અર્થતંત્રમાં વ્યાપી રહેલી મંદીને દૂર કરવા માટે મુખ્ય આર્થિક સલાહકારે ગઇકાલે પેકેજ આપવાની ના ભણ્યા બાદ આજે નાણાપ્રધાન નિર્મલા સીતારામને થોકબંધ રાહતલક્ષી જાહેરાત કરી હતી. સરકારે ઉદ્દીપક પેકેજ નથી આપ્યું પરંતુ ટેક્સમાં સુધારાની અનેક જાહેરાતો કરતા હવે રાહત મળવાની આશા બંધાઇ છે.
અસંખ્ય નિર્ણયો કે જે અંદાજપત્રમાં કરવામાં આવ્યા હતા તે પાછા ખેંચવામાં આવ્યા છે. સૌથી મોટાં નિર્ણયમાં નાણાપ્રધાને બેંકોને રૂ. 5 લાખ કરોડ આપીને મૂડીકરણ કરવાની જાહેરાત કરી છે. એમાંથી પ્રથમ તબક્કે રૂ. 70 હજાર કરોડ છૂટ્ટા કરાયા છે. સરકારના આ નિર્ણયથી અર્થતંત્રમાં રોકડની તરલતા વધશે. બેંકો, શેરબજાર અને ઓટો ક્ષેત્રને સૌથી વધારે લાભ મળી શકે તેમ છે.
દેશમાં મંદીની અસર નથી એવું નાણાપ્રધાન સતત કહી રહ્યા હતા પરંતુ આજની આ જાહેરાતો સાથે જ સરકારે પણ મંદી હોવાનું સ્વીકારી લીધું હોવાની છાપ સ્પષ્ટપણે ઉપસી છે.
અંદાજપત્ર પૂર્વે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર ઉપર 15 ટકા સરચાર્જ લાગતો હતો તે 25 ટકા કરાયો હતો. અંદાજપત્રના આ નિર્ણયને નાણાપ્રધાને પાછો ખેંચી લીધો છે.
ટૂંકમાં હવે 15 ટકા જ રહેશે. એ જ રીતે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ઉપર સરચાર્જ પણ પાછો ખેંચી લીધો છે. કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબીલીટી અર્થાત સીએસઆરના ઉલ્લંઘનને ગુનાહિત કૃત્ય ગણવામાં આવતું હતુ તેને સ્થાને નાગરિક અપરાધ ગણવામાં આવશે. એના ઉપર કોઇ દંડની કાર્યવાહી નહીં થાય.
સ્ટાર્ટ અપ્સ ઉપર એન્જલ ટેક્સની અંદાજપત્રીય જાહેરાત પણ પરત ખેંચાઇ છે. અંદાજપત્રમાં ઉક્ત નિર્ણયોમાં બદલાવ કરાયા પછી શેરબજારમાંથી કરોડો રૂપિયાનું રોકાણ પરત ખેંચાય ગયું હતુ, હવે રોકાણકારો પાછા આવશે. સોમવારે ખૂલતામાં શેરબજારમાં મોટો ઉછાળો આવે એવા સંકેત સ્પષ્ટપણે મળી રહ્યા છે.
નાણાપ્રધાને કહ્યું કે, બેંકોને તત્કાળ રૂ. 70 હજાર કરોડનું પેકેજ આપવામાં આવશે. એનાથી સિસ્ટમમાં ફરીથી નાણાં ફરતા થઇ જશે. બેંકો નાણા લોન સ્વરુપે આપે જરુરીયાતમંદોને આપે તે માટે પણ તાકિદ કરવામાં આવી છે. જીએસટીમાં રહેલી ખામીઓ દૂર કરવા માટે પણ સીતારામને કહયું છે. ટેક્સ તથા મજૂર કાયદામાં સરકાર સતત સુધારા કરી જ રહી છે. સંપતિનું સર્જન કરનારા લોકોનું અમે સન્માન કરીએ છીએ અને કંપનીઓના વિલય તથા અધિગ્રહણની પ્રક્રિયા પણ ઝડપથી અમે કરીશું.
બેંકો દ્વારા રેપોરેટમાં ઘટાડો કરવામા ંઆવે છે પણ બેંકો તે ગ્રાહકો સુધી પહોંચાડતી નથી ત્યારે બેંકોએ આ લાભ પસાર કરવો પડશે એ મતલબની સૂચનાઓ તેમણે આપી હોવાનું કહ્યું હતુ. લોન ક્લોઝરના 15 દિવસમાં સિક્યુરીટી માટે જમા કરાવેલા દસ્તાવેજો ગ્રાહકોને પાછા આપી દેવાના રહેશે.
ઓટો ક્ષેત્રમાં સૌથી વધારે મંદી ચાલી રહી છે ત્યારે એ માટે સીતારામને કહ્યું કે, માર્ચ 2020 સુધી ખરીદવામાં આવતાબીએસ 4 એંજીનવાળા વાહનોને ચલાવવામાં કોઇ પરેશાની આવશે નહીં. નોંધણી ફીમાં વધારો કરવાનો નિર્ણય પણ જૂન 2020 સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે તે રાહતકારી છે. ઇલેકટ્રીક વ્હીકલ પર સરકાર જોર આપી રહી છે પણ તેનાથી પરંપરાગત ઇંધણથી ચાલતા વાહનો બંધ થઇ જશે તેવી આશંકા દૂર કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે, વૈશ્વિક અર્થતંત્રનો જીડીપી 3.2 ટકા રહેવાની ધારણા છે. વૈશ્વિક માગ ઓછી છે. ચીન અને અમેરિકા જેવા દેશો કરતા ભારતનો જીડીપી ઉંચો છે. અર્થતંત્રમાં મંદી વિસ્તરી ન જાય તે માટે સરકાર કામકાજ કરી રહી છે. ભારત ગ્રોથના ટ્રેક ઉપર જ છે. આર્થિક સુધારા ચાલુ રાખવામાં આવશે.