોદે રૂમનો દરવાજો ખોલ્યો નહોતો. એ પછી લૉક તોડીને અંદર પ્રવેશ કર્યા પછી આ બાબતની ખબર પડી હતી. વિનોદ અગ્રવાલનું મૃત્યુ કેવી રીતે થયું એની પોલીસ તપાસ કરી રહી છે. ઊંઘમાં જ અટૅક આવ્યો હોવાથી મૃત્યુ થયું હોવાનો અંદાજ વર્તાવવામાં આવ્યો છે.

મૉન્સૂન અધિવેશન આ વર્ષે પહેલી વાર નાગપુરમાં થાય છે જે આજથી ૨૦ જુલાઈ સુધી ચાલશે. બધા વિધાનસભ્યો એ માટે નાગપુર પહોંચ્યા છે.

July 3, 2018
a1.jpg
1min13870

મુંબઇમાં ભારે વરસાદના કારણે અંધેરી સ્ટેશને અંધેરી ઇસ્ટ અને અંધેરી વેસ્ટને એકબીજા સાથે જોડતા ગોખલે ફૂટ ઓવર બ્રિજનો હિસ્સો તૂટી પડ્યો છે. આ અકસ્માતમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ વેસ્ટર્ન લાઇન પર લોકલ ટ્રેનોની અવરજવર ઠપ થઇ છે. આજે અંધેરી વિસ્તારથી લોકલ ટ્રેનોની અવરજવર અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવી છે, ઘટના સ્થળેથી કાટમાળ ખસેડીને ટ્રેનોની અવરજવર ઝડપભેર શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ઘટનાને પગલે ધસી પડેલા કાટમાળમાં સદનસીબે કોઇ દબાયું ન હોવાના અહેવાલો વચ્ચે મુંબઇ પોલીસે જણાવ્યું હતું કે બ્રિજ તૂટ્યા બાદ ટ્રાફિકને રોકી દેવાયો છે. મુંબઇ પોલીસની ટ્વિટમાં કહ્યું છે કે અંધેરી ઇસ્ટ અને વેસ્ટને જોડતા ગોખલે બ્રિજનો હિસ્સો તૂટી ટ્રેક પર પડતા ઓવરેહડ (ઓએચઇ) વાયરોને પણ નુકસાન પહોંચ્યું છે. વેસ્ટર્ન લાઇન પર ટ્રેન સેવા પ્રભાવિત થઇ છે. બીએમસી, ફાયર બ્રિગેડ સિવાય, આરપીએફના કર્મચારીઓ સ્થળ પર મદદ માટે હાજર છે. ઓવર બ્રિજની ઉપર અને નીચે અવરજવરને રોકી દેવાઇ છે.

ટ્રેક પર તૂટી પડ્યો બ્રિજનો હિસ્સો

મંગળવારે સવારે 7.30 વાગ્યે અંધેરી સ્ટેશન પર એક રોડ ઓવર બ્રિજનો હિસ્સો તૂટતા પશ્ચિમ રેલવે પર લોકલ સેવા ઠપ થઇ છે. આ બ્રિજ અંધેરી સ્ટેશનના દક્ષિણમાં આવેલું છે અને બ્રિજ પૂર્વથી પશ્ચિમની તરફના રસ્તા પરિવહનને જોડે છે. જાણવા મળ્યું છે કે બ્રિજનો હિસ્સો ટ્રેક પર પડ્યો અને તમામ 6 લાઇનના ઓએચઇ વાયર તૂટી ગયા છે. વેસ્ટર્ન રેલવે દ્વારા પણ ટ્વિટ કરી આ અંગેની માહિતી આપવામાં આવી છે.