કેરળમાં વરસાદે વેર્યો વિનાશ
કેરળમાં વિનાશક મોન્સુન વચ્ચે શનિ-રવિમાં ભારે વરસાદની આગાહી પ્રાદેશિક હવામાન કચેરી દ્વારા કરવામાં આવી છે. આઉપરાંત કર્ણાટક અને તમિળનાડુમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આ પહેલાં ગુરુવારે પડેલા ભારે વરસાદમાં હજ્જારો હૅક્ટર જમીનમાં ઊભો પાક ધોવાઈ ગયો હતો. માળખાકીય સગવડને પ્રચંડ નુકસાન પહોંચ્યું હતું.
નેશનલ ડિઝાસ્ટર રિપોન્સ ફોર્સ ઉપરાંત લશ્કરી દળના કર્મીઓે ઈમારતોના છાપરા, ભેખડ ધસી પડતાં રસ્તા પરના કાળમાળમાં સપડાઈ ગયેલા લોકોને ઉગારીને બચાવવાની કામગીરી આદરી રહ્યા છે.
પૂરગ્રસ્ત વિસ્તારોમાં અટવાઈ ગયેલા વૃદ્ધો, બાળકો અને મહિલાઓ સહિત સેંકડોને બોટ અને હેલિકૉપ્ટર સેવા દ્વારા બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ટીવી ચૅનલો પર મહિલાઓ અને શ્રમિકોને દોરડાની મદદથી નૌકા દળના હેલિકૉપ્ટરમાંથી સલામત સ્થળે ઉતારતાં હૃદય દ્રાવક દૃશ્યો પ્રસારિત કરવામાં આવ્યા હતા.
એક ગર્ભવતી મહિલાને પીડા ઊપડતાં તેને નૌકાદળની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેણે પુત્રને જન્મ આપ્યો હતો. માતા અને નવજાતની તબિયત સારી છે. ઑસ્ટ્રેલિયા, અમેરિકા અને યુકેના બિનનિવાસી ભારતીયો છેલ્લા બે દિવસથી અલ્વુઆમાં સપડાયેલા તેમના સંબંધીઓને બચાવી લેવા ટીવી ચૅનલો પર વારંવાર મદદ માગી રહેલા જણાયા હતા.
વૉટ્સ ઍપ વીડિયો ક્લિપમાં છ વર્ષના બાળક સાથે પૂરમાં સપડાયેલી માતા ખોરાક અને પાણીની મદદ માગી રહેલી જણાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાતે કેરળ પહોંચીને પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું છે.
હોસ્પિટલોમાં ઓક્સિજન ખુટી પડ્યો
અર્નાકુલમ જિલ્લાની ઘણી ખાનગી હોસ્પિટલોના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઑક્સિજનના પુરવઠાની તંગી પડતાં દર્દીઓને નજીકની સગવડ ધરાવતી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. હૉસ્પિટલોમાં પાણી ભરાતાં દર્દીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા. પૂર રાહત છાવણીઓમાં રાખવામાં આવેલા લોકોએ ખોરાક અને પીવાના પાણીની અછત હોવાની ફરિયાદ કરી હતી. શુક્રવારે આફત વધી છે. હોસ્પિટલોમાં ઓક્સિજન ઘઠી રહ્યો છે, તો પેટ્રોલ પંપોમાં સ્ટોક નથી. કેરળમાં 100 વર્ષનું આ સૌથી મોટુ સંકટ છે, અને અત્યાર સુધીમાં કુલ 324 લોકો મોતને ભેટી ચૂક્યા છે. તો વડાપ્રધાન મોદીએ પણ કેરળ પહોંચીને હવાઈ નીરિક્ષણ કર્યું. પરિસ્થિતિની સમીક્ષા કરી.
કેરળના પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરવા માટે પીએમ મોદી શુક્રવારે મોડી સાંજે જ અહીં પહોંચ્યા હતા. તેઓએ સવારે સીએમ વિજયન સાથે બેઠક કરી, આ બેઠકમાં પૂરથી થયેલા નુક્સાન અને રાહત બચાવ કાર્યને લઈ ચર્ચા થઈ. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર પૂરગ્રસ્ત કેરળ માટે 100 કરોડની મદદ જાહેર કરી ચૂકી છે.
