ચંદ્રયાન-ટૂના લેન્ડર ‘વિક્રમ’ની સાથે ફરી સંપર્ક કરવાની આશા હવે ધૂંધળી બની રહી છે અને તેની સાથે ફરી સંપર્ક કરવા હવે અંદાજે અઠવાડિયું જ બચ્યું છે.
ચંદ્રયાન-ટૂના ૨૭ કિલોગ્રામના ‘પ્રજ્ઞાન’ નામના રૉવરની સાથેના લેન્ડર ‘વિક્રમ’ ચંદ્રની સપાટીથી ૨.૧ કિલોમીટર દૂર હતું ત્યારે સંપર્ક ગુમાવ્યો હતો. આ લેન્ડર ચંદ્રની ધરતી પર નિર્ધારિત સ્થળે ઊતરવાને બદલે તેની નજીક અન્ય સ્થળે ઊતર્યું હતું. આ લેન્ડર પોતાના ચાર પાયા પર ઊભું હોવાનો અને હેમખેમ હોવાનો દાવો કરાયો છે.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ ૧,૪૭૧ કિલોગ્રામના ‘વિક્રમ’ને ચંદ્રની સપાટી પર ઉતરાણના બીજા દિવસે જ શોધી કાઢ્યું હતું, પરંતુ તેની કામગીરી ચંદ્રના એક દિવસ એટલે પૃથ્વીના ૧૪ દિવસની છે અને તેમાંથી સાત દિવસ તો નીકળી ગયા છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ચંદ્રની ધરતી પર ઉતરાણ વખતે લાગેલા આચકાને લીધે આ સમસ્યા ઊભી થઇ હોવાની શંકા છે. સંસ્કૃતમાં હોશિયારી અને આવડતને ‘પ્રજ્ઞાન’ કહેવાતું હોવાથી છ પૈડાંવાળા રૉવરનું નામ તે રખાયું છે.
લેન્ડરની સાથે ત્રણ વૈજ્ઞાનિક સાધન છે અને તે ચંદ્રની ધરતી પર પ્રયોગ અને સંશોધન કરનાર હતા.