ઑગસ્ટ માસની શરૂઆતથી જ વરસાદે કેરળમાં ભારે તબાહી મચાવી છે. ભારે વરસાદને પરિણામે આવેલા પૂરે 147 જિંદગીનો ભોગ લીધો છે. કેરળમાં આંકી ન શકાય તેટલી માત્રામાં લોકોની માલમિલકતને નુકસાન પહોંચ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાછલાં 90 વર્ષના ઈતિહાસમાં કેરળે ચોમાસાનું આટલું રૌદ્ર રૂપ પહેલી વાર જોયું છે.
પાછલા એક સપ્તાહમાં 439 રાહત છાવણીઓમાં 53000 લોકોને આશ્રય આપવામાં આવ્યો છે, જયારે ચોમાસા દરમિયાન 1790 રાહત છાવણીમાં 1,43,220 લોકોએ આશ્રય મેળવ્યો છે. કેરળે ચાલુ વર્ષે સૌથી ભયાનક ચોમાસાનો સામનો કર્યો છે.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ 29 મેથી 19 જુલાઈ સુધીમાં ભારે વરસાદથી 130 લોકોના મોત થયા છે, જયારે તેમાં માત્ર ઑગસ્ટ મહિનામાં જ થયેલા મોત ઉમેરવાથી આંકડો 217ને પાર કરી જાય છે.
સરકારના જણાવ્યા મુજબ કેરળમાં રૂ. 8316 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. 14માંથી 10 જિલ્લામાં ભારે તબાહી મચી છે. ભારે વરસાદને પરિણામે કેરળના 27 બંધના દરવાજા ખોલી નાખવા પડયા છે. માત્ર ચાર દિવસમાં 37 લોકોના મૃત્યુ થયા છે. 211 જેટલી ભૂસ્ખલનની ઘટના નોંધવામાં આવી છે.
NDRFની બચાવ કામગીરી બની ઝડપી
તો NDRFની સાથે સાથે સૈન્ય પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરીમાં લાગ્યુ છે. રાહત અને બચાવ કામગીરી ઝડપી કરી દેવાઈ છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે રસ્તા બંધ થઈ રહ્યા છે. તો સેંકડો ગામ ટાપૂમાં ફેરવાઈ ચૂક્.ા છે.
રાહત અને બચાવ માટે સૈન્યના હેલિકોપ્ટર
મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને સૈન્યના હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરાઈ રહ્યા છે. અલૂવા, કાલાડી, પેરુંબુર, મુવાડ્ડુપુઝા અને ચાલાકુડીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સ્થાનિક માછીમારો પણ પોતાની બોટ સાથે સામેલ થઈ રહ્યા છે.
લગભગ સવા બે લાખ લોકો થયા બેઘર
રાજ્યમાં લગભગ સવા બે લાખ લોકો બેઘર થઈ ચૂક્યા છે. તમામ લોકોને રાહત છાવણીમાં શરણ અપાઈ છે. NDRFની 51 ટીમ કેરળ મોકલાઈ છે
ટ્રેનથી મોકલાયું પીવાનું પાણી
રનવે પર પાણી ભરાઈ જતા કોચી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ થઈ ચૂક્યુ છે. 25થી વધુ ટ્રેન રદ કરાઈ છે, અને કેટલીક ટ્રેનોના સમય બદલાયા છે. દક્ષિણ રેલવે દ્વારા ત્રણ સ્પેશિયલ ટ્રેન દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારોમાં પીવાનું પાણી મોકલવામાં આવ્યુ છે.
100 મેટ્રિક ટન ફૂડ પેકેટ તૈયાર
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 100 મેટ્રિક ટન ફૂડ પેકેટ તૈયાર કરીને પૂર પ્રભાવિત વિસ્તારોમાં મોકલાયા છે. વીમા નિયામક ઈરડાડુએ તમામ વીમા કંપનીના દાવાની ચૂકવણી કરવા માટે ખાસ શિબિર લગાવવા નિર્દેશ કર્યા છે.
પૂર પ્રભાવિત કેરળ માટે પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી રાહત કોષમાંથી 5 કરોડ રૂપિયા અને ભોજન સહિત જરૂરી સામાન માટે અન્ય 5 કરોડની જાહેરાત કરી છે. તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કેરળના સીએમ વિજયન સાથે વાત કરીને પરિસ્થિતિની માહિતી મેળવી, 10 કરોડની સહાય જાહેર કરી છે. તેલંગાણાએ પણ કેરળને મદદ માટે 25 કરોડ આપવાનું કહ્યું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now